“એમની આંખો ભીંજાઈ’તી ખરી પણ આંસુઓ કોરાં હશે કોને ખબર”
ચિનુ મોદીને સ્મરણાંજલિ
ઓગણીસ માર્ચે ચિનુ મોદીની પ્રથમ પુણ્યતિથિએ કવિસમ્મેલન સહિતનો સ્મૃિતવન્દના કાર્યક્રમ યોજવા માટે ગુજરાત સાહિત્ય અકાદમી અને ઓમ કૉમ્યુિનકેશનના મનીષ પાઠકને અભિનન્દન આપું છું. નજીકના સમયમાં દિવંગત થયેલા ચિનુ જેવા સાહિત્યકારોને આમ તરત યાદ કરવાનું સમુચિત કહેવાય. એથી આપણી સ્મૃિતમંજૂષામાં કેટલીક બહુસ્મરણીય તાજી વાતો ઉમેરાય ને મંજૂષા સમૃદ્ધ થાય. દૂરના સમયમાં થઇ ગયેલા દિવંગતોની ઉજવણી વખતે સંભવ છે કે વીગતોની ભેળસેળ થઈ જાય.
મારી સામે સભામાં કેટલાક સિપાઈઓ ભરીબંદૂકે તાકીને જોતા હોય, એમની લાલ આંખો મને જલદી પતાવવા કહેતી હોય, તો તમે કલ્પી શકો, એ સિપાઈઓ કોણ છે? એ છે આ સામે બેઠેલા ૧૧-૧૧ કવિઓ ! ત્રણ સાથીસ્મૃિતકારો ય દીસે છે રાંક પણ અંદરથી થનથગનતા રાહ જુએ છે કે હું ક્યારે પતાવું. હું પતાવું નહીં, ટૂંકમાં સમ્પન્ન કરીશ.
૧૯૬૨-૬૩માં મારી ઉમ્મર ૨૩-૨૪. હું વડોદરામાં મારા ગુરુ સુરેશ જોષીની રૂમમાં બેઠેલો. ત્યાં બે જણા – સર, આવીએ?- કરતાક દાખલ થયા. એ બે-માં એક ચિનુ અને બીજો આદિલ. બન્ને મારી ઉમ્મરના લાગ્યા. સુરેશભાઈને પોતપોતાના કાવ્યસંગ્રહ આપવા આવેલા. સાવ પતાકડા જેવા પ્રારમ્ભકાલીન સંગ્રહો. એમણે સુરેશભાઈનો આભાર માન્યો. અમે ત્રણેય જણાએ એકબીજાનાં નામોનો વિનિયોગ કર્યો. અને – મળીશું – કહીને એ લોકો નીકળી ગયા. ચિનુ સાથે ત્યારથી મૈત્રી. ૫૫ વર્ષની અતૂટ મૈત્રી. અનેકો જોડે મૈત્રી થઈ છે પણ ટકી હોય ને પ્રેમના રસાયને મજબૂત થઈ હોય એવું બહુ ઓછું બન્યું છે. એ ચિનુ હવે નથી એ અવકાશ મને સતાવે છે.
પછીનાં વર્ષોમાં મારે કદીમદી અમદાવાદ જવાનું બનતું તો મળી જતો. અલકમલકની વાતો થતી. ‘રે મઠ’-ની વાતો થતી. સંસ્કૃિત નહીં કૃતિ; ઉમાશંકરના છન્દ કાચા છે; સ્નેહરશ્મિનાં હાઇકુ બનાવટી છે; વગેરે તોફાની ટીકાઓ અમારા બન્નેના આધુનિક મિજાજને માફક આવતી. એ દરમ્યાન હું કપડવણજ કૉલેજમાં પ્રોફેસર હતો. ત્યારે ‘રાજદૂત રન-ઍબાઉટ’ નામનું રૂપાળું સ્કૂટર નીકળેલું. મેં ખરીદેલું. પણ રૂપને રડે ને કરમને ખાય જેવો ઘાટ થયેલો. વારંવાર બગડે. કપડવણજવાળા મિકેનિકે કહ્યું – એને અમદાવાદની મેઇન હૉસ્પિટલે લઇ જાઓ. એટલે કે, રાજદૂતવાળાના કારખાને. ખટારામાં નાખી ખટારામાં બેસીને લઈ ગયેલો. સ્કૂટર થોડો વખત સારું રહ્યું પણ છેલ્લે તો એના હાલ બેહાલ જ રહ્યા. એક દિવસ ચિનુ મને કહે, તારું આ સ્કૂટર મને વેચાતું આપી દે. મેં એને કરમકહાણી કહી બતાવી તો કહે – ભલે; મને આપ, મારે જોઈએ જ છે. એણે લીધું ને હેરાન થઈને છેવટે ક્યાંક ફગાવી દીધું. વાત એમ હતી કે રાજદૂતવાળાએ ઍન્જિન ઊભું બેસાડેલું. બાકી ઍન્જિન આડું હોવું જોઈએ. પણ પ્રયોગશીલ હતા. અમે બન્નેએ ઉત્તરોત્તર જોયેલું કે મિત્રઆધુનિકોની કેટલીક પ્રયોગશીલતા આમ જ આખા ગુજરાતને માથે પડેલી. સર્જકતાનું ઍન્જિન જ ખોટું બેસાડ્યું હોય, પછી તો શું થાય?
૧૯૭૨થી ૭૭ દરમ્યાન અમારી મૈત્રી વિકસી. અમે લગભગ દરેક શનિવારે દાહોદમાં મળતા. ચન્દ્રકાન્ત ટોપીવાળાની કૉલેજમાં. ઍમ.એ.-નાં વ્યાખ્યાનો આપવા હું બોડેલીથી નીકળું ને એ અમદાવાદથી નીકળે. ટોપીવાળાને ત્યાં અમારો મુકામ હોય. ત્યાં શનિવારની કેટલીયે રાતો સરજાતા સાહિત્યની ખૂબીઓની મજાઓ લેવામાં તેમ જ ચર્ચાઓ ભરી લડાલડી કરવામાં વીતેલી. વિદ્યાવ્યાસંગનો અમારો એવો પણ તરીકો હતો.
હું ૧૯૭૭માં આમદાવાદ ભાષાભવનમાં જોડાયો પછી અવારનવાર મળવાનું થતું. મારાથી એક જ માસ મોટો છતાં – હું તારાથી મોટો છું – એવી મજાકભરી બડાઈ હાંકે. રશ્મીતાને કાયમ કહે – હું તમારો જેઠ થઉં છું, હૉં. કૅમ્પસના ઘરે, મુકુન્દ-મનોરમાના ઘરે, શબરીના ઘરે, પહેલેથી આવતો. આવે એટલે પોતાની તાજી રચનાઓ વાંચે; મારી સાંભળે; અને ચા અચૂક પીએ. ક્યારેક ક્યારેક લાભશંકર વગેરે મિત્રો સાથે ખાણીપીણીયે કરી છે. કારકિર્દીના છેલ્લા દસકમાં હું હેડ હતો એ દરમ્યાન જગ્યા પડેલી, મને પૂછે : અરજી કરું? તને કેમ લાગે છે? : મેં કહેલું, મને બહુ જ ગમશે. અને ચિનુનો ભાષાભવનમાં સુખદ સમાસ કરી શકાયેલો. જે થોડાં વર્ષો યુનિવર્સિટી-ટીચર થવા મળ્યું એનો એને કવિ હોવા ઉપરાન્તનો અદકેરો આનન્દ હતો.
૧૯૯૨માં અમેરિકાની યૅલ યિનિવર્સિટીમાં મારે વિઝિટિન્ગ ફૅલો તરીકે જવાનું હતું. હું અને રશ્મીતા પહેલીવાર ઈન્ગ્લૅન્ડ-અમેરિકા ગયેલાં. મને કહે – હું તને શી શુભેચ્છા પાઠવું? ત્યારે મારો બીજો વાર્તાસંગ્રહ ‘જૅન્તી-હંસા સિમ્ફની’ પ્રગટ થવાનો ’તો. મને શું સૂઝ્યું તે મેં એને કહ્યું – તું એમાં કશુંક લખે તો હું એને તારી શુભેચ્છા ગણીશ. એણે ‘પશ્ચાદ્કથન’ રૂપે લખ્યું. ગુલાદાસ બ્રોકર વગેરે પ્રસ્તાવનાકારોની ઠઠ્ઠામશ્કરી સાથે બધું સરસ કર્યું. પછી ૧૯૯૭માં એણે મને એના ‘છલાંગ’ વાર્તાસંગ્રહ વિશે લખવા કહ્યું. જેમ એણે મારી પ્રતીકયોજના આટલી બધી મુખર કેમ છે જેવા સ્પષ્ટ પ્રશ્નો સાથે ટીકાટિપ્પણી કરેલી એમ મેં પણ એના સંગ્રહ માટે લખ્યું કે આ – કવિની મૉંઘી પણ હાફહાર્ટેડ સરજત છે. તાત્પર્ય એ કે અમે મિત્રો હોવા છતાં સાહિત્યપદાર્થના વિવેક બાબતે મિત્રો ન્હૉતા. વર્ષો પર મેં આપણા સાહિત્યિક પરિવેશમાં ‘ક્રિટિસિઝમ ઇન ફ્રૅન્ડશિપ’ વિચાર તરતો મૂકેલો. એમ દર્શાવવા કે મૈત્રી હોય તો પણ કડક વિવેચન થઈ શકે છે. ગાંડાઓએ એને મિત્રો મિત્રો વચ્ચેનું ગણી કાઢ્યું ! બાકી સાહિત્યકલાના મામલામાં મિત્ર જ મિત્રને સમજી શકે. અને સાહિત્યિક મૈત્રી કંઈ સાથે બેસીને ભૂસુંભજિયાં ખાવાથી તો નથી થઈ હોતી. પહેલી જ ઓળખાણનું રસાયન તો એકબીજાની સર્જકતા હોય છે.
અંગ્રેજીમાં શબ્દ છે – loner, એકાકી. એકલવાયાપણું ગમતું થઈ ગયું હોય. નજીકનો શબ્દ છે – lover, પ્રેમી. ચિનુની વ્યક્તિતામાં આ બન્નેનો વસવાટ હતો. એનામાં પ્રેમ કરવાની અપાર જિગર હતી. નાનાંમોટાં સૌ સમકાલીનોને ચાહ્યાં. રશ્મીતા એને કટાક્ષમાં કહેતી – કવિ, તમારો ‘પીઆર’ જોરદાર છે. તો કહે, શું કરું, ભાભી … આમે ય આ મારો જલસાઅવતાર છે. મીનાક્ષી-પ્રકરણમાં સચ્ચાઈ ભરપૂર હતી પણ એટલી જ ભારે છકક્ડ ખાધેલી. ચિનુને મૈત્રી અને પ્રેમમાત્રનો સાર મળી ગયેલો – એમ કે ‘એમની આંખો ભીંજાઇ’તી ખરી પણ આંસુઓ કોરાં હશે કોને ખબર’… છેલ્લે છેલ્લે ‘સ્વાયત્તતા’ – પ્રશ્ને એ ઘણો દુભાયેલો. સંસ્થા અને મિત્રો સાથેના વરસોના અનુબન્ધ તૂટી ગયેલા. મને થાય છે, એને એ દુ:ખ ન મળ્યાં હોત તો સારું થાત. પણ જોજો, કે એ લોનરે અને એ જ લવરે એની સાહિત્યસૃષ્ટિને ઘડી છે. બન્ને એકબીજાને પછાડતા ને વળી પાછા પેલા ફિનિક્ષ પંખીની જેમ – દેવહુમાની જેમ – સજીવન થઈ એકમેકની કુમકે દોડી જતા.
ગયા વર્ષે જાન્યુઆરીમાં મને કહે – તું હવે એકલો છું. અમેરિકા જાય છે તે પાછો ક્યારે આવીશ એ નક્કી નથી. ઘરે રહેવા આવ. હું રાત રોકાયો. ખૂબ વાતો કરી. બીજે દિવસે સુભાષ શાહને બોલાવી લીધો. પુત્રવધૂ શિલ્પાની વેઢમી જમ્યા. મુમ્બઈ પ્રબોધ પરીખને જોડીને ફોન-કૉન્ફરન્સ કરી. મને અમેરિકામાં માર્ચમાં સમાચાર મળ્યા પણ આઘાત કોની જોડે શૅઅર કરું? ભાવાંજલિ લખીને આશ્વાસન મેળવેલું. આ પુણ્યતિથિએ સૌને વિનન્તી કે નવી પેઢી સાથેની ચિનુની ભાવનાને વિકસાવીએ અને એની સમગ્ર સૃષ્ટિનું અહોભાવમુક્ત મૂલ્યાંકન કરીએ.
સૌજન્ય : ‘સાહિત્ય સાહિત્ય’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 24 માર્ચ 2018