Opinion Magazine
Number of visits: 10011282
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—350

દીપક મહેતા|Opinion - Opinion|19 July 2026

આ શહેર : આખેઆખો  નકશો  ક્યારે  બદલાવી  દે,  કહેવાય  નહિ

આ શહેર  તમારાં સ્ટેશનને  ઉથલાવી  દે  કહેવાય નહિ,

એક નામ ઉપર  બીજો ચહેરો  ચિપકાવી  દે કહેવાય નહિ.

આ  ફાટક ને આ પાટાઓ, આ સિગ્નલ ને આ કેબીનો,

આખેઆખો  નકશો  ક્યારે  બદલાવી  દે  કહેવાય  નહિ.

ટાવર  ઊખડે, રસ્તા ઊખડે, અરધો પરધો  માણસ ઊખડે, 

કોનો  ધબકારો  કોણ  અહીં  અટકાવી  દે  કહેવાય નહિ.

કવિતાપ્રેમીઓની, અને તેમના લાડકા કવિ રમેશ પારેખની માફી માગીને આજની વાત શરૂ કરીએ. શું શું ગયું મુંબઈમાંથી? પાલખી ગઈ, ટ્રામ ગઈ, વિક્ટોરિયા ગઈ, સ્ટેશન ગયું, કોલાબા. બીજું સ્ટેશન ગયું, બેલાર્ડ પિયર. અને પછી તો ગાયબ થઈ ગઈ એક આખેઆખી રેલવે લાઈન! ગયાં એનાં એન્જિન, ને ગયા એના ડબ્બા. ગયા એનાં પ્લેટફોર્મ, ને ગયાં એનાં ફાટક. હા, હજી આજે પણ ક્યાંક ક્યાંક એ સદ્ગત રેલવે લાઈનના પાટા ક્યાંક ક્યાંક આસ્ફાલ્ટના રસ્તામાં ધરબાયેલા જોવા મળે ખરા, જો જરા ધ્યાનથી જોઈએ તો. 

બોમ્બે પોર્ટ ટ્રસ્ટનો લોગો 

હા, જી. અમને ખબર છે: તમે કહેવાના કે મુંબઈમાં તો પહેલેથી બે જ રેલવે લાઈન હતી: GIP અને BBCI, એટલે કે આજની સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલવે. ત્રીજી લાઈન હતી જ ક્યાં? ક્યારે? તો પેલું બેલાર્ડ પિયર સ્ટેશન યાદ છે? સ્ટીમરમાંથી ઊતરી મુસાફરો સીધા ફ્રન્ટિયર મેલમાં બેસતા અને છેક પેશાવર સુધી પહોંચતા. પણ ફ્રન્ટિયર મેલ રોજ તો કોલાબા સ્ટેશનેથી ઊપડે. P&Oની સ્ટીમર આવવા કે જવાની હોય તે દિવસે જ બેલાર્ડ પિયર એનું પિયર બને! તે શું ફક્ત એક ટ્રેન ખાતર GIP જેવી વેપારી કંપની આખું નવું સ્ટેશન બાંધે? ના જી. પહેલી વાત તો એ કે એ સ્ટેશન એ રેલવે કંપનીએ બાંધ્યું જ નહોતું. બીજી વાત એ કે એ સ્ટેશનેથી માત્ર એક ફ્રન્ટિયર મેલ ટ્રેન જ આવતી-જતી નહોતી. લગભગ રોજ ત્યાં ટ્રેનોનો આવરોજાવરો થતો હતો અને એટલા ખાતર બેલાર્ડ પિયર સ્ટેશન બાંધ્યું હતું, એક આખી રેલવે લાઈન નાખી હતી. પણ GIP કે BBCI રેલવેએ નહિ. એ નાખી હતી BPT રેલવેએ. 

બોમ્બે પોર્ટ ટ્રસ્ટની ઓફિસ

આ BPT એ વળી કઈ બલાનું નામ છે? આખું નામ ‘બોમ્બે પોર્ટ ટ્રસ્ટ’. ૧૮૫૩માં જ્યારે બોરીબંદરથી ઠાણે જવા પહેલી ટ્રેન ઊપડી ત્યારે તો થોડે દૂરના કાંઠે આવેલાં નાનાં નાનાં બંદરો પર શઢવાળાં વહાણ નાંગરતાં. એમાંના માલની ચડ-ઊતર થતી ગાડાંઓ મારફત. અગાઉ આપણે વાત કરી હતી કે મુંબઈમાં જે પહેલવહેલા બ્રિજ બંધાયા તેનાં ચડાણ-ઊતરાણના ઢોળાવ માલ ભરેલાં ગાડાંને ધ્યાનમાં રાખીને કપરા નહિ, પણ સરળ રખાયા હતા. પણ આ બંદરો પર ચડે-ઊતરે તે બધો માલ કાંઈ મુંબઈનો કે મુંબઈ માટેનો તો હોય નહિ. એટલે એને બહારગામ મોકલાવો હોય તો પહેલાં બોરી બંદર કે ગ્રાન્ટ રોડ સ્ટેશને મોકલવો પડે, અને ત્યાંથી રેલ રસ્તે એ માલ જાય દેશાવર. (ગ્રાન્ટ રોડ સ્ટેશનના ભાગ રૂપે બાજુમાં એક મોટું ગૂડ્ઝ યાર્ડ હતું તે આ લખનારે નજરોનજર જોયું છે, ઘણી વાર.) પણ મુંબઈ જેમ જેમ મોટું થતું ગયું તેમ તેમ આ રીતે માલ મોકલવાનું મુશ્કેલ બનતું ગયું. અને વેપારીઓની સગવડ ખાતર બે રેલવે કંપનીઓ કાંઈ પોતાની લાઈન ડોક વિસ્તાર સુધી લંબાવે નહિ. એટલે પછી નક્કી થયું કે મુંબઈની ગોદીઓમાં થતી માલની હેરફેર માટે એક આખી અલગ રેલવે લાઈનની જ જોગવાઈ કરવી. અને એ લાઈન છેક દરિયા કિનારા સુધી જાય. સ્ટીમરમાંથી માલ ઊતરે તે સીધો જાય ભારખાનાના ડબ્બામાં. અને સીધો પહોચેં છેક ઉત્તર હિન્દુસ્તાન સુધી. એટલે એ BPTએ વાટાઘાટ શરૂ કરી બંને વેપારી રેલવે કંપનીઓ સાથે. અને પોતાનાં ભારખાનાંની ટ્રેનો તેમનાં પાટા, સ્ટેશનો, વગેરેનું જાળું વાપરી શકે એ અંગે કર્યા કરાર. 

BPT રેલવે 

આ BPT એટલે બોમ્બે પોર્ટ ટ્રસ્ટ. આખા હિન્દુસ્તાનનું પહેલવહેલું પોર્ટ ટ્રસ્ટ. એની સ્થાપના થઈ ૧૮૭૩માં. એનું કામ હતું નવી નવી સગવડો ઊભી કરીને મુંબઈના બંદરને ‘આધુનિક’ બનાવવાનું. એટલે એણે દરિયો પૂરી જમીન મેળવી, જુદા જુદા પ્રકારનો માલ સંઘરવા અલગ અલગ પ્રકારનાં ગોદામ બાંધ્યાં, બંદર વિસ્તારમાં નવા રસ્તા બાંધ્યા. પણ આ ટ્રસ્ટના મોભીઓને એક વાત બરાબર સમજાઈ ગઈ : જો મુંબઈના બંદરને ધમધમતું કરવું હોય તો માલ-સામાન લઈ જવા માટે રેલવેની સગવડ ઊભી કર્યા વગર છૂટકો નથી. અને તેણે શરૂ કરી BPT રેલવે. ચોક્કસ તારીખ તો મળતી નથી, પણ વીસમી સદી શરૂ થઈ તે પહેલાં આ રેલવે શરૂ થઈ ગઈ હતી. તેનાં એન્જિન પણ ટ્રેનના ખાસ પ્રકારના કામને અનુકૂળ હતાં. કદમાં નાનાં, પણ ભાર ખેંચવામાં જબરાં. ઝડપ એ તેની મુખ્ય જરૂરિયાત નહોતી. પણ ભારેખમ વેગનોને લાંબા અંતર સુધી ખેંચવાની ક્ષમતા જરૂરી હતી. આ રેલવે લાઈન શરૂ થયા પછી માલ-સામાન ગાડામાં ભરવાની જરૂર રહી નહિ. બંદર પર માલ ઊતરે અને સીધો ચડે કિનારે ઊભેલી ટ્રેનનાં વેગનોમાં. એવી જ રીતે પરદેશ મોકલવાનો સામાન બંદર સુધી આવે વેગનોમાં. અને તેમાંથી સીધો ચડે સ્ટીમરમાં. મુંબઈમાં રસ્તાઓ પરનો ટ્રાફિક વધતો જતો હતો, પણ હવે રસ્તા પર આધાર રાખવાની જરૂર જ ન રહી. તેથી રસ્તાઓને પણ થોડી રાહત મળી. ૧૮૮૦માં શરૂ થયેલ ‘પ્રિન્સિસ ડોક’ (ઘણા આ ડોકને પ્રિન્સેસ ડોક’ કહે છે પણ તે બંધાયો હતો પ્રિન્સ ઓફ વેલ્સના માનમાં, જે પછીથી સાતમા એડવર્ડ બન્યા હતા). ૧૮૮૮માં બંધાયેલ વિક્ટોરિયા ડોક, અને ૧૯૧૪મા બંધાયેલ એલેકઝાન્ડ્રા ડોક (આજનું નામ ઇન્દિરા ડોક), પર નાંગરતાં જહાજોમાંથી માલની ચડ-ઊતર સીધી ટ્રેનનાં વેગનોમાં થવાની સગવડ થઈ. તેથી વેપારીઓને પૈસા અને સમયની ઘણી બચત થવા લાગી. વળી બે વિશ્વયુદ્ધો વખતે સૈનિકો, લશ્કરી વાહનો, દારૂગોળો, અને લશ્કરી સરંજામની હેરફેર માટે આ ટ્રેન વ્યવસ્થા ખૂબ ઉપયોગી થઈ પડી. 

આપણો તે કેવો સહજ સંગમ! વડાળા જંકશન પાસે GIP અને BPTના પાટાનો સહજ સંગમ

પણ આ BPT રેલવે પસાર ક્યાં ક્યાંથી થતી? બેલાર્ડ પિયર મોલ સ્ટેશનેથી ઊપડેલી ટ્રેન પહેલાં જતી બેલાર્ડ એસ્ટેટ રેલવે સાઈડિંગમાં. ત્યાંથી મેરીવેધર રોડના વિસ્તારમાં, ત્યાંથી ડોક રેલવેના પાટા પર (અહીંના પાટા, ટ્રામના પાટાની જેમ લગભગ જમીનમાં દાટેલા હતા, જેથી બીજાં વાહનોની અવરજવરને બહુ નડે નહિ), એલેકઝાન્ડ્રા ડોક, વિક્ટોરિયા ડોક, પ્રિન્સિસ ડોક, પસાર કરીને એ ટ્રેન કર્નાક બંદર, મસ્જિદ, અને વાડી બંદરનાં સ્ટેશન વટાવી રે રોડ, કોટન ગ્રીન, શિવડી, વગેરેને પાછળ છોડી વડાળા ટર્મિનસ પહોંચતી. બસ, ત્યાં આગળ BPT રેલવેની હદ પૂરી થતી અને GIP રેલવેના પાટા પર BPTનાં ભારખાનાં આગળ વધતાં. પણ જો BBCI લાઈન પર ગુડ્ઝ ટ્રેન જવાની હોય તો? તો વડાળાથી આગળ વધીને આજના પરેલ-દાદર વિસ્તારમાં થઈને BBCI રેલવેના પાટે ચડી જતી. આજે પણ પરેલ-દાદર વિસ્તારમાં વેસ્ટર્ન અને સેન્ટ્રલ રેલવેના પાટા એકબીજાથી ઘણા નજીક છે. એ વખતે એ બંને લાઈન પરની ટ્રેનો પાટા બદલી શકે એવી સગવડ હતી. 

દિવસ-રાત ધમધમતું જવાહરલાલ નેહરુ પોર્ટ

પણ કહે છે ને, કે ચડે તે પડવા માટે. દાયકાઓ સુધી ખૂબ ઉપયોગી બનેલી BPT રેલવેની પણ પડતી શરૂ થઈ. કેમ? પહેલું કારણ એ કે ધીમે ધીમે દરિયાઈ મુસાફરીનું સ્થાન હવાઈ મુસાફરીએ લીધું. ૧૯૧૨ના ડિસેમ્બરમાં ‘ઇન્ડિયન સ્ટેટ એર સર્વિસ’ અને ગ્રેટ બ્રિટનની ઈમ્પીરિયલ એરવેઝે સાથે મળીને લંડન-કરાચી-દિલ્હીની ફ્લાઈટ શરૂ કરી. પછી બીજા રૂટ પણ શરૂ થયા. ૧૯૪૮ના જૂનની ૮મી તારીખે તે વખતની એર ઇન્ડિયા ઇન્ટરનેશનલે મુંબઈથી લંડનની ફ્લાઈટ શરૂ કરી. વચમાં તે કેરો અને જિનોઆ રોકાતી હતી. પછી તો આકાશી સફરની સગવડો વધતી ગઈ અને દરિયાઈ સફરો ઘટતી ગઈ. બીજી બાજુ માલ-સામાનની હેરાફરીની રીત-રસમ પણ બદલાઈ. અગાઉ મોટાં મોટાં ખોખાંઓમાં કે કોથળાઓમાં ભરીને માલ સ્ટીમરમાં ચડાવવો-ઉતારવો પડતો. આ કામ માટે BPT રેલવે પૂરેપૂરી અનુકૂળ હતી. પણ પછી જેને ‘કન્ટેનર’ કહે છે તેનો જમાનો આવ્યો. ગુડ્ઝ ટ્રેનના ડબ્બા જેટલાં મોટાં કન્ટેનરમાં ભરીને માલ મોકલવાનું શરૂ થયું. આવાં કન્ટેનરો સ્ટીમરમાંથી ઉપાડીને ટ્રેનમાં, અને ટ્રેનમાંથી ઉપાડીને સ્ટીમરમાં ચડાવાય. પણ એ માટે અગાઉના બંદરોમાં નહોતી જરૂરી સગવડ, કે નહોતી પૂરતી જગ્યા. એટલે મુંબઈના ટાપુ પર નહિ પણ નવી મુંબઈમાં જવાહરલાલ નેહરુ પોર્ટ ઊભું કરવામાં આવ્યું. તેનું વિધિવત્ ઉદ્ઘાટન તે વખતના વડા પ્રધાન રાજીવ ગાંધીના હસ્તે ૧૯૮૯ના મે મહિનાની ૨૬મી તારીખે થયું. ટ્રેન અને સ્ટીમર વચ્ચે સીધેસીધી કન્ટેનરની આપ-લે થઈ શકે એવી અહીં સગવડ થઇ. જો કે તે પહેલાં જ, બિનઉપયોગી જણાવાને કારણે ૨૦૧૪માં જ BPT રેલવેનો વીંટો વાળી દેવામાં આવ્યો હતો. આમ પણ આ રેલવે લાઈન લોકોની આંખે ઝાઝી ચડેલી નહિ, એટલે એનો અભાવ પણ કોઈને ખાસ ખટક્યો નહિ. પણ હજી આજે ય તે ડોક વિસ્તારમાં ક્યાંક ક્યાંક આ રેલવે લાઈનના પાટા દેખાઈ આવે, તો ક્યાંક રડ્યાખડયા ફાટકનો દરવાજો ડોકિયું કરી જાય. અને જો કાન સરવા હોય તો ડોક વિસ્તારમાંથી ઊઠતા કવિ નર્મદના શબ્દો પણ સંભળાય : ‘નવ કરશો કોઈ શોક રસિડાં, નવ કરશો કોઈ શોક.’

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX 

પ્રગટ : “ગુજારાતી મિડ-ડે”; 19 જુલાઈ 2026

Loading

19 July 2026 Vipool Kalyani
← ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
ધર્મ આધારિત રાજકારણ ! →

Search by

Opinion

  • આપણી શિક્ષણવ્યવસ્થાનો સારઃ ગોટાળા, વિરોધ, અનિશ્ચિત ભાવિ અને યથાવત્ મંત્રી
  • ધર્મ આધારિત રાજકારણ !
  • હાઉસ વાઈફ હોય તો હાઉસ હસબંડ કેમ ન હોય?
  • સ્વનામધન્ય સન્માન્ય શિક્ષણ મંત્રીને પ્રધાનપદે રહેવામાં ધર્મ વરતાય છે
  • ખાતરનો અસંતુલિત ઉપયોગ – ખાતર ઉપર દિવેલ સાબિત થશે.

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ
  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved