Opinion Magazine
Number of visits: 9950689
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આવ્યા આવ્યા દિવસો હડતાલના …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|13 February 2026

રવીન્દ્ર પારેખ

એમ લાગતું હતું કે ભારતીય લોકશાહીમાં વિરોધની ધાર બુઠ્ઠી થઈ ગઈ છે, પણ વિરોધ શક્ય છે એ જોઈને આશ્વસ્ત થવાય એવું છે. 27 જાન્યુઆરીએ જ દેશની બેન્કોના 8 લાખ કર્મચારીઓ ફાઈવ ડે વીકની માંગ સાથે ગુરુવારે હડતાલ પર હતા ને ગુજરાતના 15,000 કર્મીઓ એ હડતાલમાં જોડાયા હતા. દેશભરમાં ત્યારે ચારેક લાખ કરોડના ચેકનું ક્લીયરિંગ અટવાયેલું. 5 દિવસના અઠવાડિયાની 15 વર્ષની માંગ ટલ્લે ચડતી હતી, એટલે 27 જાન્યુઆરીએ હડતાલ પડેલી ને તેને વધારે વખત થાય તે પહેલાં 12 ફેબ્રુઆરીએ ફરી હડતાલ બેન્કોની પડી છે ને આ વખતે LIC, સરકારી વીજ કમ્પનીના કર્મચારીઓ પણ જોડાયા છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) સિવાયની લગભગ તમામ પબ્લિક અને પ્રાઈવેટ સેક્ટરની બેંકો કાલે બંધ રહી હતી ને બેંક કર્મચારીઓ કામથી અળગા રહ્યા હતા.

કોણ જાણે કેમ પણ રોજના નવા અખતરાને પરિણામે સરકારે ખતરા ઉઘરાવ્યા હોય એમ લાગે છે. કેન્દ્ર સરકાર દ્વારા ચાર નવા કાયદાએ હડતાલને નિમંત્રણ આપ્યું છે અને ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઇઝ એસોસિએશન (AIBEA), ઓલ ઇન્ડિયા બેંક ઓફિસર્સ એસોસિએશન (AIBOA), બેંક એમ્પ્લોઇઝ ફેડરેશન ઓફ ઇન્ડિયા (BEFI) ઉપરાંત બીજા સાતેક સેન્ટ્રલ ટ્રેડ યુનિયનોએ ભારત બંધનું એલાન આપ્યું હતું. રાષ્ટ્રવ્યાપી હડતાલને દેશભરમાં અને ગુજરાતમાં પણ વ્યાપક પ્રતિસાદ મળ્યો છે. ગુજરાતમાં હડતાલને પગલે 15,000 કરોડ બેન્કિંગ વ્યવહારોને અસર પહોંચી છે. બેંક કર્મચારીઓએ ‘હિટલરશાહી નહીં ચલેગી’ ‘લેબર કોડ વાપસ લો’ જેવા સૂત્રો પોકાર્યાં હતાં. દેશનાં દશેક કેન્દ્રીય ટ્રેડ યુનિયનોની માંગ છે કે સરકારે તાજેતરમાં જે ચાર નવા લેબર કોડ દાખલ કર્યા છે તે કર્મચારીઓના હિતમાં નથી તેથી તે પાછા ખેંચાવા જોઈએ. આ કાયદાને કારણે ગમે તેને નોકરીએ રાખવાની કે છૂટા કરવાની (હાયર એન્ડ ફાયર) તકો મળી જશે. સરકારે કોન્ટ્રેક્ટ સિસ્ટમ દાખલ કરીને બેરોજગારીમાં વધારો જ કર્યો છે. બેંક યુનિયનોનું માનવું છે કે કોન્ટ્રેક્ટ સિસ્ટમને બદલે નોકરીઓ કાયમી કરવી જોઈએ.

હડતાલ પડવાનાં કારણોમાં 29 જૂનાં મજૂર કાયદાને બદલે 4 નવા લેબર કોડ આવ્યા તે ગણાવાય છે. ટ્રેડ યુનિયનોનું માનવું છે કે નવા કાયદાઓ કામદારોની વિરુદ્ધ છે ને કામદારોની નોકરીની સુરક્ષા તેથી જોખમાય એમ છે. બીજું, લઘુત્તમ વેતનના નિયમોમાં કર્મચારીઓનું શોષણ જ વધશે. મજૂર સંગઠનો એથી જ જૂનાં કાયદાઓ પાછા લાવવાની માંગ કરી રહ્યા છે.

હવે નોકરીઓમાં કાયમી ભરતી લગભગ થતી નથી, તે એટલે કે નિવૃત્તિ પછીના પેન્શન વગેરે લાભો આપવા ના પડે. કોઈ કોર્પોરેટર ટર્મ પૂરી કરે ને ધારાસભ્ય થાય, તે જ ધારાસભ્ય ટર્મ પૂરી કરે ને તે સાંસદ થાય ને ટર્મ પૂરી કરે, તો તેને ત્રણ ત્રણ પેન્શન ટર્મ પૂરી થતાં મળે છે ને એક સાધારણ કર્મચારી 30-35 વર્ષની નોકરી પછી નિવૃત્ત થાય તો તેને પેન્શન કેમ નહીં તે સમજાતું નથી. કોન્ટ્રકટ સિસ્ટમ દાખલ જ એટલે કરવામાં આવી કે કોન્ટ્રકટ પૂરો થતા નોકરીમાંથી છૂટા કરી શકાય ને બીજી સગવડ એ કે પૂરો પગાર ના આપવાનો અને પેન્શનનું તો નાહી જ નાખવાનું.

સુરતમાં પણ ગુરુવારની એક દિવસીય હડતાલ સફળ રહી. સવારથી જ બેંક યુનિયનો અને અન્ય સંગઠનોના પ્રતિનિધિઓ તથા કામદારો કલેકટર કચેરી, સુરત ખાતે એકઠા થયા હતા અને સૂત્રો પોકારીને વિરોધ પ્રગટ કર્યો હતો. આ હડતાલમાં બેંક કર્મચારીઓ ઉપરાંત LIC, રેલવે, પોસ્ટ, ઇન્કમટેક્સ, એસ.ટી., આંગણવાડી અને આશાવર્કરો પણ જોડાયાં હતાં, એટલું જ નહીં, સુરતના કાપડ અને હીરાઉધોગ સાથે સંકળાયેલાં કેટલાંક યુનિયનોએ હડતાલને ટેકો જાહેર કર્યો હતો. એ સાથે જ ટ્રેડ યુનિયનોએ સરકારને ચીમકી પણ આપી છે કે જો સરકાર ઘટતું નહીં કરે તો આંદોલન વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે. રાજકોટમાં પણ LIC અને અન્ય બેંક કર્મચારીઓ દ્વારા ખાનગીકરણનો વિરોધ કરવામાં આવ્યો ને શ્રમિક કાયદાઓમાં કરવામાં આવેલા ફેરફારોનો પણ સખત વિરોધ કરવામાં આવ્યો.

લેબર કોડ કોઈ રીતે પણ પરત ખેંચાવા જોઈએ, કારણ કે એ મહિલાઓની સલામતીના પ્રશ્નો વધારે છે. નવા ચાર લેબર કોડ આવવાને લીધે મહિલાઓને નાઈટ શિફ્ટ કરવાની આવશે. એમ થશે તો સ્ત્રીઓનાં પારિવારિક જીવન પર અસર પડશે. લેબર કોડમાં સુધારો ન થાય તો મહિલાઓએ પહેલાંની જેમ ઘરકામથી જ સંતોષ માનવાનો રહેશે. એક તબક્કે 100ની સંખ્યા હોય તો યુનિયન બનતાં હતાં હવે 300ની સંખ્યા હોય તો જ યુનિયન બનાવી શકાય છે. સંખ્યા વધવાને લીધે ઓછા લોકોનાં યુનિયનો બનશે નહિ. યુનિયન ન બની શકવાને લીધે તેમની માંગણીઓ કે અન્ય તકલીફોની રજૂઆતના જ પ્રશ્નો હશે. એ અત્યંત દુખદ છે કે કાયદાઓ શોષણને અટકાવવા માટે હોય, પણ નવા કાયદાઓમાં 8 ક્લાક્ને બદલે 12 કલાક ફરજિયાત કામ કરવાનો નિયમ દાખલ કરવામાં જ શોષણ છે. એમ થશે તો પારિવારિક જીવન પર કાપ પડશે. બાર કલાકની ડ્યૂટી બાળકોનાં શિક્ષણ પર અસર પાડશે ને પરિવાર તરફ ધ્યાન જ ઓછું અપાશે.

આ હડતાલમાં LIC પણ જોડાઈ છે, તે એટલે કે સરકાર LICના શેર વેચીને તેનું ખાનગીકરણ કરવા જઈ રહી છે. આમેય સરકાર પોતાની જવાબદારીઓ ઓવારી દઈને ખાનગીકરણને પ્રોત્સાહન આપી રહી છે. ખબર નથી પડતી કે સરકાર દરેક બાબતમાં દખલ કરીને કે બધું સખળડખળ કરીને કરવા શું માંગે છે? અગાઉ કશું હતું જ નહીં કે હતું તે ઠેકાણાં વગરનું જ હતું, એમ માનીને સરકાર બધું જ ઉપરતળે કરવા માંગે છે ને એમ કરવા જતાં જે સામે આવે છે તે અગાઉને ટપી જાય એવું ભાગ્યે જ હોય છે. નવા લેબર કોડે અનેક સંગઠનોને વિરોધ કરવાની સામટી તકો પૂરી પાડી. લેબર કોડ બદલાતા એ સ્થિતિ આવી કે મહિલાઓને પક્ષે રહેલી સરકાર એકાએક જ સામે પક્ષે બેઠી હોય એમ થયું છે. રોજ જ છેડતી, બળાત્કારનાં ઢગલો કિસ્સાઓ સામે આવતા હોય ત્યારે મહિલાઓને રાતપાળીમાં નોકરી કરાવવાનું ડાહપણ ભરેલું કેટલું? મહિલાઓને બાળઉછેરની, ગૃહિણી તરીકેની અન્ય ફરજો પણ હોય, એવામાં 8 કે 12 કલાકની નોકરી હોય કે રાતપાળી કરવાની આવે, તો તે કેટલી હદે ને ક્યાં સુધી સહ્ય હોય એ વિચારવાનું રહે. નોકરીમાં કે બહાર મહિલાનું શોષણ થાય તો તેનાં રક્ષણની સુવિધા અંગે સરકારે કંઇ વિચાર્યું હોય એમ લાગતું નથી. પુરુષોને પણ 12 કલાકની નોકરી હોય તો તે ઘરમાં ધ્યાન આપે એવું સરકારને અપેક્ષિત છે કે કેમ? જે વ્યવહારુ જ નથી એવું કાયદા તરીકે ઠઠાડી દેવામાં સરકારની માનસિક સ્થિતિ અંગે પ્રશ્નો થાય એમ બને. એવો વહેમ પડે કે સરકારની નીતિઓ મજૂર વિરોધી, ખેડૂત વિરોધી કે રાષ્ટ્ર વિરોધી છે. સરકારની નીતિ કોર્પોરેટ તરફી અને ખાનગીકરણને સ્વીકૃતિ આપનારી છે ને એમાં માણસ તરફી ભાગ્યે જ કંઇ હશે.

ભારત બંધના એલાનથી 600 જિલ્લાઓને તથા બેંક, બસ, રેલ સેવાઓને અસર થઈ છે. સરકાર રોજ જ ફેરફારો કરવામાં પાવરધી છે તે ખરું, પણ તેથી પડતી હડતાલો અનેક લોકોને પ્રભાવિત કરતી હોય છે એ ભૂલવા જેવું નથી. આ ઉપરાંત ઊર્જા ક્ષેત્રમાં વ્યાપક રીતે વિભાજન સહિત ખાનગીકરણનો વિરોધ કરવા સરકારી વીજ કંપનીઓના 45,000 કર્મચારીઓ પણ હડતાલ પર રહ્યા, એની અસરો સામાન્ય માણસો સુધી પહોંચી. હડતાળથી સરકારને તો બહુ ફેર પડતો નથી, પણ તેની અસર અનેક લોકોને પહોંચતી હોય છે. એક દિવસની હડતાલ જે રોજિંદા વ્યવહારો પર અસર પાડે છે તે વ્યક્તિઓને તો ઠીક, બીજી અનેક રીતે પ્રભાવિત કરે છે.

હડતાલ, તાલ ખોરવે જ છે, વધારે શું કહેવું?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 13 ફેબ્રુઆરી 2026

Loading

ગઝલ – 1/2

પરેશ દવે 'નિર્મન'|Poetry|13 February 2026

ગઝલ – 1

દીવાનાનું દર્પણ છે તું,
છૂટે ના એ સગપણ છે તું.

ભૂથી અદકો ભારે છું ને,
હળવો જાણે રજકણ છે તું.

શબ્દ થકી આવર્યો સંસાર,
અંદર બહાર કણ કણ છે તું.

તારે બાણે વીંધાશે તું,
આહેડી મનની ક્ષણ છે તું.

પળનું રેશમ ચિત્ર છે તું,
એમાં ચિતર્યું ‘હું’ પણ છે તું.

°°°

ગઝલ – 2

તું હજી ડૂસકાય છે, ડૂમાય છે?
શબ્દ કે શાહી તળે સંતાય છે?

માછલી જેવું જ તું પણ તરફડ્યો,
શીદને ધીવર બની ચર્ચાય છે?

એક ખોબો જીવતી તરસે કહ્યું,
જીવ અપરંપાર બસ છલકાય છે.

આ સમયને ખંડમાં તોડ્યા પછી,
ક્યાં કશું પણ કોઈથી જોડાય છે.

એવું તે શું થૈ ગયું ‘નિર્મન’ કહે,
તૂટતાં પહેલાં ત…ડડ તરડાય છે.

તા.12.2.26
વૃન્દાવન બંગલોઝ,15, શિવ બંગલો, બળિયાદેવ મંદિર નજીક, ગાના-કરમસદ રોડ, મુ. કરમસદ., તા. જિ. આણંદ.
ઈ-મેલ: 1959pareshdave@gmail.com

Loading

૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

ચંદુ મહેરિયા|Opinion - Opinion|13 February 2026

ચંદુ મહેરિયા

કોમનમેન માટે ૧૪૪મી કલમ એટલે એક સ્થળે ચાર કરતાં વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ. પરંતુ  ૧૪૪મી કલમનો વ્યાપ બહુ વિશાળ છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં હાલમાં અમલી ૧૪૪મી કલમના જાહેરનામા પ્રમાણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે માટે શહેરમાં ચાર કરતાં વધુ વ્યક્તિઓને એક સાથે એકત્ર થવા, મંડળી રચવા કે રેલી-સરઘસ કાઢવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. 

લોક આંદોલનો પર પ્રતિબંધ, હથિયારોની હેરાફેરી અને ગેરકાયદે હથિયારો રાખવા પર પ્રતિબંધ, માનવજીવન, આરોગ્ય અને સલામતી પર ખતરો, જાહેર સુરક્ષામાં ગરબડ રોકવી, તોફાનો અને ઉપદ્રવ અટકાવવા જેવા કારણોસર ૧૪૪મી કલમ હેઠળ પ્રતિબંધો લદાય છે. કોરોના મહામારીનો પ્રસાર રોકવા કે તોફાનોમાં જૂઠી અફવાઓ રોકવા ઈન્ટરનેટ બંધ કરવા પણ તેનો ઉપયોગ થાય છે. અસામાન્ય પરિસ્થિતિમાં અસાધારણ ઉપાયોની આવશ્યકતા રહે છે. હિંસા કે ઉપદ્રવની સ્થિતિને અટકાવવા તાત્કાલિક પગલાં જરૂરી છે. કંઈક આવા ઉદ્દેશોથી આ કલમ ઘડાઈ છે. પરંતુ આજે તો તેનો હાલતા અને ચાલતા મનસ્વી ઉપયોગ થાય છે. 

ક્રિમિનલ પ્રોસિજર કોડ (CrPC) ૧૯૭૩ની કલમ ૧૪૪ મૂળે તો બ્રિટિશરોની દેન છે. આઝાદીના આંદોલનોને રોકવા અંગ્રેજ સરકાર તેનો ઉપયોગ કરતી હતી. સંસ્થાનવાદનો જે કેટલોક વારસો સ્વતંત્ર ભારતે જાળવી રાખ્યો છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ કલમ ૧૪૪ છે. નવરચિત ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ૨૦૨૩માં પણ તે કલમ ૧૬૩ તરીકે જીવંત છે. તેથી ભારતની અપરાધિક ન્યાય વ્યવસ્થામાં કાગળ પર અને વ્યવહારમાં બ્રિટિશકાળના કેટલાક અંશો સચવાયેલા લાગે છે. એક અન્ય અભ્યાસ પ્રમાણે ઈ.સ. ૧૮૬૧માં ગુજરાતના બરોડા સ્ટેટમાં પોલીસ અફસર ઈ.એફ ડેબુ(E.F. DEBOO)એ કલમ ૧૪૪ ઘડી હતી અને તેનો અમલ પણ થતો હતો!

સરકાર વિરોધી આંદોલનોને રોકવા ૧૪૪મી કલમનો સતત ઉપયોગ થાય છે.એટલે તે બંધારણના અનુચ્છેદ ૧૯થી મળેલ નાગરિકોના શાંતિપૂર્ણ અને કાયદેસરના વિરોધના મૂળભૂત અધિકારોનું હનન કરે છે. સરકાર વિરોધી દેખાવો, સભા, સરઘસોને વિફળ કરવા માટે તેનો વ્યાપક ઉપયોગ થાય છે. લોકોના વિરોધને તે અટકાવે છે તેથી નાગરિકોના અભિવ્યક્તિની સ્વતંત્રતાના હકનું ઉલ્લંઘન થાય છે. 

૧૪૪મી કલમના મનસ્વી ઉપયોગને આઝાદી પૂર્વેથી માંડીને આજ સુધી અદાલતમાં પડકારવામાં આવતો રહ્યો છે. ૧૯૩૯માં બોમ્બે હાઈકોર્ટે આ સંદર્ભના ચુકાદામાં કહેલું, એ વાતમાં કોઈ શંકા નથી કે ધારા ૧૪૪ હેઠળ સરકાર સ્વતંત્રતાને બાધિત કરે છે. પરંતુ જાહેર સલામતીના સંદર્ભે આવું કરવું અનિવાર્ય હોય ત્યારે જ સરકારે કલમ ૧૪૪નો ઉપયોગ કરી પ્રતિબંધો લાદવા જોઈએ. આ કલમથી એવા પ્રતિબંધો ન લગાવો જેની જરૂર ન હોય. 

જન આંદોલનો જેમનો પ્રાણ હતો એવા સમાજવાદી નેતાઓ પર કલમ ૧૪૪ના ભંગના ઘણાં કેસો થતા હતા. એટલે રામ મનોહર લોહિયા, જ્યોર્જ ફર્નાન્ડીઝ અને મધુ લિમયેએ પણ ૧૪૪મી કલમના દુરપયોગ અંગે અદાલતોમાં ધા નાંખી હતી. અલ્હાબાદ હાઈકોર્ટની જસ્ટિસ ગંગેશ્વરપ્રસાદની એકલ પીઠ સમક્ષ રામ મનોહર લોહિયાએ ૧૧,૧૨ ઓગસ્ટ ૧૯૬૬ના રોજ નિવેદન આપ્યું હતું. ૧૪૪મી કલમના વિરોધમાં અને તેને ગેરબંધારણીય ઠેરવવાની માંગ કરવા તેઓ અદાલતમાં આવ્યા છે તેનું કારણ આપતા લોહિયાએ માર્કાની વાત કરી હતી કે, “જબ જનતા બલવાન નહીં હોતી હૈ તો સરકાર કે અન્યાય કા મુકાબલા ન્યાયાલયોં મેં હોના હી ચાહિયે. ઈસીલિયે મુઝે આપ લોગોં કો કષ્ટ દેના પડ રહા હૈ”.  લોહિયાએ ધારા ૧૪૪ અને તેની સજા નક્કી કરતી ધારા ૧૮૮ બેઉને અસંવૈધાનિક ગણાવતી તર્કબધ્ધ દલીલો કરી હતી. પરંતુ અદાલતે ૧૪૪મી કલમની બંધારણીયતા અને કાયદેસરતા બરકરાર રાખી હતી. 

૧૯૭૦માં સમાજવાદી નેતા મધુ લિમયેની પીટિશન પર સર્વોચ્ચ અદાલતના સાત જજોની બેન્ચે ચુકાદો આપ્યો હતો. તેમણે જિલ્લા કલેકટરો અને પોલીસ કમિશનરોને મળેલી ૧૪૪મી કલમ હેઠળ પ્રતિબંધો જાહેર કરવાની સત્તાને ન્યાયિક રીતે ઉપયોગમાં લેવાની અસામાન્ય સત્તા ગણાવી હતી અને તેની ન્યાયિક તપાસ થઈ શકે છે તેવું સ્પષ્ટ કર્યું હતું. કામદાર નેતા જ્યોર્જ ફર્નાંન્ડીઝે પણ ૧૯૮૪માં બોમ્બે હાઈકોર્ટમાં પીટિશન કરી હતી. ૨૦૧૨માં સુપ્રીમ કોર્ટે ધારા ૧૪૪નો દુરપયોગ રોકવાની સલાહ આપી કહ્યું હતું કે આ ધારાની જોગવાઈઓનો ઉપયોગ જાહેર શાંતિ જાળવવા ગંભીર પરિસ્થિતિમાં જ કરવો જોઈએ. વડી અદાલતો અને સર્વોચ્ચ અદાલતે કલમ ૧૪૪ અને ૧૮૮ને બંધારણીય ઠેરવવા સાથે તેના ન્યાયોચિત ઉપયોગને વારંવાર દોહરાવ્યો છે.

 ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ એમ.આર. મેંગડે(M.R. MENGDEY)ની સીંગલ જજની બેન્ચનો તારીખ ચોથી ડિસેમ્બર ૨૦૨૫નો નવદીપ માથુર વિરુદ્ધ સ્ટેટ ઓફ ગુજરાતનો ચુકાદો ૧૪૪મી કલમના ન્યાયિક ઇતિહાસમાં સીમા ચિહ્નરૂપ છે. વડી અદાલતે અમદાવાદ પોલીસ કમિશનરનું ૧૪૪મી કલમ અંગેનું તા. ત્રીજી નવેમ્બર ૨૦૨૫નું જાહેરનામુ જ રદબાતલ ઠેરવ્યું છે. અદાલતે તેના ચુકાદામાં મહત્ત્વના અવલોકનો અને સૂચનો કર્યા છે. 

પીટિશનરોએ અદાલત સમક્ષ ૨૦૧૯માં નાગરિકતા કાયદા વિરોધી આંદોલનોને રોકવા ૨૦૧૬થી ૨૦૧૯માં સતત ૧૪૪મી કલમ જારી રાખી હતી તેના પુરાવા રજૂ કર્યા હતા. જ્યારે સી.આર.પી.સી.ની ધારા ૧૪૪(૪)માં પ્રતિબંધોની નિર્ધારિત સમય સીમા બે માસ અને વધુમાં વધુ છ માસ ઠેરવી છે ત્યારે પણ સરકારે તેનો અસીમિત સમય માટે અમલ કર્યો હતો. સતત, પુનરાવર્તિત અને ઘણીવારના પ્રતિબંધોને લક્ષમાં લઈને અદાલતે ૧૪૪મી કલમનું જાહેરનામુ રદ કર્યું હતું. અદાલતે સરકારને માત્ર સરકારી ગેઝેટમાં જ નહીં સોશિયલ મીડિયા અને બીજા માધ્યમોમાં પણ ૧૪૪મી કલમ દ્વારા પ્રતિબંધો જાહેર કર્યાનો વ્યાપક પ્રચાર પ્રસાર કરવા આદેશ કર્યો છે. 

કાયદાનો અમલ કરતી વખતે સરકારી તંત્ર કેવું નઘરોળ બની રહે છે તેની સાબિતી ૧૪૪મી કલમ છે. પોલીસ અને વહીવટી તંત્ર સત્તાનો યથેચ્છ ઉપયોગ કરે છે. નાગરિકોને મળેલી કાયદાકીય સુરક્ષાની અવહેલના કરી સત્તાને મનસ્વી રીતે ભોગવે છે. ધારા ૧૪૪નો લેખિત આદેશ કરતાં પૂર્વે પરિસ્થિતિની સંપૂર્ણ ચકાસણી કરવામાં આવતી નથી. વળી ચોક્કસ વિસ્તારને બદલે આખા શહેરમાં તે અમલી બનાવાય છે. લોહિયાએ અલ્હાબાદ હાઈકોર્ટને વિનંતીના સૂરમાં કહ્યું હતું કે, “હો સકતા હૈ કિ તાજીરાત હિન્દ કી જો કલમેં દૂષિત હૈં, ઉસે ઠીક કરને કી આશા હમ સર્વોચ્ચ ન્યાયાલય યા ઉચ્ચ ન્યાયાલયોં સે હી કર સકતે હૈં ‌‌-  લોકસભા મેં તો શાયદ ઈતની તાકત કભી ન હોગી જો ઉસે ઠીક કરે” લોહિયાની આ અરજ પછી સંસ્થાનવાદના અવશેષ સમી ૧૪૪મી કલમને કાયદાપોથીમાંથી દૂર કરીને સાચી અભિવ્યક્તિની સ્વતંત્રતા સ્થપાય તેવી આશા સંસદ પાસે તો રહેતી નથી, પરંતુ ગુજરાત હાઈકોર્ટનો જસ્ટિસ મેંગડેનો ચુકાદો ભવિષ્યમાં અદાલતો કંઈક કરશે તે બાબતે આશ્વસ્ત કરે છે. 

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...78798081...90100110...

Search by

Opinion

  • અપેક્ષા                                                 
  • જરૂરત અલબત્ત સુરક્ષા દિવસની પણ ઉજવણી જો કે હત્યા દિવસની
  • આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!
  • ફૂટપાથ થોડી જિંદગી બચાવી શકે એમ છે …
  • મોહેં-જો-દડોની ‘ડાન્સિંગ ગર્લ’: 4500 વર્ષથી યથાવત્ હતી, 21મી સદીએ તેને ‘સુધારી’?

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved