નરસિમ્હા રાવ વડા પ્રધાન બન્યાના બે અઠવાડિયા બાદ જ દક્ષિણ મુંબઈના ‘રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા’ની તિજોરીમાંથી બંધ ગાડીઓમાં એક કાફલો રવાનો થયો. તેની ચારે બાજુ જડબેસલાક સુરક્ષા બંદોબસ્ત હતા. જાણે કોઈ સર્વોચ્ચ પદાધિકારીની સુરક્ષા હોય એ રીતે. લેખક વિનય સીતાપતીએ નરસિમ્હા રાવનું જીવનચરિત્ર ‘હાફ લાયન : હાઉ નરસિમ્હા રાવ ટ્રાન્સફર્ડ ઇન્ડિયા’માં લખ્યું છે કે, ‘આ ગાડીઓમાં 21 ટન સોનું મૂકવામાં આવ્યું હતું. આ કાફલો 35 કિલોમીટરના અંતરે સહારા એરપોર્ટ પર જઈને થોંભ્યો. જ્યાંથી તેને લઈ જવા માટે હેવી લિફ્ટ કારગો એયરલાઇન્સ વિમાન ઊભું હતું. આ સોનાને લંડન પહોંચાડીને ‘બેંક ઑફ ઇંગ્લેન્ડ’ના તિજોરીમાં મૂકવામાં આવ્યું. તેના બદલામાં નરસિમ્હા રાવની તત્કાલિન સરકારને જે ડૉલર મળ્યા તેના કારણે ભારતે લીધેલી લોનની ચૂકવણી માટે થોડો વધુ સમય મળી ગયો.’

સરકારને જ્યારે એમ લાગી રહ્યું હતું કે આ મિશન સિક્રેટ રીતે પૂર્ણ થયું. પરંતુ 8 જુલાઈ 1991ના રોજ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં ઇન્વેસ્ટિગેટિવ પત્રકાર શંકર અય્યરની એક રિપોર્ટ પ્રથમ પાનાં પર મુખ્ય હેડલાઇન તરીકે પ્રકાશિત થાય છે. તેનું હેડિંગ છે : ‘સિક્રેટ સેલ ઑફ ગોલ્ડ બાય આર.બી.આઈ. અગેઇન’. આ ખબરથી પૂરા દેશમાં ખળભળાટ મચે છે. મતલબ કે ગુપ્ત રીતે દેશની સર્વોચ્ચ બેન્ક ‘રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા’ ફરી સોનું ગીરવે મૂક્યું. આ ઘટના બની તે વખતે વડા પ્રધાન નરસિમ્હારાવ હતા અને તે વખતે દેશનું રિઝર્વ ગોલ્ડને બે વિદેશી બેન્કોમાં ગીરવે મૂકવામાં આવ્યું હતું. સોનાના ટ્રાન્સફરની વાત ગુપ્ત રાખવામાં આવી હતી. પરંતુ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના ઇન્વેસ્ટિગેટીવ પત્રકાર શંકર અય્યર આ બાતમી અખબાર સુધી લઈ આવ્યા અને દેશનું આર્થિક સંકટ કેટલું ગંભીર છે તે તેમણે સામાન્ય જન સુધી પહોંચાડ્યું. શંકર અય્યર તે પછી ‘બી.બી.સી.’ને એક ઇન્ટર્વ્યૂમાં પોતાના રિપોર્ટ વિશે એમ કહ્યું હતું કે, ‘જ્યારે કોઈ એક પરિવાર પર મોટું આર્થિક સંકટ આવે છે ત્યારે અંતિમ પગલાં તરીકે પરિવાર પોતાનાં પરિવારની મહિલાઓનું સોનું ગિરવે મૂકે છે. મારા રિપોર્ટની અસર એવી થઈ કે પહેલીવાર લોકોને અંદાજ આવ્યો કે દેશનું આર્થિક સંકટ કેટલું ગંભીર છે’ હવે એવું નથી કે આ આર્થિક સંકટ એકદમ આવી ગયું હતું. પત્રકાર શંકર અય્યર મુજબ 1988માં જ ‘ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ’ દ્વારા તત્કાલિન વડા પ્રધાન રાજીવ ગાંધીને કહેવામાં આવ્યું હતું કે ભારત દેશ આર્થિક સંકટ તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. તેનાથી બચવા માટે તમે લોન લઈ લો. રાજીવ ગાંધી પણ આ વાતથી સંમત્તિ ધરાવતા હતા, પરંતુ લોકસભાની ચૂંટણી સાવ નજીક હતી. તેમણે આ વાત પર ધ્યાન ન આપ્યું. ઉપરાંત તેમના પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પણ તેમ કરવા તૈયાર નહોતા.
હવે આ બધું જ બન્યું તેમાં તત્કાલિન રાજકીય અસ્થિરતા જવાબદાર હતી અને આખરે એ સ્થિતિ આવીને ઊભી રહી કે દેશ આર્થિક રીતે સાવ કંગાલ થવાની અણીએ આવીને ઊભો રહ્યો. આવું કેમ થયું? તેની શરૂઆતની વાત કરીએ તો જ્યારે દેશ આઝાદ થયો ત્યારે જ આપણે આર્થિક પડકારનો સામનો કરવાનો આવ્યો. દેશમાં ઉદ્યોગો નહોતા, રોજગારી નહોતી અને કોઈ માળખાકીય સુવિધા પણ નહોતી. આર્થિક સુધારની અનેક વાર જાહેરાત થઈ હતી, તેમ છતાં દેશના અર્થતંત્રની ગાડી પાટા પર ચઢી રહી નહોતી. સૌથી પહેલાં દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ તે માટે પાયાનું કામ કર્યું. તે પછી 1966 ઇંદિરા ગાંધીએ પણ આર્થિક સુધાર માટે પ્રયાસ આદર્યા. જો કે સ્થિતિ ન સુધરી. 1984માં દેશને સૌથી યુવાન વડા પ્રધાન તરીકે રાજીવ ગાંધી મળ્યા. રાજીવ ગાંધીએ કેટલાંક નિર્ણયો લીધા. જેમ કે તેઓ કમ્પ્યૂટર અને કોમ્યુનિકેશન ક્રાંતિ લાવ્યા, પણ આર્થિક બાબતે તેમને પણ કોઈ ઠોસ સફળતા ન મળી. 1980ના અરસામાં આ પડકાર વધુ ઘેરા બન્યા. રાજીવ ગાંધીની હત્યા પછી દેશમાં રાજકીય સ્થિતિ અસ્થિર થવા માંડી હતી. દેશમાં બે વર્ષમાં બે વડા પ્રધાન આવ્યા. 343 દિવસ માટે વી.પી. સિંહ વડા પ્રધાન બન્યા અને તે પછી 223 દિવસ માટે ચંદ્રશેખર. આ રીતે રાજકીય રીતે દેશનું વાતાવરણ ડહોળવા લાગ્યું હતું અને તેની અસર અર્થતંત્ર પર પડી હતી. તે વખતે દેશ ‘લાયસન્સ રાજ’થી ચાલતો હતો – મતલબ કે કોઈ પણ ચીજવસ્તુનું ઉત્પાદન કરવું હોય કે વેપાર કરવો હોય તો તેના પર સરકારના કડક અંકુશ હતા, જેથી દેશમાં કોઈ પણ વિદેશી કંપનીઓનું રોકાણ જલદીથી આવતું નહીં. આ કારણે વિદેશમાં અનેક ચીજવસ્તુઓ આયાત કરવી પડતી હતી, અને પરિણામે આપણું નાણું વિદેશમાં જતું હતું. માળખાકીય સુવિધા અર્થે તત્કાલિન સરકારોએ મસમોટી લોન લીધી હતી. આમ દરેક સ્તરે દેશ આર્થિક પડકારોનો સામનો કરી રહ્યો હતો. દેશનું વિદેશી ભંડોળ માત્ર 3 અરબ ડૉલર બચ્યું હતું. આ કેટલું ઓછું કહેવાય તેનો અંદાજો લગાવવો હોય તો હાલના વિદેશી ભંડોળના રકમ જોઈ લેવી જોઈએ, જે અંદાજે 690 અરબ ડૉલરની આસપાસ છે.
આર્થિક મુદ્દે ભારતની સ્થિતિ એટલી ખરાબ થઈ ચૂકી હતી કે ‘એન.આર.આઈ.’ પોતાનું રોકાણ દેશમાંથી પાછું લેવા માંડ્યા હતા. ભારતમાં નિકાસ કરનારને લાગતું હતું કે આપણે તેમનું ઉધાર ચૂકવી નહીં શકીએ. મોંઘવારીએ માજા મૂકી હતી. ઓઇલના ભાવ આસમાને પહોંચી ચૂક્યા હતા. તે વખતે સરકારે કેટલીક આયાત અટકાવવાની જાહેરાત કરી હતી. સરકારી ખર્ચ પણ કાપ મૂકાયો હતો. બેંકના વ્યાજદરમાં વધારો કરવામાં આવ્યો હતો. આખરે 1991માં તો તત્કાલિન વડા પ્રધાન ચંદ્રશેખરે 20 ટન સોનું ગીરવે મૂક્યું પડ્યું હતું. ચંદ્રશેખરની સરકારમાં નાણાં મંત્રી રહેનારા યશવંત સિન્હાનું કહેવું હતું કે, ‘જ્યારે તેઓ ડિસેમ્બર 1990માં નાણાં મંત્રી બન્યા તો તે સમયે દેશનું વિદેશી ભંડોળ ઘટીને માત્ર બે અરબ ડૉલર રહી ગયું હતું. તેનો અર્થ એવો થયો કે દેશ પાસે એટલું જ વિદેશી ભંડોળ બચ્યું હતું જેનાથી બે અઠવાડિયાનું આયાતનું બિલ આપણે ભરી શકીએ.’

આર્થિક રીતે જ્યારે દેશ ખાડે જઈ રહ્યો હતો ત્યારે બે વધુ ધક્કા દેશના અર્થતંત્રને લાગ્યા. પહેલું તો ખાડી દેશમાં યુદ્ધ ફાટી નીકળ્યું. ઇરાન-ઇરાક વચ્ચેના યુદ્ધથી ક્રૂડ ઓઇલના ભાવ એટલા વધ્યા કે તે મેળવવા માટે આપણે ટૂંકાગાળામાં જ બમણાં નાણાં ચૂકવવાના થવા લાગ્યા. તેથી આપણું આર્થિક ગણિત બગડી ગયું. ઉપરાંત આ જ ગાળામાં આપણો સૌથી મજબૂત મિત્ર દેશ રશિયાના ભાગલા પડી ગયા. આ તમામ સંકટ વચ્ચે વડા પ્રધાન નરસિમ્હા રાવ અને નાણા મંત્રી મનમોહનસિંહ ઉપરાંત તેમની ટીમે જે રીતે કામ કર્યું, તેથી દેશની આર્થિક પરિસ્થિતિ સુધરી અને આર્થિક સંકટ કાયમ માટે દૂર થયું. તે વખતે જે પગલાં લીધા તે કયા હતા? તો એવું કહેવાય છે કે તેની શરૂઆત 24 જુલાઈ 1991ના રોજ થઈ હતી. તે દિવસ ભારતના આર્થિક આઝાદીનો દિવસ હતો. આ દિવસે દેશની તત્કાલિન નાણા મંત્રી મનમોહન સિંહ બજેટ રજૂ કરીને સૌને ચોંકાવી દીધા. ભારતની અર્થવ્યવસ્થામાં આ દિવસ અગાઉ બધું જ સરકાર નિર્ધારીત કરતી હતી. કેટલું ઉત્પાદન થશે, ઉત્પાદન કરવામાં કેટલા લોકો કામ કરશે અને ઉત્પાદન થનારી ચીજવસ્તુની કિંમત શું હશે. આ લાઇસન્સ પરમિટ રાજનો તે દિવસે અંત આવી ગયો. કંપનીઓને અનેક પ્રતિબંધોથી મુક્ત કરી દેવામાં આવી. સ્થાનિક બજારમાં સ્પર્ધાત્મક વાતાવરણ બને તે માટે જાહેરાત કરવામાં આવી. બજેટમાં વિદેશી રોકાણકારો માટેના દરવાજા ખોલી દેવામાં આવ્યા, સોફ્ટવેર નિકાસ માટે કરમાં રાહત આપવામાં આવી. 1991ના અગાઉ કોઈ પણ વડા પ્રધાન કે નાણાં મંત્રી આ નિર્ણય લઈ શક્યા નહોતા. તે નિર્ણય વડા પ્રધાન નરસિમ્હા રાવ અને નાણાં મંત્રી મનમોહનસિંહ હતા તે સમયે લેવાયો. બજેટમાં રજૂ કરતી વેળાએ મનમોહનસિંહે ફ્રાન્સના ચિંતક વિક્ટર હ્યૂગોના શબ્દો ટાંકતા સંસદમાં કહ્યું હતું કે, ‘પૃથ્વી પર કોઈ પણ શક્તિ તે વિચારને નથી રોકી શકતી, જેનો સમય આવી ચૂક્યો હોય.’ અને એવું નથી કે તે મુશ્કેલીના સમયમાં આ બધું કરવું સરળ હતું. ઉદારીકરણના પગલાં લેવા માટે તે વખતે અનેક વાર મનમોહનસિંહની ટીકા થઈ. ડાબેરી નેતાઓ અવારનવાર મનમોહનસિંહની ટીકા કરતા, પણ તે સમયે પણ વડા પ્રધાન નરસિમ્હારાવ તેમની પડખે રહ્યા. તે વિશે ખુદ નરસિમ્હારાવ અનેક વર્ષો પછી એક ઇન્ટર્વ્યૂમાં કહ્યું હતું કે, ‘ડૉક્ટર મનમોહનસિંહે આર્થિક સુધારને આગળ વધારવા અથાક પ્રયાસ કર્યા, તેમની પડખે હું કાયમ ઉભો રહ્યો.’
હાલમાં દેશની આર્થિક સ્થિતિ 1991ના આવેલા સંકટ કરતાં ઘણી સારી છે. પરંતુ હવે સરકાર દ્વારા કોઈ ઠોસ પગલાં લેવા કરતાં સીધુ જ પ્રજાને સલાહ-સૂચન આપવાનો દોર વધ્યો છે. ખરેખર તો નીતિ એ રીતે ઘડાવી જોઈએ જેથી પૂરી વ્યવસ્થા જડબેસલાક થાય. આવું થાય તે માટે ફરી નરસિમ્હારાવ-મનમોહનસિંહ જેવા આર્થિક દિર્ઘદૃષ્ટાની રાહ જોવી રહી.
e.mail: kirankapure@gmail.com
![]()

