Opinion Magazine
Number of visits: 10080366
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આ યુદ્ધ કોણ અટકાવી શકે? … એને સંભવ બનાવનાર સત્તા અને જનતા 

આશા બૂચ|Opinion - Opinion|23 March 2026

પોણા ભાગના દેશો સીધી કે આડકતરી રીતે વર્તમાન સમયમાં ચાલતા યુદ્ધમાં જોડાઈ ગયા છે.

સવાલ એ છે કે આ બધી લડાઈઓ જરૂરી હતી? આ યુદ્ધ કોણ અટકાવશે?

જંગ છેડવાનો નિર્ણય કોણ લે? પહેલાના જમાનામાં રાજાઓ અને તેના વઝીર નક્કી કરતા. કાં તો પોતાના રાજ્યની સીમા પર ચડી આવતા બીજા રાજાને રોકવાનો અથવા પોતાના રાજ્યના સીમાડા વધારવાનો હેતુ રહેતો. હા, એ લોકો પણ મિત્ર રાજ્યોને કુમક જરૂર મોકલતા.

રાજાશાહીનું સ્થાન કહેવાતી લોક્શાહીએ લીધું. હવે ‘સહુ ચલો જીતવા જંગ બ્યુગલો વાગે, યા હોમ કરીને પડો ફત્તેહ છે આગે’ એવું રણશિંગુ ફૂંકવાનું માન જે તે દેશના પ્રેસિડેન્ટ કે વડા પ્રધાનને મળે છે.

યુદ્ધ શરૂ કરવાનો દોષ બસ એક, બે કે ત્રણ પ્રેસિડેન્ટ કે વડાmપ્રધાનને જ આપી શકાય, પણ તેને ટેકો આપવા માટે અસંખ્ય લોકો જવાબદાર ઠરે.

લડાઈને સંભવ બનાવનાર લોકોની તો બહુ મોટી સાંકળ હોય છે.

એના મૂળથી જ શરૂઆત કરીએ. શસ્ત્રો બનાવવા માટે કાર્બન અને સ્ટેઇનલેસ સ્ટીલ, એલ્યુમિનિયમ અને મિશ્ર ધાતુઓ, કાંસુ અને પિત્તળ, સીસું અને ટાઇટેનિયમ જેવી ધાતુઓની જરૂર પડે. ઉપરાંત વધુ આધુનિક (એટલે કે વધુ વિધ્વંસક) શસ્ત્રો બનાવવા માટે પોલિમર્સ અને કાર્બન ફાઇબર પણ આવશ્યક માલ ગણાય. અને હા, કાચ અને લાકડા જેવો સાધારણ કાચો માલ તો જોઈએ જ પરંતુ અણુશસ્ત્રો બનાવવા યુરેનિયમ અને પ્લુટોનિયમ મેળવવા પણ અનિવાર્ય ગણાય. (શરત એટલી કે તમે ઇસ્લામિક દેશના ન હોવા જોઈએ.). હવે આ ધાતુઓ અને અન્ય કેમિકલ્સની ખાણ અને ફેકટરીઓમાં કામ કરનાર મજૂરો અને કામદારો જો માલિકોને કહે કે આ તમામ કાચા માલનો ઉપયોગ માનવ જીવનને સુગમ બનાવવા, તેને સુરક્ષિત રાખવા અને વિકસિત કરવા વાપરી શકાય છે એ અમે જાણીએ છીએ; માટે જેટલા પ્રમાણમાં આ ધાતુઓ દેશની ‘સુરક્ષા’ એટલે કે જો કોઈ દેશ તમારી સીમા પર આક્રમણ કરે તો માત્ર અને માત્ર સ્વબચાવ માટે જરૂરી એટલાં શસ્ત્રો પૂરતો જ ધાતુનો પુરવઠો તમને આપીશું, બાકીનો તેના માનવહિતના ઉપયોગ માટે સંસાધનો બનવનારાને આપીશું. તો કાચા માલના અભાવમાં આધુનિક શસ્ત્રોની સંખ્યા આપોઆપ ઓછી થઇ જાય અને મિ. ટ્રમ્પ ‘ચિંતા ન કરો, અમારી પાસે અખૂટ શસ્ત્ર ભંડાર છે, અમે ભૂમધ્ય પ્રદેશના બધા દેશોને ખતમ કરી કાઢશું.’ એમ ન કહી શકે.

આ સાંકળનો બીજો મણકો છે નિત નવીન શસ્ત્રાસ્ત્રો બનાવવા સંશોધન કરનારી અને બનવનારી ખાનગી તેમ જ સરકારી કંપનીઓ. BAE, લોકહીડ માર્ટિન, નોરથોર્પ ગ્રૂમન વગેરે જેવી કંપનીઓમાં કામ કરતા કામદારો, એન્જિનિયર્સ, ઇન્સ્પેકટર્સ વગેરેને કોઈ દિવસ વિચાર નહીં આવતો હોય કે મારા ભાણામાં જે રોટલો આવે છે એ તો અન્યનો નાશ કરે તેવાં સાધનો બનાવવામાંથી મળે છે? આ જ હાથથી હું વાહનનોના પાર્ટ્સ, મકાન માટે જરૂરી મશીનો વગેરે ન બનાવી શકું? અત્યાર સુધી અમેરિકા, રશિયા, યુરોપ અને દક્ષિણ કોરિયા જેવા દેશો આ ઉદ્યોગમાં આગેવાની કરતા હતા, પરંતુ ભારતમાં પણ સરકારી તેમ જ ખાનગી કંપનીઓ શસ્ત્ર ઉત્પાદનમાં મોટો ફાળો આપી રહી છે. (‘અહિંસા પરમો ધર્મ’ એ આપણા ધર્મનો મુખ્ય મંત્ર છે એ વાત હમણાં નહીં યાદ કરવાની). હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ, ભારત ઇલેક્ટ્રોનિક્સ, ટાટા એડવાન્સ સિસ્ટમ્સ, જેવી કંપનીઓ ઉત્પાદન કરે અને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વધુ સંહારક અને અચૂક નિશાનબાજ શસ્ત્રો માટે સંશોધન અને ડિઝાઈનનું કામ કરે. કેવો સહકારી ઉદ્યોગ! તો આ બંને ઉદ્યોગોમાં કામ કરતા વૈજ્ઞાનિકો, નિષ્ણાત એન્જિનિયર્સ વગેરે સુરક્ષા મંત્રાલયને જરૂર કહી શકે કે અમારા શસ્ત્રાસ્ત્રોના તમામ સંશોધન અને ઉત્પાદન અમે માત્ર ‘આપણા’ દેશની સુરક્ષા માટે જ આપીશું. અને પછી જુઓ કે આ વિશ્વયુદ્ધ છેડવાની કોની હિંમત થાય છે.

શસ્ત્રો અને હવે તો જેને ‘War intelegence’ કહેવામાં આવે છે એ કમ્પ્યુટર ટેક્નોલોજી વગેરેની લે-વેચ કરનારી કંપનીઓ તો યુદ્ધ કરવા માટે બહુ મોટે પાયે જવાબદાર છે. યુ.એસ.એ., રશિયા, ચીન અને યુરોપના ઘણા દેશોની કંપનીઓ લડાયક વિમાનો, મિસાઇલસ અને સંરક્ષણ માટેની ટેક્નિક પણ વેંચવાનું કામ કરે છે. એ મોતના વેપારમાંથી મહાકાય કંપનીઓ લખલૂટ ધન કમાય છે. એકાદ ઉદાહરણ આપવું પૂરતું થઇ રહેશે; લોકહીડ માર્ટિન વર્ષે દહાડે 60 બિલિયન યુ.એસ. ડોલર કમાય છે. શસ્ત્રોના વેપાર કરનારી કંપનીઓમાં કામ કરતા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરથી માંડીને નાનામાં નાના વહીવટ કર્તાને દુનિયામાં બીજો કોઈ વ્યવસાય નહીં મળ્યો હોય કે આવા મહાન સંહારક શસ્ત્રોની લે-વેચનો ધંધો કરે છે? શસ્ત્રોના વેચાણ-ખરીદીમાં ભાગીદાર તમામ કર્મચારીગણ અને તેના વડાઓ રાજકીય નેતાઓને ટેકો આપવાનું બંધ કરે તો યુદ્ધ સંભવ જ નહીં બને.

પુરાણ કાળમાં સૈનિકોને રણસંગ્રામમાં સામસામે લડાઈ કરવા મોકલવામાં આવતા હતા. પોતાના પતિ અને પુત્રોને ગુમાવવાનું પોસાય નહીં એટલે હવે લડાયક વિમાનમાંથી મિસાઈલ ફેંકીને કામ પતાવાય છે. તેમાં પણ વિમાન પર હુમલો થવાથી જાનહાનિ થવા લાગી. હવે પ્રગતિ થઈ, ડ્રોનથી ઘેર બેઠા ‘ટાર્ગેટ’ પર રિમોટ કંટ્રોલથી મિસાઈલ મોકલીને થોડી મિનિટોમાં વધુ નાગરિકો – જેમાં મુખ્યત્વે બાળકો, સ્ત્રીઓ, વૃદ્ધો – કે જેને આ યુદ્ધ સાથે કોઈ લેવા દેવા નથી હોતી તેમનો નાશ કરી શકાય. રશિયા અને અમેરિકાએ દુનિયાના ઘણા દેશોમાં શાસકો બદલીને ત્યાં ‘શાંતિ’ (કે અશાંતિ?) સ્થાપવાનો ઠેકો લીધો છે એટલે બીજા વિશ્વયુદ્ધ બાદ જે દેશ પાસે પૂરતાં શસ્ત્રો ન હોય એ દેશો પ્રત્યે અનુકંપાથી પ્રેરાઈને મદદ કરવા આવી જ પહોંચે. તો એ દેશોની પ્રજામાં એટલી હામ કેમ નથી કે પોતે ચૂંટીને મોકલેલા મંત્રી, વડા પ્રધાન કે પ્રેસિડેન્ટને પોતાની ફરજનું ભાન કરાવે અને આ માનવ સંહાર રોકવા સામૂહિક અસહકારની ચળવળ શરૂ કરે?

આજથી બે વર્ષ પહેલા દુનિયા આખીના દેશોએ આ યુદ્ધ પાછળ 2.7 ટ્રિલિયન યુ.એસ. ડોલર ખર્ચ્યા હોવાનો અંદાજ છે. (એક ટ્રિલિયનમાં કેટલા શૂન્ય હોય એ મને ખબર નથી પણ ગણ્યા ગણાય નહીં એટલા તો ખરા જ). મોટા ભાગના દેશોમાં સંરક્ષણનું બજેટ તેના સ્વાસ્થ્ય, માળખાંકીય વ્યવસ્થા, શિક્ષણ અને સમાજ સુરક્ષાના અંદાજનો સરવાળો કરો તેનાથી પણ વધી જાય! વિજ્ઞાન, સંશોધન, વિદેશી સહાય, પર્યાવરણ સુરક્ષા કે માનવ હિતને ઉપયોગી ટેકનોલોજી પર ધન ખર્ચવાને બદલે યુદ્ધ સામગ્રી પર આટલો ખર્ચ થાય એ દેશની પ્રજા શાંત કેમ બેસી રહે?

આખી દુનિયા ‘સંરક્ષણ’ પાછળ ખર્ચ કરે છે તેના 60% ખર્ચ અમેરિકા, રશિયા, ચીન , જર્મની અને ભારત ભોગવે છે, કે જે કોઈ પણ રાજ્યની નાણાંકીય અગ્રતાક્રમને અતિક્રમી જાય છે. અહીં સવાલ જરૂર થાય કે કયા દુ:શ્મનથી ‘સંરક્ષણ’ કરવા આટલો જાલિમ ખર્ચ કરવાનું વ્યાજબી ઠરે? યુક્રેઇન રશિયાની જમીન પચાવી પાડીને તેનાં ઢોર ઢાંખર ઓળવી ગયું હતું? ઈરાન ઇઝરાયેલના ખેતરોમાંથી પાક ઉઠાવી લઇ ગયું? આપણી આવનારી પેઢી આપણને નીચે આપ્યું છે એ વિધાન માટે સવાલ કરશે. શું જવાબ આપશું? કોસ્ટારિકા પાસે લશ્કર નથી, કયા દેશે તેના પર આક્રમણ કર્યું? એ દેશે કોના સંહારમાં ભાગ પડાવ્યો?

સ્વીકારવું અઘરું થઈ જાય પણ યુદ્ધના કેટલાક આડકતરા ફાયદા પણ છે. લડાઈને પુષ્ટિ આપવા ટેક્નોલોજી અને મેડિકલ ક્ષેત્રમાં ઘણા સંશોધન થયા જે લાંબે ગાળે શાંતિના સમયમાં રોજિંદા જીવનને સુરક્ષિત અને નિરોગી બનાવવામાં લાભદાયી પણ થયા. કેટલાક કિસ્સાઓમાં સમાજને આર્થિક ફાયદો પણ થતો હોય છે અને રાજકારણમાં પણ ઇચ્છિત બદલાવ આવતો હોય છે, જેમ કે દમનકારી શાસનનો અંત અને મહિલાઓની વિવિધ ક્ષેત્રોમાં ભાગીદારી. જો કે સામે પલ્લે માનવોની જાનહાનિ અને  સામાજિક અને આર્થિક પાયમાલીનો હિસાબ મૂકીએ તો એનું પલ્લું જ નમે એ નિઃશંક છે.

યુદ્ધના આ આંગળીને વેઢે ગણાય એવા ફાયદાઓની તોલે માનવજાતને ભારે કિંમત ચૂકવવી પડે છે એ કેમ ભુલાય? સૈનિકો અને હવે તો અગણિત સંખ્યામાં જાન ગુમાવતા નાગરિકો, તેમના પરિવાર જનો અને પૂરા સમાજને ભારે ખોટ અને નુકસાન ભોગવવા પડે. શારીરિક અને માનસિક આઘાતથી પેઢીઓ સુધી જનતા સબડે, દેશને ટકાવી રાખનાર અને સંચાલિત કરતા માળખાનો નાશ થાય, પર્યાવરણની સુરક્ષા પર આવતી કટોકટી અને લાંબા ગાળા સુધી બેઠા ન થઇ શકાય તેવી આર્થિક પાયમાલી થાય એ કંઈ નાનુંસૂનું નુકસાન નથી.

લડાઈની માનવ અને માનવેતર જીવો પર બુરી અસરો તો રામાયણ અને મહાભારત કાળમાં થયેલ યુદ્ધ સમયે પણ પડી હતી. ત્યારે ઘોડા અને હાથી મરાયા હશે, ખેતરો રોળાઈ ગયા હશે, પાકને નુકસાન થયું હશે. સૈનિકો મરાયા અને ઘવાયા હતા એ ખરું. પણ તલવારના ઘાથી કેટલાકને મારી શકાય? અને એ સૈનિક સામા રાજ્યના સૈનિકને હણી શકતો. મિસાઈલ અને બૉમ્બ કેટલા હજારને મારી શકે? એ દુ:શ્મન દેશના સૈનિક + રસ્તે ચાલતા નાગરિકો + શાળામાં ભણતા વિદ્યાર્થીઓ + હોસ્પિટલમાં સારવાર લેતાં દર્દીઓ એવી તમામ નિર્દોષ પ્રજાને ખતમ કરી નાખે. આધુનિક ‘એડવાન્સ’ શસ્ત્રો જમીનનો રસકસ ચૂસી લે, હવામાં ઝેર ફેલાવે, પાણી અને ખોરાકને પ્રદૂષિત કરી મૂકે, જંગલો બરબાદ થઇ જાય, ઝેરી ગેસના ફેલાવા દાયકાઓ સુધી જનતાને રંજાડે અને ગ્રીન હાઉસ ગેસની જોખમી અસરો પેઢી દર પેઢી ભોગવવી પડે. પૂછો હિરોશિમા અને નાગાસાકીના માનવ સંહારમાંથી બચી જવા પામેલી જનતાને. અશ્મિભૂત ઇંધણ અને બીજા કુદરતી સંસાધનોનો લખલૂટ ઉપયોગ યુદ્ધોમાં થાય છે એ આપણે સહુ જાણીએ છીએ, તો પણ યુદ્ધ નિવારવાના કે અટકાવવાના કોઈ પ્રયાસ કેમ થતા નથી? જ્યાં સુધી યુદ્ધની નીતિ ઘડનારા અને હુકમ આપનારા અને શસ્ત્રો બનવનારા લોકોના પરિવાર જનો જાન નથી ગુમાવતા ત્યાં સુધી આ સંહાર ચાલુ રહેશે.

જાનહાનિના આંકડા તો માત્ર બે પગે ચાલતા અને બોલી શકતા માનવીઓની વાત કરે છે. જળ, આકાશ અને જમીન પર રહેતાં પ્રાણી માત્ર, જેની વાચા આપણે સમજી નથી શકતા તેના વિનાશનો કોણ વિચાર કરશે? NATO, U.N, Red Cross, યુનિસેફ જેવા આંતરરાષ્ટ્રીય સંગઠનો રચાયાં, શું કરે છે એના સભ્ય દેશો આ આગ ઓલવવા? ઊલટાનું હાર્યો જુગારી બમણું રમે એ ન્યાયે આજે હારેલા દેશો વધુ શસ્ત્રો બનાવીને લડશે અથવા આતંકવાદીઓ પેદા કરીને બદલો વાળશે અને 20/25 વર્ષમાં બીજી લડાઈ શરૂ થશે.

યુદ્ધનો વિચાર માનવ મનમાં પેદા થાય છે. યુદ્ધ ખેલવા માટે ‘બીજા’ લોકો માટે નફરત અને ધિક્કારની લાગણી હોય તો જ તેના હાથ શસ્ત્રો ઉગામે. માનવ મનમાં અન્ય જાતિ કે દેશ વિરુદ્ધ મતભેદ, અણબનાવ અને સંઘર્ષ પહેલાં મુઠ્ઠીભર માણસોના મનમાં જાગે, એ લોકો તેનો પ્રચાર-પ્રસાર કરે અને એ ઝઘડા અને હિંસક લડાઈમાં પ્રગટ થાય. મોટા ભાગની લડાઈ અમારા દેશમાં બીજા લોકો અણહક્કના પેસી જશે, અમારો ધર્મ અભડાઈ જશે, અમારી રોજી રોટી છીનવાઈ જશે, અમારાં પ્રાકૃતિક સાધનો ઝુંટવાઈ જશે એવા ભયથી અથવા તો બીજાની જમીન પર કબજો મેળવવાની, બીજાના ધર્મનું નામોનિશાન મિટાવવાની વિકૃત મહેચ્છાઓથી પ્રેરિત થતી હોય છે. અને એ પ્રકારનો ભય ફેલાવવાનું કામ જે તે દેશના શાસકો જ કરતા હોય છે એ આપણે ક્યાં નથી અનુભવતા? તો હવે આવી મનોવૃત્તિથી મુક્ત એવા ‘માનવ’ અને ‘વિશ્વ નાગરિક’ ઘડવાનો સમય આવ્યો છે.

સામાન્ય રીતે સત્તારૂઢ વ્યક્તિઓ અને પક્ષો ભૂતકાળમાં બનેલી ઘટનાઓ, સહેવા પડેલા અન્યાયો વગેરેને કારણે લોકોમાં ઉદ્દભવેલી વેર ભાવના સતત પ્રજ્વલિત રાખતી હોય છે. જનતા એવા નેતાઓ કરતાં વધુ શાણી હોય છે. જનતાએ પોતાના સામૂહિક શાણપણમાં હિંમત ભેળવીને અવળે રસ્તે ગયેલા નેતાઓને સાચો માર્ગ બતાવવાનો રહે છે.

બીજા વિશ્વયુદ્ધ પછી 1946માં બાળકોના અધિકારોની સુરક્ષા કરવા, તેમના સ્વાસ્થ્યની બાંહેધરી આપવા, તેમને પોષક આહાર અને રોગપ્રતિકારક રસી પૂરી પાડવા અને કટોકટીના સમયમાં રાહત પૂરી પાડવા માટે યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડની રચના કરવામાં આવી.  કરુણતા તો જુઓ, યુનિસેફ દ્વારા આજે આ વીડિયો તૈયાર કરવામાં આવી છે. (જેની લિંક નીચે સામેલ છે). એ બાળ કલાકારો દર્દભર્યા સૂરોમાં સવાલો પૂછે છે તેનો સારાંશ:

“કોઈ માણસ મોત નથી ચાહતું એ તો નિશ્ચિત છે, તો અમને કહેશો આ લડાઈ શા માટે કરો છો? મિ. પ્રેસિડન્ટ, હું જાણું છું કે તમે બાહોશ વ્યક્તિ છો, તો મને સમજાય એવા શબ્દોમાં કહેશો કે આ પૃથ્વી ઉપર કોઈ મા પોતાના વહાલા બાળકને રણઆંગણમાં ગુમાવવા નથી ઇચ્છતી તો આ સૈનિકો શા માટે એક કતારમાં માર્ચ  કરતા હોય છે? શા માટે તેઓ બીજાને ભયભીત કરવા અને જાન લેવા તત્પર થાય છે? હું આપને વધુ એક વખત પૂછું છું, આ યુદ્ધ શા કારણે કરો છો? મિ. પ્રેસિડેન્ટ, હું માત્ર નવ વર્ષનો છું, પણ મને જંગલમાં પણ મિસાઈલ અને ટેન્કનો ભય લાગે છે. આપ અમને કહો છો કે સાયરન વાગે ત્યારે બંકરમાં છુપાઈ જાઓ, પણ એ લડાઈના કારણની મને જાણ નથી. જ્યારે ફાયર બૉમ્બ અને રોકેટ આકાશમાંથી વર્ષે છે ત્યારે કેટલા લોકોના જાન જાય છે એ જાણો છો? તમને નાના બાળકોનાં રુદન સંભળાય છે? લોકો સામસામે આવી જાય છે, જો તક મળે તો તેઓ એકબીજાના મિત્રો થઈ શકે, પણ એ તક મળે તે પહેલાં તેઓ એકબીજાને ઠાર કરે છે. આ કેવી મુર્ખામી ભરી વાત છે? મને કહો, આ લડાઈ કયા કારણ સર લડો છો? દુનિયામાં વસતા અબજો લોકોને પૂછ્યું કે આ લડાઈ તમારી મુશ્કેલીઓને હળવી બનાવશે? કે માત્ર તમારા મળતિયાઓને આ યુદ્ધમાંથી તેઓ કેટલું ધન કમાશે એ પૂછ્યું જેથી ધિક્કારના બીજ વાવીને પોતાની પત્ની માટે એ લોકો હીરા જવેરાત ખરીદી શકે? કે પછી આ કોઈ ધર્મની બાબત છે કે કયો ભગવાન સ્વર્ગમાં શાસન કરે છે તેનો મામલો છે? સ્વર્ગ તો હોય કે ન પણ હોય મને એમ હતું કે ધર્મનો સંદેશ માત્ર પ્રેમનો જ છે. કે પછી આટલી બધી યાતના પહોંચાડવાના બીજા કોઈ કારણ છે? હું માનું છું કે હું બહુ નાનો છું, કદાચ મોટો થઈને આ વાતો સમજીશ.

https://youtu.be/Hvksaarg3Qo?si=2NFJdkgUq_1PTEE1

ભારતીય રચનાત્મક સમાજના કાર્યકરો ઝારખંડ, મણિપુર આસામ અને કાશ્મીર જેવા વિસ્તરોમાં યુવાનોને સંઘર્ષનો અહિંસક ઉકેલ લાવવા માટે તાલીમ આપે છે અને કહે છે કે हमें युद्ध नहीं बुद्ध चाहिए

e.mail : 71abuch@gmail.com

Loading

ઈરાની યુદ્ધ સુરતને પણ સ્પર્શ્યું છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|23 March 2026

રવીન્દ્ર પારેખ

અમેરિકા-ઇઝરાયલ, ઈરાનને ભટકાયાં છે ને 22-23 દિવસ થયા તેનો છેડો આવતો નથી. યુદ્ધનાં કારણો ગમે તે હોય, પણ તેની આડ અસરોથી ભારત મુક્ત નથી. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાની યુદ્ધવીરો એકબીજાને પછાડીને પોરસાતા હશે, પણ એમને ભાન જ નથી કે તેમને તો ઘસરકોય પડ્યો નથી, પણ ભારત, તેના કોઈ વાંક વગર અમસ્તું જ દંડાઈ રહ્યું છે. યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યાં તો લોહી રેડાયું જ છે ને નિર્દોષોનો ભોગ પણ લેવાયો છે. આ નિર્દોષો દુ:શ્મન દેશના છે, તો યુદ્ધ ખેલનારા દેશના પણ છે. એમણે કોઈ દેશનું કંઇ બગાડ્યું નથી, મરનારને તો ખબર પણ નથી કે તે શું કામ મરી રહ્યો છે, પણ મરે છે. કમ સે કમ નિર્દોષો માટે પણ યુદ્ધ અટકવું જોઈએ. યુદ્ધનાં સરવાળામાં જવાબ તો હાનિમાં જ આવે છે, ભલે પછી એ સરવાળો વિજેતા દેશનો જ કેમ ન હોય ! યુદ્ધ એટલે જ ખોટ ! જે થાય છે, સત્તા કમાવા, પણ કમાણી લોહીમાં આવે છે. દરેક દેશ એ માને છે, પણ રોકાતો નથી. યુગોથી ચાલે છે, યુદ્ધ, પણ તેનો અંત આવતો નથી. યુદ્ધખોર નેતાઓની સત્તાલાલસાઓ માટે કેટલા ય સૈનિકો અને સામાન્ય નાગરિકો કારણ વગર જ મોતને વહાલું કરી રહ્યા  છે.

યુદ્ધની બીજી આડઅસરો એ છે કે એમાં સંડોવાનાર દેશો ઉપરાંત અન્ય દેશો સુધી તેની ઝાળ ફેલાતી હોય છે. ઈરાને ઇઝરાયલને ભડકે બાળ્યું છે, તો ઇઝરાયલે પણ ઈરાનના ખોમેનીનાં મૃત્યુ સહિત અન્ય નેતાઓને ઘાયલ કર્યા છે અથવા તો મોતને ઘાટ ઉતાર્યા છે. એમાં ઈરાને નાક દાબીને મોં ખોલાવવા હોર્મુઝ્ની ખાડી પરથી પસાર થનાર તેલના જહાજો પર બ્રેક મારી, એટલું જ નહીં ઇઝરાયલ ને ઈરાને  એ મુર્ખામી પણ કરી કે તેણે તેલ ક્ષેત્રોને જ ટાર્ગેટ કર્યાં ને તેલ, ગેસની વૈશ્વિક કટોકટી ઊભી કરી. તેલના કૂવાની નુકસાનીથી ઈરાનને જ નુકસાન નથી થવાનું, જે દેશો તેલ પર નિર્ભર છે, એમની પણ દશા બેસવાની છે, તે એટલે કે ઈરાનના હુમલાથી કતારમાં 17 ટકા એલ.એન.જી. ઉત્પાદન ઠપ થઈ ગયું છે.

22 માર્ચે ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહૂએ કહ્યું કે 21 માર્ચની રાત્રે ઈરાને સૌથી મોટો હુમલો કર્યો. એ હુમલા પરથી એવી અટકળો ચાલી છે કે ઇઝરાયલ ઈરાન પર પરમાણુ હુમલો કરી શકે છે. ઇઝરાયલને ઈરાનનો હુમલો સૌથી મોટો લાગ્યો તો તે પરમાણુ હુમલા સુધી જઈ શકે એવી સ્થિતિ છે, પણ હુમલા ઘટે તેવું નથી અમેરિકા, નથી ઇઝરાયલ નથી ઈરાન વિચારતું. બધા જ મરવા-મારવા પર આવી શકે છે, પણ બચાવવા કોઈ તૈયાર નથી એ દુ:ખદ છે.

આ કટોકટી લાંબી ચાલવાની છે. બીજી તરફ ઈરાન અડી ગયું છે, હોર્મુઝ સામુદ્રધૂની ખોલવા બાબતે. એટલે 22 દેશો ઈરાન વિરુદ્ધ એક થયા છે. આ દેશોએ હુમલાઓ અંગે ઈરાનને ચેતવણી આપી છે. એમ પણ લાગે છે કે ઈરાન યુદ્ધ આગળ ન વધે તેમ ઇચ્છે છે. ઈરાનના રાષ્ટ્રપતિએ ભારતીય વડા પ્રધાનને કહ્યું કે ઇઝરાયલ, અમેરિકા હુમલાઓ અટકાવે તો શાંતિ થઈ શકે. એક તરફ ઈરાન આવી વાત કરે છે ને બીજી તરફ તે હિંદ મહાસાગરમાં અમેરિકી બેઝ પર હુમલો કરે છે ને નાતાન્ઝ પરમાણુ મથક પર પણ હુમલો કરે છે. આનો નજીકમાં અંત આવે એમ લાગતું નથી. ઈરાને ભારતીય જહાજને હોર્મુઝ ખાડી પરથી પસાર થવા દીધું છે, પણ ગેસ, તેલની વૈશ્વિક તંગીમાં ભારત પણ સપડાયું છે. રાંધણગેસની તંગી સર્જાતાં રાંધણગેસ અને કોમર્શિયલ ગેસના બાટલાઓ પર રેશનિંગ આવ્યું છે.

સરકાર બોલે તો છે કે ગેસની સમસ્યાને પહોંચી વળાશે, પણ લોકોની ગેસના બાટલા માટેની લાઈનો અટકી નથી તે ભૂલવા જેવું નથી. ભારતે એવી ટકોર પણ કરી છે કે ક્રૂડ અને ગેસના કૂવા પર હુમલા અટકવા જોઈએ. સરકારે બધું ઠીક છે એ સૂર બદલીને ગેસ, પેટ્રોલ, ડિઝલની તંગીની વાસ્તવિક સ્થિતિ સ્વીકારી છે. એનો લાભ પણ લીધો છે ને તે પ્રીમિયમ પેટ્રોલ લિટરે 2.35 મોંઘું કરી ને ! આ વધારો પ્રીમિયમ પેટ્રોલ પૂરતો સીમિત નહીં રહે. સરકાર તકની શોધમાં છે, એ મળશે તો સાદું પેટ્રોલ પણ મોંઘુ કરશે એમાં શંકા નથી. એક તરફ તંગી છે ને બીજી તરફ સંગ્રહખોરીમાં પડીને વેપારીઓ હોજરી ભરી રહ્યા છે. ગેસની અછતને કારણે મોરબીના સિરામિક ઉદ્યોગમાં શટ ડાઉન લાગુ પડતાં 16,000 લોકોની નોકરી ગઈ છે તે આડઅસર જ છે.

ગેસની અછતને કારણે ખાદ્ય સામગ્રીઓ મોંઘી થઈ છે, તો કેટલીક હોટેલો ને લારીઓ બંધ થઈ છે ને કેટલીક હવે પછી બંધ થશે ને આવનારા દિવસો બધાંને વિતાડવાના છે એ નક્કી છે. ગેસના વિકલ્પો લાકડાં, કોલસામાં કે ઇન્ડક્શન સ્ટવમાં શોધાયા છે ને બધો ભાર ગ્રાહકો પર આવવાનું શરૂ થઇ ગયું છે. આમાં મરો મધ્યમ અને ગરીબ વર્ગનો થશે. ઝોમેટો એ તેની ફી 2.40 રૂપિયા વધારી દીધી છે. ગેસના ભાવો નિયંત્રિત કરવાના સરકારના પ્રયત્નો છતાં, ગેસના બાટલાઓ બ્લેકમાં ડબલ ભાવે વેચાયા છે. ટૂંકમાં, ગેસની અછત, તેનાથી સંબંધિત બધી ચીજ વસ્તુઓ મોંઘી કરશે ને તે લોકોએ વેઠ્યા સિવાય છૂટકો નથી. આ સંજોગોમાં ઘણાનાં કામ છીનવાયાં છે ને તેમને વતન હિજરત કરવાની ફરજ પડી છે. લડનારા લડે, તેમાં ભારતને શું? પણ એવું નથી. ગેસ, પેટ્રોલ, ડિઝલથી જે દેશો ઈરાન સાથે જોડાયેલાં છે, તે સૌની હાલત કફોડી થઈ છે કે થશે એમ અત્યારે તો લાગે છે. ઈરાનનું યુદ્ધ ભારતને તો ઠીક, લેવાદેવા વગર સુરતને પણ પરચો બતાવી ચૂક્યું છે.

આમ તો આ યુદ્ધ કેવળ અમેરિકાનો અહમ પોષવા ખેલાઈ રહ્યું છે ને અમેરિકી પ્રમુખ પોતાની ઇચ્છાઓ સંતોષવા યુદ્ધ કરી રહ્યા છે. એમાં ઇઝરાયલ જોડાયું તે કેટલું જોડાયેલું રહેશે તે સવાલ જ છે, કારણ ઇઝરાયલ-અમેરિકા વચ્ચે મતભેદો શરૂ થઇ ગયા છે. અમેરિકા પણ અમેરિકી પ્રમુખની ઘણી બાબતો સાથે સંમત નથી, પણ અત્યારે તો અમેરિકા, અમેરિકી પ્રમુખનું કૈં બગાડી શકે એમ નથી. આ શરમજનક છે, પણ તે છે એ સ્વીકાર્યે જ છૂટકો છે.

ઈરાની યુદ્ધની આડઅસર સુરતના કાપડ ઉદ્યોગ પર પણ પડી છે. ટેક્સટાઈલ ઉદ્યોગ કોઈ પણ વાંક વગર મોટી પછડાટ ખાય તેવી સ્થિતિ છે. યુદ્ધનાં કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો છે, તેથી  કાપડ ઉદ્યોગ પ્રભાવિત થયો છે. માત્ર યાર્ન જ નહીં, કોલસાની અછતને કારણે, ભાવ વધ્યા છે, પરિણામે, પ્રોસેસિંગ મિલ બે દિવસ સુધી બંધ રહેશે એમ લાગે છે. ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોશિએશનના જણાવ્યા પ્રમાણે આંતરરાષ્ટ્રીય અસ્થિરતાને કારણે કાચા માલનો સપ્લાય ખોટકાયો છે. ટૂંકમાં, સ્થાનિક ઉત્પાદન ખર્ચમાં અસહ્ય વધારો થતા મિલમાલિકોને મિલો બંધ રાખવાની ફરજ પડી છે. મિલો પાસે 10થી 20 દિવસ ચાલે એટલો જ કોલસો છે. આ રીતે જ વપરાશ ચાલુ રહે તો આવનારા સમયમાં ઊર્જાનું મોટું સંકટ ઊભું થઈ શકે. આ સ્થિતિમાં ખર્ચને પહોંચી વળવા અને સંસાધનોની બચત કરવા એસોશિએશને અઠવાડિયામાં બે દિવસ મિલો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. સુરતની ચારસોથી વધુ મિલોમાં દ્વિદિવસીય સ્વૈચ્છિક લોકડાઉન લાગુ કરવાની જાહેરાત થઈ છે. જેમનું ગુજરાન મિલો પર નિર્ભર છે, તેમની હાલત વધારે કફોડી છે ને આ ચાલુ રહેશે તો વધુ કફોડી થવાની છે. હકીકત એ છે કે ગ્રે કાપડના ભાવ વધારાને કારણે પ્રોસેસિંગ માટે માલ મળતો નથી. એ સ્થિતિમાં મિલ ચાલુ રાખવાનું નુકસાનીમાં વધારો જ કરશે, એટલે આજે મળનારી બેઠકમાં કયા બે દિવસ લોકડાઉન રહેશે તેની જાહેરાત કરવામાં આવશે.

સુરતની ટેક્સટાઇલ મિલ સાથે અઢી લાખ શ્રમિકો જોડાયેલા છે. મિલો લોકડાઉન કરશે તો વેતન ઓછું મળતાં રોજિંદા વ્યવહારો પર અસર પડશે. કામ ન મળવાની સ્થિતિમાં શ્રમિકોનું પલાયન વધશે. આમે ય મોંઘવારી અને સિલિન્ડરની અછતથી હજારોની સંખ્યામાં કામદારો વતન તરફ રવાના થઈ રહ્યા છે. આવું લાંબો સમય ચાલશે તો ઉદ્યોગને લેબરની ભારે અછતનો સામનો કરવો પડે એમ બને ને એ બધું સુરતના અર્થતંત્રના લાભમાં નહીં જ હોય તે કહેવાની જરૂર નથી.

હવે સ્થિતિ એવી છે કે યુદ્ધ જે તે વિસ્તારો પૂરતું સીમિત નથી રહ્યું. લડાઈ બીજે ચાલતી હોય, પણ તેની અસરો જ્યાં યુદ્ધ નથી ત્યાં પણ વર્તાતી હોય છે. એક તરફ વિકાસની વાતો ચાલતી હોય ને બીજી તરફ યુદ્ધ એ વિકાસ પર પાણી ફેરવતું હોય તો આપણે કયા વિકાસથી ફુલાઈએ છીએ તે નથી સમજાતું. થોડાક મુઠ્ઠી ભર માણસો પોતાની ઘેલછાઓ પૂરી કરવા આખું જગત બાનમાં લે અને બીજા તે ચાલવા દે તો પેલા મુઠ્ઠીભર માણસો, બીજા કરોડો લોકોની શક્તિ કરતાં વધુ શક્તિશાળી છે એમ સ્વીકારવું પડે. યુદ્ધ કદી કોઈના લાભમાં નથી તે આટલાં યુદ્ધો પછી પણ માણસ જાતને નથી સમજાતું એ વૈશ્વિક કટોકટી જેવી જ કમનસીબી છે.

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 23 માર્ચ 2026

Loading

 ભારત પોતે જ નિશાના પર હોય, ત્યારે તટસ્થતા નિષ્ક્રિયતા લાગી શકે છે 

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|22 March 2026

ભારત અત્યારના સંજોગોમાં અપનાવેલા નેરેટિવને  “વ્યૂહાત્મક સ્વાયત્તતા”(સ્ટ્રેટેજિક ઓટોનોમી)નું છોગું પહેરાવે છે. બીજા લોકો તેને “મલ્ટી–અલાઈનમેન્ટ” કહે છે. આ ભારેખમ શબ્દોની પાછળની સત્તાવાર નીતિ એકદમ સરળ છે.

ચિરંતના ભટ્ટ

ખાડી દેશોની ઉપરથી કોઈ મિસાઈલ પસાર થાય છે, ત્યારે વિવિધ રાષ્ટ્રોની રાજધાનીઓમાં એક વ્યૂહરચના તરીકે તેનું વિશ્લેષણ થાય છે. પરંતુ ભારતના મામલામાં, તે અનિશ્ચિતતાનો અહેસાસ કરાવે છે, જેમ કે વધતા જતા પેટ્રોલ-ડીઝલના ભાવો, ફ્લાઇટ્સમાં થતા વિલંબ અને વોટ્સએપ પર આવનારો તમારી સુરક્ષાની પૃચ્છા કરતો મેસેજ. 

ભારત માટે, પશ્ચિમ એશિયા માત્ર કોઈ થિંક-ટેન્કના બ્રીફિંગમાં રહેલો નકશો નથી. તે ખાડી દેશોમાં વસતા 80થી 90 લાખ ભારતીયો છે. આમાંની દરેક વ્યક્તિ કટોકટી વખતે બચાવ કામગીરીના સમાચારની હેડલાઈન બની શકે છે, અને દરેક વ્યક્તિ દેશમાં લાખો પરિવારોનું ગુજરાન ચલાવતી કમાણીની (રેમિટન્સની) જીવાદોરી છે.

પરંતુ, ભારતે પોતાને માટે એક નેરેટિવ બનાવી રાખ્યું છે અને તેમાં અહીંથી જ તિરાડ પડવાની શરૂઆત થાય છે.

ભારત અત્યારના સંજોગોમાં અપનાવેલા નેરેટિવને “વ્યૂહાત્મક સ્વાયત્તતા”(સ્ટ્રેટેજિક ઓટોનોમી)નું છોગું પહેરાવે છે. બીજા લોકો તેને “મલ્ટી-અલાઈનમેન્ટ” કહે છે. આ ભારેખમ શબ્દોની પાછળની સત્તાવાર નીતિ એકદમ સરળ છે: ભારત તમામ ગ્રૂપ્સથી એક સરખું અંતર જાળવશે, ઇઝરાયેલ, ઈરાન અને આરબ મોનાર્કીઝ સાથે સંબંધો જાળવી રાખશે અને માત્ર તણાવ ઘટાડવા પર જ ભાર મુકશે. સૈદ્ધાંતિક રીતે, આ બિન-જોડાણવાદની (નોન-અલાઈનમેન્ટની) પરાકાષ્ઠા જેવું લાગે છે. પરંતુ વ્યવહારમાં, તે એક ભાંગી પડે એવી કલ્પના સાબિત થઈ રહી છે.

ભારત તટસ્થ હોવાનો દાવો કરે છે. પરંતુ તેનાં પગલાં અગાઉથી જ પક્ષ પસંદ કરી ચૂક્યા છે.

એક તરફ, નવી દિલ્હી રશિયા પાસેથી ડિસ્કાઉન્ટમાં ક્રૂડ ઓઇલ ખરીદવાનું ચાલુ રાખીને, વૈશ્વિક ક્રૂડના આંચકાઓ સામે તેને એક કવચ તરીકે વાપરી રહ્યું છે. તો બીજી તરફ, તે ખાડી દેશો અને યુરોપની સાથે મળીને ઇન્ડિયા-મિડલ ઇસ્ટ-યુરોપ ઇકોનોમિક કોરિડોર(IMEC)ને વેગ આપે છે, જે અમેરિકાનો ટેકો ધરાવતો વ્યાપાર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર રૂટ છે, જે મૂળ તો ચીન-નિયંત્રિત પ્રોજેક્ટ્સના વિકલ્પ તરીકે તૈયાર કરાયો છે. ભારતનો એક પગ યુરેશિયન ઊર્જામાં છે, તો બીજો અમેરિકા-કેન્દ્રિત વેપાર વ્યવસ્થામાં. આ હવે માત્ર કોઈ સાવચેતીભર્યો બચાવ નથી; તે તટસ્થતાના પેકિંગમાં પીરસવામાં આવતું મનપસંદ જોડાણ છે.

આંતરરાષ્ટ્રીય મંચ પર, ભારતના સાવચેતીથી બોલાતા શબ્દો અને મતદાનથી અળગા રહેવાની નીતિને બીજા દેશો તટસ્થ વલણ તરીકે નહીં, પરંતુ સંજોગો જેમના તેમ રાખવા માંગતી સત્તાઓ માટેના હળવા સમર્થન તરીકે જોવામાં આવે છે. તટસ્થતા હવે અદૃશ્ય નથી રહી, તેનું અર્થઘટન થાય છે અને ઘણીવાર તેનું ખોટું અર્થઘટન પણ થાય છે. જૂથબંધીમાં વહેંચાયેલા આ વિશ્વમાં, મૌન કોઈ નિર્દોષતાનું પ્રતીક નથી; તે એક એવી ખાલી જગ્યા છે જેને અન્ય લોકો પોતાની મરજી મુજબ ભરી દેશે.

આ જોખમો માત્ર સૈદ્ધાંતિક નથી. ભારતના કુલ રેમિટન્સનો લગભગ 40% હિસ્સો ખાડી દેશોમાંથી આવે છે. કેરળ, ઉત્તર પ્રદેશ, બિહાર અને અન્ય રાજ્યોના લાખો પરિવારો દુબઈ, દોહા, રિયાધ અને શારજાહથી આવતા પૈસા પર નિર્ભર છે. ખાડી દેશો ભારતના ક્રૂડ ઓઇલનો પણ એક મોટો સ્રોત છે, જે વિશ્વના કેટલાક સૌથી અસ્થિર સમુદ્રી માર્ગો – હોર્મુઝની સામુદ્રધુની અને બાબ-અલ-મંડેબમાંથી પસાર થાય છે. આ પ્રદેશમાં થતા દરેક સંઘર્ષની સફર તેજીલી હોય છે: એ દૂરના સંઘર્ષ ક્યારે લોકલ પરિણામ લાવશે તેની કોઈ સમય મર્યાદા કે ગેરંટી નથી. આ અંતે ઇંધણના વધતા ભાવો, ખોરવાયેલી સપ્લાય ચેઇન અને સમાચારની રાહ જોતા ચિંતિત પરિવારોમાં ફેરવાય છે.

 કટોકટી આવે ત્યારે ભારતે હંમેશાં હિંમત જ દાખવી છે પણ એ સ્થાયી ભાવ નહીં કામચલાઉ ગોઠવણ વધુ હોય છે. 2023માં અચાનક ફાટી નીકળેલા આંતરવિગ્રહને કારણે સુદાનમાં ફસાયેલા અંદાજે 3,500થી વધુ ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવા માટે ચલાવવામાં આવેલું ‘ઓપરેશન કાવેરી’ આનું ઉત્તમ ઉદાહરણ છે. ભારતીય વાયુસેના અને નૌકાદળે ઝડપથી પગલાં લીધાં, દૂતાવાસના સ્ટાફે રાત-દિવસ કામ કર્યું અને મોટાભાગના નાગરિકો સલામત પાછા ફર્યા. કોઈપણ માપદંડથી જોઈએ તો, આ એક મોટી સફળતા હતી. આ બધું તાબડતોબ કરવામાં આવ્યું હતું – ફ્લાઇટ્સના રૂટ બદલવા પડ્યા, જહાજોને તાત્કાલિક કામે લગાડવામાં આવ્યા, અને ભારે દબાણ હેઠળ રિયલ-ટાઇમમાં સંકલન કરવું પડ્યું. આપણે બચાવ કામગીરીની સફળતાની ઉજવણી તો કરી, પણ આપણે એ પ્રશ્ન ન પૂછ્યો: શા માટે આપણે દરેક વખતે છેલ્લી ઘડીએ જ નવી ગોઠવણ કરવી પડે છે? પહેલાં યુક્રેન, પછી સુદાન, અને આ બંનેની વચ્ચે સતત ધૂંધવાતો ખાડી પ્રદેશ. દરેક નવો સંઘર્ષ એક જ પ્રશ્ન ઊભો કરે છે : આપણે કેટલા ભારતીયોને અને કેટલી ઝડપથી બહાર કાઢી શકીશું? આ અંતર જાળવવાની વ્યૂહરચના નથી. આ માત્ર તાત્કાલિક સ્થિતિ થાળે પાડવાની વ્યૂહરચના છે. ટૂંકમાં આગ લાગે ત્યારે કૂવો ખોદવામાં આપણે માહેર છીએ એવું કહી શકાય. 

આ દરમિયાન, ચીન જે કરે છે એ  ભારતે ખૂબ જ ધ્યાનથી જોવાની જરૂર છે. બેઇજિંગે છેલ્લા એક દાયકામાં ખાડી પ્રદેશમાં એવા સંબંધો વિકસાવ્યા છે જેને વિશ્લેષકો બેવડા ઉપયોગવાળા સંબંધો કહે છે. ચીને અહીં બંદરો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ચલણ અંગેના કરારો અને એવી કૂટનીતિક વ્યવસ્થાઓ ઊભી કરી છે જે શાંતિ હોય ત્યારે વેપારી હેતુઓ પૂરા પાડે છે અને કટોકટી વખતે વ્યૂહાત્મક કામમાં આવે છે. ચીન તટસ્થતાનો દાવો નથી કરતું. તે પોતાની હાજરીનો દાવો કરે છે. તેણે એકસાથે રિયાધ અને તેહરાન બંને સાથે સંબંધો કેળવ્યા, 2023માં સાઉદી-ઈરાન શાંતિ કરાર કરાવવામાં મધ્યસ્થી તરીકે કામ કરીને ચીને પોતાને એક એવા અનિવાર્ય ભાગીદાર તરીકે સ્થાપિત કર્યું છે કે વોશિંગ્ટન કે નવી દિલ્હી પણ હજી એ સ્તરે નથી. કોઈને ચીનની આ પદ્ધતિ ગમે કે ન ગમે, તેનો ઈરાદો એકદમ સ્પષ્ટ છે: ચીન પોતાનો પ્રભાવ વધારી રહ્યું છે, અંતર નથી જાળવી રહ્યું. આનાથી વિપરીત, ભારત હજુ પણ ‘બધા આપણને પસંદ કરે છે’ એ વાત પર પોતાની પીઠ થાબડી રહ્યું છે, પરંતુ એ હકીકત ચૂકી જાય છે કે જ્યારે આ પ્રદેશમાં સત્તાનાં સમીકરણો બદલાય છે, ત્યારે કોઈ સૌથી પહેલા ભારતને ફોન કરતું નથી. વ્હાલા થવામાં, પીપલ પ્લીઝર થવામાં આપણે નુકસાન વહોરી રહ્યા છીએ. 

એટલે જ ભારતને કોઈ દેખાડા કે માત્ર વલણની નહીં, પરંતુ એક નક્કર સિદ્ધાંતની જરૂર છે.

પહેલી જરૂરિયાત રાજકીય સ્પષ્ટતા છે. ભારતે એવો ડોળ કરવાનું બંધ કરવું જોઈએ કે તેની વર્તમાન સ્થિતિ તટસ્થતાની છે. તેના બદલે તેને એક ઇરાદાપૂર્વકની પસંદગી તરીકે સ્વીકારવી જોઈએ;  તમામ પક્ષો સાથે જોડાણ, પરંતુ કોઈના પણ પક્ષે આંધળું સમર્થન નહીં. આ એક બચાવ કરી શકાય તેવી સ્થિતિ છે. જ્યારે આપણી ઊર્જાની ખરીદી અને વેપાર કોરિડોર કંઈક અલગ જ વાર્તા કહેતા હોય, ત્યારે તેને તટસ્થતા કહેવી એ યોગ્ય નથી.

બીજી જરૂર છે નાગરિક સુરક્ષાને અગ્રિમતા આપવાની ખાતરી. વિદેશમાં વસતા દરેક ભારતીયને માત્ર દૂતાવાસની એક નોંધ તરીકે નહીં, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષાના મુખ્ય હિત તરીકે ગણવા જોઈએ. આનો અર્થ છે કે કટોકટીમાં બચાવ માટેનો એક કાયમી સિદ્ધાંત, આપણા વિદેશી મિશનો અને ગુપ્તચર સંસ્થાઓ વચ્ચે વધુ સારું સંકલન, અને ખાડી દેશોના ભાગીદારો સાથે ફોર્મલ ક્રાઇસિસ રિસ્પોન્સ એગ્રીમેન્ટ કરવું જેથી કટોકટી આવે પછી નહીં, પણ પહેલાં જ આપણને ખબર હોય કે આપણા લોકો ક્યાં છે. ઓપરેશન કાવેરીએ સાબિત કર્યું કે દબાણ હેઠળ ભારત શું કરી શકે છે. પરંતુ જો કોઈ યોગ્ય સિદ્ધાંત હશે, તો આવી છેલ્લી ઘડીની કસોટીમાંથી ફરી ક્યારે ય પસાર નહીં થવું પડે. 

ત્રીજી જરૂરિયાત આક્રમક વૈવિધ્યકરણ છે. ભારત માત્ર મુઠ્ઠીભર હાઇડ્રોકાર્બન સપ્લાયર્સ અને ગણ્યાગાંઠ્યા દરિયાઈ માર્ગો પર નિર્ભર ન રહી શકે. તેણે વૈકલ્પિક સપ્લાયર્સ સાથે LPG માટે સંબંધો ગાઢ બનાવવા જોઈએ, નવીનીકરણીય ઊર્જા કોરિડોરનો વિસ્તાર કરવો જોઈએ, અને સ્થાનિક ભંડારો તેમ જ વૈકલ્પિક પરિવહન માર્ગો વિકસાવવા જોઈએ, જેથી પ્રાદેશિક સ્તરે થતો દરેક સંઘર્ષ દેશની સ્થાનિક કટોકટી ન બને. આ માત્ર કિંમતનો સવાલ નથી. આ એવા સંવેદનશીલ દરિયાઈ માર્ગો પરનો આધાર ઘટાડવાની વાત છે, જે ભારતને એવા ભૂગોળનું બંધક બનાવે છે જેના પર ભારતનું પોતાનું કોઈ નિયંત્રણ નથી.

આમાંના કોઈ પણ પગલાં માટે ભારતે કોઈ લશ્કરી જોડાણમાં જોડાવાની જરૂર નથી. આપણે કંઈ કરીએ જ નહીં અને પછી સમજું હોવાને દાવો કરીએ તો ન ચાલે. કંઇ ન કરવું એ નિષ્ક્રિયતાની નિશાની પણ છે.

નવી વિશ્વ વ્યવસ્થામાં, મૌન કોઈ વ્યૂહરચના નથી, એક વલણ છે, અને તેના આધારે જ તમારી કસોટી થશે.

 બાય ધી વેઃ 

ભારતને તટસ્થ રહેવાનું પરવડે તેમ નથી જ્યારે તેના લોકો, તેની ઊર્જા અને તેનું અર્થતંત્ર પહેલેથી જ નિશાના પર હોય. તટસ્થતા અને સંતુલન વચ્ચે ફેર છે, તમે તટસ્થ હો તો તમે ક્યાં ય નથી, ન આ તરફ ન પેલી તરફ પણ તમે સંતુલિત અભિગમ અપનાવો તો તમારે સ્ટેન્ડ લેવું પડે, એટલે કે નિર્ણય લઈ તેની પડખે ઊભા રહેવું પડે. ખરી હિંમત એમ કરવામાં દેખાય છે. 

 પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 22 માર્ચ 2026

Loading

...102030...81828384...90100110...

Search by

Opinion

  • એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”
  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે
  • ચલ મન મુંબઈ નગરી—353

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ
  • લૂંટ શકે તો લૂંટ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved