Opinion Magazine
Number of visits: 10080269
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બુદ્ધ વિના પ્રબુદ્ધ નહીં થવાય : ટાગોર

સોનલ પરીખ|Opinion - Opinion|13 June 2026

હું જે કઈં કહું છું તે પરંપરાથી કહેવાયું છે માટે ખરું માનશો નહીં. એ આપણા પવિત્ર ગ્રંથોમાં છે તેથી કે લૌકિક ન્યાય એવો છે તેથી એને ખરું માનશો નહીં. એ સુંદર, શ્રદ્ધાને અનુકૂળ કે શ્રવણપ્રસિદ્ધ છે માટે કે મને પૂજનીય ગણતા હો તેથી ખરું માનશો નહીં. પણ તમારી વિવેકબુદ્ધિથી જ્યારે મારું કથન તમને સાચું લાગે ત્યારે જ તેને ગ્રહણ કરજો. 

— ભગવાન બુદ્ધ

ગુરુદેવ ટાગોર અને ભગવાન બુદ્ધ સાથે સાથે યાદ આવવાનાં બે કારણ. એક તો ટાગોરનો જન્મદિન અને  બુદ્ધપૂર્ણિમા આ બે દિવસો વચ્ચે બહુ અંતર નથી હોતું. ટાગોરનો જન્મદિન 7 મેએ આવશે અને બુદ્ધપૂર્ણિમા એટલે કે વૈશાખ મહિનાની પૂનમ આ વર્ષે 1 મેએ હતી. આ એક. અને બીજું એ કે ટાગોરને જાતકકથાઓ બહુ ગમતી. જાતકકથાઓ એટલે બુદ્ધના પૂર્વજન્મની વાર્તાઓ – માનવજીવનને સદાચાર તરફ વાળવાનો પ્રયાસ કરતી બોધકથાઓ. આ કથાઓની સંખ્યા 550 જેટલી છે અને મહાયાન અને હીનયાન આ બંને બૌદ્ધ સંપ્રદાયો જાતકકથાઓનો આદર કરે છે.

ટાગોરના પિતા ભગવાન તથાગતના ભક્ત હતા. ટાગોરના મોટા બે ભાઈઓએ બૌદ્ધ ચિંતન વિષે ઘણું લખ્યું છે. ટાગોરની શરૂઆતની કૃતિઓ પર બૌદ્ધ ફિલોસોફીની અસર છે. પોતે બ્રહ્મોસમાજી હતા એટલે મૂર્તિપૂજામાં ન માનતા, પણ ભગવાન બુદ્ધની મૂર્તિને ચરણે શીશ ઝુકાવતા અને એમને શ્રેષ્ઠતમ મહાપુરુષ કહેતા. બૌદ્ધ ચિંતન વિષે તેમણે લખ્યું છે અને પ્રવચનો પણ આપ્યાં છે. બૌદ્ધ ધર્મ જ્યાં જન્મ્યો તે સારનાથ ને બોરોબુદુરથી માંડીને એશિયન જે દેશોમાં તે વ્યાપ્યો તે મોટા ભાગનાં સ્થળે ટાગોર ગયા હતા, ત્યાંના વિદ્વાનોને મળ્યા હતા અને વ્યાખ્યાનો આપ્યાં હતાં. જે જાપાની-ચીની વિદ્વાનો બૌદ્ધ હસ્તપ્રતોની તલાશમાં આવતા તેમને ટાગોર મળતા અને ધર્મતત્ત્વની ચર્ચા કરતા. બૌદ્ધ ધર્મને ભારતમાં પુનર્જીવિત કરવામાં તેમને સારો એવો રસ હતો. 

સુદાસ માળીની વાત આપણે બધા જાણતા જ હોઈએ, પણ ટાગોર લખે ત્યારે એ વાત જુદી થઈ જાય:

એ રાત્રે તોફાન અને ગાજવીજ સાથે વરસાદ થયો. સુદાસે વહેલી સવારે જોયું તો કમળતળાવડીનાં તમામ પુષ્પો નાશ પામ્યાં હતાં. ફક્ત એક કમળ તેના પર કમળપત્રોની કુદરતી છત્રી રચાવાથી બચી ગયું હતું. ‘આજે પુષ્પોની તંગી થશે. આ કમળ રાજાને આપીશ તો મોં માગ્યાં દામ મળશે.’ વિચારતો સુદાસ કમળ લઈને રાજાના મહેલે જવા નીકળ્યો. હજી મહેલના દરવાજે પહોંચે છે ત્યાં એક શ્રેષ્ઠી મળ્યા, ‘ભાઈ, આ કમળ મને આપી દે, સોનાનો સિક્કો આપીશ.’ 

ત્યાં તો રાજાની સવારી નીકળી, ‘હે માળી, સારું થયું તું મને આ સુંદર પુષ્પ સાથે મળ્યો. આપ મને.’ 

‘માફ કરો અન્નદાતા, આ પુષ્પ આ શ્રેષ્ઠી ખરીદી ચૂક્યા છે.’ 

‘તેઓ આપશે તે કરતાં પાંચગણું દ્રવ્ય આપીશ. પણ પુષ્પ મને આપ.’ 

શ્રેષ્ઠી બોલ્યા, ‘મહારાજ, બીજો વખત હોત તો હું જ આ પુષ્પ આપને અર્પણ કરી દેત. પણ અત્યારે હું ભગવાન બુદ્ધનાં દર્શને જઈ રહ્યો છું. તેમનાં ચરણે ધરવા માટે જ પુષ્પ ખરીદી રહ્યો હતો. અવિવેક માફ કરજો, ગમે તેટલું દ્રવ્ય આપીને પણ પુષ્પ તો હું જ લઇશ.’

‘શ્રેષ્ઠી, બીજો વખત હોત હું પણ એક પુષ્પ માટે તમારી સાથે ચડસાચડસીમાં ન ઊતરત. પણ હું પણ ભગવાન બુદ્ધનાં દર્શને જઈ રહ્યો છું. મારે પણ તેમનાં ચરણે ધરવા માટે જ આ પુષ્પ જોઈએ છે. ગમે તેટલું દ્રવ્ય આપવા હું પણ તૈયાર છું.’ 

સુદાસે વિચાર્યું, ‘જે મહાનુભાવને માટે પુષ્પ ખરીદવા આ બંને તત્પર છે એમને જો હું જ આ પુષ્પ આપું તો મને અનેકગણું દ્રવ્ય મળે.’ રાજા અને શ્રેષ્ઠીની માફી માગી એ ગામબહાર બુદ્ધવિહારમાં ગયો. ગામલોકોએ બુદ્ધ માટે સિંહાસન, છત્રચામર વગેરેની વ્યવસ્થા કરી હતી, પણ બુદ્ધ તો એક મોટા વૃક્ષની છાયામાં બેઠા હતા. સુદાસ એમના મોં પરની આભા અને આંખોમાંથી વરસતી કરુણા જોઈને પોતે અહીં શા માટે આવ્યો છે તે ભૂલી ગયો. ક્યાં ય સુધી તેને એમ જ ઊભેલો જોઈ બુદ્ધ બોલ્યા, ‘વત્સ, અહીં આવ.’ સુદાસે છલકતી આંખે બુદ્ધનાં ચરણમાં મસ્તક અને ફૂલ બંને મૂકી દીધાં. 

‘કહે વત્સ, તને શું જોઈએ છે?’

‘આપશો? તો તમારાં ચરણનો એક રજકણ આપો. તેની સામે આખો સંસાર તુચ્છ છે.’ 

સુદાસ માળીની આ જાણીતી વાર્તા ટાગોરે કાવ્યરૂપે લખી છે. ગદ્યરૂપે લખાયેલી બીજી એક સુંદર વાર્તા જોઈએ: 

પટાચારા નામની એક શ્રીમંત કન્યા પોતાની પસંદગીના ગરીબ પુરુષ સાથે લગ્ન કરી દૂરના ગામે રહેતી હતી. એક બાળકના જન્મ પછી બીજું બાળક અવતરવાનું હતું ત્યારે પટાચારાને પિતા પાસે આવવાનું મન થયું. બાળકને લઇ પતિપત્ની ચાલી નીકળ્યાં. રસ્તામાં પ્રસૂતિ થશે એમ લાગતાં તેને સલામત જગ્યાએ બેસાડી પતિ લાકડાં કાપવા ગયો. બેત્રણ દિવસ સુધી તે આવ્યો નહીં. અહીં પટાચારાને દીકરો થયો. જરા ઠીક થતાં તે બંને બાળકને લઇ પતિને શોધવા નીકળી. જંગલમાં તેનું શબ મળ્યું. સર્પે તેને દંશ દીધો હતો. 

પતિને અગ્નિદાહ આપી બાળકોને લઇ તે પિતા પાસે જતી હતી ત્યાં રસ્તામાં નદી આવી. મોટા બાળકને કાંઠે બેસાડી તે નાના બાળકને લઇ નદીમાં ઊતરી. સામે કાંઠે બાળકને મૂકી તે પાછી ફરતી હતી ત્યાં એક બાજ નાના બાળકને માંસનો લોચો સમજી ઉઠાવી ગયું. પટાચારા બાજની પાછળ પાછી ફરી એ જોઈ માની રાહ જોતું મોટું બાળક નદી તરફ ખસવા લાગ્યું ને પાણીમાં પડી તણાઇ ગયું. તાજી પ્રસૂતિ ને એક સામટાં ત્રણ મૃત્યુ – પટાચારા પાગલ થઈ ગઈ. ન ખાવાપીવાનું ભાન રહ્યું, ન વસ્ત્રોનું. કલ્પાંત કરતી તે ભટકવા લાગી અને ભગવાન બુદ્ધ જૈતવનમાં ઉપદેશ આપતા હતા ત્યાં આવી ચડી. 

તેનાં હાલહવાલ જોઈ લોકોએ તેને રોકી. ભગવાન બોલ્યા, ‘તેને આવવા દો.’ અને પટાચારાને કહ્યું, ‘તારી ચેતના પાછી લાવ, ભગિની.’ એ ભગવાનના ચરણોમાં પડી હૈયાફાટ રડી અને પછી બેભાન થઈ ગઈ. 

ભાન આવ્યું ત્યારે તથાગત હાથપગ ધોઈ રહ્યા હતા. કહે, ‘જો, પુત્રી! આ ઢોળાતા પાણીને જો. પહેલા જે પાણી ઢળ્યું તે થોડું દૂર જઈને અટકી ગયું. બીજું પાણી તેથી થોડું દૂર અને ત્રીજું પાણી તેનાથી થોડું દૂર જઈને અટકી ગયું. જીવન આવું છે. કોઈનું થોડું વહેલું તો કોઈનું થોડું મોડું, પણ બધાનું જીવન અટકે છે. બધું મરણધર્મી છે, બધું અનિત્ય છે. તું પણ, હું પણ.’

ધીરે ધીરે પટાચારા શાંતિ પામી. તેણે પ્રવજ્યા લીધી અને પંડિતા થઈ.

ટાગોરને જાતકકથાઓ ખૂબ પ્રિય હતી. કહેતા, ‘જાતકકથાઓ દ્વારા બુદ્ધનું શ્રેષ્ઠ લોકોના હૃદય સુધી પહોંચ્યું છે. આ જ જ્ઞાન જો તેમણે સંસ્કૃતમાં અને શાસ્ત્રોની ભાષામાં આપ્યું હોત તો એક મોટો સમુદાય તેનાથી વંચિત રહ્યો હોત. બુદ્ધને લોકો સુધી પહોંચવું હતું માટે તેમણે કથાઓ દ્વારા, ત્યારની બોલાતી ભાષામાં વાત કરી અને સમાજમાં અનેક પરિવર્તન આણ્યાં.’

બુદ્ધ એમના સમયના મોટા રેશનાલિસ્ટ અને રિવોલ્યુશનરી બંને હતા. જાતિભેદ, વર્ણભેદ, યજ્ઞમાં પશુબલિ, માંસાહાર, સ્ત્રીઓને આત્મસાધના ન કરવા દેવી જેવી ત્યારની રૂઢિઓને તેમણે તોડી. ધર્મનો અર્થ અંત:કરણમાં શુભ વૃત્તિઓની સ્થાપના એવો કર્યો અને પોતાની મુક્તિ પોતે જ સાધવાની છે એમ કહી કર્મકાંડનો છેદ પણ ઉડાડી દીધો. એમનાં વચનો આજે પણ એટલાં જ પ્રસ્તુત છે જેટલાં ત્યારે હતાં. ટાગોરે સાચું જ કહ્યું છે, બુદ્ધ વિના પ્રબુદ્ધ નહીં થવાય.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 03 મે  2026

Loading

કુછ દિલ ને કહા, કુછ ભી નહીં 

સોનલ પરીખ|Opinion - Opinion|12 June 2026

ઐસી ભી બાતેં હોતી હૈં, ઐસી ભી બાતેં હોતી હૈં

કુછ દિલ ને કહા, કુછ ભી નહીં

કુછ દિલ ને સુના, કુછ ભી નહીં

 

લેતા હૈ દિલ આંગડાઇયાં ઇસ દિલ કો સમજાયે કોઈ 

અરમાં ન આંખેં ખોલ દે, રુસવા ન હો જાયે કોઈ 

પલકો કી ઠંડી સેજ પર સપનોં કી પરિયાં સોતી હૈં 

 

દિલ કી તસલ્લી કે લિયે, જૂઠી ચમક જૂઠા નિખાર 

જીવન તો સૂના હી રહા સબ સમજે આઈ હૈ બહાર 

કલિયોં સે કોઈ પૂછતા હંસતી હૈં વો યા રોતી હૈં  

જ્યારે હૃદયને કઈં કહેવું હોય, અને હોઠ એ ન કહીને પણ કહેવાનો પ્રયત્ન કરે ત્યારે વાત કેટલી નાજુક બની જાય? આવી નાજુક વાતને એક ફિલ્મના ગીત તરીકે લખવી એ ભારે ગજું માગી લે એવી બાબત છે. આપણે નસીબદાર છીએ કે આપણા કેટલાક ગીતકારો ઉત્તમ શાયર પણ છે, જે આવી નાજુક વાતને શબ્દોમાં એવી ખૂબીથી મૂકી શકે છે કે ગીત કવિતા બની જાય, ક્લાસિક બની જાય, કલ્ટ બની જાય. આવા એક શાયર એટલે સૈયદ અખ્તર હુસૈન રિઝવી. ન ઓળખ્યા? તો તેમનું બીજું નામ કહું – કૈફી આઝમી. ૧૦ મેએ કૈફી આઝમીની પુણ્યતિથિ છે, એ નિમિત્તે યાદ કરીએ એમને અને એમની અનુપમ ‘અનુપમા’ને. 

વાત ચાલતી હતી અભિવ્યક્તિની નજાકતની. નાજુક અભિવ્યક્તિ માટે પ્રેમીનું, કવિનું ગજું હોય તો જ કળીને નુકસાન ન થાય એવી ઋજુતાથી તેની પાંખડી જરા જેટલી ખસેડીને અંદર છુપાયેલી સુગંધને મુક્ત કરી શકાય. આ કોઈ રેંજીપેંજીનું કામ નથી. ‘અનુપમા’નું ગીત ‘કુછ દિલ ને કહા, કુછ ભી નહીં’ સાંભળીએ ત્યારે આપણને એવી ગજાદાર પણ કુસુમકોમળ કલમનો પરિચય થાય. સ્ત્રીત્વની આવી નજાકતનો સ્નેહ-આદર કરનાર કવિ જ્યારે સ્ત્રીને ગરમ શ્વાસોની આંચમાં પીગળી જવા માટે ઠપકો આપે અને કહે, ‘રુત બદલ ડાલ અગર ફૂલના-ફલના હૈ તુઝે, જિસ મેં જલતા હૂં ઉસી આગ મેં જલના હૈ તુઝે’ ત્યારે તેમાંથી ક્રાંતિની જ્વાળાઓ પણ પ્રગટે. સાચું જ છે, કલમના વ્યાપનો કોઈ અંત નથી. એટલે જ તો આ ગીત બન્યાને 60 વર્ષ થઈ ગયાં છતાં તે આપણને દુનિયાની આટલી ધમાલ વચ્ચે પણ વહેલી સવારની હવા જેવું તાજું અને ફૂલની પાંખડી પર અટકેલી ઝાકળ જેવું ભીનું લાગે છે. આમ થવાનાં બીજાં કેટલાક કારણ પણ છે : જેનાં નામ છે સંગીતકાર હેમંતકુમાર, ગાયિકા લતા મંગેશકર, ધર્મેન્દ્ર-શર્મિલા ટાગોરની જોડી અને લેખક-દિગ્દર્શક ઋષિકેશ મુખર્જીનું કલાત્મક સાદગીભર્યું ફિલ્માંકન. 

‘અનુપમા’નું મુખ્ય પાત્ર અનુપમા (શર્મિલા ટાગોર) અત્યંત શાંત છે કારણ કે તે ખૂબ એકલી છે. તેની મા તેને જન્મ આપતાં મૃત્યુ પામી છે. પિતા આ ઘટનાના આઘાતમાંથી બહાર આવી શક્યા નથી અને એટલે દીકરીને અપનાવી શક્યા નથી. અનુપમાનાં લગ્ન અમેરિકન દેવેન વર્મા સાથે નક્કી થયાં છે. બંને એકબીજાને ઓળખે છે, પણ મૈત્રી થઈ શકી નથી. આવા સમયે એક લેખક અશોક (ધર્મેન્દ્ર) ધીરેથી અનુપમાની એકલતામાં પ્રવેશે છે. આ એ નાજુક પળનું ગીત છે. લોકો વચ્ચે ભાગ્યે જ એકાદ શબ્દ બોલતી અનુપમા પહાડોમાં ઊગી રહેલી સવારના એકાંત સૌંદર્ય વચ્ચે મન ખોલે છે અને તેનાં સ્વપ્નો, તેની એકલવાઈ જિંદગીને કહે છે, ‘ઐસી ભી બાતેં હોતી હૈ, ઐસી ભી બાતેં હોતી હૈં’ બે વાર અમસ્તું નથી કહેવાયું. પુનરાવર્તન પછી પણ છે : ‘કુછ દિલ ને કહા, કુછ ભી નહીં, કુછ દિલ ને સુના, કુછ ભી નહીં’ માત્ર એક શબ્દના ફરકથી આખી વાત કેવી અર્થસભર બની જાય છે! અશોક દૂરથી તેને એકલી ફરતી, ગુંજતી હોય એમ ગાતી જુએ છે. અશોક માટે એ પળ અનુપમાના મૌનને, તેના ક્યાં ય વ્યક્ત ન થયેલા મનને સમજવાની શરૂઆત છે. ખૂબ અસરકારક રીતે અને ખૂબ સંયમથી આખી સ્થિતિ મુકાઇ છે. ગીત એવું બન્યું છે કે જેને પામી શકાય, સમજાવી શકાય નહીં. 

એ વર્ષનો બેસ્ટ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીનો ઍવોર્ડ ‘અનુપમા’ માટે જયવંત પઠારેને મળ્યો હતો. આ ગોટ માટે તેમણે લીધેલો એંગલ જ કેટલો અદ્દભુત છે મહાબળેશ્વરના પહાડી રસ્તા પર નાયક ઉભેલો છે, નીચે ઊંચાં વૃક્ષો વચ્ચે ચાલતી-ગાતી નાયિકા છે અને એની ય નીચે કહીં વિસ્તરેલી દેખાય છે. આમ ઊંચાઈ અને ઊંડાઈનાં ત્રણ સ્તર એકસાથે દર્શકની નજરને આવરે છે અને જિંદગીનાં, સંવેદનનાં વિવિધ સ્રોતો નું જાને પ્રતીક બની જાય છે. 

એક સુંદર ફિલ્મ હોવા ઉપરાંત ‘અનુપમા’ અનેક કારણોસર હિંદી સિનેમાના અભ્યાસીઓએ પણ જોવા જેવી છે. આ ફિલ્મ બિમલ રૉયને સમર્પિત કરાઈ છે. મોટા ભાગની ટીમ બિમલદાની જ છે અને હૃષિદાની શૈલી પણ એમની યાદ અપાવે તેવી છે. મુખ્ય પાત્રો સાથે શશીકલા, ડૅવિડ અને દેવેન વર્માનો અને સગી દીકરી માટે પ્રેમ અને ધિક્કાર જેનામાં એકસાથે વસે છે તેવા પિતા તરીકે તરુણ બૉઝનો અભિનય સુંદર છે. 

સિનેમેટોગ્રાફી, પટકથા, એડિટિંગ, સંગીત અને અભિનય આ પાંચ ફિલ્મની કસોટી છે. એ દરેક કસોટીમાંથી ‘અનુપમા’ ખરી ઊતરી છે. કલાવિવેચકો તેને ‘ધ બ્લૅક એન્ડ વ્હાઈટ ક્લાસ ડ્રામા ધૅટ સ્ટ્રોંગલી ઇન્ફ્લુઅન્સ્ડ ઇંડિયન પોપ્યુલર સિનેમા ઇન ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ એરા’ કહે છે તે યોગ્ય જ છે. 

આઝમગઢના મિઝવાન ગામે 1919માં જન્મેલા કૈફી આઝમીએ પહેલી ગઝલ 11 વર્ષની ઉંમરે લખી. શરૂઆતની ગઝલો પારંપરિક પ્રેમ-વિરહ વગેરે વિષયોમાં લખાઈ. એ પછી ડાબેરી વિચારધારા, કોમ્યુનિસ્ટ પાર્ટીમાં જોડાણ અને પ્રોગ્રેસિવ રાઈટર્સ મુવમેન્ટમાં સક્રિયતાના પરિણામે એમની શાયરીમાં સામાજિક ક્રાંતિ અને અન્યાય-શોષણનો વિરોધ સામેલ થયા. અને તેમના શબ્દો એક જુદો જ રંગ, જુદો જ મિજાજ લઈ વ્યક્ત થવા લાગ્યા. 

આમ કૈફી આઝમીની પ્રતિભા શાયર કરતાં વિરાટ હોવા છતાં તેમની સૌથી મોટી અને તેમના વ્યક્તિત્વનાં અન્ય પાસાંઓ પર એક કે બીજી રીતે છવાઈ રહેલી ઓળખ તો એક શાયર તરીકેની જ છે. ‘ઝુમ ઝુમ ઢલતી રાત’, ‘મૈં યે સોચકર ઉસકે દર સે ચલા થા’, ‘ઊઠ મેરી જાન’, કર ચલે હમ ફિદા’, ‘કોઈ યે કૈસે બતાયે કિ વો તનહા ક્યોં હૈ’, ‘મેરી આવાઝ સુનો, ‘તુમ્હારી ઝુલ્ફ કે સાયે મેં’ ‘જાને ક્યા ઢૂંઢતી રહતી હૈ યે આંખે મુઝમેં’ જેવાં ગીતો તેની સાહેદી પૂરે છે.

પચાસ વર્ષની યાત્રામાં તેમણે પચાસેક ફિલ્મોનાં ગીતો લખ્યાં. એમના ઘણા સમકાલીનોએ આટલાં સમયમાં આનાથી ઘણાં વધારે ગીતો આપ્યાં છે, પણ ગુણવત્તાની વાત થાય ત્યારે કૈફી આઝમી એમાંના મોટા ભાગના કરતાં ઘણા વધારે આગળ હોય છે. ખરું જોતાં સાહિર, કૈફી અને જાંનિસાર અખ્તરે સ્વાતંત્ર્યોત્તર ન્યૂ વૅવ સિનેમામાં ગીતોની કાયાપલટ કરી નાખી એમ કહેવામાં બિલકુલ અતિશયોક્તિ નથી. કે.એ. અબ્બાસ અને બિમલ રૉય પોતાનાં આધુનિક સર્જનો માટે સાહિર અને મજરુહ જેટલા જ કૈફીને પસંદ કરતા. પદ્મશ્રી સહિત અનેક સન્માનપ્રાપ્ત કૈફી આઝમીના નામનો એક રસ્તો નવી દિલ્હીમાં બન્યો છે. 

‘પલકોં કી ઠંડી સેજ પર સપનોં કી પરિયાં સોતી હૈં’માં કેવી નમણી સુંદરતા છે અને ‘જાને કયા ઢૂંઢતી રહતી હૈ યે આંખેં મુઝમેં, રાખ કે ઢેર મેં શોલા હૈ ન ચિનગારી હૈ’માં કેવી આઘાતજનક કઠોરતા છે! કૈફીનાં ગીતો આપણને ફરીવાર એ સત્ય સમજાવે છે કે શાયરનાં સુખ-દુ:ખ નિરાળાં હોય છે, એને બીજું કોઈ જાણી શકે નહીં. ઐસી ભી બાતેં હોતી હૈં … 

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : લેખિકાની સાપ્તાહિક કોલમ, ‘મલ્ટિપ્લેક્સ’ પૂર્તિ “જન્મભૂમિ”, 01 મે 2026

Loading

જૂઠાણાંથી ઘેરાયેલાં સત્યને કેવી રીતે ઓળખવું?

સોનલ પરીખ|Opinion - Opinion|11 June 2026

1986ની 26મી એપ્રિલે રશિયાના ચેર્નોબિલમાં અણુઇતિહાસની સૌથી મોટી દુર્ઘટના બની. શક્તિશાળી વિસ્ફોટ, માઈલો સુધી ફેલાયેલું રેડિયેશન, લાખો લોકોનું વિસ્થાપન, હજારો મૃત્યુ, જંગલોનું બળી જવું અને સત્યને છાવરવાનું રાજકીય દબાણ. તપાસ–કમિશનના ચીફે દુર્ઘટનાના બે વર્ષ બાદ આત્મહત્યા કરી. મરતા પહેલા તેણે લોકો સામે સત્ય મૂક્યું. એમાંથી આપણે કંઈ શીખ્યા?  

બરાબર ચાલીસ વર્ષ પહેલાંની વાત – રશિયા, 26 એપ્રિલ, 1986ની વહેલી સવારે વેસિલી ઈગ્નાટેન્કો અને તેની સગર્ભા પત્ની લ્યુડમિલા બેલારુસ જવાના હતાં. રાત્રે દોઢ વાગ્યો ત્યાં પાવર પ્લાન્ટની વિરાટ ચીમનીમાંથી આગની જ્વાળાઓ અને કાળા ધુમાડાના ગોટા નીકળવા માંડ્યા. વેસિલી ફાયરફાઈટર હતો – આગ બુઝાવવાનું કામ કરતો. તરત તેને ભાગવું પડ્યું. પત્નીને ચુંબન આપી, ‘તું સૂઈ જજે, હું આવીને તને જગાડીશ.’ કહી વેસિલી ગયો. પત્ની સૂઈ ન શકી. આગ સામાન્ય નહોતી, ચેર્નોબિલના એટમિક રિએક્ટરમાં થયેલા અકસ્માતનું પરિણામ હતી. વેસિલી અને તેના જેવા બત્રીસ યુવાનો એટમિક રેડિયેશનનો તાત્કાલિક અને પહેલો ભોગ બન્યા. તેમને સીધા હૉસ્પિટલે લઈ જવાયા.

લ્યુડમિલા દોડી. પ્રશ્નોત્તરી અને વિધિઓમાંથી માંડ પસાર થઈ પતિ પાસે પહોંચી. એક પ્રશ્ન એ પણ હતો, ‘પ્રેગ્નન્ટ છો?’ એ ખોટું બોલી કેમ કે તેને વેસિલી પાસે જવું હતું. તેને જોવો હતો. સાંત્વન આપવું હતું. છેવટે ‘તેને અડશો નહીં’ એવી ચેતવણી સાથે તેને વેસિલીના રૂમમાં જવા દેવાઈ. પારદર્શક પ્લાસ્ટિક શિટને પેલે પાર વેસિલીનું રેડિયેશને ક્ષતવિક્ષત કરી નાખેલું, ઓળખાય પણ નહીં તેવું અર્ધબેહોશ શરીર પડ્યું હતું. 

14 દિવસ પછી એ મૃત્યુ પામ્યો. તેના સાથીઓ પણ ન બચ્યા. એક મોટો ખાડો કરી જસતના કૉફિનમાં એમનાં શરીર મુકાયાં અને માટીને બદલે સિમેન્ટ-ડામરના રગડાથી ખાડો બુરી દેવાયો. લ્યુડમિલા તેને માટે લાવેલી તે કપડાં અને શુઝ એમ ને એમ જ પાછા લઈ ગઈ. શરીર એટલું સૂજી ગયું હતું કે તેને તે પહેરાવી શકાયા નહીં. 

થોડા મહિના પછી લ્યુડમિલાએ દીકરીને જન્મ આપ્યો. છોકરી માંડ ચાર કલાક જીવી શકી. 

આ હતી ચેર્નોબિલ એટમિક રિએક્ટરમાં બનેલી અણુઇતિહાસની સૌથી મોટી દુર્ઘટનાનો ભોગ બનેલા એક જ કેસની વાત. ક્યાં છે ચેર્નોબિલ? શું થયું હતું ત્યાં? 

ચેર્નોબિલ પાવર સ્ટેશન યુક્રેનની રાજધાની કીવથી 130 કિલોમીટર ઉત્તરે પ્રિપયેટ શહેરમાં બન્યું હતું. બેલારુસથી 20 કિલોમીટર દક્ષિણમાં. એ વખતે યુક્રેન રશિયાનો ભાગ હતું. ચેર્નોબિલ પાવર સ્ટેશનમાં ચાર ન્યૂક્લિયર રિએક્ટર હતાં. રિએક્ટરમાં થતી પ્રક્રિયા ખૂબ ગરમી ઉત્પન્ન કરે છે. ઠંડા પાણીનો પુરવઠો સતત મળ્યા કરે તે માટે પ્રિપયેટ નદી પર એક કૃત્રિમ તળાવ બનાવ્યું હતું. યુક્રેનના આ વિસ્તારમાં વસતી બહુ ઓછી હતી. રિએક્ટરથી 3 કિલોમીટર દૂર નવું વસાવેલું શહેર હતું જેમાં 50,000 લોકો રહેતા. ચેર્નોબિલના જૂના શહેરમાં 12,500. પાવર પ્લાંટના 30 કિલોમીટરના ઘેરાવામાં લગભગ દોઢ લાખ લોકો રહેતા હતા. 

અકસ્માત સમયે બે રિએક્ટર ચાલુ હતાં. એક પરીક્ષણ દરમ્યાન ભૂલ થવાથી અચાનક રિએક્ટરમાં અનિયંત્રિત અણુવિભાજન પ્રક્રિયા ચાલુ થઈ ગઈ ને જોતજોતામાં કાબૂ બહાર ચાલી ગઈ. પુષ્કળ પ્રમાણમાં વરાળ ઉત્પન્ન થવાથી દબાણ ખૂબ વધી ગયું. બે શક્તિશાળી વિસ્ફોટ અને રિએક્ટરની હજારો ટન વજનની છત ઊડી ગઈ. રેડિયેશન ઝડપથી ફેલાવા લાગ્યું ને ત્યાં કામ કરતા, આગ બુઝાવવા આવેલા અને દૂર પુલ પરથી આગ જોઈ રહેલા લોકોમાંનું કોઈ ન બચ્યું.

યુક્રેન અને બેલારુસ સૌથી વધારે અસરગ્રસ્ત હતાં. જોતજોતામાં માઈલો સુધીનું આકાશ ધૂંધળું બન્યું. દૂર દૂર સુધી કિરણોત્સર્ગી વરસાદ થયો. બે દિવસ પછી, પચાસ મિનિટની નોટિસ આપી પ્રિપયેટ શહેર ખાલી કરાયું. લોકોને લેવા બસો આવી હતી. પાળેલાં પ્રાણીઓને લઈ જવાની મનાઈ થઈ. બેત્રણ દિવસમાં પાછા આવીશું એમ માનીને સૌ ગયા – કદી પાછા ફરી શક્યા નહીં. એક ટીમને ખાલી શહેરમાં ફરતાં પ્રાણીઓને મારી નાખવાનું સોંપાયું. બીજી ટીમે પ્રાણીઓનાં મૃત શરીરોના ઢગલાને મોટા ખાડામાં નાખી તે પર સિમેન્ટ-ડામરનો રગડો રેડ્યો. થોડાં પ્રાણીઓ તો પણ બચી ગયાં, તે થોડા વખતમાં ખૂબ હેરાન થઈ મરી ગયાં. 

રિએક્ટર ફાટ્યું હતું ત્યાં સેંકડો ટન રેડિયોઍક્ટિવ કાદવ થયો હતો. તેને ખસેડવા મુકાયેલાં યંત્રો ભયાનક ગરમી અને રેડિયેશનથી બગડવા માંડ્યાં એટલે ખાણોમાં કામ કરતા 400 જેટલા મજૂરોને બોલાવ્યા. આમાંના મોટા ભાગના વર્ષ-બે વર્ષમાં મરી ગયા. બીજા હજારોને પણ ‘ફરજિયાત સેવા’ આપવા રોકી લીધા હતા. 2,000 ચોરસ માઈલ સુધી રેડિયેશનની અસર થઈ, આ વિસ્તારને એક્સક્લુઝન ઝોન કહે છે. ઊભાં ઝાડ બળી જવાથી જંગલ ઘેરા લાલ રંગનું દેખાય છે, તેને રેડ ફોરેસ્ટ કહે છે. 

આવી મોટી દુર્ઘટનાની વૈશ્વિક સ્તરે તપાસ થયા વિના રહે નહીં. રશિયાએ પહેલા તો ઢાંક્પિછોડો કરવાની કોશિશ કરી. વિજ્ઞાનીઓની ટીમને ચૂપ કરી દીધી. દુર્ઘટનાની તપાસ માટે એક કમિશન રચાયું જેનો ચીફ હતો ડૉ. વેલેરી લેગોસોવ. તપાસ ચાલુ થઈ અને ભયાનક હકીકતો ખૂલતી આવી – બેદરકારી, અહમ, રિએક્ટરની ડિઝાઈનમાં મોટી ખામી – આ બધું દુનિયા સામે છતું થાય તો આબરૂ જાય. લેગોસોવ પર પુષ્કળ રાજકીય દબાણ આવ્યું. એ વખતે ઢાંકપિછોડો કરી લેવાયો, પણ દુર્ઘટનાના બરાબર બે વર્ષ બાદ 1988ની 27મી એપ્રિલે પોતાનું બયાન રેકોર્ડ કરીને 51 વર્ષના લેગોસોવે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી. 

બધું બહાર આવતાં સોવિયેટ ન્યૂક્લિયર ઈન્ડસ્ટ્રી ચમકી પડી. ડિઝાઈનમાં જરૂરી સુધારા કરવામાં આવ્યા, થોડા વખતમાં ત્રણ રિએક્ટરો ફરી કામ કરતાં થયાં. 1996માં ત્યારના પ્રમુખ બોરિસ યેલ્તસીને લેગોસોવને રશિયાનો ‘કરેજ અને હીરોઈઝમ’ માટે અપાતો સર્વોચ્ચ ખિતાબ એનાયત કર્યો. પણ જે બન્યું તે ભુલાય તેવું ન હતું. તે વખતે ગોર્બાચોવ રશિયાના પ્રમુખ હતા. એમણે 2006માં લખ્યું છે, ‘ચેર્નોબિલ પરહેપ્સ ધ ટ્રુ કૉઝ ઑફ ધ કૉલેપ્સ ઑફ ધ સોવેયેટ યુનિયન.’ 

અમેરિકાએ ચેર્નોબિલ ઘટનાને ‘માનવઇતિહાસની સૌથી મોટી પર્યાવરણીય દુર્ઘટના’ કહી છે. આ ઘટના પછી યુક્રેન-બેલારુસમાં કેન્સરનું પ્રમાણ અતિશય વધી ગયું. અસરગ્રસ્ત વિસ્તારમાંથી કુલ ત્રણ લાખ માણસો વિસ્થાપિત થયા. ત્યાંના હવાપાણીમાં હજી અણુપ્રદૂષણ છે. જંગલ હજી લાલ છે. છૂટાછવાયા માણસો તો પણ ત્યાં વસે છે. મોટો વિસ્તાર પ્રતિબંધિત છે. ચેર્નોબિલ દુર્ઘટનાએ હિરોશીમા-નાગાસાકી બોમ્બવિસ્ફોટ કરતાં અનેક ગણું રેડિયેશન ફેલાવ્યું હતું એમ એક સ્રોત કહે છે. ઉત્તર અને પૂર્વ યુરોપ સુધી એની અસર ફેલાઈ હોવાના અહેવાલ મળ્યા છે.  

2000માં ચેર્નોબિલ પાવર સ્ટેશન બંધ થયું. 2017માં બે રિએક્ટરો પર અબજોના ખર્ચે સિમેન્ટ ગુંબજ બંધાયા છે. તેમાં ટનબંધ કિરણોત્સર્ગી કચરો આજે પણ છે. પ્રિપયેટ શહેર હજી ખાલી છે. ત્યાં જંગલી ઘોડા, સૂવર વગેરે ફરે છે. હવે એ ટૂરિસ્ટ સાઈટ છે. ત્યાંની હૉસ્પિટલના બેઝમેન્ટમાં દર્દીઓનાં કપડાં છે, તેના પર હજી રેડિયેશનની અસર છે. ચેર્નોબિલ દુર્ઘટનામાં કેટલા લોકોના જીવ ગયા એ હજી અટકળનો વિષય છે. મૃત્યુઆંક 4,000થી 94,000 સુધીનો હોવાની સંભાવના છે, પણ ઔપચારિક આંકડો તો 1986માં જે હતો, હજી પણ એ જ છે – 31. 

એચ.બી.ઓ.એ બનાવેલી ‘ચેર્નોબિલ’ સિરિઝ, ‘વોઈસિસ ઑફ ચેર્નોબિલ’ પુસ્તક, ‘ચેર્નોબિલ ડાયરીઝ’ ફિલ્મ અને દસ્તાવેજો આ ભયાનક દુર્ઘટના પર પ્રકાશ પાડે છે. પણ માણસને ઇતિહાસમાંથી કઈં જ શીખવું નથી હોતું. 2011માં જાપાનમાં થયેલો ફુકુશિમા ન્યૂક્લિયર એક્સિડન્ટ આની સાબિતી છે. તેના કારણમાં કુદરતી આફત જેટલી જ જવાબદાર ખામીભરી સંરચના હતી. એ પછી વિશ્વસ્તરે અણુખતરાઓ માટેની સતર્કતા વધી છે ખરી, પણ ડૉ. લેગાસોવ કહે છે તે યાદ રાખવા જેવું છે, ‘જે દેખાતું નથી તે, જે દેખાય છે તેના કરતાં ઘણું વધારે ભયાનક હોય છે. જોખમ એ નથી કે આપણે અસત્યને સત્ય માનવાની ભૂલ કરીએ છીએ. ખરું જોખમ એ છે કે આપણે એટલાં બધાં જૂઠાણાંથી ઘેરાયેલાં છીએ કે તેની વચ્ચેથી સત્યને ઓળખી શકતા નથી.’ અને ‘વિજ્ઞાની સરળ હોય છે. એ સત્ય શોધવામાં એટલો એકાગ્ર હોય છે કે એને એ નથી દેખાતું કે સત્ય શોધવામાં ભાગ્યે જ કોઈને રસ હોય છે.’ 

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 26 ઍપ્રિલ  2026

Loading

...102030...38394041...506070...

Search by

Opinion

  • એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”
  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે
  • ચલ મન મુંબઈ નગરી—353

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ
  • લૂંટ શકે તો લૂંટ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved