Opinion Magazine
Number of visits: 9950459
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અમેરિકા-ઈરાન યુદ્ધઃ ઇતિહાસનું પુનરાવર્તન, નવા ખેલાડીઓ અને ‘પેટ્રોડોલર’નાં સમીકરણો

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|8 March 2026

બદલાઈ રહેલા વર્લ્ડ ઓર્ડરમાં અગત્યના સ્વિંગ સ્ટેટ તરીકે ભારતની વ્યૂહાત્મક સ્વાયત્તતાની કસોટી ચાલી રહી છે

ચિરંતના ભટ્ટ

છેલ્લા કેટલા ય દિવસોથી આપણે સતત યુદ્ધના સમાચારોના મારા વચ્ચે દિવસો પસાર કરીએ છીએ. દરેકનો પોતાનો અભિપ્રાય છે, જેમાં હંમેશાં તર્ક હોય કે ઇતિહાસની સમજ હોય એવું જરૂરી નથી. શ્વાસ અધ્ધર કરી દેતા સમાચારો અને હૃદયદ્રાવક તસવીરોને કારણે ઘણીવાર મગજ બહેર મારી જાય એવું બને. અમેરિકી વડાના વિધાનો, મૃતકોનો આંકડો અને ત્યાં ફસાયેલા લોકો વિશે સતત ચર્ચાઓ થતી રહેશે અને શું યોગ્ય હતું તેની વાતો પણ થશે. 

ચર્ચાના કેન્દ્રમાં રાજકારણ હશે પણ ખરેખર મધ્ય પૂર્વમાં અમેરિકાના હસ્તક્ષેપને સમજવા માટે અર્થશાસ્ત્ર સમજવું જરૂરી છે, જે આ ઘોંઘાટમાં કદાચ ચૂકી જવાય. 1974 પછી મધ્ય પૂર્વમાં અમેરિકાનું સૈન્ય એક જ તર્કને કામે લગાડે છે; તેમાં લોકશાહી, માનવાધિકાર કે આતંકવાદ વિરોધી અભિયાનનો મુદ્દો મુખ્ય નથી, તેમાં માત્ર ‘પેટ્રોડોલર’નો બચાવ જ એક માત્ર હેતુ છે. આ એક એવું અદૃશ્ય માળખું છે જે વોશિંગ્ટન ગમે તેટલું દેવું એકઠું કરે તો પણ અમેરિકી અર્થતંત્રને કાર્યરત રાખે. 

1971માં અમેરિકન પ્રેસિડન્ટ નિક્સને જ્યારે ડોલરને સોનાથી અલગ કર્યો, ત્યારે અમેરિકાને તેની કરન્સી માટે એક નવા આધારની જરૂર હતી. 1974માં સાઉદી અરેબિયા સાથેના એક સોદામાં આનો જવાબ મળ્યો: રિયાધ તેના ઓઈલની કિંમત માત્ર ડોલરમાં રાખશે અને તેના નફાને અમેરિકી ટ્રેઝરી બોન્ડ્સમાં રિસાયકલ કરશે. ઓપેક(OPEC)એ પણ આ જ રસ્તો અપનાવ્યો. રાતોરાત, દરેક દેશ જેને ઓઈલની જરૂર હતી, એટલે કે પૃથ્વી પરના દરેક દેશને, ઓઈલ લેતાં પહેલાં ડોલરની જરૂર પડી. અમેરિકી ચલણ માટેની વૈશ્વિક માંગ હવે સોના દ્વારા નહીં પણ ‘કાળા સોના’ (ઓઈલ) દ્વારા નક્કી કરાઈ.

આનો ગર્ભિત અર્થ મોટો છે, કોઈપણ દેશ જે ડૉલર સિવાયનાં નાણાંનો ઉપયોગ કરીને ઓઈલનો વેપાર કરવા માગે એ અમેરિકી સત્તાના નાણાંકીય માળખાં માટે જોખમ ખડું કરે. આવા દેશો દેખીતી રીતે જ અમેરિકા સાથેના સંઘર્ષમાં આવી પડે છે. 2000માં સદ્દામ હુસૈને જાહેરાત કરી કે ઇરાક તેના તેલની કિંમત યુરોમાં નક્કી કરશે; તેમને 2006માં ફાંસી આપવામાં આવી. ગદ્દાફીએ સોના પર આધારિત પાન-આફ્રિકન દીનારનો પ્રસ્તાવ મૂક્યો; 2011માં નાટોએ હસ્તક્ષેપ કર્યો અને તે જ વર્ષે તેમની હત્યા થઈ. ઈરાને સતત તેલના બદલામાં યુઆન અને રૂપિયાનો વિનિમય કર્યો છે અને ચાર દાયકાથી ગૂંગળાવી દેતા આર્થિક યુદ્ધનો સામનો કર્યો છે. 

આ કોઈ કોન્સ્પિરેસી થિયરી નથી, પણ જાહેર આર્થિક ઇતિહાસ છે. અમેરિકા મધ્ય પૂર્વમાં માત્ર અરાજકતાને કારણે હસ્તક્ષેપ કરે છે એવું નથી; તે હસ્તક્ષેપ કરે છે કારણ કે આ પ્રદેશ જો કોઈ વૈકલ્પિક ચલણ મામલે એક ન થઈ શકે, તો અમેરિકાના આર્થિક હિતો સચવાઈ જાય. આ પ્રદેશમાં અસ્થિરતા એ નીતિની નિષ્ફળતા નથી, પણ એ નીતિનો જ એક ભાગ છે. નિક્સન પછીના દરેક પ્રમુખે આ જ વારસો સંભાળ્યો છે—બુશે તેને સ્વતંત્રતાનું નામ આપ્યું, ઓબામાએ જવાબદારીનું, જ્યારે ટ્રમ્પે ‘અમેરિકા ફર્સ્ટ’ કહીને શાંતિરક્ષક હોવાનો ડોળ કરવાનું બંધ કરી દીધું છે. આ અમેરિકાની વિદેશ નીતિથી અલગ નથી, પણ અમેરિકાની જે નીતિની આ સૌથી સચોટ અભિવ્યક્તિ છે. 

અમેરિકાની વૃત્તિનો ઇતિહાસ શું શીખવે છે? 

ઈરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતાને ટાર્ગેટ કરીને અમેરિકાએ એક બહુ જોખમી મર્યાદા ઓળંગી છે. અમેરિકાની અગાઉની સરકારોએ આવું કોઈપણ પગલું ક્યારે ય નહોતું લીધું. 2020માં સોલેઈમાનીની હત્યા થઈ ત્યારે આ પરંપરા તૂટી, પણ તેઓ સૈન્ય કમાન્ડર હતા. ઈરાનના સર્વોચ્ચ નેતા રાજકીય, લશ્કરી અને ધાર્મિક સત્તાનું પ્રતીક છે. તેમનો ખાત્મો સમગ્ર ક્રાંતિકારી વ્યવસ્થાની વૈધતા, તેના કાયદાકીય હોવા પર સવાલ ખડો કરી શકે છે. આમ થવાથી ઈરાનના પ્રોક્સી જૂથો (હિઝબુલ્લા, હુથીઓ, અને ઈરાકમાં શિયા મિલિશિયા) પરનું કેન્દ્રીય નિયંત્રણ તોડી શકે છે. આમ થવાથી આ આતંકી જૂથોને પોતાના બદઈરાદાઓને અલમાં મુકતા અટકાવવા મુશ્કેલ બની જશે.

ઇતિહાસ શીખવે છે કે જ્યારે બે સત્તાઓ (જેમ કે 6ઠ્ઠી સદીમાં બાયઝેન્ટાઇન અને સસાનિયન) વર્ચસ્વના જંગમાં એકબીજાને થકવી નાખે છે, ત્યારે એક એવો શૂન્યાવકાશ પેદા થાય છે જેમાં નવા ખેલાડીઓ ઉતરી આવે છે. અમેરિકા અને ઈરાન 45 વર્ષથી આ જ સમીકરણમાં છે. સવાલ એ નથી કે સતત વધી રહેલો તણાવ ઈરાનનું પતન નોતરશે કે કેમ પણ સવાલ એ છે કે ઈરાન પછી જે ખાલીપો ખડો થશે એ કોણ ભરશે? કદાચ એવું મધ્ય પૂર્વ જ્યાં તુર્કી અને ગલ્ફ દેશો અને બીજા ડઝનબંધ બિન રાજ્ય સંગઠનો વચ્ચે વિખેરાયેલી સ્પર્ધા ચાલ્યા કરશે, કોઈ કેન્દ્ર નહીં હોય, યુદ્ધ વિરામ પર હસ્તાક્ષર નહીં થાય અને વાટાઘાટો કરી શકાય એવી શાંતિ પણ નહીં હોય. 

ભારત માટે વ્યૂહાત્મક કસોટી

આમ તો અત્યારે વૈશ્વિક કટોકટીની જે સ્થિતિ છે તેમાં ભારત હાંસિયામાં ટાંકેલી કોઈ નાની નોંધ જેવો લાગે. આવું વિશ્લેષણ એક મોટી ભૂલ છે. બદલાયેલા વર્લ્ડ ઓર્ડરમાં ભારત સૌથી નિર્ણયાક સ્વિંગ સ્ટેટ છે. 2020માં જ્યારે સોલેઈમાનીની હત્યા થઈ હતી, ત્યારે ભારતે સત્તાવાર રીતે ‘ચિંતા’ વ્યક્ત કરી હતી. પરંતુ આ વખતે ઈરાનના સર્વોચ્ચ નેતા ખમેનીની હત્યા અને ત્યાંના હોસ્પિટલ-શાળાઓ પરના હુમલાઓ છતાં ભારતનું સત્તાવાર મૌન તેની બદલાતી વ્યૂહનીતિ અને ઈઝરાયેલ સાથે મજબૂત થતા સંબંધો દર્શાવે છે. ભારત અત્યારે ઈઝરાયેલ સાથેના વ્યૂહાત્મક સુરક્ષા સંબંધો અને ગલ્ફ દેશોમાં વસતા 1 કરોડ ભારતીયોની સુરક્ષા વચ્ચે અત્યંત કઠિન સંતુલન જાળવવાનો પ્રયાસ કરી રહ્યું છે.”

ભારતે અમેરિકાના પેટ્રોડોલરના દબાણને નજરમાં રાખીને ઊર્જા હિતોને લગતા નિર્ણયો લેવા પડે છે. આપણે અમેરિકા સાથે ‘ક્વાડ’માં હોવા છતાં રશિયન તેલ ખરીદીએ છીએ અને વોશિંગ્ટનના દબાણ છતાં ઈરાનમાં ચાબહાર બંદર બનાવીએ છીએ. આ વિરોધાભાસ આપણી નબળાઈ નથી, પણ તાકાત છે, જે આપણને વ્યૂહાત્મક સ્વાયત્તતા આપે છે.  આપણી પાસે 200 મિલિયન મુસ્લિમ નાગરિકો અને હિન્દુ રાષ્ટ્રવાદી સરકાર પણ છે. આપણે ચીન અને રશિયાની સાથે એસ.સી.ઓ.(SCO)માં અને બ્રિક્સ(BRICS)માં ડોલર વેપારના વિકલ્પો શોધી રહ્યા છીએ તો સાથે અમેરિકા માટે સૌથી મહત્ત્વપૂર્ણ વ્યૂહાત્મક ભાગીદારોમાંના એક છીએ. કોઈ બીજા દેશ પાસે આ સંજોગો નથી. 

તોતિંગ ખર્ચા અવગણવા શક્ય નથી. ઈરાની ઓઈલ ભારતીય રિફાઈનરીઓ માટે અગત્યનું રહ્યું છે. મધ્ય એશિયા સુધીનો માર્ગ છે એવો ચાબહાર પાકિસ્તાનને બાયપાસ કરે છે તે હોર્મુઝમાં અસ્થિરતાને કારણે અત્યારે જોખમમાં છે. આપણી વ્યૂહાત્મક સ્વાયત્તતા અત્યારે સીધી કસોટી પર છે. ઈરાન સાથેનો આપણો વેપાર જે 2018માં $17 બિલિયન હતો, તે ઘટીને 2025માં માત્ર $1.68 બિલિયન રહી ગયો છે. ચાબહાર બંદર, જે ભારતનો મહત્ત્વનો પ્રોજેક્ટ છે, તેના કોનાર્ક એરપોર્ટને તાજેતરમાં ઈઝરાયેલી મિસાઈલોએ નિશાન બનાવ્યું છે. વધુમાં, એપ્રિલ 2026માં ચાબહાર માટેની અમેરિકી પ્રતિબંધ મુક્તિ (waiver) ખતમ થવા જઈ રહી છે, જે ભારત માટે એક મોટો વ્યૂહાત્મક પડકાર છે. ઓઈલના ભાવમાં દર 10 ડોલરનો વધારો ભારતના ગરીબો પર ટેક્સનો સીધો ફટકો છે. અમેરિકી પગલાં સામે મુસ્લિમ વિશ્વનો આક્રોશ ભારતની આંતરિક રાજનીતિમાં એવી અસર કરે છે જેને કોઈપણ સરકાર પૂરી રીતે નિયંત્રિત કરી શકે તેમ નથી. પરંતુ નહેરુના સમયથી ચાલી આવતી વ્યૂહાત્મક સ્વાયત્તતા (Strategic Autonomy) આવા સમય માટે જ રચાઈ હતી. 

ઉપાય અઘરો નથી પણ અમલીકરણ માટે હિંમત જોઈએ : ક્વાડનો ઉપયોગ જેમાં લેખે લાગી શકે તેમ છે તેને માટે કરો, જેમ કે ટેકનોલોજી સપ્લાય ચેઈન્સ, સેમિકન્ડક્ટર એક્સેસ, દરિયાઈ સુરક્ષા. વળી આપણી ઉર્જા આયાતને ડોલર-આધારિત દબાણથી બચાવવા માટે બ્રિક્સ અને દ્વિપક્ષીય રૂપિયાની વ્યવસ્થાનો ઉપયોગ કરવો જોઇએ. વોશિંગ્ટનના મૂડને ધ્યાનમાં લીધા વગર ચાબહારની કામગીરી ચાલુ રાખવી જોઇએ. ગલ્ફ સ્ટેટ્સ સાથે સંવાદ વધારવો કારણ કે પ્રાદેશિક સ્થિરતાને મામલે ભારત સાથે તેમના હિતો મેળ ખાય છે, ભલે તેઓ અમેરિકાના સાચા-ખોટા સાહસોને સહન કરવાને મામલે આપણા જેટલી સહનશક્તિ ન ધરાવતા હોય. 

સૌથી જરૂરી બાબત એ છે કે અત્યારે જ સંધર્ષ ચાલે છે તેને સંસ્કૃતિઓના સંઘર્ષ તરીકે સ્વીકારવાના દબાણનો પ્રતિકાર કરવો જોઇએ. અમેરિકાનું નેરેટિવ તેને યહૂદી-ખ્રિસ્તી પશ્ચિમ અને ઇસ્લામી પૂર્વ વચ્ચેની લડાઈ તરીકે રજૂ કરે છે. ઈરાની નેરેટિવ તેને સામ્રાજ્યવાદ સામે મુસ્લિમ એકતાની લડાઈનું નામ આપે છે. આ બન્ને નેરેટિવ તેને જ ફાયદો કરાવશે જે તેને સ્વીકારશે.

આપણો વારસો સાંસ્કૃતિક બહુમતી છે માટે જ જે અબ્રાહમિક દલીલો આપણી છે જ નહીં એમાં આપણે પક્ષ લેવાની જરૂર નથી. આપણે સ્પષ્ટ અને સક્રિય રહેવાનું છે. આપણે એ રાષ્ટ્ર બનવાનું છે જે સંવાદ બધા સાથે સાથે છે, પોતાનું હિત જુએ છે. 

સમયનું ચક્ર અને સાક્ષી

મેસોપોટેમિયામાં લડનારા દરેક સામ્રાજ્યને પોતાનું નેરેટિવ સાચું જ લાગતું હતું. બંને પક્ષો બીજાની આક્રમકતા વિશે સાચા હતા અને પોતાની નિર્દોષતા વિશે ખોટા બંને થાક્યા ત્યારે ભવિષ્ય એવાના હાથમાં ગયું જેમની તેમને કલ્પના નહોતી. 

ભારત માટે હવે પડકાર વધુ વિકટ છે. આ વર્ષે ભારત BRICS સમિટનું આયોજન કરી રહ્યું છે, જેમાં ઈરાન અને UAE બંને સભ્યો છે. આ સમિટ ભારતની મુત્સદ્દીગીરી માટે સૌથી મોટી કસોટી સાબિત થશે, કારણ કે બંને દેશો અત્યારે એકબીજાના વિરોધી છે.

બાય ધી વેઃ 

આ ઇતિહાસમાં અમેરિકા અપવાદ નથી. ટ્રમ્પની અમેરિકી સત્તા સાવ ઉઘાડી છે, સ્પષ્ટ છે, આ સરકાર મીઠાશથી કે લાગણીને નામે કંઇ બોલતી નથી. આ પહેલાં જે હતું તેમાં અમેરિકન પગલાંઓમાં પરોપકાર વર્તાતો, સ્વાર્થ નહીં. જો કે આપણે આવી સ્પષ્ટતાને શાણપણ ન માની લેવી જોઇએ. બેફામ બોલવું એ સમજદારી કે જ્ઞાન નથી. અમેરિકા ફર્સ્ટને નામે જે કરાઈ રહ્યું છે તે ખતરનાક છે. ભારત માટે સવાલ એ નથી કે કોનો પક્ષ લેવો, આપણે એ વિચારવું જોઈએ કે આપણે 2050માં કેવી વૈશ્વિક વ્યવસ્થાનો હિસ્સો બનવા માંગીએ છીએ, આપણે જે વૈશ્વિક શક્તિ બનવાનો દાવો કરીએ છીએ, એ શક્તિની જેમ ઠહેરાવથી વર્તવા તૈયાર છીએ ખરા? આપણે વ્યૂહાત્મક સ્પષ્ટતા સાથે આપણા આર્થિક હિતોને ધ્યાનમાં રાખીને એટલા આત્મવિશ્વાસ સાથે વહેવાર કરી શકીશું જેથી કોઈપણ મહાસત્તાનો એજન્ડા આપોઆપ આપણો એજન્ડા ન બની જાય?  સમયનું ચક્ર ફરે છે. તેને કોણ ચલાવે છે એ એકમાત્ર સવાલ જ અગત્યનો છે. 

 પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 08 માર્ચ 2026

Loading

ભારતે અત્યારે શું કરવું જોઈએ ?

રમેશ ઓઝા|Opinion - Opinion|8 March 2026

રમેશ ઓઝા

અહિંસાની, શાંતિની, વૈશ્વિક વ્યવસ્થાની, બીજાના અધિકારોની અને અન્ય માનવીય મૂલ્યોની વાત જવા દઈએ, માત્ર આપણા સ્વાર્થની વાત કરીએ તો અત્યારે જગતમાં જેની લાઠી એની ભેંસનો જે ન્યાય પ્રવર્તે છે એમાં ભારતને કોઈ ફાયદો થાય એમ છે? માત્ર સ્વાર્થનો વિચાર કરો અને કહો કે જેની લાઠી એની ભેંસના ન્યાયમાં ભારતને શું ફાયદો થાય? બીજી રીતે વિચારવું હોય તો એમ વિચારો કે બળિયાના બે ભાગના કાયદામાં કોને ફાયદો થાય અને કોને નુકસાન થાય? જે લોકો માનવીય મર્યાદા અને મૂલ્યો કરતાં તાકાત અને સ્વાર્થને સર્વોપરી માને છે તેમણે તો ખાસ આ વિષે વિચારવું જોઈએ. 

જવાબ બહુ સરળ છે. જે લોકો પાસે તાકાત છે એને ફાયદો થાય અને જે લોકો પાસે તાકાત ન હોય અને નિર્બળ હોય એને એમાં નુકસાન થાય. તાકાતવાનોને સંયમ, જવાબદારી, મૂલ્યોનું અનુસરણ, વૈશ્ચિક કે બંધારણીય વ્યવસ્થા, કાયદાનું રાજ, નિયમન વગેરે ગમતાં નથી. એને કારણે એને સંયમ રાખવો પડે છે અને તાકાત હોવા છતાં અને સ્વાર્થજન્ય ઇચ્છા હોવા છતાં, પણ મનમાની કરી શકતા નથી. બીજી બાજુ જે નિર્બળ છે એને એમાં સુરક્ષા મળે છે. ટૂંકમાં મૂલ્ય આધારિત સમાજ-રાજ્ય વ્યવસ્થા સબળાને અંકુશમાં રાખે છે અને નબળાને ન્યાય અને સુરક્ષા આપે છે. 

હવે અહીં સવાલ ઉપસ્થિત થાય છે ભારત આમાં ક્યાં છે? સબળ છે, નિર્બળ છે કે કોઈક જગ્યાએ વચ્ચે છે? વિચારવાની આદત અને આવડત નહીં ધરાવતા હિંદુ દેશપ્રેમીઓ કહેશે કે ભારત સબળ છે. શૌર્ય અને મહાનતાના દાવાને અંદર રહેલી લઘુતાગ્રંથિ સાથે સીધો સંબંધ છે. જેટલી લઘુતાગ્રંથિ વધારે એટલા દાવા વધારે. પણ દાવા અને વાસ્તવ બે જૂદી વસ્તુ છે. વાસ્તવિકતા એ છે કે ભારત કોઈક જગ્યાએ વચ્ચે છે. લશ્કરી તાકાતની દૃષ્ટિએ, આર્થિક તાકાતની દૃષ્ટિએ, ભૌતિક વિકાસની દૃષ્ટિએ અને માનવીય વિકાસ(શિક્ષણ આરોગ્ય વગેરે)ની દૃષ્ટિએ એમ ભારત કોઈ પણ જગ્યાએ સરસાઈ ધરાવતું નથી. માપદંડના મધ્યબિંદુથી આર્થિક બાબતે જરાક ઉપર છે અને બાકી પાછળ છે. માનવીય વિકાસમાં તો ઘણું પાછળ છે. અને જો આ વાસ્તવિકતા હોય તો જેના હાથમાં લાઠી એની ભેંસના ન્યાયમાં ભારતને ફાયદો થાય કે નુકસાન? ભારતે ન્યાયી વ્યવસ્થાના પક્ષે ઊભા રહેવું જોઈએ કે માથાભારે અરાજકતાના પડખે? માત્ર સ્વાર્થની દૃષ્ટિએ વિચારો, મૂલ્યોને ઘડીભર બાજુએ મૂકો. 

વિશ્વપ્રસિદ્ધ બ્રિટિશ ઇતિહાસકાર સાયમન શમા(Simon Schama)એ આજની પરિભાષામાં કહ્યું હતું કે રાજ્ય (સ્ટેટ) એ હાર્ડવેર છે અને અને રાષ્ટ્ર (નેશન) એ સોફ્ટવેર છે. હાર્ડવેર હોય તો જ સોફ્ટવેર કામ કરે. રાષ્ટ્ર અને રાષ્ટ્રીયતાની મીઠી કલ્પના સુકુન આપે છે, રાષ્ટ્રવાદ જુસ્સો પેદા કરે છે, એકતાની ભાવના પેદા કરે છે, પણ તેને શક્તિમાં રૂપાંતરિત કરવા માટે રાજ્ય નામનું હાર્ડવેર જોઈએ. દીર્ઘદૃષ્ટિ ધરાવનારા શાસકો સોફ્ટવેર કરતાં હાર્ડવેર પર વધારે ધ્યાન આપે છે. રાજ્યને તાકાતવાન બનાવવામાં રાષ્ટ્રીયતાની ભાવના મદદ કરે, પણ કેવળ રાષ્ટ્રીયતાની ભાવના કશું પેદા ન કરી શકે. જગતના ઇતિહાસ પર અને વર્તમાન પર એક નજર કરો, તમને ધ્યાનમાં આવશે કે જે શાસકોએ રાજ્યનાં હાર્ડવેર વિકસાવ્યાં અને એ દ્વારા રાજ્યને શક્તિશાળી બનાવ્યું એ શાસક એ દેશના ઘડવૈયા તરીકે ઓળખાય છે અને એ સમય જે તે દેશના સુવર્ણયુગ તરીકે ઓળખાય છે.

ટૂંકમાં હિંદુબહુલ ભારતીય રાષ્ટ્ર ગમે તેટલું મહાન હોય, જો ભારતીય રાજ્ય (Indian State) શક્તિશાળી ન હોય તો મહાન રાષ્ટ્રીયતાનો કોઈ અર્થ નથી. તમારી મહાનતાના ગ્રાહક તમે એકલા હો છો, પણ તમારી તાકાતની નોંધ આખું જગત લેતું હોય છે અને એ મુજબ વહેવાર કરતું હોય છે. તાત્કાલિક સંદર્ભની વાત કરીએ તો અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનાં ચીન અને  રશિયા સાથેના વર્તનમાં અને ભારત સાથેના વર્તનમાં ફરક જોઈ શકો છો. તાકાતનાં બે પાસાં છે; એક તમે કેટલો ફાયદો કરાવી શકો છો અને બે, તમે કેટલું નુકસાન પહોંચાડી શકો છો. ભારત આવી બેમાંથી કોઈ તાકાત ધરાવતું નથી એટલે અમેરિકા અને ચીન તો ઠીક પાડોશી દેશો પણ નચાવે છે. આપણે મહાન એમાં કોઈ શંકા નથી, પણ આ પણ એક વાસ્તવિકતા નથી? કેટલા દેશોના વિદ્યાર્થીઓ ભારતની યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવવા લાઈન લગાડે છે? કેટલા દેશોના લોકો ભારતમાં રોજગારી મેળવવા આવે છે? કેટલા દેશના લોકો ભારતમાં સ્થાયી થવા અને ભારતના નાગરિક બનવા ઝૂરે છે? આંકડા આનાથી વિપરીત છે. યુક્રેન જેવા દેશમાં ભારતના વિદ્યાર્થીઓ ભણવા જાય છે. બે પૈસા રળવા રશિયાના લશ્કરમાં જોડાઈને યુક્રેન સામે લડવા (અને વખતે મરવા) ભારતના બેરોજગાર યુવકો જાય છે. જાનનું જોખમ લઈને અને જમીન વેચીને ડંકી માર્ગે યુવકો અમેરિકા-કેનેડા જાય છે. આ વાસ્તવિકતા નથી? તો આનો અર્થ એ થયો કે તમે કોઈને નુકસાન પહોંચાડવાની તો ઠીક ઉપયોગી થવાની પણ તાકાત ધરાવતા નથી. 

ના થોભો, મોઢું ફેરવી લેવાથી વાસ્તવિકતા બદલાવાની નથી. આપણે મહાનનાં બણગાં ફૂંકવાથી પણ મહાન બની શકવાના નથી. એને માટે તો રાજ્ય નામના હાર્ડવેરને મજબૂત કરવું પડે, પણ સમસ્યા એ છે કે એ તાત્કાલિક નજરે નહીં પડનારુ ધીમું કામ છે. ભાખરા નાંગલ, ઈસરો, બી.એ.આર.સી., એઈમ્સ, આઇ.આઇ.ટી., વિજ્ઞાનસંસ્થા જેવી સંસ્થાઓ જવાહરલાલ નેહરુએ સ્થાપી કે તરત તેમની વાહવાહ નહોતી થઈ, આજ થઈ રહી છે. ત્યારે તો શંકા જ કરવામાં આવતી હતી અને નેહરુની ટીકા કરવામાં આવી હતી. લોકો ભૂખે મરે છે અને આ માણસ અમેરિકાની બરાબરી કરવા નીકળ્યો છે. આપણે મહાનની વાતો કરતા નેહરુને પણ આવડતું હતું (વર્તમાન શાસકો કરતાં વધારે સારી રીતે આવડતું હતું કારણ કે એ વિદ્વાન માણસ હતો અને ભારત અને જગતના ઇતિહાસનો અભ્યાસ કર્યો હતો), પણ તેમણે ભારતીય રાજ્યનાં હાર્ડવેર વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આ ધૂળધોયાનું કામ છે, જલ્દી નજરે ન ચડે એવું કામ છે, લાંબેગાળે પરિણામ આપે એવું ધીમું કામ છે અને ધાર્યું પરિણામ ન મળે કે પછી વિપરીત પરિણામ મળે એવું જોખમી કામ છે. પણ ઇતિહાસ આવા ધીરજ ધરનારાને, કાલ માટે આજ વાવેતર કરનારાને અને જોખમ ઉઠાવનારા શાસકને મહાન શાસક તરીકે યાદ રાખે છે. નેહરુને યાદ કર્યા વિના એ લોકોનો દિવસ જતો નથી એ શું સૂચવે છે? 

ભારતના સદ્દભાગ્યે ભારતને હાર્ડવેર પર કામ કરનારા શાસકો મળ્યા અને ભારત શક્તિના માપદંડ પર કેન્દ્રબિંદુની આગળપાછળ કોઈને કોઈ સ્થાન ધરાવે છે એ તેમના થકી. પણ એ પછી પણ ભારત એટલી શક્તિ નથી ધરાવતું કે કોઈને નુકસાન પહોંચાડે કે કોઈને મોટો ફાયદો કરાવી આપે. જગતમાં સોએક દેશો એવા પણ છે જેમને આવા શાસકો નથી મળ્યા અને તેમની કોઈ ગણના નથી. પડોશમાં પાકિસ્તાન આનું ઉદાહરણ છે. ઇસ્લામ મહાન, ઇસ્લામના દુ:શ્મનો ધરતી પરના એક માત્ર મહાન અને સાચા ધર્મના દુ:શ્મનો છે, આપણો ઇતિહાસ ગૌરવવંતો છે, આપણે મઝહબ માટે પ્રાણ પણ ન્યોચ્છાવર કરી શકીએ એવી બહાદુર પ્રજા છીએ વગેરેનું રટણ ત્યાંના શાસકો કરતા રહ્યા અને પાકિસ્તાન રાજ્યનું હાર્ડવેર વિકસાવવા પર ધ્યાન ન આપ્યું. માટે રાજ્ય નામનું હાર્ડવેર હોય તો રાષ્ટ્રીય કે બીજી કોઈ અસ્મિતાનું સોફ્ટવેર કામ કરે, માત્ર સોફ્ટવેર કોઈ ઉપયોગનું નથી. 

તો પછી ભારતના શાસકોએ શું કરવું જોઈએ? બે કામ કરવાં જોઈએ. એક તો હાર્ડવેર વિકસાવવા પર ધ્યાન આપવું જોઈએ. પણ એ આવતીકાલ માટેની ખેતી છે અને એમાં  તાત્કાલિક જયજયકાર થવાનો નથી. બીજું જ્યાં સુધી કોઈને નુકસાન પહોંચાડવા જેટલી કે મદદરૂપ થવા જેટલી સાચી રોકડી તાકાત ન રળો ત્યાં સુધી માણસાઈ અને મૂલ્યોના પક્ષે ઊભા રહેવામાં ફાયદો છે. (આપણે સ્વાર્થને કેન્દ્રમાં રાખીને વિવેચના કરી રહ્યા છીએ, મૂલ્યોની વાત નથી કરતા) જેના હાથમાં લાઠી એની ભેંસના ન્યાયમાં માનનારા માથાભારે લોકોને પડખે ઊભા રહેવામાં કોઈ ફાયદો નથી. ટ્રમ્પનું ભારત પ્રત્યેનું વલણ આનું ઉદાહરણ છે. ચીનનું વલણ આનું બીજું ઉદાહરણ છે. શી ઝિંગપીંગના ઓવારણા લેવામાં પણ કાંઈ બાકી નહોતું રાખ્યું. મૂલ્ય આધારિત વૈશ્વિક વ્યવસ્થા હશે, સ્થિરતા હશે, સભ્યતા હશે, મર્યાદા હશે તો તેમાં ભારતને ફાયદો થવાનો છે. તાકાતવાન થવા માટે હજી ઘણી મઝલ કાપવાની છે અને તેને માટે જદ્દોજહદ કરવાની તક મળવી જોઈએ. જેના હાથમાં લાઠી એની ભેંસના ન્યાયમાં માનનારાઓ બીજાને તક આપતા નથી અને તકના અધિકારને સ્વીકારતા પણ નથી. નરેન્દ્ર મોદીને એમ લાગતું હતું કે તાકાતવાનોના પડખામાં ઘૂસી જશું તો તેઓ આપણને પણ માનસન્માન અને સ્થાન આપશે. પણ આવું બનતું નથી. પાકિસ્તાન અમેરિકાના પડખામાં ઘૂસી ગયું હતું એ પછી તેને બદલામાં શું મળ્યું? પોતાની તાકાત એ પોતાની તાકાત છે. 

કાઁગ્રેસના હિંદુવાદીઓને અને હિન્દુ રાષ્ટ્રવાદીઓને ઇઝરાયેલની સ્થાપના થઈ ત્યારથી ઇઝરાયેલનું બહુ ઘેલું છે. કારણ એ કે ઇઝરાયેલ મુસ્લિમ દેશોથી ઘેરાયેલું છે અને ઝીંક ઝીલે છે. પણ હિંદુ રાષ્ટ્રવાદીઓને એ નથી સમજાતું કે ઇઝરાયેલે કેવળ યહૂદી રાષ્ટ્રવાદ, હિબ્રુ ભાષાનું પુરુત્થાન, વૈશ્વિક યહૂદી એકતા, ઇતિહાસના ઘાવને રૂઝાવા નહીં દેવા અને તેની યાદ આપાવતા રહેવું, યહૂદીઓના દુ:શ્મનોની યાદ આપાવતા રહેવું અને ડરાવતા રહેવું વગરે પર જ માત્ર ધ્યાન નહોતું આપ્યું, તેણે યહૂદી રાષ્ટ્ર ઇઝરાયેલ નામનાં રાજ્ય પર પણ ધ્યાન આપ્યું હતું. ટૂંકમાં સોફ્ટવેર કરતાં વધુ લક્ષ હાર્ડવેર પર આપ્યું હતું. જો ખોબા જેવડા ઇઝરાયેલે હાર્ડવેર પર ધ્યાન ન આપ્યું હોત તો ઇઝરાયેલ નકશામાંથી ક્યારનું ય ભૂંસાઈ ગયું હોત. આજે ઇઝરાયેલ લશ્કરી સામાનના વેપારમાં જગતમાં આઠમું સ્થાન ધરાવે છે અને ભારત તેનું સૌથી મોટું ગ્રાહક છે. જો દેશપ્રેમના ગરબા ગાવામાં સમય વિતાવ્યો હોત તો આ બન્યું હોત! અને હા હજુ એક વાત. ઇઝરાયેલમાં ઇઝરાયેલના શાસકોનાં નીતિશૂન્ય માથાભારેપણાનો વિરોધ કરનારા અનેક યહૂદીઓ ઇઝરાયેલમાં અને અન્યત્ર વસે છે. તેમને ઇઝરાયેલના શાસકો દેશદ્રોહી કે ધર્મદ્રોહી તરીકે ઓળખાવીને તેમને હેરાન નથી કરતા. માત્ર સોફ્ટવેર નથી હાર્ડવેર પણ છે. માત્ર ભાવનાનો અતિરેક નથી, કશુક નક્કર પણ છે. દેશપ્રેમી હિંદુઓ ઇઝરાયેલનાં ગરબા ગાય છે, પણ ઇઝરાયેલે અપનાવેલો માર્ગ અને તેની વિકાસયાત્રા પર નજર નથી કરતા. 

તો સવાલ એ છે કે આપણે મૂલ્યો અને મર્યાદા પર આધારિત વૈશ્વિક વ્યવસ્થાની વાત જવા દઈએ અને માત્ર ભારતના સ્વાર્થની દૃષ્ટિએ વિચારીએ તો ભારતે અત્યારે શું કરવું જોઈએ? અમેરિકા અને ઇઝરાયેલને ટેકો આપવો જોઈએ? ઈરાનને ટેકો આપવો જોઈએ કે પછી તટસ્થ રહીને મૂલ્ય તેમ જ મર્યાદા આધારિત વૈશ્વિક મર્યાદા જળવાઈ રહે એવી ભૂમિકા લેવી જોઈએ? એટલા માટે નહીં કે આપણે મૂલ્યોને વરેલા છીએ, પણ એટલા માટે કે તેમાં આપણો સ્વાર્થ છે. શું ભૂમિકા લેવી જોઈએ? 

ભારતના એક કરોડ લોકો પશ્ચિમ એશિયાનાં મુસ્લિમ દેશોમાં કામધંધો કરે છે. ઇઝરાયેલમાં ભારતીયોની વસ્તી માત્ર ૪૦,૦૦૦ છે. ભારતની ખનીજ તેલની કૂલ જરૂરિયાતમાં ઈરાન અને આરબ દેશોનો હિસ્સો ૫૫ ટકા છે. ઈરાન પર અમેરિકાએ પ્રતિબંધ મૂક્યા એ પહેલાં મુસ્લિમ દેશોમાંથી આયાત કરાનારા ખનીજ તેલમાં ઈરાનનો હિસ્સો ૧૨ ટકાનો હતો. (ચીન અમેરિકાના પ્રતિબંધને ગાંઠતું નથી અને ગણતરીના ગ્રાહક તરીકે પાણીના ભાવે ઈરાની તેલ ખરીદે છે. અગેન ચીની રાજ્યના મજબૂત હાર્ડવેરે રળી આપેલી તાકાત) ઇઝરાયેલ પાસે એટલું ખનીજ તેલ નથી કે નિકાસ કરે. ઈરાન એક માત્ર દેશ છે જે ભારત સાથે તેલનો વ્યાપાર ડોલરની જગ્યાએ રૂપિયામાં કરે છે અને ત્રણ અઠવાડિયાની ઉધારી આપે છે. પાકિસ્તાનને બાયપાસ કરીને યુરોપ અને મધ્ય એશિયા પહોંચવા માટે જળમાર્ગ અને જમીન માર્ગ ઈરાનથી જાય છે. ચીનના વિસ્તાર અને વગને ખાળવા ઈરાન સાથે મળીને ઓમાનના અખાતમાં ચાબહાર બંદર વિકસાવવાની ભારતે ભાગીદારી કરી છે. ઈરાન શિયાબહુલ દેશ છે અને યુનોમાં એક કરતાં વધુ વખત સુન્નીબહુલ પાકિસ્તાનની વિરુદ્ધ ભારતનાં પડખે ઊભું રહ્યું છે. ઈરાન સાથે ભારતનો ખટરાગ થયો હોય એવી કોઈ ઘટના ઇતિહાસમાં બની નથી. આની સામે ઇઝરાયેલ પાસેથી શસ્ત્રસામગ્રી મેળવવા સિવાય ભારતને કોઈ બીજો લાભ મળતો નથી. (હા, વર્તમાન શાસકોને રાજકીય વિરોધીઓ પર જાસૂસી કરવા પેગાસસ નામનું સ્પાયવેર ઇઝરાયેલ પાસેથી મળ્યું છે) તો કેવળ લાભાલાભની દૃષ્ટિએ વિચારીએ તો ઈરાનને મદદ કરવામાં ભારતને ફાયદો છે, પણ જો તેમાં જોખમ નજરે પડતું હોય (અને જોખમ છે જ) તો તટસ્થ રહેવું જોઈએ અને યુદ્ધનો સભ્યભાષામાં વિરોધ કરવો જોઈએ. સીધો ટેકો આપ્યા વિના મૂલ્યોના પડખે ઊભા રહીને પણ જેની સાથે અન્યાય થતો હોય તેને મદદ કરી શકાય છે. 

પણ આપણા સાહેબ તો હંમેશની માફક ચૂપ છે. તેમની સરસ્વતી નેહરુને ગાળો દેતી વખતે જ વહે છે. તેમની બહાદૂરી મુસલમાનોને ગાળો દેતી વખતે ખીલે છે. ચીને ભારતની ભૂમિ પર કબજો કર્યો. પણ ચૂપ! ઓપરેશન સિંદૂરમાં ભારતનાં વિમાનો તૂટી રહ્યાં હતાં, ચીન પાકિસ્તાનની પછવાડે હતું, ભારત ફસાઈ ગયું હતું અને મેં યુદ્ધવિરામ કરાવ્યું એમ અમેરિકન પ્રમુખ ટ્રમ્પે એક ડઝન વાર દાવો કર્યો છે પણ વડા પ્રધાન તેનો નકાર કરવા મોઢું ખોલતા નથી. અમેરિકાની દાદાગીરી સામે ઝૂકીને ભારતે રશિયન તેલની આયાત ઘટાડવી પડી, પણ વડા પ્રધાન ચૂપ. ટ્રમ્પની ટેરીફ દાદાગીરી ચાલી રહી છે, પણ વડા પ્રધાન ચૂપ. ટ્રેડ એગ્રીમેન્ટમાં ભારતે પોતાનાં કાંડા કાપી આપ્યા એની વિગતો વોશિંગ્ટન આપે અને ભારત તેનો નકાર પણ ન કરે. ઇઝરાયેલની નાગાઈનો આખું જગત વિરોધ કરે છે, પણ આપણા સાહેબ ચૂપ. નાગાઈનો વિરોધ ન કરો તો માણસાઈનો મહિમા તો કરો! એ પણ એક પ્રકારની પ્રતિક્રિયા છે. ઈરાનના ધાર્મિક નેતા અને શાસક ખોમૈનીની હત્યા કરવામાં આવી એ પછી તેમને અંજલિ આપવામાં ભારતે છ દિવસ લગાડ્યા. એન્કલ સેમનો ડર લાગતો હતો. શાંતિ કાજે ભારતનાં સમુદ્રમાં પરેડ કરવા આવેલા ઈરાની જહાજને અમેરિકાએ હિન્દી મહાસાગરમાં તોડી પાડ્યું, પણ ભારતે હજુ સુધી વિરોધ નોંધાવ્યો નથી. 

તો વાતનો સાર એ કે સાચી નક્કર તાકાત હોય સાચું બોલવાની તાકાત આવે. અથવા કાળજામાં તાકાત હોય તો સાચું બોલવાની તાકાત આવે. ગાંધી અને નેહરુ એ તાકાત ધરાવતા હતા. જો એ બેમાંથી કાંઈ ન હોય તો ખરે ટાણે મૂંગા રહેવું પડે!   

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 08 માર્ચ 2026

Loading

ચલ મન મુંબઈ નગરી—331 

દીપક મહેતા|Opinion - Opinion|7 March 2026

મુંબઈમાં ભંડારી આવ્યા, તાડી લાવ્યા અને પછી બની ગયા પોલીસ!        

‘રાત રહે જ્યાહરે પાછલી ખટ ઘડી,

સાધુ પુરુષને સૂઈ ન રહેવું.’

નરસિંહ મહેતાનું આ પ્રખ્યાત પ્રભાતિયું આજથી ૩૦૦-૪૦૦ વરસ પહેલાંના મુંબઈમાં જરા જૂદી રીતે પણ ગાઈ શકાય તેમ હતું :

‘રાત રહે જ્યાહરે પાછલી ખટ ઘડી,

ભંડારી પુરુષને સૂઈ ન રહેવું.’

કોળી પછી મુંબઈના આદિ વતનીઓમાં ભંડારી લોકો આવે. મુખ્ય ધંધો તાડનાં ઝાડ પર ચડી, માટલીમાં તાડી કાઢવાનો અને પછી તે વેચવાનો. પણ તો પછી આ જમાતનું નામ ‘ભંડારી’ કેમ પડ્યું? આપણા દેશમાં આવાં નામ પાછળ કોઈ દંતકથા ન હોય એવું બને? પંડિત મહાદેવ શાસ્ત્રી જોશી નામના વિદ્વાને ‘ભંડારી’ નામ અંગે એક દંતકથા નોંધી છે : એક વખત તિલકાસુર નામના રાક્ષસે માઝા મૂકી હતી. ત્રણે લોકમાં હાહાકાર મચાવ્યો હતો. છેવટે ભગવાન શંકરે તેને પકડ્યો અને પીસવા માટે ઘાણીમાં નાખ્યો. એ એ ઘાણી ચલાવવાનું કામ સોંપ્યું તેમના માનીતા પોઠિયા નંદીને. પણ ઘાણી ચલાવીને નંદી તો થોડી વારમાં લોથપોથ. તેના પરસેવાની નદીઓ વહે. અને તો ય પેલો તિલકાસુર તો હેમખેમ, ને પાછો હસ્યા કરે. પોતાના માનીતા નંદિની દશા જોઈ ભગવાન શંકરને કપાળે પરસેવો થયો અને તેનાં ટીપાં પડવા લાગ્યાં. અને ત્યાં તો પરસેવાના એક ટીપામાંથી પ્રગટ થયો એક પુરુષ. વાન શામળો. કાઠું મજબૂત. તેણે પહેલાં તો ભગવાન શંકરને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા. તેમનો કૃપાસ્પર્શ થયા પછી એ પુરુષે નંદીને ઘાણીએથી છોડાવ્યો અને તેની જગ્યા પોતે લીધી. એણે તો જે જોરથી ઘાણી ફેરવી, તે બે પાંચ ઘડીમાં તો પેલા તિલકાસુરના રામ રમી ગયા! ત્રણે લોકમાં આનંદ આનંદ. પણ હજી પેલા પુરુષની પરીક્ષા પૂરી થઈ નહોતી. ઘાણીથી થોડે દૂર ભગવાન શંકરે એક ખાસ્સું ઊંચું ઝાડ બનાવી દીધું. પછી પેલા માણસને કહ્યું : ‘મને બહુ તરસ લાગી છે. આ ઝાડ પર ચડી તેનો મીઠ્ઠો મધુરો રસ મારે માટે લઈ આવ.’ પેલો માણસ તો આંખના પલકારામાં એ ઊંચા ઝાડ પર ચડી ગયો. ફળનો રસ કાઢીને નીચે આવ્યો અને ભગવાન શંકરને ધર્યો. એ પીધા પછી ભગવાન શંકર પ્રસન્ન થયા અને પેલા માણસને પોતાની અલકા નગરીના ખજાના કહેતાં ભંડારનો વડો બનાવ્યો. અને ભગવાન શંકરે ઊભું કરી દીધેલું પેલું માયાવી ઝાડ તે તાડનું ઝાડ. બસ, પછી તો તે દિવસથી પેલા માણસના વંશજો ‘ભંડારી’ તરીકે ઓળખાયા. પણ કામ કરે તાડીમાડી ગાળવાનું.

‘ભંડારી’ અટક ધરાવતા લોકો પૂર્વ અને ઉત્તર ભારતમાં પણ જોવા મળે. પણ મુંબઈના અને મહારાષ્ટ્રના ભંડારીઓ પોતાને તેમનાથી જુદા માને છે. અસલ ધંધો ભલે તાડી ગાળવાનો, પણ પોતાને ક્ષત્રીય માને છે. એક જમાનામાં ભંડારીઓની અડધા કરતાં વધુ વસતી રત્નાગિરી જિલ્લામાં હતી. ત્યાંથી તેઓ મુંબઈ આવ્યા. મુંબઈની ઉત્તરે સુરત સુધીના દરિયા કિનારા પર પણ તેમની વસતી જોવા મળે છે. ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વસેલા ભંડારીઓએ ઠેર ઠેર ચીકુની વાડીઓ ઊભી કરી છે. તેમાંથી દહાણુ, ઘોલવડ અને અમલસાડનાં ચીકુને આંતરરાષ્ટ્રીય માન્યતા ધરાવતો GI Tag મળ્યો છે. ત્યાંનાં ચીકુ દેશમાં અનેક જગ્યાએ વેચવા મોકલાય છે. ચીકુની સાથોસાથ બીજા પાક તરીકે ‘લીલી’ નામનાં ફૂલ પણ તેઓ વાવે છે. 

તાડના ઝાડ પર ભંડારી 

ભંડારીઓ જે જમાનામાં મુંબઈ આવ્યા એ જમાનામાં મુંબઈનો ઘણો મોટો ભાગ ખેતરાઉ હતો. તાડ વાડી અને તાડ દેવ જેવાં નામો સૂચવે છે તેમ અહીં ઠેર ઠેર તાડની વાડીઓ હતી. ઉપરાંત ફણસ વાડી, ફોફળ વાડી, કાંદા વાડી, મુગભાત લેન, ખેત વાડી જેવાં નામો સૂચવે છે તેમ શહેરના જુદા જુદા ભાગોમાં વાડીઓ કે ખેતર હતાં. તેમાં ભંડારીનું કામ સહુથી પહેલાં શરૂ થાય. સવારના અંધારામાં સડસડાટ તાડના ઝાડ પર ચડી જાય. કેડે લટકતાં હોય કોયતો અને માટીની માટલી. તાડની ટોચે પહોંચી પહેલાં માટલી બાંધે. પછી થડની ટોચ પર ચોક્કસ જગ્યાએ કોયતાથી કાપો મૂકે. ટીપે ટીપે રસ ઝરીને માટલીમાં ભેગો થાય. ખાસ્સી વાર તાડની ટોચે બંધાઈને રહેવું પડે. સાંજે સૂરજ ઢળી જાય પછી પાછી એ જ કવાયત. ઝાડની ટોચ પરથી બીજું તો શું કરી શકે? આજુબાજુ નજર ફેરવે. ક્યારેક ઉપર જુએ, ક્યારેક નીચે.

મુંબઈના બીજા ગવર્નર જેરાલ્ડ ઓન્ગીઆર ભારે ચતુર-સુજાણ. એ વખતે મુંબઈમાં પોલીસ જેવું કશું નહિ. નાની-મોટી ચોરીથી માંડીને ખૂનખરાબા થયા કરે, અવારનવાર. ઓન્ગીઆરે નોંધ્યું કે સવાર-સાંજ આ ભંડારીઓ તાડની ટોચે લાંબો વખત રહે છે. આજુબાજુ નજર ફેરવતા રહે છે. તેમણે થોડાક ભંડારીઓને ભેગા કર્યા. કહ્યું : તમે સવાર-સાંજ ઝાડની ટોચે હો ત્યારે આજુબાજુ નજર તો નાખતા હશો.

હોવ્વે.

એવે વખતે કોઈ નાની મોટી ચોરી, મારામારી, કે ખૂન પણ તમારી નજરે પડે, ખરું ને?

હોવ્વે. 

બસ. તો તમારે એક કામ કરવાનું. આવું કાંઈ જુઓ ત્યારે તરત મને જાણ કરવાની. 

હોવ્વે.

અને આમ, ભંડારીઓ બન્યા કંપની સરકારના પહેલવહેલા ‘ખબરીઓ.’ પણ ભંડારીઓનું કામ તો ફક્ત સવાર-સાંજનું. આખો દિવસ નવરા. ફરી થોડા ભંડારીઓને ઓન્ગીઆરે ભેગા કર્યા. દિવસે તમે નવરા બેઠા હો છો, ખરું ને?

હોવ્વે.

તો શહેરની ગલીઓમાં, ખેતરોમાં, રસ્તાઓ પર, દરિયા કિનારે આંટા મારો અને કોઈ ચોર-મવાલી, ઠગ-ધુતારો દેખાય તો એને બાવડું પકડી અમારી પાસે લઈ આવો. બોલો, થઈ શકશે તમારાથી આ કામ?

હોવ્વે. 

તાડી માડી વિક્રી કેન્દ્ર 

અને એમ શરૂઆત થઈ મુંબઈ પોલીસની. નામ આપ્યું ‘ભંડારી મિલિશિયા.’ યુનિફોર્મ કે એવું કાંઈ નહિ. હાથમાંનો દંડૂકો એ એની ઓળખાણ. એ વખતે મુંબઈની સરકાર સતત ભય સાથે જીવતી હતી. ડચ, પોર્ટુગિઝ, મોગલ, સીદી, મરાઠા, એ બધામાંથી કોણ, ક્યારે, કઈ દિશામાંથી મુંબઈ પર ચડી આવે, કાંઈ કહેવાય નહિ. એટલે ઓન્જીઆરે માહિમ, શિવરી, સાયન, અને બીજી કેટલીક જગ્યાએ ભન્ડારીઓની ટુકડીઓ ગોઠવી. આ ટુકડીઓની કામગીરી બેવડી હતી : કંપની સરકારના ગોરા લશ્કરને મદદરૂપ થવું, અને આજે જે ફરજો પોલીસ બજાવે છે તે પણ સાથોસાથ બજાવવી. એટલું જ નહિ, લંડનમાં બેઠેલા કંપનીનાં ડિરેક્ટરોને લખેલા એક કાગળમાં ઓન્જીઆરે ત્યાં સુધી લખ્યું હતું કે ‘દેશી’ ખ્રિસ્તીઓ કરતાં આ ભંડારીઓ વધુ ભરોસામંદ હોય છે. કારણ એક તો તેઓ વધુ બહાદુર હોય છે અને તેમની કંપની સરકાર પ્રત્યેની વફાદારી વધારે મજબૂત હોય છે. વળી ભંડારી સૈનિકો રાતના રખેવાળ તરીકે પણ વધુ બાહોશીથી કામ કરી શકે છે. ચોરી-ચપાટી કે લૂંટફાટ કરનારાઓને ઓળખીને પકડવામાં તેઓ કાબેલ હોય છે. આ પત્ર મળ્યા પછી કંપની સરકારના ખેરખાંઓએ ભંડારી સૈનિકોની સંખ્યા ૫૦૦થી વધારીને ૬૦૦ કરવાની મુંબઈ સરકારને પરવાનગી આપી. ઓન્જીઆર પછી ૧૬૮૧થી ૧૬૯૦ સુધી  મુંબઈના ગવર્નરના પદે રહ્યા સર જોન ચાઈલ્ડ. તેમને આ ભંડારી સેના પાછળ થતો ખરચ બિનજરૂરી લાગ્યો એટલે તેમણે ૧૬૭૯માં એ સેનાને વિખેરી નાખવાની ભલામણ લંડન મોકલી. ત્યાંના સાહેબોને તો પૈસા બચે એવી કોઈ પણ દરખાસ્ત મધથી ય મીઠી લાગે. એટલે તરત ‘હા’ ભણી મોકલી. પણ એ રુક્કો મુંબઈ પહોંચ્યો ત્યારે એક બાજુ છત્રપતિ શિવાજી મહારાજ મુંબઈ પર ચડાઈ કરશે એવી વાતો ફેલાઈ હતી તો બીજી બાજુ સીદી ચાંચિયાઓ કંપનીનાં વહાણોને આંતરીને લૂંટી રહ્યા હતા. એટલે ખુદ ગવર્નરે જ ભંડારી સેનાને ખાલસા કરવાની વાતનો વીંટો વાળી દીધો. બ્રિટનમાં બેઠેલા માંધાતાઓને પણ પોતાની ભૂલ સમજાઈ અને ભંડારી સેના વિખેરી નાખવા અંગેનો પોતાનો આગલો ઠરાવ રદ્દબાતલ કરવો પડ્યો. જો કે પછી ઈ.સ. ૧૮૦૦માં છેવટે ભંડારી સેનાને વિખેરી નાખવામાં આવી. મુંબઈ પોલીસની વ્યવસ્થિત રીતે શરૂઆત થઈ તે પછી પણ ઘણા વખત સુધી મુંબઈ તેમાં સૌથી વધુ સિપાઈઓ ભંડારી જાતિના રહેતા.

કોળીઓ અને ભંડારીઓ વચ્ચેનો એક ફરક એ કે કોળીઓ મોટે ભાગે પરંપરાને વળગી રહ્યા. બીજા ક્ષેત્રોમાં ભાગ્યે જ ઝાઝો રસ લીધો. જ્યારે ભંડારીઓ શિક્ષણ, સમાજ, રાજકારણ, વ્યવસાયો, વગેરેમાં આગળ વધતા રહ્યા. તેમાંના કેટલાકની નોંધ તો મુંબઈ શહેરની બહાર રાજ્યમાં અને દેશમાં પણ લેવાતી રહી છે. મરાઠીમાં બાબાસાહેબ આંબેડકર અને બીજા કેટલાક અગ્રણીઓનાં સંશોધનાત્મક જીવનચરિત્રો લખનાર ધનંજય કીર, જાણીતા ફિલ્મ પ્રોડ્યુસર, ડિરેક્ટર અને એક્ટર મહેશ માંજરેકર, જાણીતા અભિનેતા નાના પાટેકર, મરાઠી રંગભૂમિના પ્રખ્યાત નટ મછીન્દ્રનાથ કામ્બલી, સચિન તેંદુલકરના ક્રિકેટ-ગુરુ રમાકાંત આચરેકર, વિજય માંજરેકર, સંજય માંજરેકર, અને પદ્માકર શિવાલકર જેવા ક્રિકેટરો, પણ ભંડારી જાતિના. 

ભંડારી સ્ટ્રીટ

ભંડારી કોમમાં લગ્ન વખતે દહેજ કે વાંકડો આપવા-લેવાનો ચાલ મુદ્દલ નથી. અગાઉ લગ્નપ્રસંગે માંસાહારી ભોજન પીરસાતું, પણ હવે તે બંધ થયું છે. પણ પ્રતીકાત્મક રીતે ભોજન શરૂ થાય એ પહેલાં એક મોટા કોળાનાં બે ફાડચાં કરવામાં આવે છે. પછી એ કોળાનું શાક ભોજનમાં બધાને પીરસવામાં આવે છે. તેમની લગ્નવિધિ રજપૂતોની લગ્નવિધિને મળતી આવે છે. લગ્નવિધિ વખતે હાજર રહેલા દરેક પુરુષનું એક પછી એક નામ પોકારવામાં આવે છે. એ પુરુષ ઊભો થાય એટલે કન્યાના પિતા તેની પાસે જઈને તેને કપાળે કંકુનો ચાંદલો કરે અને તેને પાનબીડું આપી સન્માન કરે. 

ગોળ દેવળ, ૧૯૦૭ પછી ક્યારેક

મુંબઈના એક રસ્તા સાથે ભંડારીઓનું નામ જોડાયેલું છે. ભંડારી સ્ટ્રીટ ફોકલેન્ડ રોડ પાસેથી શરૂ થાય અને કુંભારવાડા પાસે પૂરી થાય. જો કે કેટલાકને મતે કુંભારવાડા નામ પછીથી પડ્યું. અસલ નામ હતું ભંડારવાડા. એક જમાનામાં આ વિસ્તારમાં ભંડારીઓની ઝાઝી વસતી હતી એટલે આ નામ. ભંડારી સ્ટ્રીટ નજીક મુંબઈનું સૌથી જૂનું શિવનું મંદિર આવેલું છે એ ફક્ત અકસ્માત ન હોય. મોટા ભાગના લોકો એને ‘ગોળ દેવળ’ તરીકે ઓળખે છે. કારણ રસ્તાની વચ્ચોવચ બંધાયેલું આ મંદિર આકારમાં ગોળ છે, બીજાં ઘણાંખરાં મંદિરોની ચોખૂણિયું નથી. અગાઉ ઘણી વાર આ મંદિરને નજીકમાં બીજે ક્યાંક ખસેડવાની યોજનાઓ થઈ હતી. પણ શિવભક્તોના ઉગ્ર વિરોધને કારણે પડતી મૂકાઈ હતી. મંદિર ખસેડવા માટે સુધરાઈએ નજીકમાં એક પ્લોટ પણ ખાલી રાખ્યો હતો. એ જગ્યા હવે નાગેશ્વર વાડી તરીકે ઓળખાય છે, અને ત્યાં એક ધર્મશાળા બંધાઈ છે.

ચાલો, ગોળ દેવળનાં દર્શન સાથે આજની આપણી યાત્રા થઈ પૂરી. હવે આવતે શનિવારે? નવી ગિલ્લી, નવો દાવ!

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX 

(પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 07 માર્ચ 2026)

Loading

...102030...60616263...708090...

Search by

Opinion

  • અપેક્ષા                                                 
  • જરૂરત અલબત્ત સુરક્ષા દિવસની પણ ઉજવણી જો કે હત્યા દિવસની
  • આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!
  • ફૂટપાથ થોડી જિંદગી બચાવી શકે એમ છે …
  • મોહેં-જો-દડોની ‘ડાન્સિંગ ગર્લ’: 4500 વર્ષથી યથાવત્ હતી, 21મી સદીએ તેને ‘સુધારી’?

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved