Opinion Magazine
Number of visits: 10080255
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મારે મોગલ ને ફુલાય પિંજારા 

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|27 March 2026

રવીન્દ્ર પારેખ

આ કહેવતનો સાદો અર્થ કામ કોઈ કરે ને જશ બીજો ખાટે એવો છે. આ યાદ આવવાનું એટલે બન્યું કે આજકાલ વોટ્સએપ યુનિવર્સિટીમાં મેસેજનો એટલો મારો થાય છે કે ઘણાં મેસેજ તો જોવાતા જ નથી. એમાં કામના કેટલાક મેસેજ રહી જાય તો અફસોસ પણ થાય છે. મોટે ભાગના મેસેજો ફોરવર્ડ થયેલા જ હોય છે. એક કાળે માતાજીના, ભગવાનના પોસ્ટકાર્ડ લાલ શાહીથી લખાતા ને તેમાં માતાજીના પરચાની વાત કરીને એવા બીજા દસ પોસ્ટકાર્ડ લખવાનું કહેવામાં આવતું અને કેવો લાભ થશે કે પોસ્ટકાર્ડ ન લખવાથી કોનું કેટલું નુકસાન થયેલું તેની વિગતો પણ અપાતી. આમ કરવાથી શાહીના, પોસ્ટકાર્ડના ખર્ચ સિવાય કેટલો લાભ કે ગેરલાભ થતો તે તો લખનાર કે મોકલનાર જ કહી શકે. 

એ જ પદ્ધતિ વોટ્સએપમા વપરાય છે. એમાં પણ અમુક મેસેજ, દસ જણને મોકલો તેવો આદેશ અપાય છે ને તે મોકલવામાં લાભ અને ન મોકલવામાં ગેરલાભની વિગતો પણ અપાય છે. આ મેસેજ ધમકી જેવો જ હોય છે. આમ કરવાથી આમ થશે ને ન કરવાથી નુકસાન થશે એવી વિગત ચેતવણીના સૂરમાં અપાતી હોય છે. કેટલાંક ડરીને, મેસેજ દસ જણાને ફોરવર્ડ કરે છે, તો કેટલાંક તેને અવગણતા પણ હોય છે. એવા મેસેજ ધાર્મિક જ હોય એવું જરૂરી નથી, તે ધર્મકારણ ઉપરાંત રાજકારણના, સમાજકારણના પણ હોઈ શકે છે. કમાલ તો એ છે કે મેસેજ મોકલનાર પોતાની ચાર લીટી લખવા સક્ષમ નથી હોતો, પણ તે બીજાના આવેલા મેસેજ ફોરવર્ડ કરવામાં ધન્યતા અનુભવે છે. અગાઉ કરતાં આજે ફરક એ પડ્યો છે કે દસ પોસ્ટકાર્ડનું સ્થાન હવે દસ પંદર ગ્રૂપોએ લઈ લીધું છે, જેની સભ્ય સંખ્યા સેંકડો- હજારોમાં હોય છે.

સુધારો તો એ પણ થયો છે કે મેસેજ હવે અંગ્રેજી, હિન્દી કે ગુજરાતીમાં ફોરવર્ડ થાય છે. મેસેજ મોકલનારે તો મેસેજ મોકલ્યો જ હોય છે, પણ તેને ફોરવર્ડ કરનાર, આટલાને ફોરવર્ડ કર્યા એ વાતે એમ જ ફુલાતો ફરતો હોય છે. મારે મોગલ ને ફુલાય પિંજારા, બીજું શું? હવે પિંજારાને બદલે કોઈ પિંઢારા મૂકે તો ય બહુ ફરક પડતો નથી.

મીડિયામાં જે કોમેન્ટ્સ આવતી હોય છે તે એક જુદી જ ખુમારી કે ખુવારી દર્શાવે છે. કેટલાં ય દૃશ્યો – રીલ્સ – જૂની કુટુંબપ્રથાનો મહિમા કરતાં ઊતરે છે, પણ એમાં મૌલિકતા ઓછી હોય છે, ઘણીવાર તો જૂની ફિલ્મોનાં દૃશ્યોની સાથે, જે મેટર મુકાય છે, તે ભાગ્યે જ મૌલિક હોય છે ને એને લાઈક કરનારા, અંગૂઠા મારનારા કે કોમેન્ટ્સ કરનારા પણ મૌલિક નથી હોતાં. ઘણાં તો અંગૂઠા મારીને રાજી રહે છે. કેટલીક રીલ ખરેખર ક્રિએટિવ હોય છે, પણ એવું બહુ ઓછું બનતું હોય છે. ઘણાં કોઈની કવિતા કે લેખ એટલાં આત્મસાત કરી લે છે કે મૂળ લેખક કે કવિને સ્થાને પોતાનું નામ દૈવી સિદ્ધિની જેમ મૂકે છે. ઈન્સ્ટાગ્રામ કે ફેસબુક પર કેટલીક રીલ સલાહ સૂચના માટે, ઉપદેશ આપવા કે જાત પ્રચાર માટે મુકાય છે. આમ અરીઠા છાપ હોય, પણ વાતો ને ઉપદેશ એવી સ્ટાઈલથી કરે કે કોઈ સંત કે જ્ઞાની ફિક્કા લાગે. સલાહ આપવાનો અત્યારે વાવર ચાલે છે. એ મીડિયામાં ને ખાસ કરીને અખબારોમાં વધારે વકરેલો છે. કેટલાંક અખબારો તો વાચકોને ધમકાવવાનું જ કરે છે. દૂધ સંપૂર્ણ ખોરાક છે, એવું ભણેલો ડોસો વાંચે કે દૂધ હાનિકારક છે, તો તેને પસ્તાવો થાય કે આટલાં વર્ષો પાણીમાં ગયાં ! એટલાં બધાં મૂલ્યોની પથારી ફરી ગઈ છે કે સાચું, ખોટું થઇ ગયું છે ને ખોટું, સાચું લાગવા માંડ્યું છે. એમ લાગે છે કે જે આવે છે, તે કોઈકનું કરી નાખવા જ આવે છે. એટલાં દુષ્કર્મો, છેતરપિંડી ને ભ્રષ્ટાચાર ચાલે છે કે ક્યાં ય સંવેદનોને સ્થાન જ નથી. ક્યાંક થોડું સારું થતું પણ હશે, પણ મોટે ભાગે તો સૌ એકબીજાને વધેરી નાંખવાનું જ ગૌરવ લેતાં હોય છે. છૂટાછેડા, હત્યા ને આત્મહત્યાનું પ્રમાણ એવું ઘનઘોર છે કે પ્રાયશ્ચિત કરવાનો સમય પણ કોઈ કાઢવા નથી માંગતું. 

અખબારોમાં તાટસ્થ્ય પણ ઘટતું આવે છે. કેટલાંક અખબારો શાસકપક્ષની તરફેણમાં લખે છે, તો કેટલાંક વિપક્ષની આરતી ઉતારે છે. એમાં સમાચારોમાં પણ મોચમરોડ આવે છે, પરિણામે વાચકોને સાચું ચિત્ર જોવા નથી મળતું, ખાસ કરીને ભારતીય રાજકારણનું. અમુકતમુકની ફેવર કરવામાં કે અમુકતમુકની ટીકા કરવામાં જનતા એ નક્કી જ નથી કરી શકતી કે સાચું શું છે? અત્યારે ગેસની, પેટ્રોલ, ડિઝલની  કટોકટી ઊભી થઈ છે, એમાં બે સ્પષ્ટ મત પ્રગટ થતા રહે છે. એક કહે છે કે પેટ્રોલ, ગેસની તંગી નથી, પૂરતી માત્રામાં છે બધું. બીજો મત એવો છે કે ગેસ, પેટ્રોલની તંગી છે. એ મત એટલે સાચો લાગે છે કે પંપ પર લાંબી લાઈનો પેટ્રોલ, ડિઝલ માટે લાગે છે, લોકોએ રાંધણ ગેસના બાટલા માટે કલાકો તપવું પડ્યું છે. 

અફવાઓને કારણે લોકો ધસારો કરે છે એ સાચું, પણ અફવા સાવ પાયા વગરની નથી હોતી. રોજ અફવા નથી ફેલાતી, તે તંગીમાં જ ફેલાય છે, એનો અર્થ એ થયો કે કંઈક તો ખૂટે છે, નહીં તો અફવા ફેલાય જ કેમ? વડા પ્રધાન પોતે સંસદમાં પશ્ચિમ એશિયાઈ દેશોમાં યુદ્ધની વ્યાપક અસરો વર્તાઈ રહ્યાનું કહેતા હોય કે ગેસ, ડિઝલ,પેટ્રોલ અને ફર્ટિલાઈઝર્સની અછતનું સ્વીકારતા હોય કે યુદ્ધને લીધે ભારત પણ ગંભીર ઊર્જા સંકટનો સામનો કરી રહ્યાનું કબૂલતા હોય કે યુદ્ધથી ભારતના વેપારના માર્ગો પ્રભાવિત થઇ રહ્યાનું જાહેર કરતા હોય, તો મીડિયા સબ સલામતની ઘંટી કઈ રીતે વગાડી શકે? મીડિયાને આવી ભાટાઈ ન પરવડવી જોઈએ. હકીકત જાહેર કરવા કરતાં સંતાડવાનું વધારે ઘાતક છે ને કમ સે કમ પ્રિન્ટ મીડીયાએ તેનાથી બચવું જોઈએ.

અત્યારે યુદ્ધનો માહોલ છે ને ઘણાં વિશ્વ યુદ્ધ સુધીની આગાહી કરી રહ્યા છે, એ સંજોગોમાં સમાચાર માધ્યમોએ જવાબદારીપૂર્વક વર્તવું જોઈએ. સમાચાર સંતાડવાના નથી, પણ તેમાં મરચું-મીઠું ભભરાવીને તેને પરાણે રોચક બનાવવાના પ્રયત્નો પણ ઠીક નથી. યુદ્ધખોર દેશોને તો બહુ ફરક પડતો નથી, પણ સાધારણ નાગરિકો જે ટેન્શન અનુભવે છે તેની પ્રતિક્રિયાઓ ઘણી રીતે જોખમી નીવડી શકે એમ છે. એક જ સમાચાર ઈરાન અને ઇઝરાયલના જોઈએ. 6 માર્ચના ઈરાનને લગતા સમાચાર કૈંક આવા છે : યુદ્ધ જહાજ પર હુમલાના જવાબમાં ઈરાને અમેરિકાના ઓઈલ ટેન્કરનો સફાયો કર્યો. 9 માર્ચના એક અખબારમાં એક સમાચાર આમ પ્રગટ થયા છે: ઈરાનના ઓઈલ ડેપો તબાહ: તેલનો વરસાદ: જ્વાળાઓમાં ઘેરાયું તહેરાન – ઇઝરાયલે લેબેનોનમાં ટોક્સિક બોમ્બ ફેંક્યા, તહેરાનમાં ધુમાડો જ ધુમાડો ! એક તરફ ઈરાને કરેલા હુમલાની વાત કે ઇઝરાયલના હુમલાની વાત ચાલ્યા જ કરે છે. સમાચાર આપવા જ જોઈએ એની ના જ નથી, પણ સામસામે હુમલાઓની વિગતો ઉશ્કેરણી કરવાની રીતે અપાય તો તે ઠીક નથી. આપણે તો યુદ્ધને કિનારેથી જોઈએ છીએ, પણ જે દેશો એ ભોગવે છે ને ત્યાંના સામાન્ય નાગરિકોનો જીવ તાળવે ચોંટે છે તે કદી પણ પરસ્પર બે દેશોને ઉશ્કેરતા સમાચારોથી રાજી નહીં જ થાય. આ બધું ‘શકટનો ભાર જ્યમ શ્વાન તાણે’ની જેમ ચાલ્યા કરતું હોય છે. લડનારા લડે ને છાપનારા ચટખારા લઈને છાપે એ બરાબર નથી. મારે મોગલ ને ફુલાય પિંજારા – જેવું ન થવું જોઈએ.  

આ ને આવા ઘણાં સમાચારો વિવેક બાજુ પર મૂકીને અપાય છે. એવા તો ઘણાં સમાચારો, ધરતીકંપના, આરોગ્યના, રાજકારણના, સમાજજીવનના એવી રીતે છપાય છે કે તે વાચકને સમભાવથી લેતા નથી તેની ચાડી ખાય છે. કેટલાક સમાચારો તો રીતસર ધમકી, લાલચ, ચેતવણીની રીતે જ અપાય છે. કટોકટીનો સમય છે તો ગમે ત્યારે લોકડાઉન લાગુ પડે એમ છે, તો ચીજ વસ્તુઓનો સ્ટોક કરી રાખો. અમુક તારીખે અમુક ઝડપે પવન ફૂંકાશે ને ભારે વરસાદ થશે-ની વિગતો સલામતીની રીતે ન અપાતી હોય ને ડરાવવા કે ચેતવણીની રીતે અપાય તો પણ, સામાન્ય જનની હાલત કફોડી થતી હોય છે. 

કોણ જાણે કેમ પણ અખબારો રોગની માહિતી આપે છે એટલી, ઉપચારની આપતાં નથી. એ કદાચ તેમના અખબારી ધર્મમાં નહિ આવતું હોય, તેથી કે તે તેમની જવાબદારી જ ન હોય એટલે, તે ખબર નથી …. 

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 29 માર્ચ 2026

Loading

અસત્યના પ્રયોગો  

સંગીતા પટેલ|Opinion - Opinion|26 March 2026

કહેવાતા અસત્ય પર કથિત સત્યનો, રાવણ પર રામનો, માની લીધેલા સત્યના શૂરાતનનો દિવસ એટલે દશેરા. 15 ઓક્ટોબર 2002ના દિવસે હરિયાણાના જઝ્ઝાર  ગામે દશેરાની ઉજવણી પૂરી કરી ટોળું કંઇક આવા ઉન્માદે પાછું વળતું હતું. વળતા રસ્તે આ ટોળાએ મૃત ગાયની ચામડી ઉતારતા પાંચ ચર્મકારોને જોયા અને ગૌરક્ષા ભાવના તેમના માથે સવાર થઇ ગઇ. ગુસ્સાથી અંધ ટોળાને જોઇ આ ચર્મકારો ભાગ્યા. ટોળું પણ પૂરજોશથી તેમની પાછળ પડ્યું. 

રસકસ વિહોણી થતાં માલિકોએ તરછોડી દીધેલી, રસ્તે રઝળીને પ્લાસ્ટીક ચાવી પેટ ભરી લેતી ગાયો જોઇને આ ગૌપ્રતિપાલકોને કઇ લાગણી થતી હશે ખબર નહિ પણ, ગાયનું હાડપિંજર જોતાં ધર્મભાવના જાગૃત થઇ આવી અને દશેરાની ઉજવણીની જે કાંઇ ભજવણી બાકી રહી ગયેલી તે પૂરી કરવાના સંકલ્પે પાંચેય દલિતોને જીવતા મારી નાખ્યા, મૃત દેહ ફાડી નાખ્યા, પાંચમાંથી બેના ચહેરા બાળી નાખ્યા. ગૌમાતાની પૂજા આટલાથી અટકતી ન હતી. સૌથી વધુ વક્રોક્તિ તો એ હતી કે, ગાયના મૃત્યુનો સમય નક્કી કરવા ગાયનું શબ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યું. અને એ ટોળાએ દશેરાની ઉજવણી પૂરી કર્યાનો નિરાંતનો દમ લીધો. હિંદુ ધર્મના મિથકમાં અસુર વધની જેમ. 

નાયબ પોલીસ અધીક્ષક, સીટી મેજિસ્ટ્રેટ, નાયબ તાલુકા મામલતદાર અને લગભગ પચાસ પોલીસ કર્મચારીઓની હાજરીમાં સાંજે છ વાગ્યાથી શરૂ થયેલું આ રમખાણ રાતના દસ વાગ્યા સુધી ચાલ્યું. ધર્મના નામે, ગૌવધના નામે ખેલાતા રાજકારણમાં ગામેગામ ગૌરક્ષા સમિતિઓ ઊભી થઇ ગઇ.

14 ઓગસ્ટ 2014ના દિવસે હરિયાણામાં માંસના મુસ્લિમ વેપારીને દિલ્હીની સરહદે મારી નાખવામાં આવ્યો. 23 ઓગસ્ટ 2024ના રોજ પમ્પવેલ, કર્ણાટકમાં પશુઓને લઇ જતી વાન પર ટોળાએ હુમલો કર્યાો. 28 સપ્ટેમ્બર 2015માં ઉત્તર પ્રદેશમાં દાદરી ગામે હુમલાખોરોએ બાવન વર્ષના મહમદ અખલકની હત્યા કરી અને તેના પુત્ર ડેનીશને ઇજાગ્રસ્ત કર્યા. મુસ્લિમ સામે હિંસા આચરવાનું સૌથી સબળ કારણ હતું “ગૌહત્યા”. 

સેન્ટર ફોર સ્ટડીઝ ઇન ઇન્ટરનેશનલ રીલેશનCERT)ના રીસર્ચ ફેલો અને જાણીતા લેખક ક્રીસ્ટોફ જેફ્ફરલોટ લખે છે, “ગૌરક્ષકોની કામગીરી શાસકોને અનુકૂળ છે. આ કહેવાતી સ્વયંભૂ હિંસાથી રાજ્ય કસુરવાર પણ થતું નથી અને હિન્દુવાદી અનુયાયીઓ કાયદો તેમના હાથમાં લે છે ત્યારે તેમનો શુભાશય સ્વધર્મના રક્ષણનો હોય છે. આ વ્યવસ્થાનું નૈતિક અને રાજકીય અર્થકારણ તો એથી પણ વધુ સુસભ્ય છે : રાજ્ય લઘુમતીઓને ખુલ્લેઆમ હેરાન કરી શકે નહિ પણ આ સ્વયંસેવકોને તેમ કરવા દઇને સરકાર બહુમતીની લાગણી પોષે છે.”

ગૌહત્યાના નામે ચર્મકારો પર હિસક હુમલા કરી તેમને આર્થિક રીતે પણ પાયમાલ કરવાની આ દિશામાં ગુજરાતમાં સર્જાયેલો “ઉનાકાંડ” અને તેની સામે ઊભો થયેલો પ્રતિરોધ અને પ્રત્યાઘાત સ્વાભિમાન ઝંખતા દલિતોનું લોક આંદોલન હતું. 11 જુલાઇ 2016ના રોજ ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના ઉના નજીક મોટા સામઢિયાળા ગામમાં એક દલિત પરિવારના સાત સભ્યો મૃત ગાયનું ચામડું ઉતારતા હતા. ત્યાં બે ગાડીમાંથી કેટલાંક માણસો ઉતર્યા અને ગૌરક્ષકો હોવાનો દાવો કર્યો. દલિતોએ આ ગૌરક્ષકોને તેઓ મૃત ગાયનું ચર્મકામ કરતા હોવાનું જણાવ્યું. પણ તેમની વાત સાથે આ માણસો સંમત થયા નહિ. એ લોકોએ ચર્મકારોને લોખંડની પાઇપ, લાકડી અને ચાકુથી માર્યા. ત્યારપછી તેમાન ચાર દલિતોને ગાડીમાં નાખી ઉના ગામે લઇ ગયા અને ત્યાં તેમના કપડાં ઉતારી ફરી જાહેરમાં માર્યા. અને આ હુમલાનો વીડિયો ઉતારી વાઇરલ કર્યો. 

હિન્દુવાદી વીરતા પ્રદર્શનના આ પ્રયોગે ગુજરાતના દલિતોને ઝકઝોર્યા. મહારાષ્ટ્રના દલિતોની જેમ. મહારાષ્ટ્રના ખેલરાંજી ગામે એક જ પરિવારના તમામ સભ્યોની ધોળે દિવસે જાહેરમાં નિર્મમ હત્યાના પગલે મહારાષ્ટ્રના દલિતોનો આક્રોશ ભભૂક્યો એ પછી જ આ ક્રૂરતાની સમગ્ર દેશે નોંધ લીધી હતી. ગુજરાત અને મહારાષ્ટ્રમાં ખાસ કરીને દલિતોની ભાતૃત્વ ભાવના વર્ષોથી ઘણી મજબૂત છે. બંને રાજ્યોના દલિત સંઘર્ષની તવારીખ અને સ્વરૂપ ઘણા મળતા રહ્યા છે. ઉનાકાંડે આ ભાતૃત્વ દોહરાવ્યું. આત્મવિલોપનના ત્રેવીસ બનાવો બન્યા, તેમાં એક વ્યક્તિનું મૃત્યું પણ થયું. કલેક્ટર કચેરી આગળ મરેલા ઢોર નાખવાના દેખોવો પણ થયા અને ચર્મકામ નહિ કરવાના શપથ લેવાયા. આ એક લોકજુવાળ હતો. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ હેઠળ મોટી સભા યોજાઇ અને “દલિત અસ્મિતા યાત્રા”એ સૌરાષ્ટ્ર પંથકને ઘમરોળી દીધો. દલિત સ્વાભિમાનને લોહીલુઙાણ કરતા બોલતા પુરાવાને પરિણામે પોલીસ અધિકારી સહિત 43 લોકોની ધરપકડ કરવામાં આવી. પણ યુવા વર્ગથી સમાજકારણની નવી ધરી રચાય, આંબેડકરવાદી વિચારધારા તેના ખરા સ્વરૂપે મજબૂત થાય અને દેશની નિર્ણય પ્રક્રિયામાં દલિતો સહભાગી બને તે સ્થિતિએ દલિતો પહોંચે તે વખત માટે કદાચ ઘણી રાહ જોવી પડશે. 

1995માં કેશુભાઈની સરકાર વખતે પહેલીવાર પર્યુષણ દરમિયાન અઠવાડિયું કતલખાના બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી. વિદ્વાન ધારાશાસ્ત્રી અને માનવ હક હિમાયતી સ્વ. ગિરીશભાઈ પટેલ રાઇટ ટુ ફુડના સિદ્ધાંત પર હાઇકોર્ટમાંથી આ નિર્ણય સામે સ્ટે ઓર્ડર લઇ આવ્યા. કાનૂની માર્ગે આવી પ્રખર વિદ્વતા અને પ્રતિબદ્ધતાની ખોટ વર્તાય છે. 

         જાતપાંત કે ફેરમાંહિ, ઉરઝિ રહઇ સબ લોગ 

         માનુષતા કૂં ખાત હઇ, રૈદાસ જાત કર રોગ. 

જાતપાતની અધોગતિને સંત રોહિદાસ સદીઓ પહેલા પારખી ગયેલા. કદાચ સ્વાનુભવે આ પંક્તિઓ તેમના મુખેથી સરી પડી હશે. સમગ્ર માનવજાતની ચિંતા કરતા આ સંતે કહેલું જાતિવાદના ચક્કરમાંથી માણસ જાત બહાર નહિ આવે તો આ રોગ સંપૂર્ણ માનવતાને ભરખી જશે. તેમણે વિચારેલું “બેગમપુરા” એટલે કે કોઇપણ ગામ. દુ:ખ વગરનો સમતામૂલક સમાજ રચાવાના એંધાણ હજી દેખાતા નથી. તેમના શબ્દોને આચરણમાં મુકવાને બદલે પરંપરાગત વિષમતાઓ વધુ જડબેસલાક બનતી દેખાય છે. 

જેલવ્યવસ્થા અને ગુનાઇત માનસ બદલવાના ઘણા પ્રગતિશીલ પ્રયોગો વિશ્વભરમાં થઈ રહ્યા છે. છેલ્લી કક્ષાએ જઇ માણસના સ્વાભિમાનનું હનન કરીને તેનો દેખાડો કરવાની હિન વૃત્તિ બદલવાનો ઇલાજ કદાચ સંત રોહિદાસના આ દોહામાં છે. આ સત્યના પ્રયોગોથી આવી ગુનાખોરી ડામી શકાતી હોય તો જાતિવિહીન સમાજ રચના સાકાર થશે.

e.mail : sanita2021patel1966@gmail.com

Loading

દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|26 March 2026

દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી

અત્યાચાર મુદ્દે વાજબી ઊહાપોહ ને પ્રતિકાર વચ્ચે વેતન ને રોજગાર ક્ષેત્રે થતાં શોષણનો મુદ્દો જો ચુકાઈ જાય તો વર્ણ ને વર્ગની જે પાયરીએ દેશના સૌ દલિતદમિત છે, એમનો સર્વાંગી વિકાસ કેમનો થાય, એ પાયાનો સવાલ છે.

પ્રકાશ ન. શાહ

મહાગુજરાત એસ.સી. એસ.ટી. મહાસભાની રવિવારી ચિંતનશિબિરમાંથી જે મુખ્ય વિચાર સૂર એકંદર દલિત આંદોલનની દશા અને દિશાને અંગે ઊઠ્યો છે, એ વિપળવાર પણ વહેલો નથી. બલકે, એક પ્રજાસત્તાક સ્વરાજ તરીકે ચાલુ અગર બાકી ખેંચાતી સ્વરાજલડતની રીતે તે મોડો નહીં તો પણ મંદ ને મંથર જરૂર છે. 

સામાન્યપણે દલિત સવાલને અનુલક્ષીને જાહેર સહવિચારની કોશિશમાં તત્કાળ સામે આવતાં નિમિત્તો અનામત બેઠકો અને અત્યાચાર(એટ્રોસિટી)નાં હોય છે. બંને મુદ્દા ખોટા અલબત્ત નથી. સ્વતંત્રતા અને સમાનતાએ જો સાથે લગાં જવાનું હોય (અને એ અનિવાર્ય પણ છે) તો શિક્ષણથી માંડી સંસદીય પ્રતિનિધિત્વમાં અનામત અંગેની જોગવાઈ તેમ જ કેમ જાણે કોઈ વર્ણગત ખરીતો હોય તેમ દલિતો પરના અત્યાચાર બાબતે સભાન ને સતર્ક એટલા જ સંવેદનશીલ રહેવું તે આપણી હાડની જરૂર છે. એ સિવાય આપણી લોકશાહી હાડેતી થઈ શકવાની નથી. 

પણ, શું દેશના દલિતકારણને આપણે આ બે જ બાબતોની આસપાસ સીમિત કરી નાખવું છે? દલિત બિરાદરી કથિત નીચલી પાયરીએથી ઉપલી પાયરીએ ચઢતી થાય અને વર્ણ તેમ વર્ગની જંજીરો તૂટતી થાય તે માટે આજુબાજુનાં કેટલા વાનાં સાંધવાનાં છે, એ બધો વખત આપણા લક્ષમાં આવતું નથી. 

આ વ્યાપક અભિગમપૂર્વક જોઈએ તો એસ.સી.એસ.ટી. મહાસભામાં ચાલેલું વિચારમંથન, ખાસ કરીને વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ ઊહાપોહભેર ઉપસ્થિત કરેલા મુદ્દા ધ્યાનાર્હ બની રહે છે. 

સામાન્ય વિચાર કરીએ તો પણ સમજાઈ રહે છે કે આપણે જેને ખેતમજૂર નામની વર્ગીય ઢબની ઓળખ આપીએ છીએ તે ઘણુંખરું દલિત હોય છે. એને સારુ લઘુતમ વેતનથી માંડી રોજગાર ગેરન્ટી યોજનાનું મહત્ત્વ સ્વયંસ્પષ્ટ છે. અત્યાચાર મુદ્દે વાજબી ઊહાપોહ  ને પ્રતિકાર વચ્ચે વેતન ને રોજગાર ક્ષેત્રે થતાં શોષણનો મુદ્દો જો ચુકાઈ જાય તો વર્ણ ને વર્ગની જે પાયરીએ દેશના સૌ દલિતદમિત છે, એમનો સર્વાંગી (ખરું જોતાં સર્વાગ્ર) વિકાસ કેમનો થાય, એ પાયાનો સવાલ છે. 

મહાગુજરાત એસ.સી.એસ.ટી. મહાસભાની બેઠકમાં જેને અંગે ચોંપ ને સક્રિયતા જરૂરી છે તેવા આંદોલન મુદ્દાઓની જે સૂચિ ઊભરી રહી એની એક ત્વરિત તપશીલ અહીં આપીએ તો ઘરના ઘરની સોઈ સારુ જમીન, કારખાનાંમાં ધોરણસરનાં વેતન, ‘હાયર એન્ડ ફાયર’ની મનમાની વચ્ચે અનિવાર્યપણે અનુભવાતી અસલામતી અહીં સાંભરે છે તો એ પણ સાથોસાથ નોંધી લઈએ કે મહેસૂલી કાયદા અન્વયે જમીન વહેંચણીની પ્રક્રિયા આપણે ત્યાં (જે ‘ગુજરાત મોડેલ’ પંકાય છે તેમાં) સને 2008થી સ્થગિતવત્ છે. જિજ્ઞેશ મેવાણીએ અને ઉમેશ સોલંકીએ ક્યારેક લોકસમિતિના ચુનીભાઈ વૈદ્યની સાથે રહીને સાંથણીની જમીનોનુંયે કામ કરેલું છે. કોઈ કેવળ રાજકીય પ્રાણી કે કેવળ રાજકીય પ્રાણી કે કેવળ બૌદ્ધિ પાણી જેવા બંધારણ એમનાં નથી. એમણે જમીની હકીકત સાથે કામ પાડેલું છે. જેને ‘એલોકેશન ઓફ રિસોર્સિઝ’ કરીએ છે એને અન્વયે વાસ્તવિક સંપ્રાપ્તિમાં દલિતો ક્યાં છે, એ પણ પાયાનો તપાસ મુદ્દો છે, – અને હા, લડતમુદ્દો પણ. 

2012ની થાનગઢ ઘટના કે 2016ની ઉના ઘટના, રોજિંદા સમાજજીવનમાં જે અપરિભાષિત એવી ત્રાસદી અનુભવાય છે એનું પેલા હિમદુર્ગ પેઠે એકદશાંશમું ટોચકું હોય તો હોય એ આપણું દુર્દૈવ વાસ્તવ છે. 

અહીં, સ્વરાજને આઠ-નવ વરસ થવામાં હશે અને બનતે બનતે રહી ગયેલી એક ઘટનાનું સ્મરણ થાય છે. વર્ગચિંતનના એકંદર સમાજવાદી માહોલ વચ્ચે રામ મનોહર લોહિયા એક દેશજ ભૂમિકાએ ઊભીને વિચારતા હતા અને એથી વર્ણસભાન ધોરણે ‘પિછડે પાયે સોમેં સાઠ’તરેહનું સૂત્ર પણ એમણે આપ્યું હતું. એમની ઇચ્છા આંબેડકર સાથે મળીને વ્યાપક આર્થિક-સામાજિક બુનિયાદ પર રાજકીય વિકલ્પમાંડણીની હતી. પણ એ માટેની મુકરર તારીખ પૂર્વે જ આંબેડકર ગયા અને આ વિકલ્પખોજ અધૂરી રહી. આપણે ત્યાં બક્ષી પંચથી માંડી મંડલ સહિતના ટુકડા ટુકડા વચ્ચે ગાંધીના રેડિકલ સર્વોદય કે લોહિયાની સપ્તક્રાંતિ અગર જયપ્રકાશના સંપૂર્ણક્રાંતિ દર્શન વગર બધું ઊણુંઅલૂણું.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 25 માર્ચ 2026

Loading

...102030...79808182...90100110...

Search by

Opinion

  • એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”
  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે
  • ચલ મન મુંબઈ નગરી—353

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ
  • લૂંટ શકે તો લૂંટ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved