Opinion Magazine
Number of visits: 10080166
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જીવનસાથીના પિતાને આદરમાન આપવાનો દિવસ: નેશનલ ફાધર-ઇન-લૉ ડે 

સોનલ પરીખ|Opinion - Opinion|3 August 2026

સ્ત્રી હોય કે પુરુષ, જીવનસાથીનાં માતા–પિતાની દરેકના જીવનમાં એક ભૂમિકા, એક અગત્યતા હોય છે. તમારા જીવનસાથીને જેમણે જન્મ આપ્યો છે, ઉછેર્યા છે, તાલીમ આપી છે. એમના પર સ્નેહ રાખીએ, એમના આશીર્વાદ લઈએ ને સુખશાંતિથી રહીએ, એ શું બહુ અઘરી કે મોટી વાત છે? 

સોનલ પરીખ

‘ડે’ ઉજવવાના શોખીન પશ્ચિમવાસીઓ સાસુ અને સસરાના નામના પણ દિવસ ઉજવે છે, એ ખબર છે? અને કેમ ન ઉજવે – સ્ત્રી હોય કે પુરુષ, જીવનસાથીનાં માતા-પિતાની દરેકના જીવનમાં એક ભૂમિકા, એક અગત્યતા હોય છે. તમારા જીવનસાથીને જેમણે જન્મ આપ્યો છે, ઉછેર્યા છે, તાલીમ આપી છે. એમના પર સ્નેહ રાખીએ, એમના આશીર્વાદ લઈએ ને સુખશાંતિથી રહીએ. 

જુલાઈની ૩૦ તારીખ સસરાને આદરમાનથી યાદ કરવાનો દિવસ છે : નેશનલ ફાધર-ઇન-લો ડે. બદલાતા સમય સાથે સંબંધોનાં સમીકરણ કેવાં બદલાય છે એનો કિસ્સો હમણાં મેં મારા જ પરિવારમાં જોયો. દીકરા પીયૂષની સગાઈ પછી અમારા મોહનભાઈ દિવસમાં પચાસ વાર ‘કઇંક શીખો’ એવું સાંભળતા. કહેનાર હોય મોહનભાઈનાં પત્ની. ‘સગાઈ તો પીયૂષની થઈ છે, એમાં તું મારા પર શીખો-શીખોનો મારો શાની ચલાવે છે?’ એક દિવસ મોહનભાઈ ઊકળ્યા. ‘મારા પર ઊકળો છો પણ શીખશો નહીં તો પીયૂષની વહુ પાસેથી કાંકરો નીકળી જશે.’ ‘પીયૂષની વહુ વળી શું? તેનું નામ માનિની છે. હું તો તેને તેનાં મમ્મી-પપ્પાની જેમ મન્નુ જ કહેવાનો. મન્નુ, બેટા, ચાલ ફરવા જઈએ!’ 

‘આવા તમારા નાટકની જ મને ચિંતા છે. તમે માનિનીના પપ્પા નથી, સસરા છો. મોભામાં રહેતા શીખો. હો-હો કરીને ખડખડાટ હસવું, સોફા પર પલાંઠી લગાવીને બેસવું, નહાઈને ટુવાલભેર આખા ઘરમાં ફરવું, ગમે ત્યારે રસોડામાં આવીને નાસ્તાના ડબ્બા ખોલવા, પથારા કરવા, જ્યારે ત્યારે આવીને મને ધબ્બા મારવા – આ બધું છોડો. ને મન્નુ કહેવું, તુંકારે બોલાવવું, વાતે વળગવું એવું તો કરશો જ નહીં. પુત્રવધૂને આખું નામ લઈને, ‘તમે’ કહીને બોલાવવી જોઈએ. તમે તેનું માન રાખશો તો જ તે તમારું માન રાખશે. સમજ્યા ને?’

માનિનીને ત્યાં પણ આ જ સ્થિતિ હતી. તેનાં મમ્મી પણ પતિ પર ગરમ થયાં હતાં, ‘હવે દીકરી પરણવાની છે, જમાઈ ઘરમાં આવશે જશે. આમ શોર્ટ્સ ને ટીશર્ટ પહેરીને ફર્યા કરશો તો સારા નહીં લાગો. તમને કોઈ કઈં નહીં કહે, પણ દીકરીને સાંભળવું પડશે કે તારા બાપમાં મેનર્સ નથી. ને તે દિવસે શું કહેતા હતા? પીયૂષ તો મારા દીકરા જેવો છે, લાંબું લાંબું પીયૂષકુમાર વળી શું બોલવાનું? – આવા છંદ કરવાના નહીં. જમાઈને જમાઈની જેમ જ રાખવાનો. વ્યવસ્થિત રહેતાં ને વ્યવસ્થિત બોલતાં શીખો. પેલે દિવસે વળી તેનાં મમ્મી જાડાં છે એમની મજાક કરતા હતા.’

પીયૂષના પપ્પા અને માનિનીના પપ્પા આમ તો મિત્રો. બંને પોતપોતાની સ્થિતિ પર હસતા – અત્યાર સુધી સસરા સામે કેમ વર્તવું એ શીખવવામાં આવતું હતું, હવે સસરાએ કેમ વર્તવું એ શીખવાનું છે! ‘અને આપણી પત્નીઓને સાસુ થતાં કોઈએ શીખવવાનું નથી?’ ‘સાસુનો રોલ તો નક્કી જ છે – વહુ સામે વાંધા પાડવાના ને જમાઈના વખાણ કરવાના.’ સાથેના મિત્રો આ સાંભળીને હસવા લાગતા.

પીયૂષ-માનિનીનાં લગ્ન થઈ ગયાં. એ પછી પણ છ મહિના વીતી ગયા. એક દિવસ બંનેને સાથે જોઈ મિત્રોથી રહેવાયું નહીં, ‘કેમ છો, ભાઈઓ? જમાઈ અને વહુ સાથે રહેતાં આવડી ગયું કે નહીં?’ 

બંને એકબીજા સામે જોઈ ખડખડાટ હસી પડ્યા. પછી પીયૂષના પપ્પા બોલ્યા, ‘માનિની ઘરમાં આવી પછી થોડા દિવસ તો હું ઓશિયાળા જેવો થઈ ગયો. કવખતે ચા પીવાનું મન થાય તો ય કહેતા સો વાર વિચારું -વહુને કેવું લાગશે? ઊઠીને બ્રશ કરવા જાઉં કે નહાઈને નીકળું – એક જ વિચાર – માનિની ક્યાં હશે? મને જોશે? શું કહેશે? થાકી ગયો હું તો. ત્યાં એક દિવસ માનિની ચા આપવા આવી, ‘પપ્પા, એક વાત કહેવી છે. કહું?’ ને એની આંખોમાંથી આંસુ સરી પડ્યા. હું તો રઘવાયો થઈ ગયો, ‘અરે, અરે, વહુ બેટા, રડો છો શા માટે? મારી કોઈ ભૂલ થઈ છે શું?’ માનિની ગુસ્સામાં બોલી, ‘ભૂલ તો મારી થઈ લાગે છે. મારા પપ્પા મને મન્નુ કહે છે, તુંકારે બોલાવે છે, મારી સાથે કેટલીબધી વાતો કરે છે, હસે છે, હસાવે છે જ્યારે તમે તો હું અછૂત હોઉં એવી રીતે વર્તો છો. મને દુ:ખ ન થાય?’ અને હું હળવો થઈ ગયો. કહી દીધું, ‘મારે તો તારી સાથે તારા પપ્પાની જેમ જ રહેવું હતું, પણ પીયૂષની મમ્મીએ મને ધમકાવીને સસરાની જેમ મોભામાં રહેવાનો હુકમ કર્યો હતો.’ માનિની હસી પડી, ‘મારી મમ્મીએ પણ મને ઘણુંબધું શીખવ્યું હતું. મોટેમોટેથી ન બોલીશ, ધમધમ કરતી ન ચાલીશ, સરખાં કપડાં પહેરજે વગેરે. પણ મેં એનું ન માનવાનું ને આ ઘરમાં દીકરીની સહજતાથી રહેવાનું નક્કી કર્યું હતું. પણ અહીં તમે મને આવા મળ્યા. મારો ઉમંગ ઠરી ગયો.’ ‘અરે એમ શેનો ઠરી જાય? મમ્મીઓની એસીતેસી. આજથી તું મારી દીકરી ને હું તારા પપ્પા. હજી મોં કેમ ચડેલું છે? હસ જોઉં.’ ‘આટલી જલદી નહીં માનું, કઇંક આપવું પડશે.’ ‘મને ખબર છે શું આપવું પડશે. જો આ ચા ઠરી ગઈ છે એ ગરમ કર, નાસ્તો કાઢ, ત્યાં હું મારી મન્નુ માટે મસ્ત મોટી ચૉકલેટ લઇ આવું.’ આટલું કહી મોહનભાઈ હો-હો કરીને ખડખડાટ હસવા લાગ્યા. 

‘અને તમારું શું થયું? તમને જમાઇના સસરા બનતાં આવડી ગયું કે નહીં?’ હવે મિત્રો માનિનીના પપ્પા તરફ વળ્યા. 

‘મારા કિસ્સામાં થોડી રાહત હતી. બેત્રણ દિવસે પીયૂષને એક ફોન કરું અને અઠવાડિયે એકાદ વાર એ ઘેર આવે ત્યારે સાચવીને વર્તી લઉં. રોજ, ચોવીસ કલાક એની સામે રહેવાનું થાત તો મને હાર્ટએટેક જ આવત. તો પણ મારા મનમાં એક જાતનો ભય ઘૂસી તો ગયો જ હતો. પણ એક દિવસ પીયૂષે મને ખખડાવ્યો, ‘કયા જમાનામાં જીવો છો? ત્યાં તમારી દીકરી મારા પપ્પા સાથે જલસા કરે છે ને તમે મને ટેન્શન આપો છો.’ હું ગભરાઈ ગયો, ‘સોરી – પણ પીયૂષકુમાર, કહો તો ખરા, શું થયું છે?’ ‘જોયું, કેવી અઢારમી સદીની ભાષા બોલો છો. હજી જમાઈને જમ સમજો છો? હું શું એવો છું? મારી સાથે મારા પપ્પા વર્તે છે એમ કેમ નથી વર્તતા?’ ‘હું .. એટલે કે .. એવું છે ને .. સોરી, પીયૂષકુમાર ..’ હું જેમતેમ ગોટા વાળવા લાગ્યો. ‘જમાઈથી ગભરાતા અને એના નામની પાછળ કુમાર, રાય, ચંદ્ર એવાં પૂંછડાં લગાડતા સસરાઓ મને ન ગમે. મને લાગ્યું હતું કે તમે એવા નથી. મને હતું કે લગ્ન પછી મને બે પપ્પા મળશે. હું પણ બંનેનું ધ્યાન રાખીશ. પણ તમે – આમ ગેંગેંફેંફેં કરશો તો આપણી વચ્ચે દોસ્તી કેવી રીતે થશે?’ ‘આવી રીતે.’ કહીને મેં છુપાવી રાખેલી બિયરની બોટલ કાઢી. ‘પણ બે પેગથી વધારે નહીં, તારી સાસુમા મને મારી નાખશે.’ ‘યે હુઈ ના બાત!’ કહી એ સામે બેસી ગયો. 

બંને સસરાઓના ખુશખુશાલ ચહેરા જેમણે જોયા એમને થયું કે દરેક પરિવારમાં પુત્રવધૂ અને જમાઈ સસરા સાથે આવી પ્રસન્ન, આત્મીય મૈત્રી કેળવે તો કેવું સારું!’

વીસમી સદીની શરૂઆતમાં મધર-ઇન-લૉ ડે ઉજવાવાની શરૂઆત થઈ. ત્યારે ૫ મી માર્ચે ઉજવાતો, હવે ઓક્ટોબરમાં ઉજવાય છે. એના પચાસેક વર્ષ પછી ૩૦ જુલાઈએ ફાધર-ઇન-લૉ ડે ઉજવવાની શરૂઆત થઈ. આપણા જીવનસાથીને આ દુનિયામાં લાવનાર, આપણાં બાળકો પર પણ અદકેરાં વહાલ વરસાવનાર સાસુ-સસરાને પ્રેમથી સ્વીકારીએ, આદરમાન આપીએ.

 e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 26 જુલાઈ 2026

Loading

એ જ(ડ)જમેન્ટ

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|3 August 2026

એ જજમેન્ટ છે ને આ લેખ તેની વિરુદ્ધમાં નથી, છતાં તમામ કોર્ટ અને જજમેન્ટની ક્ષમાયાચના સહ આ હળવો લેખ પ્રસ્તુત છે.

રવીન્દ્ર પારેખ

એક ફાઈવસ્ટાર હોટેલનું લાઈસન્સ રદ્દ કરવાની વાતે, એક હાઈકોર્ટે હોટેલનો બચાવ કરતા કહ્યું કે બે વાંદા નીકળે એટલા માત્રથી હોટેલનું લાઈસન્સ સસ્પેન્ડ ન કરાય. આમ તો હોટેલનું ભાગ્યે જ કોઈ સારું બોલે છે, ત્યાં હાઈકોર્ટ તેની વહારે આવી ને કહ્યું કે બે વાંદા નીકળે એટલે હોટેલનું લાઈસન્સ સસ્પેન્ડ ના થાય. આપણે તો બાપુ ખુશ થઈ ગયા, એ જજ સાહેબો પર કે આવું જડબેસલાક જજમેન્ટ આપ્યું. જજ સાહેબો એ હોટેલમાં જમવા ગયા છે કે નહીં, તેની ખબર નથી ને એ પણ ખબર નથી કે બે વાંદા એમની પ્લેટમાંથી નીકળ્યા કે અન્યની, તે પણ ખબર નથી, તે સાથે જ વાંદાની કુલ સંખ્યા કેટલી હતી એ પણ ખબર નથી, પણ જજમેન્ટ અફલાતૂન આવ્યું. જજસાહેબોએ સાફ સંભળાવી દીધું કે બે વાંદા નીકળે એટલા પરથી લાઈસન્સ સસ્પેન્ડ ન થાય.

હોટેલ મેનેજરે તો બચાવમાં કહ્યું પણ ખરું, ‘બીજે જરા જઈને જુઓ કે ખાવામાં શું શું હોય છે? એક હોટેલમાં તો ઇયળનો ભાત હતો. જો કે, કોઈ કોઈ ભાત પણ હતો ને તપાસ કરો કે ચાના કપમાંથી માખી ન નીકળી હોય, એવું કોઈ સાબિત કરશે, તો હું હોટેલ બંધ કરી દઈશ. એક હોટેલમાં ચા પીવા એક ગ્રાહક ગયો ને ચામાંથી માખી બતાવતાં તે બોલ્યો, ‘ચામાં તો માખી છે, તો વેઈટર બોલ્યો, આટલામાં માખી જ આવે. ચામાં માખી નહિ તો શું હાથી નાખું. દેખીતું છે કે હાથી સસ્તો હોત તો એ નાખ્યો હોત, પણ વીસ રૂપિયાની ચામાં તો કેટલુંક આવે? કેટલું બધું બીજે થાય છે તે જોતાં નથી અને અમારે ત્યાં બે વાંદા નીકળ્યા તો હોબાળો મચી ગયો. દસ બાર વાંદા કે ઉંદર નીકળે ને આટલી હોહા થાય તો કૈંકે સમજ્યા, આ તો બે વાંદામાં લાઈસન્સ રદ્દ કરી દીધું.

આટલો કકળાટ સાંભળ્યા પછી કોર્ટે પૂછ્યું, ‘હવે કરવું છે શું?’

‘હું શું કરી શકું એમ છું? બહુ બહુ તો બેને બદલે એક જ કોક્રોચ આવે એમ કરી શકું.’

‘વાંદો બોલતાં શું થાય છે? કોક્રોચથી જંતરમંતર યાદ આવે તે સમજ નથી પડતી? એ પણ સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ હતું, તે અહીં ના જોડો. એક પણ વાંદો ન હતો, છતાં એક જજે કોક્રોચ કહીને વેચાતી લીધી હતી.’

‘સોરી, સર ! બીજી વખતે વાંદો જ કહીશ’

‘લોકો પણ ખરા છે. એક વાંદો નીકળે તેમાં કેટલો ખર્ચો થતો હોય છે તે તો જુઓ. આટલા વાંદા, ખાવાનાંમાં ઉમેરવાનું સહેલું નથી. વાંદાને પકડવાનું પાંજરું ય નથી મળતું કે તેમાં પૂરીએ. વાંદાને પકડવાનું સહેલું નથી. પકડો પકડો ત્યાં તો કોઈ તિરાડમાં ભરાઈ જાય ને આપણે હાથ ઘસતા રહી જઈએ.  કેટલાં ય વાંદાના તો બ્લેક બોલાય છે. કેટલી ય હોટલો શોધી શોધીને થાકી જાય છે, પણ પિઝામાં નાખવા માટે એક વાંદો નથી મળતો. ઉપકાર માનો કે તમારે નસીબે વાંદો આવ્યો તો ખરો ! એમ તો અમારા ટેબલ પર પણ વાંદા, વીંછી ફરતાં જ હોય છે તે અમે ફરિયાદ કરીએ છીએ? રોજની એક માખી તો ખવાઈ જ જતી હશે. હું પ્યોર વેજ છું તો પણ આટલો નોનવેજ ઇચ્છા વગર થઈ ગયો છું.’

જજ સાહેબને આવું જજમેન્ટ આપવાનું કેમ થયું? તે સ્ટોરી કૈંક આવી છે. આમ તો ગંભીર બેદરકારી હોય તો લાઈસન્સ રદ્દ થાય, પણ બે વાંદા કંઇ એવી ગંભીર બેદરકારી નથી કે લાઈસન્સ રદ્દ કરવું પડે ને આ વાંદા સ્વચ્છ ને નાહીધોઈને આવ્યા હોય તો બેદરકારીનું કારણ લાગુ ન કરી શકાય. બીજું કે ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે તાત્કાલિક જોખમ ઊભું થાય તો લાઈસન્સ સસ્પેન્ડ થઈ શકે. આ બે વાંદાએ કોઈને માંદા પાડયા નથી. એટલે એ જોખમી નથી ને તે કારણસર પણ હોટેલનું લાઈસન્સ સસ્પેન્ડ ન કરાય. સાચું તો એ છે કે આ વાંદા માણસ માટે જોખમી નથી, બલકે, માણસ વાંદા માટે જોખમી છે. એક ઝાપટ મારીને માણસ તેને ખતમ કરી શકે છે. એવી ઝાપટ વાંદા, માણસને મારી શકતા નથી. મતલબ કે વાંદા, માણસ છે એટલા જોખમી ક્યારે ય રહ્યા નથી.

હાઇકોર્ટે એક ફાઈવસ્ટાર હોટેલનું લાઈસન્સ સસ્પેન્ડ કરવાના FDA(ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન)ના નિર્ણયને રદ્દ કર્યો છે ને FDAને એવી ફટકાર લગાવી છે કે વાસ્તવિકતામાં જીવો. આપણે ભારતમાં છીએ. બે વાંદા મળતા ફાઈવસ્ટાર હોટેલનું લાઈસન્સ સસ્પેન્ડ કરો છો? જજ સાહેબનું જજમેન્ટ એકદમ પરફેક્ટ છે. અન્ય દેશમાં ફાઈવસ્ટાર હોટેલ હોય તો વાત જુદી છે. ત્યાં લાઇસન્સ ભલે સસ્પેન્ડ થતું હોય, તેથી તેની નકલ કરવાની જરૂર નથી ને એ ન ભૂલવું જોઈએ કે આ ભારત છે. અહીં વાસ્તવિક જગતમાં રહેવું જોઈએ, એટલે કે બીજા શબ્દોમાં પ્રેક્ટિકલ રહેવું જોઈએ. કોઈ નાની હોટેલ હોય તો સમજ્યા, આ તો ફાઈવસ્ટાર હોટેલ છે, એનું લાઈસન્સ સસ્પેન્ડ કરવામાં એ હોટેલનાં રેપ્યુટેશનને કેટલો ધોકો પહોંચે, એ તો જુઓ. જો કે, FDAએ ખુલાસો કરતા કહ્યું પણ ખરું કે હોટેલના રસોડામાં જીવાત મળી આવી હતી. ખાદ્યસામગ્રી અને ચોખ્ખાઈમાં કોઈ બાંધછોડ કરી શકાય નહીં. વાંદા બે હોય કે બાવીસ આ નિયમ ન પળાય તો તે સ્વીકાર્ય નથી.

જો કે, આ દલીલ જજ સાહેબોને ગળે ઊતરી ન હતી. તેમણે પોતાની લાચારી વર્ણવતા કહ્યું કે અમારા ટેબલ પર પણ વાંદો હતો ને માખી પણ હતી, તો શું કરવાનું? કોર્ટ બંધ કરી દેવાની? હાઈકોર્ટે FDAને વધુ ભીડવવા પૂછ્યું પણ ખરું કે સરકાર હસ્તકના વિભાગોની કેન્ટીનો સામે શું તપાસ કરવામાં આવી છે, તેનો અહેવાલ રજૂ કરવામાં આવે. જોયું? આવું થાય છે. કરવા જાવ કંસાર ને થઈ જાય થુલી ! હવે હાઈકોર્ટનો ચુકાદો હોય તો તેમાં થઈ પણ શું શકે? એટલું છે કે હોટેલોને ફાવતું આવશે. આ વાતની વચ્ચે જ હોટેલના બીજા સમાચાર પણ જોવા મળ્યા. બાર્બેક્યુ કરીને એક હોટેલમાં એક ગ્રાહકે વેજ બિરિયાનીનો ઓર્ડર આપ્યો તો હોટેલે ચિકન બિરિયાની મોકલી આપી. ગ્રાહકે ઘણાં ફોન કર્યા, પણ કોઈએ ઉઠાવ્યા નહીં, તો ગ્રાહક પોતે હોટેલ પહોંચ્યો ને ઝઘડો કરતા કહ્યું કે હું બ્રાહ્મણ છું ને મારા ઘરમાં ચિકન આવે તે તો સહન જ કેમ થાય? એવું બને કે આ રીતે વેજને નોનવેજ ને નોન-વેજને વેજ મોકલાય તો નોન-વેજ ખાનારા વેજ થઇ જાય અને વેજ ખાનારો નોન-વેજી થઈ જાય. એટલે જ હવેથી વાંદાની સાથોસાથ જ ગરોળી, ઉંદર, કીડી, મંકોડા વીણી વીણીને લાવવામાં આવે તો નવાઈ નહીં. અહીં ના હોય તો ફોરેનથી ઈમ્પોર્ટ કરાય અને એમ લોકોનાં આયુષ્ય જોડે ગમ્મત કરી શકાય.

ગમ્મત તો એ પણ છે કે હોટેલના બચાવમાં ખુદ જજ સાહેબો ઊતરી પડ્યા. આ જજમેન્ટથી એક ફેરફાર ઘરોમાં એ થઇ શકે કે વાંદા, ગરોળી ચારોળીની જેમ વપરાવા લાગે. જમવામાં દાળમાંથી વાંદો નીકળે કે વાંદામાંથી દાળ નીકળે તો તે ગૃહિણી સહજતાથી લેશે ને ઘરવાળાને સંભળાવશે પણ ખરી કે હોટેલમાંથી વાંદો આવે છે તો ખાઈ જાવ છો, ઘરમાં ખાવામાં જ કેમ મોઢું વંકાઈ જાય છે? તમને તો ગરોળી પણ હોટેલની જ ફાવે છે, ઘરની ગરોળી તો ખાવા દોડે છે.

સાચું ખોટું તો ખબર નથી, પણ આ જજમેન્ટ ગળે ઊતરતું નથી. બીજી બધી સાવચેતી છતાં ફાઈવ કે ફોરસ્ટાર હોટેલ ડિસ્કાઉન્ટ વગર વાંદા આપે ને બીજું કોઈ નહીં ને હાઈકોર્ટની બેંચ એમ કહીને FDAને તડકાવે કે બે વાંદા નીકળે એટલા પરથી લાઈસન્સ સસ્પેન્ડ ના થાય. આ ભારત છે. એવું યાદ અપાવીને વાસ્તવિક અભિગમ અપનાવવાનું કોર્ટ દ્વારા સૂચવાયું છે. બીજા શબ્દમાં પ્રેક્ટિકલ બનવાનું સૂચવાયું હોય એમ બને. આ વાસ્તવિક અભિગમ એટલે શું એનો ફોડ પડ્યો નથી. એમ માનવાનું છે કે આ ભારત છે, તો એમાં બે વાંદા હોટેલના કિચનમાંથી નીકળે તે ક્ષમ્ય છે? એ ક્ષમ્ય શું કામ હોય ? હોટેલ ડિસ્કાઉન્ટમાં ફૂડ સપ્લાય કરે છે? જો નહીં, તો હોટેલને માફ કઈ રીતે કરાય? તે પણ એટલે કે આ બધું ભારતમાં છે ને તે વાસ્તવિક અભિગમને નામે ચલાવી લેવાનું છે, એમ કહીને કોર્ટ FDAને, હોટેલને તેનું લાઈસન્સ પરત કરવાનો આદેશ આપે છે. આ બરાબર છે?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 03 ઑગસ્ટ 2026

Loading

હોમરથી નોલન સુધીની ઓડિસીઃ એક જ મહાકાવ્ય, બદલાતા યુગનાં નવાં સત્ય

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|2 August 2026

એક સમયે અપરાધભાવ વહેંચાયેલો હતો. હવે તેનું ખાનગીકરણ થઈ ગયું છે. અને છતાં પણ, અહીંથી આ આખી વાત ખરેખર અગત્યની બને છે કારણ કે નોલનના ઓડિસ્યૂસને પણ હોમરના ઓડિસ્યૂસને જે મળ્યું હતું એ બધું જ મળે છે. 

ક્રિસ્ટોફર નોલન

ક્રિસ્ટોફર નોલનની ફિલ્મ ‘ધી ઑડિસી’ હજી સુધી સતત ચર્ચામાં છે. તેના પાત્રો, તેના અભિનેતાઓ, તેમાં કહેવાયેલી વાર્તામાં હોમરનાં મૂળ મહાકાવ્યથી શું ફેર છે તેની ચર્ચાઓ અટકી નથી રહી. એમાં ય પાછા આ ફિલ્મના મેકર્સ અને અભિનેતાઓ ભારતના મહેમાન બન્યાં એમાં આપણો ઉત્સાહ ચાર ગણો વધી ગયો છે. આપણા રાજકારણમાં પણ ઘણું બધું ચાલી રહ્યું છે પણ થયું કે જરા ડાયવર્ટ થઇને મોડાં તો મોડાં આ ફિલ્મની વાત કરવી તો જોઇએ જ. 

હોમરનું મહાકાવ્ય આઠમી સદી ઈસ્વીસન પૂર્વ એટલે કે લગભગ 725થી 675 દરમિયાન રચાયું હતું. ત્યારે તે પણ કોઈ પુસ્તક તરીકે નહીં પણ મૌખિક પરંપરા તરીકે પ્રસારિત થયું હતું અને બાદમાં તેને લિપિબદ્ધ કરાયું હતું. ઇથાકાના રાજા ઑડિસિયસની આ વાત છે જેમાં તે ટ્રોજન વૉર પછી ઘરે પહોંચવા માગે છે અને તેમાં તે દસ વર્ષ ભટકતો રહે છે. હોમરિક મહાકાવ્યો શાસ્ત્રીય યુગ દરમિયાન ગ્રીક વિશ્વના શૈક્ષણિક પાયાનો ભાગ હતા અને પેનહેલેનિક સાંસ્કૃતિક ઓળખને આકાર આપવામાં મદદરૂપ થયા હતા. મોટા ભાગના લોકોએ ફિલ્મ જોઈ હશે અને જેમણે નહીં જોઈ હોય તે મોડા મોડા તો પણ જોશે ખરાં.

હોમરના મહાકાવ્યમાં ઓડિસ્યૂસ ઘરે પાછો ફરીને પોતાના મહેલમાં 108 પુરુષોનો વધ કરે છે, આ એવા પુરુષો હતા જે ઓડિસ્યૂસની પત્ની સાથે પરણવા માગતા હતા જેથી તેઓ ઇથાકા પર રાજ કરી શકે. મહાકાવ્યમાં ઓડિસ્યૂસનું આ પુરુષોને મારવું ન્યાયી ગણાયું છે. ક્રિસ્ટોફર નોલનનો ઓડિસ્યૂસ ઘરે પાછો ફરીને એક પાર્ટિશનની પેલે પાર બેઠેલી પોતાની પત્ની સમક્ષ પોતે કરેલી હિંસા, ક્રૂરતા વગેરેની કબૂલાત કરે છે. તે તેને પોતાનો ચહેરો તરત નથી બતાડતો. અમુક સમીક્ષકોએ આ દૃષ્યને ચર્ચના કન્ફેશન બૉક્સના માહોલ સાથે સરખાવ્યું છે. 

26 સદીનું અંતર છે, મૂળ મહાકાવ્ય અને આ ફિલ્મ બની તેમાં અને આ અંતરે જે ઈશ્વરને રિઝવવાનો છે તેનો ચહેરો બદલી નાખ્યો છે. નોલનની ધ ઓડિસીમાં ઇથાકાના રાજા તરીકે મેટ ડેમન, પેનેલોપીના પાત્રમાં એન હેથવે અને ટેલેમૅકસ તરીકે ટૉમ હોલૅન્ડ છે. સંપૂર્ણપણે 70mm IMAX પર શૂટ થયેલી આ ફિલ્મ 17 જુલાઈએ લંડન, મુંબઈ અને ન્યૂ યૉર્કમાં યોજાયેલા પ્રીમિયર બાદ રિલીઝ થઈ. તેના મોટા ભાગના વિવેચકો ફિલ્મને હોમરથી સભાનપણે જુદો પડતો એક પ્રયાસ માની રહ્યા છેઃ આ ઓડિસ્યૂસ ચતુર નથી, વિજયી નથી અને ખાસ વીર પણ નથી. તે અપરાધભાવથી પીડાય છે. બરાબર એવી જ લાગણી જે આપણા ચક્રવર્તી રાજા અશોકને કલિંગના યુદ્ધ પછી અનુભવાઇ હતી. 

એક સમીક્ષકે લખ્યું કે આ ઓડિસ્યૂસ હોમરે મૂળ મહાકાવ્યમાં જેવો આલેખ્યો હતો હતો એવો ‘અનેક લેયર્સ ધરાવતો માણસ’ નથી; તેનામાં એક જ લાગણી છે અને તે છે, ગિલ્ટ, અપરાધભાવ. બીજા વિવેચકે નોંધ્યું કે તેને ઇથાકા કે પેનેલોપીની ઝંખના કરતાં પણ વધુ ગહેરો છે તેનો પશ્ચાત્તાપ  અને તે જ તેને પોતાના ઘરે પાછો ધકેલે છે. ત્રીજા સમીક્ષકે એથીયે વધુ ધારદાર વાત કહી: આ વાર્તામાંથી દેવતાઓ લગભગ અદૃશ્ય થઈ ગયા છે. એથેના દેખાય છે, પણ પોતાની સ્વતંત્ર ઇચ્છા ધરાવતી દેવી કરતાં ઓડિસ્યૂસના અંતરાત્માના ભ્રમ જેવી વધુ લાગે છે. પોસાઇડનના ક્રોધનો માંડ સંકેત મળે છે. ઝિયૂસ માત્ર ગર્જના બનીને રહી જાય છે પણ એથી વધુ કશું નહીં.

અપેક્ષા પ્રમાણે આ બાબતને પણ કલ્ચર વૉરનો મુદ્દો બનાવી દેવામાં આવ્યો છે. પશ્ચિમી સાહિત્યના સૌથી પ્રાચીન મહાકાવ્યને હૉલીવુડે ‘વોક’ બનાવી દીધું છે? તેના દેવતાઓ અને ગૌરવને હટાવીને થેરાપીની ભાષા સમજતા આધુનિક પ્રેક્ષકોને અનુકૂળ, વધુ લાગણીશીલ એવો કોમળ હીરો સર્જી નાખ્યો છે? પણ તો શું થઇ ગયું કારણ કે સર્જનાત્મક સ્વતંત્રતા ક્રિસ્ટોફર નોલન નહીં લે તો કોણ લેશે? 

આમ પણ મને લાગે છે કે, આ દલીલ મુદ્દાની બહાર છે અને કંટાળાજનક પણ. નોલેને જે મજાનું કામ કર્યું છે તે એ છે કે એણે કહેલી કથામાં ઓડિસ્યૂસને ન્યાય આપનાર અદાલત જ બદલાઈ ગઈ છે. હોમરની કથામાં ઓડિસ્યૂસને દૈવી શક્તિ દ્વારા સજા મળે છે. પોસાઇડન તેનો પીછો એટલા માટે કરે છે કે તેણે તેના પુત્ર પૉલિફીમસને અંધ કર્યો હતો, અને ખાસ તો એટલા માટે કે ત્યાંથી બચી ગયા બાદ ઓડિસ્યૂસે અભિમાનમાં પોતાનું નામ પણ જાહેર કરી દીધું હતું. ટ્રૉયથી પાછા ફરતાં દરિયામાં ભટકવામાં ગયેલાં તેનાં દસ વર્ષ આ દૈવી ક્રોધની સજા બને છે. 

આ પ્રવાસ દરમિયાન તે જે હિંસા કરે છે અને ઘરે પહોંચીને જે સંહારનું નેતૃત્વ કરે છે, એને પણ એ જ બ્રહ્માંડીય વ્યવસ્થામાં માન્યતા મળે છે. જ્યારે દેવતાઓ ક્રોધિત હોય ત્યારે તેમના ક્રોધનાં પરિણામ માટે કોઈ મનુષ્યને સંપૂર્ણપણે જવાબદાર કેવી રીતે ગણવો? પ્રાચીન કથામાં અપરાધભાવનું વજન આખી દેવસૃષ્ટિ વચ્ચે વહેંચાઈ શકે છે, એવી દેવસૃષ્ટિ, જે મનુષ્યે કરેલાં કર્મોનો કેટલોક ભાર પોતાના ખભા પર લઈ શકે.

નોલન એ આખી દેવસૃષ્ટિને હટાવી દે છે અને દેવતાઓ અત્યાર સુધી જે બધું ઉપાડતા આવ્યા હતા એ બધાની વચ્ચે એક માણસને એકલો ઊભો રાખે છે. આ પરિવર્તનથી વાર્તાનું કદ નથી ઘટતું, તેની આભા નથી ઘટતી પણ તે વધુ ક્રૂર અને કઠોર બને છે. એક માણસને વીસ વર્ષનાં યુદ્ધ, ભટકાટ અને મૃત્યુનું વજન ઉપાડવું પડે છે. પોતાના ઘરમાં માર્યા ગયેલા પુરુષોનો ભાર પણ તેણે જ સહન કરવાનો છે. હવે તે કોઈ દેવતાને આ માટે જવાબદાર ઠેરવી શકે તેમ નથી.

એક સમયે અપરાધભાવ વહેંચાયેલો હતો. હવે તેનું ખાનગીકરણ થઈ ગયું છે. અને છતાં પણ, અહીંથી આ આખી વાત ખરેખર અગત્યની બને છે કારણ કે નોલનના ઓડિસ્યૂસને પણ હોમરના ઓડિસ્યૂસને જે મળ્યું હતું એ બધું જ મળે છે. રાજગાદી, તેની પત્ની, તેનો દીકરો અને ફરી સ્થાપિત થયેલું સામ્રાજ્ય. 

ફરક માત્ર એટલો છે કે આ બધું મેળવતાં પહેલાં તેને ખૂબ પસ્તાવો થાય છે, GenZની ભાષામાં એને બૅડ ટ્રિપ મળી રહી છે. જાણે તેને દોષમુક્તિ મળી રહી હોય એવી રીતે લખાયેલા દૃશ્યમાં તે પશ્ચાત્તાપ વ્યક્ત કરે છે અને ત્યાર પછી અંત તેને એ જ પુરસ્કાર આપી દે છે જે તેને યુદ્ધનો ગર્વ કર્યા પછી પણ મળવાનો જ હતો. 

આથી કોઈ પણ પ્રાચીન કે આધુનિક રિડેમ્પશન આર્ક વિશે પૂછવા જેવો એકમાત્ર પ્રશ્ન ઊભો થાય છેઃ જો પશ્ચાત્તાપની કિંમત ચૂકવવા માટે કોઈ શક્તિશાળી પુરુષને પોતાનું સિંહાસન કે પોતાની હિંસાથી મળેલું કશું જ ન ગુમાવવું પડે, તો શું એને ખરેખર જવાબદારી સ્વીકારવી કહેવાય? કે પછી એ શક્તિશાળી પુરુષોને મળેલો સૌથી જૂનો વિશેષાધિકાર છે જેમાં તેને પોતાનાં કર્મોનાં ફળ પોતાની પાસે જ રાખવા મળે છે, માત્ર એ શરતે કે એ ફળ મેળવતાં પહેલાં તેમણે પોતાની પીડા અને અફસોસ વ્યક્ત કરવાં પડે?

બન્ને અર્થઘટનોને સામસામે મૂકીએ તો બન્ને માટે કોઈક કિંમત ચૂકવવી પડે છે જે પ્રેક્ષકોને નોલનનો ઓડિસ્યૂસ હોમરના ઓડિસ્યૂસ કરતાં વધુ પ્રામાણિક લાગે છે તેમણે એ સમજાવવું પડશે કે સજાનું સ્થાન માત્ર અપરાધભાવે લઈ લીધું, ત્યારે જ આ પાત્ર વધુ પ્રામાણિક કેમ લાગ્યું.

અને જે પરંપરાવાદીઓને આ ઓડિસ્યૂસ નબળો કે વામણો લાગે છે તેમણે તો પહેલાંથી જ લખી રાખ્યું છે કે નોલને આ વાર્તામાંથી દેવતાઓ અને ભવ્યતા છીનવી લીધાં છે. હવે તેમણે એ સમજાવવું પડશે કે ક્રોધિત સમુદ્રદેવ પર દોષ મૂકીને મનુષ્યને જવાબદારીમાંથી મુક્ત કરી દેતી બ્રહ્માંડીય વ્યવસ્થા વધુ સત્યનિષ્ઠ કઈ રીતે હતી? હોમરના મહાકાવ્યના અંતમાં તલવાર છે. નોલનના અંતમાં એક એવો પડદો છે, જેની આરપાર સ્પષ્ટ જોઈ શકાતું નથી. પરંતુ સાચો હિસાબ આ બન્નેમાંથી એકેય જગ્યાએ થતો નથી.

ભારતીય પ્રેક્ષકોએ આ ફિલ્મ જોતાં એક બીજી સમાનતા પણ નોંધી છે જેને ઓડિસ્યૂસના અપરાધભાવ સાથે કોઈ સંબંધ નથી. કથાના અંત તરફ ઓડિસ્યૂસ પોતાની ઓળખ સાબિત કરવા માટે એવાં ધનુષ્યની પણછ ચડાવે છે, જેને મહેલમાં હાજર બીજો કોઈ પુરુષ વાળી પણ શકતો નથી. બીજા એક મહાકાવ્ય સાથે મોટા થયેલા દરેક ભારતીય પ્રેક્ષકે આ દૃશ્ય તરત ઓળખી લીધું છેઃ એક એવો હીરો, જેની ઓળખ અને પત્ની પરનો તેનો અધિકાર એવા શસ્ત્ર દ્વારા સાબિત થાય છે, જેને માત્ર તે જ હેન્ડલ કરી શકે તેમ છે.

રામ પણ એવા ધનુષ્યને ઉઠાવીને, અને તોડીને, સીતાનો હાથ જીતે છે, જેને બીજો કોઈ મુરતિયો ઊંચકી પણ શકતો નથી. શિવજીનું પિનાક ધનુષ હતું જે રામે સીતાના સ્વયંવરનાં તોડ્યું હતું. આ ચોક્કસ દૃશ્ય એક મહાકાવ્યની પરંપરામાંથી બીજી પરંપરામાં પહોંચ્યું હોય એવા કોઈ સ્થાપિત પુરાવા નથી. એથી આ સમાનતા ઓછી નહીં, વધુ રસપ્રદ બને છે.

એકબીજાથી હજારો માઇલ દૂર રહેલી બે સંસ્કૃતિઓએ સ્વતંત્રપણે નક્કી કર્યું કે કોઈ રાજા હજી પણ પોતાના સિંહાસનને લાયક છે કે નહીં એનો પુરાવો તેના મ્હોંથી કરાયેલી કબૂલાત નહીં, પરંતુ તેના હાથમાં રહેલું શસ્ત્ર આપશે. નોલને પોતાના હીરોને કબૂલાત આપી પણ ધનુષ્ય તેણે યથાવત્ રાખ્યું.

બાય ધ વે: 

આ અઠવાડિયે કોઈ IMAX થિયેટરમાં બેઠેલા પ્રેક્ષકોએ એક યુદ્ધવીરને ફરીથી હત્યા કરતાં પહેલાં રડતો જોયો અને બહાર નીકળીને અનુભવ્યું કે આખરે તેમણે આ પાત્રનું પ્રામાણિક સ્વરૂપ જોયું. હોમરના પ્રેક્ષકોએ એ જ માણસને પહેલાં હત્યા કરતો અને પછી ક્યારે ય ન રડતો જોયો હતો. તેમને પણ એ જ સ્વરૂપ પ્રામાણિક લાગ્યું હતું. બન્ને યુગના પ્રેક્ષકોને તેઓ જે અંત જોવા આવ્યા હતા એ જ મળ્યો. ત્રણ હજાર વર્ષમાં ‘સારો પુરુષ’ કોને કહેવો એની વ્યાખ્યાને ખરેખર કેટલું ઓછું બદલાવું પડ્યું છે એનો અર્થ તમારી રીતે કાઢી શકો છો. ફરક માત્ર એટલો છે કે હવે ખરાબ અનુભવવાની તેની અભિનયક્ષમતાને વધુ સારી પ્રોડક્શન વેલ્યુ મળી ગઈ છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 02 ઑગસ્ટ 2026

Loading

...4567...102030...

Search by

Opinion

  • એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”
  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે
  • ચલ મન મુંબઈ નગરી—353

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ
  • લૂંટ શકે તો લૂંટ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved