Opinion Magazine
Number of visits: 9842400
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ધર્મેન્દ્ર – નોટ જસ્ટ અ હી-મેન 

સોનલ પરીખ|Opinion - Opinion|9 December 2025

વાત કરીએ એવી કેટલીક ફિલ્મોની જેમાં ધર્મેન્દ્ર હીરો કે એક્શન હીરો–હી મેન નથી અને છતાં સંવેદનશીલ અભિનયથી યાદગાર બની રહ્યો છે. શોખીનોને યાદ હશે ‘બંદિની’, ‘મેરા નામ જોકર’, ‘ગુડ્ડી’, ‘કિનારા’ અને ‘લાઈફ ઇન અ મેટ્રો’. પહેલી અને છેલ્લી ફિલ્મ વચ્ચે ૪૦થી વધારે વર્ષોનું અંતર છે.  

સુપર-કેરેક્ટર્સમાંનું એક લોકપ્રિય પાટે છે હી મેન. ૧૯૮૧માં એનિમેશન ટી.વી. સિરીઝ આવી, ‘હી મેન એન્ડ ધ માસ્ટર્સ ઑફ યુનિવર્સ’. એક જ વર્ષમાં હી મેન વિશ્વના ૩૭ દેશોના નેવું લાખ લોકો સુધી પહોંચી ગયો હતો. હી-મેનનો અર્થ થાય છે એક એવો માણસ જે અત્યંત શક્તિશાળી, પરાક્રમી, પ્રામાણિક અને બહાદુર હોય – ટૂંકમાં સુપરહીરો. ‘માસ્ટર્સ ઑફ યુનિવર્સ’માં હી મેનને અલૌકિક શક્તિ ધરાવતો અને તેના ગ્રહને દુષ્ટોથી બચાવતો દેખાડાયો છે. 

હી મેન શબ્દ સાથે આપણને તો ધર્મેન્દ્ર યાદ આવે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હી મેન તરીકે ઓળખતો એ એકમાત્ર અભિનેતા છે. ૮૯ની ઉંમર અને ટૂંક ગાળા માટે હોસ્પિટલાઇઝેશન-વેન્ટિલેટર અને રિકવરી વગેરેને લીધે આજકાલ તે ચર્ચામાં છે. સ્રોતો મુજબ ‘ફૂલ ઔર પથ્થર’ પછી તે હી મેન તરીકે ઓળખવા લાગ્યો. એ ઇમેજને અનુરૂપ અનેક સંવાદો, અનેક પાત્રો, અનેક ફિલ્મો તેના નામે બોલે છે. આજે એવી કેટલીક ફિલ્મોની વાત કરવી છે જેમાં તે નાયક ન હતો, હી મેન પણ ન હતો અને છતાં સંવેદનશીલ અભિનયથી યાદગાર બની રહ્યો હતો. આ ફિલ્મો છે ‘બંદિની’, ‘મેરા નામ જોકર’, ‘ગુડ્ડી’, ‘કિનારા’ અને ‘લાઈફ ઇન અ મેટ્રો’. પહેલી અને છેલ્લી ફિલ્મ વચ્ચે ૪૦થી વધારે વર્ષોનું અંતર છે.

બંદિની : ૧૯૬૩ની આ ફિલ્મના દિગ્દર્શક હતા બિમલ રૉય. એમના શિષ્ય ઋષિકેશ મુખર્જી અને ધર્મેન્દ્ર વચ્ચે આ ફિલ્મ દરમ્યાન થયેલી દોસ્તીનું પરિણામ ‘અનુપમા’, ‘મઝલી દીદી’, ‘સત્યકામ’, ‘ગુડ્ડી’ અને ‘ચુપકે ચુપકે’ જેવી અનેક સુંદર ફિલ્મો રૂપે આવ્યું હતું. ‘બંદિની’માં ગુલઝાર બિમલ રોયના સહાયક હતા. ગુલઝાર સાથેની ધર્મેન્દ્રની મૈત્રીની શરૂઆત પણ આ જ ફિલ્મથી થઈ હતી. આ ફિલ્મ માટે ગુલઝારે પોતાની કારકિર્દીનું પહેલું ગીત ‘મોરા ગોરા રંગ લઈ લે’ લખ્યું હતું જે નૂતન પર ફિલ્માવાયું હતું. બે વર્ષ પછી આવેલી ફિલ્મ ‘પૂર્ણિમા’માં ગુલઝારે લખેલાં બંને ગીત ‘હમસફર મેરે હમસફર’ અને ‘તુમ્હેં ઝિંદગી કે ઉજાલે મુબારક’ ધર્મેન્દ્ર પર ફિલ્માવાયાં હતાં. ૬૯ની ફિલ્મ ‘ખામોશી’માં પણ ધર્મેન્દ્રનો નાનો રોલ હતો અને એના પર ફિલ્માવેલું ‘તુમ  પુકાર લો’ ગુલઝારે લખ્યું હતું. 

આપણે ‘બંદિની’ની વાત કરતા હતા. એક જેલમાં એક મહિલા કેદીને જેલની હોસ્પિટલમાં દાખલ કરવાની છે. ડૉ. દેવેન (ધર્મેન્દ્ર) કહે છે, ‘આની સંભાળ રાખવા કોઈએ રહેવું જોઈશે.’ એક કેદી કલ્યાણી (નૂતન) કહે છે, ‘હું રહીશ.’ ડૉ. દેવેન જેલરને કહે છે, ‘આને રાખવી યોગ્ય નથી. ઉંમર નાની છે ને બીમારી ચેપી છે.’ કલ્યાણી કહે છે, ‘બીજાને જેલ બહાર કુટુંબ છે, સગાંવહાલાં છે. મારું કોઈ નથી. હું રહું એ જ યોગ્ય છે.’ અને એ ટિકિટ લાવી હુકમ લખાવી જાય છે. જેલર ડૉક્ટરને કહે છે, ‘મનુષ્યસ્વભાવ કેવો વિચિત્ર છે – સેવા કરવા તૈયાર થયેલી આ છોકરી ખૂની છે.’ ડૉક્ટર ચોંકી જાય છે, પણ તરત સ્વસ્થ થઈને કહે છે, ‘કોઈ એકવાર અપરાધ કરી બેસે એનાથી આખી જિંદગી ગુનેગાર ન બની જાય.’ ક્લ્યાણીના વધારે પરિચય પછી ડૉક્ટર તેની સાથે લગ્ન કરવા તૈયાર થાય છે. પડદા પર એની હાજરી ઓછી છે, ફિલ્મનો નાયક તો અશોક કુમાર છે. પણ નવોસવો હોવા છતાં અને નાનો રોલ હોવા છતાં ધર્મેન્દ્ર બંને દિગ્ગજ કલાકારો સામે બહુ શાંતિથી ટક્કર લઇ શક્યો છે. 

મેરા નામ જોકર : રાજ કપૂરનું આ એપિક મૂવી ૧૯૭૦માં બન્યું. જોકરના દીકરા રાજુ(રાજ કપૂર)નું નસીબ તેને જે સરકસનો જોકર બનાવે છે તેના માલિક મહેન્દ્રકુમારની ભૂમિકા ધર્મેન્દ્રએ કરી હતી. મહેન્દ્રને પોતાના સર્કસના રશિયન અને ભારતીય કલાકારોનું સરસ સંયોજન કરતો, સ્ટાફને સન્માનપૂર્વક રાખતો, યોગ્ય નિર્ણયો લેતો અને શોમાં પણ કામ કરતો બતાવાયો છે. એ રાજુને ‘સિંગિંગ જોકર’ તરીકે નોકરી આપે છે, એની મા મૃત્યુ પામે છે ત્યારે ‘શો મસ્ટ ગો ઓન’ આટલું જ કહીને તેને સરકસ અને જિંદગીનું વાસ્તવ સમજાવે છે અને છેલ્લે એ વાસ્તવને પચાવી ગયેલા રાજુની ઝિંદાદિલીને એક પણ શબ્દ બોલ્યા વિના વધાવે છે. બંનેની સાથે આ એકમાત્ર ફિલ્મ હતી, પણ બંને વચ્ચે પરસ્પર સ્નેહ અને આદરભરી દીર્ઘ મૈત્રી હતી. અનેક સમારંભોની તસવીરોમાં ‘શો મેન’ અને ‘હી મેન’ સાથે દેખાયા છે.

ગુડ્ડી : તાજેતરમાં જયા બચ્ચને કહ્યું કે પોતે બાળપણમાં ધર્મેન્દ્રનો ફોટો પોતાની પાસે રાખતી, એને ‘ગ્રીક ગૉડ’ જેવો સમજતી અને ચાહતી. ૧૯૭૧ની ફિલ્મ ‘ગુડ્ડી’ ત્યારની જયા ભાદુરીની પહેલી ફિલ્મ હતી. એમાં એનું પાત્ર એવી કિશોરીનું હતું જે સિનેમા અને ફિલ્મસ્ટારના ગ્લેમરથી, ખાસ કરીને ધર્મેન્દ્રથી અંજાયેલી છે. ધર્મેન્દ્ર આ ફિલ્મમાં ધર્મેન્દ્ર તરીકે જ આવે છે અને ગુડ્ડીને પોતાના સંમોહનમાંથી છોડાવી વાસ્તવિક દુનિયાનો પરિચય કરાવવામાં એના પરિવારનો સાથ આપે છે. ગંભીર વાતને હળવી અને સુસંસ્કૃત શૈલીમાં દર્શાવતી આ ફિલ્મ આજે પણ જોવી ગમે. જયા ધર્મેન્દ્રને ‘એમેઝિંગ કો-સ્ટાર અને એમેઝિંગ હ્યુમન બીઈંગ’ કહે છે. આ બંનેએ  થોડી ફિલ્મો સાથે કરી છે, પણ નાયક-નાયિકા તરીકે ભાગ્યે જ દેખાયાં છે.

કિનારા : ૧૯૭૭ની આ ફિલ્મમાં મિત્ર ગુલઝારના પ્રસ્તાવને વાર્તા પણ સાંભળ્યા વિના ‘તમે મને વેસ્ટ નહીં કરો એવો મને વિશ્વાસ છે’ એવું કહી ધર્મેન્દ્રએ સ્વીકારી લીધો હતો. ફિલ્મનો નાયક જિતેન્દ્ર હતો અને ધર્મેન્દ્ર નાયિકા હેમા માલિનીનો પ્રેમી હતો, જે જિતેન્દ્રની કારથી અકસ્માતે માર્યો ગયો છે. વાર્તા તૂટી ચૂકેલી અને અંધ બનેલી હેમા માલિની અને એની જિંદગીને પાટે ચડાવતા જિતેન્દ્રની છે. ધર્મેન્દ્રનો રોલ ખૂબ નાનો હતો અને જાણવા મળે છે કે એને એ માટે થોડું ખરાબ લાગ્યું હતું, પણ ગુલઝારના લખેલા ‘એક હી ખ્વાબ’ ગીતને એણે યાદગાર જ નહીં, એવું પ્રાણવાન પણ બનાવ્યું હતું કે એ ગીતમાં એના સિવાય બીજા કોઈને કલ્પવાનું પણ આપણને ગમે નહીં. ગુલઝારે ત્યાર પછી ધર્મેન્દ્રને લઇ એક શાનદાર ફિલ્મ બનાવવાનું નક્કી કરેલું અને ધર્મેન્દ્ર, હેમા માલિની અને શર્મિલા ટાગોરને લઈ ‘દેવદાસ’ શરૂ કરી હતી, કમનસીબે એ ફિલ્મ અભેરાઈ પર ચડી ગઈ. 

લાઈફ ઇન અ મેટ્રો : અનુરાગ બસુની આ ફિલ્મ ૨૦૦૭માં આવી. એમાં મુંબઈમાં રહેતાં આઠ-નવ પાત્રોની જિંદગી અને એમનાં સંબંધોની વાર્તા હતી. ધર્મેન્દ્રએ એમાં અમોલનું પાત્ર કર્યું હતું. યુવાનીમાં અમેરિકા જવાન મોહમાં શિવાની(નફીસ અલી)ને છોડીને ચાલ્યો ગયેલો અમોલ ચાલીસ વર્ષે પાછો આવે છે, પોતાના છેલ્લા દિવસો શિવાની સાથે વીતાવવા. શિવાનીનાં સંતાનો વિદેશમાં છે અને તે એક ઓલ્ડ એજ હોમમાં રહે છે. બંને પોતાને મળેલો થોડો સમય બહુ પ્રેમ અને આનંદથી ગાળે છે. ફિલ્મના અંતે કોઈ મળે છે, કોઈ એકલું રહી જાય છે, કોઈ સમાધાન કરી લે છે. શિવાનીનું મૃત્યુ થતાં અમોલની સ્થિતિ બધું પામીને બધું ગુમાવી બેઠેલા જેવી છે. એ રેલવે પ્લેટફોર્મના બાંકડે એકલો ઉદાસ બેઠો છે. એક યુવાન યુગલને જોઈ તેના મોં પર ઘણું બધું કહી જતું સ્મિત આવે છે. પશ્ચાદભૂમિમાં ગીત શરૂ થાય છે, ‘ક્યોં ઝિંદગી સે હો શિકવા ગિલા … જો ભી વો દેતી હૈ વહ હૈ તેરા, કર સલામ’  

એક ઇન્ટરવ્યૂમાં ધર્મેન્દ્રને પૂછવામાં આવ્યું, ‘લોકો તમને કેવી રીતે યાદ રાખે તે ગમે?’ તરત તેણે કહ્યું, ‘હું મારા દેશને અને દેશવાસીઓને ખૂબ ચાહું છું. બસ આ રીતે યાદ રાખે એમ ઇચ્છું છું.’ આ વાત પર તો હી મેનને યાદ કરવો પડે. લોંગ લિવ, હી મેન…!!

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 23 નવેમ્બર  2025

Loading

આસ્થા અને ભ્રમ વચ્ચે જન્મેલી સચ્ચાઈ; પંથની  ગાથાનો એક છૂપો પક્ષ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|9 December 2025

રાજ ગોસ્વામી

“રામપાલની ગિરફ્તારીથી અમારી અંદર થોડુંક અંતર આવી જવું જોઈતું હતું. કદાચ જુનૂન થોડું ઓછું થઇ જતે. પણ એવું ન થયું. ઊલટાનું, અમારી ભક્તિ વધુ તેજ થઇ ગઈ – એક રીતે ઉન્માદી, આંધળી નિષ્ઠામાં બદલાયેલી. તેમની જેલ અમારા માટે નવું તીર્થ બની ગઈ. આશ્રમ જવાનું છૂટી ગયું – હવે અમે જેલમાં બંધ અમારા ગુરુની એક ઝલક મેળવવા માટે ત્રણ-ચાર કલાકનો પ્રવાસ કરતા હતા – બસ એક પળની ઝલક.

“અમે ક્યારે ય અદાલતની તારીખ ચૂકતાં નહતાં. હું સ્કૂલને ટાળતી હતી. મારાં પેરેન્ટ્સ કામમાંથી છુટ્ટી લેતાં હતાં. આ મુલાકાતો કરતાં કશું જ મહત્ત્વનું નહોતું. આ જ અમારી જિંદગી હતી. મારા માટે તો આ પ્રવાસો કોઈ રોમાંચની પરાકાષ્ઠા હતા. એનાથી આગળ મને કશું જોઈતું નહોતું. હું ન તો આ સાહસો સામે સવાલો કરતી હતી કે ન તો તેની બહાર અર્થ શોધતી હતી. 

“અને એ વિશ્વાસમાં બધું જ ઉચિત નજર આવતું હતું. એક પરિવારના ત્રણ વયસ્ક, તેમની સનકમાં ડૂબેલાં, જેલો અને અદાલતોનાં ચક્કર લગાવી રહ્યાં હતાં – એક એવા માણસની પાછળ, જેની પર હત્યા અને હિંસા ભડકાવાના આરોપ હતા. અને હું પણ, પંદર વર્ષની ઉંમરમાં, એ જ બધું કરી રહી હતી.”

મૂળ દિલ્હીમાં જન્મેલી અને મોટી થયેલી તેમ જ દિલ્હી યુનિવર્સીટીમાં ઇંગ્લિશ સાહિત્ય અને સોશિયલ વર્કમાં ગ્રેજ્યુએટ થયેલી પ્રિયંવદા મેહરાના સંસ્મરણ The Cost of a Promised Afterlife(જૂઠા મોક્ષની કિંમત)નો આ એક અંશ છે. આ તેમનું પહેલું પુસ્તક છે, અને તે તેમના તેમ જ તેમના પરિવારની હરિયાણાના સંત રામપાલ મહારાજ પ્રત્યેની અંધભક્તિના અનુભવમાંથી આવેલું છે. 

પ્રિયંવદા નવ વર્ષની હતી, ત્યારે તેનાં પેરન્ટ્સના પગલે રામપાલની ભક્તિમાં લીન થઇ હતી. તેની માતાને બ્રેઇન ટ્યુમર હતી, અને તેને ઠીક કરવાની આશામાં પેરન્ટ્સ બાબાના શરણમાં ગયાં હતાં. ધીમે ધીમે તે ભક્તિભાવ એક અંધારું પાંજરું બની ગયું અને આજ્ઞાપાલન સદ્દગુણ અને નિયંત્રણ.

તેર વર્ષની ઉંમર સુધીમાં પ્રિયંવદા પણ એક સમર્પિત અનુયાયી બની ગઈ. 2006માં, રામપાલના અનુયાયીઓ તેમ જ હરિફ સંપ્રદાયના લોકો વચ્ચે હિંસક અથડામણ થઇ, ત્યારે પ્રિયંવદા માનવ ઢાલ તરીકે આશ્રમની અંદર હતી.

આશ્રમમાં સવાલો પૂછવા પાપ હતું, વફાદારી ધર્મ હતો, અને અવજ્ઞા એવો અપરાધ, જેની ભારે કિંમત ચૂકવવી પડતી. ચમત્કારોનાં નામ પર ઘડાયેલી તર્કહીન વાતો, સારવાર પર પ્રતિબંધો, ડરથી ભરેલા ઉપદેશ – આમ બધાની વચ્ચે તે મોટી થઈ, અને પોતાના પરિવાર ધીરે ધીરે તૂટી જતો જોયો.  

વીસ વર્ષ સુધી પ્રિયંવદા એ બે ખતરનાક દુનિયા વચ્ચે ભટકતી રહી – બંને પર પિતૃસત્તા, જાતિ, વર્ગ અને તેની સાથે આવતી અદૃશ્ય હિંસાનાં પડ ચઢેલાં હતાં. તે તેની માસૂમ ઉંમરમાં અંધભક્તિના આ આશ્રમમાં કેવી રીતે ભૂલી પડી ગઈ હતી અને એક સ્ત્રીના રૂપમાં તેની બહાર નીકળવા માટે કેવી લાંબી, એકલવાયી અને કડવી લડાઈ લડવી પડી તેની આ પુસ્તકમાં કહાની છે.

પ્રિયંવદા કહે છે કે ભારતમાં બાબાઓ દરેક જગ્યાએ છે. તેમના અવાજો ટેલિવિઝન સ્ક્રીન પર ગુંજતા હોય છે અને તેમનાં નામ પ્રાર્થનાઓ અને પૂજા બંનેમાં લેવાતાં હોય છે. પણ તેમના માટે ‘કલ્ટ’ શબ્દનો ઇસ્તેમાલ નથી થતો. આવી પાખંડી દુનિયા ત્યાં સુધી ગુમનામ રહે છે જ્યાં સુધી કોઈ કાંડ ન થાય, અને પછી તે પણ ખામોશીમાં દબાઈ જાય છે. આ ખામોશી જ અંધવિશ્વાસને પોષવામાં અને તર્કને ધ્વસ્ત થવા દેવાનો અવસર આપે છે. 

ભારતમાં આ પ્રકારનું આ પહેલું પુસ્તક છે. પશ્ચિમમાં આવા કલ્ટ પર અનેક પુસ્તકો છે. આપણે ત્યાં તો તેને કલ્ટ પણ માનવા લોકો તૈયાર નથી હોતા. કલ્ટ એક એવો સમૂહ હોય છે જે બહારથી ભક્તિ, આધ્યાત્મિકતા અથવા ‘સાચા માર્ગ’નો દાવો કરે છે, પણ અંદરથી પોતાના અનુયાયીઓ પર માનસિક, ભાવનાત્મક અને ક્યારેક શારીરિક નિયંત્રણ સ્થાપિત કરે છે. તેના કેન્દ્રમાં હંમેશાં કોઈ કરિશ્માઈ લીડર હોય છે, જેના આદેશને અંતિમ સત્ય માનવામાં આવે છે.

સરળ ભાષામાં, કલ્ટ એટલે એવી જગ્યા છે જ્યાં પ્રશ્નો કરવાની કે સંદેહ કરવાની અનુમતિ નથી, અને તર્કની સામે વફાદારી મોટી બની જાય છે. દરેક ધાર્મિક કે આધ્યાત્મિક સંગઠન કલ્ટ નથી હોતું. કલ્ટ ત્યારે બને છે જ્યારે સમૂહ વ્યક્તિની સ્વતંત્રતા, વિચારવાની ક્ષમતા અને વિકલ્પ છીનવી લે છે. 

કલ્ટ તેની પકડ પ્રેમથી શરૂ કરે છે. શરૂઆતમાં ત્યાં તમને એટલી આત્મીયતા, દરકાર અને ઉષ્મા મળે કે તમને એવું મહેસૂસ થવા લાગે કે તમને પહેલીવાર કોઈ સમજી રહ્યું છે. આ ભાવનાત્મક લગાવની મદદથી તેઓ ધીરે ધીરે તમારો વિસ્તાર નાનો કરવા લાગે છે – તમને તમારા પરિવાર, મિત્રો અને બહારની દુનિયાથી અલગ કરીને તમને એવો વિશ્વાસ અપાવે છે કે ‘બહાર તમારું કોઈ ભલું ચાહતું નથી અને કેવળ અમારી પાસે જ તમે સલામત છો.’

આવી રીતે દુનિયા સાથે તમારું અંતર આવી જાય, પછી આવે છે મુખ્ય હથિયાર – ડર. કલ્ટ તમને એવું ઠસાવી દે છે કે સવાલો કરવા પાપ છે, સમૂહને છોડવાથી બીમારી, દુર્ભાગ્ય અથવા બરબાદી આવશે અને બાબાથી દૂર રહેવાથી વિનાશ થશે. ડરની સાથે સાથે તે તમારી સમજદારીને પણ કમજોર કરે છે – તમને કોઈ સંદેહ થાય, તો તેઓ તમારામાં ખામી શોધે છે; ભ્રમ તમારા મનમાં છે, તમને ગેરસમજ થઇ છે અથવા તમારી હજુ શ્રદ્ધા ઓછી છે. ધીમે ધીમે તમે તમારી વિચારશક્તિ પરથી વિશ્વાસ ગુમાવી દો છો અને એ લોકો જે શીખવે તેને જ માનવા લાગો છો.

સાઉથ અમેરિકામાં, 30 વર્ષ પૂર્વે, ‘પીપલ્સ ટેમ્પલ’ નામના એક કલ્ટના વડા જીમ જોન્સનું સામ્રાજ્ય પતનના આરે હતું, ત્યારે એના 900 અનુયાયીઓએ આઘાતમાં આવીને સામૂહિક આત્મહત્યા કરી હતી, જેમાં 300 બાળકોને સાઇનાઇડ પિવડાવવામાં આવ્યું હતું. અમેરિકન ઇતિહાસનો આ સૌથી મોટો સામૂહિક આપઘાત છે. સંશોધકો કહે છે જીમ જોન્સ બુદ્ધિશાળી હતો અને સોશિયલ સાયકોલોજીનો અભ્યાસુ હતો. એણે જ્યોર્જ ઓરવેલની પ્રસિદ્ધ નવલકથા ‘નાઇન્ટીન એઇટીફોર’ વાંચીને અનુયાયીઓનાં મન કેવી રીતે વશમાં કરવાં એની તકનીક વિકસાવી હતી.

અડોલ્ફ હિટલરના યહૂદી નરસંહારને અંજામ આપવાનો જેના પર આરોપ છે તે નાઝી નેતા આઇકમેન પર 1961માં યુદ્ધકાલીન અપરાધો માટે ખટલો ચાલ્યો, ત્યારે તેણે બચાવમાં કહેલું કે મેં તો માત્ર આદેશોનું પાલન કર્યું છે. આના પરથી સ્ટેન્લી મિલીગ્રામ નામના સાયકોલોજિસ્ટને સવાલ થયેલો કે નૈતિક રીતે ઉચિત નથી તે જાણવા છતાં માણસ એવું અધમ કૃત્ય કરવા શા માટે તૈયાર થાય છે?

એના અભ્યાસમાં મિલીગ્રામે લખેલું, ‘કોઇપણ પ્રકારના વિરોધ કે સંઘર્ષ વગર ચૂપચાપ માથું નમાવીને કામ કરતા હોય એવા લોકોને કોઇક વિનાશકારી પ્રવૃત્તિમાં સામેલ કરવા આસાન છે. ખાસ કરીને, કામની વિનાશકતાનો ખ્યાલ હોય તો પણ, બહુ ઓછા લોકોમાં ઓથોરિટીનો પ્રતિરોધ કરવાનું સાહસ હોય છે.’

બહુમતી લોકોમાં સેલ્ફ-રિસ્પોન્સિબિલિટી (સ્વ-દાયીત્વ) હોતી નથી. પોતાની ભલાઈની જવાબદારી આશ્રમના ગુરુ કે દેશના તાનાશાહના હાથમાં મૂકવી એ બહુ સહજવૃત્તિ છે. સામાન્ય લોકો એમની રોજિંદી મુસીબતોમાં એટલા પરોવાયેલા હોય છે કે કોઇ ગુરુ કે કોઇ નેતા એમના કલ્યાણની જવાબદારી ઉપાડે તો લોકો હોંશે હોંશે એને ‘ભગવાન’ બનાવી દે છે. એક રામપાલ જેલમાં ગયો એનો મતલબ એમ નહીં કે બીજો ‘કૃષ્ણલાલ’ નહીં આવે. જ્યાં સુધી અનુયાયીઓ છે ત્યાં સુધી ધોળે દિવસે તારા દેખાડનારા ‘રહનુમા’ આવતા જ રહેવાના.

(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યુઝ’, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 07 ડિસેમ્બર 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ગાંધીને જાણવા, સમજવાની વાટ

અનિલ વ્યાસ|Diaspora - Reviews|8 December 2025
વિપુલ કલ્યાણી લેખિત અને કેતન રૂપેરા સંપાદિત “પ્રાણપોષક આહાર માટે ગાંધીની ખોજ” પુસ્તકમાં ગાંધીજીના આહાર અને આહાર વિષયક એમની સમજણનો આલેખ જોવા મળે છે. 

અહીં ગાંધીજીના આહાર સાથો-સાથ આહાર બનાવવાની રીતરસમ પણ આવરી લેવાઇ છે. 

હમણાંથી ફાસ્ટ ફૂડ અને લારી ભોજનનો મહિમા વધ્યો છે. શનિ રવિ ગૃહિણી સમેત સહુ રાંધવાની ઝંઝટમાંથી મુક્ત થઈ, તૈયાર અને સ્વાદિષ્ટ ભોજન તરફ વળ્યા છે, ત્યારે પ્રાણપોષક આહારની ચર્ચા અત્યંત જરૂરી બની છે. આ પુસ્તક ગાંધીજીના જીવનપ્રથા સ્વભાવના ઓછાં જાણીતાં પાસાઓને ઉજાગર કરે છે, જે ખાવા પીવાની આદતો વિશે ચિંતન કરવા માટે પ્રેરણાદાયક અને માર્ગદર્શક બનશે.

ગાંધીજીના આહાર સબબ નોંધપાત્ર બાબત – તેમના શાકાહારી (વેજીટેરિયન) ખોરાકનો આગ્રહ અંગેની છે. ઇંગ્લેન્ડ આવવાની મુસાફરી પહેલાં માતા સમક્ષ લીધેલ પ્રતિજ્ઞા પાલન મિશે શરૂ થયેલી આકરી કસોટી લંડન વસવાટમાં ય એમને છોડતી નથી. સ્વાદ, રુચિ, સોડમ અને પરંપરિત રાંધણ … સઘળું ત્યજવું સહેલું ન હતું, વળી, હાડ ગાળી નાખે એવી ઠંડી, પડકારજનક વાતાવરણમાં ગાંધીજી જે રીતે માંસાહાર ત્યજીને ટક્યા રહ્યા તે પ્રેરણાદાયી ને અનુકરણીય છે.

વિપુલભાઈએ ચીવટપૂર્વક ગાંધીજીના વિચારોમાં આવેલા રચનાત્મક પરિવર્તનોને રસપૂર્વક વણ્યાં છે. આ પુસ્તક ગાંધીજીનાં જીવન તથા સ્વભાવનાં ઓછાં જાણીતાં પાસાંઓ ઉજાગર કરે છે.

વિચારપૂર્વક, વીસ વર્ષની ઉમ્મરે નવા આહાર રૂપી ધર્મમાં પ્રવેશતા યુવાનની મૂંઝવણ અને મુશ્કેલીઓ સમજવા જેવી છે. માછલી ને ઈંડા શાકાહારી ગણાય એ યક્ષપ્રશ્ન ત્યારે ય હતો અને આજે પણ છે. સ્વાતંત્ર્યના લડવૈયા મોહનદાસ કરમચંદ ગાંધીની મહાત્મા સુધીની સફરમાં એમને હિમ્મતવાન અને બળવાન બનાવવામાં આહારની નિમિતત્તા ચુકવા જેવી નથી. 

નિમક સત્યાગ્રહ(દાંડીકૂચ)થી આહારમાં નિમક(મીઠું)ના પ્રમાણનો યાત્રાપથ વિપુલભાઈએ ચીંધી આપ્યો છે. તો સાથોસાથ ચોકલેટ, ચા કોફી ઉપરાંત, ખાંડ, દૂધ ને દૂધની બનાવટો અને એની શારીરિક અસરો વિશે  વિચારશીલ વાર્તાલાપ ગમે એવો છે.

વળી, વણરાંધેલા ખોરાક, કાચાંધાન અને માત્ર ફળાહારના પ્રયોગો અંગેની માહિતિ  સમજવા સરખી છે.

બાપુના ખોરાકના પ્રયોગો કરવાનો શોખ ખાસ્સો પ્રસિદ્ધ છે, પણ એની પાછળનાં કારણો, મુશ્કેલીઓ, સફળતા-નિષ્ફળતાની તારવણી  અહીં મળી રહે છે.

આશા છે સહુને, ખાસ તો, યુવાનોને .. ‘ઝેન જી’ પેઢી આ વાંચશે અને  પોષક આહારની આ જૂની મૂડી એમને ગાંધીજીને જાણવા, સમજવાની વાટ અને સક્ષમતા આપશે. 

એટલે જ, વાંચીએ, સમજીએ અને વંચાવીએ એ મનસા સાથે અટકું.

‘પ્રાણપોષક આહાર માટે ગાંધીની ખોજ’, લેખ : વિપુલ કલ્યાણી કેતન રૂપેરા, પ્રકાશક : ૩એસ પ્રકાશન, અમદાવાદ મૂલ્ય: ૧૦૦ રૂપિયા

07 ડિસેમ્બર 2025
e.mail : anilvyas34@gmail.com

Loading

...102030...100101102103...110120130...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved