Opinion Magazine
Number of visits: 9950690
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રિએક્શન

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|20 April 2026

રવીન્દ્ર પારેખ

દેશની જેના પર નજર હતી, તે મહિલા અનામત બિલ લોકસભામાં પાસ થવાને બદલે નાપાસ થયું. શાસક પક્ષની સમજૂતીઓ છતાં, વિપક્ષે સીમાંકનનો મુદ્દો ન છોડતાં, બિલ 54 મતોથી નામંજૂર થયું. બિલ પાસ થવાં માટે 352 મત જોઈતા હતા, પણ 298 જ મળ્યા ને બિલ મંજૂર થતાં રહી ગયું. આટલા વખતમાં પહેલી વાર સરકાર બિલ પાસ કરાવવામાં નિષ્ફળ રહી. મહિલાઓને ૩૩ ટકા અનામત આપવા બંધારણીય સુધારા, સીમાંકન અને કેન્દ્ર શાસિત પ્રદેશ કાયદા સુધારા બિલ સંદર્ભે 21 કલાકની લાંબી ચર્ચા પછી બંધારણીય સુધારા બિલ (131મો), 2026 પર મતદાન થતાં, જોઈતા 2/3 (352) મતથી 54 મત ઓછા હતા. આ બિલ નામંજૂર થતાં સરકારે બીજા બે બિલ સંસદમાં ન લાવવાનો નિર્ણય કર્યો હતો.

11 વર્ષનાં શાસન દરમિયાન લગભગ તમામ બાબતોમાં સરકારનો હાથ ઉપર રહ્યો છે, એ જોતાં મહિલા અનામત બિલ મંજૂર ન થતાં સરકાર આઘાત પામે તેમાં નવાઈ નથી. દેખીતું છે કે આવે વખતે વિપક્ષોને સંભળાવવાનું ન ચૂકે. એ જ રીતે વિપક્ષોને પણ મળેલી આ ચપટીક સફળતા પોતાનામાં વિશ્વાસ વધારે ને વિપક્ષો ફૂલીને ફાળકો થઈને ફરે કે ઉજવણું કરે તો તે પણ સહજ છે, પણ હકીકત એ છે કે આપણને જીત અને હાર, બંને પચતાં નથી. આપણે જીત તો છલકાવીએ જ છીએ, પણ હાર પણ ઉછાળવા તત્પર થઈ ઊઠીએ છીએ. મૂળ વાત એ છે કે સરકાર બિલ પાસ કરાવવાની જીદે ચડી હતી ને મહિલા અનામતની વાત છે, એટલે વિપક્ષો પણ બહુ વિરોધ નહીં કરે તેવા વિશ્વાસે રહી, કારણ વિપક્ષો વિરોધ કરે તો, તેઓ મહિલા વિરોધી છે, એમ પ્રજાને ઠસાવવાનું સહેલું થઈ પડે ને એમ જ થયું. બને કે આવનારી ચૂંટણીમાં મહિલાઓ વિપક્ષને મત નહિ આપે ને આપે તો એનો લાભ પણ મળશે તો ભા.જ.પ.ને જ !

સરકારની આટલી તૈયારીઓ છતાં મહિલા અનામત બિલ પસાર કેમ ન થયું? એનું એક કારણ સીમાંકન હતું. સરકારનું કહેવું હતું કે મહિલા અનામત ત્યારે જ લાગુ થશે, જો વસ્તી ગણતરી અને તે પછી બેઠકોનું સીમાંકન પૂરું થશે. વિપક્ષનું માનવું હતું કે હાલ સીમાંકન 543 બેઠકો માટે જ લાગુ કરી દેવું. બેઠકો વધવાની રાહ જોવામાં વિપક્ષને સરકારનું ષડ્યંત્ર લાગ્યું. આમ તો મહિલા વિધેયકની વાતો પહેલી વખત રાજીવ ગાંધીનાં શાસનમાં 1987માં આવી, તેમાં પણ 1/૩ મહિલા આરક્ષણ જોગવાઈ લાગુ કરનાર તે વખતની નરસિંહરાવની સરકાર હતી. મહિલા અનામત અંગેનો બંધારણીય સુધારો મનમોહન સિંહની સરકારમાં આવ્યો. 2023માં મોદી સરકારના વખતમાં બંધારણીય સુધારા 128 માટે વિધેયક મૂક્યું ત્યારે તે રાજ્યસભામાં મંજૂર પણ થઈ ગયું. તેમાં હવે પછીની વસ્તી ગણતરી તેમ જ નવા સીમાંકન લાગુ કરવાની વાત હતી.

રહી વાત સીમાંકનની, તો એમાં પણ પ્રશ્નો છે. દક્ષિણના રાજ્યો કર્ણાટક, તમિલનાડુ, આંધ્ર, કેરળ અને તેલંગાણાએ વસ્તી નિયંત્રણમાં યોગદાન આપી, વધતી વસ્તી અટકાવી. તેનો યશ આપવાની વાત તો દૂર રહી, પણ સંસદમાં તે રાજ્યોની બેઠક ઓછી રહી ને ઉત્તર પ્રદેશ જેવાં રાજ્યોએ વસ્તી નિયંત્રણ અપનાવ્યું નહીં, તો વધતી વસ્તી સંદર્ભે સંસદમાં વધુ સીટ્સ મળી. દક્ષિણના રાજ્યો આ અન્યાયનો વિરોધ કરે તે વાજબી છે. હવે લોકસભાની સીટો 800થી વધુ કરવાની વાત છે, પણ એ વખતે પણ, જે રાજ્યોની વસ્તી વધુ એ ન્યાયે ઉત્તરને જેટલો લાભ મળે, એટલો દક્ષિણને મળવાનો નથી. એ જ કારણે સીમાંકનને મુદ્દે લોકસભામાં બિલ પસાર થતું અટક્યું.

અત્યારે પણ ભા.જ.પ. વિરુદ્ધ અન્ય પક્ષો જેવું સમીકરણ રચાયેલું જ છે, તેમાં સીમાંકનને મુદ્દે એ ખાઈ વધુ પહોળી થશે. વસ્તીના પ્રમાણમાં સીટોની વહેંચણી આદર્શની રીતે યોગ્ય જ છે, પણ જે રાજ્યોએ વસ્તી નિયંત્રણ કરીને સરકારની જ વસ્તી નિયંત્રણ ઝુંબેશમાં યોગદાન આપ્યું હોય તેને ઓછી વસ્તીને નામે લોકસભામાં પૂરતી સીટો ન મળે એ ઠીક નથી. કમ સે કમ આ મુદ્દે વિપક્ષનો વાંક કાઢી શકાય એમ નથી.

એ પણ અકળ છે કે મહિલા અનામત બિલ પર ચર્ચા ચાલુ હોય એ દરમિયાન કાયદા મંત્રાલયે મોડી રાતે નોટિફિકેશન બહાર પાડ્યું, તેમાં મહિલા અનામતનો 2023નો કાયદો લાગુ કરી દેવાયો. વિપક્ષોને સવાલ એ થયો કે મહિલા અનામત સુધારા બિલ પર ચર્ચા ચાલુ હોય તેવામાં કેન્દ્ર નોટિફિકેશન લાવી કેવી રીતે શકે? ખાસ તો ત્યારે કે 2023નો કાયદો 2034 પહેલાં લાગુ થઈ શકે એમ ન હોય, કારણ કે તેને 2027ની વસ્તી ગણતરી પછી સીમાંકન પ્રક્રિયા પૂરી થવાં સાથે જોડવામાં આવ્યું છે. હકીકત એ છે કે મહિલા અનામત બિલનો અમલ સરકાર 2029થી લાગુ કરવા ઇચ્છે છે. એટલે જ તો સરકાર લોકસભામાં આ બિલ લાવી. ટૂંકમાં, 2029થી લાગુ કરવા ધારેલું બિલ, 2034માં લાગુ થવાનું હોય, તો એ બિલનું નોટિફિકેશન મોડી રાત્રે લાવવાની જરૂર જ શી હતી?

સાચું તો એ છે કે મહિલા કાયદા માટે કશી સ્પષ્ટતા સરકાર પાસે નથી, તેણે મહિલા અનામતને આગળ કરીને સીમાંકનનો મુદ્દો છેડવો છે, તો વિપક્ષો, ઓ.બી.સી., મુસ્લિમ જાતિઓ ઘૂસાડીને હલકું રાજકારણ રમવા ઉત્સુક છે. બંને પક્ષે રાજકારણ જ કેન્દ્રમાં છે. પ્રજા તો દૂર દૂર સુધી ક્યાં ય દેખાતી નથી. તે કદાચ પ્રાયોરિટીમાં જ નથી. મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવાની વાત બધા કરે છે, પણ એ દિશામાં નક્કર પગલાં ભરવાનું કોઇથી થતું નથી. સાચું તો એ છે કે મહિલાઓ માટે ૩૩ ટકા અનામત દાખલ કરવું હોય તો તેને લોકસભાની કે વિધાનસભાઓની બેઠક વધાર ઝુંબેશ સાથે કોઈ લેવા દેવા નથી. સીટ ગમે એટલી હોય, તો પણ સીટનાં પ્રમાણમાં ૩૩ ટકા મહિલાઓને ફાળવવામાં કોઈ મુશ્કેલી ન નડે, પણ તેમ કરવા જાય તો ઘણાં પુરુષ નેતાઓનું પત્તું કપાઈ જાય. જેમ કે લખનૌ બેઠક મહિલા માટે અનામત થઈ  જાય તો રક્ષા મંત્રી રાજનાથ સિંહનું પત્તું કપાઈ જાય ને રાયબરેલીમાં એમ થાય તો વિપક્ષી નેતા રાહુલ ગાંધી પણ હાથ ઘસતા રહી જાય. આવું તો ઘણી સીટ માટે થઈ શકે. આમ પત્તાં કપાવાનું ન થાય એટલે સંસદમાં સીટો વધારવાનો રસ્તો નીકળ્યો. બેઠકો વધારવાનો પ્રયોગ નિષ્ફળ જવાનું લાગતાં સરકારે લોકસભા અને રાજ્યોની વિધાનસભામાં મહિલાઓ માટે ૩૩ ટકા અનામતનો ખેલ ગુરુવારે જ નોટિફિકેશન બહાર પાડીને કરી લીધો.

સરકાર વિપક્ષોને વિશ્વાસમાં લેવાનું ચૂકી. તે પહેલાં નોટિફિકેશન બહાર પડવાને લીધે વિપક્ષો એ શંકામાં રહ્યા કે આ કોઈ રાજકીય દાવપેચ છે. સીમાંકન જેવાં સંવેદનશીલ મુદ્દાને મહિલા અનામત સાથે જોડી દેવામાં આવ્યું. સીમાંકન બાજુ પર રખાયું હોત ને માત્ર મહિલાઓને ૩૩ ટકા અનામત આપવાને મુદ્દે બિલ લવાયું હોત તો બિલ પાસ થઇ ગયું હોત. આ ભૂલ સ્વીકારવાને બદલે વડા પ્રધાને રાષ્ટ્ર જોગ સંબોધનમાં જનતાની માફી માંગતાં એ વાત આગળ કરી કે વિપક્ષોએ આ બિલ પસાર ના થવા દઈને મહિલાઓને અન્યાય કર્યો છે. મહિલાઓ વિપક્ષોને માફ કરશે નહીં, એમ કહીને વડા પ્રધાને દેશની તમામ મહિલાઓની માફી માંગીને પોતાનો હાથ ઉપર રાખ્યો. બીજી તરફ રાહુલ ગાંધીના ઘર સામે ભા.જ.પે. તેમનું પૂતળું બાળ્યું. એટલે હવે સામસામે આક્ષેપો સુધી સંસદ સીમિત નથી રહી, તે સડકો સુધી પહોંચી છે.

બિલને મુદ્દે વિપક્ષોને વાંધો સીમાંકનનો છે, એવી વારંવારની સ્પષ્ટતાઓ વચ્ચે, એ પણ કહેતાં રહેવું પડ્યું કે તેઓ મહિલા અનામતની વિરુદ્ધ નથી, છતાં એ જોખમ હતું જ કે તેઓ મહિલા વિરોધી ગણાઈ જાય, પણ મતદાનનું જે પરિણામ આવ્યું તેમાં આંધળે બહેરું ન કૂટાય એટલું તો થયું. ભા.જ.પે. કે કાઁન્ગ્રેસ સહિતના વિપક્ષોએ આવા મામલામાં સંયમથી વર્તવું જોઈએ, પણ એવું ખાસ બનતું નથી. એ ખરું કે વિપક્ષોની એકતાનો પરચો સંસદને મળ્યો ને બિલ મંજૂર ન થયું. આ પરિણામનો વિપક્ષો બેંચ ઠોકીને હરખ પ્રગટ કરે કે સરકારને કેવી રીતે પછાડી તેનાં ઉજવણાંમાં પડી જાય તો, તે બરાબર નથી. એ દુખદ છે કે સરકાર અને વિપક્ષો એકબીજાની સ્પર્ધામાં ઊતરી પડ્યાં છે.

સૌથી વધુ આહત વડા પ્રધાન અને કેન્દ્રીય ગૃહ મંત્રી છે. ગૃહ મંત્રીએ તો કહ્યું કે ખરડાને મંજૂર ના થવા દઈને ઉજવણી કરવી નિંદનીય છે, આગામી ચૂંટણીમાં કાઁગ્રેસે મહિલાઓના આક્રોશનો સામનો કરવો પડશે ને ભા.જ.પ.ની મહિલા સાંસદોએ તો વિપક્ષ વિરુદ્ધ રણશિંગુ ફૂંકી પણ દીધું, તો વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે ‘ઇન્ડિયા’એ રોક્યું, ભારતે જોઈ લીધું, બિલનો ઉદ્દેશ નારી ઉત્થાનનો તો હતો જ નહીં, ચૂંટણીનું માળખું બદલવાનો જ હતો, એવું હોય તો જૂનું બિલ લાવો અમે તેને સમર્થન આપીશું. સ.પા. અધ્યક્ષ અખિલેશ યાદવે પણ રોકડું કર્યું કે વિપક્ષોએ મહિલા અનામતનો વિરોધ કર્યો નથી. કાઁગ્રેસના સાંસદ શશિ થરૂરે કહ્યું કે આ સૌથી મોટી જીત છે. કાઁગ્રેસી સાંસદ પ્રિયંકા વાડ્રાએ પણ કહ્યું કે લોકશાહી માટે એક મોટી જીત છે. તમિલનાડુના મુખ્ય મંત્રી એમ. કે. સ્ટાલિને પણ કહ્યું કે આ તો હજી ટ્રેલર છે. જે બિલ તમિલનાડુની વિરુદ્ધ આવ્યું હતું તે બિલ હારી ગયું છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ કહ્યું કે વિપક્ષો મહિલા વિરુદ્ધ છે. કાઁગ્રેસી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે મોદી-શાહે દેશની અડધી વસ્તીને ઢાલ બનાવી સીમાંકન કરવાનો પ્રયત્ન કર્યો, તેમની ચાલાકીને એકજૂટ વિપક્ષોએ પારખી લીધું અને બંધારણ સુધારા વિધેયકને પરાસ્ત કર્યું.

એમ લાગે છે કે હવે મહિલા અનામત 2034 પહેલાં લાગુ નહીં થાય ….

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 20 ઍપ્રિલ 2026

Loading

વિનોબાજી અને વિજ્ઞાન

આશા બૂચ|Opinion - Opinion|19 April 2026

 વિજ્ઞાનમ બ્રહ્મ 

આચાર્ય વિનોબાજી

એક એવી માન્યતા પ્રચલિત છે કે ખુદ ગાંધીજી અને તેમના સાથીદારો તથા તેમના અનુગામીઓ વિજ્ઞાન, મશીન અને આધુનિકતાના વિરોધી હતા અને જો હજુ પણ વિદ્યમાન હોય તો આધુનિક પ્રગતિના રાહને સ્વીકૃત નથી કરતા. આ માન્યતા સત્યથી ઘણી વેગળી છે.

ગાંધીજીએ પોતે જ કહેલું કે આ શરીર પોતે જ એક અત્યંત જટિલ તંત્ર છે. હું ચલાવું છું એ ચરખો પણ એક તંત્ર જ છે. હું એવાં યંત્રોનો વિરોધ કરું છું જે વ્યક્તિની આજીવિકા છીનવી લે, જે કુદરતી સંસાધનોનો અમર્યાદિત ઉપયોગ કરે, જે સ્થાનિક ઉદ્યોગોનો નાશ કરીને કેન્દ્રિત ઉત્પાદન અને ખરીદ-વેચાણની વ્યવસ્થા ઊભી કરે, જે અંતે મૂડીવાદ અને સંપત્તિની અસમાન વહેંચણીમાં પરિણમે. એ જ રીતે જો ગાંધીજી વિજ્ઞાનના વિરોધી હોત તો તેમની આત્મકથાનું શીર્ષક ‘સત્યના પ્રયોગો’ રાખ્યું હોત? તેઓ સતત પ્રયોગશીલ અને વિકસતા માનવી હતા. તેમણે માનવકેન્દ્રી વૈજ્ઞાનિક પ્રગતિને ખુલ્લે દિલે સ્વીકારેલી જ હતી

આજે વાત કરવી છે વિનોબાજીની. અણીશુદ્ધ રચનાત્મક કાર્યકર, ઉચ્ચતમ કોટિના આધ્યાત્મિક ચિંતક એવા વિનોબાજીનો વિજ્ઞાન પ્રત્યેનો વિશ્વાસ મને હંમેશાં આશ્ચર્યમુગ્ધ કરતો રહે છે. ‘ભૂમિપુત્ર’ના સપ્ટેમ્બર માસના અંકમાં વિનોબાજીનો ‘વિજ્ઞાનમ  બ્રહ્મ’ લેખ વાંચીએ તો માનવ, વિજ્ઞાન અને ધર્મ વચ્ચેનો અનુબંધ સમજાય અને તો આજે કહેવાતા ‘ધર્મ’ને નામે જે દુરાચાર આચરાઈ રહ્યો છે એ સંભવ બન્યો જ ન હોત એનો અહેસાસ થાય. (એ લેખની કેટલીક વિચાર કણિકાઓનો ઉપયોગ કરવા બદલ ‘ભૂમિપુત્ર’ માસિકનો ઋણ સ્વીકાર કરું છું.)

વિનોબાજી કહે છે, સૃષ્ટિના અન્ય પ્રણીઓનું જીવન પ્રાણપ્રધાન હોય છે જ્યારે માનવીનું જીવન મન પ્રધાન છે. એટલે જ તો માનવીમાં ભાવના, વાસના, કામના, પ્રેરણા વગેરે ઉદ્દભવે છે. તેનામાં ભય, આશા-નિરાશા, હિંમત, માન-અપમાન, આસક્તિ-અનાસક્તિ વગેરે કાબૂ જમાવે છે અને પરિણામે મારું-તારું, અમે અને તમે, આપણે અને તેઓના ભેદ ઊભા થાય, જે દ્વેષ, નફરત અને તિરસ્કારમાં પરિણમે. વિશ્વમાં છેડાતા આંતરવિગ્રહ અને યુદ્ધો નેતાઓના મનમાં ઉદ્દભવેલ લાલસાઓનું જ અંતિમ ઉદાહરણ છે. વિનોબાજી કહે છે, વિજ્ઞાનયુગમાં માણસે મનથી ઉપર ઉઠવાનું છે અને તો જ વિજ્ઞાન આપણો વિકાસ કરશે.

આપણે જોઈએ છીએ કે ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને અન્ય વૈજ્ઞાનિક શાખાઓમાં ખૂબ ‘પ્રોગ્રેસ’ થયો છે, ‘ડેવલપમેન્ટ’ થયું છે, પણ એ માનવ મનને ઉર્ધ્વ કરનાર નથી બન્યું. તે શાથી?

વિનોબાજીએ આપણને ચેતવેલા કે વિજ્ઞાનની સહાય લેવાને બદલે મન અને વાસનાથી દોરવાઈને જાતિ, સમાજ કે દેશના પ્રશ્નો હલ કરવામાં આવશે તો ભવિષ્યમાં માણસ ટકવાનો નથી. અને આજે આપણે અનુભવી રહ્યા છીએ કે યુધ્દ્ધ શાસ્ત્રના વિજ્ઞાનમાં નભને આંબી જતી પ્રગતિ થઈ છે. પરિણામે માનવ જગત વિનાશને આરે ઉભું રહ્યું છે કેમ કે અનેક દેશના નેતાઓ ધર્મ અને અધ્યાત્મ જેવા ક્ષેત્રમાં જૂના વિચારોને અનુસરે છે, નહીં કે વૈજ્ઞાનિક યુગના પ્રગતિશીલ વિચારોને.

માનવી જ્યારે ધરતી પર એક જગ્યાએ સ્થિર થઈને જીવવા માંડ્યો ત્યારે તેને આસપાસની પ્રાકૃતિક રચનાઓ, અને સમગ્ર પ્રાણી સૃષ્ટિ વિશે અનેક સવાલો થયા; જેમ કે આ બધું કઈ રીતે ઉદ્દભવ્યું, કોણે પેદા કર્યું, કોણ સંચાલન કરે છે, તેનો નાશ અને પુનઃ નિર્માણ કેવી રીતે થાય છે વગેરે. પરંતુ વિનોબાજી સમજાવે છે કે આદિમાનવના ધર્મ વિશેના ખ્યાલો કલ્પનામાંથી જન્મ્યા હતા. આજે વિજ્ઞાનની મદદથી આપણે એમાંના મોટા ભાગના સવાલોનો આધારભૂત માહિતી દ્વારા ઉત્તર મેળવી શકીએ તેમ છીએ એટલે હવે આધ્યાત્મિક શક્તિઓનું સામાજિકરણ કરવું જરૂરી છે. એમ થશે તો જ માનવી ધર્મને નામે અધર્મ આચરતો બંધ થશે.

વિનોબાજીની ગહનતમ વાતને પણ સરળ ભાષામાં સમજાવવાની શક્તિ અદ્દભુત હતી. તેઓ કરણ અને ઉપકરણનો તફાવત સ્પષ્ટ કરે છે. માણસની ઇન્દ્રિયો કરણ છે, જેના થકી એ કૃત્ય કરે છે. હથિયાર ઉપકરણ છે, તેનાથી પણ કૃત્ય (કે અપકૃત્ય?) કરે છે. પુરાતન કાળમાં લોકો કરણ પ્રધાન હતા એટલે ઋષિમુનિઓ ઇન્દ્રિય નિગ્રહની વાત કરતા. આધુનિક જમાનામાં લોકો ઉપકરણપ્રધાન જીવન જીવતા થઈ ગયા છે, અને તે પણ અત્યંત ઉત્કટપણે અને તીવ્રતાથી. અહીં માત્ર સંહારક શસ્ત્રોને જ ઉપકરણ તરીકે ગણનામાં લેવાની વાત નથી. સમાચાર માધ્યમો, સંદેશ વ્યવહારના અને વાહન વ્યવહારના સાધનો, મનોરંજનના વિવિધ સાધનો વગેરે કેટલેક અંશે લાભદાયી છે, તો સાથે સાથે એ ઉપકારણોએ માનવ મનને એટલું બટકણું બનાવી દીધું છે કે એ જ ઉપકરણો એવાં ખતરનાક સાબિત થાય છે કે ક્ષણ વારમાં ભય, અસંતોષ અને દ્વેષથી દોરવાઈને માનવી માનસિક ક્ષુબ્ધતા અનુભવી હિંસક બની જવા સંભવ રહે છે. તો, વિજ્ઞાનનો આપણે કેવો ઉપયોગ કરીએ છીએ એ વિચારવું રહ્યું. આપણે કાં તો વિજ્ઞાન પર અંકુશ રાખવો પડશે અથવા પોતાના મન પર. વિજ્ઞાન જે જ્ઞાનની સુરા લઈને આવ્યું છે એ વિના આપણે હવે પ્રગતિ નહીં કરી શકીએ, પણ વૈજ્ઞાનિક ઉપકરણો ભસ્માસૂર સાબિત ન થાય તે માટે માનવ મનને નાથવું અનિવાર્ય થઈ પડ્યું છે. નહીં તો એ જ વિજ્ઞાન અમૃતને બદલે ઝેર આપશે. પહેલાના જમાનામાં કોઈ એક વ્યક્તિ વિજ્ઞાનની ભૂમિકા સર કરતો, એ મહાપુરુષ કહેવાતો. હવે વિજ્ઞાન યુગમાં બધાએ આધ્યાત્મિક ચિંતન દ્વારા મનના આધિપત્યને સંકોરીને વિશિષ્ટ જ્ઞાન આધારિત સમાજ રચવાનો છે.

આજે આપણી પાસે અણુની ઉત્પાદક અને સંહારક શક્તિ આવી, અવકાશમાં નવા ઉપગ્રહ મોકલ્યા અને બીજા ગ્રહ પર ઉતરાણ કર્યું. કંઈક અંશે માણસ જાણે ઈશ્વરની હેસિયત ધરાવતો થઈ ગયો. પણ આથી જ તો તેની સમગ્ર માનવ જાતિ અને પ્રાણીસૃષ્ટિ પ્રત્યે જવાબદારી વધી. વિનોબાજી દૃઢપણે માનતા કે આવા કઠિન કાર્યો પણ વિજ્ઞાનની મદદથી પાર પાડવા શક્ય બનશે.

અભિનવ વિજ્ઞાનયુગમાં દુનિયાની સામાજિક અને માનસિક એકરૂપતામાં અંતર પડવા લાગ્યું છે. વિનોબાજીની ચેતવણી હતી કે આ આણ્વિક યુગમાં માણસનું મન બદલાશે તો જ એ આગળ જતાં ટકી શકશે નહીંતર આખી માનજાતિનો વિનાશ આ જ વિજ્ઞાનના ઉપરકરણો મારફત થશે. તેઓએ  વિજ્ઞાનને વિજ્ઞાનમ બ્રહ્મ સ્વરૂપમાં જોયું અને આપણને પણ એ દૃષ્ટિ આપી.

વિનોબાજી જેવા મનીષીએ વિજ્ઞાનનું માનવ કલ્યાણકારી સ્વરૂપ જોયું, એના સદુપયોગનો માર્ગ બતાવ્યો, હવે એ માર્ગે ચાલવાની જવાબદારી આપણી.

e.mail : 71abuch@gmail.com

Loading

નાસિક TCS અને કોર્પોરેટ કલ્ચરની ગંદકીઃ જ્યારે વાડ ચીભડાં ગળે ત્યારે સુરક્ષાની અપેક્ષા કેટલી યોગ્ય?

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|19 April 2026

નવ FIR, નિષ્ફળ આંતરિક તંત્ર, વિલંબનો બોજો, HRની જવાબદારી, રાજકીય રંગ જેવી પેચીદી ભૂલભુલામણીમાં મહિલાઓની સલામતીના પ્રશ્નનો છેદ ઊડી જાય ત્યારે કયા સત્યનું મ્હોં પહેલા જોવું એ મૂંઝવણ ઘેરી થતી જાય છે.

ચિરંતના ભટ્ટ

અજાણ્યા શહેરમાં, અજાણ્યા લોકો વચ્ચે, ઘરથી દૂર, ટિફીનનું ઠંડુ ખાવાનું ખાઈને, ઘરનાં કામ જાતે કરીને, ભાડાના ઘરની બારીમાંથી બહાર જોઈને ભવિષ્યનાં સપનાં ઘડનારાઓની સંખ્યા મોટી છે. આ કરવું કોઈને ય માટે સહેલું નથી હોતું. હવે દો ટાયર ટુ નહીં પણ નાના ગામડાંઓમાથી પણ જુવાનિયાઓ કારકિર્દી માટે બીજા શહેરોમાં રહેવા જાય છે. છોકરીઓનું ઘરથી દૂર રહીને કામ કરવું બહુ સામાન્ય થઈ ગયું છે પણ જે વાત સામાન્ય બની ગઈ છે તે હજી પણ સહેલી તો નથી જ.

હમણાં TCSના નાસિક BPOનો કિસ્સો બહુ ચગ્યો છે. નોકરી કરવા માટે નાસિક આવેલી યુવતીઓએ ત્રણથી ચાર વર્ષમાં જે સંજોગોનો સામનો કર્યો એ વ્યાકૂળ કરી દે તેવા છે. આઠ યુવતીઓએ કૂલ નવ FIR કરી છે. પોલીસને ચોપડે નોંધાયેલી આ ફરિયાદો હવે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની તપાસનો ભાગ છે. આ છોકરીઓએ જુલાઈ 2022થી માર્ચ 2026 દરમિયાન શું શું વેઠ્યું? તેમની સાથે કામ કરનારા કર્મચારીઓએ આ હિંદુ છોકરીઓને બીફ ખાવા દબાણ કર્યું, ઑફિસના રૂફટોપ પર લઈ જઈ તેમનો ફોન છીનવી લેવાયો, નાઈટ શિફ્ટમાં કામ કરતી વખતે પ્રમોશનની વાત કરી ગંદા પ્રસ્તાવ સ્વીકારવા કહ્યું, ધર્માંતરણની વાત સુદ્ધાં કરી. આ દરેક બાબતનું દસ્તાવેજીકરણ થયું. 

આ છોકરીઓ મહારાષ્ટ્ર પોલીસના એક વિશેષ સ્ટિંગ ઑપરેશનનો હિસ્સો હતી. તેમને યોજનાબદ્ધ રીતે તાલીમ આપીને પોલીસે અંડરકવર ઑપરેશન માટે સમયાંતરે TCSમાં નોકરી મળે તેવી વ્યવસ્થા કરી હતી. તેમનું કામ હતું અહીં ચાલી રહેલી ગંદકીને ઉઘાડી પાડવાનું. BPO ફેસિલિટીના આસિસ્ટન્ટ જનરલ મેનેજર અશ્વિની ચૈનાની, જે પોતે આ કૉર્પોરેટના POSH કમિટીના સિટીંગ મેમ્બર હતા તેમના સહિત HR હેડ નિદા ખાન સાથે સાત જણાની ધરપકડ કરાઈ છે. HR હેડે પર આરોપ હતા કે તેની પાસે જેટલી વાર ફરિયાદ કરાઈ એટલી વાર તેણે મામલો દબાવી દીધો અથવા વાત ઉડાડી દીધી. તેણે વાત કોઈ બીજી જવાબદાર વ્યક્તિ સુધી ન પહોંચે તેની પૂરી તકેદારી રાખી. HR હેડ આખી તપાસમાં સૌથી મોટી ગુનેગાર અને મુખ્ય આરોપી મનાય છે. TCSએ આખી ઘટના અંગે ઝડપી અને એકદમ કોર્પોરેટ જેવો જ પ્રતિસાદ આપ્યો. સસ્પેન્શન, COO લીડરશીપની તપાસ, યુનિટ માટે વર્ક ફ્રોમ હોમ અને ચેરમેન એન. ચંદ્રશેખરને આ ઘટનાઓ “ખૂબ જ ચિંતાજનક” છે-નું નિવેદન આપ્યું. આ પ્રતિભાવ જવાબદારી ભર્યો છે પણ તેમાં નક્કરતા કેટલી છે તે વખત આવ્યે જ ખબર પડશે. એ મહિલા પોલીસ અધિકારીઓને દાદ આપવી પડે જેમણે આ અંડરકવર ઑપરેશન કર્યું.

ધર્માંતરણ, લવ જિહાદ, હિંદુ મુસલમાન વૈમનસ્ય જેવી અનેક બાબતો આ ઘટનાની આસપાસ ચર્ચાઈ રહી છે. એક તરફ આવા અવાજ છે તો બીજી તરફ આ બધું અન્ય ધર્મના લોકોને નીચા દેખાડવા માટે કરાયું હોવાનો એજન્ડા છે એવો અવાજ છે. બેથી વધુ દાયકાથી કૉર્પોરેટ્સમાં કામનો અનુવભવ હોવાને નાતે એક સ્ત્રી તરીકે મને આ આખી ઘટનામાં ધર્મોના મામલાને બદલે (જે છે એ દેખાય છે, તેમાં કોઈ શંકાને સ્થાન છે જ નહીં. બિનસાંપ્રદાયિકતા ‘એક તરફા પ્યાર’ ન હોઈ શકે એ પણ એક હકીકત છે) એક સંસ્થાકીય માળખામાં બદીની માફક ઘર કરી ગયેલી સમસ્યા સૌથી પહેલા દેખાય છે. આપણે નાસિકની ઘટનાને કેન્દ્રમાં રાખી કોર્પોરેટ્સમાં થતી જાતીય સતામણીની વાત કરીએ. 2013માં POSH અધિનિયમ લાગુ પડ્યા પછી NSEમાં સૂચિબદ્ધ 300 કંપનીઓમાં ફરિયાદોમાં 970% વધારો થયો છે.  FY14માં 161 કેસથી વધીને FY25માં 1,729 કેસ સુધી. દર વર્ષે 18થી 20% કેસ નિર્ણય વિનાના રહે છે. 2026ના LinkedIn સર્વે મુજબ, 5,000થી વધુ કોર્પોરેટ મહિલાઓમાંથી 70%એ છેલ્લા 12 મહિનામાં હેરાસમેન્ટનો અનુભવ કર્યો હતો; ત્રણમાંથી એકે ફરિયાદ નોંધાવી નહોતી. ફરિયાદ ન નોંધાવાની વાતના કારણો પણ એક સરખા છે: બદલો લેવાની ભીતિ, વિશ્વાસનો અભાવ, અને એવી મહિલાઓ પણ જે ચૂપકીદી પસંદ કરે છે કારણ કે તેમને ન્યાયની નહીં નોકરીની જરૂર છે. આપણે ત્યાં મહિલાઓની સાથે થતી છેડતી કે ગલીચ વહેવાર એટલાં સામાન્ય બની ગયાં છે કે પુરુષો તો બેશરમ બની જ ગયા છે પણ સ્ત્રીઓ પણ મનમાં એ માનસિકતા સાથે જ જીવે છે કે તેમની સાથે આવું થઈ શકે છે. કોઈ ઘટના ઘટે ત્યારે અથવા તો તે પછી તે અંગે શું પ્રતિભાવ આપવો એ દરેક મહિલા પોતાના સંજોગો, માનસિકતા અને સમજને આધારે નક્કી કરતી હોય છે. કોઈ સ્ત્રીને પોતાની સાથે કંઇ પણ અણછાજતું થાય તો ગમતું હોય છે એવું નથી, પછી તે રસ્તાની કોરે રહેનારી લાચાર મહિલા હોય કે કોર્પોરેટમાં ઉચ્ચ પદે કામ કરનારી મહિલા હોય, તે સિગ્નલ પર ફૂલ વેચનારી યુવતી હોય કે પપ્પાની કાર લઈને કૉલેજમાં જતી છોકરી હોય. અહીં પ્રિવિલેજ, પસંદગી, પોતે બનાવેલી મર્યાદાઓ બધું જ ગણતરીમાં લેવું પડે જ્યારે આપણે પ્રતિક્રિયાની વાત કરીએ ત્યારે. 

POSH અધિનિયમ 1997ની વિશાખા માર્ગદર્શિકા પરથી બનાવવામાં આવ્યો હતો. લગભગ ત્રણ દાયકા પછી પણ, POSHની આંતરિક સમિતિઓ ઘણી વખત અર્ધ-ન્યાયિક તાલીમ વગરની હોય છે, જેમાં આરોપી સાથે જમતા લોકોનો સમાવેશ થાય છે, અને એવી સંસ્થાઓમાં કાર્ય કરે છે જ્યાં ગોપનીયતા, જે કાયદાનું મુખ્ય સુરક્ષા તત્ત્વ છે, તે જ કોરિડોરની ચર્ચાઓમાં સૌથી પહેલાં ભાંગી જાય છે. કોઈએક POSHમાં ફરિયાદ કરી એટલે ફરિયાદને સંબોધવી પછીની વાત છે પણ એ માહિતી ગલગલિયાં કરાવી શકે છે કે કેમ એની ચર્ચાઓ છેડાય છે. કોની સામે ફરિયાદ થઈ છે તેના કરતાં લોકોને વધુ રસ કોણે ફરિયાદ કરી છે એમાં હોય છે. નાસિકમાં આ નિષ્ફળતા સ્પષ્ટ થાય છે: ICમાં રહેલા AGMની ધરપકડ થઈ. ફરિયાદોની વ્યવસ્થા સંભાળનાર HR હેડ હવે મુખ્ય આરોપી છે. આ સંસ્થા અચાનક જ નિષ્ફળ ગઈ નહોતી. અહીં વાડ જ ચીભડાં ગળેનો ઘાટ હતો. 

નાસિક ધરપકડની ખબર રાષ્ટ્રીય સ્તરે ફેલાઈ તે પહેલાં જ એક અઠવાડિયા પહેલા બોમ્બે હાઈ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. એક પુરુષ ઑફિસ સમય દરમિયાન મહિલા સહકર્મચારીના છાતી તરફ જોઈ રહ્યો હતો. ન્યાયમૂર્તિ અમિત બોરકરે IPC કલમ 354C હેઠળના વોયરિઝમના આરોપને એમ કહીને રદ કર્યો ઓપન-ઑફિસમાં “વ્યક્તિગત ગોપનીયતા”ની અપેક્ષા યોગ્ય નથી. આમ કોઈના શરીરને જોવું એ નૈતિક રીતે અસ્વીકાર્ય છે એમ કોર્ટે સ્વીકાર્યું પણ કાયદાની દૃષ્ટિએ કશો જ ફેર ન પડ્યો. મોટા ભાગના કોર્પોરેટ જાતીય સતામણીના કેસિઝ નોંધાયેલા છે, તેમાં આરોપીનાં નામો છે, કેસ બરાબર જોવામાં ય આવ્યા છે પણ કોઈ દંડ નથી થયો. 

નાસિકને મામલે યુવતીઓએ ‘કંઇ પગલું ન લેવાયું’ વાળી સ્થિતિ વેઠવી ન પડે તો સારું. અહીં માત્ર શરીરને ધારી ધારીને જોવાની વાત નથી પણ બળાત્કાર, દબાણ અને ધાર્મિક દબાણનો વ્યાવસાયિક લાભ માટે ઉપયોગ પણ સામેલ છે. અત્યારનો કાયદો અમુક પ્રકારના વહેવારને ઓવરઓલ ગુનો ગણે છે કે પછી વ્યક્તિગત ઘટનાઓને દંડિત કરવાનું નક્કી કરે છે તે જોવું રહ્યું. SIT હાલમાં 78 ઈમેઈલ અને ચેટ રેકોર્ડ્સની તપાસ કરી રહી છે તેના આધારે કોને શું ખબર હતી, ક્યારથી ખબર હતી જેવી બાબતો બહાર આવશે જે આરોપો કરતાં વધુ મહત્ત્વની બની શકે છે. 

રાજકીય પ્રતિસાદ ધાર્યા પ્રમાણેનો રહ્યો છે. BJPના અવાજોએ “કોર્પોરેટ જિહાદ” શબ્દનો ઉપયોગ કર્યો છે, આરોપીઓમાં મુસ્લિમ બહુમતી અને ધર્મ પરિવર્તનના સંકેતોને ષડયંત્ર તરીકે રજૂ કરાયું છે. ડાબેરી ટિપ્પણીઓએ આ ઘટનાને ટોક્સિક મેસ્ક્યુનાલિટીના સામાન્ય આક્ષેપમાં સમાવી દીધી છે, જેમાં આરોપીઓની ઓળખ અને ધાર્મિક દબાણને અવગણવામાં આવે છે. બંને દૃષ્ટિકોણ આ ધટનાના કેન્દ્ર સમી મહિલાઓની કિંમતે પોતાની જાતને બચાવે છે.

જમણેરીઓનો અભિગમ આરોપીઓથી આખા સમુદાય સુધી વિસ્તરે છે; જે SITના પુરાવાથી સમર્થિત નથી, અને તપાસમાં હજુ સુધી કોઈ સંગઠિત બાહ્ય ષડયંત્રના પુરાવા મળ્યા નથી. ડાબેરી અભિગમ અલગ પ્રકારની અવગણના કરે છે: તે જે થયું તેને નામ આપવાથી બચે છે, કારણ કે તે તેમને રાજકીય રીતે કઠે છે. બંનેમાંથી કોઈપણ અભિગમ એ મહિલાઓને કામ નથી લાગવાનો જેમને અપ્રેઝલ માટે રોજા રાખવાનું કહેવામાં આવ્યું હતું. નાસિકમાં જે થયું તેની હકીકતોની તપાસ કરી બરાબર દંડ ફટકારવો જોઈએ, એમાં કોઈના ય રાજકીય ચશ્માંની જરૂર નથી. બંન્ને વિચારધારાઓ માટે પોતાની ધૂન અગત્યની છે, નવ FIR નોંધાવેલી મહિલાઓ નહીં. આપણો દેશ, આપણી માનસિકતા અહીં જ ગોથું ખાય છે.

ધર્મને નામે ફેલાવાતી ગંદકી મોટો પ્રશ્ન છે જ, અપરેઝલ માટે રોજા રાખવા કહેવું કે ક્રિસમસમાં બાળમંદિરમાં સાન્તા ક્લૉઝ બનીને ગયેલાં બાળકો જોઈને ત્યાં ધમાલ કરી દેવી કે હનુમાન જયંતી નિમિત્તે મસ્જીદની બહાર જઈને હનુમાન ચાલીસા વગાડવી કે પછી બીફ ખાવાનું દબાણ કરવું, બધું જ ખોટું છે. પણ TCSની ઘટના કોરર્પોરેટના ટોક્સિક ઉકરડાની એક ઝલક માત્ર છે એવું યાદ રાખવું પણ જરૂરી છે. એવું ઘણું ય થાય છે જે ક્યારે ય બહાર નથી આવતું. નાસિક ઘટનામાં અંડરકવર કામ કરનારી આ યુવતીઓના પ્રયત્નો એળે ન જાય તે જોવાની ફરજ આપણી સિસ્ટમની છે, આપણા તંત્રની છે.

બાય ધી વેઃ 

કોર્પોરેટ કલ્ચરની ગંદકીનું એક સૌથી મોટું સત્ય એ છે કે જેમની પાસે સત્તા હોય છે તે જ ખોટો વહેવાર કરવાની હિંમત પણ ધરાવે છે. POSHમાં એવી ફરિયાદ કરનાર યુવતીઓ કે પેલો પુરુષ મને જોયા કરે છે તેમને સામે એવો પ્રતિભાવ મળ્યો હોવાનું મેં સાંભળ્યું છે કે, ‘એ જુએ છે એવી ત્યારે જ ખબર પડી હશેને જ્યારે સામે જોયું હશે?’ સતામણી બાદ ફરિયાદ કરનારી યુવતીઓ પાસેથી પુરાવા માંગવામાં આવ્યા હોવાની ઘટનાઓ પણ બની છે. પુરુષો સાથે પણ સતામણી થાય છે. સત્તા પર બેઠેલાઓ તાળી દઈને ગલીચ વાત કરીને ઘેર ચાલ્યા જાય છે અને નાના પદે કામ કરનારાઓ કાં તો નોકરી બદલી નાખે છે અથવા તો તેમની ટ્રાન્સફર થઈ જાય છે. અમુક કિસ્સાઓ સાંભળીએ ત્યારે મહિલા સ્વાતંત્ર્ય અને મહિલાઓની પ્રગતિ એક મજાક લાગવા માંડે છે અને પછી મન નેવે મુકીને કામે લાગી જવું પડે છે. સવાલો ઉઠાવાય, અવાજ પણ કરાય, ન્યાયની માંગણી પણ કરાય- જરૂરી નથી કે તમને ધાર્યો પ્રતિભાવ મળે પણ #metooની ચળવળ પણ ધીમે અવાજે શરૂ થયેલા અવાજોનું જ પરિણામ હતી. ભલભલી આત્મવિશ્વાસુ સ્ત્રીને અનુભવતી અસુરક્ષા આપણા સમાજનું એક ધારદાર સત્ય છે જે લોહીની ધાર વહેવડાવવાની તાકાત ધરાવે છે.

 પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 19 ઍપ્રિલ 2026

Loading

...102030...37383940...506070...

Search by

Opinion

  • અપેક્ષા                                                 
  • જરૂરત અલબત્ત સુરક્ષા દિવસની પણ ઉજવણી જો કે હત્યા દિવસની
  • આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!
  • ફૂટપાથ થોડી જિંદગી બચાવી શકે એમ છે …
  • મોહેં-જો-દડોની ‘ડાન્સિંગ ગર્લ’: 4500 વર્ષથી યથાવત્ હતી, 21મી સદીએ તેને ‘સુધારી’?

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved