Opinion Magazine
Number of visits: 10080099
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|9 August 2026

સિનિયર પેઢીની પસંદગીઓ ભય, અભાવ, વ્યક્તિગત પ્રગતિ દ્વારા સમાજને સુધારી શકાય છે તેવી નક્કર માન્યતાથી ઘડાઈ હતી. સંતાનોનો રોષ એ લાગણીમાંથી જન્મ્યો છે કે સમય સાથે સંસ્થાઓ ઓછી ન્યાયી બની રહી છે અને તેની સામે વ્યક્તિગત પ્રગતિ અનિશ્ચિત કાળ સુધી ન ટકી શકે તેમ નથી. બંને વલણો સમજી શકાય તેવાં છે અને તેમાંથી કોઈ સંપૂર્ણ નથી.

ચિરંતના ભટ્ટ

જાણીતા કટાર લેખક પ્રતાપ ભાનુ મહેતાએ GenZના વિરોધ પ્રદર્શન અને આંદોલનનું વિશ્લેષણ કરતો એક લેખ લખ્યો, જેમાં તેમણે સંસ્થાકીય કટોકટીનો ભાર બે અલગ પેઢી વચ્ચેના સંઘર્ષ પર મૂક્યો. તેમની દલીલ છે કે વિરોધ કરનારાઓ માત્ર નરેન્દ્ર મોદીની સરકારથી નારાજ નથી; તેઓ એ મૂલ્યોને નકારી રહ્યા છે જેને અનુસરીને તેમનાં માતા-પિતા જીવ્યાં;  સત્તા સાથે સમાધાન કરો, માથું નીચું રાખો, કારકિર્દી બનાવો. જે કામ એક સમયે રાજકીય આંદોલનોને કારણે થતા હતા તે કામો વ્યાવસાયિક સફળતાને કરવા દો.

દલીલ તાર્કિક છે, અને છતાં એમાં એક જોખમ છુપાયેલું છે : એક મોટા રાજકીય-વૈચારિક સંઘર્ષને બે પેઢીના ટકરાવ પૂરતો મર્યાદિત કરી દેવાનું. કઠેડામાં બેમાંથી એકેય પેઢી નથી. સવાલ સાચા-ખોટાનો નથી — બે પેઢીઓએ સાવ જુદી પરિસ્થિતિમાં, પોતાની સામે ઉપલબ્ધ સૌથી સુરક્ષિત વિકલ્પો પસંદ કર્યા. બંને માટે એ જગ્યા સાંકડી જ હતી.

મને નથી લાગતું કે ખરો પ્રશ્ન સાચા-ખોટાનો હોય. અહીં કોઈ એક પૈઢી નૈતિક રીતે નિષ્કલંક નથી. અહીં એવી બે પેઢીઓ છે જેમણે સાવ જુદી પરિસ્થિતિમાં પોતાની સામે ઉપલબ્ધ હતાં તેવા સુરક્ષિત વિકલ્પો પસંદ કર્યા. કઠેડામાં બેમાંથી એકે ય પેઢી નથી, સવાલ એ છે કે બંને પેઢી પાસે પસંદગી કરવાના વિકલ્પો મર્યાદિત હતા, એ જગ્યા સાંકડી જ હતી. 

બાળકોએ ડરવું જોઇએ એમ શીખવનારા માતા-પિતાને એમ સાવચેતી કે ડર ભર્યું વિચારતા શીખવ્યું હોવાના આરોપ છે. મારી દલીલ સહેજ અલગ છે. ઘણાં લોકોએ સિત્તેર અને એંશીના દાયકામાં આંદોલનો જોયાં છે, બહુ નજીકથી જોયા છે. આંદોલનના રાજકારણની શું કિંમત ચુકવવી પડે છે તે પણ એક પેઢી બહુ સારી પેઠે સમજે છે – હિંસા, વિચારધારાના હિત માટે લોકો અને સંસ્થાઓનો સાધન કે માધ્યમ તરીકે ઉપયોગ અને શિક્ષણ સાથે લેવાદેવા ન હોય તેવા મુદ્દાઓનાં રણમેદાનમાં ફેરવાયેલી યુનિવર્સિટીઓ. આ સંજોગો હતા અને પછી લિબ્રલાઈઝેશન થયું, એટલે કે ઉદારીકરણ. ઉદારીકરણે એ દરવાજા ખોલ્યાં જે અગાઉના અનેક પરિવારો માટે અસ્તિત્વમાં જ નહોતાં. જેમ કે ખાનગી ક્ષેત્રે રોજગાર, વ્યાવસાયિક શિક્ષણ અને વિસ્તરતો જતો મધ્યમ વર્ગ. એ પુરોગામીઓ દરવાજામાંથી જલદી જ પસાર થઈ ગયાં.

માથું નીચું રાખો, ભણો, ડિગ્રી મેળવો, નોકરી શોધો અને વગર કારણની કોઈ જંજાળમાં ન ફસાઓ. આ ડહાપણનાં વાઘાં પહેરેલી કાયરતા નહોતી, એક સાચો દાવ હતો, જે વાસ્તવિકત માહિતી અને સંજોગોના આધારે લગાડાયો હતો; એક એવા દેશમાં જેણે મોટા ભાગના પરિવારો જ્યારે દાવ પર મૂકવા હતા ત્યારે તેની સામે, તેના બદલામાં બહુ ઓછું આપ્યું હતું. ઘણાં લોકો માટે આ પગલું, દાવ સફળ રહ્યો. આ કારણે સામાજિક, આર્થિક પ્રગતિ, ગૌરવ તો મળ્યાં જ પણ સાથે પોતાનાં મા-બાપે વેઠેલી અનિશ્ચિતતાથી દૂર રહી શકાયું. 

 આ પગલું કે આ દાવ શાંતિ આપનારો કે ઉચાટ વગરનો હતો એમ કહેવાય પણ એમાં પણ કન્ડિશન્ડ એપ્લાય પ્રકારની સ્થિતિ હતી. એક અઘોષિત શરત હતી જેને લોકોએ ઝીણવટથી વાંચી નહીં, બરાબર એ જ રીતે જે રીતે આપણે ઘણીબધી બાબતો વિગતવાર વાંચ્યા વિના સ્વીકારી લઈએ છીએ. એ શરત એ હતી કે પ્રમાણિકતા રાખો, વગર કારણની મુશ્કેલી ખડી ન કરો, મહેનતથી ભણો; તમે આટલું કરો અને તંત્ર પોતાની જવાબદારી નિભાવશે. કમનસીબે તંત્ર પોતાનાં વચનો પૂરી રીતે નિભાવી ન શક્યું. અત્યારની જ વાત કરીએ તો પરીક્ષાઓ રદ્દ થાય છે, તેની વિશ્વસનીયતાની કોઈ ગેરંટી નથી હોતી, ભરતીની પ્રક્રિયાઓ લાંબા સમય સુધી ચાલ્યા કરે છે. ડિગ્રી હવે પહેલા જેટલી સુરક્ષા નથી આપતી, મેરિટની ચર્ચાઓ ચાલ્યા કરે છે પણ અમલની વાતમાં સમાનતા નથી. એક તરફી સીડીનાં પગથિયાં ચૂપચાપ કાઢી નાખવામાં આવે અને બીજી તરફ એક પેઢીને એ જ સીડી પર વિશ્વાસ રાખવાનું કહેવામાં આવે; આવી પરિસ્થિતિ લાંબી તો ન જ ચાલે.

આ કારણોને ધ્યાનમાં રાખીને વિરોધ પ્રદર્શનોને માત્ર બળવો કરવા ખાતર કરાયેલા બળવા તરીકે ન જોવા જોઈએ. જો સમાધાન કરવાથી સલામતી કે તક ન મળતી હોય તો વિરોધ એવાં જૂજ માધ્યમોમાંનું એક બને છે જેને વ્યવસ્થા હજી પણ જોઈ અને સમજી શકે છે. 

જે રીતે આ માગણીઓ રજૂ કરવામાં આવી તે જૂના અને જાણીતા અર્થમાં ક્રાંતિકારી નથી. જંતર-મંતર પર કોઈ મૂડીવાદ નાબૂદ કરવાની હાકલ કરતું નથી. આ વિરોધ કરનારાઓ નિષ્પક્ષ પરીક્ષાઓ, યોગ્ય નિમણૂક, જવાબદાર અધિકારીઓ અને મંત્રીઓની જવાબદારીની માગ કરી રહ્યા છે. એક રીતે જોઇએ તો આ બંધારણીય લોકશાહીના અસ્વીકારની નહીં, પરંતુ તેને વાસ્તવિક બનાવવાની માગ છે.

પ્રતાપ ભાનુ મહેતા

આ મુદ્દે પ્રતાપ ભાનુ મહેતા જે કહે છે તે સાચું છે. જે પેઢીને મહેનત કરવા, ધીરજ રાખવા અને રાજકારણથી દૂર રહેવાનું કહેવામાં આવ્યું હતું, તે હવે સમજી રહી છે કે વ્યક્તિગત શિસ્ત જાહેર વ્યવસ્થાની નિષ્ફળતાની ભરપાઈ ન કરી શકે. નિષ્ફળ ગયેલી પરીક્ષા યુવાનને એવો સંદેશ આપે છે કે તેની વર્ષોની તૈયારીનું કદાચ કોઈ મૂલ્ય નથી. લંબાતી ભરતી પ્રક્રિયાઓ જાણે એમ કહે છે કે તેમનો સમય વેડફી શકાય છે; શરત માત્ર એટલી કે વેડફાતો સમય તેનો જ હોવો જોઈએ. એક તબક્કે ધીરજ પરિપક્વતા નથી લગાતી પણ શરણાગતિ જેવી લાગવા લાગે છે. 

દરેક નવજાત આંદોલન એક જોખમ સાથે જન્મે છે — એવા લોકોનું જોખમ જેઓ આંદોલન શરૂ કરનારાઓ કરતાં વધુ શાતિર, વધુ સંગઠિત અને ઓછા પ્રામાણિક હોય. સાચો રોષ ધીમે ધીમે એવા લોકો માટે કાચો માલ બની જાય છે જેમનો પોતાનો એજન્ડા વધુ સંકુચિત અને વધુ જૂનો હોય. શક્ય છે કે આ વિરોધમાં ભળેલા અમુક અવાજ શિક્ષણ સુધારની માગ માટે આવ્યા જ ન હોય. આ કોઈ કાલ્પનિક ભય નથી પણ વાસ્તવિક જોખમ છે, અને એને અવગણવું સહાનુભૂતિ નહીં, બેદરકારી ગણાશે. પણ આ જોખમ એ સાબિત નથી કરતું કે GenZ અપરિપક્વ છે કે કોઈના હાથની કઠપૂતળી. એ એટલું જ સાબિત કરે છે કે જાહેર શક્તિ વાપરવાનો તેમનો અનુભવ નવો છે; અને રાજકારણમાં પહેલી વાર ઊતરતી દરેક પેઢીએ, ઘણી વાર ભારે કિંમત ચૂકવીને, સાથીદાર અને માલિક વચ્ચેનો તફાવત શીખવો પડે છે. તેનો જવાબ યુવાન વિરોધીઓને બિનઅનુભવી ગણીને ફગાવી દેવાનો નથી. સમજવાની વાત એ છે કે કોઈ પણ પેઢીએ તેને વારસામાં મળેલી વ્યવસ્થા ઘડી નહોતી. એક પેઢીએ નાજુક અર્થતંત્રમાંથી પસાર થવા માટે સૌથી સુરક્ષિત માર્ગ પસંદ કર્યો. બીજી પેઢીને એવું અર્થતંત્ર વારસામાં મળ્યું છે, જેણે તકો આપવાનું વચન આપ્યું હતું, પરંતુ હવે તે વચન પૂરું કરવામાં સતત નિષ્ફળ જઈ રહ્યું છે. સાધનો જુદા, મર્યાદા એક જ, ગેમ બોર્ડ પસંદ કરવાની તક બંનેમાંથી કોઈ પેઢીને મળી નહોતી; તેઓ માત્ર પોતાની ચાલ પસંદ કરી શક્યા.

માતા–પિતા અને સંતાનોના દૃષ્ટિકોણ પર દોષારોપણ કરવું અપૂરતું છે. મા-બાપની પેઢીએ ટકી રહેવાનું પસંદ કર્યું, એ ખોટું નહોતું. ભૂલ એ માની લેવામાં થઈ કે ટકી રહેવાની આ શૈલીથી સંસ્થાકીય સુધારા થશે. વ્યક્તિગત વ્યૂહરચના એક પરિવારને આગળ વધારી શકે છે. પરંતુ તે પોતાની મેળે પરીક્ષાઓને નિષ્પક્ષ કે સંસ્થાઓને પ્રામાણિક રાખી શકતી નથી.

ભારતમાં જે થઇ રહ્યું છે તે કથા તો દુનિયા આખીમાં પ્રવર્તતા લોકશાહીને લગતા એક વ્યાપક મિજાજનો ભાગ છે. નૈરોબીથી બેલગ્રેડ અને મનિલા સુધી, યુવાનો જૂની ઔપચારિક વ્યવસ્થાઓને બદલે વધુ બુલંદ અને તાત્કાલિક માધ્યમો અપનાવી રહ્યા છે; તેઓ લોકશાહીને છોડી ચૂક્યા છે એટલા માટે નહીં, પરંતુ તેમની આંખો સામે તેમનું ભવિષ્ય ધોવાતું જાય ત્યારે પણ રાહ જોવાનું કહેતી સંસ્થાઓ પ્રત્યેની તેમની ધીરજ ખૂટી ગઈ છે. ભારત આ યાદીમાં કોઈ અપવાદ નથી, આધુનિક સંજોગોમાં જોડાયેલું નવું નામ છે. વિરોધનાં તાત્કાલિક કારણો જુદાં છે; ક્યાંક ભ્રષ્ટાચાર, તો ક્યાંક કરવેરો અથવા બેરોજગારી; પરંતુ બધાને જોડતો વહેમ એક જ છે : ચૂંટણી અને મહેનત હવે તમારો અવાજ સંભળાશે તેની કે તમારી સામાજિક, વ્યવસાયિક સુરક્ષાની ખાતરી આપતાં નથી.

આખી દુનિયામાં અલગ અલગ ખૂણે આ પ્રકારની સ્થિતિઓ હોવા છતાં ભારતમાં આ સ્થિતિ વધારે પીડાદાયક છે. તેનું કારણ એ છે કે એક જ ઘરમાં, એક જ છત નીચે રહેતાં લોકો વચ્ચે હિંમત કોને કહેવાય તે અંગે અસંમતિ છે, બંન્ને પેઢીની હિંમતની વ્યાખ્યા અલગ છે. વાલીઓ કહે છે કે તમારું ભવિષ્ય બગાડશો નહીં અને સંતાનોનો સવાલ છે કે, તમે કયા ભવિષ્યને સાચવવાનું કહી રહ્યાં છો? 

અહીં એ મુદ્દો નથી કે ચૂપ રહીને જાતની પ્રગતિ પર ધ્યાન આપનારા અને કોઇક હદે રાષ્ટ્રનું નિર્માણ કરનારા વાલીઓ સાચા હતા કે આજે વિરોધ કરનારા તેમના સંતાનો સાચા છે. સિનિયર પેઢીની પસંદગીઓ અજાણ્યા ભવિષ્યના ભય, અભાવો, વ્યક્તિગત પ્રગતિ દ્વારા સમાજને સુધારી શકાય છે તેવી નક્કર માન્યતાથી ઘડાઈ હતી. GenZ સંતાનોનો રોષ એ લાગણીમાંથી જન્મ્યો છે કે સમય સાથે સંસ્થાઓ ઓછી ન્યાયી બની રહી છે અને તેની સામે વ્યક્તિગત પ્રગતિ અનિશ્ચિત કાળ સુધી ન ટકી શકે તેમ નથી. બંને વલણો સમજી શકાય તેવાં છે અને તેમાંથી કોઈ સંપૂર્ણ નથી. બંને રસ્તા અપૂરતા સાબિત થયા છે ત્યારે ખરો પ્રશ્ન એ છે કે શું બંનેમાંથી કોઈ એક બીજી પેઢીની પસંદગી માટે જગ્યા કરી શકે તેમ છે?

બાય ધી વેઃ 

કોઈ યંગસ્ટર્સ હવે તમને જ્યારે એમ કહે કે પોતે વિરોધ પ્રદર્શનમાં જાય છે ત્યારે તમે એને તરત શું પ્રતિભાવ આપો છો તેની પર ધ્યાન આપજો. તમે એમ કહો છો કે, “આમાં ન પડીશ?,” કે એમ કહો છો કે, ‘તને ખરેખર શું જોઈએ છે?’ તમારો જવાબ તેની હિંમત કરતાં સલામતી વિશે તમે જે કથા માનતા અને કહેતા આવ્યા છો તેના કરતાં વધુ જણાવનારો સાબિત થશે. 

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 09 ઑગસ્ટ 2026

Loading

ચલ મન મુંબઈ નગરી—353

દીપક મહેતા|Opinion - Opinion|8 August 2026

ફક્ત નાનકડીને મોકલો ને નિશાળે, વિદ્યાથી થશે બુદ્ધિ વિશાળે 

૧૯મી સદીના મુંબઈમાં કન્યા કેળવણી   

ગયા શનિવારે પ્રગટ થયેલું લખાણ વાંચીને એક મિત્રે બહુ ધારદાર સવાલ પૂછ્યો : ટ્રેન, ટ્રામ, બસમાં સ્ત્રીઓને અલાયદી સગવડ મળી એ વાત તો સારી છે. પણ એ વખતની નિશાળો, કોલેજો વગેરેમાં શું? તેમાં છોકરીઓ માટે, સ્ત્રીઓ માટે કોઈ ખાસ વ્યવસ્થા હતી? એ વખતે સ્ત્રીઓના ભણતરનું પ્રમાણ કેટલું? એ વખતે એ મિત્રને કહ્યું કે જવાબ માટે તમારે એક અઠવાડિયાની રાહ જોવી પડશે.

આપણે ત્યાં એક એવી માન્યતા ઘર કરી ગઈ છે કે અંગ્રેજોએ આપણા દેશમાં આવીને ગુલામ જેવા કારકૂનો પેદા કરવા માટે બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ દાખલ કર્યું. એટલું જ નહીં, આપણે ત્યાં પરંપરાગત રીતે શિક્ષણ આપતી જે નિશાળો હતી તેનો મૃત્યુઘંટ તેમણે વગાડ્યો. પણ વાત આટલી સીધી સાદી નહોતી. બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ આપવાનું શરૂ કર્યું, લગભગ તે જ વખતે બોમ્બે પ્રેસિડેન્સીની સરકારે આખા ઈલાકામાંની પરંપરાગત રીતે શિક્ષણ આપતી નિશાળોની મોજણી કરાવી હતી. બોમ્બે પ્રેસિડેન્સીનાં બધાં શહેરો અને ગામડાંઓમાં કુલ ૧,૭૦૫ નિશાળો હતી જેમાં કુલ ૩૫,૧૫૩ છોકરા ભણતા હતા. એ વખતે બોમ્બે પ્રેસિડેન્સીની કુલ વસ્તી લગભગ ૪૭ લાખની હતી. એટલે કે દર ૧૩૩ વ્યક્તિમાંથી ફક્ત એક વ્યક્તિ ભણવા માટે નિશાળે જતી હતી. આ અહેવાલમાંની બીજી કેટલીક હકીકતો પણ નોંધપાત્ર છે : એક પણ નિશાળને પોતાનું અલાયદું મકાન નહોતું. નિશાળ કાં મહેતાજીને ઘરે કે પછી મંદિર અથવા ધરમશાળા જેવી કોઈ જાહેર જગ્યાએ બેસતી. એવી કોઈ સગવડ ન હોય તો ખુલ્લામાં ઝાડ નીચે પણ છોકરાઓ ભણતા. લગભગ બધા મહેતાજીઓ બ્રાહ્મણ હતા. અછૂત ગણાતી જાતિઓનો છોકરો ભણતો હોય એવો એક પણ દાખલો અહેવાલમાં ક્યાં ય નોંધાયો નથી. તેવી જ રીતે એક પણ નિશાળમાં છોકરી ભણતી હોય તેવું નોંધાયું નથી. એટલે કે બ્રિટીશ પદ્ધતિનું શિક્ષણ શરૂ થયું ત્યાં સુધી આપણે ત્યાં છોકરીઓને ભણાવવાનો ચાલ હતો જ નહિ. 

૧૮૧૫ના જાન્યુઆરીની ૨૯મી તારીખે મુંબઈમાં વસતા કેટલાક અંગ્રેજોએ એક બેઠકમાં ‘ધ બોમ્બે એજ્યુકેશન સોસાયટી’ની સ્થાપના કરી. અલબત્ત, તે વખતે તેનો ઉદ્દેશ ગરીબ ખ્રિસ્તી છોકરાઓને માટે શિક્ષણની સગવડ ઊભી કરવાનો હતો. ૧૭૧૮થી મુંબઈમાં ચાલતી એક ધર્માદા સ્કૂલ સોસાયટીએ પોતાને હસ્તક લઈ લીધી અને ૧૮૧૫માં મુંબઈના કોટ વિસ્તારમાં એક ‘સેન્ટ્રલ સ્કૂલ’ શરૂ કરી. પણ પહેલેથી જ એમ ઠરાવવામાં આવ્યું કે જે દેશી છોકરાઓ આ સ્કૂલમાં અભ્યાસ કરવા માગતા હોય તેમને પણ વાજબી ફી લઈને દાખલ કરવા. ૧૮૧૮ સુધીમાં સોસાયટીએ એક ગર્લ્સ સ્કૂલ પણ શરૂ કરી હતી, પણ તેમાં એક પણ ‘દેશી’ છોકરી ભણતી નહોતી. તે અંગે સોસાયટીના ત્રીજા વાર્ષિક અહેવાલમાં કહ્યું છે કે હિંદુઓમાં છોકરીઓને ભણાવવાનો ચાલ નથી તેથી આ સ્કૂલમાં એક પણ ‘દેશી’ છોકરી ભણવા આવતી નથી.

૧૮૩૫માં શરૂ થયેલી એલ્ફિન્સ્ટન કોલેજના પહેલા બે અધ્યાપકો માત્ર અભ્યાસક્રમ પ્રમાણે ભણાવવાથી જ પોતાની ફરજ પૂરી થઈ એમ માનતા નહોતા. એ વખતે મુંબઈમાં અને પશ્ચિમ ભારતમાં જે નવજાગૃતિનો જુવાળ આવ્યો તેને અનુરૂપ કામો સાથે તેઓ પોતાના વિદ્યાર્થીઓને સાંકળતા હતા. આ બે અધ્યાપકો તે એ.એમ. પેટન અને આર.ટી. રીડ. આ બન્નેએ પોતાના વિદ્યાર્થીઓને ‘સ્ટુડન્ટસ લિટરરી એન્ડ સાયન્ટીફિક સોસાયટી’ની સ્થાપના કરવાની પ્રેરણા આપી. ૧૮૪૮ના જૂન મહિનાની ૧૩મી તારીખે આ સંસ્થાની સ્થાપના થઈ. શરૂઆતમાં આ સોસાયટીની મુખ્ય કામગીરી હિન્દુસ્તાનની સામાજિક સ્થિતિ વિષે લેખો લખવા, જાહેર ભાષણો કરવાં, અને તેના પર ચર્ચાઓ કરવી, એટલી જ હતી. પણ થોડા વખતમાં જ બંને પ્રોફેસરોને સમજાયું કે કે માત્ર લેખો કે ભાષણો વડે સમાજમાં પરિવર્તન લાવવાનું શક્ય નથી. એટલે વિદ્યાર્થીઓને સામાજિક કાર્ય સાથે સક્રિય રીતે જોડવા જોઈએ. આ માટે તેમણે કન્યાકેળવણીનું ક્ષેત્ર પસંદ કર્યું. ૧૮૪૯ના ઓક્ટોબરની ૨૧મી તારીખથી બે સ્કૂલ મરાઠી છોકરીઓ માટેની, તથા ચાર સ્કૂલ ગુજરાતી (જેમાં પારસીઓનો પણ સમાવેશ થતો હતો) શરૂ કરી. આ નિશાળો મુંબઈના કોટ, ધોબી તળાવ, બહાર કોટ, અને મઝગાવના વિસ્તારોમાં શરૂ થઈ. આ નિશાળો માટે પગારદાર માસ્તરો રોકવાનું સોસાયટીનું ગજું નહોતું. એટલે રોજ સવારે ૭થી ૧૦ વાગ્યા સુધી એલ્ફિન્સ્ટન કોલેજના વિદ્યાર્થીઓ વગર પગારે આ સ્કૂલોમાં ભણાવવા જતા. 

માનશો? આ સ્ટુડન્ટસ લિટરરી એન્ડ સાયન્ટીફિક સોસાયટીએ ૧૮૮૪માં સ્થાપેલી છોકરીઓ માટેની મરાઠી માધ્યમની એક હાઈ સ્કૂલ હજી ગઈ કાલ સુધી જીવતી હતી. અગાઉ બીજે શરૂ થયેલી આ સ્કૂલ ઠાકુરદ્વાર પાસેના એક સો વરસ જૂના મકાનમાં આવેલી હતી. ૨૦૧૮-૧૯ સુધી આ સ્કૂલમાં ૧,૨૦૦ છોકરીઓ ભણતી હતી. ૨૦૨૨માં આ સ્કૂલમાં છોકરાઓને પણ દાખલ કરવામાં આવ્યા. મરાઠી માધ્યમની આ સ્કૂલે વિદ્યાર્થીઓની સંખ્યા વધે એવા આશયથી અંગ્રેજી માધ્યમના વર્ગો પણ શરૂ કરવાની પરવાનગી માગી. પણ સરકારી જવાબ હતો કે તમારી સ્કૂલથી એક કિલો મીટરના વ્યાસમાં બીજી અંગ્રેજી માધ્યમની સ્કૂલ છે એટલે તમને આવી પરવાનગી આપી શકાય તેમ નથી. આ વરસ(૨૦૨૬)ની શરૂઆતમાં માત્ર ૬૮ વિદ્યાર્થી ત્યાં ભણતા હતા. ૨૦૧૪-૨૦૧૫માં આ સ્કૂલમાં ૨૫ શિક્ષકો હતા. છેલ્લે પ્રિન્સિપાલ સહિત માત્ર છ રહ્યા હતા. આ શૈક્ષણિક વરસની શરૂઆતથી તેના બધા વિદ્યાર્થીઓને આસપાસની બીજી સ્કૂલોમાં મોકલીને સરકારે આ સ્કૂલ બંધ કરી દીધી.

વિલા ભાયખળા

૧૮૧૯માં માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન મુંબઈના ગવર્નર થયા અને હોદ્દાની રૂએ બોમ્બે એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ થયા. ‘દેશી’ વિદ્યાર્થીઓને શાળાનું શિક્ષણ તો તેમની માતૃભાષામાં જ આપવું જોઈએ એમ દૃઢટાથી માનતા હતા. એટલે એ વખતે હિંદુ ગુજરાતીઓ, પારસી ગુજરાતીઓ અને હિંદુ મરાઠીઓ, માટે અલગ અલગ સ્કૂલોની તેમણે શરૂઆત કરેલી. શરૂઆતમાં ગુજરાતી પાઠ્યપુસ્તકો પણ ‘બનીયન’ (વાણીયા) ગુજરાતી અને પારસી ગુજરાતીમાં અલગ અલગ છપાતાં.  

પણ એ વખતે ય કેટલાક લોકો અંગ્રેજી માધ્યમની  તરફેણમાં હતા. ‘દેશી’ વિદ્યાર્થીઓને પણ અંગ્રેજી માધ્યમમાં ભણવાની તક મળવી જોઈએ તેમ માનતા હતા. સરકારે થોડી ઢીલ મૂકી. ‘દેશી’ ભાષાની સ્કૂલમાં ભણતા વિદ્યાર્થી સાતમા ધોરણ પછી અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં દાખલ થઈ શકે. પણ તે માટે બે પરીક્ષા આપવી પડે. એક, તેની પોતાની ‘દેશી’ ભાષા, એટલે કે ગુજરાતી, મરાઠી, વગેરેની. અને બીજી, અંગ્રેજીની. અને આ પરીક્ષા વિદ્યાર્થી જે સ્કૂલમાં ભણતો હોય તે સ્કૂલમાં નહીં આપવાની. અંગ્રેજી માધ્યમની જે સ્કૂલમાં દાખલ થવું હોય તે સ્કૂલ એ પરીક્ષા લે. અને બંને ભાષામાં ૫૦ ટકા કે તેથી વધુ માર્ક મળે તો જ તે વિદ્યાર્થીને અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં પ્રવેશ મળે. અર્વાચીનોમાં આદ્ય એવો કવિ નર્મદ તેની આત્મકથા ‘મારી હકીકતમાં’માં જણાવે છે કે તેણે મુંબઈમાં અભ્યાસની શરૂઆત પાયધુની પર આવેલી બાલગોવિંદ મહેતાજીની નિશાળમાં કરી હતી. આઠમા ધોરણમાં દાખલ કરતાં પહેલાં તેની અંગ્રેજી અને ગુજરાતીની પરીક્ષા એલ્ફિન્સ્ટન સ્કૂલના પ્રિન્સિપાલ જોન હાર્કનેસે પોતે લીધી હતી. અને તેમાં પાસ થયા પછી નર્મદ અંગ્રેજી માધ્યમની એ સ્કૂલમાં દાખલ થયો હતો.

૧૯મી સદીની પારસી કન્યાશાળા

આ જોન હાર્કનેસ તે એલ્ફિન્સ્ટન કોલેજના પહેલા પ્રિન્સિપાલ. તેઓ ક્લાસિકલ અંગ્રેજી સાહિત્યના અધ્યાપક હતા. નેપિયન સી રોડથી રીજ રોડ સુધી જતા રસ્તાની સાથે તેમનું નામ જોડવામાં આવ્યું હતું. કારણ એ રોડ પરના એક બંગલામાં તેઓ વર્ષો સુધી રહ્યા હતા. આઝાદી પછી આ રોડને બે ભાગમાં વહેચીને એક ભાગને જમનાદાસ મહેતા રોડ, અને બીજા ભાગને નારાયણ દાભોલકર રોડ નામ આપવામાં આવ્યાં. પણ હજી આજે ય લોકજીભે તો હાર્ક્નેસ રોડ નામ જ પહેલું આવે.

૧૯મી સદીની મરાઠી કન્યાશાળા

નામદાર જગન્નાથ શંકરશેઠ એટલે ૧૯મી સદીના મુંબઈનું એક ખૂબ ઊજળું નામ. જન્મ ૧૮૦૩માં, અવસાન ૧૮૬૫માં. બોમ્બે એજ્યુકેશન સોસાયટીની સ્થાપનાથી જ તેની સાથે નાનાનો મનમેળ. પણ થોડા વખતમાં સમજી ગયા કે અહીંના લોકોને, ખાસ કરીને છોડીઓને શિક્ષણ આપવાનું કામ માત્ર આવી સંસ્થા કે સરકાર કરી શકે તેમ નથી. લોકોએ પણ આગળ આવીને આ કામ ઉપાડી લેવું જોઈએ. એટલે તેમણે મરાઠી અને ગુજરાતી છોડીઓ માટે નિશાળ શરૂ કરી. પણ ક્યાં? ગીરગામ રોડ પર આવેલા પોતાના વિશાળ વાડા (‘બંગલા’ માટેનો મરાઠી શબ્દ)ની પાછળ આવેલા ગેસ્ટ હાઉસમાં. એ વખતે લોકો ‘છોડીઓની નિશાળ’ તરફ શંકાની નજરે જોતા. એટલે લોકોને ધરપત આપવા નાનાએ પોતાના વિશાળ કુટુંબની છોકરીઓને એ નિશાળમાં ભણવા મૂકી.

૧૮૮૪માં શરૂ થયેલી અને આ વરસે બંધ થયેલી ઠાકુરદ્વારની મરાઠી કન્યાશાળા

છોકરા-છોકરી એક જ સ્કૂલમાં ભણે એ માટે અહીંનો સમાજ હજી તૈયાર નથી એ વાત ગવર્નર એલ્ફિન્સ્ટનને સમજાઈ ગઈ હતી. એટલે તેમણે મરાઠી, ગુજરાતી જેવી ‘દેશી’ ભાષાઓમાં ‘છોડીઓ’ માટેની અલગ નિશાળો શરૂ કરી હતી. પણ તેમાં જે કાંઈ ભણાવાતું તે ‘દેશી’ સમાજ અને રહેણીકરણીને અનુકૂળ આવે તેવું હતું. મિશનરી પાદરીઓએ પણ છોકરીઓ માટેની સ્કૂલ શરૂ કરી હતી. પણ માત્ર હિંદુઓ જ નહિ, ‘સુધરેલા’ ગણાતા પારસીઓ પણ આવી સ્કૂલોમાં પોતાની છોકરીઓને ભણવા મોકલતાં અચકાતા. કારણ તેમને છોકરીઓને ‘વટલાવવામાં’ આવશે એવી બીક લાગતી. એટલે ૧૯મી સદીના મુંબઈના એક અગ્રણી વેપારી અને સમાજ સુધારક માણેકજી ખરશેદજીએ ૧૮૬૩માં ધ એલેકઝાન્ડ્રા ગર્લ્સ ઇંગ્લિશ સ્કૂલની શરૂઆત ભાયખળામાં આવેલા પોતાના ‘વિલા ભાયખળા’ નામના બંગલાના એક ભાગમાં કરી. પહેલે વરસે તેમાં માત્ર તેર છોકરીઓ દાખલ થઈ. તેનું મુખ્ય કારણ હતું પારસી પંચાયતે કરેલો ઉગ્ર વિરોધ. પંચાયતનું માનવું હતું કે આવી સ્કૂલમાં ‘પરદેશી’ વિષયો ભણીને છોકરીઓ ‘વંઠી’ જશે. વખત જતાં આ સ્કૂલને કોટ વિસ્તારમાં આવેલા વૂડબી રોડ (આજનું નામ હજારીમલ સોમાણી માર્ગ) ખાતે ખસેડવામાં આવી. 

૧૮૭૫ના વરસમાં મુંબઈને છોકરીઓ માટેની અંગ્રેજી માધ્યમની બે સ્કૂલ મળી. બોમ્બે ઇન્ડિયન ફિમેલ નોર્મલ સ્કૂલ, જે ભાયખળામા શરૂ થઈ. તેનું આજનું નામ ક્વીન મેરી સ્કૂલ. ૧૯૧૧માં બ્રિટિશ સામ્રાજ્ઞી ક્વીન મેરી હિન્દુસ્તાન આવ્યાં ત્યારે તેમણે આ સ્કૂલની મુલાકાત લીધી હતી. એ વખતે સ્કૂલનું નામ બદલીને ક્વીન મેરી સ્કૂલ રાખવામાં આવ્યું. બીજી સ્કૂલ પણ શરૂ થઈ ભાયખળાના ડિલાઈલ રોડ પર. ૧૮૫૨માં સ્થપાયેલ ઝનાના બાઈબલ એન્ડ મેડિકલ મિશન સાથે સંકળાયેલ હેરિયેટ બટ નામની મિશનરીએ એકલે હાથે હોસ્ટેલની સગવડ  સાથે એ સ્કૂલ શરૂ કરેલી.

ઓગણીસમી સદીમાં સ્ત્રીશિક્ષણનો મહિમા કરતી કવિ દલપતરામની પંક્તિઓને યાદ કરીએ :

નાનકડીને મોકલો ને નિશાળે, વિદ્યાથી થશે બુદ્ધિ વિશાળે,

બાળપણથી નિશાળે જો બેસે, પૂરા પંડમાં સદ્ગુણ પેસે.

પુત્રી હોય પોતાને જો પ્યારી, સારું શીખવીને કરો સારી,

કથ્યાં કથન સ્વદેશીને કામે, રૂડી રીતથી દલપત્તરામે. 

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX 

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 08 ઓગસ્ટ 2026

Loading

એકલો

સુરેશ જાની|Opinion - Opinion|8 August 2026

તે દિવસે સવારે પાર્કમાં ગયો; અને બાંકડા પર બેઠો. એક વૃદ્ધજન એના કૂતરાને ફેરવી રહ્યો હતો. થોડીવારે એ બન્ને વિદાય થઈ ગયા. 

હું પાર્કમાં સાવ એકલો બેસી રહ્યો.

શું ખરેખર હું એકલો હતો?

ચારે બાજુ ઊંચા ઝાડ હવામાં ઝૂલી રહ્યાં હતાં. બાજુમાં મનને હરી લે તેવી, લીલી કુંજાર વિલસી રહી હતી. દૂર નાનકડા તળાવમાં બતકો અને હંસ તરી રહ્યાં હતાં. એક ખિસકોલી સરકી, અને ભોંય પડી રહેલા બ્રેડના સૂકા ટૂકડાને બે હાથે પકડી, ખાવા લાગી. ત્યાં એક પક્ષીએ ઘાસમાં ઊતરાણ કર્યું; અને એના ખોરાક – જીવડાંને ગોતવા લાગ્યું. થોડી થોડી વારે, એની ચાંચ હલતી દેખાઈ. જરૂર એને ભક્ષ્ય મળી જતું હતું. કેટકેટલાં જીવન વિલસી રહ્યાં હતાં? કેટકેટલાં હોવાપણાં ધબકી રહ્યાં હતાં; શ્વસી રહ્યાં હતાં?

અને હું માનતો હતો કે, હું એકલો છું!

આ યુગની મોટા ભાગના લોકોને સતાવતી આ સમસ્યા છે – કોરી નાંખે તેવી એકલતા.

પ્રિન્ટ મીડિયા શરૂ થયું એની પહેલાં ભક્તિ, ધર્મ કે બહુ બહુ તો ભવાઈ જેવા લોકપ્રિય કલા પ્રકારો પૂરતું જ ગુજરાતી સાહિત્ય મર્યાદિત હતું. ઓગણીસમી સદીના મધ્યકાળમાં પ્રિન્ટ મીડિયાના આગમન સાથે એ વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન આવ્યું અને ગુજરાતી સાહિત્યનો આધુનિક યુગ શરૂ થયો.

પણ ત્યારે એક જ વ્યવસ્થા હતી – સર્જકને જે પીરસવું છે એનો આસ્વાદ જ સમાજ માણી શકતો. બહુ બહુ તો ચર્ચામંડપો કે દૈનિકો / સામાયિકોમાં ચર્ચા ચોરાના પ્લેટફોર્મ પર વાંચનાર વ્યક્તિ  પોતાના વિચાર, પ્રતિભાવ,  પ્રત્યાઘાત કે આક્રોશ રજૂ કરી શકતી. એથી એનું પ્રમાણ બહુ જ સીમિત હતું. વ્યાપારી ધોરણે જે વધારે વેચાય – તે સામગ્રી અને તેના સર્જકનો જ જયવારો રહેતો. એ વખતે ગુલાલ વહેંચવાનું કામ ઈજારાધારીઓ પાસે જ હતું!

ઇન્ટરનેટના ફેલાવા સાથે એ પરિસ્થિતિમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. વેબ સાઈટો, બ્લોગો, વીડિયો ચેનલો અને હવે સોશિયલ મીડિયાની સાઈટો પર સામાન્ય માણસ કોઈ રોક ટોક વિના સર્જક બની શકે છે; પીરસાયેલ સાહિત્ય કે સામગ્રી પર પોતાના વિચાર, પ્રતિભાવ, પ્રત્યાઘાત, આક્રોશ રજૂ કરી શકે છે. પોતાને ગમેલું કોઈ પણ લખાણ / ચિત્ર / વીડિયો આડેધડે પોતાના મિત્ર વર્ગમાં કે ગ્રુપમાં મોકલી શકે છે. એમાં વ્યાપારી વ્યવસ્થા એ જ એકમાત્ર વ્યવસ્થા નથી રહી. હવે તો સાવ સામાન્ય માણસ – રસોઈ બનાવતી ગૃહિણી કે, બગીચાના બાંકડે બેસી મરવાના વાંકે સૂસવાતો વૃદ્ધ જન પણ –  એક બે ક્લિકમાં દુનિયાના બીજા છેડે પોતાના મનની વાત કે, ગમેલી વાત મોકલી શકે છે.

મને ગમ્યું એનો હું ગુલાલ કરું – વહેંચું.

આમ તો આ બહુ જ મોટું અને આવકારદાયક પરિવર્તન છે; પણ દરેકને ગમતી વાત તો હજારો હોવાની જ. એની આપ-લેના કારણે એક બહુ જ મોટી અવ્યવસ્થા ઊભી થઈ છે. હાલમાં તો એનો કોઈ ઉકેલ કે વિકલ્પ નજરે ચઢતો નથી. ગુલાલ એટલો બધો વહેંચાય છે કે, બીજા કોઈ રંગ માટે કોઈ અવકાશ જ જાણે નથી! ખાસ કરીને સોશિયલ મીડિયાના ઉત્થાન સાથે એક નવો રોગ પેદા થયો છે. પિન્ગ પોન્ગના બોલની જેમ સારી નરસી અનેક બાબતો  ફોરવર્ડ થતી રહે છે – આમથી તેમ ફંગોળાયા કરે છે.

હવે સફળતાનો માપદંડ છે – વાઈરલ થવું!

સમાજના સ્વસ્થ વિકાસ સામે આ એક બહુ જ મોટો ભય – એક રોગ આકાર લઈ ચૂક્યો છે એનો ભરડો રાતદિન વધતો જ જાય છે. કોરોના વાઈરસની રસી તો બની ગઈ છે. પણ આ રોગનો કોઈ જ પ્રતિકાર નજરે ચઢતો નથી.

બીજી વાત એ છે કે, આ બધામાં એક વાત સામાન્ય છે. એમાં ‘હું‘ જ એકમાત્ર કર્તા છે.  એમાં સહિયારાપણું બહુ જ અલ્પ છે. સોશિયલ મીડિયામાં ગ્રુપો તો અસંખ્ય છે. પણ ભાગ્યે જ ક્યાંક ગ્રુપ એક્ટિવિટી, સંઘકાર્ય નજરે ચઢે છે.

ત્રીજી વાત એ કે, છેલ્લાં પંદરેક વર્ષમાં આ બહુ જ મોટું પરિવર્તન આવ્યું હોવા છતાં, જે રીતે એનો વ્યાપ રોકેટની જેમ વધી રહ્યો છે – એનાથી એક નવો ભય પેદા થયો છે. અતિ સર્જન અને અતિશય ફેલાવાના કારણે એનું મૂલ્ય ઘટી ગયું છે. ક્યાંક તો નવાં સર્જનો સાવ ઉવેખાય જ છે. સર્જનોની ગુણવત્તા પર પણ કોઈ નિયમન નથી રહ્યું. પરિણામે સારી, નરસી અને મધ્યમ ગુણવત્તા બધાં ‘ટકે શેર ભાજી….’ના ન્યાયે રઝળતાં બની ગયાં છે. આના કારણે મોટા ભાગે માન્ય કળા સંસ્થાઓ અને કળા વિવેચકો સંસ્થાપિત સર્જકો તરફ જ ધ્યાન આપતાં રહ્યાં છે. વાચક પણ ‘ઘરકી મુર્ગી દાલ બરાબર.’ જેવી મનોવૃત્તિ જ હજુ સેવતો રહ્યો છે. હજુ ઈજારાધારી સર્જકોની જ બોલબાલા સમાજમાં જારી છે!

ચોથી વાત એ છે કે, આ પંદરેક વર્ષમાં અનેક વેબ સાઈટો અને બ્લોગો પર વિવિધ પ્રકારની અને ઉત્તમ કક્ષાની સાહિત્ય સામગ્રીઓ એકત્ર થઈ છે, થઈ રહી છે – એટલું જ નહીં, અવનવી ટેક્નોલોજીના પ્રતાપે એમાં ઘણી બધી નવી સવલતો પણ ઉમેરાઈ છે. માત્ર લખાણ જ નહીં પણ ચિત્રો, વીડિયો, ઓડિયો અને એનિમેશન માધ્યમો પણ પૂરબહારમાં ખેડાઈ રહ્યાં છે. આમ હોવા છતાં અને કદાચ એના અત્યંત ઝડપી ફેલાવાને કારણે – એમાંની મોટા ભાગની જગ્યાઓએ વાપરનારની તીવ્ર કમી વર્તાઈ રહી છે! વક્તા ઘણા છે – શ્રોતા / વાચકો ઓછા થઈ ગયા છે.

આ પ્રક્રિયા સોશિયલ મીડિયાના કારણે વધારે ગંભીર બનતી જાય છે. કારણ એ કે, મોટા ભાગના વપરાશ કર્તાઓ પાસે કોઈ લાંબી, ગંભીર અને સમય / વિચાર માંગી લેતી સામગ્રી માણવા માટે સમય નથી, એમાં બહુ ઓછા લોકોને રસ હોય છે. બ્લોગ જગત મરવાના વાંકે જીવી રહ્યું છે. પ્રતિષ્ઠિત અને સામૂહિક પ્રયત્નોથી ચાલતી વેબ સાઈટો પર પણ કાગડા ઊડે છે!

ગમતાંનો ગુલાલ કરનારા બિલાડીના ટોપની જેમ ફાલી રહ્યાં છે. કદાચ આ સૌથી ગંભીર અને ચિંતાજનક બાબત છે.  આ પાયાના ફેરફાર ધ્યાનમાં લઈને એક થોડોક અલગ વિચાર નવા પરિપ્રેક્ષ્યમાં અહીં રજૂ કરું છું .

ગુલાલને ગમતો કરીએ

‘મને’ ગમે છે તે નહીં, પણ ‘આપણને’ ગમે છે – તેનો વ્યાપ કરવા વિશે આ વિચાર છે. આ એક બહુ મુશ્કેલ વાત છે.  જેવું કર્તા સ્થાન ‘હું’માંથી ‘આપણે’ તરફ વળે – તેમ તરત જ એક સીમા, એક બંધન પ્રવેશી જાય છે. જ્યારે ‘આપણને‘ ગમતી વાત આવે, ત્યારે સૌને અથવા મોટા ભાગના લોકો માટે સામાન્ય હોય – એવી બાબત પર ધ્યાન કેન્દ્રિત કરવું પડે. એ પોતે જ બહુ મુશ્કેલ બાબત છે. કળાના ક્ષેત્રો પણ એટલા બધા વિવિધ છે કે, દરેકના ચાહકોનો વર્ગ અલગ અલગ જ રહેવાનો. દા.ત. સાહિત્યના ચાહકને ચિત્રકામ કે ક્રાફ્ટ માં રસ ન પણ હોય.

પણ જો કોઈ રસ્તો એ માટે શોધી શકાય તો હજારો લોકોના પ્રયત્નો ધારી દિશામાં એક મહાન બળ સર્જી શકે. સમાજને એક ચોક્કસ દિશામાં વાળવા આવા રસ્તા  તાકાતવાન નીવડી શકે.

એક વિચાર એવો પણ છે કે, લગભગ સરખો રસ ધરાવતી સામાન્ય વ્યક્તિઓનાં મંડળો ઊભાં થાય. એવા મંચ આકાર લે, જેમાં ઉપરના પાયાના વિચારો સાથે એકમત હોય, તેવી વ્યક્તિઓ અરસ્પરસ આદાન – પ્રદાન દ્વારા એક નવી કેડી કંડારવા પ્રયત્ન કરે.

આવી એક નાનકડી કેડી અથવા થોડી કેડીઓ જો આકાર લે તો, કાળક્રમે એ ઉન્નત ભવિષ્ય તરફ સમાજને લઈ જતો રાજમાર્ગ બની શકે. છૂટાં છવાયાં આવાં મંડળો અસ્તિત્વ ધરાવે પણ છે. જો સમાજમાં એ પ્રવાહ બળવત્તર બને અને વધારે ને વધારે કેન્દ્રિત (focused) બાબતોમાં રસ અને જાગરૂકતા કેળવાય તો સામાન્ય માણસમાં પણ કુતૂહલ, શોધ, કલ્પના શક્તિ અને સર્જકતા મ્હોરી શકે. આ માટે થોડાક નૂસખા –

ચર્ચા ચોરા, શબ્દ રમત, કોયડા, શેરાક્ષરી, શબ્દાંતરી, એકાદ વિષય કે ચિત્ર પરથી સહિયારાં સર્જન, મનગમતી હોબી / ક્રાફ્ટમાં સર્જનો વગેરેની આપ-લે … અથવા આવા કોઈ પણ સહિયારી, મનગમતી રમતો.

આવા પ્રવાહો માત્ર સાહિત્ય જ નહીં પણ અન્ય લલિત કળાઓ અંગે પણ આકાર લેતા થાય તો, અવનવા ચાહક વર્ગ ઊભા થાય અને વિચાર શૂન્યતા તરફ ધસી રહેલા સમાજને કોઈક નવી દિશા મળી  પણ જાય.

e.mail : surpad2017@gmail.com

Loading

1234...102030...

Search by

Opinion

  • એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”
  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • ચલ મન મુંબઈ નગરી—353
  • એકલો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ
  • લૂંટ શકે તો લૂંટ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved