સ્ત્રી હોય કે પુરુષ, જીવનસાથીનાં માતા–પિતાની દરેકના જીવનમાં એક ભૂમિકા, એક અગત્યતા હોય છે. તમારા જીવનસાથીને જેમણે જન્મ આપ્યો છે, ઉછેર્યા છે, તાલીમ આપી છે. એમના પર સ્નેહ રાખીએ, એમના આશીર્વાદ લઈએ ને સુખશાંતિથી રહીએ, એ શું બહુ અઘરી કે મોટી વાત છે?

સોનલ પરીખ
‘ડે’ ઉજવવાના શોખીન પશ્ચિમવાસીઓ સાસુ અને સસરાના નામના પણ દિવસ ઉજવે છે, એ ખબર છે? અને કેમ ન ઉજવે – સ્ત્રી હોય કે પુરુષ, જીવનસાથીનાં માતા-પિતાની દરેકના જીવનમાં એક ભૂમિકા, એક અગત્યતા હોય છે. તમારા જીવનસાથીને જેમણે જન્મ આપ્યો છે, ઉછેર્યા છે, તાલીમ આપી છે. એમના પર સ્નેહ રાખીએ, એમના આશીર્વાદ લઈએ ને સુખશાંતિથી રહીએ.
જુલાઈની ૩૦ તારીખ સસરાને આદરમાનથી યાદ કરવાનો દિવસ છે : નેશનલ ફાધર-ઇન-લો ડે. બદલાતા સમય સાથે સંબંધોનાં સમીકરણ કેવાં બદલાય છે એનો કિસ્સો હમણાં મેં મારા જ પરિવારમાં જોયો. દીકરા પીયૂષની સગાઈ પછી અમારા મોહનભાઈ દિવસમાં પચાસ વાર ‘કઇંક શીખો’ એવું સાંભળતા. કહેનાર હોય મોહનભાઈનાં પત્ની. ‘સગાઈ તો પીયૂષની થઈ છે, એમાં તું મારા પર શીખો-શીખોનો મારો શાની ચલાવે છે?’ એક દિવસ મોહનભાઈ ઊકળ્યા. ‘મારા પર ઊકળો છો પણ શીખશો નહીં તો પીયૂષની વહુ પાસેથી કાંકરો નીકળી જશે.’ ‘પીયૂષની વહુ વળી શું? તેનું નામ માનિની છે. હું તો તેને તેનાં મમ્મી-પપ્પાની જેમ મન્નુ જ કહેવાનો. મન્નુ, બેટા, ચાલ ફરવા જઈએ!’
‘આવા તમારા નાટકની જ મને ચિંતા છે. તમે માનિનીના પપ્પા નથી, સસરા છો. મોભામાં રહેતા શીખો. હો-હો કરીને ખડખડાટ હસવું, સોફા પર પલાંઠી લગાવીને બેસવું, નહાઈને ટુવાલભેર આખા ઘરમાં ફરવું, ગમે ત્યારે રસોડામાં આવીને નાસ્તાના ડબ્બા ખોલવા, પથારા કરવા, જ્યારે ત્યારે આવીને મને ધબ્બા મારવા – આ બધું છોડો. ને મન્નુ કહેવું, તુંકારે બોલાવવું, વાતે વળગવું એવું તો કરશો જ નહીં. પુત્રવધૂને આખું નામ લઈને, ‘તમે’ કહીને બોલાવવી જોઈએ. તમે તેનું માન રાખશો તો જ તે તમારું માન રાખશે. સમજ્યા ને?’
માનિનીને ત્યાં પણ આ જ સ્થિતિ હતી. તેનાં મમ્મી પણ પતિ પર ગરમ થયાં હતાં, ‘હવે દીકરી પરણવાની છે, જમાઈ ઘરમાં આવશે જશે. આમ શોર્ટ્સ ને ટીશર્ટ પહેરીને ફર્યા કરશો તો સારા નહીં લાગો. તમને કોઈ કઈં નહીં કહે, પણ દીકરીને સાંભળવું પડશે કે તારા બાપમાં મેનર્સ નથી. ને તે દિવસે શું કહેતા હતા? પીયૂષ તો મારા દીકરા જેવો છે, લાંબું લાંબું પીયૂષકુમાર વળી શું બોલવાનું? – આવા છંદ કરવાના નહીં. જમાઈને જમાઈની જેમ જ રાખવાનો. વ્યવસ્થિત રહેતાં ને વ્યવસ્થિત બોલતાં શીખો. પેલે દિવસે વળી તેનાં મમ્મી જાડાં છે એમની મજાક કરતા હતા.’
પીયૂષના પપ્પા અને માનિનીના પપ્પા આમ તો મિત્રો. બંને પોતપોતાની સ્થિતિ પર હસતા – અત્યાર સુધી સસરા સામે કેમ વર્તવું એ શીખવવામાં આવતું હતું, હવે સસરાએ કેમ વર્તવું એ શીખવાનું છે! ‘અને આપણી પત્નીઓને સાસુ થતાં કોઈએ શીખવવાનું નથી?’ ‘સાસુનો રોલ તો નક્કી જ છે – વહુ સામે વાંધા પાડવાના ને જમાઈના વખાણ કરવાના.’ સાથેના મિત્રો આ સાંભળીને હસવા લાગતા.
પીયૂષ-માનિનીનાં લગ્ન થઈ ગયાં. એ પછી પણ છ મહિના વીતી ગયા. એક દિવસ બંનેને સાથે જોઈ મિત્રોથી રહેવાયું નહીં, ‘કેમ છો, ભાઈઓ? જમાઈ અને વહુ સાથે રહેતાં આવડી ગયું કે નહીં?’
બંને એકબીજા સામે જોઈ ખડખડાટ હસી પડ્યા. પછી પીયૂષના પપ્પા બોલ્યા, ‘માનિની ઘરમાં આવી પછી થોડા દિવસ તો હું ઓશિયાળા જેવો થઈ ગયો. કવખતે ચા પીવાનું મન થાય તો ય કહેતા સો વાર વિચારું -વહુને કેવું લાગશે? ઊઠીને બ્રશ કરવા જાઉં કે નહાઈને નીકળું – એક જ વિચાર – માનિની ક્યાં હશે? મને જોશે? શું કહેશે? થાકી ગયો હું તો. ત્યાં એક દિવસ માનિની ચા આપવા આવી, ‘પપ્પા, એક વાત કહેવી છે. કહું?’ ને એની આંખોમાંથી આંસુ સરી પડ્યા. હું તો રઘવાયો થઈ ગયો, ‘અરે, અરે, વહુ બેટા, રડો છો શા માટે? મારી કોઈ ભૂલ થઈ છે શું?’ માનિની ગુસ્સામાં બોલી, ‘ભૂલ તો મારી થઈ લાગે છે. મારા પપ્પા મને મન્નુ કહે છે, તુંકારે બોલાવે છે, મારી સાથે કેટલીબધી વાતો કરે છે, હસે છે, હસાવે છે જ્યારે તમે તો હું અછૂત હોઉં એવી રીતે વર્તો છો. મને દુ:ખ ન થાય?’ અને હું હળવો થઈ ગયો. કહી દીધું, ‘મારે તો તારી સાથે તારા પપ્પાની જેમ જ રહેવું હતું, પણ પીયૂષની મમ્મીએ મને ધમકાવીને સસરાની જેમ મોભામાં રહેવાનો હુકમ કર્યો હતો.’ માનિની હસી પડી, ‘મારી મમ્મીએ પણ મને ઘણુંબધું શીખવ્યું હતું. મોટેમોટેથી ન બોલીશ, ધમધમ કરતી ન ચાલીશ, સરખાં કપડાં પહેરજે વગેરે. પણ મેં એનું ન માનવાનું ને આ ઘરમાં દીકરીની સહજતાથી રહેવાનું નક્કી કર્યું હતું. પણ અહીં તમે મને આવા મળ્યા. મારો ઉમંગ ઠરી ગયો.’ ‘અરે એમ શેનો ઠરી જાય? મમ્મીઓની એસીતેસી. આજથી તું મારી દીકરી ને હું તારા પપ્પા. હજી મોં કેમ ચડેલું છે? હસ જોઉં.’ ‘આટલી જલદી નહીં માનું, કઇંક આપવું પડશે.’ ‘મને ખબર છે શું આપવું પડશે. જો આ ચા ઠરી ગઈ છે એ ગરમ કર, નાસ્તો કાઢ, ત્યાં હું મારી મન્નુ માટે મસ્ત મોટી ચૉકલેટ લઇ આવું.’ આટલું કહી મોહનભાઈ હો-હો કરીને ખડખડાટ હસવા લાગ્યા.
‘અને તમારું શું થયું? તમને જમાઇના સસરા બનતાં આવડી ગયું કે નહીં?’ હવે મિત્રો માનિનીના પપ્પા તરફ વળ્યા.
‘મારા કિસ્સામાં થોડી રાહત હતી. બેત્રણ દિવસે પીયૂષને એક ફોન કરું અને અઠવાડિયે એકાદ વાર એ ઘેર આવે ત્યારે સાચવીને વર્તી લઉં. રોજ, ચોવીસ કલાક એની સામે રહેવાનું થાત તો મને હાર્ટએટેક જ આવત. તો પણ મારા મનમાં એક જાતનો ભય ઘૂસી તો ગયો જ હતો. પણ એક દિવસ પીયૂષે મને ખખડાવ્યો, ‘કયા જમાનામાં જીવો છો? ત્યાં તમારી દીકરી મારા પપ્પા સાથે જલસા કરે છે ને તમે મને ટેન્શન આપો છો.’ હું ગભરાઈ ગયો, ‘સોરી – પણ પીયૂષકુમાર, કહો તો ખરા, શું થયું છે?’ ‘જોયું, કેવી અઢારમી સદીની ભાષા બોલો છો. હજી જમાઈને જમ સમજો છો? હું શું એવો છું? મારી સાથે મારા પપ્પા વર્તે છે એમ કેમ નથી વર્તતા?’ ‘હું .. એટલે કે .. એવું છે ને .. સોરી, પીયૂષકુમાર ..’ હું જેમતેમ ગોટા વાળવા લાગ્યો. ‘જમાઈથી ગભરાતા અને એના નામની પાછળ કુમાર, રાય, ચંદ્ર એવાં પૂંછડાં લગાડતા સસરાઓ મને ન ગમે. મને લાગ્યું હતું કે તમે એવા નથી. મને હતું કે લગ્ન પછી મને બે પપ્પા મળશે. હું પણ બંનેનું ધ્યાન રાખીશ. પણ તમે – આમ ગેંગેંફેંફેં કરશો તો આપણી વચ્ચે દોસ્તી કેવી રીતે થશે?’ ‘આવી રીતે.’ કહીને મેં છુપાવી રાખેલી બિયરની બોટલ કાઢી. ‘પણ બે પેગથી વધારે નહીં, તારી સાસુમા મને મારી નાખશે.’ ‘યે હુઈ ના બાત!’ કહી એ સામે બેસી ગયો.
બંને સસરાઓના ખુશખુશાલ ચહેરા જેમણે જોયા એમને થયું કે દરેક પરિવારમાં પુત્રવધૂ અને જમાઈ સસરા સાથે આવી પ્રસન્ન, આત્મીય મૈત્રી કેળવે તો કેવું સારું!’
વીસમી સદીની શરૂઆતમાં મધર-ઇન-લૉ ડે ઉજવાવાની શરૂઆત થઈ. ત્યારે ૫ મી માર્ચે ઉજવાતો, હવે ઓક્ટોબરમાં ઉજવાય છે. એના પચાસેક વર્ષ પછી ૩૦ જુલાઈએ ફાધર-ઇન-લૉ ડે ઉજવવાની શરૂઆત થઈ. આપણા જીવનસાથીને આ દુનિયામાં લાવનાર, આપણાં બાળકો પર પણ અદકેરાં વહાલ વરસાવનાર સાસુ-સસરાને પ્રેમથી સ્વીકારીએ, આદરમાન આપીએ.
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 26 જુલાઈ 2026
![]()




26 સદીનું અંતર છે, મૂળ મહાકાવ્ય અને આ ફિલ્મ બની તેમાં અને આ અંતરે જે ઈશ્વરને રિઝવવાનો છે તેનો ચહેરો બદલી નાખ્યો છે. નોલનની ધ ઓડિસીમાં ઇથાકાના રાજા તરીકે મેટ ડેમન, પેનેલોપીના પાત્રમાં એન હેથવે અને ટેલેમૅકસ તરીકે ટૉમ હોલૅન્ડ છે. સંપૂર્ણપણે 70mm IMAX પર શૂટ થયેલી આ ફિલ્મ 17 જુલાઈએ લંડન, મુંબઈ અને ન્યૂ યૉર્કમાં યોજાયેલા પ્રીમિયર બાદ રિલીઝ થઈ. તેના મોટા ભાગના વિવેચકો ફિલ્મને હોમરથી સભાનપણે જુદો પડતો એક પ્રયાસ માની રહ્યા છેઃ આ ઓડિસ્યૂસ ચતુર નથી, વિજયી નથી અને ખાસ વીર પણ નથી. તે અપરાધભાવથી પીડાય છે. બરાબર એવી જ લાગણી જે આપણા ચક્રવર્તી રાજા અશોકને કલિંગના યુદ્ધ પછી અનુભવાઇ હતી.
આ પ્રવાસ દરમિયાન તે જે હિંસા કરે છે અને ઘરે પહોંચીને જે સંહારનું નેતૃત્વ કરે છે, એને પણ એ જ બ્રહ્માંડીય વ્યવસ્થામાં માન્યતા મળે છે. જ્યારે દેવતાઓ ક્રોધિત હોય ત્યારે તેમના ક્રોધનાં પરિણામ માટે કોઈ મનુષ્યને સંપૂર્ણપણે જવાબદાર કેવી રીતે ગણવો? પ્રાચીન કથામાં અપરાધભાવનું વજન આખી દેવસૃષ્ટિ વચ્ચે વહેંચાઈ શકે છે, એવી દેવસૃષ્ટિ, જે મનુષ્યે કરેલાં કર્મોનો કેટલોક ભાર પોતાના ખભા પર લઈ શકે.
બન્ને અર્થઘટનોને સામસામે મૂકીએ તો બન્ને માટે કોઈક કિંમત ચૂકવવી પડે છે જે પ્રેક્ષકોને નોલનનો ઓડિસ્યૂસ હોમરના ઓડિસ્યૂસ કરતાં વધુ પ્રામાણિક લાગે છે તેમણે એ સમજાવવું પડશે કે સજાનું સ્થાન માત્ર અપરાધભાવે લઈ લીધું, ત્યારે જ આ પાત્ર વધુ પ્રામાણિક કેમ લાગ્યું.