Opinion Magazine
Number of visits: 10080366
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગઝલ

સિદ્દીક ભરૂચી|Opinion - Opinion|23 May 2026

આંખમાં હું  કેમ આવું છું તને,
શું સમસ્યા જેમ લાગું છું તને?

તું હ્રદયના ગ્રંથને વાંચી તો જો,
કેટલું ડૂબીને ચાહું છું તને!

છે  મહોબ્બતનો અમારો રાજપાટ,
જા આ મિલ્કત ભેટ આપું છું તને.

દિલ નથી તો જગની કિંમત કૈ’ નથી,
હે હ્રદય, દે  હાથ  માંગુ છુ તને.

કોઈ પણ  મારગમાં નિર્ભય હોઉં છું,
હે  ખુદા, સાથે હું રાખું છું તને.

અજનબી હું શહેરને જ્યારે મળ્યો,
તો કહે, વર્ષોથી જાણું છું તને.

અમદાવાદ.
e.mail : siddiq948212@gmail.com

Loading

નીતિ આયોગનો તાજો હેવાલ : ગુજરાત શિક્ષણના હાલહવાલ

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|22 May 2026

રવીન્દ્ર પારેખ

ગુજરાત રાજ્ય ભલે વિકાસમાં આગળ રહ્યું હોય, પણ તેણે શિક્ષણની જે દુર્દશા કરી છે, એ જોતાં તે એકદમ પછાત રાજ્ય છે. પછાતમાં ય છેલ્લે આવે. સરકારને શિક્ષણ જોડે સ્નાનસૂતકનો ય સંબંધ ન હોય તેમ તે શિક્ષણથી અલિપ્ત રહીને જ વર્તે છે. શિક્ષણ માટે સૌથી વધુ બજેટ ફાળવનાર ગુજરાત સરકાર એટલું (લોહી) ઉકાળે છે કે કમ સે કમ શિક્ષણને મામલે પણ આ સરકારે શું કામ હોવું જોઈએ એવો સવાલ થાય. સરકાર સિવાય શિક્ષણ સાથે સંકળાયેલ તમામને ટીસ ઊઠે છે કે આ સરકાર આટલી નીંભર કેમ છે? ૨૦૧૭થી શિક્ષકોની ભરતીમાં અખાડા ચાલે છે ને તેનું આજ લગી ઠેકાણે પડ્યું નથી તે શરમજનક છે. એક તરફ ટેટ-ટાટ પરીક્ષાઓ પાસ કરીને ઉમેદવારો નોકરીની રાહ જોતાં દિવસો ખુટાડી રહ્યા છે ને બીજી તરફ સરકાર શિક્ષકોની ભરતી ન કરવા પૂરી નિષ્ઠુરતાથી સક્રિય છે. સરકાર ધારે તો ટેટ-ટાટ પાસ ઉમેદવારોને નોકરી આપીને શિક્ષિત બેકારી ઘટાડી શકે ને બીજી તરફ સ્કૂલોમાં શિક્ષકો આવતા થાય તો શિક્ષકો નથી-ની ફરિયાદમાં પણ ઘટાડો થાય, પણ સરકારને આમાં રસ જ ન હોય એમ એ તો પોતાનામાં જ રમમાણ છે. એવું નથી કે સરકારને આ બધાંની ખબર નથી. બધી ખબર છે, પણ ખાટલે મોટી ખોડ ઇચ્છા શક્તિની છે.

એમ લાગે છે કે ગુજરાતનો આખો શિક્ષણ વિભાગ એમ ઇચ્છે છે કે ગુજરાત, શિક્ષણથી શક્ય એટલું દૂર રહે. પ્રજા શિક્ષણ પામે તો જીભાજોડીમાં પડે ને સરકારની ખુરશી જોખમમાં આવી પડે, એનાં કરતાં પ્રજા અભણ રહે એમાં જ સરકારની આવરદા વધે એમ છે. ગુજરાત જ એવું રાજ્ય છે જે શિક્ષક વગર શીખવે છે, સ્કૂલ નથી ને શીખવાય છે, વિદ્યાર્થી નથી ને ભણાવાય છે, નથી ભણાવાતું તેનો ય પગાર ચૂકવાય છે. આટલું અંધેર ગુજરાત સિવાય બીજા કોઈ રાજ્યમાં નહીં હોય. ગુજરાતમાં શિક્ષણની જ પૂરતી જોગવાઈ નથી, ત્યાં ગુણવત્તાની તો કલ્પના જ કરવાની રહે છે.

નીતિ આયોગના જે આંકડાઓ બહાર આવ્યા છે તે ચોંકાવનારા અને આઘાત આપનારા છે. ગમ્મત એ છે કે ઘણાં આંકડાઓ તો સરકાર પોતે જ બહાર પાડે છે. નીતિ આયોગના ૨૦૨૬ના અહેવાલ ‘સ્કૂલ એજ્યુકેશન સિસ્ટમ ઇન ઇન્ડિયા’માં રાજ્યની શિક્ષણ વ્યવસ્થા અંગે ૨૩૨ પાનાંનો અહેવાલ આવ્યો છે, જેમાં ગંભીર સવાલો ઉઠાવાયા છે. વસ્તી ગણતરી પ્રમાણે ૧૯૬૧માં મોટાં રાજ્યોમાં ગુજરાતનો સાક્ષરતામાં નંબર ચોથો હતો. ૧૯૭૧ અને ૧૯૮૧માં એ નમ્બર સાતમો હતો, ૧૯૯૧માં એ નમ્બર ૯મો હતો. ૨૦૦૧માં મોટાં રાજ્યોમાં ગુજરાતનો નંબર ૧૩મો થયો ને ૨૦૧૧માં ગુજરાત ૧૪માં નંબરે ગયું. ઉત્તરોત્તર પડતી છતાં સરકારનાં પેટનું પાણી ય હાલતું નથી. અહીં સાક્ષરતા એટલે ૧૦૦ સુધીનાં આંકડા આવડે ને થોડું લખતાં વાંચતા આવડતું હોય એ. એમાં ડિગ્રીધારીઓ ગણીએ તો એ નમ્બર કેટલામો હોય, તેની કલ્પના જ કરવાની રહે છે.

નીતિ આયોગના અહેવાલમાં જણાવાયું છે કે ૧,૦૫,૧૩૪ વિદ્યાર્થીઓની વચ્ચે પ્રાથમિકમાં ૨,૯૩૬ શાળાઓ એવી છે, જેમાં એક જ શિક્ષક છે. પ્રાથમિકમાં ૨૪ વિદ્યાર્થી દીઠ ૧ શિક્ષક છે, જ્યારે અન્ય રાજ્યોમાં એ સંખ્યા ૨૦ની છે. માધ્યમિક શિક્ષણમાં ગુજરાતમાં ૨૭ વિદ્યાર્થીએ એક, જયારે દેશમાં ૧૫ વિદ્યાર્થીએ એક શિક્ષક છે. આમાં પણ ગુજરાત પાછળ છે. રાજ્યમાં વિદ્યાર્થી દીઠ શિક્ષકની સંખ્યા રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ ઓછી છે.

આખી શાળામાં એક જ શિક્ષક ! એ સ્કૂલ શું ચલાવતો હશે ને અન્ય સરકારી કામો ક્યારે કરતો હશે કે સ્કૂલની વ્યવસ્થા કેવી રીતે કરતો હશે, આ બધું વિચારતા આખા શિક્ષણ વિભાગ માટે શરમ ઊપજે છે. આ બધું શેને માટે? શિક્ષકો નથી મળતા? એ તો ગધેડે ગવાય છે ને સરકારને મોતિયો આવ્યો છે કે તેને સ્કૂલમાં એક જ શિક્ષક છે તે દેખાતું નથી? આ અંધાપો કુદરતી નથી. એ કેળવેલો છે. એવું નથી કે શિક્ષણનું કોઈ બજેટ નથી. ૬૫,૧૩૪ કરોડ જેટલું ભરચક બજેટ ફાળવાયું હોય, ત્યાં સરકાર આંગળાં ચાટીને પેટ શું કામ ભરતી હશે તે નથી સમજાતું. એક તરફ આ કંજૂસાઈ છે, તો બીજી તરફ ૬૩ શાળાઓમાં ૭૮ શિક્ષકો એવા છે, જે કોઈને ભણાવતા નથી ને પગાર પૂરો વસૂલે છે. એક તરફ વિદ્યાર્થીઓ છે, ત્યાં શિક્ષકો નથી ને શિક્ષકો છે, ત્યાં વિદ્યાર્થીઓ નથી. જેને પૂરી અરાજકતા કહેવાય તે હાલમાં ગુજરાતમાં પ્રવર્તે છે.

એક તરફ શાળા પ્રવેશોત્સવ અને ગુણોત્સવ ને અન્ય તાયફાઓ માટે સરકાર પાસે કરોડો રૂપિયા છે, પણ એવી શાળાઓમાં શિક્ષકો નથી તેનો સરકારને રજ માત્ર અફસોસ નથી. કેટલીક સ્કૂલોને તો મકાનો પણ નથી, તે સ્કૂલ ઝાડ નીચે ચાલે છે, તો, સ્કૂલો છે ત્યાં, ૪૨,૦૦૦થી વધુ વર્ગખંડોની અછત છે. આ બધું વિપક્ષ જ કહે છે એવું કહીને શાસકો બચાવ કરી શકે, પણ શાસકોએ તેનો જવાબ આપવો જોઈએ. કૉન્ગ્રેસ કહે છે કે ભા.જ.પ.ના રાજમાં ૫.૬૧૨ શાળાઓને તાળાં લાગી ગયાં છે ને દેશમાં તો ૯૩,૦૦૦થી વધુ શાળાઓ બંધ કરવામાં આવી છે. એને લીધે ગ્રામીણ વિસ્તારના બાળકોનાં શિક્ષણ પર તરાપ પડી છે, તો સરકાર કહી શકે કે એક પણ સ્કૂલ બંધ નથી થઇ કે ગ્રામીણોના શિક્ષણ અધિકાર પર કોઈ તરાપ નથી પડી, પણ તેવું સરકાર કહેતી નથી, કહી શકે એમ નથી …

ચિંતાજનક સ્થિતિ ડ્રોપ આઉટની છે. વધુ વિગતમાં ન ઉતરતા, રાષ્ટ્રીય કક્ષાએ ડ્રોપ આઉટ રેશિયો ૧૫.૩ છે, જ્યારે ગુજરાતમાં ૨૨.૯ છે. એનો અર્થ એ થાય કે ૧૦૦માંથી લગભગ ૨૩ વિદ્યાર્થીઓ ૧૦ ધોરણ સુધી પણ પહોંચતા નથી. છેલ્લા આંકડા મુજબ ૨,૨૩,૦૦૦ વિદ્યાર્થીઓ ૧૦ ધોરણ સુધી પણ નથી પહોંચ્યા. લાગે છે કે ગુજરાતમાં શિક્ષણ વિભાગ સક્રિય છે? શિક્ષણ વિભાગ જેવું ગુજરાતમાં છે, એવું લાગે છે? શિક્ષણનું અને શિક્ષણ વિભાગનું કોઈ ધણીધોરી છે એવું ય લાગે છે? શિક્ષણના તમામ ક્ષેત્રોમાંથી મોંકાણના જ સમાચાર પ્રાપ્ત થતા હોય, ત્યાં શિક્ષણ વિભાગ જેવું કંઇ હોય તો ય શું ને ન હોય તો ય શું? સ્કૂલોને તાળાં મારવાં ન હોય, તો શિક્ષણ વિભાગને જ તાળાં મારવાં જોઈએ એવું નથી લાગતું?

એમ લાગે છે કે શિક્ષણ વિભાગ જેવું ગુજરાતમાં કંઇ નથી. સ્કૂલોએ, કોલેજોએ, યુનિવર્સિટીઓએ ચાલવું છે એટલે ચાલે છે, બાકી શિક્ષણ વિભાગનો એમાં ફાળો હોય એવું લાગતું નથી. શિક્ષણ વિભાગ જેવું ના હોય તો પણ ચાલે. પણ ના, શિક્ષણ વિભાગ ગુજરાતમાં હોવો જોઈએ એવું સો ટકા લાગે છે. કેમ? શિક્ષણ વિભાગ નહીં હોય તો મંત્રીઓના અને અધિકારીઓના પગાર કોણ ખાશે? શિક્ષણ વિભાગ એટલે પણ જરૂરી છે કે ડ્રોપ આઉટ રેશિયો વધે. જો કે, ઝીરો ડ્રોપ આઉટના સંકલ્પ સાથે શિક્ષકો, આચાર્યો ઘરે ઘરે ફરીને બાળકોનો શાળા પ્રવેશ કરાવવાની વાત છે. એ પછી પણ પ્રવેશ શક્ય ન બને તો ખુદ DEO સક્રિય થશે. એમાં સરકારનો હાથ હોય કે ન હોય, તો પણ શિક્ષણ વિભાગ તો હોવો જ જોઈએ. એ ન હોય તો ૨,૯૩૬ સ્કૂલોમાં એક જ શિક્ષકથી કામ કોણ લેશે? અરે ! આ સરકાર હશે તો એક પણ શિક્ષક વગર સ્કૂલો ચલાવવાનું કોને સૂઝશે? આ સરકાર હશે તો જ સ્કૂલોને તાળાં પણ લાગશે. એ નહી હોય તો સ્કૂલો ચાલુ થઈ જશે ને એ તો થવા જ કેમ દેવાય? ટેટ-ટાટ પાસ ઉમેદવારોને સ્કૂલો વગર ને સ્કૂલોને શિક્ષક વગર કોણ રાખશે? એ સરકાર જ છે, જે ૪૨,૦૦૦ ને તેથી ય વધુ વર્ગખંડો વગર સ્કૂલોને ચલાવશે. આ સરકાર એટલા માટે પણ જરૂરી છે કે શાળાનાં મકાન વગર ઝાડ નીચે સ્કૂલો ચાલી શકે.

એ કમનસીબી છે કે સરકાર, શિક્ષણ ન ચલાવવા ઇચ્છવી પડે. આખા રાજ્યમાં અનેક સ્તરે શૈક્ષણિક પ્રશ્નો હોય ને સરકારને તેની પડી જ ન હોય ને પ્રજાને છતાં સરકારની ગરજ રહેતી હોય, તો દયનીય સ્થિતિ સરકારની છે કે પ્રજાની તે નક્કી કરવાનું મુશ્કેલ છે. ખરેખર, પડે છે ત્યારે સઘળું જ પડે છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 22 મે 2026

Loading

ચૂંટણીમાં બિનહરીફ વિજેતા લોકતંત્ર સામેનો પડકાર છે.

ચંદુ મહેરિયા|Opinion - Opinion|21 May 2026

ચંદુ મહેરિયા

ઈલેકશન કમિશન ઓફ ઇન્ડિયાએ સુપ્રીમ કોર્ટ સમક્ષની એફિડેવિટમાં ચૂંટણીમાં બિનહરીફ વિજેતા થવાને એક દુર્લભ અને અપવાદરૂપ બિના ગણાવી છે. પંચે તેની દલીલના સમર્થનમાં જણાવ્યું છે કે ૧૯૫૧થી ૨૦૨૪ સુધીની ૧૮ સામાન્ય ચૂંટણીઓમાં કેવળ નવ જ વખત અને ૧૯૯૧ પછી માત્ર એક જ વખત આવું બન્યું છે. આઝાદી પછીના બે દસકામાં ૩૫ ઉમેદવારો લોકસભા ચૂંટણીમાં બિનહરીફ વિજેતા થયા છે. એક અન્ય અભ્યાસમાં ૨૯૮ ધારાસભ્યો વગર ચૂંટણીએ જીત્યા હોવાનું જણાવાયું છે. 

૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતની ૨૬ બેઠકો પૈકી ૨૫ બેઠકો પર જ ચૂંટણી થઈ હતી. સુરત લોકસભા બેઠક પરના  ભારતીય જનતા પક્ષના ઉમેદવાર નિર્વિરોધ ચૂંટાયા હતા એટલે તે બેઠક પર મતદાન થયું નહોતું. એ જ વરસે લોકસભા સાથે પૂર્વોત્તર રાજ્ય અરુણાચલ પ્રદેશ વિધાનસભાની ૬૦ બેઠકોની ચૂંટણી હતી. અરુણાચલની આ ચૂંટણીમા ૧૦ બેઠકો પરના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા. તાજેતરની ગુજરાતની પાલિકા-પંચાયતોની ચૂંટણીમાં ૭૦૦ કરતાં વધુ બેઠકો પરના ઉમેદવારો બિનહરીફ વિજયી થયા છે. તેમાંથી મોટા ભાગના ઉમેદવારો સ્વાભાવિક જ બી.જે.પી.ના છે. પરંતુ નવાઈની વાત તો એ છે કે કાઁગ્રેસના ૧૨ ઉમેદવારો અને ૩ અપક્ષો પણ બિનહરીફ થયા છે. ગુજરાતમાં ત્રણ દાયકાથી બી.જે.પી.ની રાજવટ હોય અને કાઁગ્રેસ અસ્તિત્વ માટે ઝઝૂમતી હોય ત્યારે તેને એક ડઝન બેઠકો તેની સામે કોઈ ઉમેદવાર જ ન હોવાથી વગર ચૂંટણી લડે મળે તે આશ્ચર્યજનક સમાચાર નથી શું? વળી આ બાબત બિનહરીફ ચૂંટણી(Uncontested Election)ના મુદ્દાને ઓર પ્રાસંગિક બનાવે છે. 

લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ૧૯૫૧ની ધારા ૫૩(૩)માં બિનહરીફ ચૂંટણી પ્રક્રિયાની જોગવાઈ છે. તે મુજબ જો કોઈ ચૂંટણીમાં ભરવાપાત્ર બેઠકોની સંખ્યા જેટલા જ ઉમેદવારો હોય, દા.ત. એક બેઠક માટે એક જ ઉમેદવાર હોય, તો કોઈ મતદાન કરાવવાનું રહેતું નથી. વગર મતદાને ચૂંટણી અધિકારી ઉમેદવારને બિનહરીફ વિજેતા ઘોષિત કરે છે. આ જોગવાઈ અને તેની અસરો સંબંધે અદાલતો સમક્ષ રજૂઆતો થઈ છે અને છેલ્લે સર્વોચ્ચ અદાલતે પણ નિર્વિરોધ ચૂંટણી અંગે કેટલાક આકરા નિરીક્ષણો કર્યા છે. 

સુપ્રીમ કોર્ટે બિનહરીફ ચૂંટાવા બાબતે થયેલી જાહેરહિતની અરજીઓ પર સરકાર અને ચૂંટણી પંચનો જવાબ માંગ્યો છે. દરમિયાનમાં સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે વગર ચૂંટણીએ કોઈ ઉમેદવારને બિનહરીફ વિજેતા ઘોષિત કરવો તે લોકતાંત્રિક મૂલ્યોની વિરુદ્ધ છે. બિનહરીફ ઉમેદવારને ચૂંટાયેલો જાહેર કરતાં પહેલા તેણે અમુક લઘુતમ મતો તો મેળવ્યા જ હોવા જોઈએ તેવી જોગવાઈ થવી જોઈએ તેમ પણ સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે. નિર્વિરોધ વિજેતા માટે લઘુતમ મતોની અનિવાર્યતાની જોગવાઈ લોકતાંત્રિક પ્રક્રિયાને વધુ પારદર્શી અને મજબૂત બનાવી શકે છે. 

નાગરિકોના મતદાનના અધિકાર(Right to Vote)ની સુરક્ષા માટે જરૂરી છે કે બિનહરીફ ઉમેદવાર મતદારોનું પર્યાપ્ત સમર્થન મેળવે. મતદારોને પણ અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનો જે મૂળભૂત અધિકાર મળ્યો છે તે મતદાન દ્વારા જ તે વ્યક્ત કરે છે. જો વગર મતદાને તેમનો લોક્પ્રતિનિધિ ચૂંટાઈ જાય તે ભલે કાયદેસર કે બંધારણીય હોય પણ મતદારોનું તે સાચું પ્રતિનિધિત્વ કરતો નથી તેમ કહી શકાય. મતદારોને પોતાની પસંદગી વ્યક્ત કરવાનો અધિકાર મતદાન થકી મળે તે પહેલાં જ તે ચૂંટાયેલો જાહેર થઈ જાય તેનાથી મતદારોની લાગણી અને લોકતાંત્રિક ભાવના આહત થાય છે. 

ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જસ્ટિસ સૂર્યકાંત તો કહે છે કે જો કોઈને ૫ ટકા મતદારોનું પણ સમર્થન નથી અને તે પૈસાના જોરે કે સત્તાના બળે બધા ઉમેદવારોને મનાવી લે છે તો આવા ઉમેદવારને લોકપ્રતિનિધિ તરીકે સંસદ કે વિધાનગૃહમાં પ્રવેશવાનો કોઈ અધિકાર જ નથી. 

બિનહરીફ ચૂંટાતો ઉમેદવાર મતદારોનો નોટા કે નકારનો મત, જેના દ્વારા મતદારો મતપત્રમાં જણાવેલ પૈકીનો એકેય ઉમેદવાર તેના મતને પાત્ર નથી, તેવી જે જોગવાઈ છે તેનો ઉપયોગ કરે છે,  તેને રોકે છે. બિનહરીફ ચૂંટાવાથી મતદારને નોટાનો અધિકાર વ્યક્ત કરવાની તક મળતી નથી. ૨૦૧૩નો સુપ્રીમ કોર્ટનો એક આદેશ જણાવે છે તે પ્રમાણે નોટા પસંદ કરીને નકારાત્મક મત આપવાનો મતદારનો હક બંધારણના અનુચ્છેદ ૧૯ મુજબ સંરક્ષિત છે. આ અધિકાર ચૂંટણી લડતા ઉમેદવારોની સંખ્યાથી સ્વતંત્ર છે. એટલે માત્ર એક જ ઉમેદવાર હોવાથી ચૂંટણી ન કરાવવી તે મતદારોના નોટાના અધિકારનું હનન છે. જો કે સરકારનો મત છે કે લોકપ્રતિનિધિત્વ અધિનિયમ ૧૯૫૧ની ધારા ૭૯(બી) હેઠળ નોટાને ઉમેદવાર માનવામાં આવતો નથી. એટલે બિનહરીફ વિજેતાના કિસ્સામાં મતદાન કરાવવાની માંગણી કરવી અને નોટાના ઉપયોગની છૂટ આપવી તે વાજબી નથી. 

વગર ચૂંટણીએ લોકસભા કે ધારાસભાના સભ્ય થઈ જવાનું આ વલણ જો વધે તો તેના માઠા પરિણામો આવી શકે છે. ૨૦૨૪માં સુરત લોકસભા સીટ પર કુલ ૨૯.૪૦ લાખ મતદારો હતા. બિનહરીફ ચૂંટણીને કારણે આશરે ત્રીસ લાખ મતદારોના પ્રતિનિધિ એક પણ મત મેળવ્યા સિવાય મેમ્બર ઓફ પાર્લામેન્ટ બની શક્યા છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓમાં કુલ બેઠકોના આશરે ૧૦ ટકા પણ બિનહરીફ ચૂંટાયા છે તો તેમણે પણ લાખો મતદારોનું મતદાન દ્વારા કોઈ સમર્થન મેળવ્યું નથી. એ દૃષ્ટિએ વિચારતાં આ બાબત મતદારોની પસંદગીની તકને છીનવે છે, તેમની મતદાન થકી લોકશાહીમાં ભાગીદારીને સીમિત કરે છે. કેમ કે મતદાન નહીં થવાથી મતદારો તેમના પસંદગીના ઉમેદવારને ચૂંટી શકતા નથી કે બિનહરીફ જાહેર થયેલને નકારનો મત પણ આપી શકતા નથી. 

ગાંધીજીએ સર્વસંમતિ આધારિત શાસનની પરિકલ્પના કરી હતી. પરંતુ સમરસ પંચાયતો કે બિનહરીફ ચૂંટણી  ન તો ગાંધીની પરિકલ્પના પ્રમાણે છે કે ન તો લોકતંત્રના સિદ્ધાંતો પ્રમાણે છે. આ તો નિષ્પક્ષ પ્રતિનિધિત્વનો છેદ ઉડાડે છે. ભારતમાં લોકશાહી અને ચૂંટણી પ્રક્રિયા પોણી સદી વટાવી ગઈ છે અને ખાસ્સી પુખ્ત થઈ ગઈ છે. આજે દેશમાં રાજકીય પક્ષો વધ્યા છે તો ચૂંટણી લડવાની મહત્ત્વાકાંક્ષા સેવનારા લોકો પણ વધ્યા છે એટલે ઉમેદવારોની સંખ્યા અને હરીફાઈ વધવી જોઈએ. બિનહરીફ ચૂંટણી તો અતિ દુર્લભ કે ભાગ્યે જ બનતી ઘટના બનવી જોઈએ. તેના બદલે તેનું ચલણ વધી રહ્યું છે. 

“વિધિ: સેન્ટર ફોર લીગલ પોલિસી” અને અન્યની જાહેર હિતની અરજીઓ પર સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી થવાની છે. બિનહરીફ ચૂંટણી સંદર્ભમાં લઘુતમ લોક સમર્થનની અનિવાર્યતા લાગુ પાડવામાં આવે તો ચૂંટણી પ્રક્રિયામાં લોકોની ભૂમિકા અને મહત્ત્વ જરૂર વધશે. લોકતાંત્રિક આદર્શોની સુરક્ષા સુનિશ્ચિત કરવા બિનહરીફ ચૂંટણી પર લગામ લગાવવી પડશે.

e.mail : maheriyachandu@gmail.com 

Loading

...102030...52535455...607080...

Search by

Opinion

  • એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”
  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે
  • ચલ મન મુંબઈ નગરી—353

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ
  • લૂંટ શકે તો લૂંટ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved