Opinion Magazine
Number of visits: 9950425
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ડૉ. આંબેડકરના જીવન અને વિચારોનું મૂલ્યાંકન કરતું સંપાદન : સમતાના સેનાની આંબેડકર

વિરાગ સૂતરિયા|Opinion - Opinion|14 April 2026

બાબાસાહેબ ડો. આંબેડકર ભારતના ઇતિહાસનું ‘ઉપેક્ષાથી ઇશ્વરીકરણ’ સુધીના તમામ તબક્કાઓમાંથી પસાર થઈ ચૂકેલું વ્યક્તિત્વ છે. ચંદ્રકાન્ત બક્ષીના યાદગાર શબ્દોમાં “ડૉ. આંબેડકરનું જીવન મૂલ્યાંકનની 2000⁰ (ડિગ્રી) ગરમીમાંથી પસાર થઇ શકે એવું છે. કોઇપણ અભ્યાસીને મજા પડી જાય એવું અને કોઇપણ અભ્યાસીની તાકાત મપાઇ જાય એવું છે.”

આપણે મહાપુરુષોની કાં તો ભક્તિભાવપૂર્વક પૂજા કરતી કાં તો એકાંગી ટીકા કરતી પ્રજા છીએ. એમના જીવન – વિચારનું મૂલ્યાંકન ભાગ્યે જ થાય છે. આઝાદી પછી અમુક અભ્યાસુઓ અને દલિત ચિંતકો સુધી સીમિત રહેલા ડૉ. આંબેડકર એમની જન્મ શતાબ્દી પછી વાયુવેગે રાષ્ટ્રીય ફલક પર છવાઇ ગયા છે. એમનું લખાણ વિવિધ સરકારો દ્વારા ‘સંપૂર્ણ અક્ષરદેહ’ સ્વરૂપે પ્રકાશિત થતાં અભ્યાસુઓ અને જિજ્ઞાસુઓને એમના વિચારદેહને નવી દૃષ્ટિએ જોવા-મૂલવવાની તક મળી. વિદેશી વિદ્વાનો ગેલ ઓમવેટ, ક્રિસ્તોફ જેફ્રલે અને એલીનોર ઝેલીએટ આંબેડકરી જીવન અને વિચારના અભાસ્યુઓ તરીકે જાણીતાં છે. જો કે ગુજરાતીમાં આ પ્રકારનો અભ્યાસ જોઇએ એટલો થયો નથી.

બાબાસાહેબના જન્મની સવા શતાબ્દી નિમિત્તે દલિત – સામાજિક ચળવળોના જાણતલ, વિદ્વાન અભ્યાસુ અને આ ક્ષેત્રના અધિકારી લેખક ચંદુ મહેરિયાએ બાબાસાહેબનાં વિવિધ પાસાંઓ ઊજાગર કરતું પુસ્તક ‘સમતાના સેનાની : ડૉ. આંબેડકર’ સંપાદિત કરીને સ્તુત્ય કાર્ય તો કર્યું જ છે. ઉપરાંત આંબેડકરી અભ્યાસની ગુજરાતીમાં ખોટ પણ પૂરી કરી છે.

ઇતિહાસ, અર્થશાસ્ત્ર, નૃવંશશાસ્ત્ર, શિક્ષણશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, પત્રકારત્વ, રાજનીતિશાસ્ત્ર, બંધારણ, રેશનાલિઝમ, સમાજ સુધારા, મજૂર અધિકારો, મહિલા અધિકારો, દલિત અધિકારો વગેરે  અનેક ક્ષેત્રે ડૉ. આંબેડકરે ચિંતન, મનન, લેખન કર્યું છે. તેઓ દલિત અધિકારોના લડવૈયા તો હતા જ. બાબાસાહેબના વિવિધક્ષેત્રના વિચારોનું મૂલ્યાંકન, સમીક્ષા અને  આલોચના કરતા, ગુજરાતના વિવિધ ક્ષેત્રના અને વૈચારિક રીતે મતાંતર ધરાવતા ચાલીસ અભ્યાસુઓના લેખો, આ સંપાદનમાં સમાવિષ્ટ છે.

લેખકોના નામના અકારાદિક્રમે ૪૦ લેખો છે. બહુચર્ચિત ગાંધી – આંબેડકર વૈચારિક સંઘર્ષ અને સત્યાગ્રહોનું મૂલ્યાંકન કરતો મકરંદ મહેતાનો અને બાબાસાહેબના જીવનધ્યેય સમાન જ્ઞાતિનિર્મૂલન, આંબેડકર અને સામ્યવાદી ચળવળ વિશેનો આનંદ પરમારનો લેખ છે. ઇન્દુકુમાર જાનીએ બાબાસાહેબની સમાજ સુધારણાની ચળવળ અંગે, અરુણ વાઘેલાએ બાબાસાહેબના ઇતિહાસ ચિંતન તથા વિષ્ણુ પંડ્યાએ ઇતિહાસકાર તરીકે ડો. આંબેડકરને મૂલવતા લેખો લખ્યા છે.

ડો. આંબેડકરના ‘થૉટ્સ ઓન પાકિસ્તાન’ ગ્રંથની તલસ્પર્શી સમીક્ષા કરતો પંદર પાનાંનો  ઉર્વીશ કોઠારીનો લેખ નોખી ભાત પાડે છે. ઇલિયાસ મનસૂરીના લેખ ‘બાપુ, બાપા અને બાબાસાહેબ : રસ્તા અલગ, લક્ષ્ય એક’માં અસ્પૃશ્યતા નિવારણ માટે ગાંધીજી, ઠક્કર બાપા અને બાબાસાહેબના વિચારો, વલણો અને એ માટેની તીવ્રતાની વિશદ રીતે સમીક્ષા છે. ઇતિહાસ, પુરાકથાઓના પરિપ્રેક્ષ્યમાં ભારતીય સ્ત્રી અને સ્ત્રી અધિકારો સંબંધે બાબાસાહેબના વિચારો- કાર્યોનું મૂલ્યાંકન કરતો લેખ પ્રવીણ ગઢવીનો છે. જ્ઞાતિના પ્રશ્ને ડો. આંબેડકરના ઐતિહાસિક દૃષ્ટિકોણની તપાસ લક્ષ્મણ વાઢેરે કરી છે. બાબાસાહેબના જીવનમાં છત્રપતિ શાહુ મહારાજનું અપ્રતિમ પ્રદાન રહ્યું છે. બાબાસાહેબ અને શાહુ મહારાજ વચ્ચેના સંબંધોના તાણાવાણા કિશોર મકવાણાએ વર્ણવ્યા છે.

દલપત ચૌહાણનો બાબાસાહેબ પર લખાયેલાં અંજલિ કાવ્યો વિશેનો, સાહિલ પરમારનો એમની કવિતા – લખાણો સાથે આંબેડકરનો નાતો વર્ણવતો અને  નીરવ પટેલનો ‘ હિંદુ ધર્મનું તત્ત્વજ્ઞાન અને આંબેડકર વિશે મૂલ્યાંકન કરતો લેખ અહીં છે. બાબાસાહેબે વિવિધ સામયિકોના પ્રકાશન દ્વારા પોતાના વિચારો અને કાર્યોનો પ્રસાર કર્યો હતો. તેનો પરિચય અને સમીક્ષા કરતા લેખમાં નટુભાઇ પરમારે બાબાસાહેબને ઉચિત રીતે જ ભારતીય પત્રકારત્વના નવપથપ્રદર્શક ગણાવ્યા છે. ડંકેશ ઓઝાએ આંબેડકરના જીવન અને આજના યુવાનો વિશે લખતાં ‘આંબેડકરની ઉપેક્ષા ભારતીય લોકશાહીને ભારે પડશે’ એવું અવલોકન કર્યું છે. બાબાસાહેબનો વાચન પ્રેમ અને પુસ્તકપ્રીતિ જાણીતાં છે. ભૂખ્યા રહીને, દેવું કરીને પણ એમણે પુસ્તકો ખરીદ્યાં હતાં અને ખાસ પુસ્તકો માટે જ એમણે મુંબઈમાં ઘર બંધાવ્યું હતું. એ વખતના દેશના ખૂબ ઓછા નેતાઓ પાસે હોય એવી સમૃદ્ધ અંગત લાઇબ્રેરી તેમની હતી. બાબાસાહેબના વાચન અને પુસ્તકપ્રેમનો પરિચય સંજય ભાવેએ કરાવ્યો છે. બાબાસાહેબના સૌથી જાણીતા પાસા કાનૂનવિદ અને કાનૂનદાતા ડૉ. આંબેડકરની વિગતો પુસ્તકના સંપાદક ચંદુ મહેરિયાના લેખમાંથી મળે છે. ‘સમાજશાસ્ત્રી’ઓને આંબેડકરના વિદ્યાર્થી બનવા આવાહ્ન કરતો લેખ  સમાજશાસ્ત્રી આંબેડકર વિષે ગૌરાંગ જાનીનો છે.

સનત મહેતા, અશ્વિનકુમાર કારીઆ, એન.વી. ચાવડા, કનુભાઇ વ્યાસ, દિનેશ શુક્લ, નાથાલાલ ગોહિલ, નિમેશ શેઠ, ફાધર વર્ગીસ પોલ, પી.કે. વાલેરા, બાલકૃષ્ણ આનંદ, મણિલાલ રાનવેરિયા, મૂળચંદ સ. રાણા, મંજુલા લક્ષ્મણ, યશવંત મહેતા, યાસીન દલાલ, રતિલાલ રોહિત, રાજેશ મકવાણા, રોહિત શુક્લ, સિદ્ધાર્થ નરહરિ ભટ્ટ, સુનીલ જાદવ, હરપાલ રાણા અને હરીશ મંગલમના  બાબાસાહેબના જીવન- વિચારના વિવિધ પાસાઓ અંગેના લેખો પણ પુસ્તકમાં છે.

આરંભે નેપથ્યે ઉપેક્ષિત રહેલા ડૉ. આંબેડકર આજે વધુને વધુ પ્રસ્તુત બની વ્યાસપીઠે વિરાજે છે. વર્તમાનમાં બાબાસાહેબ પર થતા અભ્યાસો તેઓ જેના અધિકારી છે તે તેમના જીવનકાર્ય અને વિચારોના ઉચિત મૂલ્યાંકનથી સમજાય છે. ડો. આંબેડકરે આજીવન તમામ ક્ષેત્રે વ્યાપેલી અસમાનતા સામે સતત અને સખત સંઘર્ષ કર્યો હતો. આ સંઘર્ષે જ તેમને સમતાના સેનાની તરીકે પ્રસ્થાપિત કર્યા છે. ગઈ કાલના, આજના અને આવતી કાલના આંબેડકરવિદોને અર્પણ થયેલું, આંબેડકર સવાસો નિમિત્તે પ્રકાશિત આ સંપાદન ગુજરાતના અલ્પ આંબેડકરી અભ્યાસોમાં નોંધપાત્ર  ઉમેરણ છે.

સમતાના સેનાની ડૉ. આંબેડકર – સંપાદક. ચંદુ મહેરિયા, પૃષ્ઠ. 12 + 356, પ્રથમ આવૃતિ.- 2015, કિંમત – રૂ. 350, પ્રકાશક – સંસ્કાર સાહિત્ય મંદિર, 5, N.B.C.C. હાઉસ, સહજાનંદ કોલેજ પાસે, પોલિટેકનિક, અમદાવાદ-૩૮૦ ૦૧૫

e.mail : viragsutariya@gmail.com

Loading

હું મારો નિર્ણય નહીં બદલું

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Short Stories|14 April 2026

રઘુનાથજી દવે એટલે કર્તવ્ય પરાયણ, કર્તવ્યનિષ્ઠ અને સિદ્ધાંતોના માનવી. રઘુનાથજી એક મલ્ટીનેશનલ કંપનીમાં સી.ઈ.ઓ. હતા. કરોડો રૂપિયાનો વહીવટ તેમની રાહબરી નીચે થતો હતો. કોઈપણ બાબતમાં તેમનો નિર્ણય આખરી નિર્ણય ગણાતો. કંપનીનાં માલિક રાજનભાઈ કોઠારી પણ તેમના નિર્ણયને ક્યારે ય ફેરવતા નહીં. આ બાબતે કંપનીમાં ઘણી વખત ચર્ચાઓ પણ થતી કે રઘુનાથજીએ માલિકને પણ વસમાં કરી લીધા છે. એ માલિક છે તેમણે પણ રઘુનાથજીના નિર્ણયને અનુમતિ આપતા પહેલાં આપણી સાથે ચર્ચા કરવી જોઈએ. 

રાજનભાઈ કોઠારીને એમ જ કંઈ રઘુનાથજી પર આટલો ભરોસો નહોતો. ભૂતકાળમાં કેટલી ય પરીક્ષઓમાંથી રઘુનાથજી પાસ થયેલા હતા. એક વખત રઘુનાથજીની આકરી પરીક્ષા થાય એવો બનાવ બન્યો. રાજનભાઈ કોઠારીના એક નજીકના મિત્રએ ૧૦૦ કરોડ રૂપિયાના કામ માટે ટેન્ડર ભર્યું હતું. તેને પૂરો વિશ્વાસ હતો કે એ રાજનનો મિત્ર છે એટલે ટેન્ડર તો તેને જ મળશે પણ તેના બદલે બીજી કંપનીનું ટેન્ડર પાસ થયું. આખો ય પ્રશ્ન રાજનભાઈ પાસે આવ્યો. રાજનભાઈએ વિચાર્યું કે વિના કારણ રઘુનાથજી મારા મિત્રનું ટેન્ડર નામંજૂર ન કરે; મારે કારણ જાણવું પડશે. રાજનભાઈએ રઘુનાથજીને ચેમ્બરમાં બોલાવ્યા અને પૂછ્યું કે `તમે મારા મિત્રનું ટેન્ડર શા માટે નામંજૂર કર્યું? મેં આજ સુધી તમારા નિર્ણયમાં હસ્તક્ષેપ નથી કર્યો પણ આજે મારે માટે કારણ જાણવું છે.`

`રાજનભાઈ —` 

રાજનભાઈએ રઘુનાથજીને કહ્યું હતું કે `તમારે મને સાહેબ કે બોસ નહી કહેવાનું તમારે મને રાજન કહેવાનું હું તમારાથી નાનું છું.` ત્યારે રઘુનાથજીએ કહ્યું હતું, કે “તમે નાના છો એ વાત સાચી પણ આ કંપનીનાં માલિક છો. એ વાત પણ મારે ધ્યાનમાં રાખવી પડે; તો હું તમને રાજનભાઈ કહીશ.”

`— તમે અત્યાર સુધી મારા કોઈ નિર્ણયમાં હસ્તક્ષેપ નથી કર્યો; તો આ માટે પણ કારણ જાણવાનું રહેવા દો.`

` ના મારે કારણ જાણવું છે.`

`રાજનભાઈ, તમારા મિત્રએ મને બે કરોડની ઓફર કરી હતી; મારા સિદ્ધાંતને જાણતા હોવા છતાં; જે માણસ મને પૈસાની ઓફર કરે એ બીજું શું ન કરી શકે; એમ માનીને મેં એ નામંજૂર કર્યું. મેં કંઈ ખોટું નથી કર્યું; મેં આ કંપની પ્રત્યેની  મારી નૈતિક જવાબદારી નિભાવી છે.`

પણ આજે હકીકત જુદી હતી. રઘુનાથજીની ફરજનિષ્ઠાની કસોટી થાય એવી વાત હતી. રાજનભાઈનો દીકરો દીપેન વિદેશમાં અભ્યાસ પૂરો કરીને આવ્યો હતો અને રાજનભાઈએ તેને રઘુનાથજી પછીની કંપનીમાં પોસ્ટ આપવાની સૂચના આપી હતી. રઘુનાથજી દીપેનના બધાં જ અપલખણ જાણતાં હતાં એટલે તો તેને વિદેશ અભ્યાસ માટે મોકલ્યો હતો. દીપેનનું કંપનીમાં જોડાવાથી કંપનીને ખૂબ નુકશાન થવાની ભીતિ રઘુનાથજીને દેખાતી હતી. એક નિર્ણય કરીને એ રાજનભાઈની ચેમ્બરમાં ગયા અને કહ્યું.

`રાજનભાઈ, હું દીપેનને કંપનીમાં તમે કહી એ પોસ્ટ પર નિમણૂંક નહીં આપી શકું.`

`રઘુનાથજી, તમે કોને અને કોના માટે ના કહો છો એ ખબર છે ને? તમારી નોકરી પણ જઈ શકે છે. તમારે એક વરસ બાકી છે, શાંતિથી નોકરી કરો ને. “હું મારો નિર્ણય નહીં બદલું.”

`તો, રાજનભાઈ આ મારું રાજીનામું; તમે પણ દીપેનનાં અપલખણ જાણો છો; તમને આ બધી ખબર છે; છતાં આવો આગ્રહ શા માટે? પુત્રપ્રેમ અને બિઝનેસ સાથે ન રાખો તો સારું. “હું મારો નિર્ણય નહી બદલું” એમ કહીને રઘુનાથજી એ રાજીનામું રાજનભાઈને આપ્યું. 

રાજનભાઈએ એક ક્ષણ રઘુનાથજી સામે જોઈને રાજીનામું ફાડી નાખ્યું.` રઘુનાથજી એક વરસ પછી હું તમારી જેવો માણસ ક્યાં શોધીશ કે જે વ્યક્તિ કંપનીનાં હિત માટે માલિકને પણ સાચી હકીકત જણાવી શકે; સિદ્ધાંત માટે પોતાની નોકરી પણ છોડી શકે.`

ભાવનગર, ગુજરાત.
e.mail : Nkt7848@gmail.com.

Loading

શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

આશા બૂચ|Gandhiana|14 April 2026

આશા બૂચ

હિન્દુ ધર્મની માન્યતા મુજબ ચાર યુગ; સતયુગ (જે સુવર્ણ કાળ મનાય છે), ત્રેતા યુગ (રજત યુગ), દ્વાપર યુગ (કાંસ્ય યુગ) અને કળિયુગ (લોહ યુગ અથવા અંધકાર યુગ).

એમ લાગે છે કે આગલા ત્રણ યુગો વીતી ગયા, આપણે કળિયુગમાં જીવીએ છીએ. વીસમી સદીમાં સામૂહિક સંહારનાં શસ્ત્રોના વિપુલ ઉત્પાદનને કારણે સહુથી વધુ આંતરિક સંઘર્ષો, યુદ્ધો અને સામૂહિક માનવ સંહાર થયા. સંપત્તિની અસમાન વહેંચણીએ અન્યાયી અર્થવ્યવસ્થા ઊભી કરી અને સ્વાર્થી શાસનકર્તાઓની સત્તા ભૂખને પોષવા શસ્ત્રો ઉત્પાદન કરતી કંપનીઓ વિશ્વ આખામાં દુઃખ અને યાતના ફેલાવી રહી છે.

બીજી બાજુ જોઈએ તો દુનિયામાં અનેક દેશોમાં રાજકીય, આર્થિક, ધાર્મિક અને સામાજિક દમન, અન્યાય અને ઉશ્કેરણીને કારણે થતા સંઘર્ષોનો સામનો વધુ ને વધુ સંખ્યામાં અહિંસક પદ્ધતિથી થતો જોવા મળે છે. અલબત્ત, મોટા ભાગના આંદોલનો ગાંધીજી જેને ‘નબળાની અહિંસા’ કહેતા હતા એ પ્રકારના ગણાવી શકાય. છતાં શસ્ત્રોના ઉપયોગની અવેજીમાં આવાં આંદોલનો સાચી દિશામાં ભરેલું મોટું પગલું કહી શકાય. આપણું અંતિમ ધ્યેય તો રચનાત્મક કાર્યોના માધ્યમથી તમામ પ્રકારના સંઘર્ષોને નિવારી શકાય એ જ રહેશે.

યોરગન યોહાનસન

યોરગન યોહાનસન (Jorgen Johansen) – શાંતિના પ્રણેતા, ઉત્તમ શિક્ષણશાસ્ત્રી અને ટ્રાન્સેન્ડ પીસ યુનિવર્સિટી સાથે સંલગ્ન લેખક તરીકે નામના મેળવી ચુક્યા છે.  mkgandhi.org.માં પ્રકાશિત થયેલ Non Violence as a constructive force લેખમાં આ વિષે વિશદ છણાવટ કરતા તેઓ લખે છે કે શીત યુદ્ધ ખતમ થવા સાથે બે દેશો વચ્ચે લડાઈ ઓછી થતી જોવા મળે છે, પણ દેશની અંદર બે જાતિ અથવા સમૂહો વચ્ચે વધુ હિંસા થતી જોવા મળે છે. મોટા ભાગના સંઘર્ષને આંતરવિગ્રહની કક્ષામાં મૂકી શકાય. જેમ જેમ સંહારક શસ્ત્રોમાં નવાં સંશોધન થયાં અને તેમાં ‘સુધારા’ થયા તેમ તેમ આ સદીની શરૂઆતથી સૈનિકો ઉપરાંત સામાન્ય નાગરિકોની જાનહાનિની સંખ્યા વધતી જ જાય છે, કેટલીક લડાઈઓમાં તો આશરે 80% નાગરિકો અને 20% સૈનિકો માર્યા ગયાની નોંધ લેવાઈ છે. વિશ્વયુદ્ધ સહુથી વધુ સંહારક હોય તેમ માની શકાય. પણ તેમાં 5% નાગરિકોના જાન ગયેલા, તો શું આપણે નાગરિક હત્યા કરવાના ક્ષેત્રમાં પણ ‘પ્રગતિ’ કરી?

સુનામી કે ભૂકંપ જેવી કુદરતી ઘટનાઓને કારણે ભૂસ્તરીય પરિવર્તન આવે અને પ્રવર્તમાન દેશોના સીમાડા બદલાઈ જાય એ તો બનતું આવ્યું છે. દક્ષિણ પૂર્વ એશિયાના ઘણા દેશો એ રીતે આકાર પામ્યા એ જાણીએ છીએ. આવો જાજરમાન હિમાલય પણ મોટા ટાપુઓ એકબીજા સાથે ધસી પડવાથી જ રચાયો છે. પરંતુ રાજ્યવિસ્તારની પીપાસાને સંતોષવા થતાં યુદ્ધોએ અનેક મોટા ભૂખંડોને નાના નાના ટુકડામાં વિભાજીત કર્યા. નહીં તો પ્રથમ વિશ્વયુદ્ધ સમયે ચાલીસેક જેટલા સ્વતંત્ર રાજ્યો હતા તેના આજે લગભગ 200 જેટલા દેશ બન્યા જ ન હોત. એટલું જ નહીં જે સંસ્થાનો શાસક દેશની ગુલામીમાંથી મુક્ત થયા એ દેશોએ મોટે ભાગે વિભાજીત થવાની કિંમત ચૂકવી છે અને શાસક દેશોએ એવી ખાતરી કરીને જ ત્યાંથી પોતાનો કબજો હટાવ્યો કે એ બે પાડોશી દેશો જીવે ત્યાં સુધી લડ્યા કરે જેથી શસ્ત્ર ઉત્પાદન, તેના ખરીદ-વેચાણ અને બરબાદી પછી જે તે દેશના ‘નવનિર્માણ’ કરવા પોતાના દેશની કંપનીઓના નફાથી પોતાના દેશના નાગરિકોનાં ભાણાં ભરાય.

પોતાના દેશને દુનિયાની ‘મહાસત્તા’ માનનારા દેશના વડાઓએ જાણે લોકશાહીની સ્થાપના અર્થે બીજા દેશોના વડાઓને પદભ્રષ્ટ કરીને પોતાની કઠપૂતળી સત્તાસ્થાને બેસાડવાનું પ્રણ લીધું, અને સશસ્ત્ર લડાઈઓ થતી રહી. તો સામે પક્ષે બીજા કેટલાક દેશોએ અહિંસક માર્ગ અપનાવીને પ્રજાના હિતમાં સત્તાપલટો કર્યો એ પણ આ સદીમાં જ બન્યું. પોલેન્ડ, બોલિવિયા, આફ્રિકા, પૂર્વીય યુરોપિયન દેશો અને સોવિયેત યુનિયનમાં આવેલા પરિવર્તનોમાંનાં ઘણાં પરિવર્તનો થોડેઘણે અંશે શાંતિપૂર્વકના હતાં. એ બધા દેશોમાં સત્તાપલટો અહિંસક રીતે કેમ થયો એ કહેવું મુશ્કેલ છે, પણ છેલ્લા કેટલાક દાયકાઓમાં મોટા ભાગના સંઘર્ષો અહિંસક માર્ગે હલ થતા જોવા મળે છે. જો કે રશિયા-યુક્રેઇન, ઇઝરાયેલ-પેલેસ્ટાઇન અને હવે ઈરાન તથા અન્ય ગલ્ફ દેશોની લડાઈઓએ આપણને  ત્રીજા વિશ્વયુદ્ધને આરે લાવી દીધા છે. તો આ હિંસક વૃત્તિ આટલી સ્ફોટક બનવાનું કારણ શું કળિયુગ માનશું?

આધુનિક યુગનો માનવી આજે મંગળ ગ્રહ પર પાણીની શોધ કરી રહ્યો છે, પણ આફ્રિકા અને બીજા દુષ્કાળ પીડિત પ્રદેશમાં વસતા માનવ બંધુઓને પાણી નથી પહોંચાડી શકતો. જેણે કદી લડાઈના મોરચે જઈને રાઇફલ હાથમાં ન લીધી હોય કે જેના હાથ કોઈના લાડકવાયાના ખૂનથી ન રંગાયા હોય તેવા લોકો દેશના નેતા બની જાય. યુદ્ધ કરવાનો નિર્ણય મોટી ઉંમરના આગેવાનો લે અને જાન ગુમાવે યુવાનો. શસ્ત્રો બનાવતી, વેંચતી અને ખરીદતી કંપનીઓના માલિકો પોતાનો નફો કરોડો ડોલરમાં ગણતા હોય અને તેનાથી પોતાની પત્નીઓને હીરા ઝવેરાતથી શણગારતા હોય, જ્યારે ગરીબ માણસો કાટમાળ નીચે દટાઈ મરતા હોય. સરકારી વોર કેબિનેટ ટેબલ ફરતે બેસીને કાગળના નકશા પર ક્યાં હુમલો કરવો એ નિર્ણય કરતી હોય અને જમીન પર લાશોની ગણતરી થતી હોય. આપણે આ બધી ઘટનાઓના સાક્ષી બનીએ છીએ. તો આ કળિયુગ નથી તો શું છે?

મ્યાનમાર કે હેઈટીમાં કોઈ માં કે બાપ પોતાનાં સંતાનની શોધમાં રઝળતાં હોય અને કોઈ જનરલ પોતાના સૈનિકને દુનિયાના એક ભાગને નર્ક બનાવી મુકવા બદલ બહાદુરીનો મેડલ આપતો હોય. લોકોની સેવા અર્થે ચૂંટાયેલી સરકાર પોતાની જ પ્રજાને રંગ, જાતિ અને ધર્મને નામે વિભાજીત કરે. સામાન્ય પ્રજા જાણે છે કે દુનિયામાં દરેકની જરૂરિયાત પૂર્તિ થાય એટલા સંસાધનો છે, પણ ચંદ લોકોના લોભને સંતોષવા પૂરતું ભંડોળ નથી, છતાં રાજસિંહાસન પર બેઠેલા યુદ્ધ કરવાનો નિર્ણય લે. વૈજ્ઞાનિક શોધખોળે આપણી આધ્યાત્મિક સંપદાનો નાશ કર્યો. આપણી પાસે બીજા દેશના નિર્દોષ નાગરિકોને ખતમ કરવા ગાઇડેડ મિસાઈલ્સ છે અને પોતાના જ દેશના નાગરિકો મીસગાઈડેડ (દિશા ભૂલેલા) થયા છે. આવું કળિયુગમાં જ બને.

પેલેસ્ટાઇનના રાષ્ટ્રકવિ માહમૂદ દર્વીશે સાચું જ લખ્યું છે: યુદ્ધ પૂરું થશે. નેતાઓ હાથ મેળવશે. કોઈ વૃદ્ધ માતા પોતાના શહીદની રાહ જોતી રહેશે. કોઈ યુવતી પોતાના વહાલા પતિની રાહ જોયા કરશે. કેટલાં ય બાળકો પોતાના પિતાની વાપસીની રાહ જોતાં રહેશે. મને ખબર નથી, અમારો દેશ કોણે વેચ્યો, પણ કોણ એની કિંમત ચૂકવે છે એ હું જાણું છું. જેઓ યુદ્ધ ઈચ્છે છે તેઓ કદી લડવા નહોતા ગયા, જે લોકો લડવા જાય છે તેમને ક્યારે ય યુદ્ધ ઇચ્છયું નથી. સવાલ એ છે કે તે છતાં આટઆટલાં યુદ્ધો કેમ થાય છે? આપણે કરોડો ડોલર્સ બીજા ગ્રહોની શોધ પાછળ ખર્ચીએ અને આપણા ગ્રહ પર રહેતા માનવોની હત્યા પાછળ અબજો ડોલર્સ ખર્ચીએ? શા માટે? કળિયુગ છે માટે?

આવા ચોતરફ ફેલાયેલ અંધકારમાં નિરાશા ઉપજે એ સામાન્ય માનવીનો સ્વાભાવિક પ્રતિભાવ હોઈ શકે. પરંતુ ઇતિહાસ ગવાહી આપે છે તેમ કળિયુગ પછી ફરી સતયુગ આવતો હોય છે. તો એ કઈ રીતે આવશે એ વિચારીએ. યોરગન યોહાનસન સ્કેન્ડિનેવિયાની કોલેજમાં પોતાના વિદ્યાર્થીઓને “Non-violent techniques” અને “Non-violent Lifestyle”ની પરિભાષા દ્વારા અહિંસાનું હાર્દ સમજાવે છે. તેઓનું માનવું છે કે આપણે બીજાને કોઈ પણ કામની પ્રક્રિયા કે કલા કૌશલ્ય શીખવી શકીએ, પણ જીવનપદ્ધતિ કેવી રીતે શીખવાય? તેઓ માને છે કે કોઈ તંત્ર વિશેનું જ્ઞાન અને અનુભવ બીજ વાવવાનું કામ કરે છે, કે જેમાં સમય જતાં જીવન પદ્ધતિ બનવાની ક્ષમતા સુષુપ્ત હોય છે. ઐતિહાસિક ઘટનાઓની સમીક્ષા, તેના વિશદ વિવેચન, તત્ત્વજ્ઞાનનો અભ્યાસ અને ‘સત્યના પ્રયોગો’ની સાથે મળીને આ બીજ વિશાળ અને મજબૂત વૃક્ષ બની શકે, જે જીવનપદ્ધતિનું પ્રતીક બની રહે છે.

યોરગન યોહાનસન વધુમાં લખે છે તેમ દેખીતી રીતે કળિયુગની છાયામાં જીવતા હોવાનો અનુભવ થતો હોવા છતાં આપણે ખુલ્લા દિલે દુનિયાભરમાં અહિંસક પદ્ધતિના ઉપયોગના ઉદાહરણો જોવા જોઈએ. અહિંસાના વિજ્ઞાનના સંશોધકો, તેનો અમલ કરનારાઓ અને કર્મશીલો બધાએ સાથે મળીને દરેક રાજકીય સભાઓમાં, શિક્ષણના વર્ગોમાં અને સામાજિક ચળવળમાં અહિંસાના વિષયને એક કાર્યસૂચિમાં મુકવી જોઈએ. આપણે અહિંસાના ઉપરછલ્લા તંત્રને તલસ્પર્શી અહિંસક જીવન પદ્ધતિમાં ઉપરાંતરિત કરવી જોઈશે. આ કામ જેમને ગાંધીજીના અહિંસાના સિદ્ધાંતો અને ફિલોસોફીની પૂરી જાણકારી હોય તેવા લોકો જ કરી શકે. તેમણે 20મી સદીના પ્રારંભમાં વિકસાવેલા આ વિચારો અને પ્રયોગોને 21મી સદીમાં પુનર્જીવિત કરવા જોઈએ. એ માટે સાધન અને સાધ્ય વચ્ચેના અનુબંધ વિશે વિચારવું જોઈએ. સાધનશુદ્ધિના સિદ્ધાંતે બહુ ઓછા સંશોધકોનું ધ્યાન ખેંચ્યું છે. શાંતિ વિશે સંશોધન કરનારા યુદ્ધ અને સંઘર્ષો પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે, તેના ઉકેલ માટે કયું સાધન વાપરવાથી ઇચ્છિત ફળ મળે તે માટે કોઈ ચાવી નથી બતાવી. પરિણામે ટૂંકા ગાળાની સુલેહ સંધિ થાય અને ફરી પાછા ઠેર ના ઠેર આવી જઈએ.

વ્યક્તિગત, સામૂહિક કે રાષ્ટ્રીય નિહિત સ્વાર્થની પૂર્તિ માટે સશસ્ત્ર સંઘર્ષ અને યુદ્ધ કરવા અને આંતરરાષ્ટ્રીય દબાણને કારણે કહેવાતો યુદ્ધ વિરામ કરી, ફરી પંદર વીસ વર્ષે એવા જ બીજા કોઈ કારણસર વધુ હિંસક લડાઈ છેડવામાં ડહાપણ નથી એ સમજીને સમગ્ર માનવ હિતની જાળવણી માટે બીજો કોઈ ઉપાય જડે તો અપનાવવો, નહીં તો યોરગન યોહાનસન કહે છે તેમ ગાંધીજીના સત્યના પ્રયોગો અને અહિંસક ચળવળોનો ઊંડો અભ્યાસ કરી અમલમાં મુકવો એ જ એક માર્ગ આ કળિયુગમાંથી છુટકારો મેળવવાનો લાગે છે.

e.mail : 71abuch@gmail.com

Loading

...102030...40414243...506070...

Search by

Opinion

  • અપેક્ષા                                                 
  • જરૂરત અલબત્ત સુરક્ષા દિવસની પણ ઉજવણી જો કે હત્યા દિવસની
  • આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!
  • ફૂટપાથ થોડી જિંદગી બચાવી શકે એમ છે …
  • મોહેં-જો-દડોની ‘ડાન્સિંગ ગર્લ’: 4500 વર્ષથી યથાવત્ હતી, 21મી સદીએ તેને ‘સુધારી’?

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved