Opinion Magazine
Number of visits: 10080266
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જ્યારે પાકિસ્તાનથી આવેલા લોકોએ કચ્છના રણમાં આખું શહેર વસાવ્યું

પાર્થ પંડ્યા, બી.બી.સી. ગુજરાતી|Opinion - Opinion|9 June 2026

ગુજરાતના રણપ્રદેશ કચ્છની વચ્ચે એક ઔદ્યોગિક શહેર વસે છે, વિસ્તારની દૃષ્ટિએ કચ્છ ગુજરાત જ નહીં પણ દેશનો સૌથી મોટો જિલ્લો છે, જિલ્લાનું મુખ્ય મથક ભુજ ભલે હોય પણ આર્થિક પાટનગર તો ગાંધીધામ છે.

ગાંધીધામથી 13 કિલોમિટર દૂર કંડલા બંદર છે, જે ગુજરાત અને ભારતનાં વેપાર-ઉદ્યોગો માટે વૈશ્વિક મથક છે. કચ્છના જાણીતા સાહિત્યકાર માવજી મહેશ્વરી એટલે જ ગાંધીધામને ‘કચ્છનું મુંબઈ’ ગણાવે છે.

ઉજ્જડ રણમાં 2001ના વિનાશકર ભૂકંપ બાદ ફરી બેઠું થયેલું આ નગર જેટલું રસપ્રદ છે, એટલી જ રસપ્રદ છે એના સર્જન અને વિકાસની કહાણી.

‘કચ્છનું મુંબઈ‘ ગાંધીધામ પાકિસ્તાનથી આવેલા નિર્વાસિતોએ કઈ રીતે વસાવ્યું?

પાકિસ્તાનમાં પોતાનું ઘર, વતન, વેપાર-ધંધા સઘળું ગુમાવીને આવેલા સિંધીઓએ આ શહેર ઉજ્જડ રણમાં ઊભું કર્યું. ઘરો, ઉદ્યોગો, બૅન્ક, શાળા-કૉલેજો વસાવ્યાં અને ગુજરાતને મળ્યાં ગાંધીધામ-આદિપુર અને કંડલા.

નવી દિલ્હીમાં વસતા સાહિત્ય અકાદમી પુરસ્કૃત લેખક મોહન ગેહાણીએ ગાંધીધામ પર ‘ડેઝર્ટલૅન્ડ ટુ હોમલૅન્ડ’ નામનું પુસ્તક લખ્યું છે.

તેઓ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે, “હું આ વિશે લખવા આકર્ષાયો કેમ કે આજ સુધી જે શહેરો બન્યાં છે, તે રાજાઓ, મહારાજાઓ, નવાબોએ બનાવ્યાં છે. પણ એક સામાન્ય માણસ દૂરદર્શિતા સાથે આવે અને એ હિંમત કરે કે આપણે નગર ઊભું કરવું છે, તો એ વાતથી હું પ્રેરાયો કે આ વિશે મારે લખવું જોઈએ.”

ગાંધીજીની હત્યા અને સરદારગંજ બન્યું ગાંધીધામ

ગાંધીજીની હત્યાના 12 દિવસ પછી તેમનાં અસ્થિ મૂકીને અહીં સમાધિ બનાવવામાં આવી હતી અને સરદારગંજના બદલે શહેરને ગાંધીધામ નામ આપવામાં આવ્યું હતું.

30 જાન્યુઆરી 1948, નવી દિલ્હીની વાત છે. આથમતો સૂરજ દેશને શોકાતુર કરતો ગયો, પંદર-સત્તર મિનિટ પહેલાં જ ઘડિયાળમાં પાંચના ટકોરા પડ્યા હતા.

નાથુરામ ગોડસેએ પ્રાર્થનાસ્થળે પહોંચેલા ગાંધીજીની છાતીમાં અને પેટમાં એક પછી એક ત્રણ ગોળીઓ ઉતારી દીધી હતી, ‘રા…મ’ શબ્દો સરી પડ્યા અને ગાંધીજીનું શરીર ઢળી પડ્યું.

હત્યાના થોડા જ કલાકો પહેલાં ગાંધીજીને કચ્છના દીવાન તરફથી એક તાર આવ્યો હતો, તાર મળ્યા બાદ ગાંધીજીએ જલદી જ ગુજરાતની મુલાકાત લેવાનો વાયદો કર્યો પણ પ્રાણાંત સાથે વાયદો અધૂરો રહી ગયો.

આ તારમાં ભારતની પશ્ચિમે આવેલા કચ્છના રણમાં એક નવા શહેરનો પાયો નાખવાની વાત હતી, જેનું ઉદ્ઘાટન ગાંધીજીના હસ્તે થવાનું હતું.

નવી દિલ્હીથી ગાંધીજીનાં થોડાંક અસ્થિ લાવવામાં આવ્યાં, થોડાં અસ્થિ કંડલાનાં પાણીમાં પધરાવ્યાં અને થોડાંક અસ્થિ રાખીને ગાંધીજીની સમાધિ બનાવાઈ.

નવા બનનારા નગરને સરદારગંજને બદલે ગાંધીધામ નામ આપવામાં આવ્યું, જે દિવસે ગાંધીજીનાં અસ્થિ લવાયાં હતાં, એ દિવસ એટલે કે 12 ફેબ્રુઆરીએ ગાંધીધામ શહેરનો સ્થાપનાદિન મનાવાય છે.

અહીં ગાંધીધામ-આદિપુર જોડિયાં શહેરો અને કંડલા બંદર વિકસાવાયાં હતાં.

ગાંધીધામ અને કંડલાનું સપનું સેવનાર ભાઈ પ્રતાપ

ગાંધીધામ બનાવવાની જવાબદારી પેતાના ખભે ઉપાડનાર ભાઈ પ્રતાપ

મોહન ગેહાણીએ દૂરદર્શિતા ધરાવતા જે સામાન્ય માણસની વાત કરી એ છે ભાઈ પ્રતાપ એટલે કે પ્રતાપ મૂળચંદ દયાલદાસ.

ભાઈ પ્રતાપ વેપારીની સાથે-સાથે સિંધી કૉંગ્રેસ નેતા હતા અને ગાંધીજીને પોતાના ગુરુ ગણાવતા હતા, તેમણે આ નગર અને બંદર ઊભાં કરવાની જવાબદારી લીધી.

આદિપુરમાં સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિંધોલૉજીના ડિરેક્ટર રહી ચૂકેલા લખમીચંદ ખિલાણીનો જન્મ વર્ષ 1935માં આજે પાકિસ્તાનમાં આવેલા સિંધમાં થયો હતો, ભારત આવ્યા બાદ તેઓ કોલકતામાં સ્થાયી થયા હતા.

તેઓ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે, “ભારતમાં આઝાદી પછી નગરો નથી બન્યાં, એવું નથી. ચંડીગઢ, ભુવનેશ્વર, ગાંધીનગર બન્યાં છે, પણ એ સરકારે બનાવ્યાં છે. આ ગાંધીધામ એ ભાઈ પ્રતાપની મહેનતની ઉપજ હતી.”

તેઓ કહે છે, “ભાઈ પ્રતાપને લાગ્યું કે પકિસ્તાનના સિંધમાં પોતાનું સઘળું છોડીને આવેલા સિંધિઓ જો અહીં આવીને વેરવિખેર થઈ જશે તો તેમની ભાષા, સાહિત્ય, સંગીત બધું ખોવાઈ જશે અને તેમની ઓળખ પણ ગુમ થઈ જશે.”

“એ સગળું જાળવી રાખવા માટે પોતાની જમીન જરૂરી છે, એટલે એમને અહીં એક નગર ઊભું કરવાનો વિચાર આવ્યો.”

ગાંધીજીના કહેવા પર કચ્છના મહારાજે 15 હજાર એકર જમીન આપી

આ નગરને ઊભું કરવા માટે એમની સાથે ગાંધીજી, સરદાર પટેલ, આચાર્ય કૃપલાણી, જવાહરલાલ નહેરુ અને ડૉ. રાજેન્દ્ર પ્રસાદ પણ હતા.

નિર્વાસિતો માટે ગાંધીધામ વસાવવાના ઉદ્દેશથી 1948માં ‘ધ સિંધુ રિસેટલમૅન્ટ કૉર્પોરેશન ઇન્ડિયા’ની સ્થાપના કરવામાં આવી, આચાર્ય કૃપલાણીના નામે ઓળખાતા જે. બી. કૃપલાણી આના પ્રથમ ચૅરપર્સન બન્યા અને ભાઈ પ્રતાપ મૅનેજિંગ ડિરેક્ટરની જવાબદારી સંભાળી હતી.

ભાઈ પ્રતાપે 1952માં ગાંધીધામ પર એક લેખ લખ્યો હતો, એમાં તેઓ લખે છે:

“પાકિસ્તાનથી આવેલા લોકો વેરવિખેર થઈ ગયા અને તેમાંથી શક્ય હોય એટલાને ભેગા કરીને રહેવાની જગ્યા આપવા માટે ઑગસ્ટ 1947માં જ આ સ્કીમનો વિચાર આવ્યો. ગાંધીજીએ આ સ્કીમને આશીર્વાદ આપ્યા અને કચ્છના મહારાજે આ માટે જમીન આપી.”

ભાઈ પ્રતાપનાં દીકરી અરુણા જગતિયાણીએ ‘ધ ફાઇનલ હોમકમિંગ’ નામથી પુસ્તક લખ્યું છે, તેઓ સિંધુ રિસેટલમૅન્ટ કૉર્પોરેશનનાં હાલમાં ચૅરપર્સન છે.

તેઓ લખે છે, “ભાઈ પ્રતાપે કચ્છના મહારાજ વિજયરાજ ખેંગરાજ જાડેજાનો સંપર્ક સાધ્યો અને ગાંધીજીના કહેવા પર મહારાજે અંદાજે 15 હજાર એકર જેટલી જમીન સિંધના નિર્વાસિતો માટે ફાળવી આપી હતી.”

સિંધુ રેસટલમૅન્ટ કૉર્પોરેશનના ડિરેક્ટર સુરેશ નિહલાણી કહે છે, “આ જમીન કેન્દ્ર સરકારને સરન્ડર કરી દેવી પડી અને 2600 એકર જમીન પર નગર બનાવવા માટે સિંધુ રેસટલમૅન્ટ કૉર્પોરેશનની સ્થાપના કરવામાં આવી અને એનાં શૅર બહાર પાડવામાં આવ્યા હતા.”

તેમના કહેવા પ્રમાણે આ શૅરની કિંમત એક હજાર રૂપિયા રાખવામાં આવી હતી અને જે વ્યક્તિ શૅર ખરીદે તેમને મફતમાં જમીન આપવામાં આવતી હતી.

ભાઈ પ્રતાપ તેમના લેખમાં લખે છે કે 8000 લોકોએ આ સ્કીમનો લાભ લીધો અને 25 ટકા શૅર સરકારે પોતાના હસ્તક લીધા હતા.

નિહલાણી કહે છે, “ભાઈ પ્રતાપે તેમના માણસોને દેશભરમાં નિર્વાસિતોના કૅમ્પમાં મોકલ્યા હતા, તેઓ કૅમ્પોમાં જઈને સિંધી ગીતો ગાતા હતા, જાદુ બતાવતા અને ‘ચાલો નવું સિંધ બનાવીએ’ એવાં ભાષણો આપતાં હતાં.”

“આ રીતે પ્રચાર-પ્રસાર કરીને નિર્વાસિત કૅમ્પોમાંથી લોકોને અહીં લાવવામાં આવ્યા અને એ લોકોએ અહીં નગર વસાવવામાં પોતાનો પરસેવો રેડ્યો.”

કરાંચી અને હૈદરાબાદ જેવું નગર ઊભું કરવાનું સપનું

એ જમાનાનું ગાંધીધામ, જ્યાં હૈદરાબાદ અને કરાંચીનાં શહેરોની જેમ નીચે દુકાન અને ઉપર રહેઠાણવાળી ઇમારતો બાંધવામાં આવી હતી.

અરુણા જગતિયાણી તેમના પુસ્તકમાં લખે છે કે “ભાઈ પ્રતાપે એક મોટી જવાબદારી પોતાના માથે લીધી, તેઓ ભારતની ધરા પર કરાંચી અને હૈદરાબાદ જેવાં પુરાણાં નગરોની પ્રતિકૃતિ ઊભી કરવા માગતા હતા.”

કરાંચી અને હૈદરાબાદની પ્રતિકૃતિ માટે તેમને કરાંચી બંદર જેવા એક બંદરની જરૂર હતી અને તે ખોટ કંડલા બંદર તરીકે પૂરી થઈ.

નગર બનાવવા માટે જે જગ્યાની પસંદગી થઈ હતી, એ ઉજ્જડ રણ હતું. સર્વે દરમિયાન જાણ થઈ કે ત્યાં વીંછી અને સાપ મોટી સંખ્યામાં વસે છે.

જેના કારણે અહીં કોઈ રહેવા તૈયાર નહોતું, ભાઈ પ્રતાપે જગ્યાની સફાઈ માટે રોકડ રકમ ઇનામમાં આપવાની શરૂઆત કરી હતી.

અરુણા પુસ્તકમાં લખે છે, “મરેલો વીંછી લાવનારને ચાર આના આપવામાં આવતા હતા અને મરેલો સાપ લાવનારને આઠ આના આપવામાં આવતા હતા. આ યુક્તિને પ્રતિસાદ મળ્યો અને એ રીતે ધીમે-ધીમે એ જગ્યા સાફ થવા લાગી.”

અરુણા જગતિયાણી બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે, “મારા પિતા ભાઈ પ્રતાપને ખબર પડી કે જ્યાં એ નગર બનાવવાની મથામણ કરી રહ્યા છે, એ વિસ્તારમાં ભૂકંપ આવતા રહે છે.”

“તો તેમણે ભૂકંપને ધ્યાનમાં રાખીને આખો પ્લાન બનાવ્યો અને એટલે જ જ્યારે વર્ષો પછી ભૂકંપ આવ્યો ત્યારે પિતાજીએ બનાવ્યાં હતાં એ પૈકી અનેક ઘરોને કંઈ જ નુકસાન થયું ન હતું.”

ભાઈ પ્રતાપે તેમના લેખમાં ઉલ્લેખ કર્યો છે કે આ નગરનું પ્લાનિંગ થતું હતું એ વખતે ઇટાલીના જાણીતા આર્કિટેક્ટ અને અમેરિકાના જાણીતા પ્લાનિંગ કન્સલ્ટન્ટ્સને બોલાવાયા હતા.

શાળાઓની ઇમારતો બનાવવાની બાકી હતી, ત્યારે અહીં મેદાનોમાં વર્ગો ભરાતા હતા.

અહીં લોકો માટે જળસ્રોત, ડ્રૅનેજ વ્યવસ્થા,વીજપુરવઠો, રસ્તા, સહકારી બૅન્કની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી.

જમીન અને રોજગારીવિહોણા નિર્વાસિતો માટે ઔદ્યોગિક અને વેપારી તકો વિકસાવવાની સાથે-સાથે શિક્ષણની તકો પણ ઊભી કરવામાં આવી હતી.

શિક્ષણ અને રોજગારીની જરૂરિયાતને પહોંચી વળવાના હેતુ સાથે 1950-51માં મૈત્રી મંડળ નામના સંગઠનની સ્થાપના કરવામાં આવી.

જેના પ્રયાસોથી શાળાઓ, કૉલેજો ઊભી કરવામાં આવી અને જોડાજોડ ઔદ્યોગિક તાલીમો પણ આપવામાં આવતી હતી.

અરુણાના પુસ્તક પ્રમાણે ત્યાં ગાંધીધામ પૉલિટેકનિક શરૂ કરવામાં આવી હતી, જ્યાં હજારો નવયુવાનોને ફીટર, વાયરમૅન, સુથારીકામની તાલીમ આપવામાં આવતી હતી.

મહિલાઓને દરજીકામ, ઍમ્બ્રૉઇડરી અને કળા શીખવવા માટે નારીશાળા પણ શરૂ કરવામાં આવી હતી.

આ બધી સંસ્થાઓ બંધાઈ રહી હતી, ત્યાં સુધી ખુલ્લાં મેદાનોમાં વર્ગો ભરાતા હતા. નવા નગર ગાંધીધામમાં શિક્ષણની તકો ઊભી કરવામાં અનેક સામાજિક સંસ્થાઓએ પણ મદદ કરી હોવાનું ભાઈ પ્રતાપ નોંધે છે.

ગાંધીધામનાં અનોખાં સરનામાં

જવાહરલાલ નહેરુની સાથે મંચ પર ભાઈ પ્રતાપ

ગાંધીધામ સેક્ટરોમાં વહેંચાયેલું છે, જ્યારે આદિપુર વોર્ડમાં વહેંચાયેલું છે.

ગાંધીધામની અનોખી ઓળખ તેનાં સરનામાં છે, અહીં ઘરોનાં પાટિયાં પર SDB 123, SDX50, TRS69 આવા નંબર લખેલા જોવા મળે છે. જોકે આ નંબર એ સરનામાંની અનોખી વ્યવસ્થા છે.

એક જર્મન ઇજનેર અને ભાઈ પ્રતાપે ઘરના પ્રકાર, વિસ્તાર, મકાનના નંબરના આધારે આ પ્રમાણેનાં સરનામાં પાડ્યાં હતાં, જેનો ઉદ્દેશ સરનામાં નાનાં કરવાનો હતો.

એ જમાનામાં નિરાશ્રિતોને અહીં ઘર ભાડેથી આપવામાં આવતાં હતાં અને અહીંનાં ઘરો તેનાં ભાડાંથી ઓળખાતાં હતાં.

અરુણા લખે છે કે ગાંધીધામનાં ઘરો ‘દો વાલી, છે વાલી, દસ વાલી’ તરીકે ઓળખાતાં હતાં, જેના ભાડા અનુક્રમે બે રૂપિયા, છ રૂપિયા અને દસ રૂપિયા હતા.

ગાંધીધામ રેલવેસ્ટેશન

ગાંધીધામ કૉઑપરેટીવ બૅન્કના સીઈઓ ગુલભાઈ બેલાણી કહે છે કે “એ વખતે બૅન્કની પણ રચના કરવામાં આવી હતી, જેમની પાસે આર્થિક સગવડ ન હોય તેમને મકાન ખરીદવા માટે અહીંથી લૉન આપવામાં આવતી હતી.”

સિંધુ રિસેટલમૅન્ટ કૉર્પોરેશનના ડિરેક્ટર પ્રેમ લાલવાણી કહે છે, “અમે પાકિસ્તાનથી બધુ ગુમાવીને આવ્યા હતા અને અમે જેવું ઇચ્છતા હતા, એવું શહેર અમને અહીં મળ્યું છે.”

ગુજરાતી ભાષાનાં જાણીતાં લેખક શરીફા વીજળીવાળાએ તેમના પુસ્તક ‘વ્યથાની કથા’ માટે ગાંધીધામમાં કેટલાક લોકોની મુલાકાત લીધી હતી.

તેઓ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે, “આદિપુરના લોકોમાં કૃતજ્ઞતાનો ભાવ હતો કે ભાઈ પ્રતાપે અમારા માટે આ નગર ન વસાવ્યું હોત, તો અમે લોકો ક્યાંયના ન રહ્યા હોત.”

“રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કે અન્ય સ્થળોએ જે સિંધી લોકો હિજરત કરીને ગયા એ લોકો વિખેરાઈને રહ્યા પણ અહીંના લોકો માને છે કે અહીં તેઓ સ્થાયી થ,યા એમાં ભાઈ પ્રતાપનું યોગદાન છે.”

જોકે શરીફા વીજળીવાળા બીજી એક બાબત પર પણ પ્રકાશ પાડે છે.

તેઓ કહે છે કે ગાંધીધામમાં તેઓ જે લોકોને મળ્યા, એમાં એક ફરિયાદ એવી પણ હતી કે અહીં જુદી-જુદી કૉમ્યુનિટીના કારણે ગાંધીધામને પોતીકી ઓળખ ન મળી, જે બીજાં શહેરોને મળતી હોય છે.

ગાંધીધામે ગુજરાતને આપી અનેક ભેટ

ગાંધીધામથી 13 કિલોમિટર દૂર કંડલા બંદર બની રહ્યું હતું, એ વખતની તસવીર.

2011ની વસતીગણતરી પ્રમાણે અંદાજે અઢી લાખની વસતી ધરાવતું ગાંધીધામ આજે એક ઉદ્યોગકેન્દ્ર બની ગયું છે અને તેમાં સૌથી મોટો ફાળો કંડલા બંદરનો છે.

કંડલા બંદર માત્ર કચ્છ જ નહીં પણ ગુજરાત અને દેશ માટે ઑઇલની આયાત અને અનાજની નિકાસ માટે હબ મનાય છે.

વહાણવટું, મીઠું અને લાકડું, એ ગાંધીધામ સાથે સંકળાયેલાં પરંપરાગત ઉદ્યોગો છે અને આજે ગાંધીધામની જીવાદોરીસમાન છે.

2001ના ભૂકંપ પછી ગાંધીધામમાં સ્ટીલ પ્લાન્ટ, ટેક્સ્ટાઇલ ફેકટરીઓ સહિતના ઉદ્યોગો પણ આવ્યા, જેણે ભૂકંપ બાદ નગરને બેઠું થવામાં મદદ કરી હોવાનું મનાય છે.

સુરેશ નિહલાણી કહે છે, “સિંધી પ્રજા મળતાવડી છે, આટલાં વર્ષોમાં સિંધીઓએ ગુજરાતી, કચ્છીઓ સાથે ભાઈ-બહેનના નાતા કરી દીધા અને આજે સહજીવન છે.”

“સિંધીઓએ આ નગર વસાવ્યું પણ ધીમે-ધીમે અન્ય પ્રજાઓ પણ આવીને અહીં વસવા લાગી અને એ રીતે અહીં સહજીવન થયું.”

સિંધ, સિંધિયત અને સંસ્કૃતિ

સિંધી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિની જાળવણી માટે આદિપુરમાં સ્થપાયેલી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિંધોલૉજી

સિંધી પ્રજા પોતાનાં ઘર, વતનની સાથે પોતાની સિંધ ભૂમિ પાછળ છોડીને આવી હતી. સિંધીઓ ભારતમાં આવી વસ્યા પણ સિંધ અને ‘સિંધિયત’ પાછળ છૂટી ગયાં હતાં.

શરીફા વીજળીવાળાએ ‘વ્યથાની કથા’ પુસ્તકમાં કચ્છના આઠ સિંધીઓ અને બે ભોપાલના સિંધીઓ સાથેની મુલાકાત સમાવી છે.

શરીફાબહેને પુસ્તકમાં નોંધે છે, “વળી સિંધી મૂળભૂત રીતે વેપારી પ્રજા એટલે જે પ્રદેશમાં જાય, ત્યાંની ભાષા બોલે. એટલે સિંધી ભાષા અને સાહિત્યના ભાગે વિકસવાને બદલે વેઠવાનું જ આવ્યું. વળી નવી પેઢી અરેબિક લિપિ શીખી જ નહીં એટલે પણ સિંધી સાહિત્યના પ્રસારના પ્રશ્નો ઊભા થયા.”

જોકે સિંધી પ્રજા કચ્છમાં આવી, શહેર વસાવ્યું, એનાં કેટલાંક ભાષાકીય, સાંસ્કૃતિક, ભૌગોલિક કારણો છે.

મોહન ગેહાણી એ વિશે કહે છે, “કચ્છી એ સિંધી ભાષાથી મળતી બોલી છે. ભાષાકીય અને સાંસ્કૃતિક સરહદો પ્રાકૃતિક હોય છે અને એ રાજકીય સરહદો કરતાં જુદી હોઈ શકે. જેમકે ભાષાકીય અને સાંસ્કૃતિક દૃષ્ટિએ કચ્છ એ સિંધી સરહદમાં આવે અને એટલે સિંધીઓને કચ્છ સાથે ઐતિહાસિક સંબંધ છે.”

ધરતી ગુમાવવા છતાં સિંધી પ્રજા ભાષા, સાહિત્ય, સંસ્કૃતિ સ્વરૂપે વારસો જાળવી રાખવા મથે છે અને એ જ પ્રયાસોના પરિણામે આદિપુરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિંધોલૉજી ત્રણેક દાયકા પહેલાં ઊભું કરવામાં આવ્યું છે.

સન ઑફ સોઇલ

લખમીચંદ ખિલાણી કહે છે કે “હવે સન ઑફ સોઇલ એટલે કે ધરતીપૂત્રની વાત થાય છે. સન ઑફ સોઇલ જોઈએ છે, ઘણી જગ્યાઓએ સિંધી શરણાર્થીઓને માર પડ્યો, ‘શરણાર્થીઓ અહીંથી ભાગો’ એવું લોકો કહેતા હતા.”

“ભાગલા પછી ભારતના પંજાબીઓને અડધું પંજાબ મળ્યું, બંગાળીઓને અળધું બંગાળ મળ્યું પણ અમને સિંધીઓને તો સિંધનો ટુકડો પણ ન મળ્યો.”

“જે સિંધે હિંદનું નામ આપ્યું, એ સિંધ આજે અમે સિંધી પ્રજા ગુમાવી ચૂકી છે.”

લેખની લિંક આ રહી: 
https://www.bbc.com/gujarati/india-57544253
પ્રકાશિત :  20 જૂન 2021; અપડેટેડ 6 ઑક્ટોબર 2022
e.mail : pandya37parth@gmail.com

Loading

જાઈએ આપ કહાં જાયેંગે 

સોનલ પરીખ|Opinion - Opinion|9 June 2026

જાઈએ આપ કહાં જાયેંગે 

યે નઝર લૌટ કે ફિર આયેગી 

દૂર તક આપકે પીછે પીછે 

મેરી આવાઝ ચલી જાયેગી ..

 

આપકો પ્યાર મેરા યાદ જહાં આયેગા 

કોઈ કાંટા વહીં દામન સે લિપટ જાયેગા ..

 

જબ ઊઠોગે મેરી બેતાબ નિગાહોં હી તરહ 

રોક લેગી કોઈ ડાલી મેરી બાહોં કી તરહ .. 

 

દેખિયે ચૈન મિલેગા ન કહીં દિલ કે સિવા

આપકા કોઈ નહીં કોઈ નહીં દિલ કે સિવા .. 

આશા ભોસલે

સ્વરસામ્રાજ્ઞી આશા ભોસલેની ચિરવિદાયથી આપણને ફરી એક વાર પ્રતીતિ થઈ કે સાચા કલાકારનું પ્રદાન કાલજયી હોય છે. ‘ન્યૂ યોર્ક ટાઇમ્સે’ એમને અંજલિ આપતાં ‘હર ડિસ્ટિંક્ટિવ એન્ડ એડવેન્ચરસ વૉઇસ વૉઝ ધ સાઉન્ડટ્રેક ફૉર જનરેશન્સ’ અને ‘વન ઑફ ધ મોસ્ટ રેકોર્ડેડ વૉઇસીસ ઇન મોડર્ન ઇંડિયન મ્યુઝિક’ આવા શબ્દો વાપર્યા છે. આપણા અખબારો અને માધ્યમોએ પણ યોગ્ય અંજલિ આપી છે. ભારતીય ભક્તિસંગીતથી માંડી વેસ્ટર્ન પોપ મ્યુઝિક સુધીની આશાજીની રેન્જ અદ્વિતીય હતી. ઓ.પી. નય્યર અને આર.ડી. બર્મને એમના ‘હસ્કી વૉઇસ’ને ગજબનું પરિમાણ આપ્યું હતું. 

આશાજીને યાદ કરતાં જે યાદ આવી જ જાય એવાં એક અવિસ્મરણીય સદાબહાર મસ્તીભર્યા ગીત ‘જાઈએ આપ કહાં જાયેંગે’ને આજે માણીએ. ફિલ્મ ‘મેરે સનમ’, ગીતકાર મજરૂહ સુલતાનપુરી, સંગીતકાર ઓ.પી. નય્યર, નિર્માતા જી.પી. સિપ્પી, દિગ્દર્શક અમરકુમાર. ફિલ્મમાં નવ ગીત હતાં, જેમાં ‘પુકારતા ચલા હૂં મૈં’ અને ‘જાઈએ આપ કહાં જાયેંગે’ સૌથી વધારે સમય લોકોને ગમતા રહ્યાં.

અમુક ગીત એવાં હોય છે જે પોતે પોતાનામાં પૂર્ણ હોય છે. ‘મેરે સનમ’માં અને આશા પારેખ પર આ ગીત બેશક ખૂબ જામતું હતું; પણ એને કોઈ પણ ફિલ્મમાં મૂક્યું હોત, કોઈ પણ અભિનેત્રી પર ફિલ્માવ્યું હોત, એ આપણને એટલું જ સ્પર્શી જાત. એનું કારણ એનું સાદું સુંદર કવિત્વ છે, સંગીત છે, તાજગી છે, ઉલ્લાસ અને રોમાન્સ છે. આ ગીતમાં ત્રણ અંતરા છે, શરૂઆતમાં મહંમદ રફીના અને ગીત દરમ્યાન આશાજીના આલાપ છે. શરૂઆતના આલાપ બાદ કરતાં પણ ગીત સાડા છ મિનિટ લાંબું થયું એટલે એક તબક્કે તેને ફિલ્મમાંથી બાદ કરવાનો વિચાર પણ નિર્માતાને આવી ગયો હતો, પછી ‘જોઈશું, હમણાં તો એમ જ રિલિઝ કરીએ’ એવાં વિચારથી ગીત સાથે જ ફિલ્મ રિલિઝ થઈ. જો આ ગીત કાઢી નાખ્યું હોત તો ફિલ્મમાં ન પુરાય એવું ગાબડું રહી ગયું હોત. ગીત ચંચળ અને ભાવપૂર્ણ એવાં પીલુ રાગ પર આધારિત છે. કોમળ ગ, કોમળ ધ અને કોમળ અને શુદ્ધ બંને ની – આ સ્વરોથી પીલુ રાગની પકડ બને છે. મઝા એ છે કે એમાં ‘ચૂરા લિયા હૈ’ જેવું રોમેન્ટિક ગીત પણ બને અને ‘ન જાઓ સૈયાં’ જેવું વેદનાપૂર્ણ પણ. આ ગીતમાં પીલુના આલાપ સાથે ગિટારનો પ્રિલ્યુડ ભળતાં ગીત ખૂબ મધુર, રોમેન્ટિક અને મસ્તીભર્યું બન્યું છે. ‘પુકારતા ચલા હૂં મૈં’માં ઓ.પી.એ આ જ રીતે રાગ કિરવાણીના સ્વરોને લડાવ્યા છે. 

૧૯૬૫માં આવેલી ‘મેરે સનમ’ ભારત-પાક યુદ્ધના થોડા સમય પહેલા જ કાશ્મીરના સુંદર લોકેશન પર ફિલ્માવાઈ હતી. રોમેન્ટિક-સંગીતમય ફિલ્મની શરૂઆત કેરટેકર પ્રાણ બિશ્વજિતના બંગલાને રિસોર્ટમાં ફેરવી નાખે છે, એ ૧૯૬૧ની ફિલ્મ ‘કમ સપ્ટેમ્બર’ જેવી છે. પછી ધીરે ધીરે ‘મેરે સનમ’ એ દાયકાની એ ઠીકઠાક હિંદી ફિલ્મો જેવું રૂપ ધારણ કરે છે, જે આછીપાતળી વાર્તારેખા, સુંદર લોકેશન, દેખાવડા સુસજ્જ કલાકારો અને કર્ણપ્રિય સંગીતના સથવારે બૉક્સ ઑફિસ પર સફળ થાય, ને ભલે મહાન કહેવાય એવું ખાસ કશું ન આપે પણ સ્વચ્છ મનોરંજન જરૂર પીરસે. અહીં કાશ્મીર ફરવા આવેલી નાયિકા (આશા પારેખ) સાથે રિસોર્ટના માલિક કુમાર(બિશ્વજિત)ની ચડભડ, ત્યાર પછી સંગીતમય રોમાન્સ, સમયાંતરે એક વિલન (પ્રાણ) અને એક વેમ્પ(મુમતાઝ)નાં કાવતરાં, એક કોમેડિયન (રાજેન્દ્રનાથ), એક ખૂન, થોડા અટપટા વળાંક – ટૂંકમાં મનોરંજનના બધા રસ સંયોજાયા છે. ઉપર ઉલ્લેખ કર્યો એ સિવાય ‘હમદમ મેરે માન ભી જાઓ’, ટુકડે હૈં મેરે દિલ કે’ ‘યે હૈ રેશમી ઝુલ્ફોં કા અંધેરા’, ‘રોકા કઈ બાર મૈંને દિલ કી ઉમંગ કો’ પણ હિટલિસ્ટમાં મુકાય એવાં ગીતો છે.

આશા ભોસલે એટલે સંગીતવિશ્વનું ઉત્તુંગ વ્યક્તિત્વ. પ્રસન્ન હસતો ચહેરો, સુઘડ આકર્ષક વસ્ત્રાભૂષણ, સહજ સ્નેહાળ વર્તાવ અને ખાસ તો પ્રતિકૂળ પરિસ્થિતિને માત આપવાની તાકાત એ એમની અંગત વિશેષતાઓ. જીવનના દરેક તબક્કે તોફાનો-સંઘર્ષો આવ્યાં પણ તેઓ જિદ સાથે, ઊર્જા સાથે એમાંથી બહાર નીકળ્યાં. એમની ગાયકીમાં એક ખાસ અંદાઝ-એ-બયાં હતો, જે ન હોય તો ગમે તેવા સુંદર શબ્દો અને સંગીત અધૂરાં રહી જાય. ભક્તિ, રોમાન્સ, શૃંગાર, રમતિયાળપણું, પીડા બધું એમના કંઠમાં સહજપણે સાકાર થતું આવે. ઉત્ફૂલ્લ, પ્રફુલ્લ, ચિરતરુણ કંઠ. નેવુંમા વર્ષે લેવાયેલા એક ઇન્ટરવ્યૂમાં આશાજીએ કહેલું, ‘હજુ ઘણું કરવાનું છે – આઈ એમ ફાર ફ્રોમ ડન, સો મચ ટુ લર્ન’ ૨૦૨૬માં એમણે છેલ્લું ગીત એક બ્રિટિશ બેન્ડ સાથે રેકોર્ડ કર્યું. ૧૯૪૩માં પહેલું ગીત ગાયું હતું એ ગણીએ તો કારકિર્દીનો વ્યાપ આઠ દાયકા જેટલો થયો. પહેલો મોટો પડકાર લગ્નજીવનનો આવ્યો. જિંદગીના તેર વર્ષ એમાં ગયાં – ‘પણ મને સંતાનો મળ્યાં’ તેઓ કહે છે. મોટી બહેન લતા મંગેશકર બીજો મોટો પડકાર – ‘દીદીના એકચક્રી સામ્રાજ્યમાં પગ મૂકવો પણ મુશ્કેલ. એ તો હું જિદ્દી હતી એટલે ટકી ગઈ. જો કે સ્પર્ધા દીદી તરફથી હતી. તે સફળતાના શિખરે હતી. મારી વધતી લોકપ્રિયતા તેને ખટકે તો ખરી ને.’ અને ગાલમાં ગલ પાડતું હાસ્ય. ‘સાઝ’ ફિલ્મમાં આ બંને બહેનોની કહાણી થોડા કલ્પનાના રંગો સાથે સુંદર રીતે બતાવાઈ છે. 

ઓ.પી.-આશાની જોડીનું અંગત અને વ્યાવસાયિક વિશ્વ અદ્દભુત હતું. વાસ્તવિક વિશ્વમાં અદ્દભુત બાબતો બહુ ટકતી નથી, પણ આપણી પાસે છૂટાછવાયા રંગીન અને સંગીન તણખાઓ જરૂર છે. એ બંનેનું છેલ્લું ગીત ‘ચૈન સે હમકો કભી’ ફિલ્મમાં સામેલ ન થવા છતાં ઍવોર્ડવિજેતા બન્યું હતું, પણ ત્યારે બંને વચ્ચે તિરાડ પડી ચૂકી હતી. આશાજી ઍવોર્ડ લેવા આવ્યાં નહીં, ઓ.પી.એ ઍવોર્ડ લીધો અને દરિયામાં ફેંકી દીધો. ત્યાર પછી ઓ.પી. ઊભા થઈ શક્યા નહીં, જ્યારે આર.ડી. બર્મનના આગમન સાથે આશાજીનાં જીવન અને કારકિર્દીમાં નવો વળાંક આવ્યો. આ બંને સાથે ગુલઝારના સંયોજને આપણને ઉત્તમ ગીતો આપ્યાં છે. પદ્મવિભૂષણ, માનદ્દ ડૉક્ટરેટ્સ અને દાદાસાહેબ ફાળકે ઍવોર્ડ સહિત અનેક સન્માનો મેળવી ચૂકેલાં આશાજીએ એક તબક્કે ઍવોર્ડ લેવાના બંધ કરી દીધા હતા. 

‘માના કિ અંધેરોં કે ગહરે હૈં બહોત સાયે, પર ગમ હૈ યહાં કિસકો આતી હૈ તો રાત આયે, હમ રાત કે સીને મેં એક શમ્મા જલા દેંગે’ મજરૂહ સુલતાનપુરીના આ શબ્દો આશાજીને લાગુ નથી પડતા? અને આ પણ, ‘દર્દ ભી હમેં કુબૂલ, ચૈન દર્દ ભી હમેં કુબૂલ, હમને હર તરહ કે ફૂલ હાર મેં પિરો લિયે’ પણ ખરું રહસ્ય તો આ પંક્તિઓમાં છે, ‘મંઝિલ તો મિલ હી જાયેગી ભટકતે હી સહી, ગુમરાહ તો વો હૈ જો ઘર સે નિકલતે હી નહીં’ આશાજીએ પણ એમની મંઝિલો પૂરા દામ ચૂકવીને જ મેળવી છે. જાઈએ, આશાજી, આપ કહાં જાયેંગે – આપકો હમારા પ્યાર યાદ આયેગા ઔર હમ – હમ આપકી આવાઝ કે સાથ દૂર તક ચલે જાયેંગે. અલવિદા …

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : લેખિકાની સાપ્તાહિક કોલમ, ‘મલ્ટિપ્લેક્સ’ પૂર્તિ “જન્મભૂમિ”, 17 ઍપ્રિલ 2026

Loading

ઓલ્ડ મેન સ્ટાર્ટ ધ વોર્સ, યંગ મેન ફાઈટ એન્ડ ડાય 

સોનલ પરીખ|Opinion - Opinion|8 June 2026

એક ક્ષણ જો યુદ્ધ અટકાવી શકો,

તો ટેન્ક પર માથું મૂકી ઊંઘી લઉં 

                                              — માધવ રામાનુજ 

સોનલ પરીખ

ગઈ સદીએ બે વિશ્વયુદ્ધ જોયાં છે. આ સદી ત્રીજું વિશ્વયુદ્ધ જુએ તો નવાઈ નહીં. એ પછી ચોથું વિશ્વયુદ્ધ થાય છે કે નહીં તે જોવા બહુ ઓછા બચશે, પણ બચશે એટલા ફરી નવા યુદ્ધ માટે પ્રવૃત્ત થયા વિના નહીં રહે એ નક્કી, પછી ભલે એ યુદ્ધ આઈન્સ્ટાઈન કહેતા એમ પથ્થરોથી લડાય.

માણસ આટલો યુદ્ધ-ઉત્સુક એમ હશે? કાળના મહાપ્રવાહમાં માણસની 70-80 વર્ષની હસ્તી એક નાના એવા પરપોટા જેટલી પણ નથી, છતાં સત્તાની લાલસા, વર્ચસ્વની પિપાસા અને યુયુત્સાની તૃપ્તિ એને કેવાં ભયાનક યુદ્ધો કરવા પ્રેરે છે! યુદ્ધોના ઘડનારાઓ ઓફિસોમાં બેસી યુદ્ધો શરૂ કરે છે અને નવલોહિયા સૈનિકો રણભૂમિ પર કોઈ નિજી મહત્ત્વાકાંક્ષા વિના પોતાના જેવા જ અજાણ્યા યુવાનોને હણતાં હણતાં પોતે ખલાસ થઈ જાય છે. કેટલી માતાઓ, બહેનો, પત્નીઓ, પ્રેયસીઓ અને સંતાનો બરબાદ થઈ જાય છે. જેમનું કોઈ સરહદ પર ન ગયું હોય એ લોકો પણ અનેક પ્રકારની વિષમતાઓના શિકાર બને છે. 

એક આફ્રિકન કહેવત છે, ‘વૉર ઇઝ ક્રિએટેડ બાય ધ પીપલ ટૂ ઑલ્ડ ટુ ફાઇટ ફૉર ધોઝ ટૂ યંગ ટુ ડાય’ એક હૃદયસ્પર્શી ગીત આજકાલ સોશ્યલ મીડિયા પર ફરી રહ્યું છે : ‘સૂટ પહેરેલો એક માણસ લાકડાના કીમતી ટેબલ પરથી સ્વતંત્રતાનો હવાલો આપી યુદ્ધની ઘોષણા કરે છે. એ માણસ ક્યારે ય વરસતા ગોળા વચ્ચે ગયો નથી, પણ એને તરુણોને આગમાં ઓરતાં આવડે છે – ઓલ્ડ મેન સ્ટાર્ટ ધ વૉર્સ, યંગ મેન ફાઈટ એન્ડ ડાય, રિચ મેન કાઉન્ટ ધ પ્રોફિટ્સ વ્હાઈલ ધ પુઅર મેન ક્રાય, વ્હેન વિલ વી વેક અપ, વ્હેન વિલ વી સી થ્રુ, ધ ઓન્લી વૉર વર્થ ફાઇટિંગ ઈઝ ધ વન ફૉર મી એન્ડ યુ…’ ‘આપણને રંગ, ધર્મ અને જાતિઓમાં વહેંચતો એ માણસ  – એની મહેચ્છા પૂરી કરવા આપણે આપણા પ્રિયજનોને છોડીને લડવા જવાનું? સ્વજનો ગુમાવવાનાં? હાથપગ કપાવવાના? વિસ્થાપિત થવાનું? ઉન્માદના શિકાર થતા રહેવાનું? … બટ વી કેન વેક અપ, યસ, વી કેન સી થ્રુ, ધ ઓન્લી વૉર વર્થ ફાઇટિંગ ઈઝ ધ વન ફૉર મી એન્ડ યુ …’ 

ઈ.સ.પૂર્વે 2300માં સુમેર(હાલનું ઈરાક)ની એક કવયિત્રીએ લખ્યું હતું, ‘હે રાજવીઓ, તમે પર્વતો પરથી વહી રહેલું રક્ત છો; ધિક્કાર, લોભ અને ક્રોધની આગ છો …’ એ પછી હજારેક વર્ષો પછી હોમરે ‘ઈલિયડ’માં યુદ્ધ એ ‘મહાન યોદ્ધાઓને ખલાસ કરતી’ અને તેમના ‘સડતા માંસને ગીધ અને કૂતરાની મિજબાની’ બનાવતી વિભીષિકા છે એમ કહ્યું હતું.  750 ઈ.સ.માં ચીની કવિ લિ પોએ કહેલું, ‘માનવીઓના ક્ષતવિક્ષત શરીર રણના ઘાસને લોહિયાળ કરી રહ્યા છે. સેનાપતિઓ કશું હાંસલ કરી શક્યા નથી.’

શેલી, ટેનિસન, યિટ્સ, એમર્સન, થૉમસ હાર્ડી, રુડ્યાર્ડ કિપ્લિંગ આ બધાએ ખુવારી વેઠી હતી, પણ રણમેદાનમાં જઈ યુદ્ધનો ખરો અનુભવ લીધો ન હતો, પણ પહેલા વિશ્વયુદ્ધના મોટા ભાગનાં યુદ્ધકવિઓ સૈનિક હતા. 25 વર્ષની ઉંમરે માર્યા ગયેલા વિલ્ફ્રેડ ઓવેનનું કાવ્ય લોહિયાળ કીચડમાં કૂચ કરતા સૈનિકો, ગાડામાં ફેંકાઈ ગયેલું શરીર અને ચહેરામાં ફરતી રહી ગયેલી સફેદ આંખો જેવા ચિત્રાત્મક વર્ણનોથી આઘાત આપે છે. બ્રિટિશ કવિ સેફ્રિજ સેશન કહે છે, ‘સવાર પડે અને ધૂળ ઉડાડતું દળ સૂર્યના રક્તિમ ઉજાસને ઢાંકી દે છે. સાંજ એક વિસ્ફૉટ સાથે આથમે છે … ઈશ્વર, અટકાવ હવે આ દૃશ્યોને’ 

યુદ્ધમાં ભાગ લીધો ન હોય, પણ કવિએ યુદ્ધના સાક્ષી કે કેદી તરીકે દમન અથવા માનવઅધિકારના હનનનો ભોગ બનીને લખ્યા હોય એવાં કાવ્યો ‘પોએટ્રી ઑફ વિટનેસ’ કહેવાય છે. તેમાં શૌર્યની ગાથા કરતાં પીડાનું આલેખન અને સામાજિક નિસબત વધારે હોય છે. પ્લેટોએ કહ્યું છે, કવિની જવાબદારી છે કે તેણે સાક્ષી હોવાની પીડા ઝીલવી અને વર્ણવવી. અમેરિકન સિવિલ વૉર વખતે 80,000 ઘાયલોની પરિચર્યા કરનાર વૉલ્ટ વ્હીટમેન લખે છે, ‘કપાઈ ગયેલા હાથના ખભા પરથી, હું ચોંટી ગયેલું કપડું ઉખેડું છું અને સડેલું માંસ કાપી લઈ લોહી અને કચરો ધોઉં છું’ ચિલીના કવિ પાબ્લો નેરુદા સ્પેન સિવિલ વૉર સમયનાં એમનાં જુગુપ્સાજનક છતાં સંવેદનશીલ કાવ્યો માટે જાણીતા છે. અમેરિકાના હૉલોકાસ્ટ મ્યુઝિયમમાં નાઝી કેમ્પોમાં લખાયેલાં કાવ્યોનો મોટો સંગ્રહ છે. જાપાનના કવિ શોડા શિનોએ એટમબૉમ્બે વેરેલા સર્વનાશનાં કાવ્યો લખ્યાં છે. ક્રોએશિયન કવિ મારિઓ સુસ્કોએ બૉસ્નિયાના યુદ્ધનાં કરપીણ ચિત્રકાવ્યો આલેખ્યાં છે. અમેરિકાએ ઈરાક પર આક્રમણ કર્યું ત્યારે યુદ્ધવિરોધી કવિઓએ વ્હાઈટ હાઉસના દરવાજે કાવ્યપઠન કરેલું. આની વૈશ્વિક અસર પડી અને અનેક કાવ્યપઠનો યોજાયાં અને એક દસ્તાવેજી ફિલ્મ તેમ જ 13,000 કવિઓની એક વેબસાઈટ બન્યાં. 

યુદ્ધનું નુકસાન માપી શકાય એવું હોતું નથી. કેટલાક કિસ્સામાં તો તે ભરપાઈ પણ નથી થઈ શકતું, જેવું હિરોશીમા અને નાગાસાકીના કિસ્સામાં થયું છે. યુદ્ધ સ્થાયી નુકસાન પહોંચાડે છે અને તે નુકસાન અતિ સમૃદ્ધ દેશો પણ ખમી શકતા નથી. અમેરિકા અને રશિયા જેવાં સુપરપાવર કહેવાતાં દેશો પણ નહીં. છતાં યુદ્ધ થયા કરે છે. અડધે પહોંચવા આવેલી એકવીસમી સદી વિશ્વયુદ્ધના ઓથાર નીચે હાંફી રહી છે.

1959માં મનોચિકિત્સક સિગમંડ ફ્રોઈડે આઈન્સ્ટાઈનને લખ્યું હતું, ‘આજની દુનિયામાં ન્યાય એ પશુબળના પાયા પર ઊભેલો છે, ને હિંસા દ્વારા જ નિભાવાઈ રહ્યો છે. માણસ યુદ્ધની મહામારીના ચેપનો ખૂબ જલદી ભોગ થઈ પડે છે – લાગે છે કે એનામાં સ્વયંસ્ફૂર્ત એવી ધિક્કાર અને ક્રૂરતાની વૃત્તિ પડેલી હોવી જોઈએ, જે તક મળતાં જ વિફરી ઊઠે છે. આ વૃત્તિને આપણે કચડી નાખી શકવાના નથી. આપણે જો કંઈ વિચારવાનું હોય તો તે એટલું જ કે, એની એ વૃત્તિઓને યુદ્ધ સિવાયના બીજા માર્ગોએ વાળવી શી રીતે?’ અને ઉકેલ આપે છે, ‘જો આક્રમકતા અને વિનાશ કરવાની વૃત્તિ માણસને યુદ્ધ તરફ ધકેલી લઈ જતી હોય, તો એની સામા છેડાની વૃત્તિને – અર્થાત સર્જનની વૃત્તિને આપણે હાથમાં લેવી જોઈએ.’

ઇતિહાસમાં લગભગ દરેક યુદ્ધ સાથે યુદ્ધવિરોધી આંદોલનો થયાં છે. 1920માં લીગ ઓફ નેશન્સ કોવેનન્ટે સભ્ય દેશોને નવ મહિના સમાધાનનો પ્રયાસ કર્યા પછી જ યુદ્ધનો આશરો લેવા ફરજ પાડી હતી. 1928ના કેલોગ-બ્રાયન્ડ કરારે તેના 63 પક્ષોને યુદ્ધનો રાષ્ટ્રીય નીતિના સાધન તરીકે ત્યાગ કરવાની શરત મૂકી હતી. સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરે આંતરરાષ્ટ્રીય વિવાદોના શાંતિપૂર્ણ સમાધાનની હિમાયત કરી હતી. આવી ચળવળોનો સરકારોના નિર્ણયો પર પ્રભાવ પડે છે કે નહીં તે વિવાદનો વિષય છે પણ યુદ્ધ વિરોધી ચળવળોએ યુદ્ધોને ટૂંકાવ્યાં કે અટકાવ્યાં હોવાના દાખલા બન્યા છે. 1960 અને 1970ના દાયકા દરમિયાન ઉત્તર અમેરિકા અને યુરોપમાં થયેલી યુદ્ધવિરોધી ચળવળો વિયેતનામમાં અમેરિકન હસ્તક્ષેપ અંગે તેમની સરકારોની નીતિઓને આકાર આપવામાં ઘણે અંશે સફળ થઈ હતી. છતાં, યુદ્ધવિરોધ શૂન્યાવકાશમાં ચાલી શકતો નથી. તેને સંવેદનશીલ સરકાર, સ્વતંત્ર-સહાનુભૂતિપૂર્ણ માધ્યમો અને ગ્રહણશીલ પ્રજાની જરૂર હોય છે એ યાદ રાખવું રહ્યું. 

યુદ્ધ ગમે ત્યાં થાય, એની અસર આખી દુનિયા પર પડે છે. મખદૂમ મોઇનુદ્દીન લખે છે, ‘કૌન દુખિયા હૈ જો ગા રહી હી, ભૂખે બચ્ચોં કો બહલા રહી હૈ, લાશ જલને કી બૂ આ રહી હૈ, ઝિંદગી હૈ કિ ચિલ્લા રહી હૈ … જાનેવાલે સિપાહી સે પૂછો, વો કહાં જા રહા હૈ’ આવો જ વેધક પ્રશ્ન જાવેદ અખ્તરનો છે, ‘હમ અપને અપને ખેતોં મેં ગેહૂં કી જગહ ચાવલ કી જગહ યે બંદૂકેં ક્યોં બોતે હૈં … જબ દોનોં હી કી ગલિયોં મેં કુછ ભૂખે બચ્ચેં રોતે હૈં’   

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 12 ઍપ્રિલ  2026

Loading

...102030...40414243...506070...

Search by

Opinion

  • એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”
  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે
  • ચલ મન મુંબઈ નગરી—353

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ
  • લૂંટ શકે તો લૂંટ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved