Opinion Magazine
Number of visits: 10080494
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માણસ સિવાય બધું મોંઘું થઈ રહ્યું છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|18 May 2026

રવીન્દ્ર પારેખ

ગાજ્યા મેહ વરસતા નથી એમ કહેવાય છે, પણ ગાજતી સરકાર વરસે છે તે પુરવાર કરવા જવું પડે એમ નથી. ઈરાન-અમેરિકા-ઇઝરાયલ યુદ્ધની અસર ઈરાન કે ઇઝરાયલ કે અમેરિકાને થાય એથી વધુ કદાચ ભારતમાં વર્તાઈ રહી છે. બીજા કોઈ દેશમાં યુદ્ધનો એટલો બૂમાટો નથી, જેટલો ભારતમાં છે. અન્ય દેશોને પણ યુદ્ધની અસર છે જ, પણ આપણે ત્યાં એનો પૂરેપૂરો લાભ કેમ લેવાય એવી ગણતરીથી કારભાર ચાલે છે. એવું હોય તો તે ખોટું છે. તેલ, ગેસની કટોકટી વૈશ્વિક છે, પણ ભાવ નહીં વધારવાનું કહી કહીને સરકાર બધું જ મોંઘું કરતી જઈ રહી છે.

ભારતની તેલ કંપનીઓ યુદ્ધને કારણે એટલી ગરીબ થઈ ગઈ છે કે અગાઉના તોતિંગ નફા છતાં, જન્મથી જ ખોટમાં ચાલતી હોય એવો કકળાટ કરે છે. એ લાચારીને પેટ્રોલિયમ મંત્રી કંપનીઓની રોજિંદી ખોટ આગળ કરીને વટાવી રહ્યા છે. વાસ્તવિક ચિત્ર સારું ન હોય ને પગલાં લેવાં પડે તે સમજી શકાય, પણ જે તે પરિસ્થિતિનો કેવી રીતે લાભ ઉઠાવાય તે સરકારથી લઈને પ્રજા સુધીમાં જોવા મળે છે. ઇંધણના ભાવ વધારવા જ પડશે એવી વારંવારની જાહેરાત છતાં ન વધારીને લોકોની સહાનુભૂતિ ઉઘરાવવાનો સસ્તો કીમિયો સરકારે કરી લીધો ને છેવટે તો એ લટકતી તલવાર પ્રજાને માથે પડી જ છે. થોડો પણ સમય આપ્યા વગર સરકારે મધ્યરાત્રિની ભાવ વધારવાની પેટર્ન બદલીને હવે સવારના ત્રણની કરી છે ને 15મીની વહેલી સવારથી પેટ્રોલ, ડિઝલની કિંમત વધી ગઈ છે.

પેટ્રોલ-ડિઝલ લિટરે લગભગ ત્રણ ત્રણ રૂપિયા વધી ગયું છે. પેટ્રોલ, ડિઝલની સાથે સી.એન.જી. પણ કિલોએ 2 રૂપિયા વધી ગયો છે. તેમાં અદાણીનો વધારો તો કિલોએ 2.25નો છે. પેટ્રોલમાં લિટરે 2.99 અને ડિઝલમાં લિટરે ૩.09 વધ્યા છે. પેટ્રોલનો નવો ભાવ 94.51થી વધીને 97.50 થયો છે, તો ડિઝલનો નવો ભાવ 90.20થી વધીને 93.29 થયો છે. એ સાચું છે કે યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડતેલમાં બેરલ દીઠ 100થી વધુ ભાવ થતાં ભાવ વધવાની શક્યતાઓ હતી જ, પણ સરકારે ભાવવધારા માટે પ્રજાને માનસિક રીતે એવી તૈયાર કરી કે જોર કા ઝટકા ધીરે સે લગે.

ઓઈલની તંગી માટે ને ભાવ વધારા માટે સરકારે ગેસ, પેટ્રોલ, ડિઝલનો ઉપયોગ સંયમથી કરવાનું કહ્યું, બીજી બાબતોમાં પણ કરકસર કરવાનું, સોનું ન ખરીદવાનું, વાહનને બદલે મેટ્રોમાં મુસાફરી કરવાનું ને એવું ઘણું ઘણું કહેવાયું, ત્યારે પણ સૂચન તો એ જ મળતું હતું કે ભાવ વધશે ને વધ્યા. આ ભાવ વધારો સરકારે તેલ કંપનીઓની જંગી ખોટમાં થોડો નફો કરાવવા કર્યો હોવાનો વહેમ પડે છે. બાકી, કંપનીઓ જે ખોટ કરે છે એ હિસાબે તો નહીં નફો, નહીં નુકસાન માટે પેટ્રોલ લિટરે 28 અને ડિઝલ લિટરે 30 વધવા જોઈએ. કહેવાનું તાત્પર્ય એ છે કે કંપનીઓની જંગી ખોટ પૂરવા હજી ઇંધણના ભાવ વધે એની પૂરી તૈયારી પ્રજાએ રાખવાની છે.

એ ખરું કે સરકારે તેલના ભાવ ન વધે એ માટે સ્પેશિયલ એક્સાઈઝ ડ્યૂટીમાં 10-10 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. એટલે ડ્યૂટી 13થી ઘટીને ૩ અને 10થી ઘટીને ૦ થઈ ગઈ હતી. એટલે ભાવ ન વધે તે માટે પ્રયત્નો નથી થયા એવું નથી, ભાવ સ્થિર રાખવા સરકાર તો મથામણ કરે જ છે, તાજેતરમાં જ પેટ્રોલ-ડિઝલની યુ.એ.ઈ. સાથે ૩ કરોડ બેરલ ક્રૂડ ઓઈલની ઐતિહાસિક ડીલ વડા પ્રધાને કરી. પણ, સવાલોનો સવાલ એ છે કે સરકારની ચારે કંપનીઓ 2024-‘25 સુધી અબજો રૂપિયાનો નફો રળતી હતી તે નફો, ખોટની ગણતરીમાં કેમ ન લેવાયો? કંપનીઓ ખરેખર ખોટમાં ચાલે છે કે તે નફામાં ખોટ ખાઈ રહી છે, તેનો ખુલાસો થવો ઘટે.

પેટ્રોલ-ડિઝલના ભાવ સ્થિર રહેવા જ જોઈએ, કારણ એ વધે છે તો ટ્રાન્સપોર્ટેશન મોંઘું થાય છે. એ મોંઘું થાય છે તો ચીજવસ્તુઓની હેરાફેરી પર એની અસર પડે છે ને એ ચીજવસ્તુઓ મોંઘી થાય છે ને  મોંઘવારી વધે છે. એપ્રિલમાં જ મોંઘવારી બેકાબૂ થઈ ગઈ છે. ફુગાવાનો દર માર્ચમાં ૩.88 ટકા હતો તે એપ્રિલમાં 8.૩ ટકા થયો છે. એક જ મહિનામાં મોંઘવારી દર 4.45 ટકા વધી ગયો છે. એ સાથે જ એક્સપર્ટ ધમકી આપતા હોય તેમ પૂરી શરમ છોડીને કહેતા ફરે છે કે મોંઘવારી 8.૩થી વધીને 9 ટકા સુધી જઈ શકે છે.

હજી પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાથી ચીજવસ્તુઓનો ભાવ વધારો તો બાકી જ છે, તે પહેલાં અમુલે દૂધમાં લિટરે 2 રૂપિયાનો વધારો ઝીંકી દીધો છે. આ વખતે સરકાર, ગેસના ભાવમાં વધારો નથી કર્યો એવું આશ્વાસન લેવા પ્રજાને પ્રેરી શકે. ગેસના દાંડિયા તો ઓલરેડી ઠોકાઈ ચૂક્યા છે. એ ખરું કે ઘરેલું ગેસના સિલિન્ડરમાં કોઈ વધારો નથી થયો, પણ 19 કિલોના કમર્શિયલ ગેસ સિલિન્ડરમાં ત્રણ વાર વધારો ઝીંકાવાથી ભાવ 3,071 પર પહોંચી ગયો છે અને નાના સિલિન્ડરના ભાવમાં પણ 261 રૂપિયા વધી ગયા છે, એટલે ગેસમાં વધારો આ વખતે જ થયો નથી, પણ તે તો મેની શરૂઆતમાં જ થઈ ચૂક્યો છે.

અત્યારનું સરકારી વલણ કરકસરનું અને નવા ભાવો જનતા જીરવતી રહે એ પ્રકારનું છે. બધું જ વધે છે ને માણસ ‘ઘટતો’ જાય છે. પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા પછી, પરિવહનમાં અને અન્ય આનુષાંગિક ચીજ વસ્તુઓમાં ભાવ વધારો તો થતા થશે, પણ તે પહેલાં જ એટલી ચીજ વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે જેનો પાર નથી. ટીન અને મેટલ કન્ટેનર પેકેજિંગમાં પણ 15 ટકાનો વધારો થયો છે. કેટલીક કંપનીઓનાં કુલ ખર્ચના 20 ટકા આવાં પેકેજિંગમાં ખર્ચાય છે. આ બધો જ બોજ ખરીદનાર પર પડે છે. પશ્ચિમ એશિયા સંઘર્ષને લીધે ઊર્જા કટોકટી તો વધી જ છે ને તે પહેલાં પણ ભાવ વધારો તો થતો જ રહ્યો છે. છેલ્લા બે મહિનામાં ખાદ્યતેલ, મસાલા, સૂકો મેવો, સૂકી ચા, સાબુ, શેમ્પૂ ને અન્ય ચીજ વસ્તુઓમાં 10 ટકાથી લઈને 30 ટકા સુધી ભાવો વધી ચૂક્યા છે. આમાં રમત એ રીતે પણ થાય છે કે ઉત્પાદનની માત્રા ઘટાડાય છે ને પછી કિંમતો વધારી દેવાય છે. ક્યાંક ક્યાંક ભાવ નથી વધતા, પણ પેકેજમાં આવતી વસ્તુનું વજન ઘટાડી દેવાય છે.

છેલ્લા બે મહિનામાં ખાદ્યતેલમાં લિટરે 30 રૂપિયા વધી ચૂક્યા છે ને આ વધારો પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા સંદર્ભે ચાલુ રહેવાનાં એંધાણ વર્તાયા કરે છે. ખાદ્યતેલ અને પેટ્રોલ-ડિઝલ મોંઘુ થાય તેમાં નવાઈ નથી, કારણ બંને આયાત કરવા પડે છે. ઇંધણ આયાત કરવું પડે તે સમજાય, પણ ખાદ્યતેલ પણ આયાત કરવું પડે એ કેવું ?આઝાદીના આટલાં વર્ષ પછી પણ એ સ્થિતિ કેમ નથી કે ખાદ્યતેલને મામલે આપણે આત્મનિર્ભર બનીએ કે ‘આત્મનિર્ભર ભારત’ ખાલી સૂત્ર જ છે?

એ દુખદ છે કે કોરોના વખતે દુનિયાએ ભારે કટોકટીનો સામનો કર્યો, તે પછી યુદ્ધો ફાટી નીકળ્યાં છે ને હવે ઊર્જા સંકટ આવ્યું છે. આમ જ ચાલ્યાં કરશે તો વિશ્વે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે-એવું વડા પ્રધાન મોદીનું કહેવું છે. દેખીતું છે કે આમને આમ ચાલ્યા કરશે તો પ્રાપ્ત કરેલી સિદ્ધિઓનો પણ કોઈ અર્થ રહેશે નહીં. એકંદરે આ દાયકો આપત્તિઓનો દાયકો બની રહે એમ બને. આ પરિસ્થિતિ ન બદલાય તો છેલ્લા ઘણાં દાયકામાં જે મેળવ્યું છે, તે નિરર્થક થઈ જશે.

આમ યુદ્ધની પરિસ્થિતિએ ક્રૂડ ઓઈલના ભાવ વધાર્યા ને ભારતને અનેક મુશ્કેલીઓનો સામનો કરવાનો આવ્યો છે એ સાચું છે, પણ તે સાથે જ સરકારની કમાઈ લેવાની વૃત્તિ માઝા મૂકતી નથી તે વધુ દુખદ છે. નવી ટેકનિક એ છે કે ઇંધણના ભાવ વધવા પહેલાં જ બધું મોંઘુ કરી દેવાય છે જેથી ઇંધણના ભાવ વધારાને કારણે ફરી બધું આપોઆપ જ મોંઘું થઈ શકે ને તેનો બચાવ પણ હોય કે ઇંધણ મોંઘુ થયું, તો શું કરીએ? પ્રજા અને સરકાર, બંને, છેતરવામાં એકબીજાની સ્પર્ધામાં છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 18 મે 2026

Loading

ટ્રમ્પની બેઈજિંગ મુલાકાતઃ અમેરિકાના માનસિક વર્ચસ્વના અંતનું સ્પષ્ટ થતું ચિત્ર

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|17 May 2026

દાયકાઓ સુધી વોશિંગ્ટન માનતું રહ્યું કે વૈશ્વિકીકરણ અંતે બેઇજિંગને પશ્ચિમી મૂલ્યો તરફ દોરી જશે. પરંતુ તેનાથી સાવ વિપરીત, ચીને વૈશ્વિક પૂંજીવાદી વ્યવસ્થામાં પારંગતતા મેળવી, અને તે પણ પોતાની રાજકીય સર્વભૌમતાનું સમર્પણ કર્યા વગર.

ચિરંતના ભટ્ટ

દાયકાઓ સુધી અમેરિકન સત્તાની કોરિયોગ્રાફી એક સરખી રહી છે. વૉશિંગ્ટનની સીનમાં એન્ટ્રી થાય તે પહેલાં બીજા દેશો પોતાની ભાષા સાચવી લેતા. અમેરિકાના સાથી દેશો પોતાની ટીકા નરમ પાડતા. પ્રતિસ્પર્ધીઓ પોતાના શબ્દો જોખીને બોલતા. આટલું ઓછું હોય તેમ વિરોધી દેશો પણ વૈશ્વિક સત્તાના ક્રમના વ્યાકરણને સમજી ગયા હતા, કડવો ઘુંટડો હતો પણ તો ય ગળે ઉતાર્યો હતો. વિરોધીઓ જાણતા હતા કે ગમે કે ન ગમે પણ અમેરિકા બીજા દેશોને ચેતવણી આપી શકે, પ્રતિબંધ મૂકી શકે, તેમને અલગ પાડી શકે, પણ એમાં અમેરિકાને કોઈ આડે ન આવી શકે. બહુ ઓછા દેશો જાહેરમાં અમેરિકાએ શું કરવું અને શું નહીં તે કહી શકતા. એટલા માટે જ ડોનાલ્ડ ટ્રમ્પની બેઈજિંગની મુલાકાતની આસપાસ વિંટળાયેલી પ્રતીકાત્મકતા રાજદ્વારી મંચ પરના પરફોર્મન્સથી ઘણી અલગ અને આગળ વધેલી ઘટના છે. 

ટ્રમ્પ બેઇજિંગ પહોંચે તે પહેલાં જ ચીની દૂતાવાસે જાહેરમાં કહી દીધું હતું કે અમેરિકા ચીન-અમેરિકા સંબંધોની કહેવાતી “ફોર રેડ લાઇન્સ”ને પડકારવી નહીં; જેમાં તાઇવાન, લોકશાહી અને માનવાધિકાર, ચીનની રાજકીય વ્યવસ્થા અને ચીનનો પોતાના વિકાસનો અધિકાર સામેલ હતા. આ સંદેશો શાંતિથી બૅકચેનલ રાજદ્વારી શૈલીમાં નહોતો અપાયો. આ વાત ખુલ્લેઆમ એક ટ્વીટ તરીકે X પર પ્રસારિત કરવામાં આવી. એક એવું  પ્લેટફોર્મ જેની પર ચીનમાં પ્રતિબંધ છે. આ પગલામાં ચીનનો વ્યૂહાત્મક ઇરાદો સ્પષ્ટ દેખાતો હતો.

આ ઘટનાનું મહત્ત્વ માત્ર ચેતવણીમાં નથી, પરંતુ તેની પાછળ રહેલા આત્મવિશ્વાસમાં છે. એક સમય એવો હતો જ્યારે અમેરિકન રાષ્ટ્રપતિને આવી ભાષામાં સંબોધવું કોઈપણ દેશ માટે; પરમાણુ ક્ષમતા ધરાવત સમકક્ષ દેશોને છોડીને, લગભગ અકલ્પનીય હતું. પહેલાં પણ, શીત યુદ્ધ દરમિયાન મોસ્કોની ચેતવણીઓ મોટે ભાગે સીધી સૈન્ય અથડામણના સંજોગોમાં સંભળાતી. પણ ચીનનું આ નિવેદન એવા રાજકીય પ્રવાસ પહેલાં આવ્યું, જેનો હેતુ દેખીતી રીતે યુ.એસ.એ.-ચીનના સંબંધોને સ્થિર બનાવવાનો હતો. એ તફાવત ઐતિહાસિક રીતે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. બેઇજિંગે કોઈ નબળા રાષ્ટ્ર તરીકે આ વાત બચાવ માટે નહોતી મૂકી પણ તે સમકક્ષ સ્થિતિમાં રહી વાટાઘાટ કરી રહ્યું હતું.

આ એક બાબત જ 21મી સદીના સૌથી મોટા ભૂરાજકીય પરિવર્તનોમાંની એકને ચિહ્નિત કરે છે. ચીનના ઉદયને અત્યાર સુધી GDPના આંકડા, સૈન્ય ક્ષમતા, સેમિકન્ડક્ટર સ્પર્ધા, બેલ્ટ એન્ડ રોડ કોરિડોર અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ એટલે કે કૃત્રિમ બુદ્ધિમત્તામાં કરાયેલા રોકાણોથી માપવામાં આવ્યો છે. પરંતુ સત્તા માત્ર ભૌતિક નથી હોતી; તે માનસિક પણ હોય છે. કોઈ દેશ ત્યારે સાચા અર્થમાં સુપરપાવર બને છે, જ્યારે તે વૈશ્વિક પ્રભુત્વ ધરાવતા દેશનું પોતાને કેવું વર્તન સ્વીકાર્ય છે તેની મર્યાદાઓ નક્કી કરવા લાગે. ચીન હવે માત્ર અમેરિકન દબાણ પર પ્રતિક્રિયા આપતો દેશ નથી રહ્યું; તે હવે અમેરિકન વર્તનની સ્વીકાર્ય સીમાઓ નિયત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ માત્ર વ્યૂહરચનાનો ફેરફાર નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય સંબંધોના મૂળ વ્યાકરણમાં થતો ફેરફાર છે.

ચીની ચેતવણીઓ ખાસ કરીને એટલા માટે વધુ નોંધપાત્ર હતી કારણ કે તે માત્ર વ્યૂહાત્મક મુદ્દાઓ સુધી મર્યાદિત નહોતી; તેણે વિચારધારાત્મક ક્ષેત્રને પણ સીધો સ્પર્શ કર્યો હતો. બેઇજિંગે “લોકશાહી અને માનવાધિકાર” જેવા વિષયોને પણ એવી બાબતોમાં ગણાવ્યા, જેને અમેરિકાએ હથિયાર તરીકે ઉપયોગમાં ન લેવા જોઈએ. ટૂંકમાં, ચીને આડકતરી જાહેરાત કરી કે એકતરફી નૈતિક ઉપદેશોના યુગનો અંત આવી રહ્યો છે. વિશ્વ ચીનની આ સ્થિતિ સાથે સહમત છે કે નહીં, તે અહીં લગભગ ગૌણ બાબત છે. મહત્ત્વની વાત એ છે કે ચીન હવે પોતાને આ વાત ખુલ્લેઆમ કહેવા જેટલો શક્તિશાળી દેશ અનુભવે છે; અને અમેરિકા પણ હવે એ જ માળખા કે મર્યાદામાં રહીને સંબંધો સાચવવા મજબૂર છે.

અહીં માત્ર આ નિવેદન નહીં પણ એ કહેવા માટે જે પ્લેટફોર્મનો ઉપયોગ કરાયો એ પણ મહત્ત્વપૂર્ણ છે. ચીને સોશિયલ મીડિયા રાજદ્વારીનો આક્રમક અને ગણતરીપૂર્વક ઉપયોગ કર્યો, અને વાટાઘાટો શરૂ થાય તે પહેલાં જ X પર પોતાની “રેડ લાઇન્સ” જાહેર કરી દીધી. આ માત્ર કોમ્યુનિકેશન નહોતું; આ પૂર્વ-સ્થાપિત માનસિક મંચ તૈયાર કરાયો હતો. બેઇજિંગ સમજી ચૂક્યું હતું કે મુલાકાતની શરતો જાહેરમાં ઘોષિત કરવાથી ટ્રમ્પ બેઇજિંગ પહોંચે તે પહેલાં જ વૈશ્વિક માહિતી અને સંજોગોને પ્રભાવિત કરી શકાય. આ સંદેશાના ઑડિયન્સમાં માત્ર વોશિંગ્ટન નહોતું પણ દરેક વિકાસશીલ અર્થવ્યવસ્થા, દરેક અસ્થિર સાથી દેશ અને દરેક એવા રોકાણકાર હતો, જેને જોવું હતું કે અમેરિકા ચીનમાં કમાન્ડર તરીકે પહોંચે છે કે અરજદાર તરીકે. ટૂંકમાં ચીને અમેરિકાને તેનો રોલ પોતાને ઘરે પધારે તે પહેલાં સમજાવી દીધો.

ટ્રમ્પ સાથે આવેલા પ્રતિનિધિમંડળની છબી પોતે જ આ પ્રશ્નનો જવાબ આપી રહી હતી. ટ્રમ્પ સાથે ઇલોન મસ્ક, જેન્સન હુઆંગ, ટિમ કુક, લેરી ફિંક, ડેવિડ સોલોમન જેવા અમેરિકાના સૌથી પ્રભાવશાળી કોર્પોરેટ ચહેરાઓ હાજર હતા. આ દૃશ્ય અસાધારણ હતું અને ઘણું કહી જતું પણ હતું: ટ્રમ્પ બેઈજિંગ પહોંચ્યા ત્યારે વિશ્વમાં સૌથી શક્તિશાળી સૈન્ય શક્તિ ધરાવતા દેશના નેતા નહીં પણ ચીનના બજારમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા એક વ્યાપારી મિશનની આગેવાની કરતા અમેરિકન રાષ્ટ્રપતિ તરીકે પહોંચ્યા. 

અગાઉના માનવામાં આવતું કે આર્થિક એકીકરણ અંતે ચીનને રાજકીય રીતે ઉદાર બનાવશે. હવે આ સિદ્ધાંત સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયો છે. દાયકાઓ સુધી વોશિંગ્ટન માનતું રહ્યું કે વૈશ્વિકીકરણ અંતે બેઇજિંગને પશ્ચિમી મૂલ્યો તરફ દોરી જશે. પરંતુ તેનાથી સાવ વિપરીત, ચીને વૈશ્વિક પૂંજીવાદી વ્યવસ્થામાં પારંગતતા મેળવી, અને તે પણ પોતાની રાજકીય સર્વભૌમતાનું સમર્પણ કર્યા વગર. વોશિંગ્ટન જેને અશક્ય માનતું હતું, ચીને એ જ હકીકત બનાવી બતાડી દીધું. ચીને આર્થિક આધુનિકીકરણ કર્યું, પરંતુ સાથે સાથે પાર્ટી-સ્ટેટ નિયંત્રણને જાળવી રાખ્યું, એટલું જ નહીં પણ તેને મજબૂત પણ બનાવ્યું. બેઇજિંગે વૈશ્વિકીકરણનો ઉપયોગ પશ્ચિમીકરણનો વિરોધ કરી શકે તેવું જ લૅવરેજ એકઠું કરવા માટે કર્યો.

આ વિરોધ હવે માત્ર રાજકીય નથી રહ્યો; તે સંસ્થાગત, તકનીકી અને વિચારધારાત્મક રૂપ ધારણ કરી ચૂક્યો છે. આ કારણે ટ્રમ્પની આ મુલાકાત પાછળની અસલ કહાની એક સાચા અર્થમાં બાયપોલર એટલે કે બે ધ્રુવ ધરાતી વૈશ્વિક વ્યવસ્થાની શરૂઆતની છે. શીત યુદ્ધ બાદ અમેરિકા જેને વિદ્વાનો “યુનિપોલર મોમેન્ટ” કહે છે તે સ્થિતિમાં કામ કરતો દેશ હતો; બેજોડ સૈન્ય શક્તિ અને તેની પહોંચ પણ મજબૂત, રિઝર્વ કરન્સી તરીકે ડૉલરનું પ્રભુત્વ, ટેક્નોલોજીકલ સર્વોચ્ચતા, સાંસ્કૃતિક પ્રભાવ અને મજબૂત સાથી દેશોની રચના. દેશોને અમેરિકાપ્રધાન વૈશ્વિક વ્યવસ્થામાંથી બહાર ફેંકાઈ જવાનો ભય રહેતો હતો. ટૂંકમાં અમેરિકા ક્લાસનો એ છોકરો હતો જેના સર્કલમાં રહેવું દરેક માટે જરૂરી હતું. 

સોવિયેત સંઘના પતન પછી લગભગ ત્રણ દાયકા સુધી દુનિયા પોતાને અમેરિકન પસંદગીઓ મુજબ ઢાળતી રહી. આજે દૃશ્ય બદલાઈ ગયું છે: મલ્ટીનેશનલ કંપનીઓના CEO, રોકાણકારો અને અમેરિકાના સાથી દેશો સુદ્ધાં હવે ચીનની “રેડ લાઇન્સ”ને ધ્યાનમાં રાખીને પોતાનો વહેવાર નક્કી કરે છે. દુનિયા હવે માત્ર એક જ રાજધાનીની પરિક્રમા કરતી રહી નથી.

આજે ચીન એક વૈકલ્પિક આકર્ષણ-કેન્દ્ર બની ચૂક્યો છે, ઓછામાં ઓછો આર્થિક રીતે તો ચોક્કસ, ભલે વિચારધારાત્મક રીતે હજી ચીન સર્વવ્યાપક દેશ ન બન્યો હોય.

બેઇજિંગ હવે કોઈ ઊગતા દેશની માફક પોતાને સમાવી લેવા માટે અરજી નથી કરતું. બલકે, એક સ્થાપિત શક્તિની જેમ પોતાના સર્વભૌમ ક્ષેત્રનું રક્ષણ કરતું હોય તેમ જ વર્તે છે. ચીની અધિકારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે તાઇવાન મુદ્દે ખોટી રીતે આગળ વધવામાં આવશે તો સમગ્ર દ્વિપક્ષીય સંબંધ અસ્થિર થઈ શકે છે. આ ભાષા એવા દેશ જેવી લાગે છે જેને વિશ્વાસ છે કે સમય તેની તરફેણમાં છે, અને આમ થવાનાં કારણો પણ યોગ્ય છે. 

વર્ષોથી ચાલતા ટ્રેડ વોર, પ્રતિબંધો અને “ડિકપલિંગ”ની ચર્ચાઓ છતાં અમેરિકાનો કોર્પોરેટ વર્ગ બેઇજિંગને અવગણી શકતો નથી. સિલિકોન વેલી, વૉલ સ્ટ્રીટ, મેન્યુફેક્ચરિંગ સપ્લાય ચેઇન્સ અને રેર અર્થ પરની નિર્ભરતા જેવી બધી જ બાબતો હજુ ચીન સાથે ઊંડે સુધી જોડાયેલી છે. ટ્રમ્પ સાથે વિમાનમાં બેઠેલા CEOઓ જ આનો જીવંત પુરાવો હતા.

સૈન્ય દૃષ્ટિએ પણ ચીન હવે માત્ર કોન્ટિનેન્ટલ પાવર નથી રહ્યો. તેની નૌકાદળ ક્ષમતા, મિસાઇલ શક્તિ અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં વધતી હાજરીએ વ્યૂહાત્મક સમીકરણ જ બદલી નાખ્યું છે. અમેરિકા આજે પણ વૈશ્વિક સ્તરે વધુ વ્યાપક સૈન્ય શક્તિ પ્રદર્શિત કરી શકે છે, પરંતુ ચીન હવે પોતાના પ્રાદેશિક ક્ષેત્રમાં અમેરિકન પ્રભુત્વને આત્મવિશ્વાસથી પડકારી શકે એટલી તાકાત ધરાવે છે. એ આત્મવિશ્વાસ પણ એક પ્રકારનું પ્રતિરોધક બળ છે.

આનો અર્થ એવો કોઈ કાળે નથી થતો કે ચીને અમેરિકાનું સ્થાન લઇ લીધું છે. અમેરિકા પાસે આજે પણ કોઈ આંબી ન શકે તેવું અલાયન્સ નેટવર્ક છે, રિઝર્વ કરન્સી તરીકે ડૉલરની શક્તિ છે, ઇનોવેશન સિસ્ટમ છે અને મિલિટરી પ્રોજેક્શન તેવું એવું છે કે તેનો કોઈપણ વિરોધી દેશ તેની સાથે ટક્કર લઇ શકે તેવી સ્થિતિમાં નથી. પરંતુ વૈશ્વિક નિયમો અને મૂલ્યો નક્કી કરવાનું જે એકચક્રી સૂકાન અમેરિકા પાસે હતું તેમાં હવે તિરાડ પડી છે એ ચોક્કસ. 

કદાચ આ તિરાડ આપણા સમયની સૌથી અગત્યની જિઓપૉલિટિકલ કથા બને! શી જિનપિંગે ટ્રમ્પનું ભવ્ય સ્વાગત કર્યું, પરંતુ આ રાજદ્વારી કોરિયોગ્રાફીમાં કઠોર વાસ્તવિકતા છુપાયેલી હતી. સત્તાનું સંતુલન એટલું બદલાઈ ચૂક્યું છે કે ચીન હવે અમેરિકન રાષ્ટ્રપતિની મુલાકાત માટે જાહેરમાં રાજદ્વારી પૂર્વશરતો મૂકી શકે છે, અને તે પણ એવા પ્લેટફોર્મ પર, જે  પોતાના દેશમાં પ્રતિબંધિત છે. કદાચ આ એક જ વિગત આખી ઘટનામાં રહેલા ચીનના ખાસ આત્મવિશ્વાસને કોઈપણ સંયુક્ત નિવેદન કરતાં વધુ સ્પષ્ટ રીતે વ્યક્ત કરે છે.

બાય ધી વેઃ 

ટ્રમ્પની આ મુલાકાતમાંથી કરારો બની શકે છે, સિમ્બોલિક પહેલ પણ થાય અને થોડા સમય માટે સંબંધો સ્થિર થાય એમ પણ બને પણ ખરી હેડલાઈન તો કોઈ સંયુક્ત નિવેદનથી ઘણી મોટી છે. શીત યુદ્ધ પછીના સમયમાં પહેલીવાર અમેરિકા એવા પ્રતિસ્પર્ધી સાથે સંવાદ કરે છે જેને હવે પરંપરાગત અર્થમાં અમેરિકાને ખોટું લાગશે તો શું થશે એવો ડર નથી રહ્યો. વિશ્વની રાજકીય વ્યવસ્થા બદલાઇ રહી હોય ત્યારે તેમાં કોઈ નાટકીય ક્ષણ હોય એવું જરૂરી નથી. આ શાંતિથી ખેલાતો ખેલ છે. જેમાં એક દેશ બીજા દેશને જાણે કહી રહ્યો છે કે હવે એક જ મહાસત્તા હોય એવી વિશ્વ વ્યવસ્થા નથી રહી. પાસાં પલટાઇ રહ્યાં છે, સંજોગો બદલાઇ રહ્યાં છે અને ક્લાસમાં સૌથી અગત્યના ગણાતા છોકરાની દાદાગીરીના દિવસો પૂરાં થઇ રહ્યાં છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 17 મે 2026

Loading

હિંદુ ફાસીવાદનું વારણ ગાંધી-નેહરુ-વિનોબા

રમેશ ઓઝા|Opinion - Opinion|17 May 2026

પાંચ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓનાં પરિણામ જોતાં થોડી બહોળા કેનવાસ પર સમગ્રતામાં વાત કરવાની જરૂર ભાસે છે માટે આ લેખશ્રેણી :

રમેશ ઓઝા

જેની કોઈ રાજકીય ગણના નહોતી, જેની એક સમયે ઠેકડી ઉડાડવામાં આવતી હતી, જેની ભારત વિશેની કલ્પનાને શેખચલ્લીના ખ્વાબ તરીકે જોવામાં આવતો હતો એ લોકો ભારતીય રાજ્ય (સત્તા નહીં, રાજ્ય. સત્તા કબજે કરવી અને રાષ્ટ્ર/રાજ્ય – નેશન સ્ટેટ- ને કબજે કરવું એ બેમાં જમીન-આસમાનનો ફરક છે.) પર કબજો કેવી રીતે કરી શક્યા? થોડા વખત પહેલાં મેં મારા એક લેખમાં કનૈયાલાલ મુનશીને ટાંક્યા હતા. તેમણે આઝાદીની પહેલી વર્ષગાંઠ નિમિત્તે ‘હિન્દુસ્તાન ટાઈમ્સ’ માટે લખેલા લેખમાં કહ્યું હતું કે જો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સત્તા પર કબજો જમાવશે તો દેશમાં સંપૂર્ણપણે ફાસિસ્ટ રાજ્ય આકાર લેશે, પણ એવી શક્યતા નહીંવત્ છે. સંઘ ફાસીવાદી છે અને તેનો વિજય એટલે રાષ્ટ્ર/રાજ્ય પર કબજો એ વાત મુનશી અને તેમના જેવા બીજા અનેક લોકો જાણતા હતા, પણ એવું શું હતું કે તેઓ એવી શક્યતા નહીંવત્ જોતા હતા? આખરી પરિણામની તો જાણ હતી, પાક્કી ખાતરી હતી, પણ સંભાવના નહીંવત્ લાગતી હતી.  

મેં જે અભ્યાસ કર્યો છે એમાં બે વ્યક્તિ મેં એવી જોઈ છે જે એ સમયે પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની બાબતમાં સાવધાન હતી. એક જવાહરલાલ નેહરુ અને બીજા વિનોબા ભાવે. આમ તો ત્રણ કહી શકાય. પહેલા મહાત્મા ગાંધી, પણ તેમની સામેનો સંદર્ભ સંસદીય સત્તાકીય રાજકારણનો નહોતો. ગાંધીજીની નિસ્બત અહિંસક સમાજરચના માટેની અને સાધનશુદ્ધિ માટેની હતી. તેમણે કહ્યું છે અને વિનાયક દામોદર સાવરકરનું તો નામ લઈને કહ્યું છે કે તેઓ હિંસામાં માને છે, એ પણ વળી સમી છાતીએ (બહાદુર ક્રાંતિકારીઓની માફક) પોતે હિંસા કરવામાં માનતા નથી, પણ પાછળ રહીને હિંસા કરાવે છે અને સાધનશુદ્ધિમાં માનતા નથી. આ વાત તેમણે ૧૯૦૯માં મદનલાલ ઢીંગરાએ કર્નલ વાઈલીનું લન્ડનમાં ખૂન કર્યું ત્યારે ‘ઇન્ડીઅન ઓપિનિયન’માં લેખ લખીને કહી હતી. તેમણે તેમના લેખમાં લખ્યું હતું કે ખૂન મદનલાલ ઢીંગરાના હાથે કરાવવામાં આવ્યું છે. ખૂની એ નથી જેણે ખૂન કર્યું છે, ખૂની એ છે જેણે એને ખૂન કરવા પ્રેર્યો છે. પ્રેરકે આગળ આવીને જવાબદારી લેવી જોઈએ. આ વાત એ પછી પણ બે-ચાર વાર કહી છે. તમારી હિંસામાં શ્રદ્ધા હોય તો વાંધો નહીં, પણ સામે ઊભા રહીને ખુલ્લી છાતીએ કરો. કોઈને ઉશ્કેરીને બીજા દ્વારા હિંસા કરાવવી એ કાયરતા છે. 

ગાંધીજીની હત્યા પછી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. એ પ્રતિબંધ ઉઠાવી લેવો જોઈએ કારણ કે ગાંધીજીના હત્યારા નાથુરામ ગોડસેનો સંઘ સાથે એ સમયે સીધો સંબંધ નહોતો, એવું માનનારા કાઁગ્રેસમાં અનેક લોકો હતા અને એ વાત સાચી પણ હતી. પરંતુ આ સિવાય પણ એક કારણ હતું. કાઁગ્રેસની અંદરના જમણેરી નેતાઓને એમ લાગતું હતું કે આ જમાત ત્રણ રીતે કામની છે. એક તો તેઓ મુસ્લિમ કોમવાદને અંકુશમાં રાખી શકે એમ છે. બીજું વખત આવ્યે તેઓ સામ્યવાદ અને સામ્યવાદીઓને ખાળવામાં મદદરૂપ થઈ શકે એમ છે અને ત્રીજું તેઓ કાઁગ્રેસની અંદર સમાજવાદી વિચારો ધરાવનારા ડાબેરી નેતાઓની વગ ઘટાડવામાં ઉપયોગી થઈ શકે એમ છે. કોઈકને મુસ્લિમ કોમવાદનો ભય હતો, કોઈકને સામ્યવાદનો ભય હતો (૧૯૫૭માં કેરળમાં સામ્યવાદીઓ લોકતાંત્રિક માર્ગે સત્તા સુધી પહોંચ્યા ત્યારે તો ભય આસમાને પહોંચ્યો હતો) અને કોઈકને કાઁગ્રેસ સમાજવાદનો માર્ગે અપનાવે એ વાતનો ભય હતો. મોટા ભાગના લોકોને આ ત્રણેય ભય એક સાથે સતાવતો હતો. અને એ દરેક લોકોને એક વાતની તો ખાતરી હતી કે આ ગાંડીઘેલી વાતો કરનારી જમાત ક્યારે ય સત્તા સુધી પહોંચી શકે એમ નથી. હિંદુ ઝનૂની બની જ ન શકે. તેમની કલ્પનાનું ભારત હિંદુ પીંડને માફક આવે એવું નથી. કનૈયાલાલ મુનશીએ તો ઉપર ટાંક્યો એ લેખમાં લખ્યું પણ હતું કે આ જમાત સામ્યવાદને ખાળવામાં મદદરૂપ થઈ શકે એમ છે. મુનશીએ તેમને “a friend in need” તરીકે ઓળખાવ્યા હતા. હા, એક વાતની ખાતરી હતી કે ન કરે નારાયણ અને જો તેઓ સત્તા પર કબજો કરે તો ફાસીવાદી શાસન અવશ્યંભાવિ છે. 

સરદાર પટેલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતા એમ.એસ. ગોલવલકરને સલાહ આપી હતી કે સંઘ કાઁગ્રેસમાં જોડાઈ જાય. તેમનો ઈરાદો કાઁગ્રેસની અંદરના ડાબેરીઓનો પ્રભાવ ખાળવાનો હતો. તેમણે એવી પણ સલાહ આપી હતી કે આ સારુ તેમણે જવાહરલાલ નેહરુને રાજી કરવા જોઈએ. ગોલવલકર સાહેબે એવો પ્રયાસ કર્યો પણ હતો. તેમણે પોતાના નામે સંઘના મુખપત્ર ‘ઓર્ગેનાઈઝર’માં નેહરુની પ્રસંશા કરતા લેખો લખ્યા હતા. એક બે નહીં, શ્રેણીબદ્ધ. આહા!  નેહરુના આટલા અને આવા વખાણ તો તેમનાં માતાપિતાએ પણ નહીં કર્યા હોય! ભારતનો પનોતો પુત્ર, ગરીબોની આંખોનું નૂર અને બીજું શું નહીં! 

નેહરુ પીગળ્યા નહોતા. કારણ? કારણ કે તેમને એ બાબતમાં કોઈ શંકા નહોતી કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હિંદુ ફાસીવાદી સંગઠન છે. કાઁગ્રેસના બીજા જમણેરી નેતાઓથી ઊલટું તેમને સંઘનો કોઈ ખપ નજરે પડતો નહોતો. પડતો હોય તો પણ તેઓ તેમને આંગળી આપવામાં માનતા નહોતા. હજુ નજીકના ભૂતકાળમાં યુરોપમાં ફાસીવાદનો વરવો અને વિકરાળ ચહેરો જોવા મળ્યો હતો અને નેહરુ વૈશ્વિક દૃષ્ટિકોણ (world vision) ધરાવતા હતા. તેમણે ઘસીને કાઁગ્રેસમાં પ્રવેશ આપવાની ના પાડી દીધી. સંઘ ફાસીવાદી સંગઠન છે અને ફાસીવાદી કમજોર હોય તો પણ જોખમી છે એ નેહરુ જાણતા હતા અને એમ એકથી વધુ વખત કહ્યું પણ હતું. હિટલર અને તેનો પક્ષ પણ એક સમયે કમજોર હતા. ઝેરનાં પારખાં કરવાના ન હોય. નેહરુ વૈશ્વિક તેમ જ સાંગોપાંગ ઐતિહાસિક દૃષ્ટિકોણ ધરાવતા હતા અને આવા નેતાઓ તાત્કાલિક લાભાલાભથી દૂરનું જોઈ શકતા હોય છે. 

બીજા અને ગાંધીજીને ગણો તો ત્રીજા વિનોબા ભાવે. દિલ્હીમાં ગાંધીજીની હત્યા થઈ ત્યારે વિનોબા સેવાગ્રામ આશ્રમમાં હતા. તેમણે એ દિવસોમાં રોજ સાંજે ગાંધીજી વિષે અને ગાંધીજીની કલ્પનાના વૈશ્વિક સમાજ વિષે પ્રવચનો આપ્યાં હતાં. એ પ્રવચનો મનનીય હતાં. વિનોબાનો દૃષ્ટિકોણ નેહરુ જેવો વૈશ્વિક ઉદારમતવાદી નહોતો, પણ હિંદુ દાર્શનિક માનવતાવાદી હતો. તેમણે કહ્યું હતું કે સંઘની વિચારધારા હિંદુ પરંપરાને સુસંગત નથી, પણ વિસંગત છે. તેઓ હિંદુનો પીંડ બદલવા માગે છે. તેઓ હિંદુ માનસ બદલવા માગે છે. તેઓ જન્મજાત ઉદારમતવાદી હિંદુને સંકીર્ણ બનાવવા માગે છે. તેઓ હિંદુને હિંસક બનાવવા માગે છે. તેમની પ્રેરણા વેદ ઉપનિષદ નથી, પણ પશ્ચિમની વિચારધારા છે. ગાંધીજીની હત્યા એ એજન્ડાના ભાગરૂપે કરવામાં આવી છે, કારણ કે ગાંધીજી પરિપક્વ હિંદુ પરંપરાનું ફળ છે અને નવા યુગનું બીજ છે. તેમણે તેમની લાક્ષણિક શૈલીમાં કહ્યું હતું સેવાગ્રામથી નાગપુર(રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું વડુંમથક)નું અંતર બહુ ખાસ નથી, માટે સાવધાન રહેવાની જરૂર છે. 

તેમણે એ વખતે તો નહીં, પણ અન્યત્ર એમ પણ કહ્યું હતું કે જે દેશે ઇતિહાસમાં ક્યારે ય અખંડતા જોઈ નથી, જે દેશનું વિભાજન ટાળવા માટેનાં અનેક પ્રયત્નો પછી પણ કોમી વિભાજન થયું, જે દેશમાં વિવિધતાઓનો પાર નથી, જે દેશમાં ઊંચનીચની નિસરણી કલંકરૂપ છે એ દેશનું સમાનતા અને ન્યાયમાં માનનારા પ્રજાસત્તાક લોકતાંત્રિક અને આધુનિક દેશમાં રૂપાંતર કરવું એ રાજકીય એજન્ડા ન હોઈ શકે, રાષ્ટ્રીય એજન્ડા હોવો જોઈએ. રાષ્ટ્રીય યજ્ઞ હોવો જોઈએ. માટે કમ સે કમ ભારતીય રાષ્ટ્ર નામનું બાળક ઘોડિયામાંથી બહાર નીકળીને બે પગે ચાલતું ન થાય ત્યાં સુધી પવિત્ર ભારતીય રાષ્ટ્રીયતાને સત્તાના સંસદીય રાજકારણથી દૂષિત ન કરવું જોઈએ. સત્તાના રાજકારણનો સ્વભાવ જ વિભાજનકારી છે. ટૂંકમાં રાષ્ટ્રીય સર્વસમાવેશકતા અને રાષ્ટ્રીય સર્વસંમતિનો તેમણે આગ્રહ રાખ્યો હતો. કમ સે કમ દાયકો-બે દાયકા વિભાજનકારી રાજકારણ ન કરવામાં આવે અને સત્તાનો સ્વભાવ જ તિરાડો પાડનારો છે. પાર્ટી અથવા પક્ષ જ તિરાડ સૂચવે છે.  

તો વાતનો સાર એ કે ગાંધીજીને એ વાતનો વાંધો હતો કે આ જમાત સાધનશુદ્ધિમાં માનતી નથી, ગમે તે માર્ગ અપનાવવામાં અને ગમે તેનો ઉપયોગ કરવામાં તેઓ સંકોચ અનુભવતા નથી અને પોતે સામી છાતીએ મેદાનમાં ઊભા રહેતા નથી. આવા લોકો ગમે ત્યારે ગમે તેને છેતરી શકે છે. જવાહરલાલ નેહરુને એ વાતનો વાંધો હતો કે ફાસીવાદી ગમે એટલો કમજોર હોય એ જોખમી જ છે અને ઝેરનાં પારખાં કરવાનાં ન હોય. વિનોબા ભાવેને એ વાતનો વાંધો હતો કે આ જમાતનો પ્રોજેક્ટ હિંદુ માઈન્ડ છે. તેઓ ઉદારમતવાદી માનવતાવાદી હિંદુ પીંડને અને હિંદુ માનસને બદલવા માગે છે. 

તમે એ તો જાણો જ છો કે વર્તમાન શાસકો અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગાંધીજીની, સર્વોદય વિચારધારા અને તેની સંસ્થાઓની અને નેહરુ તેમ જ નેહરુનિર્મિત સંસ્થાઓની જેટલી બદનામી કરે છે અને જેટલા પ્રમાણમાં તેને ખતમ કરવા પ્રયત્નશીલ છે એટલી પ્રયત્નશીલતા બીજા કોઈની બાબતે નહીં જોવા મળે. 

કારણ? કારણ કે હિંદુ ફાસીવાદનું વારણ ગાંધી-નેહરુ-વિનોબામાં છે.

પણ ખાટલે મોટી ખોડ એ રહી કે આ વાત બીજા લોકોને સમજાતી તો હતી, પણ તાત્કાલિક સત્તાકીય ગણતરીઓને અને સાચાખોટા ભયને તેમણે વધારે મહત્ત્વ આપ્યું. હજુ નજીકના ભવિષ્યમાં યુરોપમાં બર્બરતા જોઈ હોવા છતાં ય. તેમને તો એમ જ લાગતું હતું કે હિંદુ પીંડ જ જ્યારે ફસીવાદને અનુકૂળ નથી તો ડરવાની શું જરૂર? ભારતીય રાજકારણે હિંદુ ફાસીવાદને ઉછેરવાનું કામ કર્યું  પણ લાખ રૂપિયાનો સવાલ છે કે હિંદુ પીંડ કેમ બદલાયો? હિંદુ માનસ કેમ બદલાયું? વેદ ઉપનિષદ મહાવીર અને બુદ્ધે તેમ જ મધ્યકાલીન સંતો અને સૂફીઓએ ઉછેરેલો હિંદુ ક્યાં ગયો?  

આની ક્રમશઃ વિગતો હવે પછીના લેખોમાં આવશે. 

16 મે 2026
e.mail : ozaramesh@gmail.com

Loading

...102030...54555657...607080...

Search by

Opinion

  • એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”
  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે
  • ચલ મન મુંબઈ નગરી—353

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ
  • લૂંટ શકે તો લૂંટ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved