Opinion Magazine
Number of visits: 9869601
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અનામત કોઈને માટે ક્યાં સુધી ચાલુ રાખવી જોઈએ?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|25 May 2026

રવીન્દ્ર પારેખ

અનામતમાં મત ન હોત તો તે આજ સુધી ટકી ન હોત. અનામત ટકવામાં રાજકારણ મુખ્ય છે. આમ તો તે 1902થી અમલમાં છે. કોલ્હાપુરના છત્રપતિ શાહુ મહારાજે રાજ્યની નોકરીમાં બ્રાહ્મણો ઉપરાંત પછાત જાતિઓ માટે 50 ટકા અનામત રાખવાની જાહેરાત કરેલી. 1908માં બ્રિટિશ સરકારે પછાત જાતિઓ માટે સરકારી નોકરીઓમાં અમુક ટકા અનામત રાખવાની પહેલ કરેલી. અંગ્રેજોની ભાગલા પાડો ને રાજ કરો – નીતિ અનુસાર અનામતનો સ્પષ્ટ હેતુ હિંદુ સમાજમાં ફાટફૂટ પડાવવાનો હતો. ગાંધીજી આ તકરાર પામી ગયેલા. તેમણે દલિતો માટે અનામત મતદાર ક્ષેત્રો સામે ઉપવાસ કર્યા હતા. આખરે ગાંધીજી અને ડો. આંબેડકર વચ્ચે પુના કરાર થયેલા, જેમાં દલિતોને હિંદુ મતદાર સંઘોમાં અલગ કોટા ફાળવાયેલા. ભારત સ્વતંત્ર થયું તેના વરસેક પહેલાં જ નવું બંધારણ ઘડવાનું શરૂ થઇ ચૂકેલું ને પાછળથી કાયદા મંત્રી ડો. આંબેડકરે જ બંધારણ રચનાનો દોર સંભાળ્યો હતો. તેમણે બ્રિટિશરોએ દાખલ કરેલી અનામત પ્રથા કાયમ કરવાનું નક્કી કરી રાખેલું, પણ પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ અનામતની વિરુદ્ધ હતા. 1950માં નવું બંધારણ અમલમાં આવ્યું ને જાતિ આધારિત અનામત સામે કેસ કરવામાં આવ્યો. એમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો અનામતની વિરુદ્ધ આવ્યો, છતાં, બંધારણમાં 15(4) કલમ ઉમેરવામાં આવી ને આરક્ષણને રક્ષણ આપવામાં આવ્યું. ભારતનું બંધારણ અમલમાં આવ્યું ત્યારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે જ 22 ટકા અનામતની જોગવાઈ હતી. 1979માં મંડલ કમિશનની રચના થતાં 105 અન્ય પછાત જાતિઓને 27 ટકા અનામત હેઠળ આવરી લેવામાં આવી. 1985માં મંડલ કમિશને પોતાનો અહેવાલ સુપરત કર્યો, ત્યારે કેન્દ્રમાં કાઁગ્રેસની સરકાર હતી ને તે વખતનાં વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ તે અહેવાલ અભરાઈ પર ચડાવી દીધો. 1989માં વી.પી. સિંહની સરકાર આવી ત્યારે મંડલ કમિશનના અહેવાલનો અમલ કરવામાં આવ્યો. તેને પરિણામે દેશમાં રમખાણો ફાટી નીકળ્યાં ને એમાં વી.પી. સિંહની સરકારે જવું પડ્યું.

ડો. આંબેડકરે અનામત દાખલ કરી ત્યારે તેનો અમલ 10 વર્ષ માટે જ કરવાની જોગવાઈ બંધારણમાં હતી, પણ પછી અનામતને મુદ્દે નવી સરકાર બનવાના સંજોગો ઊભા થયા અને તેમાં ૩૩ ટકા મહિલા અનામતનો પણ અમલ થયો. જેટલી સરકારો આવી તે કોઈકને કોઈક રીતે અનામતનો લાભ લેવાનું ચૂકી નહીં. આજે તો 50 ટકાથી વધે નહીં એ રીતે અનામત લાગુ છે ને મતનો વધારે લાભ થતો હશે, તો 50 ટકાની લક્ષ્મણરેખા પણ ઓળંગાઈ જાય તો આશ્ચર્ય થાય એમ નથી. અનામતમાં મત પડેલા છે, એટલે સરકાર કોઈ પણ હોય, અનામતની ટકાવારી વધશે, પણ ઘટશે નહીં. અનામત એવું હથિયાર છે જે રાજકીય પક્ષોને જીત માટે દ્વાર ખોલી આપે છે ને ચૂંટણી છે, ત્યાં સુધી એ શસ્ત્ર વપરાતું રહેવાનું છે એ નક્કી છે.

અનામત હવે નાબૂદ થાય એમ જ નથી ત્યારે તે વાત સ્વીકારી લેવાની રહે, પણ સવાલ એ છે કે એથી અનામત જેમને માટે છે, એમને ખરેખર કોઈ લાભ થાય છે કે સંબંધિત જાતિઓ મત મેળવી આપવા પૂરતું જ મહત્ત્વ ધરાવે છે? બનવું તો એવું જોઈતું હતું કે સરકારોએ પછાત જાતિઓને શક્ય તેટલી તમામ મદદ ભણતર, ઉછેર અને સગવડો સાચવવા કરવાની હતી ને પ્રવેશ, પરીક્ષા, નોકરી વગેરે માટે તમામને મેરિટસને આધારે પસંદ કરવાના હતા. તો, સ્વમાન ખોઈને લાભ મેળવવામાંથી અનામત આધારિત જાતિઓ બચી ગઈ હોત.

એક વાર એ પણ માની લઈએ કે અનામતની જે સ્થિતિ અત્યારે છે તે ચાલુ રહે છે, તો સવાલ એ છે કે આ અનામત કોને માટે ક્યાં સુધી ચાલુ રાખવી જોઈએ? અનામતનો લાભ કેટલી પેઢી સુધી આપવો જોઈએ? કે એની કોઈ સમય મર્યાદા હોવી જ ના જોઈએ? આમ તો અનામત ભારતીય પ્રજાને કોઠે પડી ગઈ હતી, પણ બીજા કોઈને નહીં, પણ સુપ્રીમ કોર્ટને સવાલો થયા છે, એટલે અનામત વિષે ફરી વિચારવાનું થયું છે. કોઈ પણ મદદ કોઈને ઉપર ઊઠવા પૂરતી થાય તે સમજી શકાય, પણ મદદ કરવામાં મદદ કરનારે મદદ માંગવાનો વારો આવે એવી મદદ તો ના થાય ને? અનામતને મામલે એવું તો નથી ચાલતું ને તેનો વિચાર કરવાની જરૂર છે. મદદ કરનાર ભિખારી ન થઈ જાય એવું તો મદદ લેનાર પણ ના ઇચ્છે. કોઈક તો મર્યાદા હોવી ઘટે ને !

કર્ણાટક હાઈકોર્ટના ચુકાદા સામેની અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેટલાંક તારણો આપ્યાં તે ધ્યાનાર્હ છે. અરજદારો વતી શશાંક રત્નુએ કહ્યું હતું કે લોકોને તેમના પગાર અને આવકને કારણે નહીં, પણ તેમના સામાજિક દરજ્જાને કારણે અનામત માટે પાત્ર ગણવામાં આવ્યા છે. ગ્રૂપ એ-ના કર્મચારીઓને બહાર કરવામાં આવ્યા છે ને ગ્રૂપ બી-ના કર્મચારીઓને બહાર કરવામાં આવી રહ્યા છે. એની સામે સુપ્રીમનાં જસ્ટિસ નાગરત્નાએ મહત્ત્વની ટિપ્પણી કરી છે કે જો માતા-પિતા બંને IAS કે ઉચ્ચ અધિકારી હોય તો તેમના સંતાનોને અનામતનો લાભ શું કામ મળવો જોઈએ? અરજદારનું માનવું છે કે આર્થિક સધ્ધરતા અનામતના હકને અવગણી શકે નહીં. સામાજિક દરજ્જાને લીધે, અવમાનનાને લીધે અનામત અનિવાર્ય છે. એની સામે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી વિચારવા જેવી છે.

સામાજિક અવમાનના થવાનું મુખ્ય કારણ હતું આર્થિક પછાતપણું. કોઈ પછાત જાતિના સભ્યો આર્થિક રીતે સદ્ધર હોત તો, તેની સામાજિક અવમાનના થઇ હોત? એ પણ છે કે સામાજિક અવમાનનાને કારણે જ આર્થિક સ્થિતિ પણ નબળી રહી, પણ એક જ કુટુંબમાં માબાપ IAS કેડર સુધી પહોંચ્યા હોય, તેમની આર્થિક સ્થિતિ પણ વધારે સુધરી હોય, તો તેમના સંતાનોને અનામતનો લાભ શું કામ મળવો જોઈએ, એ પ્રશ્ન તો રહે જ છે. રહી સામાજિક દરજ્જાની વાત, તો સવાલ એ પણ થાય કે IAS માબાપનો સામાજિક દરજ્જો સુધર્યો જ નથી એમ કહી શકાશે? જે સામાજિક દરજ્જો પહેલાં હતો એ જ IAS બન્યાં પછી પણ રહ્યો હોય એવું ખરું? એ સંદર્ભે સુપ્રીમના જજ નાગરત્નાની ટિપ્પણી વિચારવા તો પ્રેરે જ છે. એક પેઢીને અનામતનો લાભ મળ્યો હોય ને સામાજિક તથા આર્થિક સ્થિતિ પણ સુધરી હોય ને એમના સંતાનોને એ સામાજિક-આર્થિક અવમાનનાનો ભોગ બનવાનું આવ્યું જ નથી, તેમને અનામતનો લાભ શેને માટે મળવો જોઈએ એ પ્રશ્ન તો છે જ ! જે લોકો અનામતનો લાભ લઈને ચોક્કસ સ્થાન પર પહોંચ્યા હોય અને એમાં માતાપિતા બંને IAS કે અન્ય ઉચ્ચ હોદ્દા પર હોય ને એવા સ્થાન પર હોય, જ્યાં ઘણાં સવર્ણો કદી પહોંચવાના ન હોય, ત્યારે અનામતનો લાભ લેનારને વારંવાર તેનો લાભ આપવાને બદલે સરકારે તેમને અનામતથી દૂર રાખવા જોઈએ એવું સુપ્રીમનું તારણ કોઈ રીતે વાંધાજનક નથી. જસ્ટિસ નાગરત્ના અને જસ્ટિસ ભૂઈયાની બેંચ દ્વારા અનામતને મુદ્દે ચાલતી સુનાવણીમાં સરકારને અનામતનો લાભ લઈ ચૂકેલા લોકોને અનામતના દાયરામાંથી બહાર રાખવાની ટકોર કરાઈ છે, કારણ છેવટે નિર્ણય સરકારે લેવાનો છે ને સરકાર અનામતીઓને નારાજ કરવા કેટલી તત્પર છે, તે તો આવનારો સમય જ કહેશે. અનામતનો લાભ જેને આપવા જેવો જ હોય તેને ભલે અપાય, પણ જે આર્થિક તેમ જ સામાજિક રીતે સફળ છે તેમને અને તેમનાં સંતાનોને અનામતના દાયરાથી બહાર રાખવા જોઈએ. આમ પણ અનામતનો લાભ બધી પછાત જાતિઓને મળતો નથી, એમને લાભ મળે, એટલે પણ જે સક્ષમ છે એમને અનામતથી દૂર રાખવા જોઈએ, જેથી એમના જ જાતિ બંધુઓને તેનો લાભ મળી રહે.

એક વાત બહુ સ્પષ્ટ છે કે માબાપને અનામતને લીધે સામાજિક અને આર્થિક સ્થિતિ ઘણી સુધરી હોય તો તેમની પછીની પેઢીને તેનો લાભ ન મળવો જોઈએ. સમાજ એમાંથી બહાર આવે એટલે પણ તે જરૂરી છે. ઉપરના કિસ્સામાં કર્ણાટક હાઈકોર્ટનો અનામતમાંથી બાકાત રાખવાનો નિર્ણય સુપ્રીમે માન્ય રાખ્યો છે તે પણ સૂચક છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 25 મે 2026

Loading

25 May 2026 Vipool Kalyani
← પરફોર્મેટિવ પૉલિટિક્સઃ રાજકારણ હવે માત્ર શાસન નહીં, વાયરલ થવાની કળા પણ
1991ના દેશના આર્થિક સંકટમાંથી આપણે શું શીખી શકીએ? →

Search by

Opinion

  • 1991ના દેશના આર્થિક સંકટમાંથી આપણે શું શીખી શકીએ?
  • પરફોર્મેટિવ પૉલિટિક્સઃ રાજકારણ હવે માત્ર શાસન નહીં, વાયરલ થવાની કળા પણ
  • રાષ્ટૃની વિભાવના : સંઘર્ષ સમજૂતિ અને સ્થાપિત એજન્ડા
  • ચલ મન મુંબઈ નગરી—342
  • ગઝલ

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved