Opinion Magazine
Number of visits: 10080489
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શિક્ષકો પર ટેટનો બોજ ન નાખો …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|15 June 2026

રવીન્દ્ર પારેખ

સુપ્રીમ કોર્ટે બધા શિક્ષકો માટે ટેટની પરીક્ષા પાસ કરવાનું ફરજિયાત કર્યું છે. સુપ્રીમને ટેટ ફરજિયાત કરવાની ફરજ કેમ પડી એનો ખુલાસો નથી, પણ સુપ્રીમનો આદેશ હોય તો શિક્ષકોએ તે માન્ય કરવો જ પડે. કેટલાક શિક્ષકોને ટેટ, ઠેઠ પહોંચાડે એવું લાગતા વિરોધનો સૂર ઊઠ્યો છે. પગાર વધારા સિવાય શિક્ષકો આંદોલન ભાગ્યે જ કરે છે. મોટે ભાગે તો તે આદેશ ઉઠાવવા ઝૂકેલા રહે છે. તેમને વર્ગને સ્વર્ગ કરવાનું ન બને તેનો વાંધો નથી, પણ સરકારના આદેશો ઉઠાવવાની ટેવ પડી ગઈ છે, એટલે કુરનીશ બજાવતા રહે છે. વર્ગ શિક્ષણ ઉપરાંત શિક્ષકો પાસેથી સરકાર સાંઠેક પ્રકારની ઈતર પ્રવૃત્તિઓ કરાવે છે ને એમાં બને છે એવું કે વર્ગમાં ઈતર પ્રવૃત્તિઓથી બાળકો વંચિત રહી જાય છે. શિક્ષકોને સ્વમાન જેવું કદાચ નથી, એટલે તેમને તીડ ઉડાડવા કે વસ્તી ગણતરી કરવા કે ચૂંટણીને કામે કે SIRની કામગીરી માટે મોકલાય કે રાષ્ટ્રીય કામગીરીને નામે કંઇ પણ કરાવાય, આદેશોનું પાલન તો થાય જ છે. આ ઉપરાંત ડેટાબેટાના કે પરિપત્રોના જવાબો જેવી કારકૂની કરમે ચોંટેલી છે તે તો ખરી જ !

એવું નથી કે સરકારને બધા જ શિક્ષકો વફાદાર છે. એક તો તેઓ વર્ગ શિક્ષણથી બચે ને ઉપરથી સરકારી કામોમાંથી આવક મેળવે, એટલે સેવકો બની રહેવા ઇચ્છે છે. એમ તો કોઈ કોઈ શિક્ષકો સ્વમાની પણ હોય છે, પણ યુનિયન સુધી તેમનો અવાજ પહોંચતો નથી, એટલે પણ ના છૂટકે સરકારની મજૂરી કૂટી કાઢે છે. એ કમનસીબી છે કે શિક્ષકોને જ પોતે શેને માટે રખાયેલા છે એની ખબર નથી ને વર્ગની બહાર જવા મળે છે, એટલે બધે ફરી વળે છે. તેમને તો પગાર ઉપરાંત ઉપરની આવક થાય છે, એટલે પણ સરકારી આદેશોનું પાલન કરવાનું ગમે છે ને દોડે છે. સરકાર પણ લાગ જોઇને શિક્ષકો પર બોજ નાખતી રહે છે.

આવા સંજોગોમાં સુપ્રીમનો વર્ષમાં બે વાર ટેટની પરીક્ષા લેવાનો આદેશ ઘણાં શિક્ષકોને નારાજ કરે એમ બને. શિક્ષકની લાયકાત અને શિક્ષણની ગુણવત્તા સંદર્ભે આવેલા ચુકાદા સામે શૈક્ષિક મહાસંઘે કેન્દ્ર સરકારને હસ્તક્ષેપ કરવાનું કહીને 2010 પહેલાના શિક્ષકને TET(TEACHERS ELEGIBILITY TEST)માંથી મુક્તિ આપવા રજૂઆત કરી છે. આ રજૂઆત પછી પણ કોઈ અસરકારક પરિણામ ન આવે તો 18 જૂને શૈક્ષિક મહાસંઘ તમામ જિલ્લાઓમાં જિલ્લા કલેકટર મારફતે વડા પ્રધાન અને કેન્દ્રીય શિક્ષણ મંત્રીને આવેદનપત્ર પાઠવશે. તે પછી પણ હકારાત્મક પરિણામ ન આવે તો ઉગ્ર કાર્યક્રમો મહાસંઘ આપશે. સુપ્રીમ કોર્ટના ચુકાદાને પગલે 2010 પહેલાના, દેશના 25 લાખ અને ગુજરાત રાજ્યના 75,000 પ્રાથમિક શિક્ષકોએ નોકરી બચાવવા પણ ટેટ આપવી પડે એમ બને.

સુપ્રીમે તો જાહેર કરી દીધું છે કે શિક્ષણ સેવા સાથે સંકળાયેલા તમામ શિક્ષકોએ નોકરી ચાલુ રાખવા કે બઢતી માટે ટેટ પાસ કરવી અનિવાર્ય છે. તેમ નહીં થાય તો શિક્ષકોએ રાજીનામું આપવું પડશે અથવા ફરજિયાત નિવૃત્તિ લેવી પડશે. જો કે, નોકરીના પાંચ જ વર્ષ બાકી છે, તેમને આ પરીક્ષામાંથી મુક્ત રખાયા છે તે સારું કર્યું છે.

આ આદેશ ન્યાયાધીશ દીપાંકર દત્તા અને ન્યાયાધીશ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે આપ્યો છે. એ પણ છે કે સુપ્રીમે લઘુમતી દરજ્જો ધરાવતી શૈક્ષણિક સંસ્થાઓને હાલ પૂરતી રાહત આપી છે. અપવાદો થયા જ છે તો ટેટ પાસ કરવાનાં ધોરણમાં થોડી છૂટછાટ હોવી જોઈએ. જેમ કે, ટેટ પાસ કરવાનું એવા શિક્ષકો માટે જ ફરજિયાત હોવું જોઈએ, જેમને બઢતી જોઈએ છે. માત્ર નોકરીનો અનુભવ જ લેવો છે, તેમને ટેટના આદેશમાંથી મુક્તિ આપવી જોઈએ, તેને બદલે તેવા શિક્ષકોને રાજીનામું આપવાનું કહેવું કે ફરજિયાત નિવૃત્તિનું દબાણ કરવું વધારે પડતું છે. કમ સે કમ સરકારે હસ્તક્ષેપ કરીને ફરજિયાત નોકરી છોડાવવાની બાબતે દખલ દેવી જ જોઈએ. પરીક્ષા ન આપનારને કાઢી મૂકવાની વાત કોઈ રીતે યોગ્ય નથી. 20-25 વર્ષની નોકરી થઈ હોય ને માત્ર પરીક્ષા ન આપવાને લીધે કાઢી મુકાય એ જોહુકમી સિવાય બીજું કંઇ નથી.

રાષ્ટ્રીય અધ્યાપક શિક્ષણ પરિષદ (NCTE) દ્વારા ૨૩ ઓગસ્ટ, 2010ને રોજ ટેટ ફરજિયાત જાહેર કરવામાં આવી ને તેને આધારે શિક્ષકની ભરતી કરવામાં આવી. એ અગાઉના શિક્ષકો માટે પ્રાથમિક શિક્ષકની પાત્રતા નક્કી હતી. તે વખતે જે નિયમો હતા તેને આધારે તેમની ભરતી કરવામાં આવી હતી. એ ભરતી નિયમો વગર થઈ ન હતી. એ વખતે ટેટ ફરજિયાત હોત તો શિક્ષકોએ એ પરીક્ષા પણ આપી જ હોત, પણ એવું ન હતું ને હવે 16 વર્ષે ટેટની પરીક્ષા ફરજિયાત કરવામાં આવે તે બરાબર નથી. 75,00૦ શિક્ષકો પર અત્યારના નિયમો લાગુ કરીને દબાણ ઊભું કરવામાં ન્યાય નથી.

સુપ્રીમનો ચુકાદો હોય તો તેની ઉપરવટ ના જવાય. એવે વખતે સરકારને જ હસ્તક્ષેપ કરવાનો આગ્રહ કરવામાં આવે તો શિક્ષકનાં હિતો પરનું જોખમ ટાળી શકાય. એ સારું છે કે શિક્ષણ, પરીક્ષણનાં કડક ધોરણો જળવાય તે અનિવાર્ય છે, પણ એનો કોઈ અર્થ છે ખરો? નીટની પરીક્ષા રદ્દ કરવી પડે કે તે ફરી લેવા ફરી લોખંડી બંદોબસ્ત ગોઠવવો પડે, તો ટેટમાં એવું કશું ન જ થાય એની કશી ખાતરી છે? આખું પરીક્ષા તંત્ર જ ફૂટી જતું હોય, ત્યાં પરીક્ષા કૂટ્યા કરવાનો કોઈ મતલબ છે?

ખાસ વાત તો એ કે શિક્ષકને વસ્તી ગણતરી કરતા આવડે છે? તો, પણ તે કરે જ છે. તેની પાસે SIRની લાયકાત છે ? તો પણ તે પાર પાડે જ છે. ચૂંટણી રાજકારણીઓ લડે પણ તેનું મથક સાચવવાનું શિક્ષકે ! એ પણ આવડત છે એટલે કરે છે? તીડ ઉડાડવાની પરીક્ષામાં તે પાસ થયો છે? તો પણ તેણે તીડ ઉડાડ્યાં જ ને ! તો એક ટેટ નહીં આપે તો શું ખાટુંમોળું થઈ જવાનું છે? આ દેશમાં શિક્ષણ ઓછું ને પરીક્ષાઓ જ વધારે છે ને તે પરીક્ષા માટે થાય છે એથી વધુ તો ‘અર્થ’ વિકાસ માટે થાય છે. વળી આટલી મહેનતે ટેટની પરીક્ષા પાસ કર્યા પછી શિક્ષકે વર્ગખંડમાં જવાનું ન હોય ને ઓફિસમાં બેસીને ડેટાબેટા જ કરવાનું હોય કે સરકારની વસ્તી ગણતરી, ચૂંટણી, SIRમાં જ રચ્યાપચ્યા રહેવાનું હોય તો ટેટ ફરજિયાત કરવાનો કોઈ અર્થ ખરો?

સુપ્રીમના આદેશનું પાલન કરવા શિક્ષણ વિભાગે પણ કમર કસી છે ને 2010 પહેલાંના શિક્ષકોને ટેટ ફરજિયાત કરવાનું અને 31 ઓગસ્ટ, 2028 પહેલાં પાસ કરવાનું અલ્ટિમેટમ આપી દીધું છે. એ સારી વાત છે કે આ બધું શિક્ષણની ગુણવત્તા સુધારવા થઈ રહ્યું છે. કમ સે કમ ગુજરાત સરકારે ગુણવત્તાની વાત ન કરવી જોઈએ – શિક્ષણ વિભાગ દ્વારા લેવાતી ટેટની જ પરીક્ષાઓનાં ઢંગધડા નથી. પરીક્ષાઓ મોડી લેવાય છે. પ્રશ્નપત્રો અઘરા હોય છે. કેટલાક પ્રશ્નો તો કક્ષા બહારના પુછાય છે. એક બે માર્ક ઘટે તો કૃપાગુણ ને બદલે નાપાસ કરાય છે. આવી પરીક્ષા થોડાં વર્ષો પર ન હતી, એટલે નોકરી, ટકા અને ઈન્ટરવ્યૂને આધારે મળતી. 2010 પહેલાં જે પરીક્ષા હતી જ નહિ ને નોકરીને વર્ષો થયાં હોય, તો તેમને એવી પરીક્ષા માથે મારવી, જેના ઠેકાણાં નથી તે બરાબર નથી.

આ બધું ગુણવત્તા સુધારવા થાય છે? જે શિક્ષક પોતે પરીક્ષા લેવાની યોગ્યતા ધરાવતો હોય, તેની પરીક્ષા થાય ને તે નાપાસ પણ થાય તો તે ડિપ્રેશનનો શિકાર બને છે. હજારો કાયમી શિક્ષકોની ભરતી નથી થતી તે શિક્ષણની ગુણવત્તા સુધારવા? સૌથી વધુ બજેટ શિક્ષણમાં ફાળવાતું હોવા છતાં કેટલીક સ્કૂલો એક જ શિક્ષકથી ચાલે છે તે શિક્ષણની ગુણવત્તા સુધારવા? એક પણ વિદ્યાર્થી નથી એવી સ્કૂલમાં શિક્ષકો પગાર ખાય છે, તે કોની મહેરબાનીથી? કેટલી ય સ્કૂલો બિસ્માર હાલતમાં ચાલે છે. આ જોખમ શિક્ષણની ગુણવત્તા સુધારવા લેવાય છે?

– કમ સે કમ ગુજરાત સરકારે ગુજરાતની ભોળી પ્રજાની ક્રૂર મજાક કરવાથી દૂર રહેવું જોઈએ …..

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 15 જૂન 2026

Loading

‘Homes Without Windows’ : કર્મશીલ-લેખકના આત્મકથાનકમાં દૃશ્યમાન થતું ગુજરાતનું સમાજજીવન … 

કિરણ કાપુરે|Opinion - Opinion|15 June 2026

હાલમાં અંગ્રેજી ભાષામાં ‘Homes Without Windows’ નામનું પુસ્તક પ્રકાશિત થયું છે. આ પુસ્તક અનુવાદિત છે અને તે ગુજરાતી ભાષાના અગ્રંથસ્થ આત્મકથાનક નિબંધોમાંથી અનુવાદિત થયું છે. લેખક જાણીતા કર્મશીલ અને જાહેર જીવનનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરનારા ચંદુ મહેરિયા છે. પુસ્તકનો અનુવાદ પ્રતિભાવાન હેમાંગ અશ્વિનકુમાર દ્વારા થયો છે. હાલમાં ચંદુ મહેરિયાને વાંચવાનું ઠેકાણું ‘સંદેશ’ અખબારમાં અર્ધસાપ્તાહિક પૂર્તિમાં આવતી ‘ચોતરફ’ કોલમ છે. આ ઉપરાંત તેમના લેખો નિયમિત રીતે ‘ઓપિનિયન’ નામના પોર્ટલ પર પણ મુકાય છે. ચંદુભાઈની ઓળખ માત્ર લેખક તરીકેની નથી; તેઓને આપણી આસપાસના સમાજજીવનને સૂક્ષ્મ રીતે જોનારા નિરીક્ષક પણ કહી શકાય. 

ચંદુભાઈનાં લખાણ અને તેમના જીવનના અનુભવ વિશે પુસ્તકમાં જાણીતા લેખક-કર્મશીલ-સંશોધકોની નોંધો છે અને તે નોંધોથી પુસ્તકના વિષયવસ્તુનો આછો પરિચય પણ મળે. પરંતુ તેમનો ખરો પરિચય તો ચંદુભાઈના પોતાના લેખો જ છે. આ લેખો હાલમાં પુસ્તક સ્વરૂપે ગ્રંથસ્થ નથી એટલે તે વાંચવા હોય તો જ્યાં તે પ્રથમ વાર પ્રકાશિત થયા હતા તે સાર્થક પ્રકાશનના ‘સાર્થક જલસો’ના અંકો જ મેળવવા પડે. ‘Homes Without Windows’માં કુલ અગિયાર પ્રકરણ સમાવિષ્ટ છે અને તેનું પ્રથમ પ્રકરણ ‘મેયર્સ બંગલો’ છે. આ લેખ હજુ પણ ‘દલિત અધિકાર’ સામયિકમાં ઑનલાઇન પી.ડી.એફ.માં વાંચવા મળે છે. ચંદુભાઈએ તેમાં પોતાના જીવનના જ્યાં શરૂઆતનાં વર્ષો વિતાવ્યાં તે અમદાવાદ પૂર્વના રાજપુર વિસ્તારમાં આવેલા ઘરના અનુભવો આલેખ્યા છે. સામાન્ય રીતે પોતાની આવી સ્થિતિને વર્ણવવાનું ટાળે તે ચંદુભાઈએ શબ્દબદ્ધ કર્યું છે. અને તે વિશે જાણીતા પત્રકાર ઉર્વીશ કોઠારી લખે છે તેમ ‘તેમનું લેખન વીંધી નાખનારું છતાં કડવાશ વિનાનું’ છે. ‘મેયર્સ બંગલો’માં તેઓ લખે છે : ‘જ્યારથી ગાંધીનગરમાં રહેવા આવ્યો છું ત્યારથી બે જ બાબતોનાં સ્વપ્ન આવે છે : કાં પોલીસનાં કાં જાજરૂનાં. શ્રમજીવીઓની સદા વિસ્તરતી વસાહતો સમી અમદાવાદની પૂર્વપટ્ટીનો રાજપુર વિસ્તાર એ મારું ઘર-ગામ કે વતન. બાપા કહેતા મજૂરી ન મળી એટલે તો ગામ છોડવું પડ્યું. પછી જ્યાં રહીએ ત્યાં ગામ. બાપા રખિયાલની ગંજીફરાક મિલમાં મજૂરી કરે. પૂર્વ અમદાવાદમાં મિલ-કારખાનાના એક એક ભૂંગળાના છાંયે એક-એક ચાલી. આવી જ એક ચાલી તે રાજપુર-ગોમતીપુરની અબુ કસાઈની ચાલી. ત્યાં મારું ઘર.’ આ લખાણમાં તાદૃશ્ય ચિત્ર ખડું થાય છે અને તે ચિત્ર ચંદુભાઈની કલમ શબ્દેશબ્દે આલેખી શકે છે. અહીંયાં રહેતા અને કૉલેજમાં ભણતાં યુવાન-યુવતીઓની સ્થિતિ વિશે ચંદુભાઈ આગળ લખે છે : ‘અમારા આ જાજરૂ પાસે હીરાલાલની ચાલીનું બસસ્ટોપ. એ.એમ.ટી.એસ.ની બસ જાજરૂ પાસે જ ઊભી રહે. આસપાસની ચાલીના કૉલેજ જતાં છોકરાં-છોકરીઓ જાજરૂની લાઇનમાં ઊભા હોય કે હાથમાં ચંબુ પકડીને જતાં-આવતાં હોય ત્યારે બસમાં બેઠેલા પોતાના સવર્ણ સહાધ્યાયીઓથી કેવા લપાતા-છુપાતા તે નજરે જોયું છે. રખિયાલ-ગોમતીપુર ગામનાં સવર્ણ છોકરા-છોકરીઓ અમારા જાજરૂવાળા બસ સ્ટૉપને ‘હોલિવુડ’ કહેતાં. કૉલેજમાં જતાં છોકરા-છોકરીઓને આ બસ સ્ટોપ પર ઊતરતાં ભારે શરમ લાગે એટલે કાં તો કામદાર મેદાન ઊતરે કે પછી ગોમતીપુર, ને ત્યાંથી ચાલતા-ચાલતા ઘરે આવે.’

ચંદુભાઈના જીવનના દરેક તબક્કાને જોઈએ તો તેમાં સંઘર્ષ સર્વત્ર દેખા દે છે. પરંતુ તેમણે સંઘર્ષ પ્રત્યેનું જે વલણ રાખ્યું છે તેનાથી જ આ સાહિત્ય રચાયું છે. તેમની કિશોરવયમાં તેઓ કેવી રીતે કેળવાયા તેનો ઉલ્લેખ ‘સભાપર્વ : રાજપુરથી રાજસભા સુધી’ નામના પ્રકરણમાં મળે છે. અહીંયાં તેમણે જે રીતે પોતાના ઘરની આસપાસના માહોલનો ઉલ્લેખ કર્યો છે તેમાં ક્યાંક તેટલા પૂરતો આપણને ઈર્ષ્યાભાવેય આવી જાય. તેઓ લખે છે : ‘આઝાદી પછીના ત્રણ-સાડા ત્રણ દાયકા રાજપુરમાં ગાંધીવાદી-આંબેડકરવાદી-સામ્યવાદી ચળવળોથી ભર્યા ભર્યા હતા. રાજપુરની હીરાલાલની ચાલીના નવરાત્રિ મહોત્સવમાં દર વરસે કોઈ વિશિષ્ટ મહાનુભાવ અને તે પણ બિનદલિત અવશ્ય આવતા. અહીં જ રાજ્યપાલ શ્રીમન્નારાયણ અને કે. કે.વિશ્વનાથન, અમદાવાદના ગાંધીવાદી મેયર કૃષ્ણવદન જોશી અને બેસ્ટ પાર્લમેન્ટરિયન [ઉત્તમ સાંસદ] પુરુષોત્તમ માવળંકરને સાંભળવાના થયા. વસંતલાલ ચૌહાણ અને આનંદ પરમાર ઉત્થાન સંસ્થાના ઉપક્રમે અનેક વક્તાઓને રાજપુરમાં વક્તવ્યો માટે બોલાવતા. એસ.આર. ભટ્ટ અને ઉમાશંકર જોશી, ઈશ્વર પેટલીકર અને દિનકર મહેતા – આ બધાને રાજપુરની સડકસભામાં જ સાંભળીને મોટો થયો છું. મજૂર મહાજન સંઘ, જ્યોતિસંઘ અને બીજી ગાંધીવાદી સંસ્થાઓ-વ્યક્તિઓનો રાજપુરમાં આવરોજાવરો રહેતો. મજૂરમહાજનના નેતાઓ અરવિંદ બુચ, મનહર શુક્લ, શાંતિલાલ શાહ, નવીનચંદ્ર બારોટ તો અમારા માટે મિલના માસ્તર-મેમ્બર-મુકાદમ જેટલા પરિચિત. ચારુમતિ યોદ્ધા જેવાં મહિલા આગેવાનને પણ અહીં સાંભળ્યાં છે. આજે કલ્પના પણ ન આવે કે આ જ રાજપુરમાં શંકરાચાર્ય પણ આવેલા.’ ચંદુભાઈ લખે છે તેમ કલ્પના ન આવે તેવું ઘણું તેમના વિસ્તારમાં બન્યું હતું. 

ચંદુ મહેરિયા

ચંદુભાઈએ પોતાના વિસ્તારમાં રહેવાનો આનંદ પૂરતો લીધો છે અને તેના અનેક ઘટનાક્રમ તેમણે ટાંક્યા છે. ચંદુભાઈનાં લખાણમાં ઘટનાઓનો દોર જરાસરખો થંભતો દેખાતો નથી. તેમની બીમારી અંગે પણ તેઓ એટલા તટસ્થભાવે વાત મૂકે છે કે જાણે તેઓ બીમારીના બિછાને પણ પીડા કરતાં તેમનામાં રહેલો સર્જક વધુ પ્રબળ રહ્યો હશે. ‘રુગ્ણાલય : શૈશવથી જીવનસંધ્યા લગી’ નામના પ્રકરણમાં તેઓ એક ઠેકાણે લખે છે : ‘આરોગ્યમંદિરો તરીકે બિરદાવતાં દવાખાનાં મને કાયમ રુગ્ણાલયો જ લાગ્યાં છે. સામાન્ય દર્દી તરીકે, દર્દીના સ્વજન તરીકે અંદરના દર્દી તરીકે જ્યારે જ્યારે દવાખાને ગયો છું, તે વેળાનો અનુભવ પીડા અને દુઃખથી ભરેલો રહ્યો છે. સર્જરી માટે જતાં ઍનેસ્થેશિયા અપાયા પૂર્વેની અને તેની અસરમાંથી મુક્ત થયા બાદની મનોદશા ભારે પીડાની રહી છે. મૃત્યુ કરતાં બીમારીનો ડર હંમેશાં વધુ રહ્યો છે. હૉસ્પિટલમાં દાખલ થયો છું ત્યારે ત્યારે સમય થંભી ગયાનો અને જીવન સમાપ્ત થઈ ગયાનો સતત અહેસાસ થતો રહ્યો છે. જ્વેલર્સની દુકાનો ભોંયતળિયે હોય અને લિફ્ટ વિનાની હૉસ્પિટલના ત્રીજા-ચોથા માળે સર્જરી કરાવીને ઘરે લઈ જવાતા દર્દીની હાલત જોઈને આપણા અર્બન પ્લાનિંગ પર સવાલો થયા છે. દેવદૂત ડૉક્ટરો કેવા લૂંટારા બની જાય છે તેનો પણ જાતઅનુભવ છે. મોટા ભાઈએ અને એક નજીકના મિત્રે આત્મહત્યાનો પ્રયાસ કર્યો ત્યારે કડેધડે એવી આ વ્યક્તિઓને જે શારીરિક પીડામાંથી પસાર થતાં જોઈ છે તે હચમચાવી નાખનારી હતી.’ 

ચંદુભાઈના લેખનમાં અનેક સંદર્ભો ગૂંથાતા દેખાય છે. તેમનું લેખન ક્યાં ય શુષ્ક નથી પડતું અને તેની સાથે આપણી આસપાસની દુનિયામાં જે જોવાનું આપણે ચૂકી જઈએ છીએ તે તાદૃશ્ય થતું દેખાય છે. ચંદુભાઈના અગિયાર પ્રકરણો છે તેનાં ગુજરાતી મથાળાં ય અહીં જોઈ લેવાં જોઈએ, જેથી તેમણે જે વિશે લખ્યું છે તેનો એક અંદાજ મળી રહે. ગુજરાતી વાચકો અર્થે અહીં મૂળ ગુજરાતી મથાળાં ટાંક્યાં છે. પ્રથમ પ્રકરણ ‘મેયર્સ બંગલો’, પછીના પ્રકરણોમાં ‘રોટલાની મંડઈ મોંકાણ’, ‘મારો ‘ગાંધીડો’’, ‘ધર્મ, ધર્માંતર અને મારું બાળપણ’, ‘મને ભીંજવે તું’, ‘મારી દિવાળી’, ‘તમારું ખાહડું અને અમારું માથું’, મારા ‘બા’ : સંપૂર્ણ નાસ્તિક ‘રામા ભગત’ ‘મા, તારે જ કારણે જગતનાં સર્વ સુખ મળ્યાં’, ‘ધોરાજીમાં બે વર્ષ’ અને ‘રુગ્લાલય : શૈશવથી જીવનસંધ્યા લગી’ પુસ્તકમાં સમાવિષ્ટ છે. 

અઢીસો પાનાંનું આ પુસ્તક પાકા પૂંઠાનું છે અને તેના કવરપેજ પર ચંદુભાઈ અને તેમના નાના ભાઈની તસવીર છે. મૂળે આ તસવીર ‘સાર્થક જલસો’માં પૂરા પરિવાર સાથેની છે, પરંતુ તેમાંથી બંને ભાઈઓની છબિ અહીં લેવામાં આવી છે. પુસ્તકના પ્રકાશક જગરનૉટ [Juggernaut] છે અને તેની કિંમત 699 રૂપિયા છે. પ્રસ્તાવનામાં અનુવાદક હેમાંગ અશ્વિનકુમારે ચંદુ મહેરિયાના જીવનકાર્ય વિશે પંદર પાનાંમાં વિગતે લખ્યું છે. પુસ્તક વિશે જેઓની નોંધ મળી છે તે શરૂઆતમાં મૂકવામાં આવી છે. તેમાં ઇતિહાસકાર રામચંદ્ર ગુહા છે, કર્મશીલ-લેખક ગણેશ દેવી, ‘કાસ્ટ : અ ગ્લોબલ સ્ટોરી’ પુસ્તકના લેખક સુરજ યેન્ગડે, લેખક-સંશોધક વી. ગીથા અને પત્રકાર-લેખક ઉર્વીશ કોઠારી છે. આ નોંધોનો ગુજરાતી અનુવાદ સંજય સ્વાતિ ભાવે દ્વારા ‘ભૂમિપુત્ર’[1 જૂન, 2026]માં થયો છે. અને આ જ લેખમાં સંજયભાઈએ ચંદુભાઈના લેખનસફરની વિગત આપી છે તે ટાંકવા જેવી છે. તેઓ લખે છે : ‘ગુજરાતી દલિત સાહિત્યની એક આરંભિક અહાલેક સમા ચંદુભાઈએ સંખ્યાબંધ પુસ્તકોનું લેખન અને સંપાદન કર્યું છે, તેમ જ છાપાં-સામયિકોમાં સેંકડો વૈચારિક લેખો લખ્યા છે. ચાહીને વંચાતાં તેમનાં પુસ્તકો આ મુજબ છે : ‘સાંબરડાથી સ્વમાનનગર’ (ગુજરાતમાં દલિતોએ જોરજુલમ હેઠળ કરેલી હિજરતનો ઇતિહાસ અને તેની સમીક્ષા), ‘ડૉ. આંબેડકર’(બાબાસાહેબનો ટૂંકો સર્વાંગી પરિચય), ‘પ્રાણપ્રશ્ન પાણીનો’ (જળસંકટ અને જળસંરક્ષણના પ્રયોગો), ‘ચોતરફ’ (અગત્યના સામાજિક પ્રશ્નોનો પરિચય અને તેમની સમીક્ષા), ‘અસ્મિતા અને વિસ્ફોટ’ (દલિત કાવ્યસંચયો) અને ‘માડી મને સાંભરે રે’ (દલિત લેખકોએ ‘મા’ વિશે લખેલા લેખો). 

ચંદુ મહેરિયાનું લખાણ બહોળું છે અને તેમાંથી તેમનું આત્મકથાનક જ ‘Homes Without Windows’માં વાંચવા મળે છે. બસ, અફસોસ એટલો જ કે હજુ આ ગુજરાતી પુસ્તક પ્રકાશિત નથી થયું. તે વહેલાસર પ્રકાશિત થાય તો ગુજરાતી વાચક પણ ચંદુભાઈના અનુભવને પોતાની ભાષામાં વાંચી શકે. 

e.mail : kirankapure@gmail.com 
પ્રગટ : ‘ઈન સાઈડ આઉટ સાઈડ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 14 જૂન 2026

Loading

અભિજાત સ્વયંસિદ્ધા અને પ્રેમાળ મા મૃણાલિની સારાભાઈ 

સોનલ પરીખ|Opinion - Opinion|14 June 2026

મારે માટે બાળકો એ દાંપત્યજીવનની પૂર્ણતા છે. અમે બંને અમારાં બાળકોને ચાહતાં અને એમનું ગૌરવ જાળવીને વર્તતાં. પ્રેમનો અર્થ બાળકોને છાપરે ચડાવીને બગાડવાં એવો નથી, પણ એમને ખીલવીને ઉચ્ચ કોટિનાં કરવાં એ છે. 

— મૃણાલિની સારાભાઈ 

મૃણાલિની સારાભાઈ

ડૉ. વિક્રમ સારાભાઈ અને મૃણાલિની સારાભાઈ વિષે વાત કરીએ તો કલાકો જોઈએ, લખવા બેસીએ તો પુસ્તકો ભરાય અને છતાં વાત અધૂરી રહે. બંને એવાં – પોતપોતાનાં ક્ષેત્રોમાં સિદ્ધિનાં ઉચ્ચ શિખરો સર કરી ચૂકેલાં આંતરરાષ્ટ્રીય કહી શકાય એવાં અને દેશની નવી પેઢીએ જેમના વિષે જાણવું જ જોઈએ એવાં પ્રેરક વ્યક્તિત્વો છે. મૃણાલિની સારાભાઈનો જન્મદિન 11 મેના દિવસે છે અને આજે 10 મેએ મધર્સ ડે છે – વાત કરીએ મૃણાલિની સારાભાઈનાં મા અમ્મુ સ્વામીનાથન્‌ની અને મા તરીકે મૃણાલિની સારાભાઈની. 

1908માં અમ્મુ તેર વર્ષની ઉંમરે પાંત્રીસ વર્ષના સુબ્બરામ સ્વામીનાથન્‌ને પરણ્યાં. મેધાવી ને કામમાં ગળાડૂબ પતિએ બાલિકાવધૂ પત્ની માટે આઈરિશ પ્રશિક્ષિકા રાખ્યાં. માતૃસત્તાક પરિવારમાં ઉછરેલાં અમ્મુ બુદ્ધિશાળી અને આત્મવિશ્વાસસભર તો હતાં જ, હવે એ ફેશનેબલ બન્યાં. ઘોડેસવારી કરતાં, ટેનિસ રમતાં, કાર ચલાવતાં, પ્રતિષ્ઠિત બ્રિટિશ ક્લબોમાં જતાં અને અનેક સામાજિક-રાજકીય પ્રવૃત્તિઓમાં સક્રિય રહેતાં. વિશાળ વર્તુળ. ભારતીય અને વિદેશી મહાનુભાવોની અવરજવર અને વિદેશપ્રવાસો સતત ચાલે. સ્વાતંત્ર્યસંગ્રામ દરમિયાન એમણે જેલવાસ વેઠેલો અને બંધારણસભાનાં સભ્ય પણ હતાં. પણ, આત્મકથામાં મૃણાલિની લખે છે તેમ એમની પાસે એમનાં બાળકો મારે સમય ન હતો. મા તરીકે તેઓ આકરાં હતાં. ધાકધમકી અને શિક્ષા કરતાં. એ જમાનામાં બાળકોની આળપંપાળ કોઈ કરતું નહીં. દસેક વર્ષની ઉંમરે જ મૃણાલિનીએ નક્કી કર્યું હતું કે મને જ્યારે બાળકો થશે ત્યારે હું ખરા હૃદયથી એમનું જતન કરીશ. મોટા થયા પછી જો કે માદીકરી નિકટ આવ્યાં હતાં. 1975માં આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષે અમ્મુ સ્વામીનાથન્‌ને ‘મધર ઑફ ધ યર’નો ઍવોર્ડ ઇન્દિરા ગાંધીના હાથે મળ્યો. એ વખતે એમના પ્રતિભાશાળી સંતાનોનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. મૃણાલિનીનાં બહેન લક્ષ્મી સ્વામીનાથન્‌ સુભાષબાબુની આઝાદ હિંદ ફોજની મહિલા પાંખનાં કેપ્ટન હતાં. ભાઈ ગોવિંદ તમિલનાડુના એડવોકેટ જનરલ હતા. 

મૃણાલિની ચેન્નાઈ, સ્વિટ્ઝરલેન્ડ, શાંતિનિકેતન, અમેરિકામાં ભણ્યાં. સાથે નૃત્યની અવિરત સાધના ચાલતી. ભરતનાટ્યમ્‌, કુચિપુડી, જાપાની અને ગ્રીક નૃત્યો, બેલે, રંગભૂમિ. 1942માં પ્રસિદ્ધ ભૌતિકવિજ્ઞાની ડૉ. વિક્રમ સારાભાઈ સાથે લગ્ન થયાં. વિક્રમના પિતા અંબાલાલ સારાભાઈ જાણીતા ઉદ્યોગપતિ. ગર્ભશ્રીમંત, ગાંધીજીની નિકટ, સામાજિક જવાબદારીથી સભાન અને સ્વાતંત્ર્યસંગ્રામમાં સક્રિય. મોટું, પ્રતિભાઓથી ભરેલું કુટુંબ. એમને ત્યાં પણ ભારતીય અને વિદેશી મહાનુભાવોની ખાસ્સી અવરજવર. મહાન પરિવારોમાં જન્મ ગૌરવ પ્રદાન કરે છે, પણ એના અંતરંગ સંઘર્ષો પણ હોય છે. પ્રતિભાશાળી વિખ્યાત માના સંતાન તરીકે મૃણાલિનીનું બાળપણ કઇંક એકલવાયું વીત્યું હતું, અહીં નવો પ્રદેશ, નવી ભાષા, અલગ રહેણીકરણી અને અતિવ્યસ્ત પતિ વચ્ચે એકલતાની સ્થિતિ હતી. પણ કૃષ્ણભક્તિ અને નૃત્યએ એમને એકલાં પડવા ન દીધાં. 

1948માં મૃણાલિનીએ અમદાવાદમાં ‘દર્પણ અકાદમી ઑફ પરફૉર્મિંગ આર્ટ્સ’ નામની દૃશ્યકલાઓને વરેલી સંસ્થાની સ્થાપના કરી, જેની અનેક પ્રયોગશીલ રંગમંચ નિર્મિતિઓએ તેમને દેશવિદેશમાં ખ્યાતિ અપાવી. મૃણાલિનીએ અમદાવાદમાં નૃત્યપ્રવૃત્તિઓ શરૂ કરી તે સમયે સ્ત્રીઓએ જાહેરમાં નૃત્ય કરવાનું નિષિદ્ધ ગણવામાં આવતું. પણ સસરા અને પતિના જાણીતા ઉદ્યોગપતિ શેઠ અંબાલાલ સારાભાઈ અને તેમના પતિ ડૉ. વિક્રમ સારાભાઈના સક્રિય પ્રોત્સાહનથી મૃણાલિનીએ પોતાની નૃત્યપ્રવૃત્તિઓ પોતે તો ચાલુ રાખી હતી જ, સાથે ગુજરાતના કલાપ્રેમી પરિવારોની યુવાન છોકરીઓને પણ તેમાં આકર્ષવામાં સફળતા મેળવી. 

વિક્રમ અને મૃણાલિની 1947માં કાર્તિકેયનાં અને 1953માં મલ્લિકાનાં માતાપિતા બન્યાં. મૃણાલિની લખે છે, ‘મારે માટે બાળકો એ દાંપત્યજીવનની પૂર્ણતા છે … અમે બંને અમારાં બાળકોને ચાહતાં અને એમનું ગૌરવ જાળવીને વર્તતાં. પ્રેમનો અર્થ બાળકોને છાપરે ચડાવીને બગાડવાં એવો નથી, પણ એમને ખીલવીને ઉચ્ચ કોટિનાં કરવાં એ છે … સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચે હંમેશાં ભેદરેખા છે. અમારી સમજણ હતી કે જ્યાં પણ કઈં દૃષ્ટિભેદ થાય ત્યાં ચર્ચા કરીને નિષ્કર્ષ કાઢવો. બાળકો અમારી જિંદગીનો હિસ્સો રહ્યાં જ અને બધાં જ નામાંકિત લોકો સાથે કોઈ પણ પ્રકારના આત્માભિમાન કે પૂર્વગ્રહ વિના પ્રત્યાયન કરતાં શીખ્યાં.’    

મલ્લિકાએ એક લેખમાં લખ્યું છે, ‘અમ્માની સિદ્ધિઓ અમારી પણ ખરી. પપ્પાની પ્રતિભાવંત કીર્તિમાં અમારી પણ સામેલગીરી. આવી કીર્તિ અને સિદ્ધિનો અમે નિર્ભેળ આનંદ માણવો એટલું જ, એ એવી વાત ન હતી કે અમે પ્રખ્યાત બન્યાં છીએ, એટલે તમે પણ એવાં બનો. એના બદલે એવી ભાવના આવતી કે જુઓ, સતત મહેનત કરવાનો કેટલો આનંદ હોય છે! તમે જે કરવા માંગો છો તેને માટે સચિંત રહેવું કેટલું જરૂરી હોય છે! દુનિયામાં કરવા જેવું ઘણું કામ છે, કરો. પછી તે લોકો માટે હોય કે દેશને માટે.’  

મૃણાલિનીએ પુસ્તકો પણ લખ્યાં છે. એમની આત્મકથા ‘ધ વૉઇસ ઑફ હાર્ટ’નો સુંદર ગુજરાતી અનુવાદ બકુલા ઘાસવાલાએ ‘અંતરનાદ’ નામે કર્યો છે. એમાં મૃણાલિનીએ જોસેફ કેમ્પબેલની એક ઉક્તિ ટાંકી છે, ‘આપણી સામે, આસપાસ અને અંદર જે કઈં જીર્ણશીર્ણ ઘાટઘૂટ છે તેનું હિંમતભેર ખુલ્લી આંખે નિરીક્ષણ કરવું.’ દરેક માએ સંતાનને આ શીખવવા જેવું નથી? સમય કોઈપણ હોય, સ્વયંસ્ફુરણા અને સ્વાનુભૂતિની અભિવ્યક્તિ વગર સાચા અર્થમાં જીવી શકાતું હોતું નથી.  

મૃણાલિની સારાભાઈ

વ્યસ્ત કારકિર્દી છતાં બાળકો મૃણાલિની માટે પ્રથમ અગ્રિમતા હતાં. એક વાર કોઈના મૃત્યુ પ્રસંગે ત્રણ વર્ષના કાર્તિકેયે પૂછ્યું, ‘મૃત્યુ એટલે શું?’ મૃણાલિનીએ કહ્યું, ‘એ લાંબી મુસાફરી છે, ભગવાન પાસે જવા માટેની.’ ‘બધાં રડે છે કેમ?’ મૃણાલિનીએ સમજાવ્યું, ‘ભગવાન પાસેથી કોઈ આવી શકતું નથી, બીજે ક્યાંક જન્મ લે છે.’ બીજે દિવસે કાર્તિકેયે કહ્યું, ‘અમ્મા, તમે ભગવાનને કહેશો કે હું મૃત્યુ પામું તો એ મને તમારા પેટમાં જ મૂકે?’ એક વખત પંડિત નહેરુ સમક્ષ નૃત્યપ્રદર્શન કરવાનું આમંત્રણ હતું અને એ જ દિવસે કાર્તિકેયને સ્કૂલના પ્રવાસમાં જવાનું હતું. મા સ્ટેશને મૂકવા આવે એવી એની ઇચ્છા હતી તેથી મૃણાલિનીએ આમંત્રણ ટાળ્યું. કાર્તિકેય આ વાત ઘણાં વર્ષ ભૂલ્યા ન હતા. કાર્તિકેય આંતર્મુખી અને મલ્લિકા બહિર્મુખી. બાળકોના સ્વભાવનો આદરપૂર્વક સ્વીકાર હતો. કુટુંબ પ્રગતિશીલ વિચારોવાળું અને પતિપત્ની વચ્ચે સમજણ એવી કે બેમાંથી એક બાળકો પાસે રહે, છતાં મૃણાલિનીને બાળકો માટે પ્રવાસમાં કાપ મૂકવો પડે એવું બનતું. ખાસ તો હોમી ભાભાનાં મૃત્યુ પછી વિક્રમ પર કાયમનું અતિશય ભારણ આવ્યું એ ગાળામાં. પણ તેઓ નારાજ ન થતાં. પોતાની કારકિર્દી માટેનું સમયપત્રક જે હોય તે, બાળકોને જરૂર પડે ત્યારે તેઓ હાજર જ હોય. તેમને મન નૃત્યાંગના જેટલી જ મહત્ત્વની ભૂમિકા માતાની હતી. પ્રવાસમાં હોય ત્યારે મૃણાલિની બાળકોને રોજ એક પત્ર મળે એવી વ્યવસ્થા કરે. વિક્રમ પણ બાળકોના વિગતવાર સમાચાર મૃણાલિનીને પહોંચાડ્યા કરે. 

બાળકો મોટાં થતાં ગયાં પછી પણ એમણે એમની સાથે સંવાદ જાળવી રાખ્યો. દરેક વિષય પર છૂટથી વાતો થાય. સ્વતંત્ર વિચારશક્તિ ખીલવવી ને સાથે માનવમૂલ્યો રોપવાં એ ધ્યેય. મહાનુભાવોનો પરિચય, તેમનો આદરસત્કાર કરવો, આત્મવિશ્વાસ, નવા અનુભવો આ બધાની વચ્ચે બંનેએ સરસ કારકિર્દી બનાવી. કાર્તિકેયે યુ.કે.ના કેમ્બ્રિજમાં નેચરલ સાયન્સમાં ટ્રિપોસ મેળવ્યો, ત્યારબાદ તેઓ યુ.એસ.એ.માં મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી(એમ.આઈ.ટી.)માં ડેવલપમેન્ટ કોમ્યુનિકેશનમાં અનુસ્નાતક થયા. તેઓ  અમદાવાદમાં મુખ્ય મથક ધરાવતા સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશનના સ્થાપક અને ડિરેક્ટર છે, જેની ઓફિસો ભારતભરમાં છે. મલ્લિકા કુશળ કુચીપુડી અને ભરતનાટ્યમ નૃત્યાંગના અને અભિનેત્રી છે. સામાજિક પરિવર્તન માટે કલાનો ઉપયોગ કરવામાં નિષ્ણાત છે અને મૃણાલિનીએ સ્થાપેલી દર્પણ એકેડમીનો વહીવટ સંભાળે છે. ભદ્રાયુ વછરાજાનીએ આ બંનેનો દીર્ઘ મુલાકાત લીધી છે તે જોઈએ તો સાચા અર્થમાં વિકસિત મનુષ્યો કેવા હોય એની પ્રતીતિ થાય. બંનેને બે બે સંતાનો છે જે પણ સ્કૉલરો છે.

મૃણાલિનીએ પુસ્તકો પણ લખ્યાં છે. એમની આત્મકથા ‘ધ વૉઇસ ઑફ હાર્ટ’નો સુંદર ગુજરાતી અનુવાદ બકુલા ઘાસવાલાએ ‘અંતરનાદ’ નામે કર્યો છે. એમાં મૃણાલિનીએ જોસેફ કેમ્પબેલની એક ઉક્તિ ટાંકી છે, ‘આપણી સામે, આસપાસ અને અંદર જે કઈં જીર્ણશીર્ણ ઘાટઘૂટ છે તેનું હિંમતભેર ખુલ્લી આંખે નિરીક્ષણ કરવું.’ દરેક માએ સંતાનને આ શીખવવા જેવું નથી? સમય કોઈપણ હોય, સ્વયંસ્ફુરણા અને સ્વાનુભૂતિની અભિવ્યક્તિ વગર સાચા અર્થમાં જીવી શકાતું હોતું નથી.  

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 10 મે  2026

Loading

...102030...36373839...506070...

Search by

Opinion

  • એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”
  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે
  • ચલ મન મુંબઈ નગરી—353

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ
  • લૂંટ શકે તો લૂંટ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved