Opinion Magazine
Number of visits: 9516774
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લડાખનો સંવેદનશીલ પ્રશ્ન

નેહા શાહ|Opinion - Opinion|4 October 2025

નેહા શાહ

૨૦૧૯માં ૩૭૦મી કલમ દૂર કરવામાં આવી. એ સાથે લડાખ ને કાશ્મીરથી અલગ થયું. ત્યારથી લડાખનાં લોકો રાજ્યનો દરજ્જો અને  બંધારણની છઠ્ઠી અનુસૂચિ હેઠળ રક્ષણ માંગી રહ્યા છે. બંધારણની આ જોગવાઈ અનુસૂચિત જનજાતિ બહુમતી ધરાવતા પ્રદેશોને અમુક અંશે સ્વ-શાસનની મંજૂરી આપે છે. આ પાંચ વર્ષોમાં અનેકવાર ઉપવાસ પર ઉતરીને સરકારનું ધ્યાન તેમની માંગ તરફ દોરવાનો પ્રયત્ન કરતા સોનમ વાંગચુક લદ્દાખમાં વધતા જતા આંદોલનનો સૌથી અગ્રણી ચહેરો બની ગયા છે. લડાખની કાતિલ ઠંડીમાં અનેક ટેકેદારોની સાથે જાહેરમાં ધારણા કરતા વાંગચુક સોશ્યલ મીડિયા થકી અન્ય દેશવાસીઓ સુધી લડાખી નાગરિકોના બંધારણીય હક, તેમની આજીવિકા તેમ જ પર્યાવરણ અંગેની ચિંતા વ્યક્ત કરતા રહ્યા છે. 

આજે, સમગ્ર હિમાલયના પર્યાવરણ સામે અભૂતપૂર્વ પડકાર ઊભા થયા છે. હિમાલય આખો જ ખતરામાં છે એવું વૈજ્ઞાનિકો તો ઘણા સમયથી કહે છે જે વાતની  સુપ્રીમ કોર્ટે તાજેતરમાં ટકોર કરી. આપણે આ વર્ષે સમગ્ર હિમાલય વિસ્તારમાં અભૂતપૂર્વ વરસાદ પડ્યો એ જોયું. લડાખમાં પણ ઓગસ્ટ મહિનામાં સામાન્ય કરતાં ૯૩૦% વધારે વરસાદ પડ્યો જેને કારણે સમગ્ર લડાખમાં અચાનક પૂર આવ્યું, જમીનનું ધોવાણ થયું અને માળખાગત સુવિધાઓને નુકસાન થયું. ગ્લેશિઅર પીગળી રહ્યા છે, બરફનું પ્રમાણ ઝડપથી ઘટી રહ્યું છે. જૈવ વિવિધતા સામે પણ ખતરો ઊભો થયો છે. પર્યાવરણવિદોના મત અનુસાર ગ્લોબલ વોર્મિંગને કારણે આવનારાં વર્ષોમાં આવી ઘટનાની સંભાવના વધશે. ‘વિકાસ’નું વર્તમાન મોડેલ ટકાઉ નથી, એ વાત હવે સમગ્ર વિશ્વ ચીસો પાડીને કહી રહ્યું છે. જો વિકાસની ગાડી નફાખોરીના સ્ટિયરીંગ દ્વારા ચાલશે તો પ્રકૃતિનું સંતુલન સામે જોખમ છે. લડાખમાં મેગા પ્રોજેક્ટ્સ શરૂ કરવા અંગે સક્રિય નીતિગત નિર્ણય લેવાઈ રહ્યા છે અને આ માટે જમીન અને સંસાધનો ‘વિકાસ’ માટે સોંપાઈ રહ્યા છે, ત્યારે લડાખના લોકોની ચિંતા વાજબી છે. એટલે જ તેઓ છઠ્ઠી અનુસૂચિની માંગ કરી રહ્યા છે જેના અંતર્ગત સ્થાનિક જમીન, ખનીજ અને અન્ય સંસાધનોના ઉપયોગનો નિર્ણય જિલ્લા પરિષદના હાથમાં રહે. 

બંધારણની જોગવાઈ પ્રમાણે આદિવાસી બહુમત વિસ્તારને તેમની સંસ્કૃતિ અને સંસાધનોને જાળવવા માટે છઠ્ઠી અનુસૂચિમાં સમાવવામાં આવે છે. 2019માં અનુસૂચિત જનજાતિ માટેના રાષ્ટ્રીય આયોગ એ લદ્દાખને છઠ્ઠી અનુસૂચિ હેઠળ સામેલ કરવાનું સૂચન કર્યું હતું, કારણ કે લદ્દાખની 97%થી વધુ વસ્તી આદિવાસી છે તેમ જ આ પ્રદેશની અનન્ય સંસ્કૃતિ અને પર્યાવરણને ખાસ સલામતીની જરૂર છે. આના વિરોધમાં એવી દલીલ કરવામાં આવી રહી છે કે જે વિસ્તાર છઠ્ઠા શિડ્યુલમાં હોય ત્યાં રસ્તા બાંધવા માટે પણ સ્થાનિક કાઉન્સિલની મંજૂરી લેવી પડે છે. લડાખ ચીનને અડીને આવેલું હોવાથી ત્યાં સંરક્ષણનો ખતરો વધારે છે એટલે છઠ્ઠા શિડ્યુલની માંગ યોગ્ય નથી. આ દલીલ એક મુદ્દો ચાતરી જાય છે કે લશ્કરી બાબત સંપૂર્ણ સત્તા કેન્દ્ર સરકારના હાથમાં છે, એટલે લશ્કર માટે રસ્તો બનવવાનો હોય તો એ નિર્ણય કેન્દ્રમાં લેવાય છે; અલબત્ત લોકોને વિશ્વાસમાં લઈને. આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ જેવા ઇશાન ખૂણાના રાજ્યોને  છઠ્ઠી અનુસૂચિમાં સ્થાન મળેલું છે. આ બધા જ સરહદી રાજ્યો છે, અને સરક્ષણ મંત્રાલય લશ્કર માટે જરૂરી સગવડો ઊભી કરે છે. 

૨૦૧૯માં કેન્દ્રીય આદિવાસી મંત્રીએ લડાખને છઠ્ઠી અનુસૂચિમાં સમાવવાની વાત કેન્દ્ર સરકાર વતી કરી હતી. આ વાતને છ વર્ષ થઇ ગયા. સોનમ વાંગચુકે અનેક વાર ઉપવાસ કર્યા, લડાખી લોકોએ લેહથી દિલ્લીની પદયાત્રા કરી, જંતરમંતર પર પણ ધારણા કર્યા. પણ વાટાઘાટો કોઈ નિષ્કર્ષ પર નથી પહોંચી શકી. ૧૦ સપ્ટેમ્બરથી ફરી ઉપવાસ શરૂ થયા. લેહ અપેક્સ બોડી અને કારગીલ ડેમોક્રેટિક અલાયન્સના ટેકા સાથે સરકાર સાથે ઉચ્ચ સ્તરીય વાટાઘાટો માટે દબાણ ઊભું કર્યું.  ઉપવાસ પર બેઠેલી બે વ્યક્તિની તબિયત લથડતા, લડાખી યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા અને વિરોધ પ્રદર્શન હિંસક બન્યા. શાંતિપૂર્ણ જીવન માટે જાણીતા સમુદાય ટોળું બની આગ ચાંપી જાહેર માલ મિલકતને નુકસાન પહોંચાડ્યું. પોલીસના ગોળીબારમાં ચાર લોકો મૃત્યુ પામ્યા. આ સઘળી ઘટના માટે સોનમ વાંગચુકને જવાબદાર ગણી રાષ્ટ્રીય સુરક્ષા ધારા હેઠળ એમની ધરપકડ થઇ, જ્યારે તેમણે હિંસાની સ્પષ્ટપણે નિંદા કરી હતી અને 15મા દિવસે ઉપવાસ પાછો ખેંચી લીધો હતો, કોઈપણ પ્રકારની હિંસા સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો

વાંગચુક ટેકનોલોજીના નવીન પ્રયોગો દ્વારા લડાખની આબોહવાને માફક આવે એવા ઘર, લશ્કર માટે ટેન્ટ, આઈસ સ્તૂપ દ્વારા પાણીનો સંગ્રહ, નવીનતા દ્વારા રોજગારલક્ષી શિક્ષણ વ્યવસ્થા ઊભી કરવા માટે જાણીતા છે. આ આપણા દેશની લોકશાહીની બદનસીબી છે – પોતાના નાગરિકી હક માટે અવાજ ઉઠાવનાર લોકોને રાષ્ટ્ર સુરક્ષા સામે ખતરો માની તેમનો અવાજ કચડવાની નીતિ અપનાવાય છે. આ આજનું નથી. સત્તામાં રહેલી દરેક સરકારે આ જ કર્યું છે. હાલમાં લડાખની સ્થિતિ તનાવપૂર્ણ છે ત્યારે વાંગચુક જેવા અગ્રણી નાગરિક (એમને હજુ સુધી રાજકીય નેતા ગણી ન શકાય) સામે મન ઘડન આક્ષેપો કરી તેમની ધરપકડ કરી સરકાર  લોકોમાં રહેલા આક્રોશને વધુ ઉત્તેજન આપી રહી છે અને ગોદી મીડિયા બળતામાં ઘી હોમી રહી છે.

સૌજન્ય : ‘કહેવાની વાત’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ; નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

સંઘ શતાબ્દીએ …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|3 October 2025

રવીન્દ્ર પારેખ

આ લખાય છે ત્યારે દશેરો છે. વિજયાદશમી. એ પર્વ આવ્યું ગાંધી જયંતીએ. 2 ઓક્ટોબરે. એ પણ કેવો સંયોગ કે રામ અને ‘મોહન’ સાથે થયા, તે તો ઠીક, રાવણ અને મોહન પણ સંકળાયા. અરે ! સંઘ અને મહાત્મા પણ સાથે થયા. દશેરા બે ઓક્ટોબરે આવ્યો. આ દશેરાએ સંઘને 100 વર્ષ ને ગાંધીજીને 156 વર્ષ થયાં. એ જ 2 ઓક્ટોબર પૂર્વ વડા પ્રધાન લાલબહાદુર શાસ્ત્રીની પણ જન્મ તારીખ છે. એમણે જવાન અને કિસાનને સાથે કર્યા. બીજા પણ સંયોગો હશે જ ! સમયનો આ પ્રભાવ છે. તે ઘણાંને સાથે કરે છે, એટલું જ નહીં, ઘણાં વિરોધી પરિબળોને પણ ભેગાં કરી આપે છે,  એટલે જ કદાચ ગાંધી અને સંઘ સાથે ને સમાંતરે છે.

આજથી બરાબર 100 વર્ષ પહેલાંના દશેરાએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના ડો. કેશવ બલિરામ હેડગેવારે કરી. વિનાયક દામોદર સાવરકરનાં ‘હિન્દુત્વ : હુ ઈઝ અ હિંદુ’ પુસ્તકે હેડગેવારને હિન્દુઓનું સંગઠન બનાવવાની પ્રેરણા આપી. 27 સપ્ટેમ્બર, 1925ને દશેરાએ સંઘનો પ્રારંભ થયો. 17 એપ્રિલ, 1926ને રોજ નામકરણ થયું – રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ – RSS. આજે સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ મોહન ભાગવત છે. આ જ સંઘના સ્વયંસેવક નરેન્દ્ર મોદી પણ ખરા. સંઘમાંથી જ મોદી સ્વયંસેવકથી પ્રધાનસેવક સુધી પહોંચ્યા છે. સંઘે એક વડા પ્રધાન આપ્યા છે એ મોટી ઉપલબ્ધિ છે. સંઘ આજે તો અનેક શાખાઓમાં વિસ્તર્યો છે. સંઘ સાથે મત મતાંતરો હોઈ શકે છે, પણ તેની સેવાકીય પ્રવૃત્તિઓ સામે કોઈથી આંગળી ચીંધી શકાય એમ નથી.

સંઘની સરકારમાં સીધી દખલ નથી, પણ સંઘમાંથી વિકસેલા ‘કમળ’નું પ્રભુત્વ સરકારમાં 2014થી સીધું વર્તાય છે. કેન્દ્ર સરકારે સંઘની શતાબ્દીએ ટપાલ ટિકિટ અને 100 રૂપિયાનો સિક્કો બહાર પાડ્યાં છે. 100 રૂપિયાના સિક્કા પર ‘રાષ્ટ્રીય સ્વયં સેવકસંઘ કે સો વર્ષ’ હિન્દી અને અંગ્રેજીમાં ઉપસાવાયું છે. સાથે જ 1925 અને 2025ની સાલ પણ ઉપસાવાઈ છે. એક તરફ સંઘી કાર્યકરો વંદના કરતા બતાવાયા છે. એ વંદના ભારતમાતાની છે. ભારતનું માતૃરૂપ સંઘને સ્વીકાર્ય છે, તો આવનારા સમયમાં અડધી વસ્તી જેની છે, એ ભારતીય સ્ત્રીઓનું પણ પ્રતિનિધિત્વ જણાય એમ બને. સંઘે શિક્ષણ, સમાજ, સંસ્કૃતિ, કૃષિ, નારી કલ્યાણ …. એમ અનેક ક્ષેત્રોમાં ઘણું કાઠું કાઢ્યું છે, પણ તેનું મુખ્ય લક્ષ્ય છે, રાષ્ટ્ર પ્રથમ. રાષ્ટ્ર નિર્માણ સંઘનું લક્ષ્ય રહ્યું છે. રાષ્ટ્ર નિર્માણ, વ્યક્તિત્વ વિકાસ અને સેવાકીય પ્રવૃત્તિઓ પર સંઘની શતાબ્દી આવીને ઊભી છે. એમાં લાખો સ્વયંસેવકો ઊછર્યા છે ને એ રીતે સંઘ પણ અનેક શાખાઓમાં વિકસ્યો છે.

સ્વાતંત્ર્ય સંગ્રામમાં ડો. હેડગેવારથી માંડીને અનેક કાર્યકરોએ સક્રિય રીતે ભાગ લીધો છે. હેડગેવારે તો જેલવાસ પણ ભોગવ્યો છે. શતાબ્દી સુધીનો સંઘનો માર્ગ સરળ રહ્યો નથી. સંઘને પ્રતિબંધો, તિરસ્કાર, અપમાનના અનેક કડવા ઘૂંટડા ગળવાના આવ્યા છે, પણ તેની સેવાકીય પ્રવૃત્તિઓમાં ઓછપ કે કડવાશ આવી નથી. સંઘની રાષ્ટ્રભક્તિ અને સેવાકીય પ્રવૃત્તિઓ આજે પણ અજોડ અને અજેય છે. રાષ્ટ્રીય કે રાજકીય આફતો સંઘને નડી નથી. સંઘ, વેઠીને વેઠતાં રોકે છે. સંઘ પાસે સાધનો મર્યાદિત છે, પણ તે દુર્ગમ વિસ્તારોમાં પણ પહોંચે છે. આદિવાસી કલ્યાણનું જે કામ સંઘે કર્યું છે, તે કેટલી ય સરકારો માટે આજે પણ દુર્લભ રહ્યું છે. સરસંઘચાલકો પણ એવા આવ્યા કે પડકારો અને સંઘર્ષો બહુ પ્રભાવ ન પાડી શક્યા. ટૂંકમાં, સંઘ રોડ મેપ વિકસાવવામાં સફળ રહ્યો છે. સ્વયંસેવકો એટલા સક્ષમ તો છે જ કે પડકારોને પહોંચી વળે. સંઘીય શિસ્ત હંમેશ અનુકરણીય રહ્યું છે.

હવેની યાત્રામાં સંઘ ભાવિ પેઢીનાં ભવિષ્ય પર અને પર્યાવરણીય પડકારો પર ધ્યાન કેદ્રિત કરે તે અપેક્ષિત છે. સંઘ વિશ્વનું સૌથી મોટું ગેર સરકારી સંગઠન છે. સંઘના સ્વયંસેવકો સ્વાર્થરહિત અને સમર્પિત છે. આ સમર્પણ ભાવ અને સેવાકીય દાયિત્વ સંઘની આગવી ઓળખ છે, જે સંઘને અન્ય સંગઠનોથી અલગ તારવે છે. સંઘની વિચારધારાથી ઘણાં સંમત ન હોય તો પણ, સંઘની રાષ્ટ્ર નિર્માણની ભાવના સાથે કોઈ સંમત ન હોય એવું ભાગ્યે જ બને. સંઘ સાથે ઘણાં અસંમત છે, પણ સંઘ ઘણાં વિરોધીઓને પણ સાથે લઈને ચાલે છે, તે એટલે કે સંઘ પોતાની વિચારધારામાં સ્પષ્ટ છે. ભા.જ.પ.માં સગવડિયું ઘણું હોઈ શકે, સંઘમાં નથી.

ભારતીય જનતા પક્ષ સંઘની પેદાશ છે. સંઘ રાજકીય પક્ષ નથી, પણ ભા.જ.પ. સંઘથી પ્રભાવિત છે. જો કે, ભા.જ.પ. સંઘથી જુદું વિચારતો હોય એવું પણ લાગે છે. પક્ષ પ્રમુખ જે.પી. નડ્ડાએ તો કહ્યું પણ હતું કે ભા.જ.પ. એવો મોટો પક્ષ છે કે તેને સંઘની જરૂર નથી. એ જ કારણે રાષ્ટ્રીય સરસંઘચાલક મોહન ભાગવત પણ ભા.જ.પ.ને સંભળાવતા રહ્યા છે. ભા.જ.પી. ગર્વ ગાળવા ભાગવતે કહ્યું હતું કે એ જ વ્યક્તિ સાચો સેવક ગણાય જે અભિમાનથી પર હોય. ભાગવતનાં બીજા કેટલાંક નિવેદનો પણ ચર્ચામાં રહ્યાં છે. ભાગવતે કહ્યું હતું કે માણસ પહેલાં સુપરમેન અને પછી ભગવાન બનવા માંગે છે, પણ એમ ન વિચારતાં માણસે કામ કરતા રહેવું જોઈએ, કારણ કે વિકાસનો કોઈ અંત નથી. આ નિવેદનને કાઁગ્રેસે મોદી સાથે જોડીને ભા.જ.પ. અને સંઘ વચ્ચેની તડને મોટી કરવાની કોશિશ કરી હતી.

સંઘે વારંવાર પોતાની ભૂમિકાઓ સ્પષ્ટ કરી છે. જેમ કે, સંઘ ચૂંટણી પરિણામોનું એનાલીસીસ કરતો નથી કે સંઘ અનામતની વિરુદ્ધ નથી કે દરેક વ્યક્તિને ઓછામાં ઓછાં ત્રણ બાળકો હોવાં જોઈએ કે 75 વર્ષે માણસે અટકી જવું જોઈએ …. 75 વર્ષે કોઈ શાલ ઓઢાડી સન્માન કરે તો વ્યક્તિએ સમજીને ખસી જવું જોઈએ, જેથી બીજાને આગળ આવવાની તક મળે. આ વાતને પણ મોદી સાથે જોડવામાં આવી હતી. એ જાણીને ભાગવતે સ્પષ્ટતા કરી હતી કે કામ કરતો માણસ કોઈ પણ ઉંમર સુધી કામ કરી શકે છે. હું પણ 75 પછી કામ કરતો રહેવાનો છું. આ નીતિ પણ ઠીક નથી. પોતે 75 પછી કામ કરી શકે તેનો વાંધો નથી, પણ જે કામ કરી શકતા હતા તે અડવાણી કે મુરલી મનોહર જોશી જેવાને રોકવામાં આવ્યા તે ઠીક ન હતું. એની સામે 1 ઓક્ટોબરે વડા પ્રધાને ટિકિટ અને સિક્કો બહાર પાડતાં એમ પણ કહ્યું કે સંઘ એ ભૂમિ છે, જ્યાં અહમથી સ્વયમ તરફની યાત્રા શરૂ થાય છે. ભાગવતને કોઈકે પૂછ્યું કે ભા.જ.પ.ના અધ્યક્ષ સંઘ નક્કી કરે છે? તો, ભાગવતે કહ્યું કે અધ્યક્ષ, સંઘ નક્કી નથી કરતો. સંઘે નક્કી કરવાના હોત તો આટલી વાર થઈ હોત? ભા.જ.પ.ને સંભળાવવા ભાગવત ભલે આવું કહે, પણ ભા.જ.પ.ના અધ્યક્ષ સંઘ સાથે નાતો ન ધરાવતા હોય એવા આવ્યા નથી તે હકીકત છે.

આવી નાનીમોટી ચડભડને બાદ કરતાં ભા.જ.પ. અને સંઘનો નાતો આજ સુધી મજબૂત રહ્યો છે. ભા.જ.પ. વિદેશમાં નથી, પણ સંઘની 39 દેશોમાં શાખાઓ છે. સંઘ પર વીત્યું પણ ઘણું છે. ગાંધીજીની હત્યા પછી સંઘ ઘણો વગોવાયો. તેના પર પહેલો પ્રતિબંધ 1948માં મુકાયો, તો બીજો પ્રતિબંધ મુકાયો, કટોકટી વખતે, 1975માં.

સંઘથી પ્રેરાઈને શ્યામા પ્રસાદ મુખરજીએ જનસંઘની સ્થાપના 1951માં કરી. 1966માં હિંદુ સમાજને અનુલક્ષીને વિશ્વ હિંદુ પરિષદની સ્થાપના પણ થઈ. 1980માં જનસંઘનું ભારતીય જનતા પક્ષમાં વિલીનીકરણ થયું. રામ જન્મભૂમિ આંદોલનમાં સંઘ અને ભા.જ.પ.નો વિસ્તાર થયો અને મોદી 2014માં વડા પ્રધાન થતા સંઘનો પડઘો રાષ્ટ્રીય રાજનીતિમાં પણ પડ્યો. સંઘની પ્રભાવક કામગીરી તો 2020થી 2023 સુધીમાં કોરોના મહામારીમાં જોવા મળી.

એટલું છે કે સંઘની શતાબ્દી એ અકસ્માત નથી. સો વર્ષની લોક કલ્યાણની પ્રવૃત્તિઓ અનેક વિરોધ અને પ્રતિબંધો વચ્ચે ટકી રહે ને ભા.જ.પ. જેવો રાષ્ટ્રીય પક્ષ તેમાંથી બેઠો થાય એ અકસ્માત ન હોય. અકસ્માત હોય તો પણ કોઈ સંસ્થા શતાયુના આશીર્વાદ ન પામે. રાષ્ટ્ર પ્રથમનો ધર્મ સંઘે નિભાવ્યો છે. શતાબ્દી નિમિત્તે સંઘ 2 ઓક્ટોબર, 2025થી 20 ઓક્ટોબર, 2026 સુધીમાં ગૃહ સંપર્ક અભિયાન, જન સંવાદ, હિંદુ સંમેલન,  યુવા સંમેલન ….જેવા સાત મોટા કાર્યક્રમોનું આયોજન કરશે. એ દરમિયાન સંઘના વડા ભાગવત અમેરિકા ને યુરોપીય દેશોના કાર્યક્રમોમાં ભાગ લે એમ બને.

સંઘને શતાબ્દી ટાણે અઢળક અભિનંદનો અને શુભેચ્છાઓ …..

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 03 ઑક્ટોબર 2025

Loading

તણખો

સુરેશ જાની|Opinion - Opinion|3 October 2025

સત્યકથા

તે બારમા ધોરણની પરીક્ષામાં નાપાસ થયો હતો. અગિયારમા ધોરણમાં પણ તે નાપાસ થયો હતો. વિજ્ઞાન પ્રવાહમાં આગળ વધી ઝળહળતું જીવન જીવવાના તેના બધાં સપનાં ચકનાચૂર થઈ ગયાં હતાં. આમે ય તેની ગણતરી તોફાની બારકસોમાં શ્રેષ્ઠ તરીકે થતી હતી! તે કંટાળીને રાત્રે જગદીશ આશ્રમ પાસેથી પસાર થતી, ભોગાવો નદીના કાંઠે ઊભો હતો. 

બીજા કોઈ આમ નાસીપાસ થયેલ જણને આત્મહત્યા કરવાના જ વિચાર આવે; પણ આ તિસમારખાં અલગ જ ખોપરીનો જીવ હતો. અચાનક તેની ખોપરીમાં એક તણખો થયો, 

‘ભલે બારમામાં નપાસ થયો, પણ પીએચ.ડી.ની પદવી ના મેળવું તો તો હું જગદીશ નહીં.’

એ રાત્રે પ્રગટેલો એ તણખો કદી ઓલવાયો નથી.  જીવનની પરીક્ષામાં એ જગદીશ કદી નાપાસ થયો નથી. 

કોણ છે એ જગદીશ? એ તણખાએ એને ક્યાં પહોંચાડ્યો?

જગદીશ ત્રિવેદી

જાણી લીધાને એમને? વિશ્વ વિખ્યાત હાસ્ય કલાકાર, લેખક, ફિલસૂફ અને જીવનભેર સેવાનો ભેખ ધારણ કરેલા ડો. જગદીશ ત્રિવેદી જ તો. તે જ્યાં જાય છે, ત્યાં હમ્મેશ હાસ્યની લ્હાણી તો કરે જ છે, પણ અચૂક તણખાનાં માહાત્મ્યનો પ્રચાર પણ કરે છે.

અલબત્ત પીએચ.ડી.ની પદવી ધારણ કરવાનું એનું સ્વપ્ન ત્રેવડાયું છે! આ જણે કદી એક દિવસ પણ નોકરી કરી નથી. માદરે વતન વઢવાણમાં એક રૂપિયાની ત્રણ ફોટો કોપી કરી આપતા એ જગા ઝેરોક્સવાળાએ ૧૪ પુસ્તકો પ્રસિદ્ધ કર્યાં છે. કલા ક્ષેત્રે નાટકોથી શરૂઆત કર્યા બાદ પોતાના ગુરુ માનતા માનનીય શાહબુદ્દીન રાઠોડની પ્રેરણાથી એણે ડાયરાઓમાં મનોરંજન પીરસીને આખા જગતમાં ઠેર ઠેર લોકોને પેટ પકડીને હસાવ્યા છે. છેલ્લાં ઘણાં વર્ષોથી કમાણીનો એક પણ રૂપિયો ગજવામાં ન નાંખવાની પ્રતિજ્ઞા લેનાર આ જણે પંદર કરોડ રૂપિયાનાં દાન સમાજના સાવ નીચલા સ્તરમાં સબડતાં બાળકો માટે કર્યાં છે; સતત કરતા રહે છે.

તેમને અનેક સન્માન અને બહુમાન મળ્યાં છે. એની ચરમસીમા રૂપે પદ્મશ્રીનો ઈલ્કાબ પણ ભારત સરકારે તેમને એનાયત કર્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમના ‘મન કી બાત’ પ્રવચનોના એક ભાગમાં એમના જીવન કાર્યને પ્રમાણિત કર્યું છે.

એમની વધારે તો શી વાત અહીં કરવી? આ વીડિયોમાં એમના સ્વમુખે જ એમની જીવનઝાંખી જાણી લો ને?

એમના ઢગલાબંધ વીડિયો તમે યુ-ટ્યુબ પર માણી ખિલખિલાટ હસી શકશો.

તે રાત્રે ભોગાવો નદીને કાંઠે પ્રજ્વલિત થયેલા એ તણખાએ ઠેર ઠેર, અસંખ્ય માનવીઓના દિલો દિમાગમાં જીવનના ઉલ્લાસના દીવા, મીણબત્તી – અરે! મશાલો પ્રગટાવ્યાં છે અને સતત પ્રગટાવતા રહે છે.

પણ એમના આ વિચારને કદી ન ભૂલતા –

મરતાં મરતાં ન જીવો – જીવતાં જીવતાં મરો.

સંદર્ભ
https://drjagdishtrivedi.in/about-me/

https://en.wikipedia.org/wiki/Jagdish_Trivedi

https://www.youtube.com/@jagdishtrivediofficial

e.mail : surpad2017@gmail.com

Loading

...102030...41424344...506070...

Search by

Opinion

  • કોલર ટ્યુન
  • SIRની કામગીરી અને ‘SIR’નો વિરોધ …
  • દેવભૂમિમાં સંસ્કૃત ભાષા પડી કચરાટોપલીમાં!
  • ઉંમર
  • મલાલા યુસૂફજઈ : મહાનતાના બોજથી સ્વયં બનવાની સરળતા સુધી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 
  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —

Poetry

  • ભૂખ
  • ગઝલ
  • નદી
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved