હવાથી જ આ બારણાં ખડખડ્યાં છે,
વીત્યાં વાત વંટોળ આવી ચઢ્યાં છે.
ઘડી બે ઘડી છે કરી લઉં વિસામો,
મુસાફર અને માર્ગ ભૂલા પડ્યાં છે.
રહેશે નહીં વસ્ત્ર એક્કેય કોરાં,
ફરી આભમાં વીજ વાદળ ચઢ્યાં છે.
પડ્યો છે ફરી દાખલો સાવ ખોટો,
મને ક્યાં બરોબર ઊઠાં આવડ્યાં છે?
પનોતાં ગણીને વધાવી લઉં પણ,
વીત્યાં વર્ષ કોને પરત સાંપડ્યાં છે?
જમા ને ઉધારા કરો બંધ ‘નિર્મન’,
હવે એય મુદ્દલ કબૂલી ગયાં છે.
તા.26.5.26
વૃન્દાવન બંગલોઝ,15) શિવ બંગલો, બળિયાદેવ મંદિર નજીક, ગાના-કરમસદ રોડ, મુ. કરમસદ. તા. જિ. આણંદ.
ઈ-મેલ: 1959pareshdave@gmail.com
![]()


ગુજરાતી સાહિત્યમાં ધીરુ પરીખ સર્જક હોવાની સાથે સતેજ અને નિષ્પક્ષ સંપાદક તરીકે પણ જાણીતા છે. કવિતા એમનો પ્રાણવાયુ છે, જેના થકી આજે ‘બુધસભા’ ધબકે છે. “કુમાર”ના પુનઃજન્મ અને “કવિલોક”ના સાતત્ય માટે ધીરુ પરીખે માતબર કામ કર્યું છે. આ સામાયિકો ધીરુભાઈના કારણે આજે આગવી ઊંચાઈને આંબી શક્યા છે. મૂળે માસ્તરનો જીવ એટલે જીવનયાત્રામાં શીખતા જવાનો અને શીખવાડતા જવાનો તેમનો સ્વભાવ. કાવ્યસર્જનમાં ધીરુભાઈએ હાઈકુ, છપ્પા કે વનવેલી છંદમાં રચેલાં ગદ્યકાવ્યોએ અનેરી પહેલ કરી છે. ધીરુભાઈના આઠ કાવ્યસંગ્રહ, જેમાં ‘ઉઘાડ’, ‘અંગ પચીસી’, ‘આગિયો’, ‘રેલ્વે સ્ટેશન અને ટ્રેઈન’ નોંધપાત્ર છે. ગીતોનો સંગ્રહ ‘હરિ ચડ્યા અડફેટે’ નામે પ્રસિદ્ધ કર્યો. ધીરુ પરીખના બે વાર્તાસંગ્રહ ‘કંટકની ખુશબો’ (૧૯૬૪) અને ‘પરાજીત વિજય’ (૨૦૦૧) પ્રકાશિત થયા છે. ‘હવે અમારા નખ વધે છે’ નામે એકાંકી સંગ્રહ છે. તો ‘કાળમાં કોર્યા નામ’ (૧૯૭૭) અને ‘સમય રેત પર પગલાં’ (૨૦૦૧) નામે જીવનચરિત્રના સંગ્રહો પ્રકાશિત કર્યા છે. આ સાથે ધીરુભાઈએ ૧૮ વિવેચન સંગ્રહો આપણને આપ્યા છે. ધીરુભાઈ આજે ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’માં પસંદગી પામેલા પ્રમુખ તરીકે સેવા આપે છે. ધીરુભાઈને કુમાર ચંદ્રક, જયંત પાઠક ચંદ્રક, પ્રેમચંદ સુવર્ણ ચંદ્રક, રણજીતરામ સુવર્ણચંદ્રક સહિત ગુજરાત સાહિત્ય અકાદમીના પુરસ્કાર પ્રાપ્ત થયેલા છે. “કુમાર” સામાયિકને ડિજિટલાઈઝ્ડ કરીને તેઓએ સાહિત્યની મોટી સેવા કરી છે. સાવ સરળ સ્વભાવના ધીરુભાઈ સર્જક, વિવેચક, સંપાદક તરીકેની ત્રેવડી ભૂમિકા સહજ રીતે ભજવે છે. તેમની સાથે થયેલો સંવાદ …