આપણી શિક્ષણવ્યવસ્થાની હાલત કર્તા વિનાના વાક્ય જેવી થઈ ગઈ છે. જે મુદ્દા સાથે સોનમ વાંગચુકને સીધો સંબંધ નથી એ માટે તેઓ ઉપવાસ પર છે, પરંતુ જે શિક્ષણ પ્રધાને જવાબદારી સ્વીકારવી જોઈએ એ મૌન છે.

ચિરંતના ભટ્ટ
15મી મે સુધી બધું ઠેકાણે હતું. એ દિવસે ભારતના મુખ્ય ન્યાયાધીશે પોતાની અદાલતમાં એક કેસની સુનાવણી દરમિયાન ભાષાની મર્યાદા ઓળંગી અને દેશના કેટલાક બેરોજગાર યુવાનોને ‘કોકરોચ’ અને ‘પરોપજીવી’ ગણાવ્યા. ચોવીસ કલાક પછી બૉસ્ટનમાં પબ્લિક રિલેશન્સનો અભ્યાસ કરતા એક વિદ્યાર્થી, અભિજીત દીપકે આ શબ્દને પકડી લીધો અને તેની સામે દલીલો કરવાને બદલે તેને આમંત્રણ ગણ્યું. અઠવાડિયું પૂરું થાય ત્યાં સુધીમાં ‘કોકરોચ જનતા પાર્ટી’ના બે કરોડથી વધુ ફૉલોઅર્સ થઈ ગયા હતા અને તેનું સૂત્ર જ એક આકરો કટાક્ષ હતો, જે હતુંઃ આળસુ અને બેરોજગારોનો અવાજ.
આ સમગ્ર ઘટનાને કાબૂ બહાર નીકળી ગયેલા એક મીમ તરીકે નકારી કાઢવી સહેલી છે. પરંતુ હકીકત તેનાથી લગભગ વિપરીત છેઃ આ એક એવી ધારદાર મજાક હતી, જેનો વાસ્તવિકતા સાથે સામનો થયા પછી પણ તેનો પ્રભાવ જળવાઈ રહ્યો. કારણ કે એ વ્યંગની નીચે એક નક્કર આઘાત છુપાયેલો હતો. ભારતમાં કોને મેડિકલનો અભ્યાસ કરવાની તક મળશે એ નક્કી કરતી NEET-UG 2026 પરીક્ષાની વિશ્વસનીયતા ત્રણ વર્ષમાં બીજી વખત જોખમાઈ હતી. છતાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પોતાના હોદ્દા પર યથાવત્ રહ્યા.
ઘટનાને વધુ નજીકથી જોઇએ તો હાસ્યાસ્પદ હદે નક્ક્રર દેખાય છે. 3 મેની પરીક્ષા પછી રાજસ્થાનના સીકરમાં એક કેમિસ્ટ્રી શિક્ષકે પોતાના વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નપત્ર ઉકેલવાનું શરૂ કર્યું. ત્યારે તેમને જાણવા મળ્યું કે ફરતા થયેલા આશરે 4,100 ‘સંભવિત પ્રશ્નો’ના સંગ્રહમાંથી 120થી 140 પ્રશ્નો પરીક્ષાના પ્રશ્નપત્ર સાથે લગભગ શબ્દશઃ મળતા આવતા હતા.
આશરે 22.7 લાખ ઉમેદવારોએ આપેલી આ પરીક્ષા નવ દિવસ પછી રદ્દ કરવામાં આવી. CBIની તપાસમાં પેપર લીકની કેટલીક કડીઓ છેવટે લાતુરના એક કોચિંગ સેન્ટરના માલિક સુધી પહોંચી. આરોપ છે કે તેણે કેમિસ્ટ્રીનો વિભાગ મેળવવા માટે પાંચ લાખ રૂપિયા ચૂકવ્યા હતા. તેના ફોનમાંથી મળી આવેલા મેટાડેટા પરથી કથિત રીતે જાણવા મળ્યું કે લીક થયેલા પ્રશ્નોના ફોટોગ્રાફ્સ પરીક્ષા થઈ તેના દસ દિવસ પહેલાં લેવાયા હતા.
હાલ 13 લોકો ન્યાયિક કસ્ટડીમાં છે. 21 જૂને અસાધારણ સુરક્ષા-વ્યવસ્થા વચ્ચે દેશભરમાં ફરી પરીક્ષા લેવામાં આવી. એ પેપરના ફોટોગ્રાફ કોણે પાડ્યા, એ કોણે ખરીદ્યું અને કોણે વેંચ્યું એ CBI કદાચ શોધી કાઢશે. પરંતુ, એક રાજકીય પ્રશ્નનો જવાબ CBI નહીં આપી શકેઃ એક જ રાષ્ટ્રીય પરીક્ષા એકથી વધુ વખત નિષ્ફળ જાય પછી શિક્ષણ મંત્રાલય સંભાળતા મંત્રી એ નિષ્ફળતાની જવાબદારી ક્યારે સ્વીકારશે?
ભારતનું આ પહેલું NEET કૌભાંડ નહોતું. 2024ની પરીક્ષામાં પણ પેપરની ચોરી, સંગઠિત ‘સૉલ્વર’ નેટવર્ક અને પરિણામોમાં ગેરરીતિના આરોપો સામે આવ્યા હતા. 2026માં ફરી થયેલું આ છીંડું પણ એ જ મંત્રીના કાર્યકાળમાં પડ્યું, મોદી સરકારમાં ધર્મેન્દ્ર પ્રધાનના કાર્યકાળને પાંચ વર્ષ પૂરા થવા આવ્યા ત્યારે આ ગોટાળો થયો.
2014થી અત્યાર સુધીમાં ભારતે ચાર શિક્ષણ પ્રધાન જોયા છે: સ્મૃતિ ઈરાની, પ્રકાશ જાવડેકર, રમેશ પોખરિયાલ અને ધર્મેન્દ્ર પ્રધાન. દરેકને વારસામાં લગભગ સરખી સમસ્યાઓ મળી હતીઃ અપૂરતું જાહેર રોકાણ, નીતિઓનો અસમાન અમલ, સંઘર્ષ કરતી યુનિવર્સિટીઓ અને સંગઠિત છેતરપિંડી સામે સતત વધુ અસુરક્ષિત બનતી પરીક્ષા-વ્યવસ્થા. નામ બદલાતાં રહ્યાં, પરંતુ નિષ્ફળતાઓ ટકી રહી. પ્રધાનની વિશેષતા માત્ર એટલી છે કે તેઓ આ હોદ્દા પર એટલો લાંબો સમય રહ્યા કે એક જ રાષ્ટ્રીય પરીક્ષાની વિશ્વસનીયતા તેમના કાર્યકાળમાં બે વખત જોખમાઈ.
ફોજદારી તપાસ અને રાજકીય જવાબદારી વચ્ચે તફાવત છે. તપાસ પૂછે છે કે ગુનો કોણે કર્યો. રાજકીય જવાબદારી પૂછે છે કે એ ગુનો થતો અટકાવવાની જવાબદારી કોની હતી.
ભારતે NEET કૌભાંડનો જવાબ ધરપકડો, તપાસો, પુનઃપરીક્ષા અને સુરક્ષાના વિસ્તૃત નવા નિયમોથી આપ્યો છે. છતાં આમાંથી એકેય પગલું એ પ્રશ્નનો જવાબ આપતું નથી કે જે મંત્રીની દેખરેખ હેઠળ વ્યવસ્થા વારંવાર નિષ્ફળ ગઈ, એ જ મંત્રીએ એની દેખરેખ રાખવાનું ચાલુ શા માટે રાખવું જોઈએ? તપાસ નીચે તરફ આગળ વધે છે; કોચિંગ સેન્ટરના માલિકો, દલાલો અને અધિકારીઓ તરફ, પરંતુ જવાબદારી ક્યારે ય સત્તાના ઉપરના સ્તર સુધી પહોંચતી નથી.
રાજકીય સમીક્ષક અને વિચારક પ્રતાપ ભાનુ મહેતાએ તાજેતરમાં પરીક્ષાને લગતા અન્ય એક કૌભાંડ વિશે લખતાં એ ટેવ તરફ આંગળી ચીંધી હતી, જે પોતાની નિષ્ફળતાઓનું વર્ણન કરવા માટે સત્તા દ્વારા વપરાતી ભાષામાં ધીમે-ધીમે પ્રવેશી ગઈ છે. પેપર લીક થાય છે, પરિણામોમાં ગોટાળો થાય છે, પરીક્ષાઓ રદ્દ થાય છે અને વ્યવસ્થા સાથે ચેડાં થાય છે અને આ બધું હંમેશાં એવી રીતે કહેવાય છે, જેમાંથી કર્તા ચૂપચાપ ગાયબ થઈ ગયો હોય છે. તેમનું કહેવું સાફ અને આકરું છેઃ વ્યાકરણના કર્તા વિના લોકશાહી સંભવ નથી.
ચાર મંત્રી અને બાર વર્ષથી સતત ચાલી રહેલી આ નિષ્ફળતા પછી ભારતનું શિક્ષણતંત્ર પાઠ્યપુસ્તકમાં મુકવા જેવું દૃષ્ટાંત બની ગયું છે. એક જ મંત્રી હેઠળ NEETની પરીક્ષાઓની વિશ્વસનીયતા બે વખત જોખમાઈ છે. ધરપકડો થઈ, તપાસો હાથ ધરાઈ અને વધુ કડક પ્રક્રિયાઓનાં વચન અપાયાં; પરંતુ ન તો કોઈએ રાજીનામું આપ્યું કે ન તો વ્યવસ્થાએ જે થવા દીધું એની રાજકીય જવાબદારી સ્વીકારતું એક સાદું વાક્ય ઉચ્ચારાયું.
નાણાકીય સ્થિતિમાં પણ ખાસ કશો ફેરફાર થયો નથી. આર્થિક સર્વેક્ષણ 2025–26 મુજબ, શિક્ષણ (જેમાં રમતગમત, કલા અને સંસ્કૃતિનો પણ સમાવેશ થાય છે) પર કેન્દ્ર અને રાજ્ય સરકારોનો સંયુક્ત ખર્ચ 2019–20માં GDPના 2.9 ટકા હતો, જે 2025–26ના બજેટના અંદાજ મુજબ ઘટીને 2.7 ટકા થયો છે; 2021–22થી આ આંકડો લગભગ 2.7 ટકાની આસપાસ જ રહ્યો છે. જુદી-જુદી સત્તાવાર ગણતરીઓ થોડા અલગ આંકડા આપે છે, પરંતુ એમાંથી એકેય આંકડો ભારતને લાંબા સમયથી અપાયેલા GDPના 6 ટકા ખર્ચના વાયદાની નજીક પહોંચાડતો નથી.
6 ટકાના આ લક્ષ્યાંકની ભલામણ સૌથી પહેલાં કોઠારી કમિશને 1964માં કરી હતી. 2020માં ભારતની પોતાની રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ પણ એનું પુનરાવર્તન કર્યું. જે આંકડા સુધી પહોંચવાનો એક પછી એક સરકારોએ ભાગ્યે જ કોઈ ઇરાદો દેખાડ્યો હોય, એ જ આંકડો વારંવાર દોહરાવતા રહેવા માટે 62 વર્ષ બહુ લાંબો સમય ન કહેવાય?
વચન અને ખર્ચ વચ્ચે, તપાસ અને જવાબદારી વચ્ચે રહેલી આ ખાઈમાં સોનમ વાંગચુકે પગ મૂક્યો છે. એટલે કે ઉપવાસ આદર્યા છે.
અભિજીત દીપકેના આંદોલનની મુખ્ય માગણી છે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું અને તેની સાથે સમર્થન દર્શાવવા માટે વાંગચુકે 28 જૂને જંતરમંતર ખાતે અનિશ્ચિત મુદ્દતના ઉપવાસ શરૂ કર્યા. જુલાઈના મધ્ય સુધીમાં તેમનું વજન કથિત રીતે નવ કિલોથી વધુ ઘટી ગયું હતું. ડૉક્ટરોએ તેમની કથળતી તબિયત અંગે ચેતવણી આપી, જ્યારે દિલ્હી હાઈ કોર્ટે સત્તાવાળાઓને તેમના સ્વાસ્થ્ય પર દેખરેખ રાખવા અને તબીબી રીતે જરૂરી બને તો હસ્તક્ષેપ કરવાનો નિર્દેશ આપ્યો. વિપક્ષના નેતાઓએ તેમને ઉપવાસ સમાપ્ત કરવાની અપીલ કરી. પરંતુ આ લખાય છે ત્યાં સુધીમાં પણ સરકાર તરફથી આ માગણી વિશે ચર્ચા કરવાની તૈયારી દર્શાવતો કોઈ જાહેર સંકેત મળ્યો નથી.
આ સંઘર્ષમાં વાંગચુક પોતાની સાથે શું લઈને આવે છે અને શું નથી લાવતા એ વિશે પ્રામાણિક રહેવું જરૂરી છે. એક વર્ષથી પણ ઓછા સમય પહેલાં લદ્દાખમાં તેમના નેતૃત્વ હેઠળ થયેલા અન્ય એક ઉપવાસનો અંત સાવ જુદા સંજોગોમાં આવ્યો હતો. રાજ્યના દરજ્જા અને બંધારણીય સુરક્ષાની માગણી સાથે શરૂ થયેલા વિરોધ-પ્રદર્શન આગચંપી અને પોલીસ સાથેની અથડામણ સુધી પહોંચી ગયા હતા. પોલીસ ફાયરિંગમાં ચાર લોકોનાં મૃત્યુ થયાં હતાં. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે વાંગચુક પર ઉશ્કેરણીજનક ભાષણો દ્વારા અશાંતિમાં ફાળો આપવાનો આરોપ મૂક્યો હતો. વાંગચુકે હિંસા ભડકાવ્યાનો ઇનકાર કર્યો હતો અને પોતે શાંતિ જાળવવાની અપીલ કરી હોવાનું કહ્યું હતું.
આ ઇતિહાસ આપણને કોઈ પણ ઉપવાસીને સવાલોથી પર રહેલા નિષ્કલંક સંતમાં ફેરવી નાખતાં રોકે છે. કોઈ વ્યક્તિ મંત્રી પાસેથી જવાબદારીની માગણી કરે છે એટલા માત્રથી લેહની પહેલેથી તંગ પરિસ્થિતિમાં તેની ભાષાએ કોઈ ભૂમિકા ભજવી હતી કે નહીં એવા સવાલોમાંથી તેને મુક્તિ મળી જતી નથી, ભલે તે સરકારના આરોપને નકારતા હોય.
પરંતુ વાંગચુકના ભૂતકાળ વિશે સવાલ ઉઠાવવો અને એ ભૂતકાળને આગળ ધરીને NEETના મૂળ પ્રશ્નને કોરાણે મૂકી દેવો, એ બે જુદી બાબતો છે. બીજા પ્રકારની દલીલ માટે એક શબ્દ છેઃ ‘વ્હોટઅબાઉટરી’. વાંગચુકે લદ્દાખમાં શું કહ્યું હતું એ તપાસવું જરૂરી છે, પરંતુ એના આધારે NEETનું પેપર લીક થયું કે નહીં, લાખો વિદ્યાર્થીઓને ફરી પરીક્ષા કેમ આપવી પડી અને શિક્ષણ પ્રધાનની રાજકીય જવાબદારી બને છે કે નહીં, એ સવાલો અપ્રસ્તુત થઈ જતા નથી. એમ કરવું એટલે દુઃખે પેટ અને કૂટે માથું જેવો ઘાટ કરવો.
હકીકત એ પણ છે કે વાંગચુક અત્યારે જે માગણી માટે પોતાનું સ્વાસ્થ્ય જોખમમાં મૂકી રહ્યા છે એની સાથે તેમનો કોઈ સીધો વ્યક્તિગત સંબંધ નથી. છતાં એ માગણીની પ્રાસંગિકતા ટકી રહે છે, કારણ કે એની પાછળ રહેલાં તથ્યો લેહ-લદ્દાખના બનાવોમાં વાંગચુકની ભૂમિકા શું હતી એના પર આધાર રાખતાં નથી. એ તથ્યો સીકરના કેમિસ્ટ્રી શિક્ષકની ગણતરી, એક ફોનમાંથી મળેલા મેટાડેટા, કોચિંગ સેન્ટર સુધી પહોંચતી નાણાંની કડી અને વર્ષોથી લગભગ સ્થિર રહેલો આંકડો દર્શાવતા આર્થિક સર્વેક્ષણના કોષ્ટક પર આધારિત છે.
બાય ધી વેઃ
ભારત શિક્ષણ પર કેટલો ખર્ચ કરે છે અને એણે કેટલા ખર્ચનું વચન આપ્યું છે, એ બે આંકડા વચ્ચેના અંતરમાં ક્યાંક એ 22.7 લાખ વિદ્યાર્થીઓ બેઠા છે, જેમણે એવી પરીક્ષા આપી જેના પ્રશ્નો તેમણે પેપર ખોલ્યું એ પહેલાં જ કથિત રીતે વેચાઈ ચૂક્યા હતા.
દલાલોની ધરપકડ થઈ શકે છે. કોચિંગ સેન્ટરો પર દરોડા પડી શકે છે. અધિકારીઓની બદલી થઈ શકે છે. વધુ ચુસ્ત સુરક્ષા વચ્ચે ફરી પરીક્ષા લઈ શકાય છે.
પરંતુ મંત્રી યથાવત્ રહે છે. અને વાક્ય હંમેશની જેમ કર્તા વિનાનું રહી જાય છેઃ પેપર લીક થયું, પરીક્ષા રદ્દ થઈ, મામલાની તપાસ થઈ. બધું કર્મણિ પ્રયોગમાં – જાણે આમાંથી કશું કોઈએ કર્યું જ ન હોય અને એટલે કોઈ ચોક્કસ વ્યક્તિએ માફી માગવાની પણ જરૂર ન હોય.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 19 જુલાઈ 2026
![]()

