ઇંદિરાજીને સંવાદ સારુ સમજાવી શકાયાં હોત અથવા એમના પક્ષમાં સ્વરાજનિર્માણનાં ધારાધોરણો માટે અવાજ ઉઠાવી એમને બાધ્ય કરી શકતા નેતાઓ અને કાર્યકરો હોત તો ચિત્ર જરૂર જુદું હોઈ શકત
જૂન 1975માં કટોકટીની જાહેરાત અને માર્ચ 1977માં જનતા-રાજ્યારોહણ :

પ્રકાશ ન. શાહ
પ્રજાસત્તાક ભારતના આ એક ઐતિહાસિક તબક્કાની ને નિર્ણાયક મોડની પચાસીએ ઊભા, હવેના મહિનાઓ યથાપ્રસંગ-યથાનિમિત્ત પાછળ નજર કરવાના એટલા જ આગળ જવાને સારુ સહવિચાર સામગ્રીના હોવાના છે.
આમ તો, કટોકટી સંભારીએ ત્યારે 1975ની 26મી જૂન સાંભરે. આ તારીખે એ દિવસોમાં અમને જરી પ્રચારાત્મક સગવડ પણ ઠીક પૂરી પાડી હતી. પિતાએ 26મી જાન્યુઆરી આપી, અને પુત્રીએ 26મી જૂન … એમ કહેતા જ પ્રજાસત્તાક અને કટોકટીરાજ વચ્ચેનો વિરોધ અજબ જેવી નાટ્યાત્મક રીતે સાંભળનાર સૌ સામે સર્વાંગ સ્ફુટ થઈ જતો અનુભવાતો.
પણ છવ્વીસમી જૂને નહીં અટકતાં, બે અઠવાડિયાં પાછળ એટલે કે બારમી જૂને જઈશું જરી?
બારમી જૂન એ ઐતિહાસિક તારીખ હતી જ્યારે એકસાથે બે નિર્ણાયક ચુકાદા આવ્યા હતા : ગુજરાતે વિધાનસભાની ચૂંટણીમાં ઇંદિરા કાઁગ્રેસને પ્રમાણમાં મહાત આપી હતી – અને એ જ દિવસે અલાહાબાદ હાઈકોર્ટે ઇંદિરાજીને સાંસદ તરીકે ગેરલાયક ઠેરવતો રોકડો ચુકાદો પણ આપ્યો હતો.
ગાંધીનગરે, એમ તો, એક જુદો જ ચુકાદો 1975નાં પાંચ-છ વરસ પર પણ ક્યાં નહોતો આપ્યો? સિન્ડિકેટ-ઇન્ડિકેટની આખી દાસ્તાંમાં તો નથી જતો આ ક્ષણે, પણ ખપ પૂરતું એટલું જરૂર નોંધું કે શાસક કાઁગ્રેસથી જુદી પડેલ સંસ્થા/સંગઠન કાઁગ્રેસે ત્યારે ભરેલ ગાંધીનગર અધિવેશનને અસાધારણ ઓજપાઈ જતે છતે ગુજરાતમાં ફરીને 1975માં એનો ઉદય સાફ વરતાવા લાગ્યો હતો.
ગયે મહિને અમદાવાદમાં કાઁગ્રેસ અધિવેશન મળ્યું ત્યારે પૂર્વે ગુજરાતમાં મળેલાં અધિવેશનોની તપસીલ અમદાવાદ (1912), સુરત (1907), હરિપુરા (1938), ભાવનગર (1961) આગળ અટકી જતી હતી, પણ જરી છૂટ લઈને હું કાઁગ્રેસના ભાગલા સાથે મળેલા ગાંધીનગર અધિવેશનને પણ ઉમેરવા ઈચ્છું છું. વાત તો સાચી કે ઇંદિરાજી અને મોરારજી દેસાઈ સામસામી છાવણીમાં હતાં, પણ આજે સ્વરાજસંગ્રામ અને સ્વરાજકારણના એક લાંબા પટ પર શીર્ષ સત્તાસ્થાનેથી જે એક જુદા જ વિમર્શનો દોર જારી છે, એની સામે એકમેકની સામસામી સ્ખલન યાદી સાથે અને છતાં ત્યારે ગાંધીનગરમાં મળેલાઓ પણ હતા તો ગાંધીનેહરુપટેલની એકંદરમતીની ધારામાં જ.
2025નું કાઁગ્રેસ અધિવેશન આ સ્વરાજત્રિપુટી પૈકી પટેલના ડિસયુઝ અને મિસયુઝના ઠીક લાંબા દોર પછી દોષદુરસ્તીની જો કે જરી લાઉડ તરેહની ચેષ્ટા હતી. 1975માં સરદાર શતાબ્દીનો અવસર આવ્યો ત્યારે ગાંધીનગરમાં જનતા મોરચામાં બેઠેલા અમને ત્યારનું નવી દિલ્હી મોળું લાગતું … 2025નું અમદાવાદ અધિવેશન કેમ જાણે એક પથ-સંસ્કરણ (કોર્સ કરેક્શન) શું ન હોય!
મધ્યસત્ર ચૂંટણી અને બાંગ્લાદેશની રચના :
1971ની આ બે શકવર્તી ઘટના સાથે ઇંદિરા ગાંધીની પ્રતિમા ને પ્રતિભા એ રીતે ઊંચકાઈ હતી કે એ કોઈ ટૂંકનજરી સત્તાસંઘર્ષને બદલે દીર્ઘદર્શી સંવાદ ને નિર્માણની રાજનીતિ ખેલવાનું સાહસ નિ:શંક કરી શક્યાં હોત.
1974માં બેસતે જયપ્રકાશ, એકદમ જ કેમ જાણે સન બયાલીસના વીરનાયક તરીકે બલકે રાષ્ટ્રના અંતરાત્મા તરીકે જાહેર જીવનમાં ઉભર્યા, પણ આજે બહુ ઓછા લોકોને એ વાતનાં ઓસાણ હશે કે ગુજરાતમાં નવનિર્માણ આંદોલનનું ભાવનાત્મક સમર્થન કર્યા પછી પટણા પાછા ફરતા પૂર્વે એમણે દિલ્હીમાં સાભિપ્રાય મુકામ કીધો હતો અને ઇંદિરાજી સાથે સંવાદમુદ્દા ચર્ચવા ઉપરાંત એક સહાયકારી ભૂમિકાની કોશિશ કરી હતી. એ જ ધોરણે એમણે વિપક્ષી નેતાઓ સાથે પણ વાત કરી હતી.
વર્ષોથી ‘આફ્ટર નેહરુ હુ?’ના એક ઉત્તર તરીકે જેમનું નામ લેવાતું હતું તે જયપ્રકાશ સત્તાસંઘર્ષ કરતાં સંવાદની ભૂમિકાએ કામ લેવાને અગ્રતા આપતા હતા. ત્યારે જો કે ઇંદિરાજી જે સલાહકારોથી ગ્રસ્ત હશે એમણે જયપ્રકાશની રચનાત્મક સંવાદકોશિશને બદલે સંઘર્ષ અનિવાર્ય બની રહે એવી વ્યૂહકારીને અગ્રતા આપી એમ પાછળ નજર કરતા સમજાય છે.
કાઁગ્રેસમાં ત્યારે ઇંદિરા ગાંધીના ઉદ્દામ વલણોની સમર્થક છતાં એમની એકાધિકાર શૈલીની ટીકાકાર એવી યંગ ટર્ક મંડળી હાજરાહજૂર હતી. ચંદ્રશેખર, કૃષ્ણકાન્ત ને મોહન ધારિયા, રામ ધન આ સૌને લાગતું કે જયપ્રકાશ સાથે સંવાદ સાધી ઇંદિરાજીએ લોકઆંદોલન પાછળના મુદ્દા સુલઝાવવા જોઈએ. ચંદ્રશેખરે સંખ્યાબંધ સાંસદોને જયપ્રકાશ સાથે ચા પર આ જ ગણતરીએ નિમંત્ર્યા પણ હતા.
1975ના ફેબ્રુઆરી-માર્ચમાં ઇંદિરાજીના પ્રધાનમંડળના સાથી ધારિયાએ અમદાવદની મુલાકાત લીધી ત્યારે એમણે જાહેર વ્યાખ્યાનમાં કહ્યું હતું કે ઇંદિરા ગાંધી ‘ધ લીડર’ છે જ. તેઓ જયપ્રકાશ સાથે સંવાદ સાધી લોકઆંદોલનની માંગને ન્યાય આપવાનું ગોઠવી શકે તો તે લોકશાહીના હિતમાં હશે. અમદાવાદ છોડતા ધારિયાએ એરપોર્ટ પર પત્રકારોને કહ્યું હતું કે હું જાણું છું કે સત્તા પક્ષમાં મારી જેમ વિચારનારો હિસ્સો ઠીક ઠીક છે, પણ તે મોં ખોલી શકતો નથી. ધારિયાના આ પ્રગટ ઉદ્દગારોને પગલે એમને મંત્રીમંડળમાંથી છૂટા કરવામાં આવ્યા. અલબત્ત, બારમી જૂનનાં જે બે પરિણામોની મેં શરૂઆતમાં જિકર કરી તે પછી વ્યક્તિગત સત્તા-સાચવણી સારુ કટોકટીનો ટૂંકનજરી રાહ ઇંદિરા ગાંધીને અનિવાર્ય લાગ્યો હશે. અને સિદ્ધાર્થ શંકર રે જેવાઓ તો મહિનાઓ પૂર્વે ‘કટોકટી’નો વ્યૂહ બનાવીને બેઠા જ હતા!
1975ના માર્ચ-એપ્રિલ-મે હજી વિશેષ તપાસમાવજત માગે છે. યથાપ્રસંગ એની વાત કરીશું. પણ ઉતાવળે એટલું તો કહેવું જ જોઈએ કે જો ઇંદિરાજીને સંવાદ સારુ સમજાવી શકાયાં હોત અથવા એમના પક્ષમાં સ્વરાજનિર્માણનાં ધારાધોરણો માટે અવાજ ઉઠાવી એમને બાધ્ય કરી શકતા નેતાઓ અને કાર્યકરો હોત તો ચિત્ર જરૂર જુદું હોઈ શકત.
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 14 મે 2025