આ નવલકથા સાત પેઢીની મહા સાહસકથા છે. દરેક પેઢીનાં પાત્રોનાં પારસ્પરિક સમ્બન્ધો અને વ્યક્તિત્વલક્ષણો પ્રકરણોમાં નિર્દેશ પામ્યાં જ છે. છતાં, નીચે મેં એ સમ્બન્ધો અને લક્ષણોને જરા વધારે સ્પષ્ટ કરતી માહિતી આપી છે. એથી કથાને સમજવામાં ઉપકાર થશે.
અહીં દરેક પેઢી ભૂલોનું પુનરાવર્તન કરે છે. વળી, અગાઉની પેઢીની સફળતાઓને માણે પણ છે. બ્વેન્દ્યા પરિવારનાં સભ્યો માર્ક્વેઝનાં પ્રોટેગનિસ્ટ્સ છે. માર્ક્વેઝ સૂચવે છે કે ઇતિહાસ પુનરાવર્તનશીલ છે. પાત્રોનાં નામો સરખાંસરખાં રાખીને એમણે પુનરાવર્તનને આકાર આપ્યો છે. બ્વેન્દ્યા વંશની દરેક પેઢીના પુરુષો હોસે આર્કાદિયો કે ઔરેલિયાનો છે, સ્ત્રીઓ ઉર્સુલા, અમરન્તા, અને રેમેડિયોસ છે. નવલકથાની સંરચના પણ ચક્રાકાર રાખી છે. એમાં સરખા સરખા સંજોગોમાં સંભવેલી ઘટનાઓ પણ પુનરાવર્તન પામ્યા કરે છે.
હોસે આર્કાદિયો નામનાં અહીં પાંચ પાત્રો છે. ઉર્સુલા એ દરેક માટે કહે છે કે એ ‘આવેગશીલ અને સાહસિક’ છે. કોઇકે ગણી કાઢ્યું છે કે નવલકથા સમગ્રમાં ઔરેલિયાનો નામનાં બાવીસેક પાત્રો છે. ઔરેલિયાનો આર્કાદિયોથી અવળી વ્યક્તિતા ધરાવતા હોય છે, તેઓ ‘અતડા છે પણ સાલસ અને સરળ’ છે.
આવાં વિરુદ્ધ લક્ષણવન્તાઓએ મુશ્કેલીઓ સરજી છે. એમના તાપ-પ્રતાપે માકોન્ડો દૂષિત અને ભયગ્રસ્ત રહ્યું છે. તેઓએ પોતાની જિન્દગીઓમાં વિનાશ નૉતર્યો છે, એમાં માકોન્ડોની વસતી જાણ્યેઅજાણ્યે સંડોવાઈ ગઈ છે.
એટલે, બે સરખાં પાત્રનામ વચ્ચેનો ફર્ક સમજવામાં અને કોઈને સમજાવવામાં તકલીફ થાય છે.
વિદ્વાનોની ભલામણ છે કે વાચકે એ તકલીફ વેઠી લેવી, કેમ કે, છેવટે તો માર્ક્વેઝ એ જ દર્શાવી રહ્યા છે કે માનવસ્વભાવ કદી બદલાતો નથી, અને તેથી બ્વેન્દ્યાઓ પણ પુનરાવર્તનના ચક્રમાં ફસાયેલા છે. કથાપ્રવાહને આત્મસાત કરવા માટે પાત્રોનાં પૂરાં આખ્ખાં નામોને જ અનુસરવું હિતાવહ પુરવાર થશે. જો કે એથી ક્યારેક બે નામ વચ્ચેનો ફર્ક પણ નહીં પકડી શકાય -જેમ કે, હોસે આર્કાદિયો બ્વેન્દ્યા અને એનો દીકરો તે હોસે આર્કાદિયો … જો કે, પછીનાં પ્રકરણોમાં એમ આવશે કે એ ઔરેલિયાનો સેગુન્દોનો દીકરો પણ હોસે આર્કાદિયો છે, એને હોસે આર્કાદિયો – બીજો કહેવો જોઇશે, ભલે માર્કવેઝે એમ નથી કહ્યું.
સાત પેઢીઓની આ મહા સાહસગાથામાં પુનરાવર્તન ઉપરાન્તનું ઊડીને આંખે વળગે એવું લક્ષણ incest છે – ગોત્રગમન – નજીકનાં સગાં વચ્ચે સમ્ભોગ, નિષિદ્ધ સમ્ભોગ. લગભગ દરેકનું એથી જુદું જાણવું અસંભવ છે. કથાચક્રમાં એના નિર્દેશો પણ અવારનવાર થતા રહ્યા છે. બ્વેન્દ્યા પરિવારના એ રસાયણના મૂળમાં ભૂતકાલીન નિષિદ્ધ સમ્ભોગો જ છે. એટલે લગી કથકે જણાવ્યું છે કે ‘ઉર્સુલાની એક માસી હોસે આર્કાદિયોના કાકા સાથે જોડાયેલી, પરણેલી, ને છોકરો જન્મેલો … બૂચના આકારની કુમળાં હાડકાંની પૂંછડી સાથે છોકરો મોટો થયો, પૂંછડીને છેડે ગુચ્છાદાર નાની ચોટલી હતી.’
ઉર્સુલા અને હોસે આર્કાદિયો એમના મૂળ વતનથી દેશનિકાલ કરાયેલાં છે.
પહેલી પેઢી એ બન્નેથી છે – ઉર્સુલા ઇગોરાન અને હોસે આર્કાદિયો બ્વેન્દ્યા :
હોસે આર્કાદિયો બ્વેન્દ્યા :
આપણે જોયું કે એ માકોન્ડોનો સ્થાપક છે, બ્વેન્દ્યા પરિવારનો પહેલો કુળપૂર્વજ છે. એનામાં સરસ નેતૃત્વશક્તિ છે, સાથોસાથ, પૂરા કાળની સહજતા, નિર્દોષતા પણ છે. પહેલાં કંઈ ન્હૉતું ત્યાં એણે માકોન્ડો વસાવ્યું – જંગલમાં મંગલ; અને પછી માકોન્ડોને તેમ જ પરિવારને બહારના સભ્ય સમાજ સાથે જોડ્યું; નવા જમાનાની દિશામાં સંકોર્યું, દોર્યું.
એની એ નિસબત અને તે પાછળની શોધબુદ્ધિ આપણને સ્પર્શે છે. જેમ કે, જિપ્સીઓ લાવેલા એ ઊડતી કારપેટને (ઉડન ખટોલા?) રીયલમાં જોવા એણે પોતાની લૅબમાં પુરાઇને રીતસરની તપશ્ચર્યા કરી છે. પ્રાચીન જાદુઓને એટલે કે ચમત્કારોને એણે વૈજ્ઞાનિક વિચારોમાં અથવા વિભાવનાઓમાં બદલવાના ભરપૂર પ્રયાસ કર્યા છે. એ સદા જ્ઞાન-વિજ્ઞાન માટે મથ્યા કરે છે. એની એ ઝંખના એના વારસોમાં પણ ઊતરી છે.
પણ અવળું એ બને છે કે પરિવારની કુદરતી નિર્દોષતાનો નાશ થાય છે. ક્રમે ક્રમે હોસે આર્કાદિયો બ્વેન્દ્યાનો સમગ્ર જ્ઞાનપુરુષાર્થ એને પણ થકવે છે, એ નિર્ભ્રાન્ત થતો થતો પાગલ થઈ જાય છે. જ્ઞાનઝંખના અને પ્રગતિલાલસાનું એક પરિણામ, બુદ્ધિનાશ – મનુષ્યજીવનની અર્થહીનતાનો, ઍબ્સર્ડિટીનો, કરુણ પુરાવો.
એને એવું થયેલું કે પોતે ‘શાશ્વત ગતિ’ – ‘પર્પેચ્યુઅલ મોશન’ – સરજી શકાય એવું સાધન શોધી શક્યો છે. એક એવી યુક્તિ કે જે વડે વસ્તુને એક વાર ગતિશીલ કરી દો પછી સદા કાળ ગતિમાં જ રહે. આપણને યાદ છે કે એણે સરજેલી બૅલેરિના ત્રણ દિવસ લગી નાચ્યા કરેલી. આમ તો, એવી ગતિ શક્ય નથી, એ સંભવે માત્ર સમય વિનાના વિશ્વમાં.
એની એ ધૂને એને ગાંડો બનાવી દીધો. હોસેનું જીવન નિ:સમયને શરણે વીતવા લાગ્યું. આપણે જોયું છે કે મંગળવાર થયેલો સોમવાર એના ચિત્તમાં સોમવારનો સોમવાર જ રહેલો. નવલકથામાં પણ ભૂત વર્તમાન ભવિષ્ય – ત્રણેય કાળનું વારંવાર અધિવ્યાપન – ઓવરલૅપિન્ગ – થયા કરે છે. નિ:સમયમાં જીવતો હોસે વારસદારોને ભૂત ભાસે છે પણ તેથી જ એની ઉપસ્થતિ માકોન્ડોમાં સૌને નિરન્તર અનુભવાય છે.
બ્વેન્દ્યા પરિવાર
Pic Courtesy : Family Tree
ઉર્સુલા ઇગોરાન :
ઉર્સુલા સૌથી વધુ જીવી છે, સૉ વરસથી પણ વધારે. અણજાણ રેબેકાને એણે અપનાવી અને દીકરીની જેમ ઉછેરી. એના ટેબલ પર અનેક મહેમાનો, વટેમાર્ગુઓ પણ, જમી ગયા છે. એને કશા સ્પિરિચ્યુઅલ ધખારા નથી. એ વ્યવહારુ સ્ત્રી છે, વાસ્તવનું માણસ. બન્યું એમ કે એના તમામ વારસો કાં તો લફરાંમાં કાં તો યુદ્ધ સંડોવાયાં. એથી તો પરિવાર નષ્ટભ્રષ્ટ થઈ જાય. પણ ઉર્સુલાનો જીવનપુરુષાર્થ એ હતો કે બ્વેન્દ્યા પરિવાર કદી તૂટી ન જવું જોઈએ. ઉર્સુલા સૌનો કાયમી ટેકો બની રહી ને સૌ ભલે સારાનરસા કારણોથી પણ જોડાયેલાં રહ્યાં.
જો કે અમુક પરિણામ માટે એ કડવી પણ બનેલી, જેમ કે, હોસે આર્કાદિયો અને રેબેકાને એણે ઘર બહાર કાઢી મૂકેલાં. મૂળે તો એ કારણે કે નજીકનાં સગાં વચ્ચેનો જાતીય સમ્બન્ધ, એનું પોતાનું પોતાના જ કઝિન સાથેનું એ જ રીતનું હતું. એ એને પહેલેથી સાલતું’તું, સતાવતું’તું. એ અપ્રતિમ ગિલ્ટને એ જીવતી રહી. એને ડર રહ્યા કર્યો છે કે ડુક્કરની પૂંછડીવાળું બાળક અવતરશે તો … નિષિદ્ધ સમ્બન્ધોના રસાયણે રસાયેલા પરિવારનો વિનાશ થાય એ એનો ભય સાચો પડે છે.
બીજી પેઢી : અમરન્તા, હોસે આર્કાદિયો, કર્નલ ઔરેલિયાનો બ્વેન્દ્યા, રેમેડિયોસ મોસ્કોતે, અને રેબેકા.
અમરન્તા :
અમરન્તા હોસે આર્કાદિયો બ્વેન્દ્યા અને ઉર્સુલા ઇગોરાનની દીકરી છે. એ કર્નલ ઔરેલિયાનો બ્વેન્દ્યા અને હોસે આર્કાદિયોની બહેન થાય છે.
આપણે જોયું કે એને રેબેકા માટે ઘણી ઈર્ષા છે, ઘૃણા છે. એને એમ થઈ ગયેલું કે એના પિએત્રો ક્રેસ્પોને રેબેકાએ ઝૂંટવી લીધો. મૂળમાં તો અમરન્તા, ઔરેલિયાનો હોસેની ઇન્સેન્શયસ પૅશનનો ભોગ બની છે, એ ઘટનાનો ટ્રૉમા એના જીવનમાંથી નષ્ટ નથી થયો. તેથી એ પુરુષમાત્રથી ડરે છે, એટલે લગી કે પિએત્રો જ્યારે એના પ્રેમમાં પડ્યો, એણે એને ફગાવી દીધો. પિએત્રોએ આપઘાત કર્યો. પસ્તાવા રૂપે અમરન્તાએ હાથ બાળ્યો ને જીવનભર એ પર કાળું કપડું બાંધી રાખ્યું. આપણે જોઈશું કે વૃદ્ધ થઈ ત્યારે એને એનો ખરો પ્રેમી મળી તો ગયો, કર્નલ જેરિનેલ્ડો માર્ક્વેઝ, પણ એને ય એણે તિરસ્કાર્યો અને કાયમ માટે ફગાવી દીધો – ત્યારે પણ કારણમાં હતો પેલો ટ્રૉમા અને તેથી જન્મેલો ડર.
અમરન્તાને સરખું જીવવા ન મળ્યું એની વેદનાથી એ સદા રોષિત અને કટુ રહી છે. કરુણતા એ છે કે એ એકાકી કુંવારકા રૂપે – લોન્લિ વર્જિન રૂપે – મરી છે.
હોસે આર્કાદિયો :
હોસે આર્કાદિયો, હોસે આર્કાદિયો બ્વેન્દ્યા અને ઉર્સુલા ઇગોરાનનો પહેલો પુત્ર છે. એને શક્તિ સામર્થ્ય વારસામાં મળ્યાં છે. એ પણ આવેગભર્યું જીવતો હોય છે. એક જિપ્સી છોકરી પાછળ એ ભાગી ગયેલો. પાછો ફરે છે ત્યારે જંગલી અને પશુ ભાસે છે. બ્વેન્દ્યાઓએ અપનાવેલી અનાથ રેબેકાને પરણે છે. પણ પિલાર તરનેરા સાથે સમ્ભોગથી જોડાય છે. તરનેરાથી જનમેલા આર્કાદિયોનો એ બાપ બને છે. કર્નલ ઔરેલિયાનો બ્વેનદ્યા અને અમરન્તાનો એ ભાઈ થાય છે.
કર્નલ ઔરેલિયાનો બ્વેન્દ્યા :
કર્નલ ઔરેલિયાનો બ્વેન્દ્યા, હોસે આર્કાદિયો બ્વેન્દ્યા અને ઉર્સુલા ઇગોરાનનો બીજો પુત્ર છે. રેમેડિયોસનો વિધુર છે. આમ તો એને કશું સ્પર્શી શકે એવો એનો સ્વભાવ નથી. પણ બાલિકા વધૂ રેમેડિયોસથી એ પહેલી વાર લાલાયિત થયેલો. રેમેડિયોસના મરણ પર એને સમજાય છે કે પોતે થવો જોઈએ એટલો આર્દ્ર નથી થઈ શકતો. જો કે જુદી જુદી ૧૭ સ્ત્રીઓથી જન્મેલા ૧૭ દીકરાઓનો એ બાપ પણ છે. એ ૧૭નું દરેકનું નામ પણ ઔરેલિયાનો રાખવામાં આવ્યું છે. મજાની વાત એ છે કે એ એક અચ્છો સિલ્વરસ્મિથ તો છે જ પણ કવિ છે, કાવ્યો કરે છે. એની અનેકવિધ કલ્પકતાને પ્રતાપે સૅંકડો સુવર્ણ માછલીઓના સર્જનનું એ આયોજન કરી શક્યો છે.
આપણે જોયું છે કે એ કેવો તો મહાબાહુ છે. કૉન્ઝર્વેટિવ ગવર્ન્મૅન્ટના ભ્રષ્ટાચાર સામે એ ક્રોધે ભરાયો, લિબરલ્સ સાથે જોડાઈને સિવિલ વૉરનો સેનાની બન્યો, વિદ્રોહ કર્યો, અને તે દિવસથી એ કર્નલ ઔરેલિયાનો બ્વેન્દ્યા કહેવાય છે. બને છે એવું કે વરસો લગી લડાઈ, લડાઈ ને લડાઈને કારણે એ વધુ સખત થતો ગયો, એની સ્મૃતિ નષ્ટ થવા લાગી. સુલેહપત્ર પર સહી કરી આપે છે ને પોતાની વર્કશોપમાં પાછો ફરે છે. છેવટે એનું રહ્યુંસહ્યું ભાવજગત પણ ભુંસાવા માંડ્યું. એણે કાવ્યો બાળી દીધાં. વીસેક સુવર્ણ માછલીઓ બનાવી પણ છેલ્લે એને ય ઑગાળી નાખી. એ પણ એકાકી જીવનને પામ્યો.
એની સમજ બની કે સમય ચક્રાકારે ફરતો રહે છે, અને એના જેવા માણસ માટે વર્તમાન સિવાયનું કશું છે જ નહીં. એને સમજાય છે કે સિવિલ વૉર કે કોઈપણ લડાઈ મિથ્યા છે, બન્ને પક્ષ લડતા રહે એ જ ફલશ્રુતિ છે. એણે આપઘાતનો પ્રયાસ કર્યો એની પાર્શ્વભૂમાં એની આ નિર્ભ્રાન્તિ છે, નૈરાશ્ય છે.
રેમેડિયોસ મોસ્કોતે :
રેમેડિયોસ કર્નલ ઔરેલિયાનો બ્વેન્દ્યાની બાલિકા વધૂ છે. સંભવત: કસુવાવડમાં એનું મૃત્યુ થયું છે.
રેબેકા :
રેબેકા અનાથ હતી. એનાં મૂળ વિશે કોઈને કશી જ જાણ નથી. એક દિવસ એ બ્વેન્દ્યાઓને ત્યાં આવી ચડે છે. બ્વેન્દ્યાઓ એને અપનાવી લે છે, પરિવારજન ગણે છે. એને માટી અને ભીંતના પોપડા ઉખેડીને ખાવાની ટેવ હતી. એને અનિદ્રાનો રોગ હતો. એના અનિદ્રારોગનો ગામ આખાને ચેપ લાગે છે. એ કારણે લોકોની સ્મૃતિ પણ ચાલી જાય છે. એના પતિ હોસે આર્કાદિયોના અવસાન પછી એને એમ લાગે છે કે – મારું કોઈ નથી – ન પરિવાર – ન ગામ. રેબેકા એકાન્વાસી થઈ જાય છે, એના ખંડેર થઈ ગયેલા ઘરની બહાર કદીપણ જોવા નથી મળી.
++
આ બે પછીની પાંચ પેઢીઓની વાત હવે પછી, જરૂરતે જરૂરતે, ક્રમે ક્રમે.
(August 27, 2022: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર