Opinion Magazine
Number of visits: 10080101
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સરકારી અધિકારીઓ જ વેપારીઓને અને સરકારને છેતરે છે….

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|7 August 2026

રવીન્દ્ર પારેખ

આમ તો છેતરપિંડી ભારતની ઓળખ બની ગઈ છે. એ સાધારણ માણસોની છેતરપિંડી તો છે જ, પણ ગુજરાતમાં સરકારી અધિકારીઓ સરકારનું ખાઈને કેવી રીતે સરકારનું ખોદે છે અને સામાન્ય પ્રજાને આડેધડ વેતરી નાખે છે, તેની શરમજનક વાતો જાહેર થઈ છે. ગયા એપ્રિલમાં સેન્ટ્રલ GSTના એક ઉચ્ચ અધિકારી, 20 લાખની લાંચ લેતાં પકડાયેલા. GST એવો કૂવો છે કે કોઈ અધિકારી એમાંથી ઉલેચવા જાય તો હાથ ખાલી ન રહે. તે વેપારીઓ માટે ત્રાસદાયક છે, પણ અધિકારીઓને તો તે દૂધ દેતી ગાય જ છે.

એક અખબારમાં ગુજરાતના અધિકારીઓની બદમાશીની જે વિગતો બહાર આવી છે તે સ્ફોટક અને આઘાતજનક છે. આ કામ સરકારના જ માણસો સરકારને નામે વેપારીઓને છેતરીને સિફતથી કરી લે છે. અમદાવાદના ટેક્સટાઇલ, સ્ક્રેપ અને કેમિકલ સેક્ટરના વેપારીઓ કુદરતી આફતથી નથી ડરતા, એટલું સરકારના GST અધિકારીઓથી ડરે છે. આ ડર કોઈ માથાભારે તત્ત્વોએ ઊભો કર્યો છે એવું નથી. આ ડર સરકારી અધિકારીઓ દ્વારા વેપારીઓ પર ઊભો કરાયો છે. જેમણે સરકારની તિજોરીઓ ભરવાની છે, તે વેપારીઓની તિજોરી ખાલી કરીને, સરકારને નામે, પોતાનું તળિયું ટાઢું કરી લે છે. GST વિભાગના જ કેટલાક ભ્રષ્ટ અને તોડબાજ અધિકારીઓ કોઈ ફિલ્મની જેમ નકલી રેડ પાડે છે અને પછી લાખો રૂપિયાનો તોડ કરે છે. ગુજરાતની ઓળખ વેપાર ઉદ્યોગ છે. GSTના રાજ્યકક્ષાના કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓની પરસ્પર સમજૂતીથી તોડપાડ નેટવર્ક ચાલી રહ્યું હોવાના સમાચાર છે. આ કૌભાંડ એકાદ હજાર કે લાખેકની આસપાસનું જ નથી, તે લાખો-કરોડોમાં ખેલાય છે.

વેપારીને પહેલાં તો સમન્સ મળે છે ને સાથે જ વેપારીને ડરાવવા, ધમકાવવા, ખંખેરવાની રમતો શરૂ થાય છે. એની કેટલી ય ફરિયાદો PM અને CM સુધી પહોંચી છે. આ ખાલી એક કાનેથી સાંભળીને બીજે કાનેથી કાઢી નાખવા જેવી વાત નથી, પણ એક નક્કર હકીકત છે. CM, PM સુધી પહોંચેલી ફરિયાદમાં લાલ બત્તીઓવાળી ગાડીમાં ફરતા અધિકારીઓનાં નામ પણ જોડવામાં આવ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, આ તોડપાડુ અધિકારીઓની મોડસ ઓપરેન્ડી ડેવેલોપ થઈ છે. તે મુજબ સૌથી પહેલાં તો કોણ ફસાઈ શકે એમ છે, એવા ધનાઢ્ય વેપારીઓની યાદી તૈયાર કરવામાં આવે છે, તે પછી કોઈને કોઈ ટેકનિકલ બહાનું આગળ કરીને, જી.એસ.ટી.ની કલમ 70-1 નો દુરુપયોગ કરીને કેટલાક વેપારીઓને સમન્સ બજાવવામાં આવે છે. વેપારી જવાબ આપવા ઓફિસે પહોંચે તો તેના પર માનસિક દબાણ એવી રીતે ઊભું કરવામાં આવે છે કે વેપારી પડી ભાંગે. તમે સરકાર સાથે ખોટું કર્યું છે. (આવું કહીને જે તે અધિકારી પણ ખોટું જ કરે છે) તમારી કુંડળી ખૂલી ચૂકી છે. તમે મોટી પેનલ્ટીને લાયક છો જેવું કહીને અધિકારીઓ GST નમ્બર રદ્દ કરવાની વાત કરે છે ને જેલમાં મોકલવા સુધીની ધમકી, પૂરી નિર્ભયતાથી આપી દે છે. એને લીધે વેપારીઓ ગભરાઈ જાય છે ને તેની પાસે અધિકારીઓનું માનવા સિવાય બીજો વિકલ્પ જ નથી રહેતો ને અધિકારીઓ એ ગભરાટનો લાભ ઉઠાવે છે. તેમને માટે કરોડો રૂપિયાના દરવાજા ખૂલી જાય છે. આમાં સસ્પેન્ડેડ લાઈસન્સ અને કેટલીક પેઢીઓનાં રજિસ્ટ્રેશનના ડેટાનો ઉપયોગ કરીને અધિકારીઓ દાવ ખેલી લે છે.

સરખેજના એક કાપડના વેપારીને ત્યાં સત્તાનો છડેચોક દુરુપયોગ કરીને રેડ પાડવામાં આવી. વિભાગ-1 અમદાવાદના સહાયક રાજ્ય કમિશનરો સહિત 15 લોકોની એક ટીમે દરોડો પાડ્યો હતો. કાયદેસર રીતે CCTV કેમેરા બંધ કરાવવાની સત્તા અધિકારીઓ પાસે હોતી નથી, પણ વેપારીઓ એ જાણતા ન હોવાથી અધિકારીઓ દ્વારા CCTV કેમેરા બંધ કરાવવામાં આવ્યા. બારણાં બંધ કરાવવામાં આવ્યા અને બંધ બારણે વેપારી પાસેથી 28 લાખ રૂપિયાનો તોડ પાડવામાં આવ્યો. આવો જ એક કિસ્સો જામનગરમાં પણ બન્યો. 2026નું નવું નાણાંકીય વર્ષ શરૂ થાય તે ગાળામાં જામનગરમાં GST અધિકારીઓએ મોટો હાથ માર્યો હતો. એપ્રિલમાં ફરજમાં બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડેડ GSTના સહાયક રાજ્ય વેરા કમિશનર અને તેમની સાથે સંકળાયેલ લોકોએ કલ્પ એન્ટરપ્રાઈઝ નામની પેઢીને REG-17ની નોટિસ ફટકારી હતી. નોટિસ આપતા પહેલાં કોઈ પ્રકારની ચકાસણી કરી હોવાનો રાજ્ય વેરા કમિશનર પર આરોપ છે. નોટિસમાં એવો ખોટો ઉલ્લેખ પણ છે કે વેપારીઓ સુઓમોટો કેન્સલ્ડ થયેલ છે, જેમાં 11 વેપારીઓએ ફ્રોડ કરવા માટે રજિસ્ટ્રેશન મેળવ્યું હતું. વેપાર બંધ કરવાની ધમકી આપીને કલ્પ એન્ટરપ્રાઈઝના કેસમાં રોકડી 60 લાખની લાંચ માંગવામાં આવી હતી. ગમ્મત તો એ છે કે આ રકમ બેંક દ્વારા વિવિધ ખાતાઓમાં ટ્રાન્સફર થઈ હોવાના પુરાવા પણ મળ્યા હતા. આ કાર્યવાહી તોડબાજી તરફ આંગળી ચીંધે છે. જો કે, GST અને પોલીસ તપાસ હાથ ધરાઈ હોવા છતાં શું થયું તે બહાર આવ્યું નથી.

CM અને PMને અપાયેલી ફરિયાદમાં તોડબાજી કરતી ટીમમાં એડિશનલ સ્ટેટ કમિશનર, જોઈન્ટ સ્ટેટ કમિશનરો તેમ જ અન્ય અધિકારીઓનો સમાવેશ થાય છે. ફરિયાદમાં જણાવાયું છે કે ઉપરોક્ત અધિકારીઓ દ્વારા 10 માસમાં 40થી વધુ કેસોમાં સમન્સની મંજૂરી આપવામાં આવી છે. જો આ કમિશનરો દ્વારા અપાયેલા સમન્સની રૂબરૂમાં ચકાસણી કરવામાં આવે, તો ભ્રષ્ટાચારનું નવું પ્રકરણ ખૂલે એમ બને. આ લૂંટ માત્ર ઓફિસોમાં જ નહીં, ગુજરાતના હાઈવે પર પણ ચાલે છે. હાઈવે પર ટેકસચોરી પકડવા GSTની મોબાઈલ સ્કવોડ દ્વારા સતત મોનિટરિંગ થતું હોય છે, પણ E-વે બિલના ચેકિંગમાં અને ઓવર લોડેડ ટ્રકના કિસ્સામાં ટ્રકો રોકીને, પેપર્સ સાચા હોવા છતાં ટેકનિકલ ખામીઓ બતાવીને સ્પોટ પર જ તોડ પાડવામાં આવે છે.

આ બને છે એટલે કે વેપારીઓને સાચી હકીકતનો ખ્યાલ નથી. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સની ગાઈડ લાઈન્સ અને કાયદાઓ વેપારીઓની સુરક્ષા માટે જ છે, પણ તોડબાજ અધિકારીઓ તેને બાજુ પર મૂકીને વર્તતા હોય છે. એક બે નહીં, પણ ઘણાં નિયમો તોડીને વેપારીઓને હેરાન કરવામાં આવે છે. સરકારનો કડક નિયમ છે કે અધિકારી દ્વારા ઇસ્યૂ કરાતી નોટિસ, સમન્સ કે પત્ર પર ઓનલાઈન જનરેટ થયેલો DIN હોવો જ જોઈએ. DIN વગરની નોટિસ ગેરકાનૂની ને કાયદાની નજરમાં અમાન્ય ગણાય છે. કોઈ પણ મહત્ત્વની તપાસ, રીસર્ચ સીઝર … માટે GST સર્વોચ્ચ અધિકારીની લેખિત મંજૂરી અનિવાર્ય છે. નવી SOP મુજબ આખરી ઓર્ડર પાસ કરતા પહેલાં વેપારી કે તેના CA – વકીલને સાંભળવાની તક આપવી અનિવાર્ય છે. ત્રણ વાર તક આપ્યા પછી પણ વેપારી હાજર ન થાય તો અને તો જ અધિકારી એકતરફી નિર્ણય લઈ શકે છે. આવા તો ઘણા નિયમો છે, પણ વેપારીઓ જાણતાં નથી ને GST ભ્રષ્ટ અધિકારીઓનો શિકાર થાય છે.

જોવાનું એ છે કે રાજ્ય અને કેન્દ્ર સરકાર સુધી પહોંચેલી ફરિયાદનું નિરાકરણ ક્યારે થાય છે? આશ્ચર્ય તો એ છે કે કાયદો શીખવનાર જ કાયદાનો દુરુપયોગ કરે છે ને એમની સાથે કાયદાએ વધુ કડકાઈથી વર્તવાની જરૂર છે. ફરિયાદો તો ઘણી થઈ છે, ઘણા જવાબો લેખિતમાં માંગવામાં આવ્યા છે, પણ અત્યાર સુધી કોઈએ મગનું નામ મરી પાડ્યું નથી.

એ કેવું છે કે સરકારના અધિકારીઓ, સરકારી કાયદા જાણનારાઓ, કાયદો ખબર નથી એવા વેપારીઓને પૂરી બેશરમીથી લૂંટે છે. આ લૂંટનો હિસ્સો તેઓ સરકારમાં જમા કરાવતા નથી, પણ પોતાની તિજોરી ભરવા કરે છે. આ અધિકારીઓ ગરીબ નથી. સરકાર આમ પણ અધિકારીઓને પગારમાં લાખો રૂપિયા ચૂકવે છે, છતાં એમનું પેટ ભરાતું જ નથી. એ કેવું છે કે સરકારી કાયદાઓ પ્રજાના હિતમાં ઘડાય છે, પણ પ્રજા એને વિષે બહુ જાણતી નથી ને તેનો લાભ લઈને આવા અધિકારીઓ હોજરી ઠાંસતા રહે છે. આવા અધિકારીઓને સસ્પેન્ડ કરાય છે, પણ એ સજા તો બહુ નાની છે. થોડા વખતમાં અધિકારીઓ મૂળ જગ્યાએ કે બીજે પાછા ફરતા હોય છે ને નવેસરથી નવી લૂંટ ચલાવતા હોય છે. આ બે પ્રકારનું પાપ છે. એક તો નિર્દોષ વેપારીઓને લૂંટવામાં આવે છે ને એ પૈસા સરકારમાં જમા કરાવવાને બદલે, પોતાની હોજરીમાં ઠાલવવામાં આવે છે. આવું કોઈ ગરીબ કરે તો સમજ્યા, આ બધા કરોડો ઉસેટી શકે એટલા કાબેલ હોય છે ને એ જ ગરીબ ભિખારીની જેમ અકરાંતિયાની જેમ ઉસેટે છે ત્યારે આઘાત લાગે છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 07 ઑગસ્ટ 2026

Loading

જંતરમંતરથી માંડી બાંકીપુર લગી એક નવ્ય કથાનક ઊઘડી રહ્યું છે 

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|6 August 2026

જનસંઘ (ભા.જ.પ.)  સબબ જે.પી. આંદોલનને ટાઢે કોઠે દોષ દેનારા ભૂલી જાય છે કે આજે જે લોકશાહી મૂલ્યો સર ભા.જ.પ. ટીકાપાત્ર લાગે છે તેવું કેટલુંક ટીકાપાત્ર જયપ્રકાશે ચીંધી બતાવ્યું ત્યારે સત્તાપક્ષે  વિધાયક પ્રતિસાદથી કિનારો કર્યો હતો …

પ્રકાશ ન. શાહ

કોક્રોચ કમાલ, એનું અનુસંધાન અને એનું શરસંધાન, સ્વાભાવિક જ સંભવિત અને સંભાવિત સુરખીઓમાં છે. એક નવા પરિબળ તરીકે તેમ વૈકલ્પિક કથાનકના વિકસતા વસ્તુ તરીકે એની આશાસ્પદ સંભાવના વિશે માનો કે બે મત હોય તો પણ એને કેવળ સોશિયલ મીડિયા પૂરતું સીમિત રાખવાનું હવે સ્થાપિત મીડિયાને ય પરવડે એમ નથી. બીજી પાસ, એની વાંસોવાસ બિહારના બાંકીપુર-પટણા પંથકથી આવેલા આમ તો એક અમથી વિધાનસભા બેઠકના પરિણામે વૈકલ્પિક કથાનક સબબ કોઈ હેરત અંગે જ ચકચાર જ નહીં પણ ધોરણસરની અસામાન્ય ચર્ચા જગવી છે. આ પરિણામની ચમત્કૃતિ જંતરમંતરની બરોબરની ન હોય તો પણ એ બરની જરૂર છે; કેમ કે એ ભા.જ.પ.ના રાષ્ટ્રીય પ્રમુખની જાથુકી બેઠક રહી છે – અને તે

પ્રશાન્ત કિશોર

પણ એમના પિતાના વારાથી. 3 દાયકાનો સુવાંગ ભોગવટો લગભગ બાષ્પીભૂત થઇ જાય એ અવશ્ય અસામાન્ય ઘટના છે.

આ ઘટનાના ઘટનમાં જવાનો ધક્કો માત્ર કોણ હાર્યું એ જ કારણે નથી. ભા.જ.પ.ના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નવીનને કેમ જાણે પુરાતન જાહેર કરનાર આ શખ્સિયત પ્રશાંત કિશોર છે. હજુ થોડા વખત પર જ બિહાર વિધાન સભાની ચૂંટણીમાં બધ્ધેબધ્ધી બેઠકો પર જન સુરાજ ઉમેદવારો મૂકી બધ્ધેબધ્ધી ધરાર હારી જનાર આ વિક્રમી વીર હવે જીતને મોરચે પણ વિક્રમી પ્રતિભા તરીકે ઉભરી રહેલ છે. પ્રશાંત કિશોરના કિસ્સામાં વિક્રમી વિગત એમ તો એ પણ છે કે અત્યાર સુધીની એમની કારકિર્દી  ને કામગીરી એક કંત્રાટી કુળની રહી છે. ભા.જ.પ. ને કાઁગ્રેસ સહિતના પક્ષોને એમણે રૂપસંમાર્જન, પ્રતિમા પ્રક્ષેપણ, પ્રતિભા આરોપણ સહિત એકંદર ચૂંટણી ટેકનોક્રેટ તરીકે સેવા આપી છે. હવે પહેલી જ વાર એ જન સુરાજનો નિજી નેજો ને નારો લઈને નીકળી પડ્યા છે.

એમનો કાર્યક્રમ સીધો સાદો એટલો જ સમજવા જેવો છે. વિજય પછી એમણે કહ્યું કે હું સમ્રાટ  ચૌધરીને (બિહારના ભા.જ.પી. મુખ્યમંત્રીને) કહું છું કે શા માટે આપણા યુવાનોએ ઘરપરિવાર રેઢા મેલીને રાજ્ય બહાર પેટની વેઠે જવું પડે? આપણે આપણા તાલુકા /જિલ્લામાં રોજગારનિર્માણ કરીએ અને આપણું યુવાધન ઘરઆંગણે જ બે પાંદડે થઇ શકે એવું કેમ ન બને. જેમ આ પાયાની વાત તેમ એમની ચૂંટણીપ્રચારની રીત પણ સીધીસાદી એટલી જ  જમાતજુદેરી હતી. બેપાંચસાત ઘરો વચ્ચે ચાના કપ સાથે દિલની વાતો કરવી એવો ઉપક્રમ એમનો હતો .

2024માં રાહુલ ગાંધી નેતા પ્રતિપક્ષ તરીકે ઉભર્યા તે સાથે એક નવા અગર વૈકલ્પિક કથાનકની રાષ્ટ્રીય રાજકારણમાં વિધિવત પ્રતિષ્ઠા થવા લાગી છે એમ કહી શકીએ. એને મુકાબલે કોક્રોચ -કિશોર વેશનમૂનાને આપણે નિતાન્ત નવ્યના ખાનામાં મુકવા પડે. 2029ની, ઘણુંખરું જો કે  વહેલી પણ હોઈ શકતી લોકસભા ચૂંટણીમાં કોક્રોચ-કિશોર તરેહનાં પરિબળો ક્યાં હશે, એ સવાલનો કાંટેકોર જવાબ લગભગ સ્ક્રીપ્ટ મુજબનો અલબત્ત નયે આપી શકાય. પણ એમની ગળથુથી અને તાસીર જોતાં સ્વાભાવિક વલણ લગરીક છાસિયા-છાંછિયા સાથે પણ પ્રતિપક્ષ તરફે કલ્પી શકાય. આ અનુમાનમાં આઘાપાછીનાં નિમિત્તકારણો શોધવાં અઘરાં નથી .કોક્રોચ પ્રવકતાનું ભૂતપૂર્વ આપ-સંધાન કે બિહારમાં રા.જ.દ.-કાઁગ્રેસ સમજૂતી આ સંદર્ભમાં તરત સાંભરે છે અને એવા જ બીજાં નિમિત્તો અન્ય રાજ્યોમાં પણ ચીંધી શકાય, પણ મુદ્દાનો મુદ્દો એ છે કે કોક્રોચ-કિશોર ઘટનાક્રમ ગળથુથીગત વિરોધે અદરાયેલો અને અથાયેલો છે.

હાલના સત્તા-પ્રતિષ્ઠાન સાથે રહીને એ ગતે જઈ શકે એમ નથી.

એક રીતે, 2024ના પરિણામ સાથે કમબૅક ટ્રેલ પર જણાતી કૉંગ્રેસે વિમાસવા બલકે  વિચારવાનો મુદ્દો એ છે કે તે કે બીજા ક્યાં સુધી જનસંઘ (ભા.જ.પ.) સબબ જે.પી. આંદોલનને દોષ આપ્યા કરશે? આજે એ જે લોકશાહી મૂલ્યો સર ભા.જ.પ.ની ટીકા લાજિમ છે તેવાં લઈને જયપ્રકાશ ચાલી નીકળ્યા ત્યારે, કાશ, કાઁગ્રેસ વિધાયક પ્રતિસાદ આપી શકી હોત!

05 ઑગસ્ટ 2026 
e.mail : prakash.nireekshak@gmail.com

Loading

અટકવાનું નામ ન લેતી ઔદ્યોગિક દુર્ઘટનાઓ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|5 August 2026

ચંદુ મહેરિયા

અમદાવાદના વસ્ત્રાલ-રામોલ વિસ્તારના મહેમૂદપુરા ગામમાં આવેલાં ફટાકડાંના કારખાનામાં વિસ્ફોટ અને આગની દુર્ઘટનામાં ૧૧ શ્રમિકોનાં જાન ગયાં છે. કાયદેસર કે ગેરકાયદેસર ઉદ્યોગોમાં સર્જાતી આવી દુર્ઘટના આ કંઈ પહેલી નથી, અને કદાચ છેલ્લી પણ નહીં હોય. ગયા મહિનાઓમાં ડીસાની ફટાકડા ફેકટરીમાં આવા જ બ્લાસ્ટથી ૨૧, કાલોલમાં ૩, મોડાસામાં ૪ અને કપડવંજમાં ૧ કામદારોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. સરકારી કે પોલીસના ચોપડે ઔધોગિક દુર્ઘટના તરીકે ખતવાતી આ ઘટનાઓ ખરેખર તો બેદરકારીના લીધે થતી ગરીબ મજદૂરોની હત્યાઓ જ છે. કેમ કે ઔદ્યોગિક દુર્ઘટનાઓ વાસ્તવમાં પૂર્વાનુમાનિત હોય છે. દુર્ઘટના બને છે ત્યારે તેને આકસ્મિક કે કમનસીબ કહીને થોડાં આંસુ જરૂર સારી લઈએ છીએ, પરંતુ ઉદ્યોગ કે કંપનીની ખામી, અપર્યાપ્ત નિયમન અને નિરીક્ષણ, જોખમની આગોતરી જાણ છતાં તેને અટકાવવા માટેનાં પગલાંનો અને સલામતી ઉપકરણોનો અભાવ આ પ્રકારની દુર્ઘટનાઓ માટે જવાબદાર છે. તેનો ઉકેલ શક્ય છે પરંતુ દુર્ઘટના પછી તે વિસારે પાડી દેવાય છે અને નવી દુર્ઘટનાઓ બનતી રહે છે.

ઔદ્યોગિક દુર્ઘટનાઓ કંઈ ગુજરાત કે ભારતમાં જ ઘટતી નથી. આ એક વૈશ્વિક સમસ્યા છે.  જે દુર્ઘટનાઓ બને છે, તે કંઈ ભિન્ન ભિન્ન નથી, પરંતુ ઉદ્યોગોમાં રહેલી વ્યાપક માળખાકીય સમસ્યાઓનો સંકેત છે. ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનનો દાયકો પૂર્વેનો રિપોર્ટ જણાવે છે કે આખી દુનિયામાં ઔદ્યોગિક દુર્ઘટનાઓમાં દર વરસે ૩.૫૦ લાખ મજૂરોના મોત થાય છે. ૨૦૨૦માં ભારતમાં નોંધાયેલા કારખાના ૩,૬૩,૪૪૨ હતા અને તેમાં ૨ કરોડ શ્રમિકો કામ કરતા હતા. ૨૦૧૬ થી ૨૦૨૦માં રજિસ્ટર્ડ ફેકટરીઓમાં વરસે સરેરાશ ૧,૧૦૯ મોત દુર્ઘટનાઓમાં થતાં હતાં. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયના આંકડાઓ પ્રમાણે ૨૦૧૪ થી ૨૦૧૬ દરમિયાન કારખાનાઓમાં કામ કરતાં સર્જાયેલી દુર્ઘટનાઓમાં ૩૫૬૨ શ્રમિકોના મૃત્યુ થયાં હતા, જ્યારે ૫૧,૦૦૦ થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા. આ હિસાબે દેશમાં રોજના ૩ કામદારોના મોત અને ૪૭ ઘાયલ થાય છે. 

૨૦૨૪માં પાદરા(જિલ્લાવડોદરા)ની ફાર્માસ્યુટિકલ કંપનીમાં સર્જાયેલ અકસ્માતમાં ૩ મજૂરોના મોતની ચર્ચા ગુજરાત વિધાનસભામાં થઈ હતી. વિપક્ષની ધ્યાન ખેંચતી દરખાસ્તના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે રાજ્યમાં ૨૦૨૧માં ૨૪૪, ૨૦૨૨માં ૨૩૮ અને ૨૦૨૩માં ૨૩૧ મજૂરોના ઔદ્યોગિક દુર્ઘટનાઓમાં મોત થયાં હતાં. ૨૦૨૩માં રાજ્યમાં રજિસ્ટર્ડ ફેકટરીઓ ૪૯,૨૪૬ હતી જે આજે આશરે ૫૧,૦૦૦ છે. 

ગુજરાતમાં ૨૦૨૪ના આંકડા પ્રમાણે ૫૭૦ જોખમી કામો ધરાવતાં કારખાનાં છે. જેમાંથી ભરુચ જિલ્લામાં ૯૮ અને વડોદરા જિલ્લામાં ૮૯ છે. ૫૭૦ ફેકટરીઓમાં ખતરનાક કામો થતાં હોવાની  આગોતરી જાણ હોવા છતાં ત્યાં દુર્ઘટનાઓ બને છે. ભલે કાર્લ માર્કસે શ્રમિકોને એક જ વર્ગના ગણાવ્યા હોય, પરંતુ વર્ગ અને વર્ણમાં વહેંચાયેલા ભારતીય સમાજમાં  વ્યવસાયિક જોખમો પણ કામદારોની સામાજિક આર્થિક સ્થતિ જોઈને વહેંચાય છે. ઉદ્યોગોના જોખમોનું વિતરણ કામદારો-કર્મચારીઓમાં સમાન ધોરણે થતું નથી. એટલે રામોલ-વસ્ત્રાલની દુર્ઘટના હોય કે બીજી કોઈ તેનો ભોગ આદિવાસી, દલિત, પછાત કોમોના ગરીબ કામદારો જ બને છે.

આંધ્ર પ્રદેશના વિશાખાપટનમ્‌ના સરકારી સ્ટીલ પ્લાન્ટમાં સર્જાયેલી દુર્ઘટનામાં હજુ ગયા મહિનાઓમાં જ ૯ મજૂરોના મોત થયાં હતાં. ટ્રેમાં ધગધગતું પોલાદ ભરીને જતી ક્રેન તૂટી પડતાં તેનાથી દાઝેલા નવ મજૂરોના મોત થયાં હતાં. સ્ટીલનું નિર્માણ સહજ રીતે જ એક જોખમભર્યો ઉદ્યોગ છે. સ્ટીલના ઉત્પાદનમાં અત્યધિક તાપમાન, ભારે સાધનો, વિશાળ પ્રમાણમાં ઉર્જા અને દબાણયુક્ત ગેસ સામેલ કરવાનો હોય છે. જે દુર્ઘટના બની તેમાં ઉકળતી અને પિગળતી ધાતુનું તાપમાન ૧,૬૦૦ ડિગ્રી સેલ્સિયસ હતું. આટલા ઊંચા તાપમાનમાં બનતી ધાતુ જેના પર પડે તેનું જીવવું મુશ્કેલ છે. ઉદ્યોગકારો આ જોખમથી પરિચિત હોય છે. વળી તેનાથી બચવાના સાધનો અને પ્રક્રિયા ઉપલબ્ધ છે. છતાં દુર્ઘટના ઘટે છે તેનું કારણ બચાવ માટેનાં પગલાંનો અભાવ છે. 

જૂના અને ઘસાતાં યંત્રો અને તેની જાળવણીમાં થતો ખર્ચ ટાળવો, વધુ નફાની લ્હાયમાં કર્મચારીઓ-કામદારોની સંખ્યામાં ઘટાડો અને હયાત કામદારોના માથે વધુ કાર્યબોજ, કાયમીને બદલે હંગામી અને કરાર આધારિત  કર્મચારીઓ પર વધતી નિર્ભરતા, સલામતી ઉપકરણો માટે નાણાના રોકાણની કમી જેવા કારણોથી  દુર્ઘટનાઓ ઘટે છે. જોખમી અને ખતરનાક ઉદ્યોગોમાં હંગામી અને કોન્ટ્રાકટ પરના કામદારોને વધુ પ્રમાણમાં લેવામાં આવે છે. તેઓ રોજી જવાની બીકે જોખમી કામો સલામતી સાધનો વિના કરવા તૈયાર રહે છે અને જો દુર્ઘટના ઘટે તો માલિકને કશું વળતર આપવું પડતું નથી. આ પ્રકારના કારણોથી દુર્ઘટનાઓમાં વધારો થતો રહે છે. અગાઉ કહ્યું તેમ જોખમોની જાણ છે અને તેને અટકાવવાના સાધનો છે પરંતુ તેનો ઉપયોગ કર્યા વિના કામ કરાવવામાં આવે છે એટલે મજૂરોના મોત થાય છે.

ઔદ્યોગિક દુર્ઘટનાઓ કોઈ એક જ ભૂલને કારણે ઘટતી નથી. લાંબા સમયથી આવી ભૂલો અને સલામતીનાં પગલાંના અભાવે કે તે તરફ આંખા આડા કાન કરવાની માલિકોની વૃત્તિ કે કંપનીની સંસ્થાકીય નબળાઈનું પરિણામ હોય છે. વધુ નફો મેળવવાનું વલણ અથવા આર્થિક દબાણ સહેતા ઘણા ઉદ્યોગો સલામતી માટેનાં રોકાણને નકામો ખર્ચ ગણે છે અને મજદૂરોને જોખમ ઉઠાવવાની ફરજ પાડે છે. આખરે તેમનાં મોત નિપજે છે કે ઘાયલ થાય છે. 

કામદારો-કર્મચારીઓને જોખમ સંબંધી વ્યવસ્થિત તાલીમ આપવામાં આવતી નથી. રોજમદાર કે હંગામી કામદારોને તો પહેલા દિવસથી જ આવાં કામ કરવાની ફરજ પાડવામાં આવે છે. ઔદ્યોગિક દુર્ઘટનાઓ અટકાવવા અને કામદારોની સલામતી માટે કેન્દ્ર અને રાજ્યોના કાયદાઓ મોજુદ છે, પરંતુ તેનો અમલ કરાવનારું તંત્ર ભ્રષ્ટ છે. ઉદ્યોગોનું નિયમિત  નિરીક્ષણ અને નિયમન થતું નથી. કાયમી અને હંગામી બંને કર્મચારીઓને કામના જોખમોથી વાકેફ કરવા જોઈએ અને બચાવની તાલીમ આપવી જોઈએ. દુર્ઘટના ઘટે ત્યારે ઉદ્યોગ પાસે કામદારોની તાત્કાલિક સારવારનું કોઈ તંત્ર કે સાધન પણ હોતું નથી.  જોખમ જ્ઞાત છે અને પૂર્વાનુમાન છે તો પછી તેને અટકાવી ન શકવું તે તો માણસને મરવા મજબૂર કરવા બરાબર છે. ઉદ્યોગકારોએ એ બાબત સમજવી પડશે કે તેના કામદારોની સલામતી તે માત્ર તેની કાયદાકીય જવાબદારી જ નથી, પરંતુ સલામતીને સંસ્થાનું મૂળભૂત મૂલ્ય બનાવવું જોઈએ. અમદાવાદની ફટાકડા ફેકટરીમાં માલિકના માતા પણ ઈજાગ્રસ્ત્ત થયાં છે. તેમ દુર્ઘટનાનો કોણ ભોગ બનશે તે નક્કી હોતું નથી. માલિક દુર્ઘટનાથી કાયમ બાકાત હોય તેમ ન પણ બને. એટલે પોતાના કામદારોની અને સાથે સાથે ખુદની સલામતીને ધ્યાનમાં રાખીને સુરક્ષાના પગલાં લેવાવાં જોઈએ. 

e.mail : maheriyachandu@gmail.com

Loading

...2345...102030...

Search by

Opinion

  • એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”
  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે
  • ચલ મન મુંબઈ નગરી—353

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ
  • લૂંટ શકે તો લૂંટ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved