Opinion Magazine
Number of visits: 9516739
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મલાલા યુસૂફજઈ : મહાનતાના બોજથી સ્વયં બનવાની સરળતા સુધી

રાજ ગોસ્વામી|Opinion - Opinion|9 November 2025

રાજ ગોસ્વામી

લગભગ 400 વર્ષ પહેલાં, વિલિયમ શેક્સપિયરે તેમના કોમેડી નાટક ‘ટ્વેલ્થ નાઈટ’માં લખ્યું હતું, ‘અમુક લોકો જન્મથી મહાન હોય છે, અમુક મહાનતા હાંસલ કરે છે, અને અમુક પર મહાનતા થોપવામાં આવે છે.’

શેક્સપિયર રાજાઓ અને ઉમરાવોના જમાનામાં રહેતા હતા, જ્યાં લોકોને પદ-પ્રતિષ્ઠા પેરેન્ટ્સ તરફથી વારસામાં મળતી હતી. અમુક લોકો મહેલમાં જન્મ્યા હોવાથી મહાન હતા, અમુક લોકો ઉત્તમ નેતા બનીને મહાન બનતા હતા અને અમુક લોકો નકામા હોવા છતાં મહાન ગણાઇ જતા હતા. 

આજે રાજા-રજવાડાં નથી પણ મીડિયા છે અને સાર્વજનિક જીવન છે, જે લોકોને મહાન બનાવી દે છે. એનું જીવતું ઉદાહરણ છે પાકિસ્તાનની માનવાધિકાર કાર્યકર મલાલા યુસૂફજઈ. માત્ર 15 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય મીડિયાની ‘ડાર્લિંગ’ બની ગયેલી મલાલાએ તેના એક નવા પુસ્તકમાં એકરાર કર્યો છે કે તેને જે રીતે એક હિરોઈન બનાવી દેવામાં આવી છે તેવી તે અસલમાં છે નહીં.

15 વર્ષની ઉંમરે તાલિબાનોના હુમલામાંથી પોતાનો જીવ બચાવીને અને આ કટ્ટરપંથીઓનાં કુકર્મો પર ડાયરી લખીને મલાલા દુનિયામાં ‘સાહસ’, ‘ત્યાગ’ અને ‘સ્ત્રી શક્તિ’નું પ્રતિક બની ગઈ હતી. તેને નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો, તેને સંયુક્ત રાષ્ટ્રમાં ભાષણ આપવા માટે બોલાવામાં આવી હતી, અને તે શિક્ષણના અધિકાર માટેનો વૈશ્વિક અવાજ બની ગઈ હતી. 

આ બધી ઘટનાઓનું વર્ણન કરતાં, મલાલા તેના નવા સંસ્મરણ ‘ફાઈન્ડિંગ માય વે’માં તેની આ પ્રસિદ્ધ ઈમેજને નકારે છે અને લખે છે, ‘હું ડરતી પણ હતી, હું ભૂલ પણ કરતી હતી, પણ લોકોએ મારી એવી ઈમેજ બનાવી દીધી જાણે હું કોઈ સંત કે દેવી હોઉં. એ લોકોનએ મને એક એવી સદાચારી, કર્તવ્યનિષ્ઠ હિરોઈન બનાવી દીધી હતી, જેને હું પોતે ઓળખતી નહોતી.’

15 વર્ષની ઉંમરે જ્યારે મલાલાને તાલિબાનોએ માથામાં ગોળી મારી હતી કારણ કે તેણે શાળાએ જવાની ગુસ્તાખી કરી હતી, ત્યારે આખી દુનિયાએ તેને ‘સાહસ’ની પ્રતિમા તરીકે જોઈ હતી. તેની એ વાર્તા તેના પ્રથમ પુસ્તક ‘આઇ એમ મલાલા’માં નોંધવામાં આવી છે જેણે શિક્ષણના અધિકાર માટે અવાજ ઉઠાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો.

પરંતુ હવે 28 વર્ષની ઉંમરે એક નવા પુસ્તક મારફતે તે આપણને યાદ અપાવે છે કે તે દુનિયાની કલ્પના પર કબજો જમાવીને બેઠેલી ‘હંમેશાં બહાદુર અને અડગ’ મલાલા નથી. તે કહે છે; ‘જ્યારે પણ લોકો મને મળે છે, ત્યારે તેઓ મને ‘બહાદુર’ અને ‘મજબૂત’ કહે છે. ત્યારે હું અટકીને વિચારું છું – શું હું ખરેખર આ શબ્દોમાં ખરી ઉતરું છું?’

તેના આ સવાલમાં ઊંડું આત્મ-નિરીક્ષણ છે. તે સ્વીકારે છે કે તે દરેક હરહંમેશ આત્મવિશ્વાસી અથવા નિડર નથી હોતી. બીજા દરેક માણસોની જેમ, તેની અંદર પણ ક્યારેક ડર, સંશય અને કમજોરીની ક્ષણો આવે છે. મલાલા ઇચ્છે છે કે લોકો તેની નવી આત્મકથા વાંચીને સમજશે કે ‘હીરો’ બનાવી દેવાયેલા લોકો પણ ક્યારેક અસુરક્ષિત અનુભવ કરે છે, તેમને પણ પોતાને લઈને શંકા થાય છે.

મલાલાના આ શબ્દોનો સાચો અર્થ એ છે કે સાહસનો અર્થ ડરનો અભાવ નહીં, પણ ડર હોવા છતાં આગળ વધતા રહેવાનો થાય છે. મલાલા આ પુસ્તકમાં કહે છે કે તેના જીવનની કહાની હવે 15ની એ છોકરીની નથી રહી જેણે ગોળી ખાધી હતી પણ તે સ્ત્રીની છે જે આજે પણ પોતાને સમજવાના, સ્વીકારવાના અને પોતાનો માર્ગ શોધવાની યાત્રા પર છે. તેનું આ બયાન આપણને એ સમજવામાં મદદ કરે છે કે પ્રેરણાદાયક વ્યક્તિત્વની પાછળ પણ એક એવો સામાન્ય, સંવેદનાપૂર્ણ માણસ છુપાયેલો હોય છે – જે ક્યારેક નબળો પડી શકે છે, પરંતુ તેમ છતાં સત્યના માર્ગ પર ચાલતો રહે છે.

પ્રસિદ્ધ થઇ જવાની આ સમસ્યા છે. સમાજ પછી તેને માણસ તરીકે જોવાનું બંધ કરી દે છે અને પોતાની કલ્પનાનું પ્રતિક બનાવી દે છે. શેક્સપિયરનાં શબ્દોમાં કહીએ તો – મલાલા એક સાધારણ છોકરી હતી, પણ તેના પર મહાનતા લાદવામાં આવી હતી. 

માલાલા હવે 28 વર્ષાની છે. તે લખે છે કે ઑક્સફોર્ડ યુનિવર્સિટીમાં તેણે પ્રથમ વખત એક એવી ‘સામાન્ય છોકરી’ની જેમ જીવવાની ઇચ્છા કરી હતી, જે મિત્રો બનાવતી હોય, ટેલીવિઝન જોતી હોય, ભૂલો કરતી હોય અને ક્યારેક ક્યારેક ઉદાસ પણ થતી હોય. લોકો તેને ‘મલાલા ધ સિંબલ’ તરીકે ઓળખતા હતા, પરંતુ તે ઇચ્છતી હતી કે તેઓ તેને ‘માલાલા ધ સ્ટૂડન્ટ’ કહે. મલાલાને ઘણી વાર પેનિક એટેક અને પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસનો સામનો કરવો પડ્યો હતો. તેણે થેરાપિ લીધી હતી, લગ્નને લઈને આસમંજસ અનુભવી હતી. આ બધું તેણે પહેલીવાર લખ્યું છે, જેથી લોકોના મનમાંથી ‘મહાન મલાલા’ની ઈમેજ દૂર થાય.

એમાં તો શેક્સપિયરના વિધાનનો બીજો હિસ્સો પણ મલાલા પર લાગુ થાય છે – તેણે મહાનતા હાંસલ કરી છે. મલાલાએ નિડરતાપૂર્વક પોતાનો અવાજ ઉઠાવ્યો છે અને છોકરીઓનાં શિક્ષણની લડાઈ જીતી છે તે વાત પણ એટલી જ સાચી છે, પણ આ નવું પુસ્તક કહે છે કે આ ‘મહાનતા’ માત્ર પ્રેરણા નથી, એક ભાર પણ છે. 

મીડિયા અને સમાજે ‘દેવી-સમાન’ મલાલાની જે ઈમેજ બનાવેલી છે તેમાં એક કિશોરીની માનવીય થકાવટ, ગુસ્સો, અને મૂંઝવણ માટે કોઈ જગ્યા નહોતી. તે લખે છે, ‘હું આ ઈમેજમાં મને ઓળખી શકી નથી. તે મલાલા મારી નથી.’ આ સ્વીકાર માત્ર સાહસિક નથી, પરંતુ મુક્તિનો સૂચક છે. મલાલા કહે છે કે આપણે દુનિયાએ આપેલા લેબલ કરતાં પણ વધુ કૈંક છીએ. 

‘મહાન’ બનવાની પ્રક્રિયામાં ઘણી વાર વ્યક્તિ પોતાની નિજતા ગુમાવી દે છે. મલાલા કોઈ યુદ્ધનો ચહેરો બનવા માંગતી નહોતી, તેને તો કેવળ શાળાએ જવું હતું. પણ જ્યારે તેના પર ગોળી ચાલી, તો તેની વાર્તા તેના હાથમાંથી નીકળી ગઈ અને દુનિયાએ નક્કી કર્યું કે એ કોણ છે અને તેણે શું કરવું જોઈએ. 

આને જ મહાનતા લાદી કહેવાય. શેક્સપિયરનું કથન આજે પણ એટલું જ પ્રાસંગિક છે. મહાનતાનો  અર્થ માત્ર ઊંચાઈ નહીં, ગહેરાઈ પણ થાય છે. મહાન બનવું એટલે માત્ર દુનિયાને બદલવાની તાકાત નથી – તે પોતાને ઓળખવાની, સ્વીકારવાની અને સામાન્ય માણસ બની રહેવાની ક્ષમતા પણ છે. કદાચ સાચી મહાનતા એ જ છે – જ્યારે વ્યક્તિ ‘મહાન’ બનવાને બદલે ‘સ્વયં’ બની રહે છે.

(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર” / “ગુજરાત મેઈલ”; 08 નવેમ્બર 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

તૂ મેરે સામને હૈ, તેરી ઝુલ્ફેં હૈં ખુલી …

સોનલ પરીખ|Opinion - Opinion|9 November 2025

તૂ મેરે સામને હૈ, તેરી ઝુલ્ફેં હૈં ખુલી
તેરા આંચલ હૈ ઢલા, મૈં ભલા હોશ મેં કૈસે રહૂં

તેરી આંખેં તો છલકતે હુએ પૈમાને હૈં
ઔર તેરે હોઠ લરજતે હુએ મયખાને હૈં
મેરે અરમાન ઈસી બાત પે દિવાને હૈં
મૈં ભલા હોશ મેં કૈસે રહૂં, કૈસે રહૂં

તૂ જો હસતી હૈ તો બિજલી સી ચમક જાતી હૈ
તેરી સાંસોં સે ગુલાબોં કી મહક આતી હૈ
તૂ જો ચલતી હૈ તો કુદરત ભી બહક જાતી હૈ
મૈં ભલા હોશ મેં કૈસે રહૂં, કૈસે રહૂં

એક યુવક અને એક યુવતી, પ્રેમ કરી, વિરોધો સહીને પરણે છે, પણ પતિ કોઈ અકસ્માતનો ભોગ બને છે અને શરીરસંબંધ બાંધવા યોગ્ય રહેતો નથી. પ્રેમ સાચો છે એટલે પતિ પત્નીને મુક્ત કરવા માગે છે અને પત્ની પતિને છોડવા તૈયાર નથી. આવી વાર્તા પર ફિલ્મ તો બને, પણ તેમાં લગ્નમાં શરીરસુખનું મહત્ત્વ ઉવેખી શકાય નહીં એ મુદ્દો કલાત્મકતાથી વણાય ત્યારે વાત નોંધ લેવા જેવી થાય.

આ વાર્તા અડધી સદી પહેલા બનેલી ‘સુહાગન’ ફિલ્મની છે. એ સમયે આવો વિષય લઈ ફિલ્મ બનાવવી એ સાહસ જ કહેવાય. ફિલ્મની માવજત પણ સારી હતી. જો કે નાયક નાયિકાને એના પિતાએ પસંદ કરેલ યુવક સાથે પરણવા મજબૂર કરે અને નાયિકા સૌભાગ્યવતીના શૃંગારમાં નાયકનાં ચરણોમાં જ મૃત્યુ પામે એવી અંતની નાટકીયતા, આ ફિલ્મમાં એક પડકારરૂપ વિષયને ગરિમા અને શાલીનતાથી રજૂ કર્યા પછી હાસ્યાસ્પદ લાગે.
ગુરુ દત્ત, માલા સિંહા અને ફિરોઝ ખાનની આ ફિલ્મનું સંગીત મદન મોહનનું હતું. તેનાં ત્રણ ખૂબ સુંદર, રોમેન્ટિક ગીતો ‘તૂ મેરે સામને હૈ, તેરી ઝુલ્ફેં હૈં ખુલી, તેરા આંચલ હૈ ઢલા, મૈં ભલા હોશ મેં કૈસે રહૂં’, ‘ભીગી ચાંદની, છાઈ બેખુદી, આ જા ડાલ દે બાંહોં મેં અપની બાંહેં’, ‘તુમ્હીં તો મેરી પૂજા હો, તુમ્હેં દિલ મેં બસાયા હૈ’ આજે પણ તરોતાજાં છે.

આ ગીતો લખનાર હસરત જયપુરીની પુણ્યતિથિ 17 સપ્ટેમ્બરે છે. એ નિમિત્તે ‘તૂ મેરે સામને હૈ’ ગીત લઈ શાયરને સલામ કરીએ. ગીતની સિચ્યુએશન એવી છે કે હકીકતથી બેખબર નાયક ઉત્કટપણે પત્નીને નિકટ લેવા ઝંખે છે અને પત્ની બધું જાણે છે, એટલે ને સામીપ્યની પતિની અને પોતાની પણ ઝંખનાનું ગળું દબાવી દૂર રહેવા મથે છે. ઓરડામાં એકરાર અને ઈનકારનો આ જીવલેણ ખેલ ચાલે છે ને બહાર નાયકની મા યુવાન દીકરા-વહુના જીવનની કરુણતા પર આંસુ વહાવી રહી છે. નખશિખ રોમેન્ટિક ગીત સાથે હસરતજીએ ફિલ્મમાં નખશિખ ઉદાસ ગીત પણ આપ્યું છે, ‘મુઝે અપને આપસે હૈ ગિલા, મેરે પ્યાર મેં તુઝે ક્યા મિલા’ બંને મહમ્મદ રફીએ ગાયાં છે. ગાયકનો કંઠ અને શાયરની કલમ રોમાન્સના બન્ને ચહેરાથી વાકેફ છે!

1949ની ‘બરસાત’ એ ‘માસ્ટર ઑફ રોમાન્સ’ ગણાતા હસરત જયપુરીની પહેલી ફિલ્મ અને ‘જિયા બેકરાર હૈ’ પહેલું ગીત. ‘બરસાત’નાં ‘મૈં ઝિંદગી મેં હરદમ રોતા હી રહા હૂં’ અને ‘છોડ ગયે બાલમ’ પણ હસરતનાં. આ ફિલ્મથી બનેલી શૈલેન્દ્ર-હસરત, શંકર-જયકિશન અને રાજ ક્પૂરની ટીમે એક આખી પેઢીને એવો જલસો કરાવ્યો કે એના પછીની પેઢીઓ પર પણ એનો નશો છવાયેલો રહ્યો. મઝા એ હતી કે આ સુપર્બ ટીમના દરેક સભ્યની વ્યક્તિગત હસ્તી પણ નોંધ લેવી જ પડે એવી હતી. હસરત જયપુરીએ આર.કે. બેનર માટે માત્ર 32 ગીત લખ્યાં છે, પણ એમણે રાજકપૂરની પોતાને પહેલો બ્રેક આપનાર તરીકે ખૂબ ઇજ્જત કરી છે.

હસરત જયપુરી

હસરત જયપુરીનું મૂળ નામ ઈકબાલ હુસેન. નાના ફિદા હુસેન ફિદા પાસે ઉર્દૂ-પર્શિયન ભાષાની તાલીમ લઈ વીસમા વર્ષે એમણે લખવાનું શરૂ કર્યું. એ જ ગાળામાં રાધા નામની એક કન્યા પ્રત્યે પ્રેમ જાગ્યો. મૌન પ્રેમ શાયરીમાં વ્યક્ત થયો – ‘યે મેરા પ્રેમપત્ર પઢકર કે તુમ નારાઝ ન હોના’ રાધાને પ્રેમપત્ર પહોંચ્યો કે નહીં તે આપણે જાણતા નથી પણ રાજ કપૂરે તેનો ઉપયોગ ‘સંગમ’ ફિલ્મમાં કર્યો અને દુનિયાને પહોંચાડ્યો. યોગાનુયોગ આ ગીત પણ મહમ્મદ રફીએ ગાયું છે અને ‘સંગમ’ ને ‘સુહાગન’ બન્ને એક જ વર્ષમાં-1964માં રિલિઝ થયેલી ફિલ્મો છે. ‘તૂ મેરે સામને હૈ’ ગીત એમને કેમ્પસ કોર્નરના એક ટ્રાફિક સિગ્નલ પર એક સુંદર પારસી સન્નારીને જોઈ સ્ફૂર્યું હતું. ‘તેરી પ્યારી પ્યારી સુરત કો કિસીકી નઝર ન લગે, ચશ્મે બદ્દૂર’ શબ્દો એમને લગ્નનાં સાત વર્ષ પછી પ્રાપ્ત થયેલા દીકરાને પહેલી વાર જોઇને સ્ફૂર્યા હતા.

1971 સુધી હસરત જયપુરીએ શૈલેન્દ્ર સાથે રાજ કપૂરની ફિલ્મો માટે ગીતો લખ્યાં. જયકિશનના મૃત્યુ અને ‘મેરા નામ જોકર’ અને ‘કલ, આજ ઔર કલ’ની નિષ્ફળતા પછી રાજ કપૂર અન્ય શાયરો-સંગીતકારો તરફ વળ્યા. 1982ની ફિલ્મ ‘પ્રેમ રોગ’ માટે રાજ કપૂરે હસરતજીને બોલાવ્યા ખરા, પણ પછી ગીતો અમીર કઝલબક્ષ પાસે લખાવ્યાં. તો પણ હસરતજીએ ‘રામ તેરી ગંગા મૈલી’ માટે ‘સુન સાહિબા સુન’ લખ્યું. આ ગીત માટે એમને 45 અંતરા લખ્યા હતા – હું એ જ છું, બદલાયો નથી એની જાણે સાબિતી ન આપતા હોય! ‘હીના’ માટે પણ ત્રણ ગીત લખ્યાં. દરમિયાન રાજ કપૂરનું મૃત્યુ થયું. ‘હીના’નાં ગીતો રવીન્દ્ર જૈને પોતાના નામે કર્યાં એવો આક્ષેપ મૂકતા હસરતજી પછીનાં વર્ષોમાં રાજ કપૂરની વાત થોડી કડવાશ, થોડા ગુસ્સા અને થોડી નિર્લેપતા સાથે કરતા.

શૈલેન્દ્રની ફિલ્મ ‘તીસરી કસમ’ના ગીતકાર હસરતજી હતા. ઉર્દૂ સાહિત્યમાં પણ એમનું મોટું પ્રદાન છે. એમના સંગ્રહનું નામ છે ‘આબશાર-એ-ગઝલ’. આબશાર એટલે નિરંતર વહેતું જળ. 350 ફિલ્મોનાં લગભગ 2,000 ગીતો લખનાર હસરતજીએ પત્નીની સલાહથી પોતાની મૂડી મકાનોમાં રોકી હતી. નિયમિત આવક થતી, રોજીરોટીની ચિંતા વગર તેઓ નચિંતપણે અને સ્વતંત્રપણે લખી શકતા. 70થી વધારે સંગીતકારો સાથે એમણે કામ કર્યું. લાંબી કારકિર્દીના અંત ભાગમાં જતીન-લલિત અને ભપ્પી લહેરી સાથે પણ કામ કર્યું. મૃત્યુ સમયે તેઓ ગઝલના એક પુસ્તક પર કામ કરી રહ્યા હતા. ‘ઝનક ઝનક તોરી બાજે પૈજનિયાં’ ગીતમાં હિંદી અને વ્રજ ભાષાના સંયોજન માટે તેમને અવૉર્ડ મળ્યો હતો. મદન મોહન સાથે એમની 3 ફિલ્મો હતી – ‘સુહાગન’, ‘રિશ્તેનાતે’ અને ‘નયા કાનૂન’

વિ. શાંતારામ પ્રત્યે એમને એટલો આદર કે એમની ‘સહેરા’, ‘તુફાન ઔર દિયા’, ‘ગીત ગાયા પથ્થરોને’ અને ‘ઝનક ઝનક પાયલ બાજે’ માટે માત્ર 1 રૂપિયો લઇ ગીતો લખ્યાં. એમના પરિવાર પાસે આજે પણ આ રૂપિયા સચવાયા છે. સામાન્ય માણસને સમજવા લોકલ ટ્રેનમાં જવાનું પસંદ કરતા.

પોતાનું મૂલ્ય બરાબર જાણતા હસરતજીએ લખ્યું છે, ‘તુમ મુઝે યું ભૂલા ન પાઓગે, જબ કભી ભી સુનોગે ગીત મેરે, સંગ સંગ તુમ ભી ગુનગુનાઓગે …’ સાચું જ છે, ‘પંખ હોતી તો ઊડ આતી રે’, ‘બહારો ફૂલ બરસાઓ’, ‘દિલ કે ઝરોખે મેં’, ‘તેરે ખયાલોં મેં હમ’, ‘તૂ કહાં યે બતા’, ‘મુહબ્બત ઐસી ધડકન હૈ’, ‘ઓ આસમાનવાલે’ ‘નૈન સો નૈન’, ‘તેરી ઝુલ્ફોં સે જુદાઈ’ (ફિલ્મોમાં આવતા પહેલા લેમ્પ પોસ્ટ નીચે લખાયેલી ગઝલ), ‘અજહુ ન આયે બાલમા’, ‘દુનિયા બનાનેવાલે’(પહેલી બે લાઇન મજરૂહજીની અને અંતરા  હસરતજીના) જેવાં ગીતો કોઈ ભૂલી શકે ખરું?

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : લેખિકાની સાપ્તાહિક કોલમ, ‘મલ્ટિપ્લેક્સ’ પૂર્તિ “જન્મભૂમિ”, 12 સપ્ટેમ્બર 2025

Loading

કમાલની સમાનતા છે 19મી સદીમાં અને 21મી સદીમાં

રમેશ ઓઝા|Opinion - Opinion|9 November 2025

રમેશ ઓઝા

૧૯મી સદીની મધ્યમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં રેલવે શરૂ કરવાનો નિર્ણય લીધો ત્યારે કંપનીના કેટલાક રોકાણકારોએ વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે જે પ્રજા સાથે જમતી નથી એ પ્રજા સાથે પ્રવાસ થોડી કરવાની છે. ભારતમાં સાર્વજનિક પ્રવાસન અશક્ય છે અને જુદીજુદી પ્રજા માટે કેટલા ડબ્બા અલગ કરશો? સામે કેટલાક રોકાણકારોએ એવી દલીલ કરી હતી કે સ્વાર્થ અને સુવિધા એવી ચીજ છે જેને કોઈ નકારતું નથી. થોડો સમય પ્રતિકારનું નાટક કરશે અને પછી અપનાવી લેશે. તમે ભારતમાં કોઈ સવર્ણ દુકાનદાર કે વેપારી જોયો છે જે હરિજન ગ્રાહકને પાછો મોકલતો હોય કે મુસ્લિમ સાથે ધંધો ન કરતો હોય? લાભ અને સુવિધા માટે લોકો રસ્તો શોધી લેતા હોય છે.

દલીલમાં દમ હતો અને સત્ય સામે હતું એટલે કંપનીએ રેલવે શરૂ કરી. ૧૮૫૩માં મુંબઈથી થાણે વચ્ચે. તેને આગળ ખંડાલા સુધી વિસ્તારવામાં આવી. પેલી બાજુ પૂનાથી લોનાવાલા વચ્ચે ટ્રેન શરૂ કરી. વચ્ચે ભોર ઘાટ બળદગાડીમાં ચડવો પડતો, કારણ કે બોગદાં હજુ બનવાનાં બાકી હતાં. તો પણ પૂનાથી સવારે નીકળેલો પ્રવાસી સાંજે મુંબઈ પહોંચી જતો હતો. પૂનાના સંસ્કૃતિરક્ષક બ્રાહ્મણોએ રેલવેનો બહિષ્કાર કર્યો. અનેક જન્મો પૂણ્ય કર્યા પછી પવિત્ર બ્રાહ્મણનું ખોળિયું પામનાર પતિતો અને મ્લેચ્છો સાથે એક પંક્તિએ પ્રવાસ કેવી રીતે કરી શકે! પાતક! પાતક! હવે બન્યું એવું કે જે લોકો સંસ્કૃતિની રક્ષાના ઠેકેદાર નહોતા એ લોકો સવારે નીકળીને સાંજે મુંબઈ પહોચી જતા હતા અને ભટજીઓને મુંબઈ પહોંચતા બેથી ત્રણ દિવસ લાગતા હતા. ઉપરથી શારીરિક કષ્ટ અને હેરાનગતી વધારામાં. થોડા દિવસમાં તેઓ પણ પાણીની છાંટ નાખીને ટ્રેનમાં બેસવા માંડ્યા. સંસ્કૃતિની રક્ષામાં સમાધાન કર્યાં.

આ પ્રસંગ ટાંકવા પાછળનું કારણ એ છે કે ૧૯મી સદી અને ૨૧મી સદીમાં એક સમાનતા છે. અત્યારની જેમ જ ૧૯મી સદીએ સાંસ્કૃતિક આઘાત પહોંચાડ્યા હતા. ધંધા માટે આવેલા યુરોપિયન હવે શાસક થઈ ગયા અને તેમણે તેમની શાશનવ્યવસ્થા, તેમની મૂલ્યવ્યવસ્થા, તેમની ન્યાયવ્યવસ્થા, તેમની શિક્ષણપદ્ધતિ, તેમની ચિકત્સાપદ્ધતિ, તેમની ભાષા, તેમનો વ્યક્તિ અને સમાજ પ્રત્યેનો દૃષ્ટિકોણ અને આધુનિક ટેકનોલોજી તેમ જ એકંદરે આધુનિકતા દાખલ કર્યા. ભારતમાં હિંદુ અને મુસલમાનો માટે અને તેમાં પણ સંસ્કૃતિના ઠેકેદારો માટે આ આઘાત પચાવવો મુશ્કેલ બન્યો. અત્યાર સુધી આર્યાવત પર આક્રમણ થતાં હતાં, પણ હવે તો આર્ય સંસ્કૃતિ પર આક્રમણ થયું. આક્રમણ કરનારાઓ ઇતિહાસમાં ક્યારે ય નહોતા જોયા એવા શક્તિશાળી હતા અને સમય તેમની સાથે હતો. આ બાજુ એવા કેટલાક હિંદુઓ અને મુસલમાનો પણ હતા જેમણે સમય વર્તીને વહેવારુ માર્ગ અપનાવ્યો. થોડું પકડી રાખ્યું અને થોડું જતું કર્યું. તેઓ સમયને ઓળખતા હતા અને સમયની સાથે ચાલવા માગતા હતા. એ સમયે દરેક સમાજમાં અને ઘરેઘરે સાંસ્કૃતિક આક્રમણ કરનારા લોકો સાથે અને સાંસ્કૃતિક આક્રમણ સાથે કેમ કામ પાડવું એ વિષે મતભેદ પેદા થયા હતા. લગભગ અત્યારના જેવી જ સ્થિતિ હતી. દરેક સમજમાં બે ભાગ થયા હતા. અત્યારે મીડિયાને કારણે વિભાજન વધારે પહોળું થયું છે.

આપસમાં લડતા બાખડતા, શિખા બાંધીને પ્રતિકાર કરતા કરતા ઓગણીસમી સદી પૂરી થઈ અને વીસમી સદીમાં જોવા મળે છે કે સંસ્કૃતિરક્ષકોનાં સંતાનો છાંટ નાખીને શાળાએ જવા માંડ્યા, દવાખાને જવા માંડ્યા, પરંતુ તેમાં તેઓ પ્રગતિશીલ હિંદુઓ અને મુસલમાનો કરતાં ત્રણથી ચાર પેઢી પાછળ હતા. રમણભાઈ નીલકંઠનું પ્રહસન ‘ભદ્રંભદ્ર’ ૧૯૦૦ની સાલમાં પ્રકાશિત થયું છે એનો અર્થ એ કે ત્યાં સુધી સંસ્કૃતિરક્ષકોનું ઝનૂન હજુ કાયમ હતું. પણ છેવટે પૂનાના બ્રાહ્મણો મનેકમને રેલવેમાં બેસી ગયા એ ઓગણીસમી સદીના પહેલાં સાંસ્કૃતિક આઘાતનું અંતિમ સત્ય હતું, અલબત્ત તેમાં તેઓ ત્રણથી ચાર પેઢીથી પાછળ રહી ગયા હતા. તેમણે તેમનાં સંતાનોનું નુકસાન કર્યું.

૨૧મી સદીમાં ફરી એકવાર આપણે સાંસ્કૃતિક આઘાતનો સામનો કરી રહ્યા છે અને એ પણ વૈશ્વિક સ્તરે અને વધારે પ્રચંડ માત્રામાં. ૧૯મી સદીની જેમ જ ૨૧મી સદીમાં સંસ્કૃતિરક્ષકો ફરી વાર મેદાનમાં ઉતર્યા છે અને એ પણ વૈશ્વિક સ્તરે. ટેકનોલોજીના કારણે વિશ્વ નાનું થઈ ગયું છે અને વૈશ્વિક વેપારવણજના કારણે જગત પરસ્પરાવલંબી અને પચરંગી બની ગયું છે. અજાણ્યા સાથે સતત સ્પર્ધા, સતત એડી પર જીવવાનું, કારમી અનિશ્ચિતતાએ માનસને કલુષિત કર્યું છે. સમય સાથે નહીં ચાલનારાઓએ જે ભય ૧૯મી સદીમાં અનુભવ્યો હતો એ ભય લોકો અત્યારે અનુભવી રહ્યા છે. એવા લોકો પોતાની અસ્મિતા, પોતાની સંસ્કૃતિ, પોતાની પરંપરા, પોતાનો ઇતિહાસ વગેરેમાં આશ્રય શોધે છે. ૧૯મી સદીના સંસ્કૃતિરક્ષકોએ પણ એ જ માર્ગ અપનાવ્યો હતો. જૂનાનો જાપ કરો અને આપણે શ્રેષ્ઠનો પોકાર કરો.

કમાલની સમાનતા છે ૧૯મી સદીમાં અને ૨૧મી સદીમાં. પણ ૧૯મી સદીમાં જોવા મળ્યું એમ આ વખતે પણ સંસ્કૃતિરક્ષકોનો પરાજય અવશ્યંભાવી છે, કારણ કે તેઓ સમયને નકારે છે. સમયને સમજવો અને સમયને નકારવો એ બે જુદી વસ્તુ છે. ગાંધીજી સમયને સમજ્યા હતા. તેમણે આધુનિકતાનું એક પાસું સ્વીકાર્યું હતું અને એક પડકાર્યું હતું. નકાર્યું નહોતું, પડકાર્યું હતું. નકારવામાં અને પડકારવામાં જમીન આસમાનનો ફરક છે. પડકારી એ શકે જે સમયને સમજે. પડકારી એ શકે જેની પાસે વૈકલ્પિક દર્શન હોય. પડકારી એ શકે જેનામાં આત્મવિશ્વાસ હોય. પોતાના પર ભરોસો હોય. પરંપરા અને ઇતિહાસની કાખઘોડી વાપરનારાઓ આ ન કરી શકે. તેઓ સમયને નકારશે અને નકારી રહ્યા છે. ૧૯મી સદીના સંસ્કૃતિરક્ષકોમાં જેમ આ ગુણ નહોતો તેમ ૨૧મી સદીના સંસ્કૃતિરક્ષકોમાં પણ આ ગુણ નથી. તેઓ સમયની વાસ્તવિકતાથી ભાગનારા ભાગેડુ છે. અને માટે આ વખતે પણ સંસ્કૃતિરક્ષકોનો પરાજય અવશ્યંભાવી છે. જેમ ૧૯મી સદીમાં તેઓ સમયનો લાભ ઉઠાવવામાં ત્રણ-ચાર પેઢીથી પાછળ રહી ગયા તેમ આ વખતે પણ તેઓ પાછળ રહી જવાના છે. જેમ ૧૯મી સદીમાં છાંટ નાખીને ડબ્બામાં બેસી જવું પડ્યું તેમ આ વખતે પણ બનવાનું છે. બે-ત્રણ પેઢી પછી પ્રત્યેક સંસ્કૃતિરક્ષક હિંદુનો જમાઈ કે પુત્રવધૂ ગૈરહિંદુ હશે અને મ્લેચ્છોની ભૂમિમાં ગુજરાન કરતો હશે. આ સમયનો ડંકો છે અને સાદ નહીં આપનાર પરાજિત થવાનો છે.

પૂરી તાકાત (અને તાકાત પણ કેવી પ્રચંડ) લગાવ્યા પછી પણ બહુમતી હિંદુઓ હાથમાં નથી આવતા, કારણ કે તેઓ સમયની વિરુદ્ધ નથી જવા માગતા. કારણ કે તેઓ મિથ્યાભિમાનમાં રાચીને તક ગુમાવવા નથી માગતા. કારણ કે તેઓ આત્મવિશ્વાસ વિનાના ભાગેડુ નથી. કારણ કે તેઓ જૂઠા આશ્વાસનમાં જીવવા નથી માગતા. આ જ કારણે પૂરી તાકાત લગાવ્યા પછી પણ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીનું છાત્ર સંગઠન હિન્દુત્વવાદીઓના હાથમાં નથી આવતું અને તેમાં સેક્યુલર છાત્રોની બોલબાલા છે. પૂરી તાકાત લગાવ્યા પછી પણ બહુમતી અમેરિકનો (અને એ પણ શ્વેત ખ્રિસ્તી) હાથમાં નથી આવતા અને ઝોહરાન મમદાનીને ન્યુ યોર્કના મેયર તરીકે ચૂંટણી કાઢે છે. લંડનનો મેયર સાદિક અમન ખાન મૂળ પાકિસ્તાની છે, કારણ કે બહુમતી બ્રિટિશ નાગરિકોને ડર નથી લાગતો. તેઓ સંસ્કૃતિરક્ષકોના કહ્યામાં નથી. આવું જગત આખામાં બની રહ્યું છે.

મને સો ટકા ખાતરી છે કે તમે રાજા રામમોહન રોય, ઈશ્વરચન્દ્ર વિદ્યાસાગર, કેશબચન્દ્ર સેન, પંડિતા રમાબાઈ, મહાત્મા ફૂલે, સાવિત્રીબાઈ ફૂલેનાં નામ સાંભળ્યાં હશે, પણ તેમનો એ સમયે વિરોધ કરનારા કોઈ સંસ્કૃતિરક્ષકનું નામ તમે સાંભળ્યું છે? એક નામ બતાવો જે ઇતિહાસમાં અમર થયું હોય. પૂછી જુઓ તમારા માર્ગદર્શકોને જો એક નામ બતાવી શકે તો! આવા લોકો પરાજિત થવા માટે અને ભૂંસાઈ જવા માટે જ જન્મ લેતા હોય છે.

માટે સમયને ઓળખો, ભાગો નહીં. ભાગીને જવા માટે કોઈ જગ્યા જ નથી. ૧૯મી સદીનું આ લેસન હતું અને ૨૧મી સદીનું લેસન પણ આ જ હશે. કારણ વિના બે-ચાર પેઢીથી પાછળ રહી જશો. ઝોહરાન મમદાનીઓ આજના યુગનું સત્ય છે અને માનવસમાજનું ભવિષ્ય છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 09 નવેમ્બર 2025

Loading

...2345...102030...

Search by

Opinion

  • કોલર ટ્યુન
  • SIRની કામગીરી અને ‘SIR’નો વિરોધ …
  • દેવભૂમિમાં સંસ્કૃત ભાષા પડી કચરાટોપલીમાં!
  • ઉંમર
  • તૂ મેરે સામને હૈ, તેરી ઝુલ્ફેં હૈં ખુલી …

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 
  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —

Poetry

  • ભૂખ
  • ગઝલ
  • નદી
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved