
રમેશ ઓઝા
ર્મનું રાજકારણ અને ધર્મનો ધંધો કરનારાઓનો હિંસક, વિકૃત અને ગોબરો ચહેરો જોઇને કોઈ ગ્લાનિ, કોઈ શરમ અનુભવો છો ખરા? આ પ્રશ્ન એ લોકો માટે છે જે હજુ ગઈ કાલ સુધી હિંદુ ધર્મના વિજય પતાકા લહેરાવતા નાચતા હતા. ભગવાન રામની પ્રતિષ્ઠા મર્યાદા પુરુષોત્તમની છે. પુરુષોમાં ઉત્તમ એટલા માટે કે તેઓ મર્યાદામાં માનતા હતા. પણ એ જ મર્યાદા પુરુષોત્તમ રામના ચરણોમાંથી ધર્મનું રાજકારણ કરનારાઓ અને ધર્મનો ધંધો કરનારાઓ ૨૦૦ કરોડ રૂપિયા કરતાં વધુ રકમ ચોરી ગયા. ચોરી કરનારાઓ મુસલમાન નહોતા, વિધર્મી નહોતા, નાસ્તિક હિંદુઓ નહોતા, સેકયુલરિસ્ટ હિંદુઓ નહોતા, ગાંધી અને નેહરુને માનનારા ઉદારમતવાદી હિંદુઓ નહોતા, એ લોકો હતા જે પોતાને મહાન ધાર્મિક હિંદુ તરીકે ઓળખાવતા હતા, એ લોકો હતા જેઓ પોતાને ધર્મરક્ષક તરીકે ઓળખાવતા હતા.
ત્યારે તમને એ નહોતું સમજાતું અને કોઈ સમજાવતા હતા તો તમે સાંભળવા તૈયાર નહોતા કે એ જ લોકો હતા જેણે હિંદુઓની શ્રદ્ધા સાથે રમત રમી હતી. એ લોકો હતા જેણે મર્યાદા પુરુષોત્તમ રામને નામે દેશભરમાં બે દાયકાઓ સુધી કોમી રમખાણો કર્યાં હતાં જેમાં હજારો મુસલમાનો અને સેંકડો હિંદુઓ માર્યા ગયા હતા અને બીજા અનેક નિરાશ્રિત બની ગયા હતા. એ લોકો હતા જેમણે સરેરાશ હિંદુ પરિવારોમાં તિરાડો પેદા કરી. એ લોકો હતા જેમણે રામજન્મભૂમિ મંદિર બંધાવવા માટે ટ્રસ્ટની સ્થાપના કરી અને ટ્રસ્ટ ચલાવતા હતા. એ લોકો હતા જેમણે અબજો રૂપિયા મર્યાદા પુરુષોત્તમ રામના નામે ભેગા કર્યા છે અને હજુ સુધી કોઈને ય હિસાબ આપ્યો નથી. માગો તો પણ આપતા નથી. ભગવાન રામના ચરણોમાં બેસનારાઓ જ તેમના ચરણમાંથી પૈસા ચોરી ગયા.
ચડાવાચોરીનું પ્રકરણ બહાર આવ્યા પછી ધર્મનું રાજકારણ અને ધર્મનો ધંધો કરનારાઓના ચહેરા પર લાજશરમ નજરે પડે છે ખરી? નરેન્દ્ર મોદી, મોહન ભાગવત વગેરેના ચહેરાઓને ધારી ધારીને નીરખો, દેખાય છે ક્યાં ય કોઈ શરમ? આશારામ, રામરહીમ અને બીજા કળશી એક ધુતારા બાવાઓના ચહેરા પર ક્યારે ય કોઈ લાજશરમ જોઈ છે ખરી?
શા માટે હોય! ધર્મનું જે બીજું અને મહત્ત્વનું અંગ છે તેની સાથે તેમને નહાવાનિચોવાનો પણ સંબંધ નથી. એ અંગ છે આધ્યાત્મિક અંગ. મનુષ્ય તરીકેની એક જિંદગી મળી છે તો તેને એવી રીતે જીવવી કે જિંદગી સાર્થક થઈ જાય. આ થઈ સાધના. સાર્થકતા માટેની સાધના. અને બીજું મનુષ્ય તરીકે એક જિંદગી મળી છે તો તેને એવી રીતે જીવવી કે કિરતાર સાથે એકત્વ સધાય. ઈશ્વરમય થઈ જવાય. આ છે ધર્મની આધ્યાત્મિક બાજુ. મનુષ્ય તરીકે એક જિંદગી મળી છે તો એવી રીતે જીવવી કે આપણાથી કોઈને ય અન્યાય ન થાય, આપણા થકી કોઈને ય નુકસાન ન પહોંછે, કોઈનું ય બુરું ન ઇચ્છીએ એ થઈ ધર્મની નૈતિક બાજુ. સાચા હિંદુઓ, સાચા મુસલમાનો ધર્મનું આ રીતે અવલંબન લે છે અને પછી તો એક દિવસ સ્થૂળ અર્થમાં ઓળખાતો ધર્મ પણ ખરી પડે છે. સંસારના દરેક ધર્મએ આધ્યાત્મિક, સાધનાકીય અને નૈતિક બાજુ વિકસાવી છે અને તેમાં હિંદુ ધર્મ અગ્રેસર છે. હિંદુ ધર્મની આધ્યાત્મિક અને સાધનાપરક બાજુ આ સંસારમાં સૌથી વધુ પરિપક્વ છે અને એટલે તો પશ્ચિમને અને વિધર્મીઓને હિંદુ ધર્મનું આકર્ષણ છે. પણ ધર્મની આ ખરી બાજુ સાથે ધર્મનું રાજકારણ કરનારાઓને અને ધર્મનો વેપાર કરનારાઓને નહાવાનિચોવાનો પણ સંબંધ નથી. તમે કોઈ હિન્દુત્વવાદીને વેદ, ઉપનિષદ, કે સંતો કે સૂફીઓનાં વચન ટાંકતો જોયો. એની જિંદગી વિધર્મીઓએ કરેલા કહેવાતા અત્યાચારોના ઉકરડા ફેંદવામાં જ રસ છે અને એ જ કામ તમારી પાસે કરાવે છે.
રામચરિત માનસ લખીને મર્યાદા પુરુષોત્તમ રામને ઘરે ઘરે પહોંચાડનારા ગોસ્વામી તુલસીદાસે માનસમાં રામકથાની પડછે ઊંડું આધ્યાત્મિક ખેડાણ કર્યું છે. પણ લોકોને બહુ ઓછી જાણ છે કે ગોસ્વામી તુલસીદાસે રામચરિત માનસમાં કલિયુગનાં લક્ષણો વર્ણવતી અનેક ચોપાઈઓ કહી છે. એમાંની એક જોઈએ :
सोइ सयान जो परधन हारी, जो कर दंभ सो बड़ा आचारी I
जो कर झूठ मसखरी जाना, कलयुग सोइ गुनवंत बखाना II
અર્થાત્ જે બીજાનાં ધનની ચોરી કરશે એ બુદ્ધિમાન ગણાશે, જે દંભ કરશે એ આચારવાન ગણાશે, જે બેફામ જૂઠ બોલશે અને બીજાની નિંદા મશ્કરી કરશે એ કલિયુગમાં ગુણવાન ગણાશે અને પ્રજા તેનાં વખાણ કરશે.
લાગુ પડે છે ને સો એ સો ટકા? આમ તુલસીદાસ પોતે કહી ગયા છે અને આવી તો બીજી અનેક ચોપાઈઓ અને દોહાઓ છે જે જોવા હોય તો રામચરિતમાનસના ઉત્તરકાંડમાં જોવા મળશે. નીચતા અને નફ્ફટાઈનું આબેહૂબ વર્ણન તેમાં જોવા મળશે.
તો વાત એમ છે કે ધર્મનું રાજકારણ અને ધર્મનો ધંધો કરનારાઓને ધર્મની આધ્યાત્મિક અને માણસ ઘડનારી નૈતિક બાજુ સાથે નાહવાનિચોવાનો સંબંધ હોતો નથી. તેમને ખબર છે કે સમાજમાં એવા કેટલાક ધાર્મિક લોકો છે જે ધર્માભિમાન ધરાવે છે, પોતાના ધર્મને સર્વોપરી ગણાવે છે, બીજાને અને તેમના ધર્મને હલકો ગણે છે, વિધર્મીઓએ કરેલા કહેવાતા કરતૂતોનો ઉકરડો ભૂંડણાંની માફક ફેંદવામાં જીવનની સાર્થકતા જુએ છે, એ લોકો માટે ઉકરડો રચી આપવામાં આવે છે, તેઓ વિધર્મીઓ સામે વેર લેવા તત્પર છે, તેઓ ધર્મની સ્થૂળ ઓળખ અને એવી ઓળખ ધરાવનારાઓની સંખ્યાને સાધન તરીકે વાપરે છે. તેમને ધર્મની માણસ ઘડનારી સાધનાપરક તેમ જ આધ્યાત્મિક બાજુ સાથે લેવાદેવા નથી. આવા લોકો પોતાની સાત પેઢીનું નખોદ વાળી દેશે પણ પાછો નહીં હટે. તામસિક માનસ ધરાવનારાઓની અંદર તેઓ તામસની ખેતી કરે છે. સો વરસથી આવી ખેતી કરવામાં આવી રહી છે અને હવે તેનાં પરિણામ સામે છે. તમે આ તામસની ખેતીના દાડિયા હતા.
હિંદુઓને આજે જે અનુભવ થઈ રહ્યો છે એ અનુભવ ભારતનાં મુસલમાનોને દાયકાઓ પહેલાં થયો હતો, પણ એમાંથી ધડો લેવાનું હિંદુઓએ મુનાસીબ નહોતું માન્યું.
કલ્પના કરો, મુસ્લિમ ભાઈઓ કલ્પના કરો! ઇસ્લામ જેવો મહાન અને સંપૂર્ણ ધર્મ આ ધરતી પર બીજો છે? જો એ મહાન ધર્મ આધારિત ઇસ્લામિક રાજ્ય આ ધરતી પર સ્થાપાય અને એ પણ સાયાસ આયોજનપૂર્વક સમજીવિચારીને, અને એ પાછું એ મહાન ઇસ્લામિક રાજ્ય આપણી ભૂમિમાં સ્થાપાય, તમે એની સ્થાપના કરો, મહાન ઇસ્લામિક રાજ્યના સ્થાપક હોવાનું પુણ્ય મેળવો તો તમારા કરતાં વધુ બડભાગી બીજું કોણ હોવાનું! ભારતીય ઉપખંડના મુસલમાનોને અર્થાત્ અલ્લાહએ પસંદ કરેલી પ્રજાને સાચું ઇસ્લામિક રાજ્ય સ્થાપવાનો અવસર મળ્યો છે. શું આવી તક ગુમાવી દેશો? બીજું તેમને ડરાવવામાં આવ્યા કે જો અખંડ હિન્દુસ્તાનમાં તમે હિંદુઓ સાથે રહેશો તો બહુમતી હિંદુઓ તમને કચડી નાખશે. ત્રીજું તેમને કહેવામાં આવ્યું કે ઇસ્લામ એ માત્ર અનેક ધર્મોમાંનો એક ધર્મ નથી, પણ સ્વયંભૂ રાષ્ટ્રીયતા છે. ચોથું તેમને કહેવામાં આવ્યું કે ભૌતિક સુખાકારીની ચિંતા કરવાની જરૂર નથી. જો મહાન ધર્મ આધારિત ઇસ્લામિક રાષ્ટ્ર હોય, જેમાં મુસલમાનો એક પરિવારની માફક રહેતા હોય, જો તે હિંદુઓના ડરથી મુક્ત હોય, તે સંપૂર્ણપણે સ્વતંત્ર હોય, મુસલમાનની પૂરી ઉર્જા ઇસ્લામિક રાષ્ટ્ર સાકાર કરવામાં ખર્ચાવાની હોય તો ભૌતિક સુખાકારી તો એની મેળે આવવાની છે. એ તો આડ પરિણામ છે, મુખ્ય ઉદ્દેશ ઇસ્લામિક રાષ્ટ્રને સાકાર કરવાનો છે અને હિંદુઓથી છેડો ફાડવાનો છે.
ભારતનાં અનેક મુસલમાનો બિચારા તેમની વાતમાં આવી ગયા. અને આમ કોણ કહેતું હતું? મહમ્મદ અલી ઝીણા અને તેમના વિદેશમાં ભણેલા સાથીઓ જેને નમાજ પઢતા પણ આવડતું નહોતું. ઇસ્લામ, ઇસ્લામનું તત્ત્વજ્ઞાન, ઇસ્લામનું આધ્યાત્મ, ઇસ્લામની સાધના, ઇસ્લામ પ્રબોધિત ઈમાન વગેરે સાથે તેમનો સ્નાનસૂતકનો સંબંધ નહોતો. તેમને ખબર હતી કે અવિભક્ત ભારતમાં બહુમતી હિંદુઓ સાથે તેમને સત્તાની ભાગીદારીમાં એક ચોથીયું મળે એમ છે, માટે ધર્મને નામે મુસલમાનોને પોરસાવો, મુસલમાનોના ભવ્ય ઇતિહાસની વાતો કરો, રંગબેરંગી સપનાં બતાવો, હિંદુઓનો ડર બતાવો અને મુસલમાનોને બેવકૂફ બનાવીને પાકિસ્તાન સ્થાપો અને એકલા સત્તા ભોગવો. આ તેમનો એજન્ડા હતો. તેમને નહોતો ઇસ્લામમાં રસ કે નહોતો મુસલમાનોના કલ્યાણમાં રસ. તેમને રસ હતો ભાગીદારી કર્યા વિના સત્તા ભોગવવાનો અને એ સત્તા મુસલમાનો માટે પાકિસ્તાન નામનું ઇસ્લામિક રાષ્ટ્ર સ્થાપીને જ મળે એમ હતી.
હિન્દુત્વવાદીઓનો પણ એ જ ઈરાદો છે. સેક્યુલર હિંદુઓ, ઉદારમતવાદી હિંદુઓ, લઘુમતી કોમો, ભાષા અને પ્રદેશની અસ્મિતામાં માનનારાઓ, આદિવાસીઓની અલાયદી જીવનશૈલી જાળવી રાખવાનો આગ્રહ રાખનારાઓ, ન્યાય અને સમાનતાની માગણી કરનારા દલિતો, અન્ય પછાત કોમો, સીમાડાની પ્રજાઓ અને તેમની વિશેષ સ્થિતિને ધ્યાનમાં લેવાની માગણી કરનારાઓને હિંદુ ધર્મ અને હિંદુ રાષ્ટ્રના નામે હાંસિયામાં ધકેલી દેવાના. મીડિયા, લોકતંત્ર અને લોકતાંત્રિક સંસ્થાઓને કાયમ માટે કબજે કરી લેવાની કે જેથી તેઓ સત્તા સુધી પહોંચી જ ન શકે. ટૂંકમાં હિંદુ ધર્મ અને હિંદુરાષ્ટ્રના નામે ભારતીય રાષ્ટ્રને કબજે કરી લેવાનું. એ પછી દાયકાઓ સુધી આપણી સત્તાને કોઈ પડકારી નહીં શકે. કોઈ અન્ય હિંદુઓ સાથે સત્તામાં ભાગીદારી નહીં કરવી પડે. કાઁગ્રેસના યુગમાં સત્તા ભલે કાઁગ્રેસની હતી, પણ ઉપર કહ્યા એ દરેક કાઁગ્રેસમાં ભાગીદાર હતા. આ સિવાય શિક્ષણ સંસ્થાઓને પણ કબજે કરી લેવાની કે જેથી તેમાં ભણેલા અભણ પેદા થાય જેનામાં વિચાર કરવાની અને પ્રશ્ન કરવાની આવડત જ ન હોય. ભણેલા ગમારો.
આઠ-નવ દાયકા પહેલાં ભારતનાં મુસલમાનો ઇસ્લામિક રાષ્ટ્રવાદની વાતથી ભોળવાઈ ગયા અને આજે ખસિયાણી અવસ્થા ભોગવી રહ્યા છે. તમે? ધર્મનું રાજકારણ અને ધર્મનો ધંધો કરનારાઓનો હિંસક, વિકૃત અને ગોબરો ચહેરો જોઇને તમે કોઈ ગ્લાનિ, કોઈ શરમ અનુભવો છો ખરા? કે પછી હજુ ય નશામાં છો?
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 19 જુલાઈ 2026
![]()

