Opinion Magazine
Number of visits: 10080387
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્ત્રી, લગ્ન, કારકિર્દી, રોલ-કોન્ફ્લિક્ટ, કોર્ટ 

સોનલ પરીખ|Opinion - Opinion|17 June 2026

લગ્ન અને કારકિર્દીનું સંતુલન આજની સ્ત્રીની બહુ મોટી સમસ્યા છે. ભારતનો કાયદો લગ્નને  ભાગીદારી ગણે છે અને સ્ત્રીને કારકિર્દી અને કમાણીનો અધિકાર આપે છે. કમાવા જતી સ્ત્રી હવે અજુગતી નથી લાગતી પરંતુ જો તે પોતાના નિર્ણયમાં અડગ રહે અથવા ઘરની જવાબદારી ઓછી લઇ શકે તો એને ‘પૂર્ણ સ્ત્રી’નું બિરુદ નથી મળતું

સોનલ પરીખ

૪૦ આસપાસની ઉંમરની રીના આમ તો સુખી ગણાય. સારું કમાતો, નિર્વ્યસની અને ફેમિલી-પર્સન કહેવાય એવો પતિ, આઠેક વર્ષનો ધમાલિયો દીકરો, મહાનગરમાં ત્રણ બેડરૂમનો ફ્લેટ, પોતાની પણ સરસ કારકિર્દી – બીજું શું જોઈએ? પણ એ એની માને ઘણીવાર કહે છે, ‘મારે રાત જાગીને મારું કામ કરવું પડે છે. નયન મને રોકતો નથી અને જોઈએ તે બધું હાજર કરે છે એટલું જ. પણ નયનને કામ માટે કદી ઉજાગરા નથી કરવા પડતા. દિવસે પણ એને કામ કરવું હોય ત્યારે એ કરી જ શકે છે. મારે દિવસે ઘર અને દીકરાને જોવાનાં. સાસુસસરા આવે ત્યારે મહિનાઓ સુધી એમનું જોવાનું. રસોઈ અને બીજાં કામ માટે નોકરો છે, તો ય એકસરખો, એકાગ્ર થવાય એવો સમય આ બધામાંથી ફ્રી થાઉં ત્યારે મળે તેટલો મળે. બાકી ઉજાગરા કરવાના. આવું ન હોય ને?’ 

મા પાસે જવાબો છે પણ, નથી પણ. પોતાના સમય કરતાં રીનાની પેઢીનો સમય એને ઘણો સારો લાગે છે. પણ એને કારકિર્દી બનાવતી અને ઘર-કુટુંબ પણ સાચવી લેતી આધુનિક સ્ત્રીઓની સમસ્યા પણ સમજાય છે. નયન શાંત છે, પણ ક્યારેક કહે છે, ‘રીનાને વર્ક-મેનેજમેન્ટ આવડતું નથી. પછી ઉજાગરા કરવા પડે.’ ઘરસંસાર રીનાનાં કેટલાં સમય-શક્તિ ખાઈ જાય છે એ એને નથી સમજાતું. 

લગ્ન અને કારકિર્દીનું સંતુલન આજના યુગની સ્ત્રીની બહુ મોટી સમસ્યા રહી છે, તાજેતરમાં સુપ્રિમ કોર્ટે આપેલા એક ચુકાદાથી આ બાબત નવેસરથી સામે આવી. કેસ અમદાવાદના એક મહિલા ડેન્ટિસ્ટ અને આર્મી ઓફિસર પતિ વચ્ચેના છૂટાછેડાનો હતો. 2009માં લગ્ન થયાં અને આ સ્ત્રી પૂણેમાં ડેન્ટિસ્ટ તરીકે પ્રેક્ટિસ છોડીને કારગિલમાં પતિ સાથે રહેવા ગઈ. પછી દીકરી આવી, એની તબીબી સમસ્યા હતી. સારવાર માટે તે અમદાવાદ આવી અને પછી પોતાના ડેન્ટલ ક્લિનિક (કારકિર્દી) અને બાળકની સારવાર (બાળક બીમાર હતું) માટે અમદાવાદમાં રહેવાનું પસંદ કર્યું. પતિ કારગિલમાં પોસ્ટિંગ પર હતો. સમય જતાં છૂટાછેડા પર વાત આવી. ફેમિલી કોર્ટે પત્નીને ‘ડિઝર્શન’ના આધારે ક્રૂરતા માટે જવાબદાર ગણીને છૂટાછેડા મંજૂર કર્યા. પતિ કે પત્ની કોઈ નક્કર કારણ વગર, એકબીજાની સંમતિ વગર કે એકબીજાના વિરોધ છતાં લાંબો સમય અલગ રહે તેને કાયદાની ભાષામાં ડિઝર્શન કહે છે. તે છૂટાછેડા માટેનું માન્ય અને સ્વીકાર્ય કારણ ગણાય છે.

ગુજરાતની ફેમિલી કોર્ટે અને હાઇકોર્ટે કહ્યું કે, પત્નીની નૈતિક ફરજ છે કે પતિ જ્યાં હોય ત્યાં તેની સાથે રહેવું. કારકિર્દીને પ્રાધાન્ય આપી અલગ રહેવું એ વૈવાહિક ક્રૂરતા છે. સુપ્રિમ કોર્ટના જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મેહતાની બેન્ચે આ અભિગમને અતિ રૂઢિચુસ્ત, પછાત, સામંતવાદી અને પુરુષપ્રધાન કહી પત્ની વિરુદ્ધ ક્રૂરતા અને ડિઝર્શનની નોંધ રદ્દ કરી. છૂટાછેડા યથાવત રાખ્યા, પરંતુ તે ‘ક્રૂરતા’ના આધારે નહીં, પરંતુ ‘ઇરરિટ્રાઈવેબલ બ્રેકડાઉન ઑફ મેરેજ’ એટલે કે લગ્નમાં પડેલા કાયમી ભંગાણના આધારે. વધારામાં જણાવ્યું કે પત્ની પતિના ઘરની કોઈ ‘એપેન્ડેજ’ એટલે કે વધારાની વસ્તુ નથી. તેને પોતાની અલગ ઓળખ અને વ્યાવસાયિક આકાંક્ષાઓ હોય છે. પત્ની દાસી નથી, જીવનસાથી છે. પતિએ પત્નીની કારકિર્દી અને સ્વપ્નો પર ગર્વ અનુભવવો જોઈએ, ન કે તેને છૂટાછેડાનું કારણ બનાવવું જોઈએ. પત્ની પોતાની કારકિર્દી બનાવવા માટે પતિથી અલગ રહે અથવા ઘરકામ ન કરે, તો તેને ‘ક્રુઅલ્ટી’ કે ‘ડિઝર્શન’ ન ગણી શકાય. જો ભૂમિકા ઊલટી હોત, તો પતિ પાસેથી એવી અપેક્ષા ન રખાત કે તે પોતાની કારકિર્દી છોડી દે. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતા ભારતની સર્વોચ્ચ અદાલતના માનનીય ન્યાયાધીશો છે. તેમની બેન્ચે ઘણા મહત્ત્વપૂર્ણ કેસોની સુનાવણી કરી છે, જેમાં કૌટુંબિક કાયદા, લગ્ન, અને કોર્પોરેટ બાબતો સંબંધિત નિર્ણયો સામેલ છે.

આ ચુકાદો ભારતમાં કામ કરતી મહિલાઓના અધિકારોને મજબૂત કરે છે અને સ્ત્રીઓને લગ્નજીવનમાં પોતાની વ્યાવસાયિક આકાંક્ષાઓ પૂરી કરવા માટે પ્રોત્સાહિત કરે છે. આ ચુકાદા દ્વારા સુપ્રિમ કોર્ટે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, સ્ત્રી-સશક્તિકરણના આ યુગમાં પત્નીની વ્યવસાયિક સફળતાને પતિ કે સાસરી પક્ષની લાગણી દુભાવનારું કૃત્ય માનવું એ કાયદાકીય રીતે અસ્વીકાર્ય છે. ૨૧મી સદીમાં પણ, જો કોઈ સક્ષમ મહિલાના કેરિયર બનાવવાના નિર્ણયને વૈવાહિક ક્રૂરતા ગણવામાં આવે તો તે ખૂબ જ ચિંતાજનક છે. મદ્રાસ હાઈકોર્ટે પણ ગયા વર્ષે એક ચુકાદો આપ્યો હતો કે પત્ની દ્ધારા પોતાની કારકિર્દી અને શિક્ષણને પ્રાથમિકતા આપવી અને પતિ સાથે તેના કાર્યસ્થળ પર જવાનો ઇનકાર કરવો તે ક્રૂરતા ગણાશે નહીં. આમ ભારતનો કાયદો સ્પષ્ટ કહે છે કે લગ્ન ભાગીદારી છે, ગુલામી નહીં. સ્ત્રીને કારકિર્દી અને કમાણીનો અધિકાર છે. પતિ અથવા સાસરા પક્ષ દ્વારા તેને નોકરી કરતા રોકવી તે માનસિક ઉત્પીડન ગણાઈ શકે છે. 

કેરિયર વુમન એટલે એવી સ્ત્રી જે પોતાનાં વ્યાવસાયિક વિકાસ, કાર્યક્ષેત્રમાં સફળતા અને આર્થિક સ્વાતંત્ર્યને અગ્રિમતા આપતી હોય. આ શબ્દ અમેરિકામાં ૧૯૩૦ આસપાસ વપરાવો શરૂ થયો. વધુ શિક્ષણ સ્ત્રીના શરીર અને મન માટે ખરાબ છે એવું ત્યારે મનાતું. ૧૯૦૦ના દાયકામાં અમેરિકામાં લગ્ન પછી કમાતી સ્ત્રીઓની સંખ્યા સોએ એક હતી. ૧૯૫૦ના દાયકામાં, કારકિર્દીમાં રસ ધરાવતી સ્ત્રીઓને અસામાન્ય અને અવ્યવસ્થિત બંને રીતે વર્ણવવામાં આવતી અને તેના સ્ત્રીત્વને નકારાત્મક રીતે જોવામાં આવતું. ૧૯૯૦માં ૭૦ ટકા મહિલાઓ જુદા જુદા ક્ષેત્રોમાં કામ કરતી થઈ, પણ વેતનમાં તફાવત સાથે. વેતનમાં તફાવતનો એક લાંબો ઇતિહાસ છે અને વર્તમાન પણ. આજે પણ, આખી દુનિયામાં પુરુષો જેટલી જ નોકરી અને જવાબદારીઓ ધરાવતી મહિલાઓને ઓછો પગાર મળે છે.

ભારતમાં ઘણીબધી સ્ત્રીઓ શિક્ષિત અને આર્થિક રીતે આત્મનિર્ભર છે, પણ આર્થિક નિર્ણયો ભાગ્યે જ લે છે. પિયરમાં જરૂર પડે તો પોતાની આવક વાપરી શકતી નથી. મા બન્યા બાદ નોકરી છોડતી સ્ત્રીઓની સંખ્યા ૭૦ ટકા જેટલી છે. ઘરકામને એક તરફ અનિવાર્ય અને બીજી તરફ નકામું, બિનઉત્પાદક ગણવામાં આવે છે. 

પુરુષ ઘર ચલાવે અને સ્ત્રી ઘર સાચવે – આપણી આ મૂળભૂત વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આપણા સામાજિક નિયમો અને કાયદા ઘડાયા છે. ભારતના અંદાજે ૬૦ ટકા વિસ્તારમાં સ્ત્રીની નોકરી પરવાનગીનો વિષય છે. કમાવા જતી સ્ત્રી હવે અજુગતી નથી લાગતી પરંતુ જો તે પોતાના નિર્ણયમાં અડગ રહે અથવા ઘરની જવાબદારી ઓછી લઇ શકે તો એને ‘પૂર્ણ સ્ત્રી’નું બિરુદ નથી મળતું. વર્કિંગ વુમનને સતત એક પ્રકારનું ગિલ્ટ-અપરાધભાવ રહે એવું વાતાવરણ લગભગ બધે છે. 1990 પછી જન્મેલી પેઢીના પુરુષો ડાયપર બદલવા, ગ્રોસરી લાવવી કે ઘરનાં અન્ય નાનાંમોટાં કામમાં સાથ આપતા થયા છે, પણ જોઈએ એટલી જવાબદારીથી નહીં. ‘રોલ કોન્ફ્લિક્ટ’નો યોગ્ય ઉકેલ હજી મળ્યો નથી.

સમસ્યા ઊભી થાય ત્યારે સૌથી પહેલી જરૂરિયાત એકબીજા સાથે વાત કરવાની હોય છે. કમનસીબે મોટા ભાગના લોકો આવા સંજોગોમાં વાત કોઈ ત્રીજા માણસને કરે છે. ત્રીજો માણસ પોતાની સમજણ પ્રમાણે સાચીખોટી સલાહ આપીને લગ્નને તૂટતાં અટકાવે છે કે પછી તોડે છે. એને બદલે જરૂર પડે તો નિષ્ણાતની મદદ લો. ન્યાયી રીતે લડો. એકબીજા પર નહીં, સમસ્યા પર હુમલો કરો. મતભેદોની ચર્ચા કરો, ખામીઓની નહીં. 

લગ્ન એક પસંદગી છે. જોડાતા પહેલા બાળકો, આવક, વડીલો, ઘરકામ જેવી બાબતો વિગતે ચર્ચી લો અને સંમત થવાય પછી જ સંસાર માંડો. લગ્નમાં પ્રેમ અનિવાર્ય છે. સાથીના વ્યક્તિત્વ અને સ્વતંત્રતાનો આદર થાય તો જ પ્રેમ ટકે, લગ્ન સાર્થક થાય.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 24 મે  2026

Loading

નવા યુગના અગ્રદૂત રાજા રામમોહન રૉય  

સોનલ પરીખ|Opinion - Opinion|16 June 2026

ભારતમાં નવજાગૃતિની, ક્રાંતિકારી પરિવર્તનની શરૂઆત રાજા રામમોહન રાય દ્વારા થઈ. સતીપ્રથાનો અંત આણનાર આ દિગ્ગજ સમાજસુધારકની પ્રતિભા આશ્ચર્ય થાય એટલી વિરાટ અને સમય કરતાં ખૂબ આગળ હતી. ગુરુદેવ ટાગોર અને મહાત્મા ગાંધી જેવી પ્રતિભાઓ પર પણ તેમનો પ્રભાવ હતો.

રેનેસાં (નવજાગૃતિ) શબ્દ સાથે ૧૪મીથી ૧૬મી સદી દરમિયાન યુરોપમાં કળા, સાહિત્ય, વિજ્ઞાન અને વિચારધારામાં આવેલા ક્રાંતિકારી પરિવર્તનનો ઇતિહાસ તાજો થાય. ભારતમાં નવજાગૃતિની, ક્રાંતિકારી પરિવર્તનની શરૂઆત ૧૮મી સદીમાં બંગાળમાં આધુનિક ભારતના જનક ગણાતા રાજા રામમોહન રાય દ્વારા થઈ. સતીપ્રથાનો અંત આણનાર આ દિગ્ગજ સમાજસુધારકની પ્રતિભા આશ્ચર્ય થાય એટલી વિરાટ અને સમય કરતાં ખૂબ આગળ હતી. ગુરુદેવ ટાગોર અને મહાત્મા ગાંધી જેવી પ્રતિભાઓ પર પણ તેમનો પ્રભાવ હતો. ૨૧ મેએ એમનો જન્મદિન છે. પૂરી નમ્રતા અને પૂરા આદર સાથે એમને ઓળખવાનો પ્રયત્ન કરીએ.  

ત્યારે ભારતમાં અને દુનિયાના ઘણા દેશોમાં બ્રિટિશ શાસન હતું. એનું મોટું કારણ એ હતું કે રેનેસાં સાથે આવેલા ઔદ્યોગીકરણનો બ્રિટને સૌથી પહેલા સ્વીકાર કર્યો હતો. પણ બીજા દેશોની જેમ ભારતમાં પણ બ્રિટનની નીતિ દેશને પછાત અને પરંપરામાં જકડાયેલો રાખવાની રહી કેમ કે એને એમાં જ ફાયદો હતો. આવા ભારતમાં જન્મેલા રામમોહન રાયને ‘રાજા’નો ખિતાબ મોગલ બાદશાહ અકબર બીજાએ રાજદ્વારી મુલાકાત માટે એમને બ્રિટન મોકલ્યા ત્યારે આપ્યો હતો.

૧૭૭૨માં એમનો જન્મ. બાર વર્ષની ઉંમરે રામમોહને અરબી-ફારસીનું શિક્ષણ મેળવ્યું, સોળમા વર્ષે કાશી જઈ પ્રાચીન વિદ્યાઓ શીખવા સંસ્કૃતનો અભ્યાસ કર્યો. તિબેટ જઈ બૌદ્ધ ધર્મનું જ્ઞાન મેળવ્યું. પાછા આવીને અંગ્રેજી ભાષાનું શિક્ષણ લીધું. ખ્રિસ્તી ધર્મના મૂળ સ્રોતોનો અભ્યાસ કરવા હિબ્રૂ, ગ્રીક તથા લૅટિન ભાષાઓ શીખ્યા. તેમના ત્યાર પછીના સક્રિય જીવનની આમ સુંદર પૂર્વતૈયારી થઈ. પછીના બે દાયકા અનેકવિધ પ્રવૃત્તિઓના હતા. જેમ આધુનિક પશ્ચિમી રાજકીય ચિંતનના ઇતિહાસનો પ્રારંભ એરિસ્ટોટલથી થયો છે તેમ આધુનિક ભારતીય રાજકીય ચિંતનની શરૂઆત રાજા રામમોહન રાયથી થાય છે.

એમણે જોયું કે તાર્કિક અને વૈજ્ઞાનિક શિક્ષણથી જ દેશ વિશ્વમાં યોગ્ય સ્થાન મેળવી શકશે. તેમણે ઇતિહાસ, સાહિત્ય, વિજ્ઞાન તથા રાજનીતિને લગતા વ્યવહારુ જ્ઞાનના વિસ્તરણ માટે બંગાળી ભાષામાં ‘સંવાદ કૌમુદી’ અને ફારસી ભાષામાં ‘મિરાત-ઉલ-અખબાર’ સામયિકો શરૂ કર્યાં. વ્યાકરણ, ભૂગોળ, ભૂમિતિ, ખગોળશાસ્ત્ર જેવા વિષયો માટે બંગાળી ભાષામાં પાઠ્યપુસ્તકો લખ્યાં. પશ્ચિમી વિજ્ઞાનોના તથા સાહિત્યના અભ્યાસ માટે કોલકાતામાં અંગ્રેજી ભાષાના માધ્યમથી શિક્ષણ આપતી પહેલી કૉલેજ શરૂ કરી. કોલકાતામાં પશ્ચિમી શિક્ષણ માટે ‘ધ પેરેન્ટલ એકૅડેમિક ઇન્સ્ટિટ્યૂશન’ની અને હિન્દુ તત્ત્વજ્ઞાનના શિક્ષણ માટે ‘વેદ વિદ્યાલય’ની સ્થાપના કરી. 

૧૮૨૩માં ‘કાઉન્સિલ ઑફ એજ્યુકેશન’એ શિક્ષણના વિકાસ માટે મોટી રકમ ફાળવી ત્યારે રાજા રામમોહન રાયે ગવર્નર જનરલ લૉર્ડ એમહર્સ્ટનને ભારપૂર્વક જણાવ્યું કે આ રકમનો ઉપયોગ ભારતના લોકોને ભૌતિક વિદ્યાઓ, શરીરશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર વગેરે વિષયો શીખવવા માટે તેમ જ તે માટે વિદ્વાન અધ્યાપકોની નિમણૂક માટે થવો જોઈએ. માગણી સ્વીકારાઈ નહીં, પણ એ સૂચક છે કે ઇંગ્લૅન્ડમાં કેમિસ્ટ્રીની કૉલેજ સ્થપાઈ તેના તેર વર્ષ પહેલા અને લંડન યુનિવર્સિટીમાં સાયન્સ ફેકલ્ટી શરૂ થઈ તેના સાડત્રીસ વર્ષ પહેલા આર્ષદૃષ્ટા રામમોહન રાયે આ પ્રકારના અભ્યાસક્રમો ભારતમાં શરૂ કરવાની માગણી કરી હતી. 

એ વખતે દેશમાં ખ્રિસ્તી ધર્મના પ્રચાર-પ્રસાર વેગ પકડી રહ્યા હતા. લોકોને હિંદુ ધર્મનો સાચો ખ્યાલ આપવા અને મૂર્તિપૂજા-અંધશ્રદ્ધા-કુરિવાજોને દૂર કરવા એમણે ઉપનિષદોના બંગાળી ભાષામાં અનુવાદ કર્યા, ‘વેદાંતસાર’ પુસ્તિકા આપી. પણ તેઓ ખ્રિસ્તી ધર્મના ટીકાકાર ન હતા, ઈશુને પૂજનીય માનતા અને બાઈબલનો બંગાળી અનુવાદ આપ્યો એથી એમને ખ્રિસ્તી ધર્મ અપનાવવા પ્રલોભનો અપાતાં, જે એમણે કદી સ્વીકાર્યા નહીં.

૧૮૨૮માં તેમણે બ્રહ્મોસમાજની સ્થાપના કરી. ધર્મોના તુલનાત્મક અભ્યાસની પહેલ કરી અને માનવધર્મ-વિશ્વધર્મનો વિચાર આપ્યો. બ્રહ્મોસમાજના જ્ઞાતિપ્રથાનો વિરોધ, આંતરજ્ઞાતીય લગ્નની તરફેણ, ધર્મ-સહિષ્ણુતાની ભાવના અને અસ્પૃશ્યતાને ડામવા માટે કરેલા પ્રયાસોએ ભાવિ સમાજસુધારકો તથા રાજકીય ચિંતકો માટેનો માર્ગ મોકળો કર્યો. 

તે સમયે સ્ત્રીઓનું જીવન દયનીય હતું. બ્રહ્મોસમાજે સમાજમાં વ્યાપેલાં બાળલગ્નો, વિધવાનું શોષણ, કન્યાવિક્રય, બહુપત્નીપ્રથા, કન્યાઓને દૂધપીતી કરવી, સતીપ્રથા જેવાં ભયાનક દૂષણોનો અંત આણવા પુષ્કળ પ્રયત્નો કર્યા. રાજા રામમોહન રાય દૃઢપણે માનતા કે આર્થિક સ્વાતંત્ર્ય હોય તો જ સ્ત્રીની સ્થિતિ સુધરે. ‘મૉડર્ન એન્ક્રોચમેન્ટ ઑન ધી એન્શ્યન્ટ રાઇટ્સ ઑફ ફિમેલ્સ એકૉર્ડિંગ ટુ ધ હિંદુ લૉ ઑફ ઇનહરિટન્સ’ પુસ્તિકામાં તેમણે ભારપૂર્વક જણાવ્યું કે પતિના મૃત્યુ પછી વિધવાને મિલકતનો હિસ્સો મળવો જોઈએ. 

૧૮૫૮થી ૧૮૧૮ દરમિયાન કંપની સરકારે મૂકેલાં નિયંત્રણો છતાં અઢી હજારથી વધારે વિધવાઓને પતિના શબ સાથે જીવતી સળગાવી દેવામાં આવી. હિંદુ ધર્મશાસ્ત્રો, માનવતા અને કુદરતી હક્કોનો હવાલો આપી રાજા રામમોહન રાયે આ હત્યારી પ્રથા વિરુદ્ધ જોરશોરથી ઝુંબેશ ચલાવી. સનાતનીઓના પુષ્કળ વિરોધ છતાં ૧૯૨૯માં લૉર્ડ બૅન્ટિકે સતીપ્રથા વિરુદ્ધ કાયદો કર્યો. 

તેઓ વિચાર-સ્વાતંત્ર્ય તથા વર્તન-સ્વાતંત્ર્યના હિમાયતી હતા. બ્રિટિશ શાસનમાં હિંદુઓએ ગુમાવેલા રાજકીય અધિકારો પાછા મેળવવા માટે તેમણે સતત પ્રયત્નો કર્યા. અખબારોના માધ્યમથી વૈચારિક ક્રાંતિની પરંપરા શરૂ કરી જે સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે એક શક્તિશાળી પરિબળ તરીકે ઉપસી આવી. ગવર્નર જૉન આદમે અખબાર-સ્વાતંત્ર્ય પર પ્રતિબંધ મૂક્યો ત્યારે તેઓ સર્વોચ્ચ અદાલત અને પ્રિવી કાઉન્સિલ સુધી લડ્યા. એમની અરજીમાં રજૂ થયેલાં દલીલો અને વિચારો એટલાં પાયાનાં હતાં કે તેને બ્રિટિશ કવિ જૉન મિલ્ટને ઇંગ્લૅન્ડમાં અખબાર-સ્વાતંત્ર્યની હિમાયત માટે રચેલા ‘એરિયોપેજિટિકા’ ગ્રંથ સાથે સરખાવી તેને ‘ભારતીય એરિયોપેજિટિકા’ તરીકે સ્વીકારવામાં આવી છે. 

વ્યક્તિ-સ્વાતંત્ર્ય, વ્યક્તિવિકાસ અને તથા સામાજિક કલ્યાણ વચ્ચે સુમેળ સાધવામાં તેઓ માનતા. તેમણે કહેલું કે પ્રગતિશીલ નીતિઓનો અમલ કરી ભારતને સ્વતંત્રતા આપવી એ બ્રિટનના હિતમાં છે. દુનિયામાં થતા સ્વાતંત્ર્ય માટેનાં તમામ આંદોલનોનું તેમણે સમર્થન કર્યું હતું.

૧૮૨૭માં બ્રિટિશ પાર્લમેન્ટનો જ્યુરીને લગતો કાયદો ભેદભાવભર્યો હોવાથી એમણે તેનો ખૂબ વિરોધ કર્યો, પરિણામે જ્યુરીના સભ્યોમાં ભારતીયોની નિમણૂક થવી શરૂ થઈ. ઉપરાંત તેમણે પૂરતી સંખ્યામાં તેમ જ યોગ્ય લાયકાતો ધરાવતા ન્યાયાધીશોની નિમણૂંક કરવાની અને ખેડૂતોના હક્કો અને હિતો જાળવવાની માગણી કરી હતી. તેઓ માનતા કે શિક્ષિત, ચારિત્ર્યવાન અને સંપન્ન બ્રિટિશરોને જ ભારતમાં વસવાટ કરવાની મંજૂરી હોવી જોઈએ. એમણે સૂચવેલું કે શિક્ષિત ભારતીયોની વહીવટી હોદ્દાઓ પર નિમણૂક થવી જોઈએ તેમ જ કારોબારી તથા ન્યાયતંત્ર એકબીજાંથી અલગ-સ્વતંત્ર હોવા જોઈએ.

દેશમાં લોકશાહી શાસન સ્થપાશે અને એ માટે થનારી લડત મધ્યમવર્ગ દ્વારા ચલાવાશે એવી એમને શ્રદ્ધા હતી. આ શ્રદ્ધા કેટલી સાચી ઠરી, ઈતિહાસ તેનો સાક્ષી છે. તેમણે લોકોમાં રાજકીય જાગૃતિ આણવા અથાક પ્રયત્નો કર્યા. આર્થિક ક્ષેત્રે મુક્ત વ્યાપારની હિમાયત કરી અને મીઠાના વેપાર પરના કંપની સરકારના ઇજારાનો વિરોધ કર્યો. આ વિચારને પાછળથી દાદાભાઈ નવરોજીએ સિદ્ધાંત તરીકે વિકસાવ્યો હતો.

રાજા રામમોહન રાયે બંગાળી ભાષાનું વ્યાકરણ લખ્યું, બંગાળી ગદ્યમાં તેમણે આણેલા ક્રાંતિકારી પરિવર્તનનો આવિષ્કાર બંકિમચંદ્ર ચૅટરજી અને ટાગોરના ઉત્કૃષ્ટ બંગાળી ગદ્યમાં જોવા મળે છે. વેદાંત પરના તેમના પુસ્તક ‘એન એબ્રિજમેન્ટ ઑફ વેદાંત’ની સમીક્ષા ઇંગ્લૅન્ડના જાણીતા સામયિકોમાં થઈ હતી. રાજકીય ચિંતક જર્મી બેન્થમ અને યુટોપિયન સોશ્યાલિઝમના પ્રણેતા રૉબર્ટ ઓવન સાથે તેમનો વિચારવિમર્શ ચાલતો. 

તેમના આંતરરાષ્ટ્રીય મિત્રતા, આંતરરાષ્ટ્રીય સહકાર તથા આંતર-રાષ્ટ્રીયવાદના વિચારો આજે પણ પ્રસ્તુત છે. રાષ્ટ્રો વચ્ચે મતભેદ પડે ત્યારે તે આંતરરાષ્ટ્રીય સંસ્થા સમક્ષ રજૂ થવા જોઈએ એવી કલ્પના તેમણે ૧૮૩૧માં કરી. સંયુક્ત રાષ્ટ્રસંઘ તો છેક ૧૯૪૫માં સ્થપાયું. તમામ કાયદા અને સામાજિક નિયમો લોકકલ્યાણ માટે હોવા જોઈએ એવો તેમનો વિચાર એરિસ્ટૉટલના હેડોનિઝમને મળતો આવે છે.

૧૮૩૩માં બ્રિસ્ટલમાં ૬૧ વર્ષની ઉંમરે રાજા રામમોહન રાયનું નિધન થયું. ત્યાં સેવાપ્રવૃત્તિઓ દ્વારા તેમની પુણ્યતિથિ ઊજવાય છે. એક રસ્તાને એમનું નામ આપવામાં આવ્યું છે. તેમની એક પ્રતિમા પણ છે. ૧૯૮૮માં, શ્યામ બેનેગલ દ્વારા નિર્મિત અને દિગ્દર્શિત દૂરદર્શન સીરિયલ ‘ભારત એક ખોજ’માં રાજા રામમોહન રાય પર એક આખો એપિસોડ હતો. 

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 17 મે  2026

Loading

મુઝે તુમસે મુહબ્બત હો ગઈ હૈ … 

સોનલ પરીખ|Opinion - Opinion|15 June 2026

અહેસાન તેરા હોગા મુઝ પર 

દિલ ચાહતા હૈ વો કહને દો

મુઝે તુમસે મુહબ્બત હો ગઈ હૈ 

મુઝે પલકોં કી છાંવ મેં રહને દો 

 

તુમને મુઝ કો હંસના સીખાયા 

રોને કહોગે રો લેંગે અબ

આંસુ કા હમારે ગમ ન કરો 

યે બહતે હૈં તો બહને દો

 

ચાહે બના દો ચાહે મિટા દો 

મર ભી ગયે તો દેંગે દુઆયેં 

ઉડ ઉડ કે કહેગી ખાક સનમ 

યે દર્દ–એ–મુહબ્બત સહને દો 

જગતમાં પ્રેમથી વંચિત બે રીતે થવાતું હોય છે. એક તો માણસને કોઈનો પ્રેમ ન મળે ત્યારે અને બીજું માણસ પોતે પ્રેમ ન કરી શકે ત્યારે. પ્રેમ તત્ત્વ ઈશ્વર જેવું છે. નાનામોટા બધાના હોઠે પ્રેમ શબ્દ રમતો હોય છતાં તેને સાચા રૂપમાં તેને સમજવાનું મુશ્કેલ જ નહીં, લગભગ અશક્ય હોય છે. મજા એ છે કે એ બાબતની પ્રતીતિ પણ ઓછા લોકોને થાય છે અને બધા એમ જ માનતા રહે છે કે અમે તો પ્રેમને સમજીએ છીએ. પણ જ્યારે પ્રેમનો અનુભવ થાય છે માણસ બીજું બધું ભૂલી, પોતાના તમામ મહોરાઓ ફગાવી, સમાજનાં બંધનોની એસીતેસી કરી પોતાના શ્રેષ્ઠ અને સાચા રૂપમાં વ્યક્ત થાય છે – એની પાસે, જેણે તેને પોતાને પણ જાણ નહોતી એવા પોતાના જ એક રહસ્યને પોતાની જ સામે મૂકી આપ્યું છે. 

પછી શું થાય? એક તરફ આખી દુનિયા સામે ઘોષણા કરવાનું મન થાય અને બીજી તરફ, પ્રિયપાત્ર સાથેના નાજુક એકાંતમાં શબ્દ પણ ન મળે. જ્યારે મહમ્મદ રફીના મુલાયમ કંઠમાંથી પ્રણયની ગહનતા અને આર્જવ પ્રગટાવતું ગીત ‘અહેસાન તેરા હોગા મુજ પર’ સાંભળીએ ત્યારે ઉપર લખ્યા છે એ બધા વિચાર ગીતના આનંદને ખલેલ પાડ્યા વિના મનમાંથી પસાર થઈ જાય. આ ગીત 1961ની ફિલ્મ ‘જંગલી’નું હતું અને તેનું લતા મંગેશકરે ગાયેલું ફિમેલ વર્ઝન પણ છે. આ ફિલ્મ નિર્માતા-નિર્દેશક સુબોધ મુખર્જીનું સર્જન હતી. 21 મેએ તેમની પુણ્યતિથિ છે. 

સુબોધ મુખરજી

‘જંગલી’ એ યુગની હળવીફૂલ, મ્યુઝિકલ, રોમેન્ટિક ફિલ્મોમાંની એક હતી. વાર્તા કે ફિલ્માંકન વગેરેમાં એવું નવું ખાસ કશું ન હતું – થોડો મેસેજ, થોડી સાચા-ખોટાની લડાઈ, ઘણો બધો રોમાંસ, ઘણી બધી કોમેડી અને ઘણું બધું મસ્ત મજાનું મ્યુઝિક. લટકામાં સુંદર લોકેશનો અને સરસ સ્ટારકાસ્ટ – એ જ જૂનો જાણીતો મસાલો. ફિલ્મ સુપરહીટ સાબિત થઈ હતી. નિરાંત હોય તો આજે પણ જોવાની મઝા પડે. આનો યશ તેના નિર્માતા-નિર્દેશક સુબોધ મુખર્જીને આપવો ઘટે. તેનાં ગીતો લખ્યાં હતાં શૈલેંદ્ર અને હસરત જયપુરીએ, સંગીત શંકર જયકિશનનું હતું. ફિલ્મને સુપરહીટ બનાવવામાં ગીતોનો ફાળો ઓછો ન હતો. 

‘જંગલી’ કાશ્મીરની સુંદર પૃષ્ઠભૂમિમાં વિકસતી એક પ્રેમકથા હતી, જેમાં કઠોર સ્વભાવની માતાના નિયમોથી, પોતાની આડાઈ અને ગુસ્સાથી પણ મુક્ત થઈને શમ્મી કપૂર પ્રેમમાં પડે છે. આ ફિલ્મે શમ્મી કપૂરની યોડલિંગ અને ડાન્સિંગ સ્ટાઈલને લોકોમાં ખૂબ લોકપ્રિય બનાવી હતી. ડઝનબંધ ફ્લોપ ફિલ્મો આપ્યા પછી સુબોધ મુખરજીની આ ફિલ્મથી શમ્મી કપૂર રાતોરાત સ્ટાર બની ગયો. ‘જંગલી’ જોઈ પાપા પૃથ્વીરાજ કપૂર ખડખડાટ હસતા હળવા મિજાજમાં બોલેલા કે ‘શમ્મી ઇસ ફિલ્મ મેં ચિમ્પાન્ઝી જૈસા લગતા હૈ’ ફિલ્મ જોઇને આપણને પણ એમની સાથે સંમત થવાનું મન થાય. શમ્મી કપૂર તરવરિયો, થનગનતો અને ઉત્સાહના અખૂટ ધોધ જેવો હતો. તેની કારકિર્દી સાથે આ ફિલ્મમાં મહમ્મદ રફીની કારકિર્દીને પણ જબરદસ્ત વેગ મળ્યો. ‘જંગલી’માં શંકર જયકિશને ત્રણ પ્રકારનાં ગીતો આપ્યાં – શાસ્ત્રીય રાગ આધારિત, લોકસંગીત આધારિત અને વેસ્ટર્ન મ્યુઝિક આધારિત. ‘ચાહે કોઇ મુઝે જંગલી કહે’ ભૈરવીમાં હતું. ‘અહેસાન તેરા હોગા મુઝ પર’ યમન કલ્યાણ પર આધારિત હતું. એક સ્રોત મુજબ આ ગીત મૂળ માત્ર મહમ્મદ રફીના કંઠમાં હતું. લતાજીને એ ખૂબ ગમ્યું એટલે શંકર-જયકિશને એમની પાસે પણ ગવડાવ્યું અને એથી આપણને બે વર્ઝન મળ્યાં. ‘જા જા જા મેરે બચપન’ અને ‘મેરે યાર શબ્બા ખૈર’ લોકસંગીત પર આધારિત હતાં અને ‘અય્યય્યા કરું મૈં ક્યા સુકુ સુકુ’માં પાશ્ચાત્ય સંગીતની ઝલક હતી.   

આ ફિલ્મનાં બે ગીત હજી ભુલાયા નથી : શૈલેંદ્રે લખેલું ‘ચાહે મુઝે જંગલી કહે’ અને હસરત જયપુરીનું લખેલું ‘અહેસાન તેરા હોગા મુઝ પર’. બન્ને ગીતો પ્રણયના એકરારનાં છે. એકમાં જગત સામે કરેલી ઘોષણાની ઉલ્લાસભરી બુલંદી છે અને બીજામાં પ્રિય પાત્ર સાથેની પળોની નજાકત છે. આ બન્ને ભાવોને તેમના શ્રેષ્ઠ રૂપમાં એક રફી મૂકી શકે અને બીજા શમ્મી કપૂર મૂકી શકે. ‘ચાહે કોઈ મુઝે જંગલી કહે’નો ‘યાહૂ’ પોકાર ખૂબ ચગ્યો હતો. શમ્મી કપૂરે એક ઈંટરવ્યૂમાં કહ્યું હતું કે ‘યાહૂ’ ન મારું હતું, ન રફીનું. આ પ્રયાગ રાજે કરેલો પોકાર હતો! સાયરા બાનુની આ પહેલી ફિલ્મ હતી. એ એટલી તાજગીભરી, નટખટ અને સુંદર લાગતી હતી કે તેને બેસ્ટ એકટ્રેસ નોમિનેશન મળ્યું હતું.  

વાર્તા એવી છે કે ચંદ્રશેખર (શમ્મી કપૂર) રૉયલ ફેમિલીનો નબીરો છે અને શિસ્તપાલન અને મોટા ઘરની રીતરસમોની અતિ આગ્રહી મા(લલિતા પવાર)નો દીકરો છે. લંડન ભણીને પાછા આવેલા શેખરે માનો આ વારસો બરાબર સંભાળ્યો છે. તેને માટે લાગણી નબળાઈ છે, પ્રેમ છીછરાપણું છે અને હસવા-બોલવાનું વર્જ્ય છે. આ જ વ્યક્તિત્વ સાથે એ બિઝનેસ સંભાળે છે. તેની બહેન માલા (શશીકલા) આ બન્નેથી ઊંધી, જીવંત અને ઉષ્માભરી છે અને ભાઈની ઓફિસમાં મામૂલી નોકરી કરતા જીવન(અનુપ કુમાર)ને ચાહે છે. માને આ વાતની માને ખબર પડતાં તે શેખરને હુકમ કરે છે કે માલાને ક્યાંક દૂર લઇ જા જેથી તે જીવનને ભૂલી જાય. શેખર માલાને લઈને કાશ્મીર આવ્યો. રાજકુમારી(સાયરાબાનુ)ના પ્રેમમાં પડ્યો. તેને સાચા આનંદ, ખુલ્લાપણું અને સૌંદર્યનો અનુભવ થયો. પોતાનામાં જ વસતો આ નવો શેખર તેણે પહેલીવાર જોયો. દુનિયા સામે યાહૂ કરીને, બરફની ટેકરીઓ પર કૂદીને એ પોતે પ્રેમના તોફાનમાં ઘેરાયેલો હોવાની ઘોષણા કરે છે, ‘ચાહે કોઈ મુઝે જંગલી કહે’ અને અત્યંત કોમળતાથી પ્રિયતમા પાસે પણ એકરાર કરે છે. ‘મુઝે તુમસે મુહબ્બત હો ગઈ હૈ’. તેનામાં એટલુ પરિવર્તન આવી જાય છે કે તે માલા-જીવનના સંબંધ પર મંજૂરીની મહોર મારી ડે છે. પણ તેની માની દુનિયા હજી એ જ છે. શ્રીમંતાઈ અને અભિમાનનું ત્યાં વર્ચસ્વ છે. શેખર માટે તેણે એક સમોવડી છોકરી પણ શોધી છે. તેને સમજાશે કે સાચી સંપત્તિ પ્રેમપૂર્ણ હૃદય છે? શેખર અને રાજ મળી શકશે? આ બાજુ જીવન અને માલા પરણી ગયા છે અને તેમને એક નાનકડો પુત્ર પણ છે. 

સુબોધ મુખર્જી જબરદસ્ત ફિલ્મમેકર શશધર મુખર્જીના ભાઈ હતા. 50-60ના દાયકામાં એમણે ‘મુનિમજી’, ‘પેઇંગ ગેસ્ટ’, ‘લવ મેરેજ’, ‘જંગલી’, ‘એપ્રિલ ફૂલ’, ‘સાઝ ઔર આવાઝ’, ‘શાગિર્દ’, ‘શર્મિલી’ જેવી સફળ ફિલ્મો આપી હતી. પછી એકશન ફિલ્મોના યુગમાં એમનાં વળતાં પાણી થયાં. જો કે આ ફિલ્મથી સાયરા-શમ્મીની જોડી જામી ન હતી. ત્યાર પછી ઘણા વર્ષ પછી બંને ‘ઝમીર’માં સાથે દેખાયા હતા, પણ એ રોમેન્ટિક પૅર ન હતી. ગમે તેમ, ‘જંગલી’ પ્યૉર શમ્મી કપૂર બ્રાંડ ફિલ્મ હતી. પૂરી કાબેલિયત અને પરફેક્ટ ચાર્મ સાથે એ છવાઈ ગયો હતો. રોમાન્સની એની ખાસ અદા હતી. ભૂરી આંખો સાયરા બાનુના સુંદર ચહેરા પર ઠેરવીને જ્યારે એ ગાતો, ‘મુઝે તુમસે મુહબ્બત હો ગઈ હૈ, મુઝે પલકોં કી છાંવ મેં રહને દો’ ત્યારે એક આખી પેઢીના શ્વાસ થંભી જતા …

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : લેખિકાની સાપ્તાહિક કોલમ, ‘મલ્ટિપ્લેક્સ’ પૂર્તિ “જન્મભૂમિ”, 15 મે 2026

Loading

...102030...35363738...506070...

Search by

Opinion

  • એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”
  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે
  • ચલ મન મુંબઈ નગરી—353

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ
  • લૂંટ શકે તો લૂંટ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved