Opinion Magazine
Number of visits: 9842546
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નાયકન : પોતાના જ બનાવેલા રસ્તામાં અટવાઈ જતા ઘાયલ માણસની જીવન યાત્રા

રાજ ગોસ્વામી|Opinion - Opinion|11 December 2025

રાજ ગોસ્વામી

ગઈ છઠ્ઠી નવેમ્બરે, કમલ હાસન અભિનીત અને મણિરત્નમ્‌ નિર્દેશિત તમિલ ફિલ્મ ‘નાયકન’(નાયક)ને સિનેમા થિયેટરોમાં ફરીથી રિલીઝ કરવામાં આવી. 38 વર્ષ થઇ ગયાં. 1987માં દર્શકોએ ‘નાયકન’ને થિયેટરમાં જોઈ હતી. ફિલ્મ એટલી જબરદસ્ત હિટ થઇ કે બીજા જ વર્ષે, 1988માં, ફિરોઝ ખાને તેને ‘દયાવાન’ નામથી હિન્દીમાં બનાવી હતી. ફિલ્મે તે વખતે ખૂબ ઉત્કંઠા અને અપેક્ષા જગાવી હતી, પરંતુ ‘નાયકન’ના મનોવૈજ્ઞાનિક પાસાને નબળું પાડી દઈને. તેને મસાલાથી ભરપુર અન્ડરવર્લ્ડની માફિયા કહાની બનાવવા જતાં ‘દયાવાન’ ‘નાયકન’ની એક નબળી કોપી બનીને રહી ગઈ હતી. 

આજે આ બંને ફિલ્મોના દર્શકો એક પેઢી આગળ જતા રહ્યા છે. તેમના સ્થાને ફિલ્મ ચાહકોની એક નવી પેઢી મોટી થઇ ગઈ છે. તેને ન તો ‘નાયકન’ વિશે ખબર હશે, ન તો ‘દયાવાન’ વિશે. કદાચ એટલે જ ‘નાયકન’ને આજના દર્શકો માટે રિલીઝ કરવામાં આવી છે. એમ તો ‘દયાવાન’ને ભૂલી જઈને કોઈએ ‘નાયકન’ને નવેસરથી અને આજના સમયને અનુરૂપ હિન્દીમાં બનાવવી જોઈએ. આમ પણ, સારી ફિલ્મોનો દુકાળ પડ્યો છે એટલે તો જૂની ફિલ્મો ફરીથી રિલીઝ કરવામાં આવી રહી છે.

21 ઓક્ટોબર 1987ના રોજ જ્યારે તમિલમાં ‘નાયકન’ રિલીઝ થઈ, ત્યારે દક્ષિણ ભારતીય સિનેમામાં નવી લહેર ઊઠી હતી. આ ફિલ્મ મુંબઈના પ્રસિદ્ધ તમિલિયન ડોન વર્દરાજન મુદ્દલિયાર ઉર્ફે વર્દાભાઈના જીવન પર આધારિત હતી. એ કોઈ આમ ટપોરી છાપ ગુંડો નહોતો. ફિલ્મમાં તેને અત્યંત માનવીય રીતે અને ઊંડાણથી રજૂ કરવામાં આવ્યો હતો. 

કમલ હાસને તેને પૂરો ન્યાય આપ્યો હતો. ચાર દાયકાઓ પછી આજે પણ ‘નાયકન’ને ભારતીય અપરાધ સિનેમાની સૌથી મહત્ત્વપૂર્ણ ફિલ્મોમાંની એક માનવામાં આવે છે. આ ફિલ્મે કમલ હાસનને રાષ્ટ્રીય પુરસ્કાર અપાવ્યો હતો. આ ફિલ્મના કારણે જ રામ ગોપાલ વર્માની ‘સત્યા’ અને ‘કંપની’ જેવી માફિયા ફિલ્મોની જમીન તૈયાર થઇ હતી.

‘નાયકન’ની સૌથી મોટી વિશેષતા એ છે કે તેણે અપરાધ જગતને માત્ર સનસનાટીપૂર્ણ દેખાડ્યું નહોતું, પરંતુ તેની અંદરની એકલતા, સામાજિક સંઘર્ષ અને નૈતિક મૂંઝવણો ઉજાગર કરી હતી. ફિલ્મની વાર્તા એક લાઈનમાં એટલી જ હતી કે વેલુ નાઈકર નામનો છોકરો પોલીસના હાથે તેના પિતાની હત્યા થતી જુવે છે અને તે ઇન્સ્પેકટરનું ખૂન કરીને મુંબઈ ભાગી જાય છે અને ત્યાં ડોન બની જાય છે. 

મુંબઈના ધારાવીમાં તમિલ બસ્તી વચ્ચે મોટા થયેલા વેલુનો અપરાધી બનવાનો માર્ગ કોઈ સુંવાળી યાત્રા નહોતો, પરંતુ પરિસ્થિતિઓથી ઘડાયેલી ઉબડ-ખાબડ સફર હતી. મણિરત્નમે આ વાર્તાને હોલિવૂડની ફિલ્મ ‘ધ ગોડફાધર’ પરથી પ્રેરણા લઈને બનાવી હતી, પરંતુ તેને સંપૂર્ણ રીતે ભારતીય સામાજિક સંદર્ભમાં ગોઠવી હતી. આ સંવેદનશીલતા જ ફિલ્મને અપરાધ-આધારિત સિનેમાની ઘીસી-પીટી ફોર્મ્યુલાઓથી અલગ બનાવે છે.

વેલુ નાયકરની ભૂમિકામાં કમલ હાસનની અભિનય શક્તિને આજે પણ એક આદર્શ ઉદાહરણ માનવામાં આવે છે કે કેવી રીતે એક કલાકાર પોતાની ઉંમર, સમય અને અનુભવને તેના શરીર અને અવાજની ભાષામાં ઢાળી શકે છે. ફિલ્મમાં વેલુ યુવાવયથી વૃદ્ધાવસ્થા સુધીની મુસાફરી કરે છે, અને તે માટે હાસને મેકઅપનો લગભગ ઉપયોગ કર્યો નહોતો. ઉમર વધવાનો અનુભવ તેના ધીમે-ધીમે ચાલવામાં, ઓછુ બોલવામાં અને ચહેરાના ભાવોથી રજૂ થાય છે.

કમલ હાસને આ ભૂમિકાની તૈયારી માટે મુંબઈના તમિલ વિસ્તારોમાં જઈને સમય વિતાવ્યો હતો અને ઘરડા થઇ ગયેલા ચોર લોકોની આદતો, ચાલ-ચલન અને વાતચીત કરવાની રીતમાંથી વેલુનું વ્યક્તિત્વ બનાવ્યું હતું. એમ તો તેમના પરફોર્મન્સમાં ‘ધ ગોડફાધર’ના અલ પચિનોના શાંત અને કાબૂવાળા માઇકલ કૉર્લિઓનની ઝલક મળે છે, પરંતુ વેલુ પ્રમાણમાં વધુ ભાવુક અને દયાળુ છે, જે તેને એક વિશિષ્ટ ડોન બનાવે છે.

કથાના કેન્દ્રમાં વેલુનો સંઘર્ષ છે – સામાજિક અન્યાય સામે લડતાં-લડતાં તે સ્વયં એ જ હિંસા અને ભ્રષ્ટ ધોરણનો હિસ્સો બની જાય છે. તે ‘બહારવાળા’ની ઓળખ સાથે ઊભો છે, રાજ્યની નીતિઓથી પીડિત છે, પોતાના બાળકોથી દૂર જતો જાય છે, અને અંતે હિંસાના એ જ પ્રવાહમાં વહી જાય છે જેને તે રોકવા માંગતો હતો. ફિલ્મના અંતિમ દૃશ્યમાં એક નાનો છોકરો વેલુની હત્યા કરે છે તે સૂચવે છે કે હિંસાનું ચક્ર કદી નથી સમાપ્ત થતું નથી. 

ફિરોઝ ખાન ‘દયાવાન’માં આ મનોવૈજ્ઞાનિક અને ફિલોસોફીકલ દૃષ્ટિકોણ લાવી ન શક્યા. વાર્તા એ જ હતી, પરંતુ તેમણે એક માણસના માનસિક સંઘર્ષ પર ફોકસ કરવાને બદલે, અપરાધ-જગતની સનસનાટી અને નાટ્યાત્મકતા પર વધુ ધ્યાન આપ્યું હતું. એમાં ફિલ્મનો આત્મા બદલાઈ ગયો. તેમાં પિતા-પુત્રીના તનાવથી ભરપુર સંબંધને એ ગહેરાઈ ન મળી જે ‘નાયકન’માં હતી. 

વેલુ તરીકે વિનોદ ખન્નાનો અભિનય પ્રભાવશાળી હતો, પરંતુ તેમાં તે માનસિક સૂક્ષ્મતા નહોતી જે કમલ હાસન લાવ્યા હતા. હિન્દીનો વેલુ નાઈકર વધુ સ્ટાઇલિશ અને ઓછો અંતર્મુખી હતો. કદાચ બીજું કારણ એ પણ હતું કે વેલુના લંગોટિયા દોસ્ત તરીકે ફિરોઝ ખાને પોતાને ફિલ્મમાં લેવાની જરૂર નથી. તેનાથી દર્શકો બે હીરો વચ્ચે ગૂંચવાઈ ગયા હતા. 

ફિલ્મની એકમાત્ર મોટી ચર્ચા યુવા માધુરી દિક્ષિત અને વિનોદ ખન્નાનો સાહસિક રોમેન્ટિક સીન હતો. પાછળથી માધુરીએ અફસોસ પણ વ્યક્ત કર્યો કે કેરિયરના શરૂઆતના દોરમાં તે એ નિર્ણયને લઇને સંપૂર્ણ રીતે આશ્વસ્ત નહોતી. ફિલ્મે બોક્સ ઓફિસ પર ઠીકઠીક વેપાર કર્યો, પરંતુ તે કદી ‘કલ્ટ’નો દરજો મેળવી શકી નહોતી. હિન્દી દર્શકોનો એક મોટો વર્ગ ‘નાયકન’ને ઓળખતો નહોતો, તેથી તુલનાનો આધાર ઓછો રહ્યો. છતાં, સિનેમાના ઇતિહાસમાં એ બંને ફિલ્મો વિશે એક સાથે વાંચવું રસપ્રદ છે – એ સમજવા માટે કે કોઈ મહાન કૃતિની રીમેક કેમ એટલી ઊંચાઈ સુધી પહોંચી શકતી નથી.

આજે ‘નાયકન’ કલ્ટ ફિલ્મ ગણાય છે કારણ કે તે અપરાધની કહાની નથી, પણ એક ઘાયલ માણસની જીવનયાત્રાનું બયાન છે. તે વ્યવસ્થા સામે લડે છે, પોતાના લોકોની રક્ષા કરે છે, પરંતુ આખરે પોતે જ બનાવેલા રસ્તામાં અટવાઈ જાય છે. એક સમયે વેલુ જેને મળે તેને પૂછતો હતો – ‘તમે સારા માણસ છો કે ખરાબ?’ કહાનીના અંતે, તેનો પૌત્રને પણ નાનાએ લઈને પ્રશ્ન થાય છે – ‘તમે સારા હતા કે ખરાબ?’ આ પ્રશ્ન ‘નાયકન’ ફિલ્મનો આત્મા છે. જીવન અને નૈતિકતાને કોઈ સરળ નામમાં બાંધવી કઠિન હોય છે. ‘નાયકન’નું આ જ સ્થાયી સત્ય છે. 

(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 10 ડિસેમ્બર 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

‘પંડિત નેહરુ, રામની જેમ, અસંભવોને સંભવ કરનારા હતા !’

રમેશ સવાણી|Opinion - Opinion|11 December 2025

જવાહરલાલ નેહરુનું 27 મે, 1964 ના રોજ અવસાન થયું. અટલ બિહારી વાજપેયીજીએ 29 મે, 1964ના રોજ સંસદમાં નેહરુને શ્રદ્ધાંજલિ આપી હતી :

શ્રીમાન સ્પીકર,

એક સ્વપ્ન હતું જે અધૂરું રહ્યું, એક ગીત જે મૌન થઈ ગયું, એક જ્યોત જે અનંતમાં વિલીન થઈ ગઈ. સ્વપ્ન હતું ભય અને ભૂખથી મુક્ત વિશ્વનું, ગીત હતું એક મહાકાવ્યનું, જેમાં ગીતાનો પડઘો અને ગુલાબની સુગંધ હતી. જ્યોત હતી એક દીવાની, જે આખી રાત સળગતી રહી, દરેક અંધકાર સામે લડી, અમને રસ્તો દેખાડી, એક પ્રભાતે નિર્વાણ પ્રાપ્તિ થઈ.  

મૃત્યુ નિશ્ચિત છે, શરીર નશ્વર છે. ગઈકાલે આપણે ચંદનની ચિતા પર જે સુવર્ણ શરીરને અગ્નિદાહ આપ્યો હતો તેનો નાશ થવાનો હતો. પરંતુ શું મૃત્યુ આટલી ચોરીછૂપીથી આવવું જરૂરી હતું? જ્યારે આપણા સાથીઓ સૂતા હતા, જ્યારે આપણા રક્ષકો અજાણ હતા, ત્યારે આપણા જીવનનો એક અમૂલ્ય ખજાનો ચોરાઈ ગયો. ભારત માતા આજે શોકમાં છે – તેનો લાડકો રાજકુમાર ખોવાઈ ગયો છે. માનવતા આજે દુઃખી છે – તેનો રક્ષક સૂઈ ગયો છે. આજે શાંતિ અશાંત છે – તેનો રક્ષક ગયો છે. દલિતોએ પોતાનો સહારો ગુમાવ્યો છે. દરેકની આંખનો સિતારો તૂટી ગયો છે. પડદો પડી ગયો છે. વિશ્વના રંગમંચના અગ્રણી અભિનેતાએ પોતાનું છેલ્લું કાર્ય કર્યું અને અંતર્ધ્યાન થઈ ગયા.

મહર્ષિ વાલ્મીકિએ રામાયણમાં ભગવાન રામના સંબંધમાં કહ્યું છે કે તેઓ અસંભવોને સંભવ કરનારા હતા. પંડિતજીના જીવનમાં મહાકવિના આ કથનની એક ઝલક દેખાતી હતી. તેઓ શાંતિના પૂજારી-ઉપાસક હતા, છતાં ક્રાંતિના પ્રણેતા હતા; તેઓ અહિંસાના ઉપાસક હતા, છતાં સ્વતંત્રતા અને સન્માનના રક્ષણ માટે દરેક શસ્ત્રથી લડવાના હિમાયતી હતા.

તેઓ વ્યક્તિગત સ્વતંત્રતાના સમર્થક હતા, છતાં આર્થિક સમાનતા પ્રાપ્ત કરવા માટે પ્રતિબદ્ધ હતા. તેઓ સમાધાન કરવામાં ડરતા ન હતા, પરંતુ તેમણે ક્યારે ય ડરથી સમાધાન કર્યું નહીં. પાકિસ્તાન અને ચીન પ્રત્યેની તેમની નીતિ આ અદ્દભુત મિશ્રણનું પ્રતીક હતી. તેમનામાં  ઉદારતા અને મક્કમતા બંને હતી. કમનસીબે, આ ઉદારતાને દુર્બળતા સમજવામાં આવી, જ્યારે કેટલાક લોકોએ તેમની દૃઢતાને હઠીલાપણા તરીકે સમજી. 

મને યાદ છે, ચીની આક્રમણના દિવસોમાં, જ્યારે આપણા પશ્ચિમી સાથીઓ કાશ્મીર મુદ્દા પર પાકિસ્તાન સાથે સમાધાન કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે મેં તેમને એક દિવસ ગુસ્સે ભરાયેલા જોયા. જ્યારે તેમને કહેવામાં આવ્યું કે જો કાશ્મીર મુદ્દા પર કોઈ સમાધાન નહીં થાય, તો આપણે બે મોરચે લડવું પડશે, ત્યારે તેમણે જાહેર કર્યું કે જો જરૂર પડે તો, આપણે બંને મોરચે લડીશું. તેઓ કોઈપણ દબાણ હેઠળ વાટાઘાટો કરવાની વિરુદ્ધ હતા.

મહોદય, જે સ્વતંત્રતા માટે તેઓ લડવૈયા અને રક્ષક હતા તે હવે જોખમમાં છે. આપણે આપણી બધી શક્તિથી તેનું રક્ષણ કરવું જોઈએ. તેમણે જે રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો બચાવ કર્યો હતો તે પણ સંકટમાં છે. આપણે તેને દરેક કિંમતે જાળવી રાખવી જોઈએ. તેમણે જે ભારતીય લોકશાહીની સ્થાપના કરી અને સફળ બનાવી હતી, આજે, તેના ભવિષ્ય વિશે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આપણી એકતાથી, શિસ્તથી અને આત્મવિશ્વાસથી  આપણે આ લોકતંત્રને સફળ બનાવવું પડશે. નેતા ચાલ્યા ગયા, અનુયાયીઓ રહી ગયા. સૂર્ય આથમી ગયો છે, અને આપણે તારાઓની છાયામાં આપણો માર્ગ શોધવો પડશે. 

આ મહાન કસોટીનો સમય છે. જો આપણે બધા એક એવા ઉમદા કાર્ય માટે પોતાને સમર્પિત કરી શકીએ જે ભારતને મજબૂત, સક્ષમ અને સમૃદ્ધ બનાવે, અને વિશ્વ શાંતિની કાયમી સ્થાપનામાં આત્મસન્માન સાથે યોગદાન આપે, તો આપણે તેમને સાચી શ્રદ્ધાંજલિ આપવામાં સફળ થઈશું. સંસદમાં તેમનો અભાવ ક્યારે ય ભરાશે નહીં. કદાચ ત્રિમૂર્તિ મૂર્તિને, તેમના જેવી વ્યક્તિ પણ ક્યારે ય પોતાના અસ્તિત્વથી સાર્થક નહીં બનાવે. તે વ્યક્તિત્વ, તે જિંદાદિલી, વિરોધીઓને પણ સાથે લેવાની ભાવના, તે સજ્જનતા, તે મહાનતા કદાચ નજીકના ભવિષ્યમાં ફરી જોવા મળશે નહીં. મતભેદો હોવા છતાં, તેમના ઉમદા આદર્શો, તેમની પ્રામાણિકતા, તેમની દેશભક્તિ અને તેમની અતૂટ હિંમત માટે આપણા હ્રદયમાં આદર સિવાય બીજું કંઈ નથી.

આ શબ્દો સાથે, હું તે મહાન આત્માને મારી નમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. 

[સૌજન્ય : Piyush Babele, 10 ડિસેમ્બર 2025]
10 ડિસેમ્બર 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

વીસમી સદીની પહેલી બ્લોક બસ્ટર નવલકથા

દીપક મહેતા|Opinion - Literature|11 December 2025

ગ્રંથયાત્રા – 20

માર્ગરેટ મિચલ

અંગ્રેજીમાં જેને એક્સિડન્ટ-પ્રોન કહે છે તેવી હતી એ સ્ત્રી. ત્રણ ત્રણ વખત મોટર એક્સિડન્ટનો ભોગ બની. બે વખત હાડકાં-પાંસળાં ભાંગ્યાં, લાંબો વખત પથારીવશ રહી. પણ ૧૯૪૯ના ઓગસ્ટની ૧૧મી તારીખે જે ત્રીજો મોટર અકસ્માત થયો તે જીવલેણ નીવડ્યો. પાંચ દિવસ બેભાન રહ્યા પછી ઓગસ્ટની ૧૬મી તારીખે તેનું અવસાન થયું. એ સ્ત્રીનું નામ માર્ગરેટ મિચલ. પણ તેના જીવનમાં સૌથી મોટો અને સુખદ અકસ્માત બન્યો તે તો ૧૯૩૬ના જુલાઈની ૩૦મી તારીખે. તે દિવસ સુધી તે એક અનામી, અજાણી સ્ત્રી હતી. તે દિવસ પછી તેનું નામ અમેરિકામાં ઘરે ઘરે જાણીતું થઇ ગયું, તેણે લખેલી નવલકથા ‘ગોન વિથ ધ વિન્ડ’ને કારણે. એક અકસ્માતમાં ઘૂંટણ ભાંગ્યો અને લાંબો વખત પથારીમાં સૂઈ રહેવું પડ્યું ત્યારે સ્થાનિક લાયબ્રેરીમાં એટલાન્ટાના ઇતિહાસ અંગેનાં હતાં તેટલાં પુસ્તકો વાંચી નાખ્યાં. પતિએ કહ્યું કે હવે નવું પુસ્તક વાંચવું હોય તો તે તારે જ લખવું પડશે. બસ, આટલી અમથી ટકોર, ને માર્ગારેટે ‘ગોન વિથ ધ વિન્ડ’ નવલકથા લખવાનું શરૂ કર્યું. પૂરાં દસ વર્ષ તેણે આ નવલકથા પર કામ કર્યું. નવા લેખકોની શોધમાં નીકળેલો મેકમિલન પ્રકાશક કંપનીનો હેરોલ્ડ લેથામ નામનો પ્રતિનિધિ ૧૯૩૫માં માર્ગારેટને મળ્યો. અચકાતાં અચકાતાં પોતાની હસ્તપ્રત માર્ગરેટે તેને આપી. પછી એ વાત પણ એ તો ભૂલવા આવી હતી. ત્યાં જ અચાનક ૨૧મી જુલાઈએ મેકમિલન તરફથી તાર મળ્યો : ‘તમારું પુસ્તક પ્રગટ કરશું. પહેલી દસ હજાર નકલ પર દસ ટકા અને પછીની નકલો પર પંદર ટકા રોયલ્ટી આપશું. તારથી જવાબ મોકલો એટલે કોન્ટ્રેક્ટ મોકલીએ.’  

આપણે ત્યાં તો લેખક જે, જેવું, જેટલું લખી મોકલે તે તેમનું તેમ પ્રકાશકો છાપી નાખે. પણ યુરપ-અમેરિકામાં ભલભલા લેખકો પણ પ્રકાશકના એડિટરનાં સૂચનો પ્રમાણે ફેરફાર કરવા તૈયાર રહે. ત્યારે આ તો હતી સાવ નવી લેખિકા. પ્રકાશકના એડિટરની સૂચના પ્રમાણે માર્ગરેટે કેટલાક ફેરફાર કર્યા. કેટલોક ભાગ ફરી લખ્યો. પ્રકાશકના એડિટરે કથાના મુખ્ય પાત્ર ‘પેન્સિ’નું નામ બદલવા કહ્યું અને તેનું નામ છેવટે પડ્યું સ્કાર્લેટ ઓહારા. ફરી આખી હસ્તપ્રતમાં નામ બદલવાનું કામ માર્ગરેટે કરવું પડ્યું. પુસ્તક પ્રગટ થાય તે દિવસે ન્યૂ યોર્કમાં હાજર રહેવાનું પ્રકાશકનું આમંત્રણ નબળી તબિયતને કારણે માર્ગરેટે નકાર્યું એટલે પછી એટલાન્ટા લાયબ્રેરી ક્લબમાં પ્રકાશકે માર્ગરેટનું ભાષણ ગોઠવ્યું. પુસ્તક પ્રગટ થતાંવેંત લેખિકા રાતોરાત સેલિબ્રીટી બની જશે એની પ્રકાશકને ખાતરી હતી. એટલે પ્રકાશકે પુસ્તકની એક લાખ નકલ છાપીને તૈયાર રાખેલી. પુસ્તક પ્રગટ થયું તે દિવસે માર્ગરેટ એટલાન્ટાની ડેવિડ સન્સ નામની પુસ્તકોની દુકાને ગઈ અને પોતાની નવલકથા ખરીદવા માટે લોકો જે રીતે પડાપડી કરી રહ્યા હતા તે જોઈ આભી જ બની ગઈ. વીસમી સદીની પહેલી બ્લોક બસ્ટર નવલકથા પ્રગટ થઇ ચૂકી હતી. આજ સુધીમાં તેની ત્રણ કરોડ નકલ વેચાઈ ચૂકી છે. માર્ગરેટને ૧૯૩૭નું પુલિત્ઝર પ્રાઈઝ મળ્યું અને નવલકથા પરથી ફિલ્મ બનાવવાના હક્ક પચાસ હજાર ડોલરમાં વેચાયા. અગાઉ આટલી મોટી રકમ બીજા કોઈ લેખકને આ માટે ચૂકવાઈ નહોતી. ૧૯૩૯ના ડિસેમ્બરની ૧૫મી તારીખે ‘ગોન વિથ ધ વિન્ડ’ ફિલ્મ રીલીઝ થઇ અને તેને પણ રાતોરાત અસાધારણ સફળતા મળી. ૧૯૪૦માં બેસ્ટ ફિલ્મ સહિતના કુલ આઠ ઓસ્કર એવોર્ડઝ આ ફિલ્મને મળ્યા. 

આ નવલકથામાં લેખિકાએ અમેરિકાનાં ઉત્તરનાં અને દક્ષિણનાં રાજ્યો વચ્ચેના આંતરવિગ્રહની વાત અત્યંત કુશળતાથી વાણી લીધી છે. ‘સોળ વરસની કન્યા આળસ મરડે રે’ એવી સ્કાર્લેટને આપણે કથાના આરંભમાં જોઈએ છીએ, એક સાથે બે પુરુષ સાથે ફલર્ટ કરતી. પણ તે ચાહે તો છે એશલે નામના એક ત્રીજા જ યુવકને. પણ એશલે ચાહે છે મેલોની નામની છોકરીને. પાર્ટીમાં બધા પુરુષો આવી રહેલા આંતરવિગ્રહની ચર્ચા કરતા હોય છે અને ગુલામી તરફી દક્ષિણનાં રાજ્યો જીતી જશે એમ કહેતા હોય છે. ત્યારે રેહટ બટલર નામનો એક પુરુષ સાવ જુદો જ અભિપ્રાય વ્યક્ત કરે છે. અને અહીથી જ પ્રેમ, દ્વેષ, ઈર્ષાની કથા સાથે લેખિકા આંતરવિગ્રહને સાંકળી લે છે. સંકોચને આઘો મૂકીને સ્કાર્લેટ એશલેને કહે છે કે હું તને ચાહું છું ને તારી સાથે લગ્ન કરવા માગું છું. પણ એ માટીડો તો આપણા સરસ્વતીચન્દ્રનો ભાઈ નીકળે છે. એ કહે છે કે મને પણ તારા માટે પ્રેમ છે, પણ એક ભાઈને તેની બહેન માટે હોય તેવો! પણ સ્કાર્લેટ કાંઈ અલકકિશોરી નહોતી, એટલે જવાબમાં આપે છે ગાલ પર સણસણતો તમાચો. ઓરડામાં છુપાયેલો બટલર આ બધું જુએ છે અને એશલેના ગયા પછી સ્કાર્લેટ સામે પ્રગટ થાય છે ત્યારથી બંને વચ્ચે લવ-હેટનો સંબંધ શરૂ થાય છે. ચાર્લ્સ હેમિલ્ટન નામનો એક યુવક લગ્નની દરખાસ્ત રજૂ કરે છે અને માત્ર એશલેને જલાવવાના હેતુથી સ્કાર્લેટ તેની સાથે પરણી જાય છે. પણ લગ્ન પછી ચાર્લ્સ આંતરવિગ્રહમાં લડવા જાય છે અને મરાય છે. તે પછી સ્કાર્લેટ અને રેહટ એકબીજાંની નજીક આવે છે. એટલાન્ટા પર દુશ્મનનો હુમલો થતાં શહેર ખાલી થવા લાગે છે. એ જ વખતે એશલેની પત્ની મેલોનીને પ્રસૂતિની પીડા ઉપડે છે. કોઈ ડોક્ટર ન મળતાં સ્કાર્લેટ તેની સુવાવડ કરાવે છે, અને પુત્રનો જન્મ થાય છે. પહેલાં જ્યાં રહેતાં હતાં તે તારા પ્લાન્ટેશન જવા માટે સ્કાર્લેટ, રેહટ, મેલોની, અને તેનું બાળક ગાડીમાં નીકળે છે. પીછેહઠ કરતા દક્ષિણના લશ્કરે ધીખતી ધરા કરવાના હેતુથી લગાડેલી આગમાંથી બધાં પસાર થાય છે. પછી લૂંટારાઓના હુમલાનો ભોગ બને છે. પણ છેવટે બધાં તારા પહોંચે છે. બધાંને મૂકીને રેહટ લડાઈમાં જોડાવા જાય છે. 

તારા ખાતે બધું ખેદાનમેદાન થઇ ગયું છે, સ્કાર્લેટની મા મૃત્યુ પામી છે, પિતા ચિત્તભ્રમની અવસ્થામાં છે. ઘર લૂંટાઈ ગયું છે. ગુજરાન ખાતર સ્કાર્લેટ ખેતરમાં કપાસ વીણવાનું કામ કરે છે. આંતરવિગ્રહ પૂરો થતાં એશલે ઘરે પાછો ફરે છે. આંતરવિગ્રહ પછીના નવા વ્યવસ્થાતંત્રમાં તારા પ્લાન્ટેશનને માથે ૩૦૦ ડોલરનો ટેક્સ ભરવાનો આવે છે. આ રકમ મેળવવા ખાતર સ્કાર્લેટ ફ્રેન્ક કેનેડી નામના પુરુષને પરણી જાય છે. થોડા વખત પછી એક ધીંગાણામાં એશલે ઘવાય છે અને ફ્રેંક કેનેડીનું મૃત્યુ થતાં સ્કાર્લેટ બીજી વાર વિધવા બને છે. થોડા વખત પછી રેહટની દરખાસ્ત સ્વીકારી સ્કાર્લેટ તેની સાથે પરણી જાય છે. બંનેને એક દીકરી થાય છે, બોની. પણ સ્કાર્લેટના મનમાંથી હજી એશલે ખસ્યો નથી એટલે ધૂવાંપૂવાં થયેલો રેહટ દીકરીને લઈને લંડન ચાલ્યો જાય છે. પણ બોનીને ત્યાં ગમતું નથી એટલે સ્વદેશ પાછો આવી સ્કાર્લેટ સાથે રહેવા લાગે છે. સ્કાર્લેટ ફરી સગર્ભા થાય છે, પણ દાદર પરથી પડી જતાં બાળકને ગુમાવે છે. ઊંચેથી કૂદવાનો અખતરો કરવા જતાં બોની પણ મા-બાપની નજર સામે જ મૃત્યુ પામે છે. હવે સ્કાર્લેટને ખ્યાલ આવે છે કે હકીકતમાં તે ક્યારે ય એશલેને ચાહતી નહોતી. પણ એશલેએ તેની અવગણના કરી તેથી તે તેની પાછળ પડી હતી. પોતે ખરેખર તો રેહટને જ ચાહે છે એમ તેને લાગે છે, પણ ત્યારે ઘણું મોડું થઇ ગયું હોય છે. સ્કાર્લેટને છોડીને ચાર્લ્સટન જવાનો નિર્ણય રેહટે લઇ લીધો છે. સ્કાર્લેટ તેને પૂછે છે : ‘હવે હું ક્યાં જઈશ? હવે હું શું કરીશ?’ અને ત્યારે આખી નવલકથામાંથી સૌથી વધુ જાણીતા થયેલા વાક્ય દ્વારા રેહટ જવાબ આપે છે : ‘માય ડિયર, આઈ ડોન્ટ ગીવ અ ડેમ!’ 

XXX XXX XXX

10 ડિસેમ્બર 2025
e.mail : deepakbmehta@gmail.com

Loading

...102030...979899100...110120130...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved