Opinion Magazine
Number of visits: 10080097
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગેંગસ્ટર મા

સંગીતા પટેલ|Opinion - Literature|3 August 2026

સંગીતા પટેલ

પ્રેમ અને હૂંફનું રૂપ એટલે જ મા. આ રૂપે જ મા પૂજાય. તેની કથાઓ થાય અને તો જ જગ પર શાસન કરે. પણ મા પોતાની દીકરીને સતત કહ્યા કરતી હોય કે “તું મારા ગળે બાંધેલો પત્થર છે,” “મારી બીમારીઓનું કારણ તું છે,” “મને થતું કે તને અનાથાશ્રમમાં મૂકી આવું,” અને “કૂતરી તો બેશક છે.” છતાં પણ દીકરીએ માના આવાં વેણ પાછળ માતૃત્ત્વ જ જોયું. માની મનોસ્થિતિ જોઇ. એને ખબર હતી આ શબ્દો તો મા બીજા કોઇ માટે બોલતી હતી. આવા માતૃત્ત્વને અપનાવી મા કરતાં પણ દીકરી વધુ મક્ક્મ અને પ્રતિભાવાન થઇ. 

માનો અસ્થમાનો હુમલો ચરમસીમાએ પહોંચે અને મા શ્વાસ લેવા માટે હાંફી જાય ત્યારે, એકબીજા સાથે અથડાઇને ઉપહાસ કરતી ખોપરીઓ જેવી લાગતી માની હાંસડીઓ, ગભરાયેલી બાળાને પૂછતી કે હવે તું શું કરીશ? બાળાનો અંતરઆત્મા જવાબ આપતો, “હું તારા માટે શ્વાસ લેવા પ્રયત્ન કરીશ, તારાં ફેફસાં બનીશ.” ફેફસાં બનવા તત્પર દીકરીએ લખી “મધર મેરી કમ્સ ટુ મી” અને માતૃત્વનું નવું રૂપ, આગવો મિજાજ દુનિયાને બતાવ્યો. 

બુકર પ્રાઇઝ વિજેતા અરૂંધતી રોયની કલમે મળેલી “ગોડ ઓફ સ્મોલ થીંગ”ની અમ્મુનું ખરું સ્વરૂપ તો બાકી હતું. અને તે ગેંગસ્ટર રૂપે મળ્યું “મધર મેરી કમ્સ ટુ મી”માં. આ ગેંગસ્ટર માનું પૂરબહાર વ્યક્તિત્વ અરૂંધતીએ જોયેલું. તેની પ્રતિભા, ઉદાત્ત ભલાઇ, તેની લડાકુ હિંમત, કઠોરતા, દાદાગીરી, વેપારી વૃત્તિ અને સીરિયન ક્રિશ્ચિન સમાજનાં નિયંત્રણો ફગાવી દઇને કેળવેલો અણધાર્યો આક્રમક મિજાજ જોયેલો. અરૂંધતી માના આવા મિજાજથી મોહિત થવા માંડી. માનાં કડવાં વેણથી એને ઘેન ચડતું અને તે સાંભળ્યા પછી તેને નિરાંતે ઊંઘ આવતી. ત્રણ પેઢીની સ્ત્રીઓની વાત કરતી આ સ્મરણકથામાં પોતાના નાનકડા વિશ્વમાં સમગ્ર વ્યક્તિત્વ માટે, સંપૂર્ણ અસ્તિત્વ માટે જગ્યા બનાવતી સ્ત્રીઓની વાત છે. 

અંગ્રેજ સંસ્થાનવાદી શાસનમાં કાઠું કાઢીને મોભેદાર હોદ્દે બેઠેલા કીટવિજ્ઞાની પિતાના હિંસક વ્યવહાર સહન કરી લેતી માને મેરીએ જોયેલી. સિદ્ધહસ્ત વાયોલિનવાદક હોવાછતાં તે કલાની અભિવ્યક્તિ કરી ના શકી. પતિએ વાયોલિન તોડી નાખ્યું હતું એટલું જ નહિ, પિત્તળની ફૂલદાનીના ઘાથી માથે આપેલો જખમ જીવનભર સાચવવો પડેલો. પણ દીકરીએ આ રૂઢિ તોડી. પિતાના હિંસક સ્વભાવથી દૂર થવા જીવનમાં પહેલી વાર મળેલો લગ્નનો અવસર સ્વીકારી તો લીધો પણ, આસામના અંતરિયાળ વિસ્તારમાં ટી એસ્ટેટ પર કામ કરતા તેને “નથીંગ મેન” જેવા લાગેલા દારૂડિયા પતિ સાથે લાંબો સમય સંબંધ નિભાવી ના શકી અને બે બાળકો સાથે પતિગૃહ ત્યાગ કર્યો. ઘર છોડી નીકળી ત્યારે તેની પાસે શિક્ષણ સિવાય કાંઇ ન હતું. વણ નોંતર્યા અને વણ પોંખ્યા અદૃશ્ય શકોરું લઇ ફરતા બાળકો સાથે તે પિતૃગૃહે આવી. નોકરી મળે ત્યાં સુધી રહેવાના મેરીના વિધાને ઘરના સભ્યો આશ્વસ્ત થયા. છ વર્ષની ઉંમરે અરૂંધતીને સમજાઇ ગયેલું કે, સુરક્ષિત સ્થળ સૌથી જોખમી હોય છે અને તે ના હોય ત્યારે પણ તે બનાવવાનું હોય છે. 

મેરીએ તેની બ્રિટિશ મિત્ર મિસીસ મેથ્યુ સાથે 1967માં કોત્તાયમમાં શાળા શરૂ કરી. તે વખતે અરૂંધતી સાત વર્ષની હતી અને તેનો ભાઈ સાડા આઠ વર્ષનો. રોટરી ક્લબમાં બે નાના રૂમ ભાડે લઇ શાળા શરૂ કરી. મનમોજી, આઉટસાઇડર સાથે લગ્ન કરી છૂટાછેડા લીધેલી સ્ત્રી ગામના બાળકોને ભણાવે તે શક્ય ન હતું. મિસીસ મેથ્યુના સંગાથે મા શાળા શરૂ કરી શકી. રોટરી ક્લબમાં સિગારેટના ઠૂંઠા વાળવા અને સભ્યોએ છાંડેલા ચાના કપ સાફ કરવામાં લેખિકા અરૂંધતી અને તેના ભાઈએ જોતરાઇ જવું પડતું. રોટરી ક્લબ બે પાળીમાં કામ કરતી. એક પાળીમાં શાળા અને બીજી પાળીમાં ક્લબની પ્રવૃત્તિઓ. શાળાની સામગ્રીમાં હતાં થોડાક સ્ટૂલ, ટેબલ અને સ્ટેન્ડ પર ગોઠવેલું બ્લેક બોર્ડ. ત્રણ વાગતા શાળા સંકેલાઇને દીવાલ તરફ અઢેલાઇ જતી, જેથી ક્લબની મિટીંગમાં કોઇને ખલેલ ના પડે. શાળાના નવા શિક્ષકોની અજમાયશ પણ અરૂંધતી અને તેના ભાઇ પર કરવામાં આવતી. મા શાળા પ્રવૃત્તિથી સક્ષમ થતી ગઇ. તેના વિચારો ઘડાતા ગયા. ક્રિશ્ચન મિશનથી ખસીને પોતાના સિદ્ધાંતો વિકસાવતી ગઇ. આ પ્રક્રિયામાં મિસીસ મેથ્યુથી અલગ થવું પડ્યું. 

પછી તો એકલે હાથે ભાડાના મકાનમાં છાત્રાલય શરૂં કર્યું. વ્યાવસાયિક પ્રમાણિકતામાં માનતી મેરી પોતાના બે સંતાનો કરતાં શાળાના બાળકોમાં વધુ ઓતપ્રોત રહેવા લાગી. શાળા સમયમાં મેરી તેના પોતાના બાળકો માટે પણ મિસીસ મેરી હતી. સમયાંતરે સંતાનો ઘરમાં પણ મા કહેવાનું ભૂલી ગયા. નિવાસી શાળામાં બીમાર કે ઘર વિયોગથી પીડાતા બાળકોને મા પોતાની પથારીમાં સુવાડતી. સ્નાન કરવાના પાઠ ભણાવતી શાળા કદાચ મિસીસ મેરીની જ હતી. બાળકોને સફાઇ કરતા પણ અહીં શીખવવામાં આવતું.

પુરુષસત્તાક સમાજના દુર્ગુણો સામે બાંયો ચડાવી નીકળેલી મેરીએ ધર્મના નામે મળતા હકોથી બાળકોને નિર્ભાંત કર્યા અને પુરુષોની નમ્ર પેઢી તૈયાર કરવાની નેમ રાખી. તેણે બાળકોના મનોબળ મજબૂત કરી, તેમનામાં ઉદ્દામવાદી સંસ્કાર રેડ્યા. લેખિકા કહે છે, આ બધુ ક્રાંતિથી કાંઇ ઓછું ન હતું અને તે ક્રાંતિની કિંમત ચુકવાઇ હતી. 

શાળાના વિદ્યાર્થીઓ માટે મૃદુ મા અરૂંધતીના ભાઈની નાની સરખી ભૂલમાં સમગ્ર પુરુષસત્તાક સમાજના મૂળ જોતી. મેરીને હાથવગો પુરુષ આ એક જ હતો, જેને તે આખી વ્યવસ્થા બદલ શિક્ષા કરી શકતી હતી. 

1974માં મેરીએ વિદ્યાર્થીઓનાં માતાપિતા પાસે કોશન ડિપોઝીટ માગી અને સૌએ સહર્ષ આપી. તે પૈસાથી તેણે તદ્દન વગડા જેવી જમીન ખરીદી. લેખિકા લખે છે, આ જમીનમાં સ્મશાન ઘાટે વિલાપ કરતા હોય તેવા સુસવાટા કરતાં ઊંચા ઝાડ, નોળિયા – ગરોળીઓનું ઘર અને સુકાઇ ગયેલો કૂવો હતાં. ભૂતાવળ જેવી દેખાતી લોકમુખે શાપિત કહેવાતી જમીનમાં તેણે આદર્શ શાળા ઊભી કરવા ધારેલું. સદ્નસીબે સ્થપતિ મળ્યા લોરેન્સ વીલફ્રેડ બેકર. યુદ્ધ વિરોધી બેકર 1945માં ભારત આવ્યા અને વર્લ્ડ લેપ્રસી મિશન માટે કામ શરૂં કર્યું. અરૂંધતી લખે છે, “સસ્ટેનેબલ” અને “ઓર્ગેનિક” જેવા શબ્દો એને બેકર પાસેથી મળ્યા. અરૂંધતીને મોટા થઇને સ્થપતિ થવાની પ્રેરણા કદાચ બેકરમાંથી મળી હશે. તે લખે છે, પરંપરા મુક્ત બેકરના સ્થાપત્યમાં ગમગીન, બીબાંઢાળ મકાનો ન હતાં. વૃક્ષો કાપ્યાં વગર કે ઢાળ સમથળ કર્યા વગર, પૈસાનો વ્યય કર્યા વગર તેમણે મેરીની શાળા ઊભી કરી. ત્રણ દીવાલોવાળાં બારણાં વગરના દરેક વર્ગખંડના આકાર અલગ હતા. ઝાડ-ઝાડવામાંથી ઊગી નીકળતાં મકાનો સંગીત, નૃત્ય અને સાહિત્ય જેવો આનંદ આપતા હતાં. મિસીસ મેરી આ શાળાને આજીવન વળગેલી રહી. લેખિકા લખે છે, “વર્ષો પછી મને સમજ આવી કે, માને ત્રણ બાળક હતા સૌથી મોટો દીકરો, સૌથી નાની શાળા અને વચલી હું. માના પ્રિય બાળક માટે અમને કોઇ શંકા ન હતી.” 

મિસીસ મેરીના જીવનની સૌથી ઉદ્દામ નારીવાદી ઘટના હતી, પિતાની વારસાગત મિલકતમાં સ્ત્રીના સમાન હકની માગણી. મેરીના પિતાની વારસાગત મિલકત હતી, મલબાર કોસ્ટ પ્રોડક્ટનું હેડક્વાટર. આ ઝંઝાવાતનો તેણે ધીરજપૂર્વક સામનો કરેલો. તેના માટે તે સુપ્રીમ કોર્ટ સુધી લડી. તેની લડતના પરિણામે ત્રાવણકોર ક્રિશ્ચન વારસા હક ધારો રદ્દ થયો અને મેરી રોય દેશમાં નારીવાદી આઇકોન બની અને અરૂંધતીના મામા જી. આઇસેક તેનુ નિમિત્ત. 

અભ્યાસ અર્થે ઘર છોડ્યા પછી અરૂંધતીએ લાંબો સમય ઘર ભણી જોયું નહિ એટલા માટે નહિ કે, તે માથી દૂર ભાગતી હતી પણ, તે માને સતત ચાહવા સક્ષમ બનવા માગતી હતી. માના સ્મરણ સાથે અરૂંધતીએ પોતાના અંગત સંબંધોની નિખાલસ વાતો કરી છે ત્યારે, દરેક નિજી ઘટનાઓના કાળક્રમે દેશ અને દુનિયામાં બનતી ઘટનાઓનું પણ તેટલું જ આકલન કર્યું છે. ઇટલીના અભેદ્ય રસ્તા ખૂંદતા 1986માં બનેલો આસામના નેલ્લીમાં થયેલો મુસલમાનોનો નરસંહાર પૂરી સંવેદનશીલતા સાથે યાદ કર્યો. ખાખી ગણવેશ અને લાલ રિબીન બાંધીને હાથમાં રાયફલ ઉઠાવી શરણાગતિ કરતી ફૂલનદેવીની દરેક અખબારના પાને ચમકેલી તસવીર યાદ કરતાં, ફૂલનદેવીની સંમતિ વગર તેના વિષે ફિલ્મ બની અને તેની હાજરી વગર તેનો સ્ક્રીનીંગ સમારોહ કરવામા આવ્યો, આ બધાથી વ્યથિત અરૂંધતીએ લખ્યું “ધ ગ્રેટ ઇન્ડિયન રેપ-ટ્રીક.”

નર્મદા નદીને બાંધતા ગંજાવર સરદાર સરોવર બંધથી પાણીમાં વિલીન થતાં પ્રાચીન, ઘટાઘોર જંગલો અને વન ટેકરીઓમાં રહેતા હજારો સ્થાનિક આદિવાસીઓનું વિસ્થાપન, ફળદ્રૂપ જમીન તેમ જ પ્રાચીન નદીના કોતરોની સંપૂર્ણ સભ્યતાનો વિનાશ જોતાં અરૂંધતીએ લખ્યું “ગ્રેટર કોમન ગુડ”. અરૂંધતીના મતે મહાકાય બંધો પર્યાવરણના વિનાશક, આર્થિક રીતે અસ્થિર અને રાજકીય રીતે બિન લોકતાંત્રિક છે. 

સરદાર સરોવર સામે પડેલા નર્મદા બચાવો આંદોલનને પણ અરૂંધતીએ નજીકથી જોયું. નર્મદા વેલીની મુલાકાતને તે તર્ક અને લાગણી બંનેનો સમન્વય ગણે છે. મહાકાય બંધના વિરોધથી જાણીતી અને લાંબી લડતનું નેતૃત્ત્વ માનસિક અને શારીરિક બંને કક્ષાએ વેદના વેઠીને બહાર નીકળેલી સ્ત્રીઓના હાથમાં હતું. નર્મદા બચાવો આંદોલનના પ્રભાવશાળી નેતા મેધા પાટકરને તેણે પ્રખર ગાંધીવાદી અને અથાક કર્મશીલ કહ્યાં. બંધની અસરોથી સંપૂર્ણપણે પરિચિત, વર્ષોથી ખીણમાં કાર્યરત, મેધાના સ્પર્શી ગયેલા ગુણો હતા, તદ્દન સાદગીભર્યુ જીવન, રોમાન્સ સહિત તમામ પ્રકારના આહલાદ્ક આનંદનો ત્યાગ, પ્રમાણિકતા, પ્રતિબદ્ધતા અને મિલનસાર સ્વભાવ.

મેધાને જોતા અરૂંધતીને પોતાના વ્યક્તિ સ્વાતંત્ર્યનો અહસાસ થાય છે. તે કહે છે, મારી પ્રતિબદ્ધતા લેખન છે એટલે લોકઅપેક્ષાનું ભારણ નથી. બિનલોકપ્રિયતાનો હક ભોગવી શકાય છે. કર્મશીલની ભૂમિકા સતત જવાબદેહીની હોય છે. નર્મદા વેલીની મુલાકાતે અરૂંધતીની ખાસ અભિવ્યક્ત ઝકઝોરી તો કાશ્મીર વેલી પ્રવાસ તેના પર વજ્રાઘાત સમાન હતો. લોકશાહીના નામે લોકો પર થતા જુલમ અને વિનાશ સામે પ્રજા લાચાર છે. લશ્કરી સૈનિકોના નિશાને ઊભેલા કાશ્મીરના લોકોના અંગત જીવન પણ બંદૂકની અણીએ છે. કાશ્મીર વિષેના લેખન અને પ્રવચનના હિંસક પ્રતિભાવના પગલે અરૂંધતીને ભાડાનું ઘર બદલવું પડ્યું હતું. 

લોહિયાળ યુદ્ધનું મેદાન એવા બસ્તરના દંડકારણ્ય જંગલમાં ભારતીય સામ્યવાદી (માઓવાદી)નું આમંત્રણ અરૂંધતીએ ટાળ્યું નહિ. અહીં યુદ્ધ નવું હતું પણ વાત જૂની હતી. ભારતની તત્કાલીન કાઁગ્રેસ સરકારે સંખ્યાબંધ કરારનામા કર્યા હતા. આદિજાતિઓની માતૃભૂમિને કોર્પોરેટ માઇનીંગ અને ઇનફ્રાસ્ટ્રકચર કંપનીઓને હવાલે કરવા. નર્મદા વેલીથી આ લડાઇ જરા ય જુદી ન હતી. ફરક એટલો હતો કે, અંતરિયાળ અરણ્યમાં રહેતા આ લોકોએ વધતી જતી જળ સાપાટી સામે નહિ પણ, ગોળીઓના વરસાદ સામે લડવાનું હતું. સરકારે આદિમ જાતિના લોકોની “સાલ્વાઝુડુમ” નામે ઊભી કરેલી ફોજે ગામડાઓમાં ખાસકરીને સ્ત્રીઓ પર જુલમ વરસાવ્યા. એટલે પ્રતિકારના સશસ્ત્ર ગેરિલા જંગમાં મોટાભાગે સ્ત્રીઓ હતી. આ સ્ત્રીઓ જુલમખોરોના સકંજામાં આવી જાય ત્યારે મરણતોલ અવસ્થામાં પાછી મોકલવામાં આવે છે જેથી, તેના કોમરેડને જઇને વીતક સંભળાવે અને લોકો ભયભીત થાય. લાલ કીડીઓની ચટણી, ભાત, ફળો અને પ્રસંગોપાત ઉભડક બનાવી દેવાયેલી તાજી માછલી કે મરઘીનો આહાર લઇ ગેરિલા સ્ત્રીઓ સાથે નદીમાં સ્નાન કરી ખેડેલા પ્રવાસનો આંખો દેખ્યો અહેવાલ એટલે “વોકિંગ વીથ કોમરેડ.” આદિવાસીઓને જંગલમાંથી ખદેડી દેતા “ઓપરેશન ગ્રીન હન્ટ” સામે અહિંસક મોરચે ચડેલા અનેકોમાંના એક અરૂંધતીના મિત્ર જી.એન. સાંઇબાબાને સરકારે ખૂંખાર આતંકવાદી બનાવી કેદ કર્યા. લગભગ લકવાગ્રસ્ત પ્રાધ્યાપક ખૂંખાર આતંકવાદી કેવી રીતે હોઇ શકે.

મિસીસ મેરી અરૂંધતીના તમામ લખાણ વાંચતી. “ગોડ ઓફ સ્મોલ થીંગ”ની મા અમ્મુ તેને ગમી ગયેલી અને તેવી મા બનવાની ઇચ્છા વ્યક્ત કરેલી કારણ કે તેને ખબર હતી તે અમ્મુ નથી. અરૂંધતીના પ્રારંભિક શિક્ષણમાં ગોરા પુરુષ લેખકોનો પ્રભાવ હતો અને તેનું શ્રેય તે મા મેરી અને મામા જી. આઇસેકને આપે છે. વાચન અને મીનાચલ નદી તેના બાળપણના ગોઠિયા હતાં. મા બૂમો પાડવા માંડતી અને તે ભાગી નદી કિનારે જતી રહેતી. ત્યાં વસતા અછૂત ગણાતા લોકો તેના સાથી હતા. તેમની મલબાર કોસ્ટ પ્રોડક્ટસમાં કામ કરતો એક યુવાન તેનો મિત્ર બન્યો અને તેની પાસેથી અરૂંધતી વાંસની ગાંઠોમાંથી ફીશીંગ નેટ બનાવીને માછલી પકડતા શીખી. ત્યારે તે છ વર્ષની હતી. અમ્મુના પ્રેમી વેલુથાની પ્રેરણા અરૂંધતીને આ યુવાનમાંથી મળેલી. 

ઇટલીમા વસવાટ દરમિયાન તે જીવનસાથી પ્રદીપને પત્રો લખતી. આ પત્રો વાંચી પ્રદીપ પૂછી નાખે “હેવ યુ એવર કન્સીડર્ડ બીકમીંગ અ રાઇટર”? અરૂંધતી જાણતી હતી કે તેને ભાષાપ્રાણી પકડવાનું હતું. આ ભાષાપ્રાણી પકડી તેનો કસ કાઢીને તેનું આકલન કરવાનું હતું. લાગણીઓને જોઇ શકાય, સૂંઘી શકાય, સ્પર્શ કરી શકાય તેવી રીતે બયાન કરવી હતી. અરૂંધતીને ખબર હતી આ ભાષા તેની અંદર ન હતી પણ બહારથી પકડવાની હતી. શિકારીની જેમ તેનો પીછો કરવાનો છે. રોજિંદી ઘટમાળમાં છટકીને આ સાધના કરવાની હતી. અને આ સાધનાએ તેના અંગત અને બિનઅંગત લખાણ આપ્યા. 

“મધર મેરી કમસ્ ટુ મી” અંગત સંવેદનની ફળશ્રુતિ છે. રેતીમા વહાણ ચલાવે તેવી માની વાત છે. માના ગેંગસ્ટરીઝમમાં દીકરીએ માની જે સચ્ચાઇ જોઇ તે સ્વીકારી. આ ગેંગસ્ટર માની પાઠશાળા આજની શિક્ષણ વ્યવસ્થા માટે બોધ છે. લેખિકા કહે છે વિદાય લેવાનો સમય પણ તેણે ઉત્તમ પસંદ કર્યો હતો. સપ્ટેમ્બરમાં ચોમાસું ઓસરી ગયું હતું અને પર્વતો વચ્ચે નીલમણિની જેમ ઝગમગતું કેરળ મૂકી ગયું હતું. માએ આવા રમણીય સમયે છેલ્લું પ્રસ્થાન કર્યું. ચર્ચ એને ન હતું ઇચ્છતું અને ચર્ચને એ. ઇશ્વર સાથે એને કોઇ લેવાદેવા ન હતી. તેણે સ્થાપેલી શાળામાં ભણેલા વિદ્યાર્થીઓની પેઢીઓએ ઇન્ટરનેટ પર પ્રેમનો ધોધ વહેવડાવ્યો. એમના જીવનની કાયાપલટ તેણે કરેલી. તે મૃત્યુ પામી તે દિવસે શાળામાં રજા હતી. તેનું કેમ્પસ અમારું હતું. કદાચ આ આયોજન પણ તેનું જ હતું. કેરળના મોબાઇલ સ્માશનગૃહે શાળા કેમ્પસમાં તેની અંતિમ વિધિ સરળ કરી. અંગત સંવેદનાથી શરૂ થતી આ સ્મરણ કથાનો ચેતોવિસ્તાર વ્યાપક છે. ઘરના ઉંબરેથી માંડીને દેશ-દુનિયામાં બનતી લગભગ તમામ અસમાન પરિસ્થિતિનું આલેખન કરી માતૃતર્પણનું કર્તવ્ય દીકરીએ અદા કર્યું.

E-mail : sanita2021patel1966@gmail.com

Loading

સિદ્ધાંતવાદી

અનિલ બી. સરૈયા ‘અનમોલ’|Opinion - Short Stories|3 August 2026

સાંજ પડી ગઈ હતી અને સૂરજ આથમવાની ઘડીઓ ગણાઈ રહી હતી, ત્યારે જામનગરની રંગમતી નદીનાં કાંઠે એક વ્યક્તિ બેઠી હતી.

તે વિચારમાં વ્યસ્ત હતી અને આજુબાજુનું તેને કંઈ જ ભાન ન હતું.

તેનાં મનમાં બસ એક જ વિચાર ચાલતો હતો કે ….

 ‘મારી સાથે જ આવું કેમ?

હું ક્યાં કંઈ ખોટું કરું છું? હું તો મારા પરિવારને જીવથી પણ વધુ ચાહું છું, તેમના માટે મેં શું શું નથી કર્યું?

મારા પુત્રને ભણાવીને મોટો કર્યો. એના બધા મોજશોખ – મારી લિમિટ પ્રમાણે મેં પૂરા કર્યાં જ છે.

તેને જે કંપનીમાં નોકરી જોઈતી હતી, તે માટે તે મેનેજરને પૈસા આપવા તૈયાર હતો અને એ રકમ પણ, નાની નહીં, પૂરા છ મહિનાનો પગાર તેને લાંચમાં એડવાન્સમાં આપવાનો હતો.

આ વાત મને ખટકી. મેં ના પાડી. આવું ન કરાય અને હું તને કરવા પણ નહીં દઉં. આ મારા સિદ્ધાંતની વિરુદ્ધ છે.

ત્યારે તે મારી ઉપર ઉતરી પડ્યો અને બોલ્યો: “પપ્પા, મારે તમારી જેમ આખી જિંદગી ક્લાર્ક બનીને નથી જીવવું. મારે તો સ્માર્ટ નોકરી જોઇએ છે અને આ રકમ લાંચ નથી પણ મારા મતે ઇન્વેસ્ટમેન્ટ છે.”

ત્યારે મેં તેને સમજાવ્યો કે “બેટા, તું ચિંતા ન કર.  હું તને તારી આ જ મનગમતી જોબ અપાવી દઈશ, પણ તું થોડી રાહ જો અને મારા પર વિશ્વાસ રાખ.”

ત્યાર પછી મેં મારા સિદ્ધાંતની વિરુદ્ધ જઈને તે કંપનીનાં સી.ઈ.ઓ.ની તપાસ કરી અને તેની સાથે કોઈને કોઈ સંબંધ મળી આવશે તેની મને ખાતરી હતી.

મેં ફેસબુક એકાઉન્ટમાંથી તેનો બાયોડેટા શોધી કાઢ્યો.

અને ખરેખર તે કંપનીનો સી.ઈ.ઓ. મારો મિત્ર નીકળ્યો.

અમે ધોરણ એક થી ચાર પ્રાથમિક શાળામાં સાથે ભણ્યા હતાં. પછી ધોરણ પાંચથી અમારી હાઈસ્કૂલ બદલી ગઈ અને કોલેજ પણ અલગ હતી.

હવે ધોરણ ચાર એટલે કે અમે માંડ નવ વર્ષનાં હોઈશું. તેને ત્યારનું યાદ કેવી રીતે હશે?

પણ ‘ડૂબતો માણસ તરણું ઝાલે’ એ કહેવત અનુસાર એક રજાના દિવસે હું તેના ઘરે પહોંચી ગયો.

મેં તેને મિત્ર તરીકે ઘણી યાદ અપાવી કે “આપણે ત્રીજા-ચોથા ધોરણમાં સ્કૂલમાં સાથે ભણતાં હતા, રિસેસમાં આપણે બેઉ સાથે નાસ્તો પણ કરતા હતા. ત્યારે આપણે બંને સાવ દુબળા-પાતળા હતા.

મિત્ર, યાદ છે તમને કે કોમપ્લાનનો ત્યારે જ જન્મ થયો હતો. એટલે તમે દરરોજ ક્લાસમાં બંને હાથ ઊંચા કરીને બોલતા “આઈ એમ કોમપ્લાન બોય…”

ત્યારે આપણા બધાં મિત્રો સાથે હું પણ તાળી પાડતો હતો.’

આ સાંભળીને તે બોલ્યો: “સરસ, તારી યાદશક્તિને દાદ દેવી પડે. તેં આટલી વાત ન કરી હોત, તો હું તને ઓળખી જ ન શકત. કોમપ્લાન મને બરાબર યાદ છે. હવે તું પણ યાદ આવી ગયો. હવે તું મને તમે નહીં પણ તું કહીંને બોલાવ. આપણે તો બચપણનાં મિત્રો એટલે લંગોટિયા યાર છીએ.

બોલ મિત્ર, મારા જેવું કંઈ કામ હોય, તો કહે.”

પહેલાં તો મેં વિચાર્યું કે, આજેને આજે તેને કામ કહેવું યોગ્ય નથી.

પણ પછી થયું કે, કર્યું તે કામ, આ માટે ફરી પાછું તેને મળવા અવાય કે ન અવાય, તેને આજે જ કહી દઉં.

એમ વિચારીને મેં મારા પુત્ર માટે તેની નોકરી વિશે વાત કરી.

અને કહ્યું: “તેને તારી કંપનીમાં કોઈ જોબ હોય તો ચાન્સ આપજે.”

તો તરતજ તેણે કહ્યું:- “હા, છે ને, તું એમ કર, તારા દીકરાને મારું આ કાર્ડ આપી દેજે અને કાલે સોમવારે બપોરે બરાબર અગિયાર વાગ્યે મારી ઓફિસે આવી અને કાર્ડ બતાવી અને સીધો મારી કેબિનમાં આવી જાય. મને આવી વિશ્વાસુ વ્યક્તિની જ જરૂર છે.”

આમ વાત થઈ એટલે હું રાજી રાજી થતો મારા ઘરે પહોંચ્યો અને મારા પુત્રને આ વાત કરી અને કહ્યું : “ચાલ બેટા, તારું કામ થઈ ગયું. હવે તારે કોઈ વચેટિયાને કંઈ નહીં આપવું પડે.”

આ સાંભળ્યાં પછી પણ તેના ચહેરા ઉપર આનંદ ન દેખાયો.

આ જોઈને હું મુંઝાયો. મેં તરત જ મારી પત્ની તરફ જોયું તો તેને પણ મોઢું ફેરવી લીધું.

મને કંઈ સમજાયું નહીં.‌

પણ મારું ધ્યાન તેનાં ગળા પર ગયું. તેનાં ગળામાં મંગળસૂત્ર નહોતું.

આથી મેં પૂછ્યું : “આ શું થયું? તારું મંગલસૂત્ર તૂટી ગયું છે? મને આપજે, હું તેને રીપેર કરાવી લાવીશ.”

પણ ત્યારે પત્ની બોલી : “તે તૂટી નથી ગયું, પણ તમે ઘણું મોડું કર્યું.”

“એટલે? હું કંઈ સમજ્યો નહીં?”

“એટલે કે કાલે સોમવારે ઈન્ટરવ્યુ છે, તેથી મારા રાજુએ કહ્યું : ‘મમ્મી, પપ્પા કંઈ નહીં કરે, તું જ કંઈ કર.’ આથી લાંચ આપવા માટે મેં મારું મંગલસૂત્ર તેને વેંચવા માટે આપી દીધું અને તેનાં ઉપરાંત મારી પાસે જે બચત હતી તે પણ તેને આપી દીધી અને હમણાં જ તે પેલા (વચેટિયા) ભાઈને તે આપી આવ્યો છે.

હવે તમે આટલી મોડી ઓળખાણ કાઢી આવ્યા, તેનો શો મતલબ?

હવે કંઈ પેલો પૈસા પાછા નહીં આપે.”

મને પણ થોડો ગુસ્સો આવી ગયો. મેં કહ્યું : “પણ આટલું બધું કરતાં પહેલાં મને પૂછવું તો હતું ને?”

“શું પૂછીએ, તમને? તમે આજ સુધીમાં કર્યું છે જ શું? આખી જિંદગી તમે તમારા નીતિ નિયમોનું પૂછડું પકડીને જ રહ્યા છો. ક્યારે ય તેમાં બાંધછોડ કરી નથી. તો અમને કેમ વિશ્વાસ આવે કે તમે આવું કરવાની હિંમત પણ કરશો.” રાજુએ જવાબ આપ્યો.

“અરે દીકરા, તારા માટે આજે મેં પહેલીવાર મારા સિદ્ધાન્તોને છોડીને આ પગલું ભર્યું છે.

મને ખબર હોત કે, તમને મારા ઉપર જરા પણ વિશ્વાસ નથી, તો હું આજે તમારા માટે મારા આદર્શને નવે ન મુકત.”

…આમાં મેં ખોટું શું કર્યું?

મને તો લાગે છે કે મારા ઘરમાં કોઈને મારી જરૂરત નથી.

તો હવે મારે જીવી ને શું કરવું? તે મા-દીકરો જીવી લેશે તેમની જિંદગી. મારી હવે કોઈને જરૂરત નથી. હજી તો મારા હાથ પગ ચાલે છે, પણ કાલે હું પરવશ થઈ જઈશ, તો આ લોકો મને…

શું કહું? મને તેની કલ્પના કરવી પણ નથી ગમતી.

આથી જ થાય છે કે, હવે મારા જીવને આ રંગમતી નદીમાં જ હોમી દંઉ.

પણ પાછો બીજો વિચાર આવે છે કે, એવું ન કરાય. ભગવાને આ અતિ ઉત્તમ માનવ યોનિમાં જન્મ આપ્યો છે.  મારે આપઘાત કરીને મારા ભગવાનનું અપમાન નથી કરવું.

વળી અપમૃત્યુથી તો જીવને પ્રેત યોનિમાં ભટકવું પડે અને હવે તો લોકો પ્રાર્થના સભામાં પણ ‘લૌકિક વ્યવહાર બંધ છે’ તેમ લખે છે.

તેથી દસમા-બારમા ની ક્રિયા તો ભાગ્યશાળીને જ પ્રાપ્ત થાય છે.

આથી આપઘાત તો નહીં કરું, એની બદલે જે પીડા ભગવાને આપી હશે તે હસતાં મુખે ભોગવી લઈશ.

આમ વિચારીને ઘરે પાછો આવ્યો.

રાતનાં ઘણું મોડું થઈ ગયું હતું. બધાએ જમી પણ લીધેલું.

વળી મારી પત્ની મને જમવાનું પૂછવાને બદલે બોલી : “આટલું મોડું કરાય? કંઈ છમ્મકછલ્લું પાસે ગુલછરાં ઉડાવવા ગયા હતા?”

“એવું કંઈ નથી, જરા મોડું થઈ ગયું.” એવું કહીને હું મારા રૂમમાં આવી સુવા લાગ્યો.

એ જોઈને મારી પત્ની બોલી : “ચાલો, ચાલો, હવે જમી લો, મને ખબર છે, તમે પાણીએ ય નથી પીધું. હું મજાક કરતી હતી, એટલું ય ન સમજ્યા?”

ત્યારે મનમાં થયું કે ‘મેં પાણીયે નથી પીધું તેની ખબર છે અને ટોણાં છમ્મકછલ્લુંનાં મારે છે. આ પત્નીને મારે કેવી રીતે સહન કરવી?’

 પણ હું ગમ ખાઈ ગયો.

વળી અન્નદેવતાનું અપમાન ન થાય એટલે તેણીએ જે પિરસ્યું હતું તેટલું ખાઈને ઉઠી ગયો.

બીજે દિવસે સોમવાર હતો.

મારો પુત્ર ઈન્ટરવ્યુ આપવા ગયો. તેને મારા કરતાં તે લાંચિયા ઓફિસર પર વધુ વિશ્વાસ હતો.

તે ઉમેદવારોની લાઈનમાં બેઠો હતો અને નામ પ્રમાણે બધાં  વારાફરતી અંદર જતાં હતાં.

ત્યાં અગિયાર વાગ્યા એટલે સાહેબની કેબિનમાંથી આવીને પ્યુન બોલ્યો.

“રાજુ મધુસૂદન ત્રિવેદી”

આ સાંભળીને રાજુ ચમક્યો, તેનો વારો તો ઘણો પાછળ હતો. પણ પોતાનું નામ સાંભળીને તે સીધો સાહેબની કેબિનમાં ગયો.

ત્યાં સાહેબે કહ્યું : “આવ, બેટા આવ, તારા પપ્પા મારા મિત્ર છે. તેમના જેવી સિદ્ધાંતવાદી વ્યક્તિ મેં આખી જિંદગીમાં જોઈ નથી. તે સુદામાની જેમ મારી પાસે આવ્યા હતા.

હું કૃષ્ણ તો નથી, એટલે મેં તેમના આવવાનું પ્રયોજન પૂછ્યું, ત્યારે પણ બીતાં બીતાં તેમણે મને તારી વાત કરી.

મને ખાતરી છે કે તું પણ તારા પિતાજી જેવો જ સિદ્ધાંતવાદી હશે. હોય જ ને, કહે છે ને કે બાપ તેવા બેટા.

એટલે હું તને સૌથી મોટી જવાબદારી સોંપવા માંગું છું.

મને જાણવા મળ્યું છે કે મારો એચ.આર. છે, તે બહું જ કરપ્ટેડ છે, તે નોકરી આપવા માટે લાખોની લાંચ લે છે.

મારી પાસે પૂરાવા નથી, નહિતર હું તેને હમણાં જ નોકરીએથી છૂટો કરી દઉં અને તેની જગ્યાએ તારા જેવા ઈમાનદાર માણસને તે પોસ્ટ આપી દઉં.”

હવે રાજુ સલવાયો. તેની પાસે લાંચ આપ્યાનો પુરાવો હતો, પણ જો તે કહે કે, મારી પાસે પુરાવો છે, તો તે નોકરી કરપ્શનથી લેવા માગતો હતો, તેવું સાબિત થાય, તેથી તે પણ કરપ્ટેડ ગણાય, આથી તેના પર વિશ્વાસ રહે નહીં અને તેને નોકરી પણ મળે નહીં. અને જો તે આ વાત ન કરે તો તેને નોકરી તો મળી જાય, પણ તે કરપ્ટેડ સાહેબ ત્યાં જ રહે.

હવે આ સમયે તેને તેના પપ્પા યાદ આવી ગયા, કે તે જો તેની જગ્યાએ હોત તો તે શું કરત? આમ વિચારતાં તેને થયું કે, ભલે નોકરી ન મળે, પણ મારે, મેં પણ કરપ્શન આપ્યું છે, તે વાત મારા સાહેબને તો કરવી જ જોઈએ.

આથી તેણે સાહેબને બનેલી બધી વાત કરી દીધી અને માફી માંગી લીધી.

આ સાંભળી સાહેબે તેને પૂછ્યું : “તે તેને કેટલી રકમ, ક્યારે અને કંઈ જગ્યાએ આપેલી? ત્યાં સી.સી.ટી.વી. છે?

“હા, સાહેબ, મેં મારી મમ્મીનું મંગલસૂત્ર હું સોનીને વેંચવા ગયો હતો, ત્યારે તે મારી સાથે જ આવ્યો હતો, તેથી તે રકમ મેં સોનીની દુકાનમાંથી બહાર આવીને તરત જ તેનાં હાથમાં મૂકેલી અને સોનીની દુકાને અંદર તથા બહાર સી.સી.ટી.વી. પણ હતાં.

આ પૂરાવાઓ સાથે પોલીસ કમ્પલેઈન્ટ કરીને તે એચ.આર.ને સસ્પેન્ડ કરવામાં આવ્યો. આ ઉપરાંત તેણે જેની પાસેથી નોકરી અપાવવાના પૈસા લીધા હતા, તે બધાનાં પૈસા પણ તેની પાસેથી કઢાવીને જેનાં હતાં, તેમને પરત આપવામાં આવ્યા.

પછી સાહેબે તેને તેના પપ્પા સાથે પોતાના ઘરે બોલાવ્યો અને કહ્યું :

“મિત્ર, મને તમારા સિદ્ધાંત ખૂબ જ ગમે છે. હા, તમારો પુત્ર તેમાં ઊણો ઉતર્યો છે, પણ તે આખરે તો તમારું જ લોહી છે, એટલે હું તેને સન્માન સાથે મારી કંપનીમાં એચ.આર.ની પોસ્ટ આપું છું” અને તેણે રાજુને કહ્યું : “બેટા, તને ભલે તારા પપ્પા ચિકણા લાગે, પણ આ દુનિયા તેમના જેવાં સિદ્ધાંતવાદીઓથી જ ટકી રહી છે. અને મને તેવા જ સિદ્ધાંતવાદીની જરૂર છે. જે વ્યક્તિ પૈસા જોઈને ચળી જાય, તેના કેવા હાલ થાય છે, તેની હવે તને તો ખબર જ છે. તેના દિવસો જેલમાં કેવા જશે તેની કલ્પના કરી લેજે.

તો તને કબૂલ છે ને તારા પપ્પાના સિદ્ધાંતો?”

 “હા, સાહેબ” કહીને તે સાહેબની સાથે પપ્પાને પણ પગે લાગ્યો.

આમ સિદ્ધાંત જ સર્વોપરી છે અને શાંતિથી ટેન્શન વિના જીવવાનું એકમાત્ર સાધન છે. તે હવે રાજુ ને સમજાઈ ગયું હતું.

ઘરે આવ્યા બાદ પત્નીને આ સમગ્ર ઘટનાની જાણ થાય છે. તેને પોતાની ઉતાવળ, પોતાના કઠોર વેણ અને પતિને ન સમજી શક્યાનો તીવ્ર પસ્તાવો થાય છે. તે આંખમાં આંસુ સાથે પતિ પાસે માફી માંગે છે અને કહે છે કે, “આજે તમારા સિદ્ધાંતોએ જ આપણા ઘરની આબરૂ અને દીકરાનું ભવિષ્ય બચાવી લીધું.”

આ જોઈને મારી આંખો પણ ભરાઈ આવી. હવે મારી સિદ્ધાંતવાદી તરીકેની મારી પીડાનો અંત મારા સિદ્ધાંતને કારણે જ આવ્યો.

102, Cloud 3, Valkeshwari Nagri, B/h Gokul Hospital, Nr. Sat Rasta, Jamnagar – 361 008. Gujarat.
Email: anilanmolstory@gmail.com

Loading

બાજીગરનાં સોગઠાં

દેવીકા ધ્રુવ|Opinion - Opinion|3 August 2026

દેવીકા ધ્રુવ

બાજીગર શબ્દ કેટલો સરસ છે? અને સોગઠાં પણ કોઈપણ રમતપ્રેમીને ગમતો જ શબ્દ. તરત ઉપસતો અર્થ અને તસ્વીર તો સામાન્ય જ છે અને કદાચ એ બંને સર્વમાન્ય પણ ખરાં જ એમ મારું માનવું છે. છતાં ગુજરાતી ભાષાના અસીમ ખજાનામાંના આ શબ્દો પણ એક રસનો વિષય છે.

કોણ જાણે કેમ પણ મને દરેક જન્મદિવસની સવારે આકાશ તરફ નજર કરતાંની સાથે જ, અચૂક આ અંગે વિચારો આવે જ, આવે. એની વધુ વાત કરતા પહેલાં નાનપણમાં જોયેલ એક જાદુગરનું ચિત્ર નજર સામે ખડું થાય છે. ખૂબ ઊંચો, પાતળો, સોહામણો, આછી મૂછ વાળો એ માણસ. હસે તો કોઈપણ મોહ પામી જાય અને બોલે તો બસ, જાણે સાંભળ્યા જ કરીએ. ક્યારેક ક્યારેક શેરીઓમાં આવે, જાદુના ખેલ કરે, સૌને અચંબામાં મૂકી દે અને થોડુંઘણું કમાઈ ચાલતી પકડે. પણ એના ગયા પછી નાનાં ભૂલકાંઓથી માંડીને મોટેરાં સુધીના સૌ કોઈ એની વાતો કર્યા જ કરે, કલાકો સુધી એ જ વાતો ચાલે એટલું જ નહિ, એણે બતાવેલા ખેલ /બાજી / જાદુ કરવાનો નિષ્ફળ પ્રયત્ન પણ કરે. ધીરેધીરે સમયની રફ્તાર આગળ ચાલે, સૌ કોઇ પોતાની ઘરેડમાં પૂર્વવત્ થઈ જાય. અચાનક ફરી પાછો પેલો જાદુગર દેખા દે. ક્યારેક બાજી ખેલે તો ક્યારેક જાદુ બતાવે. ક્યારેક મદદ માટે હાક પાડે, પોતે હાર્યા હોવાનો ડોળ કરે અને પછી એકદમ જ બાજી પલટી નાંખે. 

આજે જ્યારે જિંદગીના અઠ્ઠાવીસ હજાર એકસો પાંચ દિવસોનાં કંઈ કેટલાંયે પગલાં ચાલી લીધા છે ત્યારે, બાળપણની એ સ્મૃતિનો અર્થ સમજાય છે અને શા માટે એ દરેક જન્મદિવસે જ માની સાથે વધુ સાંભરે છે તેનું રહસ્ય પણ તાગી શકાય છે. જાદુ કહો કે બાજી કહો, પણ માનવી તો માત્ર એક રસિક બાજીગરની રમતનાં સોગઠાં છે. કેટકેટલી રમતો, કેટલાં ખેલાડીઓ અને દરેક સોગઠાં પણ કેવાં ભાતીગળ. રમનારને ખબર પણ ન પડે કે પોતે રમે છે કે કોઈ એને રમાડે છે! અને એ જ તો જાદુ છે ને?! અરે, કોની રમત ક્યાં સુધી ચાલશે તેની પણ ક્યાં જાણ હોય છે? હારજીત ચાલ્યાં જ કરે એમ લાગે પણ હકીકતે તો ચક્રાકાર ગતિ પર કોઈ આગળ નથી કે કોઈ પાછળ નથી. એ તો બસ સતત ચાલતું વર્તુળ છે. ક્યારેક અચાનક બંધ તો વળી ક્યારેક રમતાં રમતાં થાકી જાવ ત્યાં સુધી ચાલ્યાં જ કરે!

ખરેખર, અજબ ખેલ બાજીગરનો આ, કોઈ જીતે કોઈ હારે.

ચાલો, સોગઠાં બનીને બાજીગરને રમવા દઈએ, આપણે પોતે રમીએ છીએ એવી મઝા માણતાં રહીએ અને એ રીતે એને રીઝવતાં રહીએ, ચાલતાં રહીએ. જ્યાં સુધી એ સાથે છે, ચાલવાનો કે રમવાનો ક્યાં વાંધો જ છે! 

આશ્ચર્યની વાત તો એ છે કે રમતનાં સોગઠાં જેવાં આપણે સતત કશાકની પ્રાપ્તિમાં દોડતાં રહીએ છીએ અને તેના પરિણામ મુજબ હર્ષ-શોકની લાગણી અનુભવીએ છીએ.

સંસ્કૃતનો  એક સરસ શ્લોક છે :

प्राप्तव्यमर्थं लभते मनुष्यो देवोऽपि तं लङ्घयितुं न शक्तः।

तस्मान्न शोचामि न विस्मयो मे यदस्मदीयं न हि तत्परेषाम्॥

આમાં ખૂબ સરસ વાત કહેલી છે કે, “પોતાને જે વસ્તુ મળવાની છે તે માણસને મળે જ છે. દેવો પણ તેનું ઉલ્લંઘન કરવાને શક્તિમાન નથી. તેથી મને દુઃખ કે નવાઈ લાગતી નથી. જે મારું છે તે બીજાંનું થવાનું નથી.”

કેટલી અર્થભરી સમજણ! અને કેવો અતૂટ વિશ્વાસ? ઘણીવાર તો એમ પણ લાગે છે કે, આવા વિશ્વાસના બળ પર જ ભલભલાની તકદીરનાં તાળાં ખૂલી જતાં હોય છે. સાવ નાનકડી કે તુચ્છ જણાતી ઘટના કોઈ જાદુની જેમ ક્યાંથી ક્યાં પહોંચાડી દેતી હોય છે? શોધવા પણ ન જવું પડે એટલા દાખલાઓ, પ્રસંગો, ઘટનાઓ અને વાર્તાઓ નજર સામે એવાં આવી જ જાય છે જ્યાંથી બાજીગરની જેમ આખો ને આખો ખેલ બદલાઈ જતો હોય છે.

ફિલ્મી દુનિયાનો એક મશહૂર સંવાદ યાદ આવે છે.

कभी कभी जितनेके लिये कुछ हारना पडता है।
हारकर जीत नेवालेको बाजीगर कहते है॥

બાજીગરની વાતો તો અજાણી નથી. પણ આ સોગઠાંનું શું? સોગઠાં વગર બાજી નથી અને બાજીગર વગર સોગઠાં નથી. કોણ ચડિયાતું કોણ જાણે? અંગ્રેજીમાં એક મઝાનું quotation છે.

·       Not only does God play dice, but … he sometimes throws them where they cannot be seen. …

·       બાઈબલમાં તો એટલે સુધી કહ્યું છે કે, We may throw the dice, but the Lord determines how they fall.

સમાપનમાં તો એટલું જ કહેવાનું કે, સોગઠાં બનીને રમવું છે અને એની શ્રદ્ધાના જોરે જીતવું છે. કોઈની ને પોતાની, બંને રમતને સાર્થક કરવી છે અને એ રીતે જ અંતિમ મુકામે પહોંચવું છે. આ વિચારના સમર્થનમાં, કલમને/કીબોર્ડને અટકાવું તે પહેલાં તો ચાર્લ્સ સ્વિન્ડૉલનું એક અતિ સુંદર વાક્ય યાદ આવ્યું જે મને લાગે છે કે બિલકુલ યોગ્ય છે, સાચું છે. તેમણે લખ્યું છે કે, We aren’t just thrown on this earth like dice tossed across a table. We are lovingly placed here for a purpose. 

અસ્તુ.

ફેબ્રુઆરી ૭, ૨૦૨૫
e.mail : ddhruva1948@yahoo.com
http://devikadhruva.wordpress.com

Loading

...3456...102030...

Search by

Opinion

  • એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”
  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે
  • ચલ મન મુંબઈ નગરી—353

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ
  • લૂંટ શકે તો લૂંટ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved