Opinion Magazine
Number of visits: 10080253
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પરફોર્મેટિવ પૉલિટિક્સઃ રાજકારણ હવે માત્ર શાસન નહીં, વાયરલ થવાની કળા પણ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|24 May 2026

પરફોર્મેટિવ પૉલિટિક્સ એક મજાનો શબ્દ છે. ઑપ્ટિક્સ હવે શાસનનો પૂરક ભાગ નથી, એ નેતાઓ માટે શાસનની મુખ્ય ક્રિયા બની ગઈ છે. આધુનિક  રાજકારણ હવે મનોરંજન સાથે સ્પર્ધામાં ઉતર્યું છે અને તે મનોરંજનનાં સાધનોનો ઉપયોગ કરીને જ આ ખેલ ખેલે છે. 

ચિરંતના ભટ્ટ

ગયા અઠવાડિયે મૅલૉડી ચૉકલેટ ચર્ચાઈ ગઈ, લોકોને બાળપણ યાદ આવ્યું તો ખોટી પારલે કંપનીના શૅરના ભાવ વધી ગયા. કારણ એટલું જ કે વડા પ્રધાન મોદીએ ઇટાલીના વડાંને મૅલૉડી ચૉકલેટ ભેટ આપી અને રીલ બનાવી. વાયરલ થતાં રાજકારણીઓ નવી પેઢીમાં હોટ ફેવરીટ છે. સારું કે ખોટું એ તો અત્યારે કહેવા કરતાં યાદ કરીએ એ સમય જ્યારે રાજકારણીઓનું ફોકસ એક સારું ભાષણ અને નક્કર ડીલ્સ કે વાટા-ઘાટોની વાત કરવા પર રહેતું. હવે રાજકારણીઓની આસપાસ સીન ગોઠવી આપતા ડિરેક્ટર્સ અને સોશ્યલ મીડિયા એક્સપર્ટ્સ છે. ભાષણનો હેતુ લોકો સુધી વાત પહોંચાડવાનો હતો અને સીન ગોઠવનારા રાજકારણીઓનો હેતુ વાયરલ થવાનો, ક્લિપ શૅર કેટલી વાર થઈ, સાત સેકન્ડના લૂપમાં લોકોએ તેમને કેટલા યાદ રાખ્યા એ બની ગયો છે. આ બે બાબતો વચ્ચેનો ભેદ સત્તાના દેખાડાના રાજકારણને સમજવા માટે પૂરતો છે. 

વાત માત્ર રાજકારણની સ્ટાઇલ બદલાઈ તેની નથી, રાજકારણનું બંધારણ પણ મૂળભૂત પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે. પરિવર્તન એ નથી કે નેતાઓ નાટકીય બન્યા છે, બદલાવ એ છે કે નાટક જ રાજકારણ બની ગયું છે. પરફોર્મેટિવ પૉલિટિક્સ એક મજાનો શબ્દ છે. ઑપ્ટિક્સ હવે શાસનનો પૂરક ભાગ નથી, એ નેતાઓ માટે શાસનની મુખ્ય ક્રિયા બની ગઈ છે. આધુનિક રાજકારણ મનોરંજન સાથે સ્પર્ધામાં ઉતર્યું છે અને તે મનોરંજનના સાધનોનો ઉપયોગ કરીને જ આ ખેલ ખેલે છે. 

સત્તાની જૂની વ્યવસ્થા અખબારો, રાજકીય પક્ષો, સંસ્થાઓ અને સંપાદકીય ફિલ્ટરોમાંથી પસાર થતી હતી. નેતાને વિચારધારાની સ્પષ્ટતા, બ્યુરોક્રેટિક મશીનરી અને સિસ્ટમ સાથે કામ કરવાની ધીરજ જરૂરી હતી. રાજકારણ જનતા સુધી મધ્યસ્થીઓ દ્વારા નિસ્યંદિત, સંદર્ભિત અને થોડું મોડું પહોંચતું.

આ સીનમાં એક તબક્કે અલ્ગોરિધમની એન્ટ્રી થઈ. તેની સાથે સાવ જુદા જ પ્રકારની ટકાવારી પણ સીનમાં આવી. ડિજિટલ ઇકોસિસ્ટમ રાજકીય ક્ષમતાને સરપાવ નથી આપતી. ડિજિટલ ઇકોસિસ્ટમ ભાવનાઓને, લાગણીઓના ઉછાળને સરપાવ આપે છે. મૅલૉડી ચૉકલેટ આપણી લાગણી હતી. એક પેઢી માટે એ નોસ્ટાલ્જિયા હતો તો નવી પેઢી માટે એ હેશટેગ મૅલૉડીના ટ્રેન્ડનું એક્સાઇટમેન્ટ હતું. આ બધું બારીકીઓને એમ્પ્લીફાય નથી કરતું પણ નિશ્ચિતતાને એમ્પ્લિફાય કરે છે. ઇટલી અને ભારત વચ્ચેના વાટાઘાટો જિઓપૉલિટિક્સમાં રસ લેનારાઓને યાદ હશે પણ બાકીનાઓને યાદ રહ્યા હાવભાવ, એક ઉપનામ, એક તસવીર વગેરે; આ બધું એવો ખેલ છે જે સમજ પહેલાં તમારા ફોન્સ થકી તમારા સુધી પહોંચી જાય અને સંદર્ભ ખોવાઈ જાય પછી પણ ટકી રહે. 

આ પરિસ્થિતિમાં શાંત અને કાર્યક્ષમ ટેક્નોક્રેટ, ભલે તે કેટલા પણ સક્ષમ હોય, પાછળ પડી જાય છે. જરૂરી નથી કે તેમની વિચારધારા ખોટી હોય, પરંતુ તેમની હાજરી ‘વૉલ્ટેજ’ પેદા કરતી નથી. જે નેતાઓએ આ બાબત સૌથી ઝડપથી સમજી લીધી છે, તેઓ પરંપરાગત રાજકીય સ્પેક્ટ્રમના એક જ છેડે નથી. તેમને જોડવામાં વિચારધારાનો નહીં પણ પરંતુ ઇન્સ્ટિંક્ટનો ખેલ રમાય છે. કેમેરાને શું જોઈએ છે તેની લગભગ કોઈ પ્રાણી જેવી ચોક્કસ અને સાહજિક સમજ.

ડૉનાલ્ડ ટ્રમ્પને લીધે રાજકારણમાં રેસલિંગ શરૂ થયું એમ કહી શકાય. પહેલેથી નક્કી કરેલો ગુસ્સો, અભ્યાસપૂર્વક કરાયેલો આક્રોશ અને એવા વિરોધીઓ જેમનાં ઉપનામ વ્યક્તિ કરતાં વધારે જાણીતા બની જાય. ટ્રમ્પની રેલીઓ ભાષણો નહોતી પણ લાઈવ ટેલિવિઝન હતી. ઘણીવાર નીતિઓ કોરાણે મૂકાતી અને પ્રદર્શન કેન્દ્ર સ્થાને લાગતું. આ નવી રાજનીતિનું સૌથી સ્પષ્ટ સ્વરૂપ હતું : પરિચિત, ગર્જે એવું અને એવું જેને અવગણવું અશક્ય બની જાય.

વોલોડીમિર ઝેલેન્સ્કીએ એ જ તર્કનો ઉપયોગ સાવ જૂદા હેતુ માટે કર્યો. એ તો પાછા સ્ટેન્ડ અપ કૉમેડિયન પણ હતા એટલે એમને માટે થિએટ્રિક્સ બહુ અઘરા નથી. ઑલિવ ગ્રીન ટી-શર્ટ પહેરીને કીવમાં બનાવેલા ઓછા પ્રકાશ વાળા સેલ્ફી વીડિયોઝ, દેશ છોડવાનો ઇન્કાર આ બધું કંઇ અચાનક નહોતું થયું. આ યુદ્ધ દરમિયાનના મેસેજિંગની વિચારપૂર્વક બનાવાયેલી વ્યૂહરચનાઓ હતી. ઝેલેન્સ્કીએ સમયસર સમજી લીધું કે ઑપ્ટિક્સ પણ સૈન્ય રણનીતિ બની શકે. દેશ ન છોડનાર રાષ્ટ્રપતિની છબી જ હથિયાર બની ગઈ. ધારણા જ મોરચો સંભાળી રહી હતી. કદાચ આધુનિક ઇતિહાસમાં પહેલીવાર કોઈ નેતાનું વિઝ્યુઅલ ગ્રામર એક સૈન્ય જેવું કામ કરી રહ્યું હતું.

ઇલોન મસ્કની વાત પણ કરવી પડે. એ ક્યારે ય કોઈ ચૂંટાયેલ પદ પર હતા નહીં, સત્તાવાર રીતે કોઈ દેશ ચલાવતા નથી પણ તો ય ચૂંટણીની આખી પ્રક્રિયા પર તેનો પ્રભાવ રહ્યો. તે આખી મીડિયા ઇકોસિસ્ટમ જ ફરી ઘડી નાખે અને અડધી રાતે કરેલી પોસ્ટ્સથી જાહેર નીતિના ડાયલૉગ્ઝ પર તે પોતાની અસર છોડે છે. ઇલોન મસ્ક કંઇક નવી જ બાબતનું પ્રતિનિધિત્વ કરે છે. સેલિબ્રિટી, મૂડી અને રાજકીય સત્તા વચ્ચેની ભેદરેખા આમાં ભુંસાઈ ગઈ. તે રાજકીય સિસ્ટમમાં પ્રદર્શન નથી કરતા પણ તે પોતે જ એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બની ગયા જેના માધ્યમથી બીજાઓએ પ્રદર્શન કરવું પડે. 

સ્ટેજ સાચવવામાં આખી ઇમારત ગાયબ થઈ ગઈ છે. નરેન્દ્ર મોદી, આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જેવિયર મિલેઈ અને ઇમેન્યુઅલ મેક્રોન, દરેકે પોતાના આગવા અંદાજમાં આ મંચના નાટ્યને સંપૂર્ણ બનાવ્યું છે. અહીં અવાજ છે પણ તેમાં કંઈ નક્કર વાત નથી, આ એક યોજનાબદ્ધ સિનેમેટિક મૌન છે. કોઈ રેલીમાં એક ચેન સૉ હલાવાય અને તે નીતિનું સાધન નથી બનતી પણ મીમ બનીને વાયરલ થઇ જાય છે. એક ફિલોસોફર પ્રેસિડન્ટની તસવીર જેમાં બાંયો ચડાવેલી હોય, બુદ્ધિજીવી પ્રતીકો અને કોરિયોગ્રાફ કરાયેલી સત્તાનો ઉપયોગ થાય તો એ બધું કંઈ અચાનક, સંજોગોવશાત નથી થયું. આ બધું એવી રીતે ખડું કરાયું છે જે બે સેકન્ડમાં અસર કરે અને અલ્ગોરિધમના અટેન્શન સ્પૅનમાં જીવતું રહે. 

આ પ્રક્રિયાને કારણે એવો મતદાર વર્ગ ખડો થાય જે શાસનને વિઝ્યુઅલ ગ્રામરથી માપે છે. નેતા ખરેખર નેતા જેવો લાગે છે, એવો છે કે નહીં એ નહીં, પણ એની ક્લિપ કેટલી ચાલી ગઈ, એના હાવભાવ કેવા હતા એ જ આ નવા મતદાર વર્ગ માટે અગત્યનું બની જાય છે. 

નીતિ નક્કી થાય, લાગુ થાય અને તેના પરિણામ આવે એમાં વર્ષો લાગે અને તેનું મૂલ્યાંકન કરવા ધીરજ જોઈએ. ગણતરીના સેકન્ડ્ઝમાં લોકો સુધી પહોંચતા અને જેમાં કોઈ વિચારશીલતાની જરૂર નથી એવા મીમ અને વાયરલ કોન્ટેન્ટ સામે એ ધીરજ સ્પર્ધા નથી કરી શકતી, હારી જાય છે. 

હવે મૂળ મુદ્દા પર આવીએ, ઘણીવાર નાર્સિસિઝમ કહીને નકારી દેવાય છે પણ આધુનિક નેતાઓનાં મૂલ્યોમાં દમ નથી એટલે એ લોકો આવું પ્રદર્શન કરે છે તેમ નથી. ઘણા નેતાઓને આવા ખેલ કરવા પડે છે કારણ કે ધ્યાન ખેંચવાનું આખું તંત્ર જે ડિજિટાઈઝેશનને કારણે બદલાઈ ગયું છે તેની જ આ માંગ છે. એવા નેતા જે આવા સીન ખડા કરવાની ના પાડે, આખા વાક્યોમાં બોલે, અનિશ્ચિતતા સ્વીકારે, શાંતિથી શાસન કરે અને હેશટૅગ્ઝમાં નહીં મીમમાં વાત કરે એ વાયરલ થવામાં નિષ્ફળ થાય છે કે નહીં એ પછીની વાત છે પણ તે લોકોની ટૂંકી યાદશક્તિમાંથી જ અદૃશ્ય થઇ જવાના જોખમમાં મુકાય છે. 

વળી અટેન્શન ઇકોનોમીમાં અદૃશ્ય થઇ જવું એ રાજકીય મોતનું એક સ્વરૂપ છે. જોખમ એ નથી કે નેતાઓ વાયરલ થવાના વાદે ચઢીને આવા દેખાડા કરે છે કારણ કે આવા ખેલ તો ઇતિહાસના દરેક નેતાઓએ કર્યા છે. જો નરેન્દ્ર મોદીને માર્કેટિંગના માસ્ટર કહેવા હો તો તમારે એ યાદ રાખવું જોઈએ કે દાંડી કૂચ થઈ ત્યારે ગાંધીજીએ અમેરિકન પત્રકારોને બોલાવ્યા હતા. કૂચની જે તસવીરો આપણે જોઇએ છીએ તેમાંની કેટલા આગલા દિવસના રિહર્સલની તસવીરો છે. વિન્સ્ટન્ટ ચર્ચિલની વિ સાઈન હોય કે જ્હોન એફ કેનેડીનું ટેલિવિઝન પર સરળતાથી આવવું હોય – આ બધું જ અસર માટે કરાયું હતું. રાજકારણમાં પ્રદર્શન નવી બાબત નથી. 

તો પછી વાંધો શું છે? સ્પીડ, ગતિ અને સીધી પહોંચને કારણે મધ્યસ્થી સંસ્થાઓ બાયપાસ થઇ જાય છે. આ જ ખાટલે મોટી ખોડ છે. નવી પેઢી માહિતી અને સમાચારો સોશ્યલ મીડિયામાંથી મેળવે છે અને એટલે જ રાજકીય બાબતોમાં રહેલું ગાંભીર્ય ક્યારેક ગોટે ચઢી જાય છે. એક વખત હતો જ્યારે નેતાઓ અખબારના તંત્રીઓ મારફત લોકો સુધી પહોંચતા, તંત્રી ચાર સવાલ કરીને, બાબત સમજીને નક્કી કરતાં કે અગત્યનું શું છે. આજે નેતાઓ સીધાં જ લોકોની ભાવનાત્મક નવર્સ સિસ્ટમમાં પ્રવેશી જાય છે. રાત્રે પલંગમાં પડ્યાં પડ્યાં મતદારો અલ્ગોરિધમે ગોઠવેલા ફીડને સ્ક્રોલ કરતા હોય છે ત્યારે નેતાઓએ શું કર્યું તે તેમને જોવા મળે છે. માહિતીને મામલે હવે કોઈ વિલંબ નથી થતો, કોઈ સંદર્ભોની ચર્ચા નથી થતી, કોઈ કૂલિંગ ઑફ પીરિયડ નથી હોતો. ઇમેજિઝ, વીડિયોઝ અને પ્રતિક્રિયા – બધું એક સાથે લોકો સુધી પહોંચી જાય છે. 

અહીં સવાલ એ છે કે આ એક સમસ્યા છે કે માત્ર બદલાયેલા સમય અને ટૅક્નોલૉજી સાથેનું અનુકૂલન છે? દરેક દાયકા કે યુગને તે સમયની ટૅક્નોલૉજીથી જન્મનેલું રાજકીય એસ્થેટિક્સ મળ્યું છે. પ્રિન્ટિંગ પ્રેસે પમ્ફ્લેટ અને પ્રચાર આપ્યો, ટેલિવિઝને કાયમી કેમ્પેઇન સર્જ્યું અને સોશ્યલ મીડિયાએ કાયમી પરફોર્મન્સ ખડું કર્યું. આ બધામાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ થાય એ લટકામાં. 

ભવિષ્યમાં ઇતિહાસકારો આ સમયને લોકશાહીનું પતન નહીં ગણે, તેને એક વિકાસ તરીકે જોશે. એક નવું રાજકારણ જે નવા મીડિયાના માહોલમાં સ્વાભાવિક રીતે જન્મ્યું, પોતાની અલગ તર્ક વ્યવસ્થા, પ્રોત્સાહનો અને વિચિત્ર કહી શકાય તેવી સુસંગતતા સાથે. કદાય એમને ભાગે એવો ઇતિહાસ લખવાનું પણ આવે કે વિશ્વના સૌથી કુશળ રાજકીય પરફોર્મ્સ આપનારા આ દાયકાઓમાં સૌથી મોટી શાસકીય નિષ્ફળતાઓ પણ સાંપડી, કદાચ કોઈ એમ પણ પૂછે કે આ બંને વચ્ચે કોઈ સંબંધ હતો ખરો?  આખરે એક હકીકત એ પણ છે કે કેમેરાને જોઈતો મસાલો આપવો અને વાસ્તવિક્તામાં શું કરવું તેની ખબર હોવી એ બન્ને એક બાબત નથી. 

બાય ધી વેઃ 

21મી સદીનો સૌથી જોખમી રાજકીય ચહેરો કોન્ફીડન્સથી ખોટું બોલનારો નહીં હોય પણ એ હશે જેને સમજાયું હશે કે સત્ય જ માળખાકીય રીતે નબળું પડ્યું છે. સત્ય ધીમું છે, જૂઠાણાંની અથવા તો ઉપરછલ્લી બાબતોની ઝડપ બહુ વધારે હોય છે. બોગસ વાતો જલ્દી વાયરલ થાય છે, એ રીતે તે ડિઝાઇન પણ કરી શકાય છે. સત્યને ચકાસણી, સંદર્ભ, નિષ્ણાતનો અભિપ્રાય અને સમય જોઈએ. આ બધું થાય ત્યા સુધીમાં દેખાડાયેલી ચીજો બહુ આગળ સુધી વિસ્તરી ગઇ હોય છે. ભાવનાત્મક નિષ્કર્ષ લોકોના મનમાં ગંઠાઇ ચૂક્યો હોય છે. અલ્ગોરિધમિક મીડિયાના સમયમાં ગતિ માત્ર ટૅક્નિકલ ફાયદો નથી પણ રાજકીય સત્તા છે. આ કારણે જ કદાચ આધુનિક રાજકીય મેસેજિંગ હવે ઇન્ફ્લુએન્સર કલ્ચર જેવું લાગે છે. નેતાઓ પાસેથી માત્ર શાસન કરવાની અપેક્ષા નથી પણ તે સતત દેખાતા રહે, નવી પેઢીને ગમે એ રીતે તેમની સાથે જોડાતા રહે તેવી પણ અપેક્ષા છે. મૌનને નબળાઈ માનવામાં આવે છે, વિચારશીલ ગાંભીર્ય લોકોને અનિશ્ચિતતાની લાગણી આપે છે, કંઇપણ સહેજ જટિલ હોય તો તેનું પરફોર્મન્સ બરાબર નથી હોતું. જે નક્કર, ઠોસ, નિશ્ચિત લાગે, તે ખોટું હોય તો રાજકીય સ્તરે તે અફલાતૂન પરફોર્મ કરે છે. સરકારો હવે નેરેટિવ મેનેજમેન્ટ પર સારી એવી શક્તિ વાપરે છે. કેમેરા એંગલ્સ, પ્રતીકાત્મક હાવભાવ, હેશટૅગ્ઝ, વિઝ્યુઅલ ઓળખાણ, ઇમોશનલ ટાઇમિંગ આ બધું રાજકીય ઇકોસિસ્ટમનો ભાગ છે ને તે સંસ્થાકીય ક્ષમતાથી વધુ ઝડપી છે. નાટકીયતા રાજકારણનો હિસ્સો હંમેશાંથી રહી છે પણ હવે અમુક કિસ્સાઓમાં તે રાજકારણનો વિકલ્પ બની રહી છે. આનો અર્થ એમ પણ નથી કે વિઝ્યુઅલી સ્કિલ્ડ હોય તેવા અને પરફોર્મેટિવ પૉલિટિક્સ કરતા નેતા અયોગ્ય છે કે દરેક શાંત નેતા બુદ્ધિશાળી જ છે. એટલું ચોક્કસ છે કે શાસનના વાસ્તવિક પરિણામો દેખાય તે પહેલાં જાહેરમાં એક ધારણા ઘડી દેવાય છે. ચોકસાઈથી તૈયાર કરેલા પૉલિસી પેપર કરતાં કેમેરા સામે જે થયું હોય તે ચર્ચા પર કબ્જો જમાવી લે છે. આપણા સમયની સૌથી મોટી ચિંતા પણ એ જ છે, લોકશાહી માહિતગાર નાગિરકો માટે હતી અને ડિજિટલ પ્લેટફોર્મ્સ લાગણીઓમાં વહી એક્સાઇટ થતા યુઝર્સ માટે બન્યાં છે. આ બંને વાસ્તવિકતાઓ વચ્ચેનું અંતર આજે આધુનિક રાજકારણનું સાચું સરનામું છે. 

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 24 મે 2026

Loading

રાષ્ટૃની વિભાવના : સંઘર્ષ સમજૂતિ અને સ્થાપિત એજન્ડા

રમેશ ઓઝા|Opinion - Opinion|24 May 2026

રમેશ ઓઝા

“It is perhaps no exaggeration to assert that the Sangh hopes to be in future India what the ‘Fascist’ are to Italy and the “nazis’ to Germany.” (NAI, Home Poll Department, 88/33, 1933) 

(૧૯૩૩માં, જ્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાને આઠ વરસ માંડ થયા હતા ત્યારે બ્રિટિશ  ગુપ્તચર વિભાગે ભય બતાવ્યો હતો કે ભવિષ્યના ભારતમાં સંઘ ઇટલીના ફાસિસ્ટ કે જર્મનીના નાઝી નીવડી શકે છે અને એમાં ઘણું કરીને કોઈ અતિશયોક્તિ નજરે નથી પડતી. આ અહેવાલ રાષ્ટ્રીય સંગ્રહાલયમાં ઉપલબ્ધ છે. Home Poll એટલે ministry of home, political department.)

પ્રારંભથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો એજન્ડા સત્તા કબજે કરવાનો નહોતો, ભારતીય રાજ્ય કબજે કરવાનો હતો જે રીતે એક સમયે ભારતનાં સામ્યવાદીઓનો પણ એજન્ડા રાજ્ય કબજે કરવાનો હતો. સામ્યવાદીઓ સશસ્ત્ર લોહિયાળ ક્રાંતિ કરીને રાજ્ય કબજે કરવા માગતા હતા અને તેવો નિષ્ફળ પ્રયાસ પણ કર્યો હતો. ફરક એ છે કે સામ્યવાદીઓ એ વાત છૂપાવતા નહોતા. તેમણે જ્યારે જ્યારે જે નીતિ અપનાવી છે તેની વિગતે વાત કરી છે, તેના વિષે આપસમાં અને અન્યો સાથે મલ્લીનાથી કરી છે અને એ પછી તેમાં સફળતા નહીં મળતા જ્યારે જ્યારે નીતિ કે રણનીતિ બદલી છે તો તેની પણ વાત કરી છે. જેમ કે ૧૯૫૦ સુધીમાં તેમને સમજાઈ ગયું હતું કે ભારતમાં રશિયા કે ચીન જેવી ક્રાંતિ શક્ય નથી, માટે સંસદીય લોકશાહી માર્ગે રાજ્ય પર કબજો કરવો રહ્યો. તેમની ખુલ્લી અને બદલાયેલી રણનીતિ જોઇને કાઁગ્રેસમાંના તેમ જ નાગરિક સમાજમાંના જમણેરીઓ ડરી ગયા હતા અને તેમને એમ લાગવા માંડ્યું હતું કે સામ્યવાદીઓને ખાળવામાં સંઘ ઉપયોગી થઈ શકે એમ છે. friend in need. ૧૯૫૭માં કેરળમાં સામ્યવાદી પક્ષ સત્તામાં આવ્યો એ પછી તો તેઓ વધારે ડરી ગયા હતા અને સંઘ વધારે નજીકનો લાગવા માંડ્યો હતો.   

અહીં આગળ વધતા પહેલાં સત્તા કબજે કરવી અને રાજ્ય કબજે કરવું એમાં જે ફરક છે એ સમજી લેવો જોઈએ. જે લોકો વર્તમાન શાસકોને સત્તા પરથી ઉતારીને પોતે શાસન કરવા માગે છે તેમને રાષ્ટ્ર/રાજ્ય(નેશન સ્ટેટ)નાં ઢાંચા સામે વાંધો નથી હોતો. તેઓ સત્તાકીય વિકલ્પ લઈને આવે છે, નેશન સ્ટેટનો વિકલ્પ લઈને નથી આવતા. ભારતમાં સેંકડો રાજકીય પક્ષો છે જેમાંથી કોઈને બંધારણમાં નિરૂપાયેલ ભારતીય રાષ્ટ્ર અને બંધારણ દ્વારા આકાર પામેલા ભારતીય રાજ્ય સામે કોઈ વાંધો નથી. ઊલટું સત્તાપરિવર્તન તંદુરસ્ત લોકશાહી માટે અને રાષ્ટ્રહિત માટે જરૂરી છે. પરંતુ કેટલાક લોકો રાજ્ય કબજે કરવા માગે છે. કારણ એ છે કે તેમને  રાષ્ટ્ર વિશેની સર્વસ્વીકૃત વિભાવના (નેરેટિવ) અને એ વિભાવનાને સાકાર કરતું બંધારણ અને તેનાં પર આધારિત બંધારણીય રાજ્યવ્યવસ્થા સ્વીકાર્ય નથી હોતાં. તેને તે બદલવા માગે છે. તેમની પોતાની રાષ્ટ્ર અને રાજ્ય વિશેની એક કલ્પના હોય છે. 

હવે સૌથી અગત્યની વાત. ભારતીય રાષ્ટ્ર વિશેની વિભાવના કે કલ્પના અલગ અલગ લોકોની અલગ અલગ ન હોઈ શકે? એમાં ખોટું શું છે?

આમાં કશું જ ખોટું નથી. હકીકતમાં ભારતને આઝાદી મળી તેના સો-સવાસો સાલ પહેલેથી ભારતીય રાષ્ટ્રની વિભાવના વિષે ચર્ચા શરૂ થઈ ગઈ હતી. એમાં દયાનંદ સરસ્વતી, બંકિમચંદ્ર ચેટરજી, કદાચ ભારતના પહેલા હિંદુ રાષ્ટ્રવાદી કહી શકાય એ ભૂદેવ મુખોપાધ્યાય, અરવિંદ ઘોષ, લોકમાન્ય તિલક, લાલા લાજપત રાય, મદનમોહન માલવિય, એમ.આર. જયકર, કનૈયાલાલ મુનશી વગેરે અનેક લોકો હતા જેમની વિચારધારા અને રાજકારણના કેન્દ્રમાં હિંદુ અને હિંદુ સંસ્કૃતિ હતાં. તેમણે તેમની વાત સ્પષ્ટ શબ્દોમાં કહી છે અને પોતાનાં સમકાલીનો સાથે બાખડ્યા છે. એ દરેક હિંદુ હિતને વરેલા હતા અને તેના પક્ષધર હતા. બીજી બાજુ મુસ્લિમ હિતનું જતન કરવા માગનારાઓએ, દલિત અને અન્ય શોષિત પ્રજાના હિતનું જતન કરવા માગનારાઓએ, પુરુષ પ્રધાન સમાજમાં સ્ત્રીઓનાં હિતનું જતન કરવા માગનારાઓએ, ભૌગોલિક રીતે સીમાડાની પ્રજાઓના હિતનું જતન કરવા માગનારાઓએ, આદિવાસી પ્રજાના હિતોનું જતન કરવા માગનારાઓએ, દક્ષિણની ગૈરઆર્ય ગૈરહિંદુ ભાષિક પ્રજાનાં હિતનું જતન કરવા માગનારાઓએ અને અન્ય લઘુમતી પ્રજાઓના હિતોનું જતન કરવા માગનારાઓએ પણ પોતપોતાની રાષ્ટ્ર વિશેની કલ્પના માંડી હતી. બીજી ગોળમેજ પરિષદમાં ૭૪ ભારતીયોએ ભાગ લીધો હતો જેમાં ૫૮ રાજકીય નેતાઓ હતા અને બાકીના જે તે હિતોના પક્ષધર હતા. તેમણે દરેકે પોતાની કલ્પનાના હિન્દુસ્તાનની વાત કરી હતી. જો કે એકબીજાની કલ્પનાના ભારતનો વત્તાઓછા પ્રમાણમાં છેદ ઉડાડ્યો હતો. 

હિંદુહિતના પક્ષધરો સામે બે સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. પહેલો સવાલ ગૈર હિંદુઓએ ઉઠાવ્યો હતો અને બીજો સવાલ ગૈર આર્ય ગૈર બ્રાહ્મણ હિંદુઓએ ઉઠાવ્યો હતો. ગૈર હિંદુઓને હિંદુઓની બહુમતીનો ડર હતો. એવું ન બને કે સ્વતંત્ર ભારતમાં હિંદુઓનું વર્ચસ્વ રહે, ગૈર હિંદુઓએ ઓશિયાળા બનીને રહેવું પડે, તેમની સાથે અન્યાય કરવામાં આવે. હિંદુઓમાં દલિતો, પછાતો, શોષિતો, આદિવાસીઓ, સીમાડાની પ્રજા, સ્ત્રીઓ અને દક્ષિણના દ્રવિડોને ભય હતો કે હિંદુ સમાજ અને સંસ્કૃતિ ગમે એટલી મહાન હોય, વ્યવહારમાં સામાજિક સરસાઈ ધરાવનાર વ્યક્તિ નીચેવાળાને અન્યાય કરે છે અને તેને દૂર રાખે છે. બીજું હિંદુ સંસ્કૃતિ મુખ્યત્વે બ્રાહ્મણી સન્સ્કૃતિ છે અને ભેદભાવ શાસ્ત્રમાન્ય છે. તેમણે માંગણી કરી હતી ભારતીય રાષ્ટ્ર એવું હોય જેમાં દરેક સરખા ભાગીદાર હોય, દરેકને સમાન અવસર મળે, દરેકને ન્યાય મળે, દરેકનું માનવીય ગૌરવ જળવાય, કોઈનું કોઈના પર વર્ચસ ન હોય અને તેની બંધારણ દ્વારા બાંયધરી આપવામાં આવે. હિંદુહિતના પપક્ષધરોને સમજાઈ ગયું હતું કે દરેકને સાથે લેવામાં ભારતનું હિત છે. જ્યાં સંતુષ્ટ હિંદુ કરતાં અસંતુષ્ટ હિંદુ મોટી સંખ્યામાં હોય અને તેના અસંતોષનું કારણ કહેવાતો સંતુષ્ટ હિંદુ હોય ત્યાં આગ્રહી બનવાનો કોઈ અર્થ નથી. એમાં કોઈ હિંદુને લાભ થવાનો નથી. 

એક સદી બાખડ્યા પછી દરેકે પોતપોતાની ભૂમિકા હળવી કરી હતી એક સર્વસંમતિ વિકસાવી હતી જેનું નામ છે ભારતીય રાષ્ટ્ર અને તેનું પરિણામ છે બંધારણ આધારિત ભારતીય રાજ્ય. બંધારણસભામાંની ચર્ચા જોશો તો ખ્યાલ આવશે કે દરેકે બાંધછોડ કરી હતી. બંધારણ સભામાં ભારતીય જનસંઘના સ્થાપક અને પ્રથમ અધ્યક્ષ ડૉ શ્યામા પ્રસાદ મુખર્જી પણ હતા, તેઓ લઘુમતી કોમના અધિકારો નિશ્ચિત કરવા માટે ઘડાયેલી સમિતિના સભ્ય પણ હતા અને તેમણે સુદ્ધા લઘુમતી કોમના અધિકારોનો વિરોધ નહોતો કર્યો. એ સમયે તેમનો સંબન્ધ સંઘ સાથે નહોતો અને ભારતીય જનસંઘની હજુ રચના નહોતી થઈ. તેઓ કાઁગ્રેસની સીટ પરથી બંધારણસભામાં ગયા હતા. મતભેદ છતાં ય કૉન્ગ્રસે હિંદુ હિતના પક્ષધરને ખાસ એકોમોડેટ કર્યા હતા. 

હવે સવાલ ઉપસ્થિત થાય છે કે હિંદુહિતના પક્ષધરોએ પોતાની ભૂમિકા હળવી હતી તો એ તેમની દૂરંદેશી હતી કે શરણાગતી હતી? 

એ દૂરન્દેશી હતી. એક તો એ કે હિંદુહિતની વાત કરતા અને તેને માટે કામ કરતાં તમને કોઈ રોકતું નથી. અરે તમે તમારા જ્ઞાતિહિતની વાત કરી શકો છે હિત માટે પ્રયત્ન કરી શકો છો. એ બંધારણીય અધિકાર છે અને એ પણ બાંયધરીવાળો અધિકાર છે. બીજું હિંદુ સંસ્કૃતિ સમૃદ્ધ કરવા માટે કે તેના પ્રચાર-પ્રસાર માટે શાસન અને સત્તાની કોઈ જરૂર નથી. એ પ્રજાકીય પુરુષાર્થ છે અને એમાં શાસન તમને રોકતું નથી. જગતમાં કોઈ જગ્યાએ કોઈ સંસ્કૃતિ સત્તાધીશે નથી વિકસાવી, પ્રજાએ વિકસાવી છે. શાસક તો વધુમાં વધુ તેમાં મદદ કરી શકે. એક સમયે દેશમાં આધુનિક મિજાજનો જુવાળ પેદા થયો હતો તો એ એકલા નેહરુના કારણે નહોતો થયો. મેધાવીઓએ એ જુવાળ પેદા કર્યો હતો જેમાં નેહરુએ તો માત્ર મદદ કરી હતી. ઊલટું સત્તાકીય સરસાઈ માથાભારેપણું પેદા કરે જેની કિંમત બહુમતી પ્રજાએ જ ચૂકવવી પડે કારણ કે તે બહુમતીમાં છે. જો રાજ્ય તમને હિંદુ બનતા, હિંદુ હિતની વાત કરતા, હિંદુ હિત માટે કામ કરતા, હિંદુ તરીકે સંગઠિત થતાં, હિંદુ પક્ષની રચના કરતા, હિંદુ રાજકારણ કરતા, હિંદુ શિક્ષણસંસ્થા સ્થાપતા, હિંદુ સંસ્કૃતિને સમૃદ્ધ કરતા ન રોકતું હોય તો પછી હિંદુ તરીકે આનાથી વધારે જોઈએ છે શું? રાજકીય સરસાઈ અને સરસાઈજન્ય માથાભારેપણું? માથાભારેપણાથી મહાન હિંદુ નથી થવાતું, સાચા હિંદુ તરીકે જીવવાથી મહાન હિંદુ બની શકાય છે. બંધારણસભામાં જે મતભેદ પેદા થયા હતા એ સેક્યુલરિઝમની વાતે નહોતા પેદા થયા એ હિન્દી ભાષાને લઈને પેદા થયા હતા, રાજ્યોને કેટલી સત્તા આપવી કે કેન્દ્રને વધારે મજબૂત કરવું જોઈએ એ બાબતે થયા હતા,  

રાજ્ય પર કબજો કરવાના બે માર્ગ છે. એક છે લોકવિદ્રોહ અને બીજો છે લોકશાહી માર્ગે સત્તા પર કબજો કરીને ધીરે ધીરે રાજ્ય પર કબજો કરવો. ભારતમાં સામ્યવાદી પક્ષે ૧૯૪૭-૧૯૫૦નાં વર્ષોમાં પહેલો માર્ગ અપનાવવાની કોશિશ કરી હતી, પરંતુ તેમાં તેને સફળતા નહોતી મળી. સાધારણપણે લોકવિદ્રોહ ત્યાં થાય છે જ્યાં રાજ્ય ક્ષતિગ્રસ્ત હોય અને નિષ્ફળ નીવડી રહ્યું હોય. શ્રીલંકા, બંગલાદેશ અને નેપાળમાં લોકોએ વિદ્રોહ કરીને રાજ્ય પર કબજો કર્યો હતો. ભારતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે અનુક્રમે જર્મની અને ઇટલીના હિટલર અને મુસોલિનીનો માર્ગ અપનાવ્યો હતો. પહેલાં લોકશાહી માર્ગે સત્તા પર કબજો કરવો અને પછી ધીરે ધીરે રાજ્ય કબજે કરવું. આનો જવાબ પણ અઘરો નથી અને હવે તો સુજ્ઞ વાચકને તેનો અનુભવ થવા લાગ્યો હશે. રાજ્ય કબજે કરવું એટલે એ રાજ્યને પોષનારી સંસ્થાઓને કબજે કરવી. 

સૌથી પહેલા ક્રમે આવે રાષ્ટ્ર વિશેની સર્વસ્વીકૃત પ્રસ્થાપિત થયેલી વિભાવના(નેરેટિવ)ને તોડવી. તે તેના પર પ્રહારો કરીને તોડી શકાય, તેને અમુક રીતે ઓળખાવીને તોડી શકાય, એ વિભાવનાને વાચા આપનારા વિદ્વાનો અને લોકનેતાઓને બદનામ કરીને તોડી શકાય, તેનો બચાવ કરનારાઓને બોલવા નહીં દઈને તોડી શકાય અને નિરર્થક ઘોંઘાટ કરીને તેમ જ જૂઠાણાં ફેલાવીને તોડી શકાય, વગેરે વગેરે. આને માટે મીડિયા પર કબજો કરવો પડે, યુનિવર્સિટી અને અન્ય શિક્ષણ સંસ્થાઓ પર કબજો કરવો પડે, પાઠ્યપુસ્તકોને અને ખાસ કરીને ઇતિહાસને બદલવો પડે. દરેક જગ્યાએ એવા લોકોને ભરવા જે કાં તેમને માફક આવે એવી વાતો કરે અથવા તેમને જે માફક ન આવે એવું બોલનારાઓને બોલવા જ ન દે, પ્લેટફોર્મ જ ન આપે અથવા દેશપ્રેમ અને રાષ્ટ્રવાદનો ઘોંઘાટ કરે. શિક્ષણ સંસ્થાઓ, મુક્ત શિક્ષણ અને વિચારનારું ચિત્ત તેમને પસંદ ન આવે. 

બીજું કામ તેઓ લોકશાહીમાં પક્ષીય રાજકીય વિરોધીઓને તેમ જ વૈચારિક વિરોધીઓને ખતમ કરવાનું કરે. સૌથી પહેલાં તો નાગરિક સમાજના વાચાળ લોકોમાંથી જેને ખરીદી શકાય હોય તેને ખરીદે. જ્યાં ખરીદી શક્ય ન હોય ત્યાં નાગરિક સમાજના વાચાળ લોકોને ડરાવે, ધમકાવે અથવા જેલમાં નાખે. રાજકીય પક્ષોમાં લોકપ્રતિનિધિઓને ખરીદે, ડરાવીને પક્ષાંતર કરાવે વિભાજન કરાવે, રાજકીય પક્ષોને નાણાકીય મદદ ન મળે એવી વ્યવસ્થા કરે. ધીરે ધીરે લોકશાહીમાં પ્રતિપક્ષી જ ન બચે. જે હોય એ નામ પૂરતા હોય કે જેથી એમ બતાવી શકાય કે દેશમાં  

ગયા સપ્તાહના મારા લેખનો અંત એક પ્રશ્ન સાથે કર્યો હતો : હિંદુ પીંડ કેમ બદલાયો? હિંદુ માનસ કેમ બદલાયું? વેદ ઉપનિષદ મહાવીર અને બુદ્ધે તેમ જ મધ્યકાલીન સંતો અને +સૂફીઓએ ઉછેરેલો હિંદુ ક્યાં ગયો?

જે લોકો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની મદદ લઈને તેનો રાજકીય ખપ જોતા હતા એ લોકોને ખાતરી હતી કે હિંદુ પીંડ તેમ જ હિંદુ માનસ ન બદલાઈ શકે અને જે લોકો અહર્નિશ આધ્યાત્મિક હિંદુ હતા (ગાંધી અને વિનોબા) તેમ જ જે ભારતનો સાંગોપાંગ ઇતિહાસ જાણતા હતા અને જેણે ઇતિહાસ લખ્યો પણ હતો (જવાહરલાલ નેહરુ) એ લોકોને એમ લાગતું હતું કે હિંદુ પીંડ પણ બદલાઈ શકે છે. હિંદુ માનસ બદલાઈ શકે છે. જે હિંદુ હોવાપણું અનુભવતા હતા, જીવતા હતા, જેઓ હિંદુ પિંડના ગર્ભગૃહની અંદર હતા તેવા અંદરના લોકોને (insider) ડર હતો કે હિંદુ પીંડ ભવિષ્યમાં ક્યારેક બદલાઈ શકે છે માટે સાવધાન રહેવું જોઈએ.

આવું કેમ બન્યું? હિંદુ હોવાના ગર્વથી પ્રેરાઈને સોમાનાથનું મંદિર બાંધનારા હિંદુઓને એમ લાગતું હતું કે હિંદુ પીંડ બદલાઈ ન શકે માટે આર.એસ.એસ.થી ડરવાની જરૂર નથી અને જેણે વેદો અને ઉપનિષદોનો અભ્યાસ કર્યો હતો, જેણે શ્રમણ-બ્રાહ્મણ પરંપરાનો અભ્યાસ કર્યો, જેણે સંતો અને સૂફીઓના દર્શનનો અભ્યાસ કર્યો, જેણે ખુલ્લા મને ભારતના અને જગતના ઇતિહાસનો અભ્યાસ કર્યો અને જેણે હિંદુ હોવાપણાને શ્વસ્યું એ લોકો સાશંક હતા. 

આગળ વધતા પહેલાં એક ખુલાસો જરૂરી છે. જે લોકોએ આર.એસ.એસ.ને મદદ કરી અથવા આર.એસ.એસ.ની મદદ લીધી એ કાઁગ્રેસીઓ છૂપા હિન્દુત્વવાદી હતા અથવા હિંદુ કોમવાદી હતા એમ હું માનતો નથી. એકાદ-બે લોકોનો એવો અપવાદ હોઈ શકે છે, પણ એકંદરે તેઓ જમણેરી હતા અને સમાજવાદ તેમ જ સમાજવાદીઓ માટે અણગમો ધરાવતા હતા અને સામ્યવાદથી ડરતા હતા. તેમને મુસ્લિમ કોમવાદનો પણ ડર હતો અને એને માટે કારણો પણ હતાં. તેઓ સંસ્કૃતિપ્રેમી અને સંસ્કૃતિરક્ષક હતા અને તેમને એમ લાગતું હતું પોતાને ડાબરી તેમ જ ઉદારમતવાદી તરીકે ઓળખાવનારાઓ પાશ્ચાત્ય પ્રભાવ હેઠળ જીવે છે. તેઓ જવાહરલાલ નેહરુને તેમાં અગ્રેસર સમજતા હતા જ્યારે કે નેહરુએ જગતનો ઇતિહાસ લખીને પશ્ચિમના અમાનવીય શોષક તેમ જ હિંસક ચહેરાને ઉજાગર કર્યો હતો અને પૂર્વની માનવીય પરંપરાનો મહિમા કર્યો હતો. એ સમયે ભારતનાં આકાશમાં જે વિચાર, વ્યક્તિ અને વલણ હતાં તે વિષે તેમનો આવો અભિપ્રાય હતો. પણ એનો અર્થ એવો નથી કે તેઓ હિંદુ મૂળભૂતવાદી કે કોમવાદી હતા. સમાનતા અને ન્યાય આધારિત આધુનિક રાજ્યમાં, કાયદાના રાજમાં અને લોકતંત્રમાં તેમની નિષ્ઠા હતી. તેમને જાણ હતી કે કાયદાના રાજનો સૌથી વધુ લાભ બહુમતી કોમને મળવાનો છે અને અરાજકતાની સૌથી મોટી કિંમત પણ બહુમતી કોમે જ ચૂકવવી પડતી હોય છે. તેઓ દ્વેષ કરનારા અને વેર લેનારા હિંદુ નહોતા. 

તો સવાલ પાંચ છે. એક. જે લોકોએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને સમજવામાં થાપ ખાધી તેમણે ભારતીય રાજકારણને ક્યાં પહોંચાડ્યું? બે. જે લોકો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને ઓળખી શક્યા તો તે શેને કારણે? ત્રણ. હિંદુ પીંડ અથવા હિંદુ માનસ બદલાયું શેના કારણે? ચાર. ખરેખર હિંદુ પીંડ કે હિંદુ માનસ પાછા ન ફરી શકાય એ હદે સંપૂર્ણપણે બદલાયું છે ખરું? અને પાંચ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે સત્તા કબજે કરી છે કે પછી રાજ્ય કબજે કર્યું છે કે હિંદુ માનસ? 

આ પાંચ સવાલોને હાથ ધરતા પહેલાં મારે અહીં એક કબૂલાત કરવી જોઈએ. આ લખનારને પણ વાનપ્રસ્થાનની ઉંમરે પહોંચવા સુધી એમ લાગતું હતું કે હિંદુ પીંડ ક્યારે ય ન બદલાઈ શકે માટે સંઘથી ડરવાની જરૂર નથી. આ પૂરાણમતવાદી ગાંડીઘેલી વાતો કરનારી જમાત છે. તેની કોમવાદી હિંદુઓની એક વોટ બેંક છે, લોકતાંત્રિક દેશમાં તેનો તે અધિકાર છે અને એક અર્થમાં તેનો ખપ પણ છે. જેમ સૃષ્ટિનું સંતુલન જાળવી રાખવા વિવિધ સ્વભાવ ધર્મ ધરાવનારા જીવોનું એક સાથે હોવું જરૂરી છે તેમ સમાજમાં સંતુલન જાળવી રાખવા માટે વિવિધ અભિપ્રાય અને વલણનું એક સાથે હોવું જરૂરી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો આ રીતે એક મર્યાદિત ખપ છે. બાકી ભારતની હિંદુ બહુમતી પ્રજા એક પ્રકારની ઉદારતા અને મર્યાદામાં માને છે. ઉપરથી ભારતની વિવિધતા કોઈ એક પ્રજાને આક્રમક થવા દેતી નથી. આત્યંતિકતા અને આક્રમકતાનો અંદરથી છેદ ઉડાડે છે. મધ્યમ માર્ગ અને સહઅસ્તિત્વ ભારતની નિયતિ છે. આ સિવાય ભારતનું સંસદીય રાજકારણ પણ આત્યંતિકતાને પોષનારું નથી. સામ્યવાદીઓ, અકાલીઓ, દ્રવિડવાદીઓ, ઇશાન ભારતના અલગતાવાદીઓને એક દિવસ સમજાઈ ગયું કે આક્રમકતા અને આત્યંતિકતા આ દેશની પ્રજાને ભાવતી નથી અને જો સંસદીય લોકશાહી માર્ગે સત્તા સુધી પહોંચવું હોય તો દરેકનો સાથ લેવો જરૂરી છે. 

ટૂંકમાં આ પ્રકારનો રાજકીય વિમર્શ એ સમયે દેશમાં ચાલતો હતો જેમાં દરેકને એમ લાગતું હતું કે સામ્યવાદી ભારત અને હિંદુ ફાસીવાદી ભારત આ દેશમાં ક્યારે ય આકાર ન પામી શકે. સામ્યવાદીઓએ લોહિયાળ ક્રાંતિ કરીને સત્તા કબજે કરવાનો માર્ગ છોડીને સંસદીય માર્ગ અપનાવ્યો હતો. આ લખનારની પણ એવી જ સમજ હતી. એટલે તો કાઁગ્રેસના ભ્રષ્ટાચાર સામે લડવા જેમ રાજકીય પક્ષોએ અને રાજકીય નેતાઓએ સંઘનો સાથ લીધો હતો એમ નાગરિક સમાજે પણ લીધો હતો જેનો હું એક સભ્ય છું. એક સધિયારો હતો જે ખોટો સાબિત થયો. 

(ક્રમશ:)
24 મે 2026
e.mail : ozaramesh@gmail.com

Loading

ચલ મન મુંબઈ નગરી—342

દીપક મહેતા|Opinion - Opinion|23 May 2026

૨૦૨૬માં તોડી પડાયેલો એલ્ફિન્સ્ટન બ્રિજ બંધાયેલો ક્યારે? 

બધાં છાપાંએ કહ્યું તેમ ૧૯૧૩માં? ના રે ના, ૧૮૬૮માં       

એપ્રિલ ૫, ૨૦૨૬. મુંબઈની વેસ્ટર્ન રેલવેના એલ્ફિન્સ્ટન રોડ, સોરી, પ્રભાદેવી સ્ટેશન પર મુસાફરોની આવનજાવન શરૂ થઈ ગઈ હતી. ઘણાખરા મુસાફરો રાબેતા મુજબ નીચી મુંડી કરી સ્ટેશન તરફ જતા હતા. ત્યાં એકાએક ફટાકડા ફૂટવાના અવાજ. આકાશમાં ઊડતાં દેખાયાં હવાઈ, રામબાણ. સ્ટેશન પાસેના રસ્તા પર ફટાકડાની લૂમ પર લૂમ ફૂટવા લાગી. આ બધું શા માટે થઈ રહ્યું છે એની ચિંતા કરવાનો સમય ઘણાખરા મુસાફરો પાસે નહોતો. કેટલાકે  વિચાર્યું : હશે કોઈ શેઠિયાનો વરઘોડો કે કોઈ રાજકારણી નેતાનો જન્મ દિવસ. પણ ના. કારણ કૈંક જૂદું હતું. ૨૦૨૫ના ડિસેમ્બરની ૩૧મી તારીખે શરૂ થયેલું કામ આજે પૂરું થયું હતું. એ કામ કરતા કોન્ટ્રેક્ટરે પહેલેથી જ ફટાકડા આણી રાખ્યા હતા. જ્યારે આ કામ પૂરું થાય ત્યારે ફોડવા માટે. અને એ કામ હતું એલ્ફિન્સ્ટન બ્રિજનો રેલવે લાઈન પરનો સ્ટીલનો બ્રિજ તોડવાનું. એ કામનો ખર્ચ? ફક્ત પાંચ કરોડ રૂપિયા. 

૧૮૫૩થી ૧૮૬૦ સુધી મુંબઈના ગવર્નરપદે રહેલા લોર્ડ એલ્ફિન્સ્ટન

બીજા દિવસનાં મુંબઈનાં એકેએક અખબારે સમાચાર ચમકાવ્યા : ૧૯૧૩માં બંધાયેલા એલ્ફિન્સ્ટન બ્રિજને તોડવાનું કામ પૂરું થયું. એક-બે અખબારે તો આ જાણે કોઈ મોટું યુદ્ધ હોય તેમ એક-એક મિનિટે શું શું બન્યું તેનો રસ ઝરતો અહેવાલ છાપ્યો. બધાં અખબારે એકી અવાજે કહ્યું કે ૧૯૧૩માં બંધાયેલા આ બ્રિજનું નામ મુંબઈના ગવર્નર લોર્ડ જોન એલ્ફિન્સ્ટનના માનમાં પાડવામાં આવેલું. તો કોઈકે લખ્યું કે ગવર્નર માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટનના માનમાં બ્રિજને આ નામ અપાયું હતું.

હવે હકીકત એ છે કે એલ્ફિન્સ્ટન અટક ધરાવતા એક નહિ પણ બે ગવર્નર મુંબઈને મળ્યા હતા. તેમાં પહેલા તે માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન. ૧૭૭૯ના ઓક્ટોબરની છઠ્ઠી તારીખે જન્મ, ૧૮૫૯ના નવેમ્બરની ૨૦મી તારીખે અવસાન. ૧૮૧૯થી ૧૮૨૭ સુધી તેઓ મુંબઈના ગવર્નર રહ્યા. માત્ર મુંબઈ શહેરમાં જ નહિ, આખા મુંબઈ ઇલાકામાં તેમણે ગુજરાતી-મરાઠી જેવી સ્થાનિક ભાષાઓમાં, પણ અંગ્રેજી પદ્ધતિનું શિક્ષણ આપતી સ્કૂલો શરૂ કરાવી. એ સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓ માટે સ્થાનિક ભાષાઓમાં પાઠ્યપુસ્તકો તૈયાર કરાવ્યાં. બીજાં અનેક લોકોપયોગી કામો કર્યાં. ગવર્નરના પદેથી નિવૃત્ત થયા પછી સ્વદેશ પાછા ગયા અને હિન્દુસ્તાનનો વિસ્તૃત ઇતિહાસ લખવાના કામમાં એવા ડૂબી ગયા કે એક નહિ, બે વખત હિન્દુસ્તાનના વાઈસરોય થવાની ઓફર આવી ત્યારે સવિનય પાછી વાળી. એક જમાનામાં આખા મુંબઈ ઇલાકામાં અગ્રણી ગણાતી, ધોબી તળાવ પાસે આવેલી, એલ્ફિન્સ્ટન સ્કૂલ અને કાળા ઘોડા પાસે આવેલી એલ્ફિન્સ્ટન કોલેજ સાથે તેમનું નામ સાંકળવામાં આવ્યું.  

બીજા તે જોન એલ્ફિન્સ્ટન, ૧૩મા અને છેલ્લા લોર્ડ એલ્ફિન્સ્ટન. આ લોર્ડસાહેબનો જન્મ ૨૩ જૂન, ૧૮૦૭, અવસાન ૧૯ જુલાઈ ૧૮૬૦. કહેવાય છે કે જુવાન વયે રાણી વિક્ટોરિયા અને આ એલ્ફિન્સ્ટન સાહેબ પ્રેમમાં પડેલાં. અને એટલે તેમને મદ્રા (ચેન્નાઈ)ના ગવર્નર બનાવીને ગ્રેટ બ્રિટનની બહાર મોકલી દેવાયેલા. ૧૮૪૫માં પાછા ગ્રેટ બ્રિટન. એટલું જ નહિ, રાણી વિક્ટોરિયાના ખાસ મદદગાર તરીકે નિમણૂક મેળવી. ફરી એ જ પ્રેમ પ્રકરણ. એટલે તેમને મોકલી દીધા મુંબઈના ગવર્નર તરીકે. ૧૮૫૩ના ડિસેમ્બરની ૨૬મી તારીખથી ૧૮૬૦ના મે મહિનાની ૧૧મી સુધી તેઓ મુંબઈના ગવર્નરપદે રહ્યા. એટલે કે ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે તેઓ મુંબઈના ગવર્નર હતા. કંપની સરકારે જેમની નિમણૂક કરી હોય તેવા તેઓ મુંબઈના છેલ્લા ગવર્નર. ૧૮૫૮માં હિન્દુસ્તાનમાં તાજનું રાજ સ્થપાયું, એટલે તેમના પછીના ગવર્નરોની નિમણૂક ગ્રેટ બ્રિટનનાં રાણી કે રાજા કરતા. 

૧૮૬૮માં બનેલો પથ્થરનો એલ્ફિન્સ્ટન બ્રિજ

એલ્ફિન્સ્ટન બ્રિજના તોડકામના સમાચાર છાપતી વખતે એક પણ અખબારને એવો સવાલ ન થયો કે જો આ બ્રિજ ૧૯૧૩માં બંધાયો હોય તો તેની સાથે ૧૮૬૦માં મૃત્યુ પામેલા ગવર્નર એલ્ફિન્સ્ટનનું નામ ત્રેપન વરસ પછી શા માટે જોડવામાં આવે? હા, ૧૯મી સદીમાં ગવર્નરો કે બીજા ઊંચા હોદ્દાના અંગ્રેજોનાં નામ જાહેર સ્થળો સાથે જોડાતાં ખરાં. પણ તે કાં એમના મુંબઈમાંના શાસનકાળ દરમિયાન, કે છેવટ તેમના જીવનકાળ દરમિયાન. 

અલબત્ત, મુંબઈનાં બીજાં ત્રણ જાહેર સ્થળો સાથે ગવર્નર લોર્ડ એલ્ફિન્સ્ટનનું નામ જોડાયેલું હતું, પણ તેમની હયાતી દરમ્યાન. આજે આપણે જેને હોર્નિમન સર્કલ કહીએ છીએ તેનું આગલું નામ હતું એલ્ફિન્સ્ટન સર્કલ. બીજું, ડિલાઈલ રોડના ઉત્તર છેડાથી પરળ રોડ સુધી જતા રસ્તાને એલ્ફિન્સ્ટન રોડ નામ આપવામાં આવેલું. ૧૮૫૩માં મુંબઈમાં ટ્રેન શરૂ થઈ તે પછી ઘણાં સ્ટેશનોનાં નામ તેની નજીકના કોઈ રસ્તા પરથી પાડવામાં આવ્યાં. જેમ કે ચર્ની રોડ, ગ્રાન્ટ રોડ, સેન્ડહર્સ્ટ રોડ સ્ટેશન. તેવી જ રીતે એલ્ફિન્સ્ટન રોડ નજીક આવેલા બી.બી.સી.આઈ. રેલવે(આજની વેસ્ટર્ન રેલવે)ના એક સ્ટેશનનું નામ પડ્યું એલ્ફિન્સ્ટન રોડ સ્ટેશન. ૧૮૬૭ના એપ્રિલ મહિનાની ૧૨મી તારીખે બી.બી.સી.આઈ. રેલવે કંપનીએ વિરાર અને બેક બે સ્ટેશનો વચ્ચે પહેલી લોકલ ટ્રેન દોડાવી. તે વખતે એ લાઈન પર જે દસ સ્ટેશનો હતાં તેમાં એલ્ફિન્સ્ટન રોડનું નામ જોવા મળતું નથી. દાદર પછી સીધું ગ્રાન્ટ રોડ સ્ટેશનનું નામ જોવા મળે છે. એટલે ૧૮૬૭માં, પણ એપ્રિલની ૧૨મી તારીખ પછી ક્યારેક એલ્ફિન્સ્ટન રોડ સ્ટેશન બંધાઈને શરૂ થયું હશે. અલબત્ત, રસ્તાનું નામ ‘એલ્ફિન્સ્ટન રોડ’ પહેલાં પડ્યું હશે અને પછી તેના પરથી સ્ટેશનનું નામ પડ્યું હશે.  વિદાય લઈ ચૂકેલા ગવર્નરનાં નામ આપવાનો ચાલ તે વખતે હતો. જ્યાં દેખાય ત્યાંથી અંગ્રેજોનાં નામ હઠાવવાનો વાયરો વાયા પછી એ સ્ટેશનનું નામ પડ્યું છે પ્રભાદેવી.

૨૦૨૬ની શરૂઆતમાં એલ્ફિન્સ્ટન બ્રિજ તોડવામાં આવ્યો તે પહેલાંના તેના ફોટા જોઈએ તો એ બ્રિજ આખો પથ્થરનો બાંધેલો હતો એવું જણાશે. હવે, વીસમી સદીની શરૂઆતમાં તો આવા પથ્થરના બ્રિજ બનતા નહિ, સ્ટીલના ગર્ડર અને પિલરના બ્રિજ બનતા. અલબત્ત, એવા પુલ બાંધવાની સામગ્રી ગ્રેટ બ્રિટનથી લાવવામાં આવતી. પણ ૧૯મી સદીમાં જે પુલ બંધાયા તે બધા જ પથ્થરના હતા. ગોળાકાર કમાનો, જાડી, મજબૂત દીવાલો, નીચે આવેલા રસ્તા પરથી પુલ પર જવા માટેનાં પથ્થરનાં સીધાં પગથિયાં, વગેરે તેની નજરે ચડે તેવી લાક્ષણિકતાઓ.  પથ્થરના બાંધેલા પુલની નીચેથી ટ્રેન, અને ઉપર પથ્થરના પુલ પરથી બીજાં વાહનો અને રાહદારીઓની આવનજાવન થતી હોય તો તે સમજી શકાય તેમ છે. 

પણ વેઇટ અ મિનિટ. ૨૦૨૬ની શરૂઆતમાં આ પુલ તોડ્યો ત્યારે એક કોતરેલો પથ્થર, એક તકતી મળી આવી છે તેનું શું? એ પથ્થર પર કોતર્યું છે: GIPR 1913 CONTRACTOR BOMANJI RUSTOMJI. એનો અર્થ એવો ન થાય કે ગ્રેટ ઇન્ડિયા પેનન્સુલા રેલવેએ આ બ્રિજ ૧૯૧૩માં બંધાવ્યો હતો ને તે બાંધવા માટેના કોન્ટ્રેકટર હતા બમનજી રૂસ્તમજી. એલ્ફિન્સ્ટન બ્રિજ ૧૯૧૩માં બંધાયો હતો એ અંગે આનાથી વધુ સચોટ પુરાવો બીજો કયો હોઈ શકે?

પાટા પરનો પથ્થરનો ભાગ તોડીને તેની જગ્યાએ રેલવેએ સ્ટીલનો બ્રિજ બાંધ્યો ત્યારે તેના એક પથ્થર પર કોતરેલી વિગતો 

આ સવાલનો જવાબ મેળવવા માટે આપણે કેટલીક કાનૂની બાબતોને ધ્યાનમાં રાખવી પડશે. રેલવે લાઈન પર બ્રિજ બાંધવાનું કામ મ્યુનિસિપાલિટીનું, કે બીજી કોઈ સરકારી એજન્સીનું. પણ પુલનો જેટલો ભાગ રેલવેની હદ પરથી પસાર થતો હોય તેટલો ભાગ બાંધવાનો અને તેની જાળવણી કરવાનો ખર્ચ હંમેશ માટે રેલવેએ ભોગવવાનો. બ્રિટિશ શાસન દરમિયાન આપણા દેશમાં રેલવેની માલિકી ખાનગી કંપનીઓની હતી, જ્યારે પુલોનું બાંધકામ PWD જેવી  સરકારી એજન્સીઓ કરતી, એટલે આવી વ્યવસ્થા થઈ હોય. હવે, જ્યારે આ બ્રિજનો અસલનો ટ્રેનના પાટા પરથી પસાર થતો પથ્થરનો ભાગ તોડીને તેની જગ્યાએ સ્ટીલના ગર્ડર થાંભલા વગેરે બેસાડ્યા ત્યારે એ કામ રેલવેની હદમાં થયેલું, એટલે તેનો ખરચ તે વખતની GIP રેલવેએ ભોગવ્યો હોય. એ જમાનામાં ખાનગી માલિકીની રેલવે કંપનીઓ આવાં કામોમાં માત્ર પોતાના હિસ્સાની જ નોંધ રાખતી. એટલે આ પથ્થર એટલું જ જણાવે છે કે આ પુલનો સ્ટીલનો ભાગ GIP રેલવેએ ૧૯૧૩માં બંધાવેલો. બ્રિજમાં વપરાયેલા સ્ટીલના એક ગર્ડર પર આ પ્રમાણે લખેલું જોવા મળે છે : “P & W MacLellan Ltd., Glasgow” તેનો અર્થ તો એટલો જ થાય કે ટ્રેનના પાટા ઉપરથી પસાર થતા બ્રિજના ગર્ડર આ કંપનીએ બનાવેલા, આખો બ્રિજ નહિ. આ બ્રિજ તોડ્યો ત્યારે પણ તેનો બાકીનો ભાગ પથ્થરનો જ હતો. એ જમાનામાં ગ્લાસગોની આ એક ઘણી જાણીતી કંપની હતી અને હિન્દુસ્તાનની ઘણી રેલવે કંપનીઓને તે સ્ટીલનો સામાન પૂરો પાડતી હતી. 

પણ એલ્ફિન્સ્ટન બ્રિજ ૧૯૧૩માં નહિ, પણ ૧૮૬૮માં બંધાઈ રહ્યો હતો તેનો ખાતરી ભર્યો પુરાવો તો આ લખનારને જોવા મળેલી એક નાનકડી ચબરખી આપે છે. કોઈ અખબારી કે સરકારી અહેવાલના ઉતારા જેવી આ ચબરખીમાં નીચે પ્રમાણે લખ્યું છે (જુઓ સાથેનો ફોટો) :

૧૮૬૮માં ત્રણ બ્રિજ બંધાયા તે અંગેનો દસ્તાવેજી પુરાવો

The over-bridges opened for traffic at the following dates and at the expenditure named against each: – 

Carnac Bridge, October 16th, 1868……………Rs.2,33,487

Elphinstone Bridge, November 3rd, 1868…Rs.2,13,239

Masjid Bridge, November 28th, 1868………..Rs.1,91,793

Total…Rs. 6,38,519

એટલે કે પથ્થરનો એલ્ફિન્સ્ટન બ્રિજ ૧૯૧૩માં નહિ, પણ ૧૮૬૮માં બંધાયો હતો ઇતિ સિધ્ધમ્‌. આજે એ બ્રિજ તોડવાનો ખરચ પાંચ કરોડ રૂપિયા જેટલો થયો. જ્યારે ૧૮૬૮માં એ બ્રિજ બાંધવાનો ખરચ થયો હતો રૂપિયા ૨,૩૩,૪૮૭. અલબત્ત, એ વખતે આખો બ્રિજ પથ્થરનો જ બનેલો હતો, કર્નાક બ્રિજ અને મસ્જિદ બ્રિજની જેમ. હકીકતમાં ૧૯મી સદીમાં મુંબઈમાં બધા બ્રિજ પથ્થરના જ બનતા. સ્ટીલના બ્રિજ વીસમી સદીમાં બંધાવા લાગ્યા.

એટલે કે ૨૦૨૬ના એપ્રિલની પાંચમી તારીખે જે બ્રિજ તોડવામાં આવ્યો તે ૧૯૧૩માં નહિ, ૧૮૬૮માં બંધાયો હતો, અને મુંબઈના ત્રણ જૂનામાં જૂના બ્રિજમાંનો એક હતો.

આવતે શનિવારે લેશું મુંબઈના બીજા કોઈ બ્રિજની મુલાકાત.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX 

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 23 મે 2026

Loading

...102030...51525354...607080...

Search by

Opinion

  • એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”
  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે
  • ચલ મન મુંબઈ નગરી—353

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ
  • લૂંટ શકે તો લૂંટ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved