શિક્ષણ વિભાગને માટે માસ્તર, મસોતું જ છે. માસ્તરને મસોતું ગણવાનો શિક્ષણ વિભાગને વાંધો નથી કે નથી તો વાંધો માસ્તરોને મસોતું ગણાવાનો. એ માસ્તર જે વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઘડે છે, તેનાં પોતાનાં ભવિષ્યના કોઈ ઠેકાણાં નથી. માસ્તરો એવા પણ છે જે કૈં કર્યા વગર અનેક સન્માનો લઈને, ઉપરીઓની ખુશામત કરીને, અનેક અનાચારો કરીને ચામડી બચાવેલી રાખે છે, તો થોડા એવા પણ છે જેની ચામડીનાં જોડાં પણ ઓછાં પડે. તે ફરજ પરસ્ત, વફાદાર અને ભીરુ છે. તે શોષિત છે. ભીરુ છે એટલે શોષિત વધારે છે. એવાઓનો ઉપયોગ સરકાર જ નહીં, સાથી શિક્ષકો પણ મસોતાની જેમ જ કરતાં હોય છે.
આમ તો મસોતું એટલે ગરમ વાસણ ચૂલા પરથી ઉતારવા વપરાતું મેલું કપડું. લૂગડાનો ચોળાયેલો કકડો જે ધોળવા, લૂંછવા વપરાતો હોય. ચૂંટણીનું આંધણ ચડ્યું હોય તો માસ્તર /મસોતું પકડો ને વાસણ ઉતારી લો કે બેડો પાર ! ચૂંટણીની તાલીમ આપવાની છે, માસ્તર હાજર છે. પરીક્ષામાં સુપરવાઇઝર જોઈએ છે, બોલાવો માસ્તરને, ઉત્તરવહી તપાસવાની છે, માસ્તરોના ઓર્ડર કાઢો, આવશે ને તપાસી પણ આપશે ઉત્તરવહીઓ. આ વખતે મુશ્કેલી એ થઈ છે કે શિક્ષકને આ ત્રણેય કામગીરીઓ એક સાથે કરવાની આવી છે. ચૂંટણી આવી રહી છે ને તાલીમી વર્ગો ભરવાના છે, પરીક્ષામાં સુપરવિઝન પણ કરવાનું છે ને તે પતે તો ઉત્તરવહીઓ પણ તપાસવાની છે. કઈ કામગીરી કરવી ને કઈ નહીં, તેની પસંદગી તેની નથી, એટલે ઘણા શિક્ષકોની મૂંઝવણ વધી છે. ત્રણેય જવાબદારીઓ મહત્ત્વની છે ને સરકાર તો ઈચ્છે જ કે ત્રણે તપેલાં ઉતારવામાં માસ્તર / મસોતું કામમાં આવે. સરકારે / બોર્ડે તો ઉકેલ શોધ્યો જ છે, પણ મશીનને માણસમાં ફેર ન રહે એવો છે. એવી વફાદારી સરકાર / બોર્ડ પાસેથી રાખવાની હોય તો ત્યાં જવાબ હકારમાં આવવાની શક્યતાઓ ઓછી જ છે.
આ વખતે સૌથી ઉપર ચૂંટણી છે, પણ મુશ્કેલી એ છે કે તે બોર્ડની પરીક્ષા વખતે આવી છે. બોર્ડની મુખ્ય પરીક્ષાઓ પૂરી થઈ છે ને ઉત્તરવહીઓ તપાસવાનું શરૂ થયું છે. આ જ ગાળામાં ઘણી સ્કૂલોમાં લોકસભાની ચૂંટણીમાં ફરજ બજાવવા અંગેની તાલીમમાં હાજર રહેવાના હુકમો પણ થયા છે. એ સાથે જ ગુજકેટની તથા અન્ય પરીક્ષાઓ પણ શરૂ થવા જઈ રહી છે ને તેને માટે વર્ગ ખંડમાં સુપરવાઇઝર તરીકેની ફરજ બજાવવાના ઓર્ડરો પણ થયા છે. ત્રણે જવાબદારીઓ નિભાવી શકાતી હોત તો તેવું કામ સરકારે / બોર્ડે શિક્ષક પાસેથી લીધું જ હોત ને શિક્ષકે તે કર્યું પણ હોત, પણ કોઈક માટે તે શક્ય ન હોય ત્યારે ફરજ કઈ રીતે બજાવવી તેની મૂંઝવણ શિક્ષકો અનુભવે છે. જો કે, એનો ઉકેલ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ એમ શોધ્યો છે કે ચૂંટણીની તાલીમ પૂરી કરીને કે સુપરવિઝન પતાવીને શિક્ષકે પેપર તપાસવાની કામગીરી પણ કરવાની રહેશે. જિલ્લા શિક્ષણાધિકારીશ્રી એકથી વધુ ફરજો એક સાથે બજાવી શકતા હશે, પણ શિક્ષકો એકથી વધુ ફરજ બજાવી જ શકે એવું શિક્ષકે તો નહીં, પણ સાહેબે તો માની જ લીધું છે. એમ પણ માની લેવાયું છે કે એકથી વધુ ફરજો એકથી વધુ સ્થળોએ બજાવવા જેટલા શિક્ષકો સક્ષમ છે. પરીક્ષણની કામગીરી 11થી 5ની સોંપાઈ હોય તો બીજી ફરજ ક્યારે ને ક્યાં બજાવવી એ પ્રશ્ન જ છે, પણ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીના આદેશનું પાલન તો થવું જ ઘટે ને મસોતું તેનું પાલન કરશે પણ ! કરે જ છે.
એટલું છે કે સરકાર, શિક્ષકો પહોંચી વળે એટલું જ કામ શિક્ષકો પાસેથી લે છે. શિક્ષકો યાંત્રિક રીતે કામ કરે, સર્જનાત્મક ન રહે કે સામે શિંગડા ન ભરાવે એ રીતે તેમની પાસેથી કામ લઈ શકાય છે. જો કે, બોર્ડની પરીક્ષામાં પરીક્ષક તરીકેની કામગીરીમાં શિક્ષકોને જોતરવાની વાત આવી, તો કેટલાક શિક્ષકોએ ફરજ પર હાજર રહેવાનું મુનાસિબ નથી માન્યું. જો કે, તેમની સામે પગલાં ભરવાની વાત પણ છે જ ! આ વખતે ચૂંટણી છે એટલે બોર્ડ વહેલું પરિણામ જાહેર કરવા ઉત્સુક છે. એવે વખતે પરીક્ષકો કામગીરી કરવા હાજર ન રહે તો પરિણામમાં વિલંબ થાય ને તે કોઈને જ ન પરવડે એમ બને. કદાચ વિદ્યાર્થીઓના મત મેળવવા હોય કે વિદ્યાર્થીઓ પાસ થાય તો વાલીઓના મત લોકસભા ચૂંટણીઓમાં પડે એટલે, પણ આ વખતે બને ત્યાં સુધી વિદ્યાર્થીઓને પાસ કરી દેવાની દાનત ચોખ્ખી જણાઈ આવે છે.
ગયે વર્ષે પરીક્ષણ દરમિયાન સોએ બારથી પંદર વિદ્યાર્થીઓ નાપાસ થતા હતા, પણ આ વખતે એ ટકાવારી બેથી ત્રણ પર આવીને અટકે એવી શક્યતાઓ છે. આ ઘટાડો વિદ્યાર્થીઓની બુદ્ધિમત્તા પર આધારિત ન હોય એમ બને. પરીક્ષકોની ખેંચના સમયમાં જે તે વિષયના પરીક્ષક હાજર ન હોય તો જે હાજર હોય તે પણ પેપર તપાસી લે છે. કોમર્સના હજારો વિદ્યાર્થીઓના પેપર જુદા જુદા વિષયના શિક્ષકો સેકશન પ્રમાણે તપાસે છે. સેકશન એ- એક પરીક્ષક તપાસે, બી-બીજો, સી- ત્રીજો એમ છથી સાત પરીક્ષકો દ્વારા એક પેપર તપાસાય છે. આ બધાંની ઉપર એક મૉડરેટર પણ ખરો, જે આખું પેપર પોતે ચેક કરે છે ને જરૂર પડે તો તે માર્કમાં વધારો ઘટાડો પણ કરી લે છે. એક સમય એવો હતો કે આખું પેપર એક જ પરીક્ષક તપાસતો કે સેકશન બે હોય તો બે પરીક્ષક સુધી વાત જતી. હવે સેકશન પ્રમાણે પરીક્ષકોની ભીડ કરવાનું વધુ ચોકસાઇ માટે છે કે વધુ ઉદારતા માટે તે સમજાતું નથી.
એક તરફ પરીક્ષકોની તંગી છે ને બીજી તરફ સેકશન દીઠ પરીક્ષકો ફાજલ પાડવામાં આવે છે. વારુ, આ બધું શુદ્ધ હેતુથી થતું હોય તો, તો પ્રશ્ન જ નથી, પણ દળી દળીને કુલડીમાં-ની જેમ કોઈ પણ રીતે વાત વિદ્યાર્થીને પાસ કરવાની જ હોય તો પરીક્ષાના આવા ભવ્ય તાયફા કરવાની જરૂર ખરી? સાચું તો એ છે કે તટસ્થ મૂલ્યાંકનની વાત ખાસ રહી જ નથી. બોર્ડની પરીક્ષામાં 5 માર્ક લાવનારને 23 માર્કસ સુધીનું ગ્રેસિંગ ભૂતકાળમાં અપાયું હોય ને ગુજરાતીના પેપરમાં લાખો વિદ્યાર્થીઓ નાપાસ થતા હોય તો પરીક્ષાનું ને શિક્ષણનું શું અને કેવું મૂલ્ય આપણે નીપજાવ્યું છે તે કહેવાની જરૂર નથી. શિક્ષક ભણાવવા માટે પણ છે, એ વાત ભુલાઈ ચૂકી છે, તેનું આ પરિણામ છે.
વિદ્યાર્થીઓને પરીક્ષામાં ડિજિટલ ઘડિયાળ કે મોબાઈલ રાખવાની છૂટ નથી, જ્યારે પરીક્ષકને મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રમાં મોબાઈલ રાખવાની છૂટ છે ને ચાલુ કામગીરી દરમિયાન મોબાઈલ આવે તો પરીક્ષક બહાર જઈને વાત પણ કરી શકે છે. એ ફોન માર્ક સંદર્ભે ન જ હોય એમ માનવાને કોઈ કારણ નથી. ટૂંકમાં, જે પરીક્ષકના ઘરે થઈ શકે તે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રમાં ન જ થાય એવું નથી. ત્રીસેક માર્ક લાવે તો વિદ્યાર્થીને પાસ માર્ક સુધી લાવવાની ગરજ પરીક્ષકની છે. પાસ કરવાની એક સગવડ એવી પણ વધારાઈ છે કે કોઈ વિદ્યાર્થી પુસ્તક પ્રમાણે જવાબ ન લખે, પણ જવાબમાં પ્રશ્નનું હાર્દ આવી જતું હોય, તો તેને ક્રિએટિવ ગણી માર્ક આપવા. મતલબ કે અત્યાર સુધી ક્રિએટિવ જવાબોને સ્થાન ન હતું, પણ હવે તેનો મહિમા વધ્યો છે. કદાચ ચૂંટણીને કારણે હોય એમ બને, બાકી, પાસ કરવામાં કોઈ કસર ન રહે તે માટે બોર્ડ કટિબદ્ધ છે. આ વખતે તો બોર્ડની પરીક્ષાનું પરિણામ 70 ટકા આવવાની વકી છે. ચૂંટણી સંદર્ભે એ કદાચ ઓછું છે. શક્યતાતો એવી છે કે બોર્ડનું પરિણામ 70 નહીં, પણ 170 ટકા આવે. જેનો શિક્ષણ વિભાગ જ ફુલ્લી નાપાસ હોય, તે 70 ટકા લાવે કે 170 ટકા, શો ફરક પડે છે?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 25 માર્ચ 2024