જીમના લોકર રૂમમાં આ તાળું જોવા મળ્યું.
આમ તો એ તાળું બનાવનાર કંપનીનો વેચાણ વધારવાનો એક કીમિયો જ ગણાય.
‘અમારું તાળું
કિલ્લાઓને લગાવાતા
તોતિંગ તાળાઓની
બરાબરી કરે તેવું છે!’
પણ એ તાળું જોઈને મન વિચારે ચઢી ગયું.
જાતજાતના કિલ્લા! એ લોકર પણ જીમમાં કસરત કરું એ દરમિયાન મારી મતા સાચવી રાખવા માટેનો કામચલાઉ કિલ્લો! આપણા જીવનમાં આવા અનેક કિલ્લા હોય છે. આપણું થોડું ઘણું સાચવી રાખવાના નુસખા. એને બહુ કાળજીથી આવાં તાળાં લગાવી જ રાખવા પડે ને?! અમુક મતા તો એટલી બધી કિંમતી હોય કે, બહુ તોતિંગ, ખંભાતી તાળાં લગાવવા પડે.
પણ, આપણી માન્યતાઓ અને વિચારો એ બધાથી અનેક ગણી વિશેષ કિંમતી મતા હોય છે! એને બહુ જડબેસલાક રીતે સાચવી રાખવા આપણે અથાગ ઝઝૂમતા હોઈએ છીએ. એ કિલ્લાઓને લગાવેલ તાળાં આગળ ખંભાતી તાળાની શી વિસાત?! એમને જીવની જેમ જાળવવા આપણે જીવ-સટોસટના સંગ્રામો ખેલીએ છીએ.
બે જ બાજુ –
મારો મત અને ખોટો!
આપણી નાનકડી દુનિયા આપણને બહુ વહાલી હોય છે. એની બહાર કેટલું વિશાળ અસ્તિત્વ હાજરાહજૂર હોય છે – એ નિહાળવા આપણી પાસે નજર જ નથી હોતી.
કેવળ કૂપમંડૂકતા.
પણ કદીક એ કિલ્લાઓને લગાવેલા તોતીંગ તાળા જરીક ખોલીને બહાર નજર માંડીએ ત્યારે કૂવાના દેડકા જેવી આપણી એ દુનિયાની ક્ષુદ્રતાનો અહેસાસ આપણને ખચિત થઇ જ જાય – બેશક.
આ લખનારનો જ નહીં; ઘણા બધા વિચારકોનો પણ આવો જ અભિપ્રાય હોય છે. એ તાળાંઓને તોડી, ફોડી – એ કિલ્લાઓને ધરાશાયી કરી આપણે એક અત્યંત વિશાળ દુનિયાને નિહાળવા કટિબદ્ધ થઈએ તો? માનનીય કવિ માધવ રામાનુજની આ કવિતા ચપટીક આસ્વાદી જુઓ ને…
અંદર તો એવું અજવાળું, અજવાળું……..
સળવળતી હોય આંખ જેને જોવાને, એ મીંચેલી આંખે ય ભાળું.
અંદર તો એવું અજવાળું, અજવાળું …….
ઊંડે ને ઊંડે ઊતરતાં જઇએ, ને તો ય લાગે કે સાવ અમે તરીએ.
મરજીવા મોતીની મુઠ્ઠી ભરે ને એમ ઝળહળતા શ્વાસ અમે ભરીએ.
પછી આરપાર ઉઘડતાં જાય બધાં દ્વાર, નહીં સાંકળ કે ક્યાં ય નહીં તાળું
અંદર તો એવું અજવાળું……
સૂરજ કે છીપમાં કે આપણમાં આપણે જ ઓતપ્રોત એવાં તો લાગીએ,
ફૂલને સુવાસ જેમ વાગતી હશે ને તેમ આપણને આપણે જ વાગીએ.
આવું જીવવાની એકાદ ક્ષણ જો મળે તો એને જીવનભર પાછી ના વાળું.
અંદર તો એવું અજવાળું…….
આ કાવ્યનો ભાવ આત્મસાત થાય તો, વિશ્વની વિશાળતાનો-એના સૂક્ષ્માતિસૂક્ષ્મ અંશની અંદર વિલસી રહેલી સુંદરતાનો અદ્દભુત અનુભવ આપણને કદાચ હાથવગો બની જાય.
એમ પણ બને !
e.mail : surpad2017@gmail.com
![]()


આ ‘રૂબલ’ને દુબાઈ ખાતે 6 ફેબ્રુઆરી 2026ના રોજ દસ લાખ ડોલરનું Global Teacher Prize એનાયત થયું છે. યુનેસ્કોની છત્રછાયામાં Varkey Foundation દ્વારા શિક્ષણ ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન કરનાર વ્યક્તિઓને આ પુરસ્કાર એનાયત થાય છે.
‘મિસાલ મુંબઈ’ નામનો, સ્લમ વિસ્તારોના ઘરોને સુશોભિત કરવાનો પ્રોજેક્ટ તેણે શરૂ કર્યો છે, જેના અંતર્ગત 1,55,000 ઘરોને રંગરોગાન અને ચિત્રકામથી સજાવાયાં છે.
2017માં દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં આવેલ મ્યુઝિયમમાં પણ તેના ચિત્રને સ્થાન મળ્યું છે.