Opinion Magazine
Number of visits: 10080512
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચંદુભાઈ મહેરિયાના લેખનનું ગૌરવ : દેશના અગ્રણી અભ્યાસીઓના શબ્દોમાં

સંકલન : સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|16 May 2026

મે મહિનાના પહેલાં અઠવાડિયામાં જાણીતા દલિત લેખક, કર્મશીલ અને જાહેર જીવનના અભ્યાસી ચંદુભાઈ મહેરિયાના આત્મકથનાત્મક ગુજરાતી નિબંધોના અંગ્રેજી અનુવાદનું પુસ્તક પ્રસિદ્ધ થયું છે. પુસ્તકનું નામ છે Homes without Windows, અનુવાદક હેમાંગ અશ્વિનકુમાર અને પ્રકાશક Juggernaut Books, દિલ્હી. પુસ્તકમાં સમાવાયેલા નિંબંધોના મૂળ ગુજરાતી નિબંધો હજુ પુસ્તક રૂપે પ્રસિદ્ધ થયા નથી. તેમાંથી મોટા ભાગના નિબંધો ગયાં બારેક વર્ષ દરમિયાન સાર્થક પ્રકાશનના અર્ધવાર્ષિક ‘સાર્થક જલસો’ના અંકોમાં પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે. 

Homes without Windows સંચયમાં અઢીસો જેટલાં પાનાંમાં ઉત્તમ રીતે અંગ્રેજીમાં ઊતરેલા અગિયાર નિબંધો છે. અનુવાદકે લખેલી પ્રસ્તાવના અને દરેક નિબંધ માટેની તેમણે તૈયાર કરેલી ટિપ્પણીઓ ખૂબ વાચનીય છે. પુસ્તક માટે ભારતના જાણીતા અભ્યાસીઓએ આપેલા અભિપ્રાયો પુસ્તકનાં આવરણ અને ઉપરણાં પર તેમ જ અન્યત્ર મૂકવામાં આવ્યાં છે. તે અહીં ગુજરાતીમાં મૂક્યા છે. 

રામચન્દ્ર ગુહા –   ઇતિહાસકાર, પર્યાવરણવિદ, લેખક અને પબ્લિક ઈન્ટેલેક્ચ્યુઅલ :

આ ખરેખર નોંધપાત્ર પુસ્તક છે. તે શ્રમજીવી દલિતવર્ગની અણધાર્યા જોખમોવાળી  જિંદગીનું તાદૃશ અને ખૂબ પ્રભાવશાળી ચિત્ર આપે છે. તે વિગતોથી સમૃદ્ધ,દૃષ્ટિસંપન્ન અને  હૃદયસ્પર્શી હોવાની સાથે નર્મમર્મના સ્પર્શવાળું પણ છે. જાહેર સ્થળોએ – શાળાઓ, અસ્પતાલો, કચેરી, અને સહુથી વધુ તો સામૂહિક શૌચાલયોમાં – જોવા મળતાં માણસના સામાજિક વર્તનનાં ઉત્તમ વર્ણનો અહીં છે. મિત્રો અને પરિવારજનોના વહાલભર્યાં શબ્દચિત્રો પણ યાદગાર છે. તેમાં ય શિરમોર છે લેખકના સમભાવી અવિચળ પિતા અને બધું જ ખમી જનાર મક્કમ માતા. આ પુસ્તકને બાજુ પર ન મૂકી શકાય તેવી સ્મરણકથા બનાવવાનો યશ હેમાંગ અશ્વિનકુમારે સહસંવેદનથી કરેલા સુઘડ અનુવાદને મળે છે. આ એક એવું પુસ્તક છે કે જેમાં સંઘર્ષ અને પીડાની વચ્ચેથી આશા અને વિનોદ સતત ડોકાયા કરે છે. 

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌વી. ગીથા – નારીવાદી કર્મશીલ અને Bhimrao Ramji Ambedkar and the Question of Socialism in India પુસ્તકના લેખક :

ચંદુ મહેરિયાના નિબંધોનો આ સુંદર સંગ્રહ જીવનની હૃદયસ્પર્શી વક્રતાનું ઉત્તમ ઉદાહરણ છે. હેમાંગ અશ્વિનકુમારે કરેલા અનુવાદમાં ઉલ્લાસ અને સૌંદર્ય અનુભવી શકાય છે. અન્ન અને મળ, તહેવારો અને મજૂરી, થાકેલાં પગ અને મૂલ્યવાન ચપ્પલ, જેનાં ગીતો રચાયાં નથી તે – શહેરી દલિતો માટે હોનારત લાવનાર – ચોમાસાં જેવાં સંભારણાં અહીં છે. તેમની અડોઅડ છે ગાંધી, લેખકના આંબેડકરવાદી પિતા અને હૈયાઉકલત ધરાવતાં માતાનાં શબ્દચિત્રો જે વિષયાંતર છતાં મનને ગમી જાય છે. આ પુસ્તકમાં દલિતોની ભૌતિક હસ્તીનું તીક્ષ્ણ રીતે વેધક પ્રતિબિંબ છે, જેમાં અભાવ અને હાડમારીની સાથે કપરા જીવતરમાં ટકી રહેવાનું બળ આપનાર કલ્પનાશક્તિ અને ભાષાશક્તિ  છે. 

સૂરજ યેન્ગડે – સંશોધક તેમ જ Caste, a Global Story પુસ્તકના લેખક : 

આ પુસ્તકમાં ગાધીવાદી વિચારસરણી સાથે સંકળાયેલા આંબેડકરવાદી એવા બેવડા કર્મશીલ ચંદુભાઈની નજરે જોવાયેલા ગુજરાતની આ અદ્દભુત અને વાચનીય કથા છે. ચંદુ મહેરિયા આપણને એમની પોતાના વિસ્તારમાં લઈ જઈને પ્રભાવશાળી ગદ્યમાં વાત માંડે છે. એમની વાત આપણને સ્પર્શે છે, કેમ કે તેની સાથે સત્ય અને આશય જોડાયેલાં છે. ચંદુભાઈ જિંદગીની વાત તો કરે જ છે, સાથે મોતને ટિખળની નજરે જોઈને, જીવનક્રમમાં એ પણ કેટલું કંટાળાજનક હોઈ શકે તે સુદ્ધાં બતાવે છે. ગુજરાત આભછેટ મહામંડળની આ કથાનો અનુવાદ વાંચવામાં મજા પડે તેવો થયો છે. 

ગણેશ દેવી – લેખક, ચિંતક અને સાંસ્કૃતિક કર્મશીલ :

માત્ર નરસિંહ મહેતા કે મહાત્મા ગાંધીને જાણીને તમે ગુજરાતને જાણી ન શકો. તમે એને ભીષણ કોમી હુલ્લડો વિશે જાણીને પણ જાણી ન શકો. આ રીતે જાણીતું ગુજરાત તો સાહિત્ય, ઇતિહાસ અને રાજકારણનું ગુજરાત છે. ગુજરાતની સચ્ચાઈ ઊંડા મૂળ ઘાલી ગયેલા નાતજાતના ભેદભાવોમાં છે. ગુજરાતના વર્ણવિભાજનની ચંદુ મહેરિયાએ કરેલી ફૉરેન્સિક તપાસ ગુજરાતના હૈયે શું છે તે આપણને બતાવે છે. ભારતને લાગેલા શાપ સમી અપમાનજનક વર્ણવ્યવસ્થા હેઠળ વીતેલી જિંદગીના, વાચકને દઝાડતાં ગદ્યમાં લખાયેલાં, ઉત્કટ સંસ્મરણો દલિત ચરિત્રલેખનમાં યાદગાર છે. કવિ હેમાંગ અશ્વિનકુમારે કરેલો અનુવાદ મહેરિયાએ ગુજરાતીમાં લખેલા એક-એક શબ્દને જીવંત બનાવે છે. ચંદુભાઈ જાણે પોતે જ તેમનાં જખમો, પીડા, દુર્ગંધ અને એ બધાંની વાત અંગ્રેજીમાં માંડતા હોય તેમ લાગે છે. 

ઉર્વીશ કોઠારી – લેખક, પત્રકાર અને વ્યંગકાર : 

ગુજરાતમાં ચંદુભાઈનું લેખન તેની વેધક સ્પષ્ટતા માટે ક્યારનું ય વખાણાઈ ચૂક્યું છે.તેમનું લેખન વીંધી નાખનારું છતાં કડવાશ વિનાનું, તીક્ષ્ણ છતાં ય સંવેદનપૂર્ણ, પાકા પાયે વાસ્તવદર્શી છતાં ય બીબાંઢાળ નહીં એ પ્રકારનું છે. આ અનુવાદ થકી અંગ્રેજી વાચકો માટે એમના લખાણનું તેજ અને તેમણે જીવંત કરેલી સીધા અનુભવની સાચી દુનિયા જોવા માટેનું દ્વાર ખૂલ્યું છે.  

પુસ્તકના આવરણ પર લેખકનો પરિચય આ મુજબ આપવામાં આવ્યો છે : 

ચંદુ મહેરિયા

ચંદુ મહેરિયા પ્રમુખ ગુજરાતી દલિત લેખક, સંપાદક, કર્મશીલ અને પત્રકાર છે. તેમના દૃષ્ટિપૂર્ણ સંપાદનને કારણે જાણીતા બનેલા પખવાડિક ‘દલિત અધિકાર’ દ્વારા ચંદુભાઈએ દલિતોને લગતા મુદ્દાઓને ગુજરાતના રાજકીય તખ્તામાં અગ્રસ્થાને મૂકવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. વર્ણભેદ સામેની આજીવન ઝુંબેશમાં ચંદુભાઈએ રાજકીય ચળવળો પણ કરી છે.

ગુજરાતી દલિત સાહિત્યની એક આરંભિક આહલેક સમા ચંદુભાઈએ સંખ્યાબંધ પુસ્તકોનું લેખન અને સંપાદન કર્યું છે, તેમ જ છાપાં-સામયિકોમાં સેંકડો વૈચારિક લેખો લખ્યા છે. ચાહીને વંચાતા તેમનાં પુસ્તકો આ મુજબ છે : ‘સાંબરડાથી સ્વમાનનગર’ (ગુજરાતમાં દલિતોએ જોરજુલમ હેઠળ કરેલી હિજરતનો ઇતિહાસ અને તેની સમીક્ષા), ‘ડૉ. આંબેડકર’ (બાબાસાહેબનો ટૂંકો સર્વાંગી પરિચય), ‘પ્રાણપ્રશ્ન પાણીનો’ (જળસંકટ અને જળસંરક્ષણના પ્રયોગો), ‘ચોતરફ’ (અગત્યના સામજિક પ્રશ્નોનો પરિચય અને તેમની સમીક્ષા), ‘અસ્મિતા’ અને ‘વિસ્ફોટ’ (દલિત કાવ્યસંચયો) અને ‘માડી મને સાંભરે રે’ (દલિત લેખકોએ મા વિશે લખેલા લેખો).   

ચંદુભાઈના પ્રદાનમાં વિચાર અને કર્મશીલતાનો સમન્વય છે, જેમાં તેમના શેરીઓમાં થયેલા ઘડતર જેટલો જ ફાળો પુસ્તકોનો પણ છે. સ્વકથનના આ પુસ્તકમાં ચંદુભાઈએ પૂર્વ અમદાવાદની કામદાર-ચાલીઓની ગરીબીમાં પિસાતા તેમના દિવસોથી લઈને વાચન-લેખન અને રાજકીય લડતમાં આગળ વધેલાં જીવનનો આલેખ આપ્યો છે. પહેલવહેલી વખત અંગ્રેજીમાં અનૂદિત થઈ રહેલાં ચંદુભાઈનાં લખાણો ભારતમાં રોજબરોજની આભડછેટની હિંસાને ખુલ્લી પાડે છે. લેખકે 1980ના દાયકાના ગુજરાતના સામૂહિક હિજરત, કોમી તણાવ અને અનામત-વિરોધી આંદોલનના ખળભળાટભર્યા તબક્કાને પણ આવરી લીધો છે.  

 જાહેરજીવનની ઝલક આપતી આ આ સ્મરણકથા વ્યક્તિગત જીવનની વિગતો અને જીવાતી જિંદગીની વાસ્તવિકતાની ભૂમિ પર રચાઈ છે. તેમાં સામુદાયિક શૌચાલયમાં રોજબરોજ વેઠવી પડતી બેઇજ્જતી, ચપ્પલ વિનાનાં આખાં બાળપણ, સતતની ભૂખ, પિતાના મગજમાં પાછલી ઉંમરે પ્રવેશેલી કટ્ટર નાસ્તિકતા, માની કઠોર મક્કમતા; અને માંદગી તેમ જ  મોત સાથે લેખકની  વારંવારની મુલાકાત ‌– આ બધું ચંદુભાઈ આપણને કહે છે. 

લેખકની રોજ બ રોજની જિંદગીના બયાનને સમાંતરે બૌદ્ધિક ઘડતરની વાત આવે છે. તે ગાંધીના સંકુલ વિચારવારસા સાથેની તેમની નિર્મમ મથામણથી લઈને સમકાલીન દલિત વિચારકો સાથેની દલીલો સુધીના પટ પર વ્યાપેલી છે. સરવાળે આપણને એવું પુસ્તક મળે છે કે જેમાં વંચિતતાની તવારીખ, રાજકીય કેળવણી અને ભારતને વિભાજિત કરતા રહેલાં સત્તામાળખાંની સતત વૈચારિક તપસીલ ત્રણેય એક સાથે  હોય.

પુસ્તકના આવરણ પર અનુવાદકનો પરિચય આ મુજબ આપવામાં આવ્યો છે : 

હેમાંગ અશ્વિનકુમાર દ્વિભાષી કવિ, વાર્તાકાર, અનુવાદક, સંપાદક અને વિવેચક છે. તેઓ ગુજરાતી અને અંગ્રેજીમાં લખે છે. તેમની કૃતિઓ ગ્રીક, ઈટાલિયન તેમ જ ભારતીય ભાષાઓમાં અનુવાદિત થઈ છે. સમકાલીન ગુજરાતી કાવ્યોના તેમણે કરેલા અનુવાદ Poetic Refractions  (2012) અને સુંદરમ્‌ની વાર્તાઓના તેમણે કરેલો અનુવાદ Thirsty Fish and Other Stories (2013) નામના સંચયો તરીકે પ્રકાશિત થયો છે. ન્યુ ઇન્ડિયા ફાઉન્ડેશનની ફેલોશીપ હેઠળ હેમાંગે કરેલા, ગાંધીજીના ભત્રીજા છગનલાલ ગાંધીના પુત્ર પ્રભુદાસ ગાંધીના પુસ્તક ‘જીવનનું પરોઢ’નો અનુવાદ The Dawn of Life (2025) તરીકે પ્રસિદ્ધ થયો છે.

10 મે 2026
e.mail : sanjaysbhave@yahoo.com

Loading

નીટ છે, પણ ક્લીન નથી …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|15 May 2026

રવીન્દ્ર પારેખ

૩ મે, 2026ને રોજ 22.79 લાખ વિદ્યાર્થીઓએ નીટ-યુ.જી.ની પરીક્ષા આપી ને બધી મહેનતને અંતે સૌએ નિરાંતનો શ્વાસ લીધો. પરીક્ષા પછી કેટલાક વિદ્યાર્થીઓ તો ફેમિલી સાથે વિદેશ ફરવા નીકળી ગયા ને જે અહીં હતા તે પૂરા વેકેશન મૂડમાં હતા. આ પરીક્ષાનું આયોજન નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) કરે છે ને તે એક્ઝામ ફૂલપ્રૂફ હોવાના દાવા સાથે કરતી રહે છે. એ દાવાઓ વચ્ચે 2024માં પેપર ફૂટવાની ઘટના બની હતી, પણ તેની અસરો મર્યાદિત હતી, એટલે પરીક્ષામાં ફેર પડ્યો ન હતો.

એનું સાટું 2026માં વળી ગયું. 10 લાખમાં નાસિકથી પેપર ફૂટી ગયું એવી વાત છે. જો કે, પેપર સીધું ફૂટ્યું ન હતું, પણ 410 જેટલા સવાલોમાંથી 140 જેટલા સવાલો પરીક્ષામાં અક્ષરશ: ને એ જ ક્રમે પુછાયા તે અકસ્માત ન હતો. એ પેપર આખા દેશમાં અનેક વિસ્તારોમાં ને અનેક હાથોમાં પહોંચ્યું. NTAની સમાંતરે પેપરફોડું એજન્સી ખૂલી હોય તેમ મનફાવે તે રકમ લઈને પેપર છડેચોક વેચાયાં ને વહેંચાયાં. રાજસ્થાનમાં GUESS PAPERમાં પુછાયેલા પ્રશ્નો નીટની એકઝામમાં બેઠા પુછાયા એ રીતે નીટનું પેપર બહુ વ્યાપક રીતે ફૂટ્યું. જો કે, એજન્સીને તેની ભનક પણ ન પડી.

પડી ત્યારે ઓછામાં ઓછું એ પરીક્ષા રદ્દ કરવી પડે એવી સ્થિતિ આવી ને NTAએ નીટની એક્ઝામ ઠંડે કલેજે રદ્દ કરી દીધી, તે સાથે જ નીટની પરીક્ષા ફરી લેવાશે એવી જાહેરાત પણ થઈ ગઈ. ભવિષ્યમાં સિસ્ટમ પરથી ને આ પરીક્ષા પરથી ભરોસો ન ઊઠી જાય એટલે પરીક્ષા રદ્દ કરવામાં આવી છે, એવી ફિશિયારી પણ મારવામાં આવી. જો કે, નીટની પરીક્ષા પર ભરોસો રહે એવું NTA શું કરે છે તે નથી ખબર. ખરેખર તો પરીક્ષા કરતાં NTAને જ રદ્દ કરવા જેવી છે. પરીક્ષા રદ્દ કરવી કે ન કરવી એ સિવાય NTAની કોઈ જવાબદારી બનતી હોય એવું લાગતું નથી. એટલું સારું છે કે NTAએ પરીક્ષા ફરી લેવાની વાત કરી છે, પણ નવી પરીક્ષા લેવામાં NTAને મોઢે ફીણ આવી જવાના છે તે પણ નક્કી છે. પરીક્ષાની નવી તારીખો ને નવું શિડ્યુલ સત્તાવાર ચેનલો મારફતે જાહેર કરવામાં આવશે.

10 મેના રોજ રાજસ્થાનમાં પેપર લીક થવા અંગે અહેવાલ સામે આવ્યા બાદ પરીક્ષા રદ્દ કરવામાં આવી ને તે અંગે સરકારની મંજૂરી પણ લેવામાં આવી. નવી પરીક્ષાની નવી ફી ઉઘરાવવાની નથી એટલે જૂના ભાવે જ નવી પરીક્ષા આપવાની થશે. સી.બી.આઈ.ને તપાસ સોંપાઈ છે, તે તો ઠીક, પણ આ  વેપલામાં 22.79 લાખ વિદ્યાર્થીઓની એકદમ જ પથારી ફરી ગઈ છે તે નક્કી છે.

આવું કંઇ થાય છે તો એકાએક જ સમિતિ રચાઈ જાય છે, તપાસ સોંપાઈ જાય છે, ધરપકડો થઈ જાય છે ને બીજું કંઇ નહિ તો સી.બી.આઈ. ધંધે લાગી જાય છે. રિપોર્ટ પણ આવી જાય છે ને આગળ પછી કંઇ થતું નથી. થોડા વખતમાં બધું હતું તેવું જ રેઢિયાળ થઈ જાય છે. પેપર ફૂટવા માટે જ હોય તેમ મન મનાવી લેવાય છે. અમદાવાદ મેડિકલ એસોશિયેશને ખાતર પર દિવેલ કરતાં કહ્યું પણ ખરું કે થોડા બેદરકાર લોકોને લીધે, મહેનતુ અને પ્રમાણિક વિદ્યાર્થીઓએ નિરાશ થવાની જરૂર નથી. એસોશિયેશનને પૂછી શકાય કે મહેનતુ અને પ્રમાણિક વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે જ છે? તેમની હોંશિયારી ફરી પરીક્ષા આપવા જેટલી જ છે? તેઓ પરીક્ષાની ચુંગાલમાંથી મુક્ત થાય તો તેઓની હોંશિયારી દાવ પર લાગી જાય, એમ?

નીટ પરીક્ષા 2013માં શરૂ થઈ હતી. NTAએ તેનું આયોજન 2019માં કર્યું હતું. 2024માં પેપર લીક થયું ત્યારે સુપ્રીમ કોર્ટે આખી પરીક્ષા રદ્દ કરવાનો ઇન્કાર કર્યો હતો ને 1,539 ઉમેદવારોની ફરી પરીક્ષા લેવાઈ હતી, પણ આખી જ પરીક્ષા ફરી લેવાનું બહુ જ મુશ્કેલ છે. વળી ફરી પેપર નહીં જ ફૂટે એની કોઈ ગેરંટી નથી. હવે વધુ ફૂલપ્રૂફ આયોજન હશે એવું માનીએ તો સવાલ થાય કે અગાઉ ફૂલપ્રૂફ આયોજન ન હતું? આ વખતની પરીક્ષામાં 720માંથી 600 માર્કના પ્રશ્નો બે દિવસ પહેલાં સીકરમાં વિદ્યાર્થીઓ પાસે પહોંચી ગયા હતા. રિપોર્ટ કહે છે કે સીકરના એક પી.જી. સંચાલકને આ પેપર મળ્યું ને તેણે પોતાનાં વિદ્યાર્થીઓને લ્હાણી કરી દીધી. 150 પ્રશ્નો તેમાંથી બેઠા નીટમાં પુછાયા. આમ તો સરકાર જૂન, 2024માં એન્ટી પેપરલીક કાયદો લાવી હતી, જેથી પેપર લીક થાય તો આ કાયદા મુજબ તેનો ન્યાય થઈ શકે.

વાત તો એવી પણ છે કે પેપર છપાય તે પહેલાં તેની નકલ બહાર પહોંચી ગઈ હતી. એનો અર્થ એવો પણ થાય કે પેપર, પ્રેસમાં પહોંચતાં પહેલાં બહાર આવ્યું છે, તમામ પ્રશ્નો હાથથી લખાયેલા છે. તો એ કોણ હોઈ શકે તે ક્લ્પવાનું બહુ અઘરું નથી. પેપર સેટરને ત્યાં તો કોઈ ગરબડ નથી થઈને એવી શંકા સહેજે થાય. બને કે પેપર, પેપર સેટરને ત્યાંથી નીકળી ચૂક્યું હોય ને પ્રિન્ટિંગ પ્રેસમાં પહોંચે એની વચ્ચે ક્યાંક લીક થયું હોય. એમાં પણ ઘણો સમય ગયો છે, કારણ તે અનેક જગ્યાએ પહોંચ્યું છે, મતલબ કે પેપર બધાંને મળી રહે એટલો સમય પેપરફોડુઓને મળ્યો છે. આમાં ખાસ ઉતાવળ થઈ હોય એવું લાગતું નથી, કારણ ભારતનાં ઘણાં શહેરો સુધી તે સહીસલામત પહોંચ્યું છે. ગમ્મત તો એ વાતે થાય છે કે NTA 10 મેના રોજ પેપર લીકના સમાચાર વચ્ચે x પર એવો ખુલાસો કરે છે કે કોઈ ગરબડ થઈ નથી. ગરબડ થઈ નથી તો NTAને પરીક્ષા રદ્દ કરવાની ફરજ કેમ પડી? તેને એ ખ્યાલ નથી કે આવી બેવકૂફીથી 22.79 લાખ ઉમેદવારોને જીવવામરવાનું એક થઇ જશે? સબ સલામત જ હતું તો સી.બી.આઈ.ને તપાસ સોંપવાનું શું કારણ હતું? શંકાસ્પદની ધરપકડ પણ થશે, પણ જે એનો ભોગ બન્યા એ વિદ્યાર્થીઓ આને કેવી રીતે લે છે તે વધુ મહત્ત્વનું છે.

પેપર ફૂટવાની આ પહેલી ઘટના નથી. એટલે આવી બાબતમાં રાબેતા મુજબ કેમ વર્તવું તે મામલે સિસ્ટમ રીઢી થઈ ચૂકી છે. ફટાફટ કેસ નોંધાય છે, તપાસ શરૂ થઇ જાય છે, પકડાપકડી ચાલે છે, પણ સજા સુધી વાત ભાગ્યે જ પહોંચે છે. ભીનું સંકેલાઈ જવું એ અસાધ્ય રાષ્ટ્રીય રોગ છે. આ મામલે પણ ભીનું સંકેલાય તો નવાઈ નહીં. રીઢાપણું આપણા લોહીમાં વણાઈ ગયું છે. કંઇ તૂટીને નથી સંધાતું તે પરીક્ષાને ગંભીરતાથી લેનારનું. તેનો મરો એવો થાય છે કે તે પૂર્વવત થઈ શકતો નથી. કેટલાંયનાં સપનાં તૂટીને તારાજ થઈ જાય છે. ફરી પરીક્ષા લેવાની વાત કરનારા લોકોને એક વખત પણ એવો સવાલ થાય છે કે કોઈ વાંક વગર ફરીથી પરીક્ષા આપવી એટલે શું? જેનું પડીકું વળી ગયું હોય તે મન ફરી નવી પરીક્ષા માટે તૈયાર કરવું, એની આ પરીક્ષા લેનારને થોડી પણ ચિંતા છે? માબાપ, અન્ય સંબંધીઓ પણ આ પરીક્ષા માટે લોહીનું પાણી કરતાં હોય છે. એ બધી કસરત ફરી કરવાની? તે પણ પોતાનાં કોઈ વાંક વગર? વળી પૂરી તૈયારી હોવા છતાં પરીક્ષામાં અગાઉની પરીક્ષા જેવું ન જ થયું કે કોઈ એવી ઘટના બને કે પરીક્ષા સુધી જ ન પહોંચાય ત્યારે શું? કેટલુંક પહેલાં જેવું ન જ થાય એટલે જ તો લગ્ન અને પુનર્લગ્ન એક નથી ગણાયાં.

૩મેને દિવસે જે તૈયારી હોય એ જ તૈયારી દરેક વખતે દરેકની, એ જ પરીક્ષાની નવી તારીખે પણ હોય  એ શક્ય નથી. તૈયારી સારી થાય ને ન પણ થાય ને સૌથી મોટો ત્રાસ તો એ કે એકવાર ઉત્તમ રીતે પરીક્ષા આપી દીધી હોય, પછી એ જ પરીક્ષા પાછી શું કામ આપવાની? પૂરી પ્રમાણિકતાથી એક પરીક્ષા આપી હોય ને જે ગરબડો થઇ હોય તેમાં પોતાનો સીધો કે આડકતરો કોઈ હાથ ન હોય, તેણે ફરી એ જ પરીક્ષા આપવાની ને તે પણ 26.79 લાખ વિદ્યાર્થીઓ દ્વારા, એ કોઈ રીતે ક્ષમ્ય નથી. આમાં જે થોડા માનસિક સમસ્યાથી પીડાશે તે નફામાં. બધું બરાબર કર્યું હોય ને પછી ફરી એ જ પરીક્ષા આપવામાં ઘણાં ડિપ્રેશનમાં જશે. નીટની પુનર્પરીક્ષા બધી જ રીતે ત્રાસદાયક છે ને એની કરુણતા એ છે કે જવાબદારોને સજા થશે, એનાં પ્રમાણમાં ફરી પરીક્ષા આપનારને અનેકગણી સજા આપશે ને કેટલીક સજા તો પરીક્ષા આપ્યા પછી પણ ચાલુ રહેશે ને તેનું કોઈ વળતર પણ નહીં હોય …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 15 મે 2026

Loading

ઉચ્ચ શિક્ષણમાં પ્રવર્તતી અસમાનતા ક્યારે દૂર થશે?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|14 May 2026

ચંદુ મહેરિયા

બિન નહેરુ-ગાંધી પરિવારના પ્રથમ કાઁગ્રેસી વડાપ્રધાન પી.વી. નરસિંહરાવ (કાર્યકાળ- ૧૯૯૧-૧૯૯૬)ના નાણાંમંત્રી ડો. મનમોહન સિંઘે જુલાઈ ૧૯૯૧માં રજૂ કરેલા કેન્દ્રિય અંદાજપત્રમાં મિશ્ર અથતંત્રને બદલે બજાર કેન્દ્રી અર્થતંત્રનો માર્ગ અપનાવ્યો હતો. આર્થિક ઉદારીકરણની આ નીતિમાં ખાનગીકરણને વેગ મળ્યો હતો. દેશના સર્વ ક્ષેત્રોની જેમ શિક્ષણ ક્ષેત્ર પર પણ તેની મોટી અસર પડી હતી. ઉદારીકરણ પછી ઉચ્ચ શિક્ષણનો વિસ્તાર થયો હતો. ઉદારીકરણ પૂર્વે દેશમાં ૧,૬૪૪ ઉચ્ચ શિક્ષણ સંસ્થાનો હતાં જે આજે વધીને ૬૯,૫૩૪ છે. ઓલ ઇન્ડિયા સર્વે ઓફ હાયર એજ્યુકેશનમાં જણાવ્યા પ્રમાણે ૨૦૧૮-૧૯માં દેશમાં ૩૯,૯૩૧ કોલેજો હતી. ખાનગીકરણથી શિક્ષણનો વ્યાપ વધ્યો, સાક્ષરતા દર વધ્યો પણ તેથી કશો ફેર પડ્યો ખરો? દેશમાં પ્રવર્તતા ભેદભાવ અને અસમાનતામાં ઘટાડો થયો છે ખરા? 

ડો. આંબેડકરના ત્રિમંત્રમાં શિક્ષણને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. શિક્ષણને સિંહણનું દૂધ ગણાવીને જે તે પીશે તે ત્રાડ નાંખશે તેમ પણ કહેવાય છે. ઉચ્ચ શિક્ષણને તો આર્થિક સશક્તિકરણ અને સામાજિક પ્રગતિનો માર્ગ કહેવામાં આવે છે. પરંતુ વાસ્તવિકતા શી છે? તાજેતરનો અજીમ પ્રેમજી યુનિવર્સિટીનો વાર્ષિક અહેવાલ સ્ટેટ ઓફ વર્કિંગ ઇન્ડિયા ૨૦૨૬માં તેનો કેટલોક ખુલાસો જોવા મળે છે. રિપોર્ટ જણાવે છે તે પ્રમાણે ૧૫ થી ૨૯ વર્ષની ૩૬.૭ કરોડની વસ્તીમાંથી ૨૬.૩ કરોડની આબાદી ઉચ્ચ શિક્ષણથી વંચિત છે.

ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશનો દર વધ્યો છે પરંતુ તે તમામ સુધી પહોંચ્યો નથી. હજુ યુવાનો કરતાં યુવતીઓનો પ્રવેશ દર ૫ ટકા ઓછો છે. દેશના ગ્રામીણ વિસ્તારોમાં  કોલેજો શરૂ થઈ હોવાનું આશ્વાસન જરૂર લઈ શકાય છે પરંતુ મહિલાઓ માટે અલાયદી કોલેજો હજુ માત્ર ૧૧.૦૪ ટકા જ છે. ગ્રામીણ ભારતના સામંતી અને જડ જ્ઞાતિવાદી સમાજમાં યુવાન છોકરીઓ માટે ગામની બહાર અને તે પણ મિશ્ર કોલેજમાં અભ્યાસ કરવો કપરો છે. ગ્રામીણ વિસ્તારોની કન્યાઓ સામાજિક-સાંસ્કૃતિક માન્યતાઓ, આર્થિક તંગી અને ઘરની જવાબદારીઓને લીધે દસમા-બારમા ધોરણ પછી જ ભણવાનું છોડી દેવા મજબૂર હોય છે, એટલે બહુ ઓછી કન્યાઓ કોલેજનું પગથિયું ચઢે છે. 

સ્ત્રી-પુરુષ વચ્ચેનો ઉચ્ચ શિક્ષણમાં ભેદભાવ આખી દુનિયામાં છે. વૈશ્વિક સ્તરે ઉચ્ચ શિક્ષણમાં ૧૦૦ મહિલાના નામાંકન સામે પુરુષનું નામાંકન ૮૮ જ છે પરંતુ મેનેજમેન્ટ, આઈ.ટી., સાયન્સ, એન્જિનીયરીંગ, મેડિકલ જેવા ક્ષેત્રોમાં ડિગ્રી મેળવવામાં ૩૦ ટકા જ મહિલાઓ છે. આર્ટસ-કોમર્સમાં તેમનો પ્રવેશ ૫૪ ટકા છે. શિક્ષણ, આરોગ્ય, સામાજિક વિજ્ઞાનના વિષયોમાં મહિલાઓ વધુ અભ્યાસ કરે છે અને પુરુષો ઓછા છે. યુ.કે.માં ગ્રેજ્યુએશન બાદના પહેલા વરસમાં  પુરુષ કરતાં મહિલા સ્નાતક ૯ ટકા ઓછી કમાણી કરે છે. જે દસ વરસ પછી ૩૧ ટકા થાય છે.

જેમ લૈગિંક ભેદ છે તેમ જ્ઞાતિગત ઉચ્ચ-નીચના ભેદ અને અસમાનતા પણ છે. ઉચ્ચ શિક્ષણમાં નામાંકનની રાષ્ટ્રીય સરેરાશ ૨૮.૪ છે, પરંતુ દલિતો અને આદિવાસીઓ હજુ ત્યાં સુધી પહોંચી શક્યા નથી. ૨૦૧૧માં અનુસૂચિત જાતિનો ઉચ્ચ શિક્ષણમાં નામાંકન દર ૧૧ ટકા હતો જે ૨૦૨૩માં વધીને ૨૬ ટકા થયો હતો. અનુસૂચિત જનજાતિનો નામાંકન દર ૨૦૧૧માં ૮ ટકાથી વધીને ૨૦૨૩માં ૨૧ ટકે પહોંચ્યો છે. પરંતુ હજુ તે રાષ્ટ્રીય સરેરાશથી ઓછો છે. એમ કહી શકાય કે કોલેજ-યુનિવર્સિટી શિક્ષણમાં દલિતો-આદિવાસીઓની ભાગીદારી વધી છે ખરી પણ હજુ સમાન કક્ષાએ પહોંચી નથી.

સામાજિક અસમાનતા જેવી જ આર્થિક અસમાનતા ઉચ્ચ શિક્ષણમાં છે. સરકારી કોલેજોમાં ઈજનેરી શિક્ષણનો વાર્ષિક ખર્ચ રૂ. ૧,૨૩,૦૦૦ અને તબીબી શિક્ષણનો વાર્ષિક ખર્ચ રૂ. ૯૭,૪૦૦ છે. ગરીબ અને નિમ્ન મધ્યમવર્ગના આખા કુટુંબની વાર્ષિક આવક પણ આટલી હોતી નથી, એટલે તેમના સંતાનો મેડિક્લ, એન્જિનીયરીંગ, મેનેજમેન્ટ અને એવું શિક્ષણ  ભાગ્યે જ મેળવી શકે છે. તેમણે તો આર્ટ્સ –કોમર્સમાં ભણીને હાયર એજ્યુકેશન મેળવ્યાનો સંતોષ માનવાનો હોય છે.

શિક્ષણનું માધ્યમ પણ ઉચ્ચ શિક્ષણમાં ભેદભાવનું કારણ છે. દલિત, આદિવાસી અને પછાતવર્ગના  વિદ્યાર્થીઓ મોટેભાગે સ્થાનિક ભાષામાં બારમા ધોરણ સુધીનો અભ્યાસ કરે છે તે પછી જ્યારે તેમને તબીબી અને ઈજનેરી કોલેજોમાં અંગ્રેજી માધ્યમમાં ભણવાનું થાય છે ત્યારે તે આકરું તો પડે જ છે સાથે સાથે તે લઘુતાગ્રંથિ અનુભવે છે. કોલેજના વર્ગખંડો, સેમિનાર, કોલેજ કેમ્પસ , મિત્રો અને સમાજમાં ફાંકડુ અંગ્રેજી બોલનારાની બોલબાલા હોય છે એટલે સ્થાનિક ભાષાના વિદ્યાર્થીઓ ઉપેક્ષાનો ભોગ બને છે. આ કારણે તેઓ સતત માનસિક તણાવ અનુભવે છે. દલિત-આદિવાસી વિદ્યાર્થીઓ જ્ઞાતિને કારણે તો ઉવેખાય છે તેમાં ભાષાનો ભેદ ભળે છે તેથી ઘણી વખત તેઓ આત્મહત્યા સુધી પહોંચે છે. ૨૦૨૨નો એક અભ્યાસ આ બાબતે જણાવે છે કે ૩૫ ટકા વિદ્યાર્થીઓ બોલવાની રીત પર ચિંતામાં હોય છે, ૩૩ ટકાને એવો ડર છે કે તેમની બોલવાની ઢબછબ કેરિયરમાં અંતરાય બનશે અને ૩૦ ટકા અંગ્રેજીમાં નબળા હોઈ કોલેજમાં મજાકનો વિષય બન્યા હતા. પ્રત્યાયનનું સાધન ભાષા કેવી અસમાનતા અને ભેદભાવ જન્માવે છે તે જણાય છે. 

અસમાનતા અને ભેદભાવની આ વિશ્વવ્યાપી સ્મસ્યા શું દૂર થઈ શકે તેમ નથી? અમેરિકાએ એફરમેટિવ એકશનનો માર્ગ પસંદ કર્યો છે. તેના કારણે બ્લેક્ને શિક્ષણ અને રોજગારમાં પ્રવેશ મળ્યો છે. બ્રાઝિલનો કોટા કાયદો પણ કાળાઓને લાભદાયી થયો છે. બ્રાઝિલની કેન્દ્રીય વિશ્વવિદ્યાલયોમાં અડધી બેઠકો સરકારી હાઈસ્કૂલોના વિદ્યાર્થીઓ માટે અનામત રાખી છે તેથી આફ્રિકી મૂળના વિદ્યાર્થીઓની સંખ્યામાં એક જ દાયકામાં ચાર ગણો વધારો થયો હતો. 

ભારતમાં ૧૯૪૭માં સાક્ષ્રરતા દર ૧૮.૩ ટકા હતો. જે આજે ૭૭ ટકા છે. ગુજરાત અને બીજા કેટલાક રાજ્યોમાં રાજ્યના સામાન્ય સાક્ષરતા દર કરતાં દલિતોનો સાક્ષરતા દર વધારે જોવા મળ્યો છે. પરંતુ તેનાથી સમાનતા આવી શકી નથી અને ભેદભાવો પૂર્ણ ભૂતકાળ બન્યા નથી. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનનો ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોમાં સમાનતાને પ્રોત્સાહન વિનિયમ ૨૦૨૬ને ભારતની સર્વોચ્ચ અદાલતે અસ્પષ્ટ અને દુરપયોગની સંભાવના ધરાવતો ગણાવી તેના અમલ પર રોક લગાવી છે. એટલે ભારતના ઉચ્ચ શિક્ષણમાં સમાનતાની મંઝિલ ઘણી દૂર લાગે છે. બંધારણના અનુચ્છેદ ૪૬, શિક્ષણનો અધિકાર કાયદો ૨૦૦૯ અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ ભારતની શિક્ષણ પ્રત્યેની બંધારણીય અને નીતિગત પ્રતિબધ્ધતા દર્શાવે છે. શિક્ષણનો અધિકાર માત્ર પ્રાથમિક, માધ્યમિક-ઉચ્ચ માધ્યમિક શિક્ષણ સુધી સીમિત ન રહેતાં તે ઉચ્ચ શિક્ષણ સુધી પહોંચવો જોઈએ. તે પણ સમાવેશી, ભેદભાવવિહોણું, સારી ગુણવતા ધરાવતું ઉચ્ચ શિક્ષણ હોય તો લિટરસી રેટનો વધારો સાર્થક ગણાય. 

E.mail :  maheriyachandu@gmail.com

Loading

...102030...56575859...708090...

Search by

Opinion

  • એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”
  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે
  • ચલ મન મુંબઈ નગરી—353

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ
  • લૂંટ શકે તો લૂંટ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved