Opinion Magazine
Number of visits: 9842402
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘વંદે માતરમ્’નું વરવું રાજકારણઃ કોમી ધ્રુવીકરણનું અનર્થકારણ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|11 December 2025

બહસ –

નિર્ણય જવાહરલાલનો એકતરફી નહોતો

રાષ્ટ્રીય ગાન તરીકે ‘વંદે માતરમ્‘નો મહિમા ઇતિહાસદર્જ હતો, છે અને રહેશે. એમાં પાછળથી થયેલા ઉમેરાને ધોરણે નહીં વિચારતાં એના મૂળ સ્વરૂપને વળગી રહેવું તે ઇષ્ટ લેખાશે.

પ્રકાશ ન. શાહ

રાષ્ટ્રગીત જનગણમનની સમકક્ષ મહત્ત્વ ધરાવતું રાષ્ટ્રીય ગાન ‘વંદે માતરમ્’ આઝાદીની લડતની તવારીખમાં એક પ્રેરણાસ્રોત તરીકે હંમેશ મહિમામંડિત રહ્યું છે. એની સાર્ધ શતાબ્દી જેમ દેશમાં ઠામોઠામ મનાવાય તેમ સંસદમાં પણ એના પડછંદા પડે, તે કોને ન ગમે. 

મુશ્કેલી જો કે એ છે કે વર્તમાન સત્તાપક્ષની ‘વંદે માતરમ્’ પરત્વેની ભાવોર્મિ છેક જ સરળ, સહજ ને સ્વચ્છ નથી. કશોક રાજકીય એજન્ડા, કંઈક ભળતીસળતી સમજનો અને ધ્રુવીકરણનો એને વણછો લાગેલો છે. 

લોકસભામાં વડા પ્રધાને તો રાજ્યસભામાં ગૃહ પ્રધાને ચર્ચાનો ઉધાડમોરચો સંભાળી બેટિંગ તો બરોબરની કીધી, પણ એમની માંડણીએ એક તબક્કે લગભગ અધવચ જે મરોડ આપ્યો એમાં સાર્ધ શતાબ્દીના ગૌરવ કરતાં વધુ તો પક્ષીય રાજકારણ સોડાતું હતું. 

જેમના નેતૃત્વમાં કાઁગ્રેસે ‘વંદે માતરમ્’ના પહેલા બે અંતરા જાહેર જીવનમાં રાષ્ટ્રીય ગાનના દબદબા ને દરજ્જાભેર ખપમાં લેવાનો નિર્ણય લીધો એ અલબત્ત પક્ષપ્રમુખ જવાહરલાલ હતા, અને કેમ કે એ જવાહરલાલ હતા, સંઘ પરિવારને નિશાન સારુ સદૈવ સુલભ ખલનાયક એમનાં સિવાય બીજું કોઈ હોય પણ ક્યાંથી. બંને ગૃહોમાં ચાલેલી ચર્ચામાંથી જે વિગતો ઊપસી આવી તે ક્રમબદ્ધ બિલકુલ પગથિયે પગથિયે દર્જ કરી સમજમાં કંડારવા જોગ છે. 

પહેલું તો એ કે આ નિર્ણય જવાહરલાલનો એકતરફી નહોતો. એમના પછી જે કાઁગ્રેસપ્રમુખ થવાના હતા તે સુભાષબાબુના સૂચનથી જવાહરલાલે રવીન્દ્રનાથ સાથે પરામર્શપૂર્વ મૌલાના આઝાદ અને આચાર્ય નરેન્દ્રદેવ સહિતના સમિતિ સભ્યો વગેરે જોડે મળીને કરેલો એ નિર્ણય હતો કે પહેલા બે અંતરા ખપમાં લેવાશે. બંધારણ સભામાં એ જ ધોરણે નિર્ણય લેવાયો. ભા.જ.પ.ના પૂર્વ અવતાર જનસંઘના સ્થાપક પ્રમુખ શ્યામાપ્રસાદ મુખર્જી સહિતના નેહરુ પ્રધાનમંડળની એના પર મહોર વાગી હતી.

જે અંતરા પડતા મુકાયા, વડા પ્રધાન અને ગૃહ પ્રધાનની ચિત્રાત્મક ભાષા પ્રમાણે ‘વંદેમાતરમ્‌’નું જે વિભાજન થયું એણે ભારતના ભાગલાનો પથ પ્રશસ્ત કર્યો, કેમ કે એમાં મુસ્લિમ તુષ્ટીકરણ રહેલું હતું. ઉલટ પક્ષે, સિલસિલાબંધ તવારીખ શું કહે છે? જે રચનાવર્ષ, 1875ને ધોરણે આજે સાર્ધ શતાબ્દી મનાવાય છે ત્યારે બંકિમચંદ્રે કરેલી રચના માત્ર પહેલા બે અને પહેલા બે જ અંતરાની હતી. જેને પૂર્ણ ‘વંદે માતરમ્’ કહેવામાં આવે છે તે બાકીના નવા અંતરા સહિતની રચના એ મૂળમાં ઉમેરા સાથે બંકિમબાબુની ‘આનંદમઠ’ નવલકથામાં મોડેથી પ્રગટ થઈ છે. 

‘આનંદમઠ’ નવલકથાની વિવેચના કે વિવરણમાં લાંબે નહીં જતાં એટલું જ કહેવું બસ થશે કે એમાંની સામગ્રી અને નવલકથામાં ‘વંદે માતરમ્’નું સ્થાન સામાન્યપણે જેને હિંદુ-મુસ્લિમ તનાવ ને અથડામણ કહીએ તે રીતનું છે. બંગભંગ વખતે ‘વંદે માતરમ્’ ઊંચકાયું એ સાચું છે, પરંતુ એ પણ એટલું જ સાચું છે કે એ જેમ આઝાદીનો નારો હશે તેમ ‘વંદે માતરમ્’ અને ‘અલ્લાહોઅકબર’ હિંદુ-મુસ્લિમ રમખાણોમાં સામસામેના નારા તરીકે વપરાવા લાગ્યા હતા. જે અનુશીલન સમિતિનું નામ બંગાળની ક્રાન્તિકારી ચળવળમાં આદરથી લેવાય છે. એમાં આ હિંદુ પ્રતિજ્ઞાવશ મુસ્લિમોને પ્રવેશ નહોતો તે પણ ગૃહની ચર્ચાઓ દરમિયાન બહાર આવેલી વિગત છે. 

તો, નવા ઉમેરાને બાદ રાખી મૂળના બે પ્રથમ અંતરાને બહાર રાખવામાં તુષ્ટીકરણ ક્યાંથી આવ્યું, એ શોધ્યું સમજાતું નથી. ગૃહમાં કોઈકે ઇતિહાસવસ્તુ તરીકે ઠીક જ યાદ આપી કે મુસ્લિમ લીગના પ્રમુખ ઝીણાએ જૂનાનવા સઘળા અંતરા સમેતનું ‘વંદે માતરમ્’ પડતું મૂકવાની માગણી કરી હતી. પણ કાઁગ્રેસ પ્રમુખ જવાહરલાલે ‘વંદે માતરમ્’ની ઐતિહાસિક અપીલનો મુદ્દો આગળ કરીને એ નકારી કાઢી હતી. દેખીતી રીતે જ,  કિસ્સો તુષ્ટીકરણનો તો નથી. 

ગમે તેમ પણ, ‘વંદે માતરમ્’નું પાવન સ્મરણ રાષ્ટ્રીય અર્ધ્ય તરીકે થયું તેનો આદરપૂર્વક સ્વીકાર-પુરસ્કાર કરીને હાલના સત્તાપક્ષે હિંદુ વિ. મુસ્લિમના કોમી ધ્રુવીકરણની માનસિકતાને રૂખસદ આપી વેળાસર એથી ઊંચે ઊઠવાની ખાનદાની દાખવવી ઘટારત છે. તેમ કરવાથી એક વિજયી તરીકેનું તેમનું ગૌરવ પણ અક્ષુણ્ણ રહેશે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 10 ડિસેમ્બર 2025

Loading

યા દિલ કી સુનો દુનિયાવાલો, યા મુઝકો અભી ચૂપ રહને દો

સોનલ પરીખ|Opinion - Opinion|10 December 2025

યા દિલ કી સુનો દુનિયાવાલો, યા મુઝકો અભી ચૂપ રહને દો
મૈં ગમ કો ખુશી કૈસે કહ દૂં, જો કહતે હૈ ઉનકો કહને દો …

યે ફૂલ ચમન મેં કૈસા ખિલા, માલી કી નઝર મેં પ્યાર નહીં
હંસતે હુએ ક્યા ક્યા દેખ લિયા, અબ બહતે હૈ આંસુ બહને દો …

એક ખ્વાબ ખુશી કા દેખા નહીં, દેખા જો કભી તો ભૂલ ગયે
માંગા હુઆ તુમ કુછ દે ન સકે, જો તુમને દિયા વો સહને દો …

ક્યા દર્દ કિસીકા લેગા કોઈ, ઈતના તો કિસીમેં દર્દ નહીં
બહતે હુએ આંસુ ઔર બહે, અબ ઐસી તસલ્લી રહને દો …

ધર્મેન્દ્રની ચિરવિદાયથી ફરી એક વાર સિનેચાહકોને ભાગ્યે જ પુરાય એવી ખોટ પડી. એની ફિલ્મો, એના સંવાદોથી માધ્યમો ધમધમે છે અને એના ચાહકો એનામાં મસ્ત થવાનો અને એની વિદાયને પચાવવાનો એવો સુખ-દુ:ખ મિશ્રિત અનુભવ કરી રહ્યા છે. ધર્મેન્દ્રની વિદાય તાજી છે અને તેનો જન્મદિન પણ નજીક છે ત્યારે વાત કરીએ એની શરૂઆતની ફિલ્મોમાંની એક ક્લાસિક ફિલ્મ અને એના એક ક્લાસિક ગીતની.

ધર્મેન્દ્ર અને શર્મિલા ટાગોર બંનેનો જન્મદિન એક જ દિવસે છે : ૮ ડિસેમ્બર. ધર્મેન્દ્ર ૧૯૩૬માં અને શર્મિક ૧૯૪૪માં. ૧૯૬૬થી ૧૯૮૪ સુધીમાં આ જોડીની દસેક ફિલ્મો આવી, જેમાંની પહેલી ‘અનુપમા’ અને ત્રીજી ‘સત્યકામ’ તેમની જ નહીં, ફિલ્મોના ઇતિહાસની પણ નોંધપાત્ર ફિલ્મો છે. એનું કારણ આ બંને ફિલ્મોના સર્જક, ગહન સંવેદનોને રડમસ કે ડ્રામેટિક થયા વિના વ્યક્ત કરવામાં માહિર હૃષીકેશ મુખર્જી પણ ખરા. આ ત્રણેની હજી એક ફિલ્મ ‘ચુપકે ચુપકે’ને પણ અહીં યાદ કરવી જોઈએ. આજે માણીએ ‘અનુપમા’ ફિલ્મનું હૃદયસ્પર્શી ગીત ‘યા દિલ કી સુનો દુનિયાવાલો’ શબ્દો કૈફી આઝમી, સંગીત હેમંતકુમાર.

અતિવ્યસ્ત બિઝનેસમેન મોહન શર્મા (તરુણ બૉઝ) પ્રમાણમાં મોટી ઉંમરે પરણ્યા છે અને પત્ની અરુણા(સુરેખા પંડિત)ને ખૂબ ચાહે છે. કમનસીબે દીકરી ઉમા(શર્મિલા ટાગોર)ને જન્મ આપતાં અરુણાનું મૃત્યુ થાય છે. દીકરીને જોતાં જ મોહનને સ્મૃતિઓ એવી ઘેરી વળે છે કે એ એનાથી દૂર જ રહેવા માંડે છે અને પોતાની જાતને કામમાં ડુબાડી દે છે. અણગમો ક્યારેક ક્રોધ અને ધિક્કારનું રૂપ પણ ધારણ કરે એવું બનતું રહે છે. હૃષિકેશ મુખર્જીએ પોતાના પરિવારમાં આવી એક ઉપેક્ષિત, ઉદાસ દીકરી જોઈ હતી. એની કથનીમાં બીજા રંગ પૂરી એમણે જ ફિલ્મની વાર્તા લખી હતી.

એક આદર્શવાદી અને એટલે સંઘર્ષરત એવો લેખક આલોક (ધર્મેન્દ્ર) આ મૌન, ભીરુ અને પોતાને ગોપનીય રાખતી રહેતી ઉમાને ચાહે છે ને એના પર પુસ્તક લખવું શરૂ કરે છે. ઉમાએ આંખોથી એના હૃદયનો ભાવ ઝીલ્યો છે. ઉમાની એક પ્રેમાળ, ચુલબુલી ને તોફાની સહેલી(શશીકલા)ના જન્મદિનની પાર્ટીમાં આલોકને ગાવાનું કહેવામાં આવે છે. એ દિવસે ઉમાનો પણ જન્મદિન છે, કોઈએ એને ઉજવ્યો નથી. એને મળીને આલોક પાર્ટીમાં આવ્યો છે. આલોકનું મન દુ:ખી છે, કઇંક ક્રોધિત પણ છે. એ કહે છે, ‘મારી પાસે તો લોહી, આંસુ અને સંઘર્ષની કવિતા છે. અહીં નહીં શોભે.’ છતાં આગ્રહ ચાલુ રહે છે અને એ ‘યા દિલ કી સુનો’ ગાય છે. ગીત નિમિત્તે એનો ગુસ્સો, એની તકલીફ, એનો સ્નેહ – એના હૃદયભાવની જ રજૂઆત થઈ જાય છે.

આમ જુઓ તો આ ગીતને પાર્ટી સૉંગ કહી શકાય. ફિલ્મોમાં સુખનાં, દુ:ખનાં, રોમાન્સનાં પાર્ટી સૉંગ્સ પુષ્કળ છે, પણ આ ગીત જુદું એટલે પડે છે કે તેમાં નાયક ખુદની વેદના વ્યકત કરવાને બદલે એના દુ:ખની વાત કરે છે જે કદી પોતાના મોંએ કશું કહેવાની હિંમત કરવાની નથી. ગીત ઉદાસ છે. કરુણતાની છાંટ પણ ખરી, છતાં મેલોડ્રામેટિક બિલકુલ નહીં. સુંદર શબ્દો, સંયમિત અભિનય અને હેમંતકુમારના કંઠ અને સંગીતનું જાદુ. હીમેન બન્યા પહેલાનો શાંત, સોહામણો ધર્મેન્દ્ર આ ગીતનું મુખ્ય આકર્ષણ છે. પ્રણયગીત ન હોવા છતાં આ ગીતમાં રોમાન્સ છે – જિંદગી પ્રત્યેનો અજબ ઉદાસ રોમાન્સ. ‘એક ખ્વાબ ખુશી કા દેખા નહીં, દેખા જો કભી તો ભૂલ ગયે, માંગા હુઆ તુમ કુછ દે ન સકે, જો તુમને દિયા વો સહને દો …’

આ બાજુ ઉમાનાં લગ્ન એના પિતાએ એક યુવાન (દેવેન વર્મા) સાથે નક્કી કર્યા છે, પણ એ યુવાન અને ઉમાની સહેલી (શશીકલા) પરસ્પર વધારે અનુરૂપ છે અને એકમેકને ચાહવા લાગે છે. ઉમાના હતાશ પિતા બીજા શ્રીમંત પરિવારમાં ઉમાનો સંબંધ ગોઠવે છે. ઉમા એ સંબંધ સ્વીકારે છે? આલોક ઉમાના પિતાને ખાસ પસંદ નથી – એનું શું થાય છે? ઉમા પોતાના મનની વાત કોઈને કરી શકે છે? – આ પ્રશ્નોના જવાબ મેળવવા માટે ફિલ્મ જોવી પડે.

એક સુંદર ફિલ્મ હોવા ઉપરાંત ‘અનુપમા’ અનેક કારણોસર હિંદી સિનેમાના અભ્યાસીઓએ પણ જોવા જેવી છે. આ ફિલ્મ બિમલ રૉયને સમર્પિત કરાઈ છે. મોટા ભાગની ટીમ બિમલદાની જ છે. હૃષિદાની શૈલી પણ એમની યાદ અપાવે તેવી છે. ધર્મેન્દ્ર-શર્મિલા ટાગોરે ખૂબ સંયમિત પણ સંવેદનસમૃદ્ધ અભિનય કર્યો છે. શશીકલા, ડૅવિડ, દેવેન વર્મા અને સગી દીકરી માટે પ્રેમ અને ધિક્કાર જેનામાં એકસાથે વસે છે તેવા પિતા તરીકે તરુણ બૉઝનો અભિનય સુંદર છે.

સિનેમેટોગ્રાફી, પટકથા, એડિટિંગ, સંગીત અને અભિનય આ પાંચ ફિલ્મની કસોટી છે. એ દરેક કસોટીમાંથી ‘અનુપમા’ ખરી ઊતરી છે. કલાવિવેચકો આ ફિલ્મને ‘ધ બ્લૅક એન્ડ વ્હાઈટ ક્લાસ ડ્રામા ધૅટ સો સ્ટ્રોંગલી ઇન્ફ્લુઅન્સ્ડ ઇંડિયન પોપ્યુલર સિનેમા ઇન ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ એરા’ કહે છે તે યોગ્ય જ છે. ‘સત્યકામ’માં ધર્મેન્દ્રની ભૂમિકા સત્યપ્રિય અને આદર્શવાદી યુવાનની હતી જેની અંગત અને વ્યાવસાયિક બંને જિંદગી બંને જોખમમાં મુકાતી રહેવા છતાં એ સત્યને છોડતો નથી. આ પણ ધર્મેન્દ્રની કારકિર્દીની ઉત્તમ ફિલ્મોમાંની એક હતી.

હેમંતકુમારનો કંઠ વાઈબ્રન્ટ, પેટર્નમાં ન બંધાય, સ્ટીરિયોટાઈપ્ડ ન થાય તેવો હતો. દેવ આનંદના 66મા જન્મદિને જ 69ની ઉંમરે હેમંતકુમારનું મૃત્યુ થયું ત્યારે દેવ આનંદે કહ્યું,‘મારા રોમાન્ટિસિઝમને હેમંતકુમારના જવાથી મોટો ફટકો પડ્યો છે.’ પીલુ રાગ પર આધારિત ‘યા દિલ કી સુનો’ સાંભળતાં લાગે કે ધર્મેન્દ્ર પર પણ હેમંતકુમારનો કંઠ બિલકુલ બંધ બેસે છે. પણ આ બંનેનાં ગીતોની સંખ્યા સાવ ઓછી છે. આવું એક જ ગીત મળે છે – ‘ખામોશી’નું તુમ પુકાર લો’. પણ એમાં ધર્મેન્દ્રની પીઠ જ દેખાય છે. એ ગાતો નથી, ગીત બેકગ્રાઉન્ડમાં છે એમ લાગે છે. ‘અનુપમા’નાં અન્ય ગીતો ‘ધીરે ધીરે મચલ’, ‘કુછ દિલ ને કહા’ અને શશીકલા પર ફિલ્માવેલાં ‘ભીગી ભીગી ફઝા’, ‘ક્યોં મુઝે ઇતની ખુશી દે દી’ આજે પણ સાંભળવાં – ગણગણવાં ગમે.

સાહિર, કૈફી અને જાંનિસાર અખ્તરે સ્વાતંત્ર્યોત્તર ન્યૂ વૅવ સિનેમામાં ગીતોની કાયાપલટ કરી નાખી એમ કહેવામાં બિલકુલ અતિશયોક્તિ નથી. કૈફી આઝમીએ પચાસ વર્ષની યાત્રામાં પચાસેક ફિલ્મોનાં ગીતો લખ્યાં. એમના ઘણા સમકાલીનોએ આટલાં સમયમાં આનાથી ઘણાં વધારે ગીતો આપ્યાં છે, પણ ગુણવત્તામાં કૈફી આઝમી એમાંના મોટા ભાગના કરતાં ઘણા વધારે આગળ હોય છે. ‘અનુપમા’ને અને તેનાં ગીતોને કૈફીની ગહનતાનો સુંદર સ્પર્શ મળ્યો છે. ‘અનુપમા’નું અન્ય ગીત ‘ઐસી ભી બાતેં હોતી હૈ, કુછ દિલ ને કહા, કુછ ભી નહીં’ પણ એમના કવિત્વનો ઉત્તમ નમૂનો – ઊનાળાની શાંત રાત્રે લેવા જેવો અનુભવ છે…

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : લેખિકાની સાપ્તાહિક કોલમ, ‘મલ્ટિપ્લેક્સ’ પૂર્તિ “જન્મભૂમિ”, 28 નવેમ્બર 2025

Loading

સમસ્યા : અંતર્ગોળ અને બહિર્ગોળ પેટની

ચંદુ મહેરિયા|Opinion - Opinion|10 December 2025

ચંદુ મહેરિયા

અખબારી ભાષામાં કદાચ એમ કહેવાય કે ૨૦૨૫ના અંત સુધીમાં ગુજરાતીઓની એક કરોડ કિલો ચરબી ઉતરી જશે ! અહીં ચરબી ઉતારવાનો અર્થ મિથ્યા અભિમાન કે ખોટી દાદાગીરીનો નથી. લિટરલી ગુજરાતીઓની ચરબી કહેતાં શરીરનો મેદ ઘટાડવાની આ તો વાત છે. મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન હેઠળ યોગ, આહાર અને આયુર્વેદના નિયમનથી આ મહિનાના અંત સુધીમાં દસ લાખ મેદસ્વી લોકોના શરીર પરનું એક કરોડ કિલો વધારાનું વજન ઘટશે.

તબીબી પત્રિકા લાન્સેટના આંકડાઓ પ્રમાણે ૨૦૨૧માં દુનિયામાં ૨.૧૧ અબજ લોકો મેદસ્વી હતા. તેમાં ૧૦૦ કરોડ પુરુષો અને ૧૧૧ કરોડ સ્ત્રીઓ હતી. ચાળીસ વરસો(૧૯૮૦ થી ૨૦૨૦)માં સ્થૂળતા દર ૬.૪ ટકાથી વધીને ૧૨ ટકા જેટલો બમણો થયો છે. ભારતમાં સાડા ત્રણ દાયકામાં સ્થૂળતા પાંચ ગણી વધી છે. ભારતમાં ૨૧.૮ કરોડ પુરુષ અને ૨૩.૧ કરોડ મહિલા મેદસ્વી છે. કુલ ૨૭ લાખ ગુજરાતીઓ મેદસ્વી છે. જેમાં મહિલાઓ ૫૮ ટકા અને પુરુષો ૪૨ ટકા છે. હાલના દરે મેદસ્વિતામાં વધારો થતો રહેશે તો ૨૦૫૦ સુધીમાં સામ્યવાદી ચીનમાં પચીસ વરસથી વધુ વયના સૌથી વધુ ૬૨.૭ કરોડ, લોકતાંત્રિક ભારતમાં ૪૫ કરોડ અને મૂડીવાદી અમેરિકામાં ૨૧.૪ કરોડ લોકો મેદસ્વી હશે. વૈશ્વિક સ્થૂળતામાં ભારતનો ક્રમ ચીન પછી બીજો છે. રાષ્ટ્રીય કક્ષાએ મેદસ્વી રાજ્યોમાં ગુજરાતનું સ્થાન ત્રીજું છે. 

બોડી માસ ઈન્ડેક્ષ(બી.એમ.આઈ.)થી શરીરમાં કેટલી ચરબી વધારે છે તે જાણી શકાય છે. તેના આધારે અલ્પ, મધ્યમ અને તીવ્ર સ્થૂળતા નક્કી થાય છે. વિશ્વના અઢાર વરસથી ઉપરના ૪૩ ટકા લોકો વધુ વજન ધરાવે છે પરંતુ તેમાંથી ૧૬ ટકા મેદસ્વી છે. દર પાંચે એક વ્યક્તિ બાહ્ય દેખાવમાં શારીરિક રીતે સ્વસ્થ લાગે છે પરંતુ અંદરથી ખોખલો હોય છે. વિશ્વના પુખ્ત વયના ૨૦ ટકા લોકોના બી.એમ.આઈ. સામાન્ય છે પણ તેમના પેટનો ઘેરાવો વધુ હોય છે કે પેટની આસપાસ ચરબી જમા થયેલી હોય છે. વિસરલ ફેટ તરીકે ઓળખાતી પેટની ચરબી શરીરના અંદરના અંગોમાં પણ જમા થયેલી હોય છે. વ્યક્તિનું ઉપસેલું, બહિર્ગોળ કે વધુ ઘેરાવો ધરાવતું પેટ મેદસ્વિતાનું લક્ષણ છે અને તે ખતરનાક છે. 

પુખ્ત વયની વ્યક્તિઓ જ નહીં બાળકો અને કિશોરોમાં પણ સ્થૂળતાનું પ્રમાણ વધારે જોવા મળે છે. દેશનો દર દસમો કિશોર વધુ વજનનો છે. પાંચમા નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાં જણાવ્યા મુજબ પાંચથી ઓગણીસ વરસના પચીસ ટકા બાળકો અને કિશોરો સ્થૂળતાનો ભોગ બનેલા છે. ગુજરાતમાં ૨.૭૩ લાખ બાળકો સામાન્ય કરતાં વધુ વજનના છે. વિશ્વ આરોગ્ય સંસ્થા દુનિયામાં ૩૪ કરોડ બાળકો સામાન્ય કરતાં ઘણું વધારે વજન ધરાવતા હોવાનું નોંધે  છે. 

મેદસ્વિતા, સ્થૂળતા, ઓબેસિટી કે ચાલુ ભાષામાં કહેવાતું જાડિયાપણું ખરાબ જીવન શૈલી, મીઠાં પીણાં, વધુ કેલેરીવાળા ફાસ્ટ ફૂડ, બેઠાડુ જીવન પ્રવૃત્તિ, અનિયમિત ઊંઘ અને આહાર, એકલતા, વધુ સ્ક્રીન ટાઈમ, આનુવંશિક પરિબળો, તણાવ જેવાં કારણોથી જોવા મળે છે. શહેરોની તુલનામાં ગામડાંના લોકો સપ્રમાણ શરીર ધરાવે છે પરંતુ ગ્રામીણ વિસ્તારની ચોથા ભાગની વસ્તી પણ મેદસ્વી છે. 

શરીરમાં ચરબીનું વધુ કે અતિ પ્રમાણ અનેક જોખમો નોતરે છે. ટાઈપ-૨ ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, હ્રદયરોગ, સાંધાનો ઘસારો, પ્રોસ્ટેટ કેન્સર, મહિલાઓમાં સ્તન અને ગર્ભાશયનું કેન્સર, નસોમાં લોહીના ગઠ્ઠા, માનસિક અસ્થિરતા, પિત્તાશયની પથરી, ચામડીના રોગો અને લીવર સીરોસીસ જેવી બીમારીઓ મેદસ્વિતાના કારણે થઈ શકે છે. સ્થૂળ વ્યક્તિઓ વધુ માંદી પડે છે અને તેમનું મરણનું પ્રમાણ પણ વધુ જોવા મળે છે. હેલ્થ ઈન્સ્યોરન્સ કંપનીઓ જાડા શરીરની વ્યક્તિઓને વીમો આપવા ઈન્કાર કરે છે કે વધુ પ્રિમિયમ માંગે છે. એકાદ વિમાન કંપનીએ જાડા પેસેન્જરને વધુ એક સીટ બુક કરવાનું કહ્યાનું સાંભળ્યું છે. મેદસ્વિતાની આર્થિક અસરો પણ છે. તેલની આયાત વધે છે. દેશ વરસે ૧૩૦ લાખ ટન તેલ આયાત કરે છે. મેદસ્વિતાના કારણે  દેશના આર્થતંત્ર પર ૨૦૧૯માં રૂ. ૨.૪ લાખ કરોડનો આર્થિક બોજ પડ્યો હતો. જે ૨૦૩૦ સુધીમાં વધીને રૂ. ૬.૭ લાખ કરોડ અને ૨૦૬૦માં ૬૯.૬ લાખ કરોડ  થઈ શકે છે. 

વૈશ્વિક સમસ્યા મેદસ્વિતાથી ભારતને મુક્ત કરવા વડા પ્રધાનની હાકલ પછી વ્યક્તિ, સમાજ અને સરકાર તે દિશામાં સક્રિય થયા છે.  સ્વસ્થ આહાર અને આહાર નિયંત્રણ, પૂરતી ઊંઘ, યોગ્ય જીવન શૈલી, તણાવ મુક્ત જીવન, બેઠાડુ જીવન પ્રવૃત્તિનો ત્યાગ, યોગ, પ્રાણાયામ, ઓછી કેલેરી, ઓછી ચરબીનો અને રેસાયુક્ત ખોરાક તથા કસરત જેવા  ઉપાયોથી મેદસ્વિતામાંથી મુક્ત થઈ શકાય છે. દવાઓ અને સર્જરી પણ તેના ઉપાય છે. વડા પ્રધાને લોકોને પોતાના ખોરાકમાં દસ ટકા તેલનો વપરાશ ઘટાડવા આહ્વાન કર્યું છે. સી.બી.એસ.સી.એ શાળાઓને તેલ અને સુગરના વધુ ઉપયોગના જોખમો સંબંધી બોર્ડ મુકવા સૂચના આપી છે. 

વિરોધાભાસોથી ભરેલા આપણા દેશમાં અતિ જાડા લોકો છે તો સાવ સુકલકડી જ નહીં, માયકાંગલા લોકો પણ છે. મેદસ્વી લોકો છે તો કુપોષિત પણ છે. એ તે કેવી વિડંબના કે ભારત વિશ્વનો બીજો સૌથી મોટો અનાજ ઉત્પાદક દેશ છે. તેમાં કુલ બાળકોના ૧/૩ કુપોષિત છે. એટલે કે તેમને પર્યાપ્ત ખાવાનું મળતું નથી. ૨૦૨૦ થી ૨૦૨૨ વચ્ચે ૭૪ કરોડ લોકો અલ્પપોષિત હતા. સરકારનો દાવો છે કે તે કોરોનાકાળથી દેશના ૮૧.૩૫ કરોડ ગરીબોને નિ:શુલ્ક પૂરક અનાજ પૂરું પાડે છે. તે બધા પણ નાનામોટા કુપોષણનો ભોગ બનેલા જ હશેને?

પાંચમા રાષ્ટ્રીય કુટુંબ આરોગ્ય સર્વે અનુસાર દેશના ૧૦ જિલ્લા સૌથી વધુ કુપોષિત છે. તેમાં ગુજરાતના ચાર આદિવાસીબહુલ જિલ્લા, પંચમહાલ, દાહોદ, નર્મદા અને તાપીનો સમાવેશ થાય છે. આ ગંભીર ચિંતાનો વિષય છે. રાજ્યના કેટલાક વિકસિત જિલ્લાના તાલુકાઓમાં પણ કુપોષિત લોકો છે. સંકલિત બાળ વિકાસ યોજના, મધ્યાહ્ન ભોજન યોજના અને અન્નસુરક્ષાના કાયદા છતાં કુપોષણને ખાળી શકાયું નથી. 

આજે મેદસ્વિતા સરકારના રાજકીય એજન્ડાનો વિષય બન્યો છે. તેમ જો કુપોષણ પણ બને અને ગરીબી, ભૂખ, કુપોષણ જે સામાજિક-રાજકીય કારણોનું પરિણામ છે તેની નાબૂદીની દિશામાં જાગ્રત થઈએ તો બહિર્ગોળ પેટની જેમ અંતર્ગોળ પેટની સમસ્યા પણ નિવારી શકાય. કાગળ પરની ગરીબી નાબૂદીની યોજનાઓ ધરાતલ પર ઉતરે, કુપોષણ મુક્તિ લોક આંદોલન બને તો ચરબીથી વધી ગયેલા પેટની સાથે ભૂખથી અંદર ઉતરી ગયેલા પેટની સમસ્યા પણ ઉકલે. સરવાળે નહીં અદોદળા, નહીં માયકાંગલા એવા ગુજરાતી, ભારતીય અને અને વિશ્વનાગરિક  જોવા મળે.

e.mail : maheriyachandu@gmail.com 

Loading

...102030...9899100101...110120130...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved