Opinion Magazine
Number of visits: 10080366
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!

ચંદુ મહેરિયા|Opinion - Opinion|25 March 2026

ચંદુ મહેરિયા

યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા(યુ.એસ.એ.)માં રોજ ૯ લોકો પાણીમાં ડૂબી જાય છે. તે પૈકી ૬ કાળાઓ હોય છે. ૫ થી ૧૪ વરસના આફ્રોઅમેરિકી બાળકોનો પાણીમાં ડૂબવાનો દર ગોરા બાળકોની તુલનામાં ૨.૬ ગણો વધારે હોવાનું અમેરિકી રોગ નિયંત્રણ કેન્દ્ર જણાવે છે. અમેરિકી એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સના અભ્યાસનું તારણ છે કે શ્યામવર્ણી કિશોરોની સરખામણીએ બિનશ્યામ કિશોરોની પાણીમાં ડૂબી જવાની સંભાવના આઠ ગણી વધુ છે. યુનાઈટેડ કિંગડમ(યૂ.કે.)ની શાળાઓમાં સ્વિમિંગ પાઠયક્રમનો અનિવાર્ય હિસ્સો છે. તેમ છતાં ત્યાં ૨૦૨૨માં ૯૫ ટકા મોટા અને ૮૦ ટકા નાના શ્યામવર્ણીઓ તરી શકતા નહોતા. અમેરિકાની વિલિયમ્સ કોલેજમાં ૨૦૧૩ થી ૨૦૧૯ દરમિયાન લેવામાં આવેલી ૫૦ યાર્ડની સ્વિમિંગ ટેસ્ટમાં ૮૧ ટકા કાળાઓ નાપાસ થયા હતા. પુખ્ત ઉમરના ધોળાઓ કરતાં પાંચ ગણા વધુ કાળાઓ પાણીમાં તરી શકતા નથી. 

વંશીય ભેદ અને અસમાનતા કેવા કેવા સ્વરૂપમાં હોય છે તે જાણીને નવાઈ લાગે છે. વળી તે સાચી છે તેની ખાતરી થતાં આઘાત સાથે શરમ અનુભવાય છે. પાણીમાં તરવું તે સામાન્ય બાબત લાગે છે. ભારતના ગ્રામ્ય પ્રદેશમાં જ્યાં દરિયો, નદી, નાળાં, નહેર, તળાવની સગવડ છે ત્યાં બાળવયથી જ ખાસ કશી તાલીમ વિના લોકો નહાય છે અને થોડું તરવાનું કૌશલ્ય હાંસલ થતા એયને ધૂબાકા મારે રાખે છે. પાણીના આ જાહેર સ્રોત પર જ્ઞાતિ ભેદ જરૂર છે અને તે પ્રમાણેના ઓવારા પણ જોવા મળે છે. પરંતુ તરવાનું કૌશલ્ય હાંસલ ન કરી શકે તેવો ભેદ વંશીય અસમાનતાને કારણે અમેરિકા-બ્રિટનન્ની કાળી પ્રજા સાથે આચરાયો છે. 

ઈ.સ.૧૮૦૦ થી ૧૯૩૦ના દાયકાઓમાં અમેરિકામાં સ્વિમિંગ પૂલ બનાવવાની હોડ મચી હતી. સ્થળાંતરિત ગરીબોની વસ્તીમાં પણ તે બનતા જોવા મળ્યા હતા. પણ બ્લેક વસ્તીમાં તે જોવા મળતા નહોતા. ૧૯૩૦ના દાયકામાં અમેરિકાના સેન્ટ લુઈસ શહેરની વસ્તીમાં બ્લેક વસ્તી ૧૫ ટકા હતી. પરંતુ આટલી મોટી વસ્તીમાં માંડ એક જ સ્વિમિંગ પૂલ હતો. તે પણ જર્જર અને અસ્વચ્છ. દક્ષિણ અમેરિકામાં જિમ ક્રો કાનૂનોએ સ્વિમિંગ પૂલ અને સમુદ્ર તટો પર રંગભેદ અનિવાર્ય કર્યો હતો. ઉત્તર અમેરિકાના પિટ્સબર્ગ જેવા શહેરોમાં કાળા-ગોરા વચ્ચે તરવાની જગ્યામાં ભેદ નહોતો. પરંતુ જો કોઈ ધોળા બાળકો કાળા તરતા હોય તે જગ્યાએ તરવા આવે તો પોલીસ મારીને ભગાડી મૂકતી. વળી કાળાઓ તરી ન શકે એટલે તરવાની જગ્યાઓમાં કચરો નાંખતા અને તેથી આગળ વધીને એસિડ પણ ફેંકતા હતા. ૧૯૪૯માં સેન્ટ લુઈસ શહેરમાં કાળાઓ તરતા હતા ત્યાં ગોરાઓએ હુમલો કર્યો હતો. એટલે શ્યામવર્ણી વસ્તીમાં સ્વિમિંગ પૂલની સગવડો ન આપવી અને જ્યાં સગવડો છે તેવી ધોળી વસ્તીના સ્વિમિંગ પૂલમાં કાળાઓને પ્રવેશ ન આપવો તેને કારણે અમેરિકાની આફ્રોઅમેરિકી પ્રજા તરવાના કૌશલ્યથી વંચિત રહી હતી. 

શ્યામ પ્રજા કોઈ જૈવિક અક્ષમતાને કારણે પાણીમાં તરવાથી દૂર રહી હોઈ એવું નહોતું. ઐતિહાસિક અસમાનતા, વંશીય ભેદભાવ, પ્રવેશ પર રોક, અલગાવ (SEGREGATION) અને સંસાધનોની અછત જ કારણ હતું. પરંતુ ધોળિયાઓ કાળાઓને તરણથી દૂર રાખીને તેમના દૂર હોવાનાં કારણ તરીકે તેમની શારીરિક અક્ષમતાને આગળ કરતા હતા. કાળાઓના હાડકાં લચીલાં નહીં પણ સપાટ હોવાથી, પાણીમાં તરવા જરૂરી ઉછાળ(Bounce)નો અને શરીરમાં ચરબીનો અભાવ હોવાનું કારણ જણાવતા હતા. બ્લેક મહિલાઓ તેમના વાળ અને હેર સ્ટાઈલની બહુ દીવાની હોય છે અને તરવાને કારણે ભારે ખર્ચ અને માવજતથી તૈયાર કરેલા વાળ બગડી જાય છે એટલે તે તરણથી દૂર રહે છે છે, તેવું કારણ પણ આગળ કરાતું હતું. આ રીતે તેઓ અસમાનતા અને વંશીય ભેદના કારણોને ઓછલ કરી દેતા હતા. 

આજના આફ્રોઅમેરિકીઓના વડવાઓને જ્યાંથી ગુલામો તરીકે લાવવામાં આવ્યા હતા તે આફ્રિકામાં તરણની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત છે. એટલે તેઓ જાતે કે શરીરની નબળાઈથી તરણથી દૂર રહ્યા હોવાની વાત માની શકાય તેવી નથી. ૧૬૭૯માં માર્ટિનિકના કિનારે ગુલામોને લઈ જતું જહાજ દુર્ઘટનાગ્રસ્ત થયું ત્યારે એક અનામ આફ્રિકન ગુલામ ૬૦ કલાક દરિયામાં તરીને કિનારે પહોંચ્યો હતો. ૧૮૩૧માં ટાઈસ ડેવિડ નામનો ગુલામ કેંટકીથી ભાગીને ઓહિયા નદી તરીને ઓહિયા પહોંચ્યો હતો. સાવ નજીના ભૂતકાળમાં ક્લેન જોન્સ અને એન્ટની એરવિન નામક બે બ્લેકે ૨૦૧૨ની ગ્રીષ્મ ઓલિમ્પિકમાં સ્વિમિંગમાં ભાગ લીધો હતો. હવે જોન્સે વંચિત સમુદાયના લોકોને તરવાની તાલીમ આપવાના કાર્યને જીવનકાર્ય બનાવ્યું છે. 

છેક વીસમી સદી સુધી અમેરિકા-બ્રિટનમાં શ્યામ વર્ણી પ્રજાને તરવાના આનંદથી દૂર રાખી હતી. પરંતુ હવે સ્થિતિ બદલાઈ રહી છે.અમેરિકાનાં તરણ મંડળો અને તરણ સ્થળોમાં કાળાઓની હાજરી વર્તાવા માંડી છે. બ્લેક પુરુષો જ નહીં બ્લેક મહિલાઓ પણ છેક ઓલિમ્પિક સુધી સ્વિમિંગમાં ભાગ લે છે અને જીતે છે. ભારતમાં જ્ઞાતિભેદ અને આભડછેટને દૂર કરવામાં સરકાર અને સમાજનું ખાસ યોગદાન જોવા મળતું નથી પરંતુ યૂ.કે.-યુ.એસ.એ.માં એવું નથી. અમેરિકામાં સ્વિમિંગ ટેસ્ટમાં તેની વંશીય અસમાનતા બહાર આવતાં વોશિંગ્ટન, વિલિયમ્સ, લી અને હિમિલ્ટન યુનિવર્સિટી સહિતની જાણીતી શિક્ષણ સંસ્થાઓએ છેલ્લાં કેટલાંક વરસોથી સ્વિમિંગ ટેસ્ટ લેવાની બંધ કરી દીધી છે. 

સ્વિમિંગ કે તરણના જ્ઞાન સુધીની કાળાઓની પહોંચ અને અસમાનતા ખાળવા અધિક સમાન સમાજ બનાવવા માટે હજુ ઘણી પેઢીઓની સમાનતાની જરૂર છે. કાળાં માતા-પિતા ખાસ કરીને માતાઓમાં તરણ કૌશલ્ય ભેદભાવને કારણે આવ્યું નથી તેથી તેઓ પોતાના સંતાનોને પાણીથી અને એટલે તરવાથી દૂર રાખે છે.તેમનો આ ડર દૂર કરવાના મનોવૈજ્ઞાનિક પ્રયત્નો શરૂ થયા છે. સ્વિમિંગનો આનંદ જે સૌ માટે સમાન ધોરણે ઉપલબ્ધ નહોતો તેને મોટાપાયે ઉપલબ્ધ કરાવવાની આવશ્યકતા છે. અમેરિકા સહિતના પશ્ચિમી દેશોમાં સામાજિક અને ઐતિહાસિક કારણોથી શ્યામ પ્રજાને તરવાથી દૂર રાખી હતી હવે તેની આ ક્ષેત્રમાં ભાગીદારી વધે તે માટે બમણા જોરથી લાગી જવાનું છે. સ્વિમિંગને પાઠ્યક્રમમાંથી દૂર કરવાનું કે સ્વિમિંગની ટેસ્ટ પડતી મૂકવાનું હાલના સમય સંજોગોમાં કદાચ વાજબી હોઈ શકે પણ કાળા-ગોરાના ભેદ સિવાય સૌ સમાન ધોરણે તરવાનો અને જીવવાનો આનંદ  મેળવતા થાય તેવો સમાજ આપણે ઘડવાનો છે. 

e.mail : maheriyachandu@gmail.com
(તા.૧૮.૦૩.૨૦૨૬)

Loading

સ્વરાજથી સમતા સુધી : એક જ સંઘર્ષના અનેક આયામો

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|25 March 2026

એપ્રિલ માસમાં આવતી મહાપુરુષોની જયંતીઓના ત્રિવેણી સંગમે, નારાયણ ગુરુના આદર્શોથી માંડીને આંબેડકર–જગજીવનરામના સંવાદો દ્વારા રચાતા ભારતીય દલિત વિમર્શનો તારસ્વર

બાબુ જગજીવન રામ અને બાબાસાહેબ આંબેડકર

પ્રકાશ ન. શાહ

હમણે વાંચી તો રહ્યો છું એક હસ્તપ્રત, જગજીવન રામ વિશે અરવિંદ માર્ડનની કલમે : જોઉં છું કે પાંચમી એપ્રિલે એમની જન્મજયંતી ટકોરા દઈ રહી છે; અને વાંસોવાંસ ફુલે જયંતી (અગિયારમી એપ્રિલ) અને આંબેડકર જયંતી (ચૌદમી એપ્રિલ) પણ … બિલકુલ, એપ્રિલ જાણે કે દલિત ઇતિહાસ માસ સ્તો.       

જો કે આ લખી રહ્યો છું ત્યારે બે પિછવાઈધક્કા પણ ચિરશોભીતા અનુભવું છું. હવામાં કાંશીરામને ભારતરત્ન ઘોષિત કરવાની માંગ માયાવતીની જ નહીં, રાહુલ ગાંધીની પણ છે. વળી, ખાસ તો, આજકાલ શશી થરુરની નારાયણ ગુરુ પરની કિતાબ ચર્ચામાં છે. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધ અને વીસમી સદીના પૂર્વાર્ધના ગાળામાં એક તબક્કે એ કેવી મોટી ઘટના હશે, એનો બને કે આજે આપણને પાધરો ખયાલ નયે હોય. પણ વરસેક પર વાયકોમ સત્યાગ્રહની શતાબ્દી વિશે વાંચવા-લખવાનું થયું ત્યારે ગાંધીજીનો એક હૃદયવેધી ઉદ્દગાર બલકે પુણ્યાવેશી ચિત્કાર નોંધવાનું બન્યું હતું તે બસ થઈ પડશે. મંદિર ફરતે જે રસ્તાઓ હતા તેમાં દલિતોને ચાલવાની પરંપરાગત બંધી હતી. ગાંધીજીએ કહ્યું હતું : જેની ફરતે રસ્તા પર નારાયણ ગુરુ પણ ન ચાલી શકે તેવું મંદિર હું કલ્પી શકતો નથી.

ઈસવી 2000 સંકેલાતે મેન ઓફ ધ મિલેનિયમ કોણ એવી ચર્ચામાં વિશ્વસ્તરે ઊપસેલું નામ ગાંધીજીનું હતું. પણ 1999માં એક મલયાલી અખબારે કેરળ પૂરતું આવું સર્વેક્ષણ કર્યું ત્યારે ઉભરેલું નામ નારાયણ ગુરુનું હતું : વાયકોમ પર્વમાં ગાંધીનું નારાયણ સ્મરણ એક સહસ્રાબ્દી પુરુષે બીજા સહસ્રાબ્દી પુરુષને આપેલી અનન્ય અંજલિ હતી.

જે કાળે બેછૂટ છુઆછુતને કારણે વિવેકાનંદને કેરળની ભૂમિ ગાંડાઓના આશ્રયધામ (લ્યુનેટિક એસાયલમ) જેવી લાગી હતી એની વચ્ચે નારાયણ ગુરુ આવ્યા અને એક નાત, એક ધર્મ, એક ઈશ્વર એવા ખ્યાલ સાથે કેમ જાણે છાઈ ગયા. શિવગિરિ જાતરાનો જે સમો એમણે બાંધી જાણ્યો એમાં ઊપસી રહેલાં વાનાં શિક્ષણ, સ્વચ્છતા, ખેતી, ઉદ્યોગ ને ટેકનિકલ ટ્રેઈનિંગ જેવાં હતાં. વિશેષતા એ રહી નારાયણ ગુરુની ધર્મચર્ચાની કે એમાંથી દેશનું સંભવત: પહેલું રેશનલિસ્ટ એસોસિએશન આવ્યું, અને એક તગડમસ્ત લેબર યુનિયન પણ!

વાયકોમ દિવસોમાં, એમ તો, કાઁગ્રેસમેન પેરિયાર પણ સત્યાગ્રહ સાથે હતા પણ એ મોળો લાગતાં ખસી ગયા હતા. જો કે એમની રીતે એમણે પૂરા કદનો જ વૈકલ્પિક વિમર્શ જગવ્યો એની વચાળે ગાંધી પરત્વે એમનો અભિગમ પ્રસંગે સલામત અંતર એટલો જ સટીક સમાદરનો રહ્યો.

આ ત્વરિત તવારીખી ટિપ્પણીમાં એક સાથે જે બધાં નામો દડી આવે છે, દોડી આવે છે, તે બધા મળીને ખરું જોતાં પ્રજાસત્તાક સ્વરાજને લાયક દલિત વિમર્શ માટેની સર્વાંગી ખોજમથામણનો ગોફ રચે છે. સમાજસુધારા વગર ચાલવાનું નથી. તે સંદર્ભે ધર્મશોધન કદાચ દુર્નિવાર છે. મહારાષ્ટ્રની ફુલે-આંબેડકર પરંપરા જુઓ. શિવાજી તો અમારા શુદ્રોના રાજા કહેતાં ફુલે અંગ્રેજી રાજને કારણે જે સમતાલક્ષી સંભાવના ઊભી થઈ એના કાયલ છે. આંબેડકર બૌદ્ધ બનવું પસંદ કરે છે, અને ક્યારેક વાઈસરોયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ પર રહ્યા પછી એ તમને પ્રજાસત્તાક સ્વરાજના બંધારણના અગ્ર ઘડવૈયાઓમાં જોવા મળે છે.

પુના કરારે ગાંધી-આંબેડકર જેવા બે કથિત સ્પર્ધી ભેરુઓને એવા સાંકળ્યા છે કે ગાંધીસૂચને આંબેડકર નેહરુ-પટેલના બરકયા સ્વતંત્ર ભારતના પહેલા પ્રધાનમંડળ પર છે. આ તો પ્રમાણમાં જાણીતી વિગત છે. પણ ઇંદ્રાણીએ પતિ જગજીવન રામનાં જે સંસ્મરણો આલેખ્યાં છે એમાં નોંધ્યું છે કે ત્યારે દલિત છેડેથી કાઁગ્રેસ નેતૃત્વમાં ઉભરેલા જગજીવન રામ પણ આંબેડકર સાથી પ્રધાન હોય તેવું સૂચવવામાં હતા. જે અર્થમાં જગજીવન રામ સીધી સ્વરાજ લડતમાં હતા તે અર્થમાં આંબેડકર અલબત્ત નહોતા. પણ સમતા વગરની રાજકીય સ્વતંત્રતા અધૂરી છે એ સમજમાં તો બેઉ સાથે જ હતા ને.

પુના કરાર સાથે આંબેડકર રાષ્ટ્રીય સ્તરે ઊંચકાયા ત્યારે જગજીવન રામની રાજકીય કામગીરી ને કારકિર્દીની પણ માંડ શરૂઆત હશે. બિહારના આ તેજસ્વી છાત્રને માલવિયાજીએ બનારસ હિંદુ યુનિવર્સિટીમાં ઉચ્ચ શિક્ષણ સારુ નિમંત્ર્યા, પણ જેમ સયાજીરાવ આંબેડકરને નિવાસ ન અપાવી શક્યા તેમ માલવિયાજી જગજીવન રામને છાત્રાવાસ ન અપાવી શક્યા. કલકત્તે જઈ ભણી ઊતર્યા ને ડિપ્રેસ્ડ લીગ તેમ કાઁગ્રેસ મારફતે સક્રિય બન્યા. એમણે ધર્માંતરમાં નહીં પણ ધર્મસુધારમાં ઉગાર જોયો. વ્યાપક સમાજ સાથે, સમતા મથામણ પૂર્વક પણ અનુબંધની ભૂમિકાએ એ સક્રિય હતા. કેન્દ્રીય પ્રધાનમંડળના એમનાં વર્ષો બાંગલા ઘટના વેળાએ સંરક્ષણ પ્રધાન તરીકે તેમ હરિયાળી ક્રાંતિના વારામાં કૃષિપ્રધાન તરીકે ઝળહળતાં છે. લઘુત્તમ વેતન ધારો તેમ જ કામદાર વીમા યોજના આદિનું શ્રેય એમને નામે ઇતિહાસ જમે છે.

કાંશીરામે આંબેડકરને ગુરુ કીધા તો કીધા, પણ આંબેડકર જો અલ્પસંખ્યક માત્રને પૂરા અધિકારે સજ્જ બનાવવામાં અગ્રતા જોતા હતા તો કાંશીરામ નાનામોટા અલ્પસંખ્યકોને એકત્ર કરી બહુસંખ્ય રાજનૈતિક ફતેહની રણનીતિમાં રમેલા હતા. આંબેડકરને માટે હિંદુ મટી બૌદ્ધ થવું એ અંતરતમની આરત હશે તો કાંશીરામ માટે આપણે સત્તા પર આવીએ અને બૌદ્ધ બનીએ તો રોલો પડી જાય એવું હશે. માયાવતી સર્વસમાજ ફોર્મ્યુલા સાથે મુખ્ય મંત્રીની પાયરીએ પહોંચ્યાં એ નિ:શંક એક વિક્રમ ઘટના હતી.

જો સહયોગપૂર્વક સમતાલક્ષી સ્વરાજ નિર્માણ અભીષ્ટ હોય તો કેવળ આંબેડકર છેડેથી અગર કેવળ જગજીવન રામ છેડેથી ચાલવાનું નથી. થોડી બાંધછોડ, થોડી સોરાબ-રુસ્તમી … અને તમે જુઓ, કેવોક ગોફ ગુંથાતો આવે છે!

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”;  25 માર્ચ 2026

Loading

શાસક ગમે એટલો અપલખણો હોય, કમ સે કમ તેનામાં બુદ્ધિ હોવી જોઈએ !

રમેશ ઓઝા|Opinion - Opinion|24 March 2026

રમેશ ઓઝા

યુદ્ધ અત્યારે નીચ, બેવકૂફ અને મરણિયા વચ્ચે ચાલી રહ્યું છે, જેમાં ત્રણ અઠવાડિયા પછી પણ મરણિયો સરસાઈ ધરાવી રહ્યો હોય એમ લાગે છે. સુજ્ઞ વાચકને નીચ, બેવકૂફ અને મરણિયાની ઓળખ આપવાની જરૂર તો નથી, છતાં જણાવી દઉં કે નીચ ઇઝરાયેલના શાસક બેન્જામીન નેતાન્યાહૂ છે, બેવકૂફ અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ છે અને ઈરાનનું નેતૃત્વ મરણિયું છે. ઇતિહાસ કહે છે કે મરણિયા હંમેશાં ભરી પડે કારણ કે એની પાસે બચવા કે બચાવવા માટે કશું બચ્યું હોતું નથી અને તે પોતાના સહિત દરેક ચીજને સ્વાહા કરવા તૈયાર હોય છે. ઈઝરાયેલે ઈરાનના તેલમથકો પર હુમલો કર્યો એ પછી ઈરાને યુદ્ધને લશ્કરીમાંથી આર્થિક બરબાદીમાં ફેરવી નાખ્યું છે અને હવે જગતને શાસકોમાં હોવા જોઈતા સંયમ, સમજદારી અને સહિષ્ણુતાના ગુણોની કિંમતનો પરિચય થવા લાગ્યો છે અને જેને હજુ સુધી નથી થયો તેમને હવે થવાનો છે. ધીરજ રાખો, આપણે ત્યાં અંધભક્તોને પણ તેનો જલદી પરિચય થવાનો છે. મુસ્લિમપીડાનું વિકૃત સુખ મેળવવા માટે ક્યાં સુધી ખુવાર થતા રહેવાનું! 

પહેલાં નીચની વાત. 

ઇઝરાયેલ આર્થિક અને લશ્કરી રીતે સ્થિર થયા પછી, સ્થિર નહીં અખાતી દેશોમાં સરસાઈ મેળવી લીધા પછી તેનો બીજો એજન્ડા વિસ્તરવાનો હતો. મે ૧૯૪૮માં ઇઝરાયેલની સ્થાપના થઈ, ત્યારે તેનું ભૌગોલિક ક્ષેત્રફળ માત્ર ૧૪,૦૦૦ થી ૧૫,૦૦૦૦ ચોરસ કિલોમીટર હતું જે આજે ૨૨,૦૦૦ ચોરસ કિલોમીટર કરતાં વધુ છે, સાત દાયકા દરમ્યાન મોકો જોઇને ધીરે ધીરે ઇઝરાયેલે તેના કદમાં એક તૃતીયાંશ ક્ષેત્રફળનો વધારો કર્યો હતો. અમેરિકા અને યુરોપના દેશોમાં યહૂદીઓનું લોબિંગ અને મુસ્લિમ વિરોધી માનસિકતાના કારણે ઇઝરાયેલના વિસ્તારવાદનો બહુ વિરોધ નહોતો થતો. આ સિવાય ઇઝરાયેલ પાસે અસ્તિત્વ પર જોખમનું બહાનું તો રોજનું હતું. 

બેન્જામીન નેતાન્યાહૂ

બેન્જામીન નેતાન્યાહૂ ૨૦૨૧-૨૨નો દોઢ વરસનો અપવાદ છોડીને ૨૦૦૯ની સાલથી ઇઝરાયેલમાં શાસન કરે છે. ૨૦૦૯થી ૨૦૧૫-૧૬ સુધી તેમનો એ ચહેરો જોવા નહોતો મળ્યો જે આજે જોવા મળે છે. કારણ એ હતું કે દુનિયામાં હજુ ડાહ્યા લોકો શાસન કરતા હતા જેને એટલું ભાન હતું કે સ્વાર્થનું રાજકારણ પણ આસ્તે આસ્તે કરવું જોઈએ. યુનો હજુ વગ ધરાવતું હતું અને અમેરિકામાં બરાક ઓબામાં, ભારતમાં ડૉ મનમોહન સિંહ કે સિંગાપુરમાં લી જેવા શાસકો હતા જેના શબ્દોની કિંમત હતી. ગયા દશકના અંત ભાગમાં નેતાન્યાહૂને લાગવા માંડ્યું કે હવે ઇઝરાયેલ વિસ્તારવાદની ઝડપ વધારી શકે એમ છે. કારણ? ચારેબાજુ આત્મમુગ્ધ નેતાઓ સત્તામાં આવી રહ્યા છે જે પોતાનાં માટે, પોતાની વાહવાહી માટે શાસન કરી રહ્યા છે, વૈશ્વિક વ્યવસ્થાનો તેઓ પોતાના માટે ઉપયોગ કરી રહ્યા છે અને જો ઉપયોગ કરવામાં સાથ ન આપે તો તેને તોડી પાડવામાં પણ કોઈ શરમ કે સંકોચ અનુભવતા નથી. જે દેશોમાં આવા સાશકો નથી ત્યાં તેમને લલકારનારાઓ વીંગમાં ઊભા છે. ટૂંકમાં જગત એવા નેતાઓથી ગ્રસ્ત છે જેમાં રાજ્ય ભીંસમાં છે અને નિર્બળ બની રહ્યું છે. નેતા મોટો અને શક્તિશાળી અને રાજ્ય નિર્બળ. બીજી બાજુ ચીન અને રશિયા છે જેનું રાજ્ય મજબૂત છે અને તેના સાશકો દૂર રહી તક વીણતા રહે છે. નેતાન્યાહૂના ઇઝરાયેલને ચીન અને રશિયા તરફથી સીધો ખતરો નહોતો. 

નેતાન્યાહૂએ ઇઝરાયેલને વિસ્તારવાની ઝડપ વધારી. બૃહદ્દ ઇઝરાયેલ માટે ૮૫ હજાર ચોરસ કિલોમીટર સુધી વિસ્તરવાની તેની યોજના છે. ક્યાં ૧૯૪૮માં યુનો દ્વારા આકાર અપાયેલી બહુપક્ષીય સંમતી (સર્વસંમતી નહીં, મતલબ પૂરતી પેદા કરવામાં આવેલી સંમતી) સાથે ઇઝરાયેલને આપવામાં આવેલો ૧૪,૦૦૦ ચોરસ કિલોમીટર અને ક્યાં ૮૫ હજાર ચોરસ કિલોમીટર! આડખીલી હતી માત્ર ઈરાન અને ઈરાનના પ્રોક્સી. બીજા મુસ્લિમ દેશોની તેને ચિંતા નહોતી, કારણ કે એ બધા દેશોના શેખો તેલના ધંધામાં અમેરિકન કંપનીઓમાં ભાગીદાર છે. ભારતનાં અને જગતના મુસલમાનોએ અહીં સમજવું જોઈએ કે મુસ્લિમ શાસકો માટે ઇસ્લામ કરતાં ડોલર વધારે કિંમતી છે. ૧૯૭૯થી ઈરાનમાં અમેરિકાનાં અને અમેરિકનોના કોઈ હિતસંબંધ નથી. ઇઝરાયેલ અને યહૂદીઓના સંબંધનો તો કોઈ સવાલ જ નથી. આ સિવાય ઈરાન અણુશસ્ત્રો બનાવવામાં લગભગ કિનારે પહોંચી ગયું છે એમ પણ કહેવાય છે. જો ઈરાનને ખતમ કરવામાં આવે તો અખાતી દેશોની ૮૫ હજાર ચોરસ કિલોમીટર જમીન હડપી જવામાં ઇઝરાયેલને કોઈ રોકી નહીં શકે. નેતાન્યાહૂએ પહેલાં પ્રોક્સીઓને ખતમ કર્યા અને પછી ઈરાનને સીધું નિશાના પર લીધું. ઇઝરાયેલ જે કરે છે એ તેની લાંબા ગાળાની યોજનાના ભાગરૂપે કરે છે. 

હવે બેવકૂફની વાત. 

સ્વાર્થનું રાજકારણ પણ સમજી વિચારીને, જરૂરી ભૂમિકા બનાવીને, પ્રમાણમાં ગળે ઉતરે એવું બહાનું બનાવીને આસ્તે આસ્તે કરવું જોઈએ એટલી સમજ ધરાવતા શાસકો અમેરિકાને મળતા રહ્યા છે. જ્યોર્જ બુશ (જુનિયર) જેવા સામાન્ય બૌદ્ધિક ક્ષમતા ધરાવતા પ્રમુખ પણ આટલી અક્કલ ધરાવતા હતા. અફઘાનિસ્તાન અને ઈરાકમાં તેમણે નાટો દેશોને સમજાવી પટાવીને સંડોવ્યા હતા. એવું નથી કે અમેરિકાના પૂર્વી શાસકો નીતિનિષ્ઠ હતા, તેઓ સમજદાર હતા. પણ ડોનાલ્ડ ટ્રમ્પ તો લાખોમાં એક છે. તેઓ અમેરિકા પર અમેરિકન પ્રજાના હિતમાં શાસન નથી કરી રહ્યા, પણ પોતાના માટે અને પોતાનાંઓના હિત માટે શાસન કરી રહ્યા છે. સવારે ઊઠીને પહેલો વિચાર એ કરે કે આજે એવું શું કરું કે જગતમાં સોપો પડી જાય. વાહ વાહ થાય. અને હા, પોતાને મદદ કરનારાઓને ફાયદો થાય. તેમને સભ્યતા અને સંસ્કાર સાથે તો લેવાદેવા નથી, સાતત્ય સાથે પણ લેવાદેવા નથી. એક જ દિવસમાં બે વાર પલટી મારે. તમને આશ્ચર્ય થશે યુદ્ધ શરૂ થયું ત્યારથી આ લખાય છે ત્યાં સુધીમાં ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધ વિષે સો કરતાં વધુ  નિવેદનો કર્યાં છે. જે મનમાં આવે એ બોલે.

ડોનાલ્ડ ટૃમ્પ

નેતાન્યાહૂએ વિચાર્યું કે જેવો જોઈએ એવો વરરાજો અમેરિકામાં ઘોડે ચડી ગયો છે. આ સિવાય બીજા દેશોમાં પણ આવા ઘોડે ચડેલા વરરાજાઓ છે જે આત્મમુગ્ધ છે અને પોતાની વાહવાહી થાય એવી હેડ લાઈન્સ શોધતા રહે છે. તેમણે મર્યાદાઓ આધારિત વૈશ્વિક વ્યવસ્થાની ઐસીતૈસી કરી નાખી છે અને ઘર આંગણે લોકતંત્રને કબજે કર્યું છે. વિરોધીઓને મેનેજ કરવા ધન જોઈએ અને ધન સારુ ક્રોની કેપિટલિસ્ટોની બેડી પણ તેમણે પહેરી લીધી છે. તેઓ કશું જ કરવાના નથી અને કરી શકે એમ પણ નથી. ઇઝરાયેલ માટે મોકળું મેદાન છે. 

ગયા જૂન મહિનામાં નેતાન્યાહૂએ અમેરિકાની મદદ સાથે ઈરાન પર હુમલો કર્યો. એ યુદ્ધ ૧૨ દિવસ ચાલ્યું અને ઈરાન અત્યારની જેમ જ ત્યારે ભારે પડ્યું હતું. એ યુદ્ધમાં અમેરિકા મદદગાર હતું, સીધું ભાગીદાર નહોતું એટલે ત્રીજા દેશ તરીકે યુદ્ધવિરામ કરાવવાની સ્થિતિમાં હતું. અમેરિકાએ બારમાં દિવસે યુદ્ધ રોકી દીધું અને ટ્રમ્પે ફરી એકવાર શાંતિ માટે નોબેલ પારિતોષિકનો દાવો કર્યો. ગણતરી એવી હતી કે ઈરાનનો મુકાબલો કરવાની તૈયારી કરવી, પ્રોક્સીઓની તાકાત હજુ વધુ તોડી નાખવી. આર્થિક રીતે ઈરાન બરબાદ થઈ ગયું છે એટલે પ્રજામાં અસંતોષ પેદા કરવો, એ દરમ્યાન ઈરાન સાથે વાતચીતનું નાટક કરવું અને એ પછી મોકો જોઇને પાછો હુમલો કરવો. ઈરાનને નેતૃત્વ પરિવર્તન માટે મજબૂર કરવું. આપણને અનુકૂળ કઠપૂતળીને બેસાડી દેવી. અમેરિકાને ઈરાનનું તેલ અને ગેસ મળે અને ઇઝરાયેલને વિસ્તરવા મળે. આગળ જતા વાસ્તવિકતાનો સ્વીકાર કરીને બૃહદ્દ ઇઝરાયેલને સંમતીની મહોર પણ મળે. આ બધું નેતાન્યાહૂએ ટ્રમ્પને સમજાવ્યું હતું અને ટ્રમ્પે સંકટ પેદા કર્યા પછી સંકટમાંથી બહાર નીકળવાનો પ્લાન બી વિચાર્યા વિના ઇઝરાયેલને ઇશારે ઝંપલાવ્યું. 

આ વખતે પણ ઈરાન ભારે પડી રહ્યું છે પણ અમેરિકા સીધું ભાગીદાર છે એટલે ટ્રમ્પબાબા યુદ્ધવિરામ કરી શકે એમ નથી. ઈરાનને યુદ્ધવિરામ માટે કાં તો મજબૂર કરવું પડે અથવા સમજાવવું પડે. જો પોતે યુદ્ધવિરામ જાહેર કરે તો એ પરાજય ગણાય. બીજી સમસ્યા એ છે કે અમેરિકન પ્રજા અને પોતાના પક્ષના સમર્થકો સવાલ પૂછી રહ્યા છે અમેરિકા યુદ્ધમાં ભાગીદાર બન્યું શા માટે? આ તો ઈરાનનું યુદ્ધ છે એમાં અમેરિકાને સીધો કૂદકો મારવાની શી જરૂર હતી? વિવિધ સર્વે મુજબ ચારમાંથી ત્રણ અમેરિકન યુદ્ધનો વિરોધ કરે છે. 

બન્યું છે એવું કે ઇઝરાયેલ અને અમેરિકાની ગણતરી ઊલટી પડી. ઈરાનના ધાર્મિક નેતા ખોમૈનીએ બંકરમાં છૂપાવાની ના પાડી અને શહીદ થવાનું વધારે પસંદ કર્યું. ઇઝરાયેલ-અમેરિકાએ ખોમૈની સહિત વિવિધ મહત્ત્વનાં પદ ધરાવતા ડઝનબંધ વરિષ્ઠ નેતાઓને કે શાસકોને મારી નાખ્યા. આને કારણે હજુ મહિના પહેલા ઈરાની શાસકોની સામે રસ્તા પર ઉતરેલી પ્રજા ખોમૈની માટે માતમ કરવા રસ્તા પર ઉતરી. ખોમૈનીની શહાદતે ઈરાનીઓને જોડવાનું કામ કર્યું. ટૂંકમાં સત્તાધારીઓ અશક્ત બનવાની જગ્યાએ શાસકોની શહાદતનાં કારણે સશક્ત થઈ ગયા. ઓછામાં પૂરું ઇઝરાયેલે ઈરાની શાળા પર હુમલા કર્યા જેમાં દોઢસો કરતાં વધુ બાળકોનાં મોત થયાં. સત્તાપરિવર્તન તો બાજુએ રહ્યું ઈરાની પ્રજા સત્તાધારીઓને પડખે ઊભી રહી ગઈ.

આપણે વાત બેવકૂફની કરી રહ્યા છીએ. સવાલ એ છે કે અમેરિકા યુદ્ધમાં પ્રવેશ્યું શા માટે? આ વખતે સીધું ભાગીદાર છે એટલે યુદ્ધવિરામ પણ કરી શકે એમ નથી? શી જરૂરત પડી? કેટલાક લોકો કહે છે કે એપ્સ્ટીન ફાઈલ્સમાં ટ્રમ્પની જાતીય વિકૃતિઓની વિગતો બહાર આવી છે અને હજુ વધુ ફાઈલો ખૂલવાની છે એને કારણે ટ્રમ્પ ઇઝરાયેલના ઇશારે ઇઝરાયેલ કહે એ કરવા મજબૂર છે. એપ્સ્ટીન ઇઝરાયેલની જાસૂસી સંસ્થા મોસાદ માટે કામ કરતો હતો એમ પણ કહેવાય છે. મને એમ નથી લાગતું. એ શક્ય છે અને એ પણ એક કારણ હોઈ શકે, પણ મુખ્ય કારણ બેવકૂફી અને ઉપરથી અભિમાન તેમ જ ચારિત્ર્યહીનતા છે. બેવકૂફ જો નીચ હોય અથવા નીચ બેવકૂફ હોય અને ઉપરથી પોતાને અતિશય પ્રેમ કરનાર આત્મમુગ્ધ હોય તો એ કોઈનો ઝાલ્યો રહેતો નથી. એવા લોકો સાહસ કરી જ બેસે. દૂરનું જોવું અને દૂરનું વિચારવું એ બે ચીજ એવી છે જે માણસને આપોઆપ સંયમી બનાવે. ટ્રમ્પબાબા એટલા માટે કૂદી પડ્યા કે તેમને જે યુદ્ધ જીતવું આસાન લાગતું હતું તેનો જશ નેતાન્યાહૂ ન લઈ જાય! જુઓ મેં ઈરાનને પાઠ ભણાવ્યો જેને ૧૯૭૯થી અત્યાર સુધીમાં સત્તામાં આવેલા કોઈ પણ પ્રમુખ નહોતા કરી શક્યા. મૈંને કિયા. ‘ખીચડી’ નામની સિરિયલના પ્રફુલ્લની માફક ‘બાબુજી મૈને કિયા’. 

હવે મરણિયાની વાત

ઈરાન શિયા મુસ્લિમ બહુલ દેશ છે એટલે સુન્ની મુસ્લિમ દેશો સાથે તેનો મધુર સંબંધ ક્યારે ય નહોતો. ૧૯૭૯માં ઈરાનમાં ઇસ્લામી ક્રાંતિ થઈ અને ૬૬ અમેરિકનોને ૪૪૪ દિવસ સુધી બાનમાં રાખ્યા ત્યારથી ઈરાનની અમેરિકા સાથે દુશ્મની છે. અમેરિકાના ઇશારે ઈરાકે ઈરાન સામે યુદ્ધ કર્યું. એ યુદ્ધ આઠ વર્ષ ચાલ્યું જેમાં ઈરાન સારી રીતે ખુવાર થયું હતું. ઈરાને સ્વબચાવ માટે અણુ કાર્યક્રમ હાથ ધર્યો તો અમેરિકાએ તેનો વિરોધ કરીને પ્રતિબંધો મૂક્યા. બે દાયકાથી ઈરાન લશ્કરી તેમ જ વાણીજ્ય વ્યાપારમાં પ્રતિબંધિત છે અને તેને કારણે પણ ઈરાન અંદરથી તૂટી ગયું છે. ઉત્તર ઈરાનમાં કુર્દ નામનાં કબીલાઈ લોકો ઈરાન સામે સંઘર્ષ કરી રહ્યા છે. 

હવે કલ્પના કરો કે ઈરાનની જગ્યાએ બીજો કોઈ દેશ હોય તો આટલાં સંકટોનો સામનો કરતા રહીને ચાર દાયકા સુધી ટકી રહે ખરો? દેશમાં અરાજકતા પેદા થાય અને અંદરથી સડેલાં ફળની માફક ખરી પડે. પણ ઈરાનની બાબતમાં એવું બન્યું નથી. શા માટે? યુદ્ધખોરોએ આ પ્રશ્ન યુદ્ધ કરતાં પહેલા પોતાને પૂછવો જોઈએ. એવું શું છે ઈરાનમાં કે વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના ૬૬ નાગરિકોને ૪૪૪ દિવસ સુધી બંધી રાખે? એવું શું છે ઈરાન પાસે કે અમેરિકા સામે ૧૯૭૯(૪૭ વરસ)થી ઝીંક ઝીલી રહ્યું છે? એવું શું છે ઈરાનમાં કે ઈરાક સામે (ઈરાક તો પ્રોક્સી હતું, અમેરિકા સામે) આઠ વરસ લડીને પણ અડીખમ ઊભુ રહ્યું. એવું શું છે ઈરાનમાં કે અમેરિકાના વિરોધ છતાં ય અણુ કાર્યક્રમ અમલમાં મૂક્યો અને આજે અણુ બોંબ બનાવવાની નજીક પહોંચી ગયું હોવાનું કહેવાય છે. એવું શું છે ઈરાનમાં કે ૧૯૭૯થી (વચ્ચે બે-પાંચ વર્ષના બે ત્રણ અપવાદ છોડીને) અમેરિકન અને અમેરિકાના મિત્ર દેશોના આર્થિક અને અન્ય પ્રતિબંધો છતાં ઈરાન હજુ સુધી અડીખમ છે? આ પ્રશ્ન વિચારવા જેવો છે. એવું શું છે ઈરાનમાં કે એ તૂટતું નથી?   

એક કારણ તો એ છે કે અખાતી મુસ્લિમ દેશોમાં ઈરાન એક માત્ર એવો દેશ છે જેની પ્રાગ ઇસ્લામિક અસ્મિતા પ્રબળ છે. ઈરાન શબ્દનો અર્થ જ આર્ય થાય છે. મામુલી પરિવર્તન સાથે કોઈ ભાષા જો બે હજાર વરસથી એકધારી વપરાશમાં હોય તો એવી વિશ્વની બે-ત્રણ ભાષામાં એક પર્શિયન ભાષા છે. જેની હયાતી પ્રબળ હોય એની જિજીવિષા પણ પ્રબળ હોય. તો આ એક કારણ થયું. બીજું કારણ એ કે એકલા પડી ગયેલા કે પાડવામાં આવેલા ઈરાન પાસે ટકી રહેવા માટે ભૂખ્યા રહીને પણ લશ્કરી તૈયારી કરવા સિવાય કોઈ છૂટકો નહોતો. માર્યા વિના મરશું નહીં એ ઈરાનનો રાષ્ટ્રમંત્ર છે. ઈરાન પાસે તેલ છે અને ઈરાન એ તેલ ચીનને (ભલે સસ્તે ભાવે) વેચીને પૈસા કમાય છે. અમેરિકાના પ્રતિબંધને ચીન ગણકારતું નથી અને અમેરિકા ચીન સામે કાંઈ કરી શકતું નથી. રશિયા પાછળ રહીને ઈરાનને લશ્કરી મદદ કરે છે. પણ આ બધાં કારણોમાં મુખ્ય કારણ બે છે : એક પ્રબળ હયાતીની પ્રબળ જિજીવિષા અને બીજું માર્યા વિના મરશું નહીં એવો રાષ્ટ્રમંત્ર. મરવાનું હશે તો મરીશું, પણ દુશ્મનને મારીને. ટ્રમ્પ બાબા અને તેમના જેવા જ તેમના સહાયકોએ (જેવો વરરાજા એવા જાનૈયા) આ બધું વિચાર્યું નહોતું એટલે સંકટ પેદા કરીને તેમાંથી નીકળવું કઈ રીતે તેનો પ્લાન બી બનાવ્યો નહોતો. 

અમેરિકા-ઇઝરાયેલે ઈરાની નેતૃત્વ પર હુમલો કર્યો અને તેમને મારી નાખ્યા ત્યારે ગણતરી એવી હતી કે ઈરાન અંદરથી વિખરાઈ જશે, પણ એવું બન્યું નહીં. હવે શું કરવું? ઇઝરાયેલે ઈરાનનાં તેલમથકો પર હુમલા કર્યા. ગણતરી એવી હતી કે તેલ જો ઈરાનને ટકાવી રાખતું હોય તો એ કમર તોડી નાખીએ. મને એમ લાગે છે કે જેમ હિટલરે રશિયા પર હુમલો કરવાની છેલ્લી ભૂલ કરી હતી એમ નેતાન્યાહૂની આ છેલ્લી ભૂલ હતી. લશ્કરી યુદ્ધ તેલયુદ્ધમાં ફેરવાઈ ગયું. હવે ઈરાન મરણિયું થઈ ગયું છે. તમને અને ચૂપ રહીને તમાશો જોનારી આખી દુનિયાને ડૂબાડીને ડૂબીશું. જગત બળતણનાં સંકટનો સામનો કરી રહ્યું છે. 

હવે શું થશે? કોઈ કશું જ કહી શકે એમ નથી. જવાહરલાલ નેહરુ જેવો કોઈ અવાજ પણ નથી જેની વાત જગત સાંભળે. આશ્ચર્યની વાત છે કે અમેરિકાના ચાર ચાર વિદ્યમાન ભૂતપૂર્વ પ્રમુખો તેના ગાંડા અનુગામીએ અમેરિકાને કારણ વગર યુદ્ધમાં હોમી દીધું પણ એ છતાં ય કશું બોલતા નથી. ચીન અને રશિયા પાછળ રહીને ઈરાનને મદદ કરે છે અને અમેરિકાને પાયમાલ થતું જુવે છે. અખાતી દેશો અને અમેરિકાના મિત્ર દેશો ટ્રમ્પની ગુહાર છતાં ય અમેરિકાને મદદ કરવા આગળ આવતા નથી. ઇઝરાયેલ વિસ્તરવાની તક છોડવા માગતું નથી અને ઈરાન મરીને મરવા તૈયાર છે. આમાં સપડાયેલું છે અમેરિકા. 

તો લેસન એ છે કે શાસક ગમે એટલો અપલખણો હોય, કમ સે કમ તેનામાં બુદ્ધિ હોવી જોઈએ, પોતાની જગ્યાએ દેશહિતનું વિચારતો હોવો જોઈએ. આત્મમુગ્ધ અભિમાની અને ગાંડા શાસકો દેશની આવી દશા કરે. હવે પછી થશે શું ખબર છે? હવે પછી જગતમાં અમેરિકાની એ વગ અને પ્રતિષ્ઠા નહીં હોય જે ઈરાન સાથે યુદ્ધ કરતાં પહેલાં હતી. ઈરાન કેસરિયા કરી રહ્યું છે અમેરિકા આત્મઘાત.     

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 022 માર્ચ 2026

Loading

...102030...80818283...90100110...

Search by

Opinion

  • એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”
  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે
  • ચલ મન મુંબઈ નગરી—353

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ
  • લૂંટ શકે તો લૂંટ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved