Opinion Magazine
Number of visits: 9842257
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સુ-મેળ ચોકડી

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Short Stories|3 March 2026

મુકેશનો આજે હોસ્ટેલનો પહેલો દિવસ હતો. કોલેજ હોસ્ટેલમાં એડમિશન લીધું હતું. મુકેશને ખબર હતી કે હોસ્ટેલમાં એક રૂમ ચાર સ્ટુડન્ટ વચ્ચે આપવામાં આવે છે. મુકેશે ઓફિસમાં રજિસ્ટ્રેશન ફોર્મ ભર્યું. મુકેશને 304 નંબરના રૂમમાં એડમિશન આપવામાં આવ્યું હતું. 304 નંબરના રૂમમાં ત્રણ સ્ટુડન્ટને પહેલેથી જ એડમિશન આપવામાં આવેલું હતું. જેના નામ હતા, ઉમેશ, ખીમજી અને અબ્દુલ. મુકેશ નામ વાંચીને જરા થડકો ખાઈ ગયો. પણ એડમિશન એ રૂમમાં હતું એટલે ત્યાં જ જવું પડે અને સાથે રહેવું પણ પડે.

મુકેશ ત્રીજા માળે 304 નંબરની રૂમના બારણામાં ઊભો રહ્યો. અંદર જોયું તો ત્રણ જણા બેઠાબેઠા વાતો કરતા હતા. તેમાંથી એક વ્યક્તિ ઊભી થઈને મુકેશ પાસે આવી અને કહ્યું, `આવ મુકેશ, અમે તારી જ રાહ જોતા હતા. મારું નામ અબ્દુલ છે. આ ઉમેશ અને આ નટખટ તોફાની ખીમજી છે.` મુકેશનો થોડો ડર ઓછો થયો. ચારેયે એક બીજાની અને ફેમિલીની માહિતી આપ-લે કરી. ચારે ય જુદાજુદા ગામમાંથી મધ્યમ વર્ગીય કુટુંબમાંથી આવતા હતા. ચારેયનાં નાત, જાત અને ધર્મ જુદાંજુદાં હતાં. પણ એ વિશે કોઈ ચર્ચા ન થઈ. ચારેય એવા મતના હતા કે આપણે અહીં મિત્ર, ભાઈ અને ચાર ભાઈના કુટુંબ તરીકે રહેવાનું છે એટલે એ બાબત  આપણી વચ્ચે ગૌણ છે.

થોડા દિવસ પછી મુકેશને ખૂબ તાવ ચડી ગયો. ડોક્ટરની દવાથી પણ કંઈ રાહત ન થઈ. ત્રણેય મિત્રો મૂંઝાય ગયા કે હવે શું કરવું? અબ્દુલ બંદગી કરવા, ઉમેશ અને ખીમજી ઇષ્ટદેવને પ્રાર્થના કરવા બેસી ગયા. આખી રાત આમ જ પસાર થઈ. પણ, સવાર પછી મુકેશનો તાવ પણ ઉતરી ગયો અને સ્વસ્થ થઈ ગયો. મુકેશે કહ્યું, `અબ્દુલ, તારી ખુદાની બંદગીથી, ઉમેશ અને ખીમજી તમારી ઈષ્ટદેવની પ્રાર્થનાથી હું બચી ગયો.`

`ના, મુકેશ, એવું નથી. આપણે બધા ઈશ્વર કે ખુદાને જુદાજુદા સ્વરૂપમાં માનીએ છીએ. પણ એ તો એક જ શક્તિ છે. અમે એ શક્તિને પ્રાર્થના, બંદગી કરી, જે એક જ હતી, કે તું જલદીથી સાજો થઈ જા. અને તું સાજો થઈ ગયો.`

આ ઘટના પછી ચારેય વચ્ચે ગાઢ મિત્રતા થઈ ગઈ. પોતાનો અભ્યાસ પૂરો કરી ચારેયે એક જ શહેરમાં પણ જુદીજુદી જગ્યાએ નોકરી શોધી લીધી, પણ આપસમાં હળવામળવાનું નહોતું છોડ્યું. કોઈને પણ કંઈ મુશ્કેલી ઊભી થાય ચારે ય સાથે મળીને તેનો ઉકેલ શોધી કાઢતા હતા. શરૂઆતમાં ચારેય મિત્રોના ઘરના એક બીજાને ઘરે જવા માટે સંકોચ રાખતા હતા. પણ પછી ધીમેધીમે બધાંને સમજાય ગયું કે આ જ સાચી કુટુંબભાવના છે. આપણે ‘વસુધેવ કુટુમ્બકમ્‌માં’ માનીએ છીએ એટલે આ જ સાચી સામાજિક નીતિ રીતિ છે. અને એક પ્રસંગ એવો બન્યો કે બધાંય ને વાત સાચી લાગી ને સમજાઈ પણ ગઈ.

ચારેય મિત્રો મળવાના નિયમ પ્રમાણે ભેગા થયા. ત્રણેય મિત્રોને લાગ્યું કે અબ્દુલ આજે કંઈક ચિંતામાં લાગે છે. ખીમજીએ પૂછ્યું `અબ્દુલ, તું આજે કંઈક ચિંતામાં હોય એવું લાગે છે. શું વાત છે? અમને વાત કરી તારું મન હળવું કર.` 

અબ્દુલે કહ્યું, `ના, એવી કોઈ ચિંતાજનક વાત નથી. એમ જ જરા તબિયત ઠીક નથી લાગતી.`

ઉમેશે કહ્યું, `અબ્દુલ, ભલે તું બહાનું તબિયતનું આપે છો પણ મને વાત કંઈક જુદી લાગે છે. તારે વાત ન કરવી હોય તો અમારો કોઈ આગ્રહ નથી. પણ અમને એમ લાગશે કે આપણા સંબંધોમાં કંઈક ખૂટે છે. આપણી વચ્ચે પહેલેથી જ કોઈ જુદારો નથી, તો તું, આજે કેમ વાત કરતા ખંચકાય છો?`

આ વાત સાંભળી અબ્દુલને થયું કે મિત્રોને વાત તો કરવી પડશે. અબ્દુલ કહ્યું, `કે, એક કૌટુંબિક સંપત્તિ માટે ગેરસમજ અને ઝગડો થયો છે. તમને તો ખબર છે કે અમારામાં સંબંધો અંદરોઅંદરના હોય છે. એટલે હું મુશ્કેલી અને દ્વિધામાં છું, કે કોના પક્ષે રહું. કોઈ એક પક્ષને એમ લાગશે કે મેં બીજા પક્ષની તરફેણ કરી. મારી મોટી મુશ્કેલી એ છે કે હું તટસ્થ રહી શકું તેમ નથી. મારે કોઈપણ એક પક્ષે તો રહેવું જ પડે એવી સ્થિતિ છે. હું કોઈ રસ્તો નથી કાઢી શકતો. આ જ વાત છે.`

`અબ્દુલ, તે ભૂતકાળમાં અમારે પણ આવા નાના મોટા ઝગડા થયા હતા ત્યારે તે અમને મદદ કરી હતી. અત્યારે તારી મુશ્કેલીમાં અમારી ફરજ છે કે અમે તને મદદ કરીએ. તું, જો હા કહે તો અમે તારા ઘરે આવી બધાંને સમજાવીએ. કદાચ કોઈ રસ્તો મળી આવે અને ઝગડાની પતાવટ થઈ જાય.`

`તમે આવો તેમાં મને કોઈ વાંધો નથી. પણ મારા ઘરના નહીં માને.` 

`તું, અમને પ્રયત્ન તો કરવા દે. પછી જેવી ઉપરવાળાની ઇચ્છા.`

મુકેશ, ખીમજી અને ઉમેશ અબ્દુલને ઘરે ભેગા થયા. બધાંને સમજાવ્યા પણ કોઈ રસ્તો નીકળતો ન દેખાયો. ખીમજીએ કહ્યું, `તમને તો ખબર છે કે અમે ચારેય મિત્રો જુદીજુદી દિશામાંથી આવીને જેમ ચાર રસ્તા મળીને ચોક બને એમ અમે ચારેય એક ચોકમાં ભેગા થયા અને સંબંધનું એક બિંદુ બનાવી નાખ્યું. એ બિન્દુનાં અવિભાજ્ય અંગ બની ગયા. જ્યાંરે તમે તો એક જ માર્ગના મુસાફર છો. એક જ કુટુંબમાંથી આવીને ભેગા થયા છો. તો પછી આ ગેરસમજ અને ઝગડો શા માટે? અને તે પણ સંપત્તિ માટે? અમે ત્રણ તો તમને સમજાવવા માટે, સલાહ સૂચન કે માર્ગદર્શન આપવા માટે બહુ જ નાના છીએ. છતાં અમારી જે સમજણ છે એ અમે પ્રદર્શિત કરી આગળ તમારી જેવી ઇચ્છા.`

બધાંને ખીમજી અને મિત્રોની વાતમાં તથ્ય લાગુ અને થોડું ઘણું જતુ કરી ઝગડાનો સંતોષજનક ઉકેલ કરી નાખ્યો. અબ્દુલે ત્રણેય મિત્રોનો આભાર માન્યો. ઉમેશે કહ્યું,`અબ્દુલ, આપણા સંબંધો એવી ઊંચાઈએ પહોંચી ગયા છે કે જ્યાં આભાર માનવાની ઔપચારિકતાની જરૂર જ નથી. આ તો અમારી ફરજ હતી. તારી મુશ્કેલી એ અમારી મુશ્કેલી હતી.`

અબ્દુલના અબ્બાએ કહ્યું, `મારે તમારી ચારેયની મિત્રતાને એક નામ આપવું છે.` ચારેયે અબ્દુલના અબ્બા સામે જોયું.

`આજથી તમારી આ મિત્રતા “સુ-મેળ ચોકડી”ના નામથી ઓળખાશે અને સમાજમાં તેના દાખલા દેવાશે.`

બધાંએ સુ-મેળ ચોકડી નામને તાળીઓના ગગડાટથી વધાવી રૂમને ગજાવી દીધો.

(ભાવનગર)
e.mail : Nkt7848@gmail.com

Loading

ફ્રેની નોશિર જીનવાલા [1932 – 2023]

વિપુલ કલ્યાણી|Ami Ek Jajabar - Ami Ek Jajabar|2 March 2026

ફ્રેની જીનવાલા

હજુ તો એ નવાં નિશાળિયાં જ હતાં. અને તેમ છતાં એમણે ગજા ઉપરાંતની જવાબદારી હાથમાં લીધી. ડરબનમાંની હિન્દવી જમાતને ધ્યાનમાં રાખીને વકીલાતનો વ્યવસાય એમણે આદર કરેલો. હજુ વ્યવસાયને કોઈ મજબુતાઈ મળે ન મળે તે પહેલાં એમની રાષ્ટૃભાવના પ્રજવળિત થતી લાગી. દક્ષિણ આફ્રિકાની રંગભેદી સરકારે, તે વેળાના ત્રાસવાલ વિસ્તારમાં [આજના ગાઉતેન્ગ – Gauteng – નામક વિસ્તારમાં] આવેલા શાપવિલમાં 69 અશ્વેત લોકોને 21 માર્ચ 1960ના ગોળીએ દીધા. એક બાજુ, ‘આફ્રિકન નેશનલ કાઁગ્રેસ’ને સમાજ-બહિષ્કૃત કરવામાં આવ્યો. તો બીજી પાસ, હજારો આફ્રિકીઓને કટોકટીનો લાભ લઈને ગોરી સરકારે અટકમાં લીધા. કોઈ ઘણીઘૂરી હતું નહીં, તેવે વખતે, ફ્રેની જીનવાલાએ આગળ આવી રાષ્ટૃભાવના જગવવાનો મનસૂબો કર્યો.

ફ્રેની જીનવાલા એટલે પ્રજાસત્તાક દક્ષિણ આફ્રિકાની રાષ્ટૃીય સંસદનાં પહેલવહેલાં સ્પીકર. જાણીતાં સ્વાતંત્ર્યસૈનિક. નીડર પત્રકાર તેમ જ જાણીતાં લેખિકા. એમણે ‘ઇન્ડિયન સાઉથ આફ્રિકન્સ (માયનોરિટી રાઇટ્સ ગ્રુપ રિપોર્ટ નં. 34’); ‘વીમેન એન્ડ ધ લિબરેશન ઑવ્‌ આફ્રિકા’ તેમ જ ‘ધ પ્રેસ ઇન સાઉથ આફ્રિકા’ જેવાં પુસ્તકો આપ્યાં છે. 

ફ્રેનીબહેન હજુ સુધી ‘સલામતી’ પોલીસને ચોપડે નોંધાયાં હતાં જ નહીં, તેથી એમને અજ્ઞાત રહેવાનો કિંમતી લાભ રહેતો હતો. ‘આફ્રિકન નેશનલ કાઁગ્રેસ’ના ત્રણ મુખ્ય આગેવાનો પૈકી એક, વૉલ્ટર સિસુલુએ, આથીસ્તો, એમને કોઈ એક પડોશી રાજ્યમાં પહોંચવા ભૂગર્ભ માર્ગ ગોઠવી આપવા કહ્યું. અને એ વખતના સર્ધન રોહ્ડેશિયામાં [હાલે ઝિમ્બાબ્વેમાં] ઓલિવર ટામ્બોને પહોંચાડી દેવાનો કારસો કર્યો. અને પછીના સમયમાં તો લાગલા આફ્રિકન નેશનલ કાઁગ્રેસની આખી આગેવાનીને આવરદા ભર જેલ ભેગા કરી દેવાયા હતા. અને તેથી આંદોલન માટે ટામ્બો દેશ બહાર હતા તે બહુ જ જરૂરી ઘટના બની રહી.

દક્ષિણ આફ્રિકાના વિસ્તારે વિસ્તારે નાતાલ ઇન્ડિયન કાઁગ્રેસના આગેવાનોને લઈ જવાનું કામ માથે લીધું. સરકારની આ દમનકારી નીતિરીતિને કારણે જેલવાસ ભોગવતા આઝાદીના અસંખ્ય સિપાહીઓનાં પરિવારોને ભૂખ્યા રહેવાનું ન થાય, તે સારુ ભંડોળ એકઠું કરવાનું આ કામ રહેતું. વળી, પોલીસની નજરમાં આવી ગયેલા કેટલાક કર્મશીલ આગેવાનો માટે સંતાઈને રહેવા સારુ સલામત રહેઠાણની તજવીજ કરવાનું પણ આ કામમાં સામેલ રહેતું.  

ફ્રેનીબહેનનું પગેરું પોલીસના હાથમાં આવી ગયું તે પછી, સન 1960ના પાછોતરા વરસમાં ફ્રેની જીનવાલા, તે દહાડાના ટૅન્ગાનિકાના મુખ્ય શહેર દારેસલ્લામ જવા છટકી ગયાં. ટૅન્ગાનિકા હજુ ટૅન્ઝાનિયા થયું નહોતું. આફ્રિકન નેશનલ કાઁગ્રેસનું પહેલવહેલું પરદેશે થાણું ઊભું કરવામાં ઓલિવર ટામ્બોને ફ્રેનીબહેન ત્યાં સહાયક નીવડ્યા હતાં. વળી, રોનાલ્ડ સેગલ, યુસૂફ દાદુ પણ ટૅન્ગાનિકા પહોંચી ગયા હતા. સમય જતાં, એમણે દાવો કરેલો કે દક્ષિણ આફ્રિકાની પરદેશેમાં જેટલી એલચી કચેરીઓ હતી, તેનાથી ક્યાં ય વધારે આંદોલન માટેનાં થાણાં હતાં.  

જુલિયસ ન્યરેરે જોડે ફ્રેની જીનવાલા

અહીંથી એમણે ‘સ્પીઅરહેડ’ {Spearhead} નામક સામયિક શરૂ કર્યું. પરંતુ એમનો નિખાલસ અને સ્પષ્ટ અવાજ સત્તાવાળાઓને ફાવ્યો નહોતો. તેથી એમને દેશ છોડી દેવાનું કહેવામાં આવ્યું. પરંતુ થોડાક જ વખતમાં દેશના પ્રથમ રાષ્ટૃપતિ જુલિયસ ન્યરેરેએ પાછા વળવા કહેણ મોકલ્યું અને ‘સ્ટાન્ડર્ડ” [Standard] નામે દેશનું અંગ્રેજી અખબાર સંપાદન કરવા સૂચવ્યું. પરંતુ ફરી એક વખત એમની કલમ આકરી લાગવા માંડી અને એમને વધુ એક વાર દેશવટો અપાયો. આમ પરદેશે દેશપાર થયેલાં, ફ્રેનીબહેન ઝામ્બિયા, મોઝામ્બિક, ટૅન્ઝાનિયા તેમ જ યુનાઇટેડ કિંગ્ડમ સમેત દેશપારી વસવાટના કુલ મળીને 30 વરસો લગી દક્ષિણ આફ્રિકાની બહાર હતાં. આ સમય વેળા એમણે ય દેશપરદેશમાં આફ્રિકન નેશનલ કાઁગ્રેસનો અવાજ બુલંદ રાખેલો. સન 1990 વેળા એ પોતાને વતન પાછાં વળ્યાં અને દેશમાં લોકશાહી સ્થપાય તે માટે વાટાઘાટોમાં અગ્રેસર બની રહ્યાં.

•••

ફ્રેની જીનવાલાનો જન્મ જ્હોનિસબર્ગમાં એક પારસી પરિવારમાં 25 ઍપ્રિલ 1932ના થયો.  કહે છે કે એમના દાદા મુંબઈથી આશરે 1890 દરમિયાન દક્ષિણ આફ્રિકે લીલાં ચરિયાણની ફિકરમાં આવ્યા હોય તેમ જાણવા મળે છે. ફ્રેનીબહેનના પિતા નસરવાનજી જીનવાલા અને માતા બાનૂ ખમતીધર હતાં. પરિણામે આરંભનું શિક્ષણ જ્હોનિસબર્ગના હિન્દવી વિસ્તાર ફૉર્ડ્સબર્ગમાં લીધાં બાદ, માધ્યમિક શિક્ષણ માટે એમને હિંદ મોકલી આપવામાં આવેલાં. યુનિવર્સિટી ઑવ્‌ લંડનમાં કાયદાનો અભ્યાસ કર્યો અને ઈન્નર એમ્પલમાંથી બેરિસ્ટરની ડિગ્રી હાંસલ કરેલી. અને પછી ઑક્સફર્ડમાંથી ડૉક્ટરેટ થયાં, અને વળી, લીનેકર કૉલેજમાં માનદ્દ ફેલૉ તરીકે ય સેવા આપેલી.

અમેરિકાના જ્યોર્જ ડબલ્યૂ. બૂશ પ્રેસિડેન્શિયલ સેન્ટર માટે ‘ફ્રીડમ કલેક્શન’ નામક ઇન્ટરવ્યૂની શ્રેણી અંતર્ગત મુલાકાત આપતાં ફ્રેની જીનવાલા કહેતાં હતાં, તમે જે કંઈ કરો તેને રાજકારણની પીછવાઈ લાગી જ હોય તેમ જાણવું − તમે ક્યાં રહો છો, તમે કઈ નિશાળે ભણવા જઈ શકો છો, દરિયા કાઠે તમે હરવા-ફરવા-રમવા જઈ શકો છો. રમતગમતનાં મેદાનોમાં રમવા જઈ શકો છો. તમે તો તેમ શકતા નથી કેમ કે તે તેમ જ તેવી સવલતો માત્ર ને માત્ર શ્વેત લોકો માટે જ છે. આમ રાજકારણના સવાલો અડવાના, નડવાના. પરંતુ ધીમે ધીમે અમે રાજકીય રીતે પ્રવૃત્ત થતાં રહ્યાં. અને તે ય કાઁગ્રસયુક્ત આંદોલનમાં. એ ઇન્ડિયન કાઁગ્રેસ હોય કે પછી આફ્રિકન નેશનલ કાઁગ્રેસ હોય. એ દિવસોમાં વ્યક્તિગત સભ્ય બનવાનું વિચારાતું નહીં. દરેક વખતે પ્રતિનિધિમંડળ મોકલવાનું હોય કે આ કે તે સવાલ માટે જાહેર સભા થતી હોય અને તેમાં હાજર રહેવાનું થાય. આમ કોમનો મોટો વર્ગ આવી સભાબેઠકોમાં હાજરી આપે તેમ જ બનતું.

ઇન્ડિયન કાઁગ્રેસનું આંદોલન પ્રાંતીક સ્તરે 1894માં શરૂ થયેલું. દક્ષિણ આફ્રિકામાં વસતી લઘુમતી પ્રજાના હક, અધિકાર માટે આ આંદોલન ચલાવાતું. 1920 સુધીમાં તો વિવિધ આંદોલનો માટે સાઉથ આફ્રિકન ઇન્ડિયન કાઁગ્રેસના વડપણ હેઠળ કામગીરીઓ ચલાવવામાં આવતી. અને આફ્રિકન નેશનલ કાઁગ્રેસનું સ્વરૂપ તો રાજકીય પક્ષનું હતું; અને સરકારની રંગભેદની નીતિરીતિ સામે ઝીક લેતાં લેતાં તેણે કામગીરી કરવાની રહેતી. કેટલીક વખત તો તેની લશ્કરી પાંખ, ‘ઉમકોન્તો વે સિઝવે’ [Umkhonto we Sizwe] હેઠળ હિંસક માર્ગ પણ અખત્યાર કરવામાં આવતો.      

સન 1996માં લેવાયેલી આ છબિ છે. દક્ષિણ આફ્રિકાના કેઇપ ટાઉન નગરમાં સંસદ ભવનના શુભારંભ ટાંકણે લેવાયેલી આ છબિમાં (ડાબેથી) સિરીલ રામફોસા, ઝાનેલે મ્બેકી, થાબો મ્બેકી, ફ્રેની જીનવાલા, નેલસન મન્ડેલા, કોબી કોયેત્સી તેમ જ એફ.ડબલ્યુ. દ’ ક્લર્ક દૃશ્યમાન છે.      

એક વાર, સન 1970ના પાછોતરા દાયકા વેળા, ફ્રેની જીનવાલા યુનાઇટેડ કિંગડમમાં કાયમી રૂપે સ્થળાંતર કરી ગયેલાં, ત્યારે સમજદારીપૂર્વક ઓલિવર ટામ્બોએ એમના પોતાના દફતરમાં રાજકીય સંશોધનકામના વિભાગના વડા તરીકે ફ્રેનીબહેનની નિમણૂંક કરી દીધેલી. એમનાં કૌશલ્યને જાણે કે બળ મળ્યું. લેખનપટ્ટી, નભોવાણી (બ્રોડકાસ્ટીંગ), જાહેર સભાબેઠકને સંબોધન, આંતરરાષ્ટૃીય સંયુક્ત મહાસભા જેવાં વૈશ્વિક મંડળોમાં આવશ્યક રાજદ્વારી કામોની કુશળતા, જ્યાં જ્યાં ઉપજતું હોય તેવાં પ્રભાવક સ્થાનકોમાં જઈ આવી આંતરરાષ્ટૃીય વ્યૂહરચનામાં દક્ષિણ આફ્રિકાનું ભૌગોલિક સ્થાન તેમ જ અમાપ ખનીજભંડારને કારણે દક્ષિણ આફ્રિકા પર સામ્યવાદીઓ હાવી થઈ જશે એવો એમનો ક્વચિત ભય નાબૂદ કરવા જેવી બાબતોમાં નિપુણતા તેજ બની.

પૂર્વ બ્રિટિશ વડાં પ્રધાન માર્ગરેટ થેચરે નેલ્સન મંડેલાને ‘એકમાત્ર આતંકવાદી’ જાહેર કરવાં છતાં, ખંતીલી પ્રકૃતિને કારણે, કન્સર્વેટિવ વિદેશ પ્રધાન જ્યોફ્રી હાવ ટામ્બોને એક વાર તો મળે તેવી ફ્રેની જીનવાલાએ ગોઠવણ પણ કરેલી. રંગભેદની વિધિવત નાબૂદી થાય તેના આરંભ કાળે, ફ્રેનીબહેને મિત્રો તેમ જ વિરોધીઓને સરખા લેખવાની વલણ દાખવેલી, તેથી સૌ સાથે એમનું વલણ સમથળ રહેતું અને વાદવિવાદ ટાણે ઉન્માદી વલણ અનુભવવા મળતું નહીં. વળી, દેખાવે એ પૂરાં − [très soignée – ટેૃ સ્વા ન્યાય] − સુરુચિયુક્ત સંસ્કારી. સાડીનો છેડો ય સુરુચિપૂર્વક ખભે ટેકવ્યો જ હોય. પરંતુ એમનું મગજ પોલાદી વલણથી ભરપૂર. એમનાં નિજી વર્તૃળમાંથી એક વાર કોઈકે કહેલું સાંભરે છે, ‘દક્ષિણ આફ્રિકામાં લોકશાહીને જડબેસલાખ કરવાની થાય તો આફ્રિકન નેશનલ કાઁગ્રેસ કોઈ પણ જરૂર પગલાં ભરતાં અચકાશે નહીં.’

ફેબ્રુઆરી 1990 વેળા રંગભેદી શાસનના પ્રમુખ એફ.ડબલ્યુ. દ’ ક્લાર્કે આઝાદીની ચળવળ માટે જે કોઈ આંદોલન કે સંસ્થા પર પ્રતિબંધો લદાયેલાં તે ઊઠાવી લેવાની જાહેરાત કરતાં, ફ્રેનીબહેન જીનવાલા વતન પાછાં ફર્યાં હતાં. નેલ્સન મંડેલાના દફતરમાં પરિણામે એમની તત્કાળ નિમણૂંક કરવામાં આવી. આમ 1991 – 1994 દરમિયાન, ફ્રેનીબહેન આફ્રિકન નેશનલ કાઁગ્રેસના સંશોધન વિભાગનાં વડાં તરીકે સેવાઓ આપતાં રહ્યાં. સન 1992 વેળા એમણે રાષ્ટૃીય સ્તરે ‘કોન્સ્પિરેસી ઑવ્‌ વિમેન’ નામે દરેકને સાંકળતું એક જૂથ ઊભું કર્યું. રંગભેદ વિહોણું બંધારણ ઘડતી વેળા, વાટાઘાટમાં મહિલાઓ માટેની વિગતો શરતચૂકે હાંસિયામાં ધકેલી દેવાય નહીં, તે ધ્યાને લઈ જાતભાતની રાજકીય વિચારધારા ધરાવતી સંસ્થાઓને અને વ્યક્તિઓને, વિવિધ ધર્મમંડળોને, કામદાર મંડળોને તેમ જ નાગરિક સમાજને એક છત્તર હેઠળ એકઠાં કરવાનું એમણે કેન્દ્રગામી રાખેલું. થયું તેમ જ, મહિલાઓની વાતને કોરાણે હડસેલી મુકવામાં આવી. મહિલાઓ પ્રત્યે હિંસાચારના દાખલાઓને પણ ચૂકી જવાયું છે.

આ વ્યાયામથી એટલું પાકું થયું કે જીનવાલા ઉપરાંત બીજી બે મહિલાઓની કામગીરી બાબત ભવિષ્યના રાષ્ટૃપતિ મન્ડેલાને જાણકારી મળતી થઈ. પરંતુ ‘સોહામણાં અને જવાન પારસી મહિલા’ [“a beautiful young Parsee woman”] સરીખાં એમનાં ઉચ્ચારણોથી મન્ડેલાની છાપ મેલી બની તેમ જ ખરડાઈ ચૂકી. ફ્રેની જીનવાલાએ આશ્ચર્ય સહ પૂછી પાડ્યું, મન્ડેલાના ભાવિ ઉત્તરાધિકારી થાબો મ્બેકીને આથી કહી શકાય : ‘ફૂટડા યુવાન ખોસા [Xhosa] પુરુષ’ [“a handsome young Xhosa man”].

ઍપ્રિલ 1994માં થયેલી પહેલવહેલી લોકશાહીમૂલક ચૂંટણીમાં ફ્રેની જીનવાલા દક્ષિણ આફ્રિકાની સંસદ માટે ચૂંટાયેલાં જાહેર થયાં. અત્યાર સુધીની કામગીરીનો ચીલો જોતાં, આફ્રિકન નેશનલ કાઁગ્રેસની આવડી મોટી બહુમતી મળી, એ પછી ફ્રેની જીનવાલા સંસદના સ્પીકર પદે નિયુક્ત ન થાય તો જ નવાઈ લાગે. અહીં પણ એમણે વ્યાજબીપણું પૂરી શિસ્ત સાથે જાળવી રાખ્યું. મુખ્યત્વે શ્વેત લોકોનો ટેકો જાળવતા ‘ડેમોક્રેટિક અલાયન્સ’ના નેતા ડગ્લાસ ગિબસન કહેતા હતા તેમાં વજૂદ છે : ‘નાના નાના પક્ષોના પ્રતિનિધિઓને પણ ઉચિત માન આપવામાં આવે અને દરેક ચર્ચા બેઠકમાં, વિષયવાર સમિતિઓમાં તેમ જ અન્ય સમિતિઓમાં પણ એમને સાંભળવામાં આવે એવો તેમનો રવૈયો રહેતો.’

આ પદેથી એમણે દાયકાની સેવાઓ આપી, અને પછી સન 2004માં નિવૃત્ત થયાં. સંયુક્ત રાષ્ટૃ સંઘ તેમ જ બીજીત્રીજી આંતરરાષ્ટૃીય સંસ્થાઓ વાટે સરસ હકૂમત જળવાય તેમ જ માનવીય અધિકારો સારુ સક્રિયપણે એ ઉત્તેજન આપતાં રહ્યાં. સન 2005થી યુનિવર્સિટી ઑવ્‌ ક્વાઝુલુ નાતાલના કુલપતિ પદે પણ એક સત્ર માટે રહ્યાં હતાં. વળી, નેલ્સન મન્ડેલા ફાઉન્ડેશનનું એક સ્થાપક ટૃસ્ટીપદ પણ જાળવ્યું હતું. 

ફ્રેની જીનવાલાનો દેહાન્ત 12 જાન્યુઆરી 2023ના થયો હતો. દક્ષિણ આફ્રિકાના સાંપ્રત રાષ્ટૃપતિ સિરિલ રામફોસાએ એમને અંજલિ આપતાં કહેલું, ‘દક્ષિણ આફ્રિકાના નાગરિકોને જે અધિકારો પ્રાપ્ત થયા છે તેમ જ ભૌતિક સુખસગવડ ભોગવવાને મળ્યા છે, તેનો પ્રાથમિક યશ ડૉ, જીનવાલાની નેતાગીરી હેઠળ લોકશાહીમૂલક સંસદના ઉદ્દઘાટન સમારોહ વેળા અપાયેલાં વક્તવ્યો છે.’        

30 જાન્યુઆરી 2023ના “ધ ગાર્ડિયન”માં પ્રગટ ડેનિસ હર્બસ્ટીન લિખિત ‘ઓબિચ્યુરી’નો આધાર લઈ કરેલો ગુજરાતી અનુવાદ. ઉપરાંત ઈન્ટરનેટ પરની વિવિધ સામગ્રીઓનો આધાર)

02 માર્ચ 2026 
હેરૉ, યુનાઇટેડ કિંગ્ડમ
E.mail : vipoolkalyani.opiniopn@btinternet.com

Loading

આ વખતે NCERTમાં હોળી થોડી વહેલી પ્રગટી…

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|2 March 2026

રવીન્દ્ર પારેખ

આમ તો આજે હોળી છે, પણ તે નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રીસર્ચ એન્ડ ટ્રેઇનિંગ (NCERT)માં થોડી વહેલી પ્રગટી છે ને તે પ્રગટાવી છે સુપ્રીમ કોર્ટે. સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તની અધ્યક્ષતામાં બનેલી જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની બેન્ચે NCERTના ધોરણ 8નાં સામાજિક વિજ્ઞાનના પુસ્તક પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો છે ને એવી તાકીદ કરી છે કે બજારમાંથી, સ્કૂલોમાંથી, વ્યક્તિ-વિદ્યાર્થીઓ પાસેથી, જ્યાં જ્યાં પહોંચી શકે એ બધી જ જગ્યાએથી પુસ્તક પાછું ખેંચી લેવામાં આવે. આટલું બધું કરવાની સુપ્રીમને જરૂર કેમ પડી, તો તેનો જવાબ એ કે ધોરણ 8નાં સામાજિક વિજ્ઞાનનાં પ્રકાશિત નવાં પુસ્તકમાં એક પ્રકરણ હતું ‘ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર’ કરીને, તે તરફ સિનિયર એડવોકેટ કપિલ સિબ્બલ અને મનુ સિંઘવીએ સુપ્રીમનું ધ્યાન દોર્યું કે આ પ્રકરણ – ન્યાયતંત્રના ભ્રષ્ટાચાર વિષે – ધોરણ 8ના કુમળા મગજવાળા વિદ્યાર્થીઓને શીખવાઈ રહ્યું છે ને એમ ન્યાયતંત્ર વિરુદ્ધ વિદ્યાર્થીઓમાં પૂર્વગ્રહ ઉપસાવાઈ રહ્યો છે. આ વાતની મીડિયા દ્વારા પણ સુપ્રીમને ખબર પડી ને મીડિયાએ ભજવેલી તેની ભૂમિકા સંદર્ભે સુપ્રીમે તેનો આભાર પણ માન્યો. સુપ્રીમે સુઓ મોટો નોંધ લઈને-CJI સૂર્યકાંતે સંબંધિત પ્રકરણ બાબતે ભારે આક્રોશ ઠાલવ્યો છે. સુપ્રીમના સિનિયર એડવોકેટ સિબ્બલે સુપ્રીમનું એ મુદ્દે પણ ધ્યાન દોર્યું કે રાજકારણ, અમલદારશાહી અને અન્ય સંસ્થાઓમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે કોઈ વાત સંબંધિત પ્રકરણમાં નથી. એ જ સૂચવે છે કે ભ્રષ્ટાચાર ન્યાયતંત્રમાં જ છે (ને બીજે નથી)-

અહીં સવાલ એ થાય કે પુસ્તકમાં, અન્ય ક્ષેત્રોમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે વાત થઈ હોત, તો કોર્ટમાં ચાલતા ભ્રષ્ટાચાર પર પડદો પડી ગયો હોત? કોર્ટોમાં ભ્રષ્ટાચાર ચાલે છે, તેનો બચાવ હોઈ શકે નહીં. પુસ્તકમાં પેન્ડિંગ કેસોનો ઉલ્લેખ પણ છે. સુપ્રીમમાં જ 81 હાજર કેસો પેન્ડિંગ છે, જ્યારે હાઈકોર્ટમાં એ આંકડો 62,40,000નો છે. એટલે કે પ્રકરણમાં વિગત દોષ નથી, પણ માત્ર કોર્ટના જ ભ્રષ્ટાચારને આગળ કરાયો એટલે સુપ્રીમને ચાટી ગઈ છે.

આ આક્રોશ વાજબી પણ છે, કારણ તેમાં પેન્ડિંગ કેસ અંગે ટિપ્પણી છે તો, પૂર્વ CJIનો ઉલ્લેખ પણ છે. CJI સૂર્યકાન્તે કહ્યું કે કોઈને પણ ન્યાયતંત્રને બદનામ કરવાની મંજૂરી આપી શકાય નહીં ને હું પોતે આ કેસની તપાસ કરીશ. CJIનું માનવું છે કે આ એક સમજી વિચારીને કરાયેલું ભેદી કાવતરું છે. શિક્ષણ મંત્રાલય વતી સોલીસીટર તુષાર મહેતાએ આ અંગે બિનશરતી માફી માંગી, પણ કોર્ટને એથી સંતોષ નથી થયો. તે એટલે પણ કે NCERTના સત્તાવાર કોમ્યુનિકેશનમાં માફીનો ઉલ્લેખ પણ ન હતો, એટલું જ નહી, જે તે સામગ્રીને સાચી ઠેરવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ચીફ જસ્ટિસે જવાબદાર લોકોની ઓળખ કરવામાં આવશે અને દોષિતોને છોડવામાં નહીં આવે તેવી સ્પષ્ટતા કરતાં NCERTના ડિરેક્ટર અને  સેક્રેટરીને ઝાટકી નાખ્યા હતા, તે ત્યાં સુધી કે તેનાં છાંટા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સુધી ઊડયાં હતાં. આટલું ઓછું હોય તેમ વડા પ્રધાને પણ દખલ કરીને સમગ્ર ષડ્યંત્ર સંદર્ભે કહેવું પડ્યું કે જે કોઈએ પણ આ પ્રકરણ પુસ્તકમાં ઘૂસાડ્યું છે તેની જવાબદારી નક્કી થવી જોઈએ ને તેને કડકમાં કડક સજા થવી જોઈએ. વડા પ્રધાને બહુ મહત્ત્વનો પ્રશ્ન એ ઊભો કર્યો કે ધોરણ 8ના 13-14 વર્ષના વિદ્યાર્થીઓને સંસ્થાગત ભ્રષ્ટાચાર જેવા સંવેદનશીલ વિષયો ભણાવવા જોઈએ?

આ પ્રકરણ ઘૂસાડીને ન્યાયતંત્રના ભ્રષ્ટાચારને વિદ્યાર્થીઓ અને ત્યાંથી વાલીઓ સુધી ને એમ ઘરે ઘરે પહોંચાડવાનું કાવતરું કર્યું હોવાનું સુપ્રીમને લાગ્યું છે. CJI સૂર્યકાન્તે તમામ રાજ્યોના શિક્ષણ વિભાગના મુખ્ય સચિવોને આદેશ આપ્યો છે કે તમામ સ્તરેથી ફિઝિકલ અને ડિજિટલ પુસ્તકો પરત ખેંચાય ને તેનો અમલ થયો છે એવો 15 દિવસમાં રિપોર્ટ કરવામાં આવે. આ પછી પણ કોઈ કન્ટેન્ટનો ફેલાવો કરવાનું ચાલુ રાખશે તો તેને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ ગણવામાં આવશે.

એક વાત સ્પષ્ટ છે કે ધોરણ 8નાં પુસ્તકમાં ન્યાયતંત્રના ભ્રષ્ટાચારનું પ્રકરણ નિર્દોષ ભાવે ઉમેરવામાં આવ્યું નથી. એવું નથી કે પ્રકરણના કેવા ઘેરા પ્રત્યાઘાતો પડશે એનો એ પ્રકરણ સામેલ કરનારને અંદાજ નથી. નાનેથી જ 8માં ધોરણના વિદ્યાર્થીઓમાં ન્યાયતંત્ર અંગે પૂર્વગ્રહ ઊભો થાય એવા હેતુથી આ પ્રકરણ ઉમેરાયું છે, તેવું ન હોત તો અન્ય ક્ષેત્રોમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે પણ વાત થઈ શકી હોત. જો કે, એમ થતાં દેશમાં સર્વત્ર ભ્રષ્ટાચાર જ ચાલે છે એ વાત ઉઘાડી પડી ગઈ હોત ને વિદ્યાર્થીઓમાં આખા દેશના ભ્રષ્ટાચાર અંગે પૂર્વગ્રહ બંધાયો હોત, એટલે શૂળીનું વિઘ્ન કાંટે ગયું હોય, તેમ ન્યાયતંત્રને જ ટાર્ગેટ કરવામાં આવ્યું. એ પણ કેવું કે આવું વિવાદિત પ્રકરણ ટેક્સ્ટબુકમાં છપાઈ જાય, તેનું વિતરણ થાય ને એની સંખ્યા લાખોમાં હોય ને કોઈનું ધ્યાન જ ન જાય? ટૂંકમાં, આ બધું શુદ્ધ બુદ્ધિથી નથી થયું, એટલે આવા મેલા ઈરાદાથી અપરાધ કરનાર જવાબદાર હર કોઈ સજાને પાત્ર છે. ખુદ CJI સૂર્યકાન્તે બાપોકાર જાહેર કર્યું છે કે આવું કરનારનાં અમને નામ આપો, અમે તેની સામે પગલાં ભરીશું. NCERTનાં સંબંધિત અધિકારીઓએ ગોળી ચલાવી ન્યાયતંત્રને લોહીલુહાણ કર્યું છે એટલે તેની સજા તો મળશે જ. નાના બાળકોમાં આવી વાત શીખવવાનું ગુનાહિત કૃત્ય થાય એવો મેલો ઈરાદો રહ્યો છે ને તે સજાને પાત્ર છે.

પુસ્તક પ્રતિબંધિત થયા પછી NCERTએ પુસ્તકો પરત મંગાવ્યાં અને સોશિઅલ મીડિયા પરથી સંબંધિત પોસ્ટ DELETE કરવા કહ્યું. NCERTનાં ડિરેક્ટર દિનેશ પ્રસાદ સકલાની, એ પ્રકરણ કોણે સામેલ કર્યું અને કોણે તેને મંજૂરી આપી તેની તપાસ કરી રહ્યા છે. ડિરેક્ટર સકલાની પણ જવાબદારને છોડવામાં નહીં આવે એવી વાત કરે છે. ડિરેક્ટરના કહેવા મુજબ પુસ્તકની 2.25 લાખ નકલો છપાઈ છે ને માત્ર 38 નકલો વેચાઈ છે. બીજું એ કે આ રીતે છપાતાં પુસ્તકો એકબે લેખક પાસે લખાવાતાં નથી, પણ શું લખવું કે પ્રગટ કરવું તે બે સમિતિઓ નક્કી કરે છે, એટલે આમાં એકલદોકલ નહિ, પણ સમિતિઓ જ જવાબદાર ઠરે. I I T ગાંધીનગરના ગેસ્ટ પ્રોફેસર મિશેલ ડેનિનો આ સમિતિના અધ્યક્ષ છે. ગયે વર્ષે ડેનિનો પર મુગલકાળનો ઇતિહાસ અભ્યાસક્રમમાંથી ઘટાડવાનો આરોપ હતો. એ અંગે કોઈ પગલાં લેવાયાં હતાં કે કેમ તે નથી ખબર, પણ બીજી ભૂલ કરવા તેમને NCERTમાં ચાલુ રખાયા હોય એવું તો લાગે જ છે.

સુપ્રીમે NCERT ડિરેક્ટરને પણ કારણ દર્શક નોટિસ પાઠવીને ખુલાસો કરવા કહ્યું છે, પણ ખાટલે મોટી ખોડ એ છે કે નાક નીચે કારભાર ચાલ્યો ને વાત સુપ્રીમ સુધી પહોંચી, ત્યાં સુધી NCERTને ખબર જ ના પડી. સોલીસીટર જનરલ તુષાર મહેતાએ એ ખુલાસો કર્યો કે આ ચેપ્ટર લખનારા બે લોકો ક્યારે ય યુ.જી.સી. કે અન્ય મંત્રાલયમાં સાથે કામ નહીં કરી શકે. આ ખુલાસાને CJIએ બહુ સામાન્ય ગણાવીને અસંતોષ જાહેર કર્યો છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પણ દુ:ખ પ્રગટ કરી અફસોસ વ્યક્ત કર્યો, પણ CJI સૂર્યકાંત અને આખી બેંચ એથી સંતુષ્ટ નથી. માફી સ્વીકારવી કે નહિ, તે આગળ ઉપર જોઈશું, એવું કહીને સુપ્રીમે ટાઢું પાણી રેડ્યું છે. સુનાવણી હવે 11 માર્ચ પર ગઈ છે. શું થાય છે તે જોવાનું રહે. કમ સે કમ એટલું થવું જોઈએ કે કોર્ટની અવમાનના કરવાથી સંસ્થાઓ ને વ્યક્તિઓ દૂર રહે. અસ્તુ !

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 02 માર્ચ 2026

Loading

...102030...35363738...506070...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved