Opinion Magazine
Number of visits: 10011085
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચાર સાંપ્રત હિન્દી કાવ્યો

અનુવાદ : રૂપાલી બર્ક|Poetry|18 July 2026

૧. વિદુષક

કવિ : સ્વપ્નિલ શ્રીવાસ્તવ

જો એક વિદુષકને
દેશનો રાજા બનાવવામાં આવે
તો શું થાય?

સૌ પ્રથમ હાસ્યને
અનિવાર્ય બનાવી દેવામાં આવે
જે હસે નહીં
એને હસતા હસતા
મારી નાખવામાં આવે

હાસ્યને રાજધર્મ
જાહેર કરી દેવામાં આવે
ઠેર ઠેર હાસ્યઘર
ઊભા કરવામાં આવે

ભલે ગમે તેટલા દુ:ખમાં હોવ
તમારે હસવું જ પડે
હાસ્યનો વેપાર થાય
ચોરે ચૌવટે ખોલવામાં આવે
લાફટર ચેનલ

હાસ્યને હાસ્યાસ્પદ બનાવવાવાળા કવિઓને
મોટા હોદ્દાઓ આપવામાં આવે
રાજાને હસાવી હસાવીને
વિહવળ કરી દઈને
ઈનામના એ હકદાર બની જશે

હાસ્યધારામાં લોકો ડૂબશે-ઉતરશે
અને ગંભીરતાને ભૂલી જશે
જ્યારે કોઈ દુ:ખીજન
રાજા સામે
પોતાની તકલીફ વ્યક્ત કરશે
રાજા એને હસવામાં કાઢી નાખશે.

°

૨. કાયાકલ્પ

કવિ : સત્યેન્દ્ર કુમાર

ફ્રાંઝ કાફકાના જંતુમાં ફેરવાઈ જઈએ
એ પહેલા
આપણે સૌ ઊભા થઈને
તાનાશાહની સામે ટ્ટટાર ખડા થઈએ

એના જૂઠાણાના ચીંથરા ઉડાવી દઈએ
એને એક રમૂજ બનાવી દઈએ

આપણાં ગીત, આપણી કવિતા
પર્યાવરણ, સંવેદના, નદીઓ, પહાડ, જંગલ
આપણા સંઘર્ષ પણ
જ્યાં જ્યાં એનો પડછાયો પડે છે
એને એ ઉજ્જડ બનાવી દે છે

ઉજ્જડ બનતા પહેલા આપણે ઊભા થઈએ
એના મંચ-પુરસ્કાર, એની નીતિઓ
એના ઇતિહાસબોધને ઉઘાડો પાડી
એક વાર ફરી
આપણા અસ્તિત્ત્વને સાબિત કરીએ

•

૩. વરૂઓ જે બનતા હતા રાજા

કવિ : રાજકુમાર કુમ્ભજ

એક જંગલ હતું
જંગલમાં ઘેટાં હતાં
ઘેટાંને નાગરિક સમજવાની ભૂલો હતી
કિસ્સા, વાર્તાઓ જેવી કાલ્પનિક નહીં
સાક્ષાત હતા
અને કદાચ દૃશ્યમાન હતા
ઊંદર-બિલાડી-ગિદરડાના સદાબહાર નાટ્યમાં
સિંહોના અટ્ટહાસ્યમાં નાચતા કિન્નરો
ભીખ માગતાં ઘેટાં નતમસ્તક રહેતાં હતાં
ચીસો-બૂમો પાડતા ભસતા કૂતરા ભેગા
અધમુઆ પૂર્વજોની માફક
માથું કૂટી કૂટીને
ક્યારેક પેટ અને ક્યારેક તાલી વગાડતાં ઘેટાં

પુસ્તકાલયનો નાશ કરી
પૂજતા હતા પત્થર
અને પૂજતા હતા અંધારામાં
અંધારાના કલંક

એક જંગલ હતું
જંગલમાં ઘેટાં હતાં
હતા થોડા વરૂઓ પણ
દેખાતા હતા ત્યારે માનવો એમના જેવા અદ્દલ

ઘેટાં રાત-દિવસ વેઠતાં બોજ વરૂઓના
વરૂઓ જે  બનતા હતા રાજા

•

૪. ભર બપોરની ઊંઘ

કવિ : અનુપમ ત્રિપાઠી

નહોતી કોઈ કસ્તૂરી ગળામાં
કરતા હતા દોડાદોડ નોકરી માટે
અસુરક્ષા અને અપમાનથી
જેમ તેમ લડીને

ભૂખ અને તરસની ઇચ્છાથી
ઘેર પાછા ફરતા ત્યારે
કોઈ ના મળતું પોતાને માટે
આવું કેમ?

તંદ્રા હાવી થઈ જતી
ભૂખની ઇચ્છા પાણીથી મટતી
અને ગાદલા પર પડતા વેંત
આવી જતી મુલાયમ નિદ્રા

ગરમી જેટલી વધતી જાય છે
નિદ્રામાં એટલી જ ડૂબતી જાય છે કાયા
તળિયાથી તળિયું દબાય છે
ક્યાં – કયુ – કોણ- કેમ આ સવાલોથી
મળી જાય છે થોડી ઘણી મુક્તિ

આ દુનિયા જે હવે ખૂલે છે સામે
તરસ માટે એક ઝરણું ફૂટે છે
ઉપસી આવે છે કેટલીક આકૃતિઓ
પિતાની આકૃતિ મૂકે છે માથે હાથ
માની આકૃતિ ખોળામાં લે છે
અને એક આકૃતિ કહે છે
જુઓ, હું આવી ગઈ

વળી પાછો શહેરનો એ જ ઘોંઘાટ
જાદુ ધીરે ધીરે ઓસરતો જાય છે
પહેલા આકૃતિઓ ગાયબ થાય છે
જે ઝરણું ફૂટ્યું હતું એ
અચાનક ગાયબ છે

આકૃતિઓ પકડવા દોડીએ છીએ આપણે
દોડતા દોડતા ઊડવા લાગીએ છીએ
અને એક ઊંચાઈથી પડીએ છીએ
ધડામ!

સ્રોત : “હંસ” (એપ્રિલ 2026)
 e.mail : rupaleeburke@yahoo.co.in

Loading

હાઉસ વાઈફ હોય તો હાઉસ હસબંડ કેમ ન હોય?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|17 July 2026

રવીન્દ્ર પારેખ

મારી એક નવલકથા છે, ‘લટહુકમ’. જેમ વટહુકમ તેમ ‘લટહુકમ’. તેમાં એક કંપની એવી સ્કિમ લાવે છે કે જે પુરુષ ઘરનાં કામ ઉપાડી લેશે તેને કામ દીઠ ચોક્કસ વળતર આપવામાં આવશે. ઘરમાં પત્ની છે ને બધાં કામ તે કરે જ છે, પણ નવલકથાના નાયકને થાય છે કે પત્નીનાં બધાં કામ પોતે કરી લે તો કંપની પગાર ઉપરાંત વધારે વળતર આપશે. નાયક ધીમે ધીમે પત્નીનાં તમામ કામ હાથ પર લઇ લે છે ને હાઉસ હસબંડ બની રહે છે. આ તો થઈ નવલકથાની વાત. આવું કશું ખરેખર બને ખરું? પતિ, હાઉસ હસબંડ બને ખરો? હા. બને. એક છાપામાં આવેલી આ ઘટના કૈંક આવી છે:

ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં એક પતિ, તેની પત્ની અને બાળકી સાથે રહે. લવમેરેજ કરીને આવેલી પત્ની લગ્નના ચાર જ મહિનામાં ફેફસાંમાં પાણી ભરાવાને કારણે ગંભીર રીતે બીમાર પડે છે. પત્નીની નોકરી છે, પણ, માંદગીને લીધે તેનો ભોગ આપવો પડે તેમ છે. પતિ મિકેનિકલ એન્જિનિયર છે. તે પણ નોકરી કરે છે, પણ પત્નીને સાચવવા તે પોતાની નોકરી છોડી દે છે જેથી પત્ની બેંક સંભાળે અને પતિ ઘરકામ કરે ને વધારામાં દીકરી પણ ઉછેરે. પતિ દસ વર્ષથી રસોઈ કરે છે. વાસણકૂસણ કરે છે. કચરાપોતાં કરે છે. દીકરીને વાળ ઓળી આપે છે. કપડાં ધૂએ છે, અગાશી પર સૂકવે છે. પતિ ધીમે ધીમે હાઉસ વાઈફની જેમ જ હાઉસ હસબંડ બની રહે છે. આમ હાઉસ હસબંડ બનવાનો તેને પોતાને તો કોઈ વાંધો નથી, પણ સમાજમાં તેણે મોટી કિંમત ચૂકવવી પડે છે. તેને આ કામ કલંક થઈ પડ્યું છે. લોકોને ઘરકામ થાય એનો વાંધો નથી, પણ તે એક પુરુષ દ્વારા થાય છે, તેનો વાંધો છે. એવું નથી કે આ સ્ત્રીઓથી જ થાય એવાં કામ છે. એવું હોત તો રસોઈયા કે શેફ પુરુષો ન હોત, એ કામ પુરુષો શક્તિ છે, માટે કરે છે, એવું નથી. તેમાં કામની સાથે દામ મળે છે, એટલે કરે છે. બીજા કોઈ કરે કે ના કરે, સ્ત્રીએ તો કરવાનું જ છે. એ કામના ઘરમાં પૈસા મળતા નથી, એટલે પુરુષ તેમાં પડતો નથી. તેમાં સ્ત્રી પડે છે, પૈસા નથી મળતા છતાં પડે છે, કારણ તેને તો નાનપણથી જ એ શીખવવામાં આવ્યું છે કે ઘરકામ તેનું કામ છે.

તેની સામે ભુવનેશ્વરનો એક પતિ સિન્કમાંના વાસણો ધુએ, પત્નીનો પેટીકોટ ધુએ તો આ જોવાનું તો ઠીક, સાંભળવાનું પણ ઘણાંને ફાવતું નથી. પતિને ઘરકામ કરતો જોઇને ખુદ પત્નીને એ ગમતું નથી. કોઈ આવે છે તો એટલીસ્ટ થોડો વખત એ કામ ન કરે, કારણ પત્નીને એવો ડર છે કે પતિ પાસે કામ કરાવવા બદલ લોકો તેને મહેણાં મારશે. પતિ, જો કે ગૌરવભેર કહે છે કે પોતે હાઉસ હસબંડ અથવા મેલ હોમ મેકર છે. 2016ની વાત. મિકેનિકલ એન્જિનિયર પતિને એક પ્રાઈવેટ કમ્પનીમાં 16,000 પગારની નોકરી હતી, તેમાં પત્ની માંદી પડતાં ઘરકામ કરવાની જરૂર ઊભી થઈ. પત્નીથી માંદગીને કારણે ઘરનું કોઈ કામ થાય એવું ન હતું. તેને શ્વાસ લેવામાં ય તકલીફ પડતી હતી. તે બેન્કની નોકરી કરી શકે એમ ન હતું. બે મહિના સુધી તે પથારીવશ રહી. તેને વોશરૂમ સુધી લઈ જવાથી માંડીને નવડાવવા-ધોવડાવવા સુધીનું બધું જ કામ પતિ કરતો હતો. ઘરમાં માતા હતી, પણ તેની પણ ઉંમર થઇ હતી. એટલે સવાર-સાંજની રસોઈ પતિએ જ કરવા માંડી.

થોડા વખત પછી પત્ની સારી થવા લાગી. તે નોકરી સાથે ઘર પણ સંભાળવા લાગી. સવારે પત્ની ઘરનું કામ કરતી, પછી બેન્કની નોકરી કરતી ને સાંજે મોડી પાછી ફરતી. આવીને ઘરનું કામ કરતી. પંદરેક દિવસમાં જ પત્નીને શ્વાસની તકલીફ થવા લાગી. પતિને લાગ્યું કે ઘર સંભાળવા કોઈ એકે તો ઘરમાં રહેવું પડશે. તેણે પત્નીને કહ્યું કે બેમાંથી એકે નોકરી છોડવી પડશે. જો કે, પત્નીએ ખૂબ સંઘર્ષ પછી બેન્કની નોકરી મેળવી હતી. એટલે પતિએ હાઉસ વાઈફની જેમ જ હાઉસ હસબંડ બનવાનું સ્વીકારી લીધું.

પત્નીને એમ લાગતું હતું કે ઘરનાં લોકો સંભળાવશે કે દીકરો પત્નીનો ગુલામ થઇ ગયો ને ચાલુ નોકરી છોડીને ચૂલો-ચોકો કરવા લાગ્યો ! પતિએ પત્નીને સમજાવી કે બેમાંથી કોઈ એક ઘર સંભાળે તો જ પરિવાર સચવાશે. પતિને પણ એ મૂંઝવણ તો હતી જ કે ઘરનાં લોકોને કેવી રીતે સમજાવવા? તેણે તેના મમ્મી-પપ્પાને બોલાવીને આ વાત મૂકી. તેમણે કહ્યું કે તમે લોકો સમજુ છો. જેમ ઠીક લાગે તેમ કરો. પત્નીના પિયરને ખબર પડી તો તેણે પણ વિરોધ કર્યો – એમ કહીને કે લગ્ન પહેલાં છોકરો એન્જિનિયર હતો, તે નોકરી છોડીને ઘરકામમાં પરોવાઈ ગયો. પત્નીની માતાએ જ એમ કહીને તેને ઠપકારી કે જમાઈ પાસે બૈરાંનાં કામ કરાવે છે તે સારું છે? પત્ની પતિ પર તડૂકી-પહેલાં કહ્યું હતું કે લોકો મહેણાં મારશે. પતિએ સમજદારીથી જવાબ આપ્યો કે આ લોકો ઘરનું કામ કરી આપવાના છે? જો નહીં તો તેમની વાતો પર ધ્યાન આપવાની જરૂર નથી. મિત્રો સંભળાવતા કે પતિએ લાજશરમ નેવે મૂકી છે. એ મરદ નથી રહ્યો. પત્નીને જ નહીં, પતિને પણ આ જીરવવું અઘરું હતું. મહોલ્લાવાળા કોઈ ગુનો કર્યો હોય એમ જોઈ રહેતા. મિત્રોની મશ્કરીનો ભોગ બનવાનું પણ આવતું – તને ડિસ્ટર્બ તો નથી કર્યોને ! રસોઈનો ટાઈમ છે ને ભાભીનાં આવવાનો ટાઈમ પણ થઇ ગયો છે. તને મજા છે. પત્નીની કમાણી ખાવ ને મોજ મનાવ.

પતિએ પહેલાં તો ડોક્ટર થવું હતું, પણ એટલી સગવડ ન હતી. પપ્પાએ મિકેનિકલ એન્જિનિયરિંગમાં એડમિશન અપાવી દીધું ને પાસ થયા પછી ત્રણ વર્ષ પ્રાઈવેટ કમ્પનીમાં નોકરી કરી. પતિની ઇચ્છા તો એવી હતી કે તે પોતાનું ઘર બનાવે, પણ નોકરી ન રહેતાં એ જવાબદારી પૂરી ન થઈ શકી. તેનો અફસોસ પણ છે. પતિના હાઉસ હસબંડ બનવાને લીધે, તેના બે ભાઈઓનાં લગ્ન નથી થતાં. પોતે હાઉસ હસબંડ હોવાનું જાણતાં બંને ભાઈઓનાં લગ્નની ના આવી જાય છે. માતા પણ ગુસ્સે થઈને કહે છે કે ઉધાર માંગવા જાઉં છું તો દુકાનદાર કહે છે કે દીકરાની કમાણી નથી, ઉધાર આપું તો ચૂકવશો કઈ રીતે? એનું પરિણામ એ આવ્યું કે પતિએ હવે લગ્ન કે અન્ય પ્રસંગોમાં જવાનું ટાળ્યું છે. તે ક્યાં ય જતો નથી. દીકરીને પણ સ્કૂલમાં સાંભળવાનું થાય છે કે તારા પપ્પા ઘરકામ કરે છે? નોકરી નથી કરતા? દીકરી આ અંગે પિતાને પૂછે છે તો એનાથી જવાબ નથી અપાતો. પતિને ઘરકામનો અફસોસ નથી. એવો નિર્ણય ન લીધો હોત, તો ઘર વિખેરાઈ ગયું હોત ! જો કે ઘરનાઓનો વિરોધ સમય જતાં મોળો પડ્યો છે. પત્ની કહે છે કે કોઈનો પણ વિરોધ પતિ તેના સુધી પહોંચવા જ નથી દેતા.

તો, આ વાત છે.

આપણાં મન મગજ એ હદે પરંપરાથી ઘડાઈ ચૂક્યા છે કે તેમાં નાનો પણ ફેરફાર સહન થતો નથી. પતિને લાગે છે કે હાઉસ હસબંડ બનવાથી જ પરિવાર ઊગરી જાય એમ છે ને એ નોકરી છોડીને સ્વેચ્છાએ ઘરકામ સ્વીકારે છે, તો એ અંગત નિર્ણયને માટે સમાજ આટલા વાંધા પાડે એ બરાબર નથી. એવું નથી કે પુરુષો ઘરકામ કરી જ ના શકે. એવું હોત તો રસોઈયાઓ મોટાં મોટાં તપેલાં ઉતારતાં ન હોત કે કોઈ મેલ શેફ ફાઈવ સ્ટાર હોટેલનું રસોડું ન સંભાળતો હોત. આમ તો કોઈ કામ સ્ત્રી અથવા પુરુષનું નથી. કોઈ પણ કામ, કોઈ પણ કરી જ શકે, પણ નસીબ જોગે સ્ત્રીને ભાગે ઘરકામ આવ્યું, હવે તો સ્ત્રી ઘરકામ ને નોકરી બંને સંભાળી શકે છે, તો બંને કામ પુરુષ પણ કરી જ શકેને ! તેને તો સ્ત્રી કરતાં વધુ શક્તિશાળી ગણ્યો છે, તો એ ઘરકામ કેમ ન કરી શકે? સ્ત્રી જો પુરુષનું કમાવાનું કામ કરી શકતી હોય તો પુરુષ સ્ત્રીનું ઘરકામ કેમ ન કરી શકે? એક તરફ કોઈ કામ હલકું નથી એમ કહેવાય છે, તો ઘરકામ એવું હલકું કામ છે કે પુરુષ તે કરી જ ન શકે? એને માટે એ કામ હલકું હોય તો સ્ત્રી તો યુગોથી એ કામ પોતાનું સમજીને કરતી આવી છે, તો એ તેણે શું કામ કરવું જોઈએ? કોઈ પણ જાતના વળતર વગર સ્ત્રી રસોડું, વાસણકૂસણ, કપડાંલત્તા, બાળ ઉછેર…નું કામ કરે છે. એ ભાડેથી કરાવીએ, તો મહિનાનો પગાર ખૂટી પડે, તેની સામે સ્ત્રી એ કામો કેવળ લાગણી-પ્રેમથી કરે છે, તો તેને બિરદાવીએ …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”,17 જુલાઈ 2026

Loading

સ્વનામધન્ય સન્માન્ય શિક્ષણ મંત્રીને પ્રધાનપદે રહેવામાં ધર્મ વરતાય છે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|16 July 2026

દેશના અજંપ યુવજનોની આર્ત અપીલ અને હાકેમોની દૃષ્ટિશૂન્યતા

વિશ્લેષણ

ગંગાશુદ્ધિ માટે અનશનના 112મા દિવસે જે રીતે વિશ્વખ્યાત તજ્જ્ઞ જી.ડી. અગરવાલને નીંભરપણે મરવા દેવાયા હતા, એના ખયાલે સચિંત અગ્રણીઓએ સોનમ વાંગચૂકને અનશન છોડવા સારુ આર્ત ભાવે અપીલ કરી છે : શાસનનાં બારે વરસે મોદી ભા.જ.પ. પરત્વે સ્વીકૃતિની કટોકટી ચંદાચોરીની સંગત સાથે સાફ દેખાય છે 

પ્રકાશ ન. શાહ

દેશના અજંપ યુવજન અને નિસબત ધરાવતા નાગરિક સૌના જીવ આજની ક્ષણે  જંતર મંતરના પડીકે બંધાયા છે. મળતાં મળે એવો લોકાયની અને વળી વિજ્ઞાની, પોતાની તરેહનો પ્રજાપરક પર્યાવરણી, નામે સોનમ વાંગચુક આમરણ અનશને છે. નગારે ઘાવ દીધો તો હતો દોમદોમ ડોલરજીવી રહી શકતા અભિજીત દીપકેએ, અને વતન આંગણે એને જે વ્યાપક પ્રતિસાદ મળ્યો એમાં શતસહસ્ર અવાજોમાં જાનફેસાનીના તરાને ઝૂમતો એક સશક્ત એટલો જ સમર્પિત સ્વર સોનમ વાંગચૂકનો છે. પ્રતિકાર અને પરિવર્તનની પ્રજાકીય ચેતના આજે એમના તપ અને તિતિક્ષા વાટે પ્રગટ થવા કરે છે.

વાત નીંભર પરીક્ષાતંત્રની, દૃષ્ટિશૂન્ય પ્રશાસનની અને હૈયાફૂટા હાકેમોની છે. એમને સત્તારમત આડે કશું દેખાતું નથી, બાજી ગોઠવાઈ એટલે બાકીનું રામભરોસે. યુવા આંદોલને, આપણી ‘વંદા’ મંડળીએ સ્તો, જે ખતપત્ર યા ચાર્ટર આ દિવસોમાં રમતું મૂક્યું છે એમાં એ જ વાતો સામાન્યપણે છે જે હાલના સત્તાપક્ષે છેલ્લા દસકામાં વખતોવખત વિધિવત મૂકી છે. પણ વહેવારમાં તો અલ્લાયો જ અલ્લાયો છે. દીપકે અને સાથીઓ, સોનમ અને સૌ ટૂંકમાં પ્રથમ કદમ તરીકે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામુ માંગે છે. લોકશાહી રાહે જવાબદેહીની રીતે એ સાદો હિસાબ છે.

કમનસીબે, દાયિત્વ અને ઉત્તરદાયિત્વનું આ સાદું સત્ય નહિ સ્વીકારતા મંત્રીશ્રી અને એમના આકાઓને સ્વનામધન્ય ધોરણે પ્રધાનપદે ચીપકી રહેવામાં જ ધર્મ વરતાય  છે.

સોનમ વાંગચૂક અને જે બીજા યુવજનોએ અનશનનો રાહ લીધો છે એ ઉત્તરોત્તર કથળતા સ્વાસ્થ્યે મૃત્યુ લગોલગ જઇ રહ્યા હોય એમ બને. હુક્મરાનોને અને એમના સત્તા-સાગરીતોને જો નઘરોળ પરીક્ષાતંત્રે પ્રેરેલ આત્મહત્યાઓનો અહેસાસ ન હોય તો પછી જેઓ શાંતિમય પ્રતિકારની રીતે જરૂરી બની રહે છે. રાહે હોઈ શકે છે એમને સમજવાની રગ એમની કને હશે કે કેમ, એવી ફાળ ને ફિકર અલબત્ત અસ્થાને નથી.

આ સંજોગોમાં દેશના જાગ્રત ફિરકાઓમાંથી જે એક ચિંતિત એટલો જ સુચિંતિત સ્વરકૃપાથી ‘ઊઠી રહ્યો છે એની અહીં જરૂર નોંધ લેવી જોઈએ. થોડા વરસ પર હાઇડ્રોલિક વૉટર પ્રોજેકટો થકી ગંગાનું દોહન અને શોષણ જ નહીં પણ ઘોર પ્રદૂષણ સુધ્ધાં અટકાવવા સારુ વિશ્વખ્યાત વિજ્ઞાની જી. ડી. અગરવાલે આમરણ અનશનનો રાહ લીધો હતો અને ‘મા ગંગાના બુલાવે’ જેનું હલનચલન ,ચૂંટણીરમણ બધ્ધેબધ્ધું પરિચાલિત છે તે નેતૃત્વે સન્યસ્ત જીવન ગાળનાર આ પ્રતિભાને રોકવાપણું જોયું નહોતું. આ એક દૂઝતા જખમ શી સ્મૃતિ છે, એક છેડેથી વરવી તો બીજે છેડેથી ગરવી. સોનમ વાંગચૂક સરખી પ્રતિભાને સારુ પણ આવું જ કોઈ વિધિ નિર્માણ તો નથી ને એવી દિલી ધાસ્તીવશ લોકહૈયથી ઉઠેલી એક આર્ત અપીલ સોનમ મહાશય ઉપવાસ છોડે તેવી છે.

જેમ સત્તાધીશોની તેમ આપણી પણ તપાસ આવે વખતે અને ખરું જોતા હર ઘડીપળ જરૂરી બની રહે છે. સોનમ વાંગચૂકને આપણે પહેલપ્રથમ પિછાણ્યા તે આમીરખાન અને રાજકુમાર હિરાણીની “થ્રી ઈડિયટ્સ” થકી. ક્યાં છે એ સૌ, એકાદ અપવાદ બાદ કરતાં? શું સત્તાકારણ, શું સર્જનકારણ કે સિનેકારણ, ધંધો લટકા કરે ધંધા સામે … નરસિંહ મહેતા, સાંભળો છો કે? નવું પ્રભાતિયું લઈને આવો તો તમને ઈલમી બકું.

બુધવારે ઢળતી સાંજે આ લખી રહ્યો છું. કેવું રૂડું થાય, જો હું ભોંઠો પડું! પણ કમબખ્ત સત્તાનો ખેલ તે ખેલ અને નાગરિકને લમણે વકટલેંડ તે વકટલેંડ. નરસૈયો હળવા કરમનો, ને નાગરિક પણ.

On Wed, Jul 15, 2026 
prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 15 જુલાઈ 2026

Loading

1234...102030...

Search by

Opinion

  • આપણી શિક્ષણવ્યવસ્થાનો સારઃ ગોટાળા, વિરોધ, અનિશ્ચિત ભાવિ અને યથાવત્ મંત્રી
  • ધર્મ આધારિત રાજકારણ !
  • ચલ મન મુંબઈ નગરી—350
  • હાઉસ વાઈફ હોય તો હાઉસ હસબંડ કેમ ન હોય?
  • સ્વનામધન્ય સન્માન્ય શિક્ષણ મંત્રીને પ્રધાનપદે રહેવામાં ધર્મ વરતાય છે

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved