
સુમન શાહ
ક્યારેક મને એવું થાય છે કે હું બે જ વસ્તુઓને ચાહું છું – જીવન અને સાહિત્ય. ફિલસૂફી કે ભાષાવિજ્ઞાન હું વિધિસર નથી ભણ્યો. જ્યારે પણ એમાં ગયો છું ત્યારે સાહિત્યના સ્વાર્થે, છતાં, એ બન્નેનાં સત્યોનો દ્રોહ ન થાય એની પૂરેપૂરી કાળજી રાખીને. આ લેખમાળા પણ ફિલસૂફીવિષયક છે તેમછતાં એના નિરૂપણનો હેતુ સાહિત્યિક છે એમ સ્વીકારવા વિનન્તી. હું હેતુ દર્શાવું :
સાહિત્ય એક કલાવિશેષ છે તેથી સાહિત્યકાર કલાકાર છે. સાહિત્ય એક સાંસ્કૃતિક આવિષ્કાર છે તેથી સાહિત્યકાર સંસ્કૃતિપુરુષ છે. સાહિત્યકાર ક્રાન્તદૃષ્ટા છે તેથી ઋષિતુલ્ય છે. સાહિત્યકાર પ્રતિબદ્ધતાને વરેલો છે તેથી સમાજ અને રાષ્ટ્રનો હિતૈષી છે. સાહિત્યનો ખરો ભોક્તા સહૃદય છે તેથી વાચકો માટે આદર્શમૂર્તિ છે. સાહિત્યનો ફિલસૂફી ભાષાવિજ્ઞાન ધર્મ અધ્યાત્મ નીતિ-સદાચાર સમાજ અને રાજકારણ સાથેનો સમ્બન્ધ. કલાપ્રપંચ અને સત્તાપ્રપંચ. સાહિત્યમાં પૂર્વ અને પશ્ચિમ. સાહિત્ય અને અનુવાદો સમ્પાદનો પ્રકાશનો પત્રકારત્વ. સાહિત્ય અને કવિસમ્મેલનો પરિસંવાદો લોકાર્પણો પુસ્તક-મેળા સોશ્યલ મીડિયા. સાહિત્યનું પીએચ.ડી. પદવી સુધીનું અધ્યયન-અધ્યાપન. સાહિત્ય અને રુચિ. કૃતિ કર્તા અને ભાવકલક્ષી વિવેચનો. અધ્યાપકીય અને ઉન્નતભ્રૂ વિવેચનો. ભાવન આસ્વાદન અર્થઘટન અને મૂલ્યાંકન માટે વિશ્લેષણની રસલક્ષી પદ્ધતિ. સાહિત્યકારનું પુનર્વાચન અને પુનર્મૂલ્યાંકન.
વગેરે મુદ્દાઓ સંદર્ભે આપણે ત્યાં વિકસેલી માન્યતાઓ અને તેથી વિકસેલા વિચારવાતાવરણનો પરામર્શ વિઘટનની રીતે કરવો એટલે કે પ્રશ્નો કરવા, ગર્ભિત અર્થોને પ્રકાશિત કરવા, એ વાતાવરણ સરજનારાં પરિબળોને પ્રકાશિત કરવાં, અને પ્ર-ગતિ થઈ શકે તેવી નૂતન ભૂમિકાનું સર્જન કરવું, એ આ લેખમાળાનો મુખ્ય પણ અન્તિમ હેતુ છે. કેમ કે એ હેતુ સુધી પ્હૉંચવા જરૂરી છે કે પહેલાં તો મારે દેરિદાની વિઘટનશીલ ફિલસૂફીનો સવિશેષ પરિચય કરાવવો અને એ માટે એ સૃષ્ટિમાં જેટલે જવાય એટલે જવું.
હું અટકી અટકીને જઈ રહ્યો છું એટલે આ લેખમાળા સળંગસૂત્ર નહીં પણ શકલોમાં – fragmentsમાં – હશે. તેથી એમાં કિંચિત્ પુનરાવર્તન હશે. આ લેખમાળા શોધનિબન્ધ નથી. મેં શોખથી નહીં પણ મૂળનું મૂલ્ય સાચવવા અંગ્રેજી શબ્દો માટે ગુજરાતી અને ગુજરાતી માટે અંગ્રેજી પર્યાયો આપ્યા છે, જો કે, કામચલાઉ છે. લેખમાળાનું સ્વરૂપ સુબોધક કલ્પ્યું છે તેથી, અલબત્ત સિદ્ધાન્તના ગૌરવને કૌંસમાં રાખીને, જરૂરી દાખલા સરળ સમજ ખાતર ઉપજાવ્યા છે એને સહ્ય ગણવા વિનન્તી.
બધા યહૂદી – Jews – પ્રાજ્ઞ હોય છે એમ ન કહેવાય પણ એમ જરૂર કહેવાય કે કેટલાક પ્રાજ્ઞ યહૂદી હોય છે.
દેરિદા ૧૯૩૦-માં અલ્જીરિયામાં અલ-બિયાર પરગણામાં યહૂદી પરિવારમાં જનમ્યા હતા. કેટલાક યહૂદી સમુદાયો સ્પેન અને પોર્ટુગાલ જઈ વસેલા. એ વસવાટનું નામ sephardic હતું. એનો નિર્દેશ બાઇબલમાં છે. sephardic jewish descent દેરિદાનું ગોત્ર છે. એ ગોત્રના બૌદ્ધિકોનું ફિલસૂફી યહૂદી-વિચાર સાહિત્ય અને સંસ્કૃતિવિષયક પ્રદાન ઉત્તમ મનાયું છે. દેરિદાના અલ્જીરિયાવાસી પૂર્વજો એ વારસાના સહભાગી હતા અને તે સંસ્કારો સ્વાભાવિકપણે દેરિદામાં ઊતર્યા હતા.
૧૬-મી સદીથી મધ્ય ૨૦-મીના સમયો દરમ્યાન ફ્રૅન્ચોએ વિદેશોમાં colonies – સંસ્થાનો – ઊભાં કરીને હકૂમતો જમાવેલી. દેરિદાના શૈશવકાળનું અલ્જીરિયા ફ્રૅન્ચ સંસ્થાન હતું. બીજું કે ત્યાં વસતા યહૂદીઓ ઍન્ટિ-સૅમિટિસિઝમનો ભોગ બનેલા. ધર્મ અને વંશીય ઓળખના મુદ્દે યહૂદીઓ સાથે દુર્નિવાર શત્રુવટ તેમ જ ઘૃણા આભડછેટ અવમાનના શાબ્દિક / શારીરિક હુમલા તથા હિંસા સુધીના અત્યાચારનું નામ ઍન્ટિ-સૅમિટિસિઝમ છે. એનું અધમાધમ દૃષ્ટાન્ત બીજા વિશ્વયુદ્ધ દરમ્યાનનો holocau st – નરસંહાર – છે જેમાં આશરે ૬૦ લાખ યહૂદીઓનો પદ્ધતિપૂર્વક નાશ કરવામાં આવેલો.
અલ્જીરિયાના તત્કાલીન યહૂદી-વિરોધી કાયદા અનુસાર માત્ર ૭% યહૂદી બાળકોને ફ્રૅન્ચ શાળામાં પ્રવેશ હતો. ઝા’ક (દેરિદા) ૧૨ વર્ષનો હતો અને ઉત્તમ વિદ્યાર્થી હતો તેમ છતાં શાળામાંથી એની હકાલપટ્ટી થયેલી. એને યહૂદીઓની સામાન્ય શાળામાં દાખલ કરાયેલો. ઘડતરકાળના એ અન્યાયને કારણે એના ચિત્તમાં ક્યારેક identityનો – ઓળખનો – કોયડો ઊપસ્યો હશે. શું કેન્દ્રમાં ને શું હાંસિયામાં તે સમજાઈ ગયું હશે. મનુષ્યોને કિનારે ધકેલી દેનારું હાંસિયાકરણ – marginalization, મનુષ્યોનો બહિષ્કાર – exclusion, સંસ્થાનવાદ – colonialism વગેરે પ્રશ્નો દેરિદાના દર્શનમાં પ્રમુખ સ્થાને છે એનું કારણ એમનું એ દમિત શૈશવ છે. એવો જન સંસ્થાપનાઓને પડકારે નહીં તો જ નવાઈ. દેરિદાની ગરવાઈ એ છે કે બધા પડકારો એમણે એક પ્રાજ્ઞ મનુષ્યને છાજે એવી તાત્ત્વિક ભૂમિકાએથી કર્યા.
પ્રારમ્ભિક મૂલ્ય ધરાવતી આ હકીકતોમાં મારે ઉમેરવું જોઈએ કે દેરિદા મુખ્યત્વે continental philosopher છે. analytical અને continental philosophy પશ્ચિમની અર્વાચીન ફિલસૂફીની બે પરમ્પરાઓ છે. બન્ને પરમ્પરાઓ એકબીજાને સ્પર્શે છે છતાં બન્નેનાં સ્વરૂપ કાર્ય અને પદ્ધતિમાં ફર્ક છે.
ફિલસૂફી analytical – વિશ્લેષણાત્મક – એ કારણે કે વિશદતા અને અસંદિગ્ધતા માટે એમાં સંકુલ વિભાવનાઓનું વિશ્લેષણ કરવામાં આવે છે. એથી ફિલસૂફીવિષયક કોયડા સ્પષ્ટ થાય છે. ભાષા માનવચિત્ત જ્ઞાન વિજ્ઞાન આ ફિલસૂફોના ધ્યાનવિષયો છે. તેઓ મુખ્યત્વે અનુભવપરક – empirical – પદ્ધતિનો આશ્રય કરે છે. આ ફિલસૂફોમાં અનિવાર્યપણે લેવાતાં નામ છે, બર્ટ્રાન્ડ રસેલ, લુડવિગ વિટ્ગેન્સ્ટાઇન, કાર્લ પોપર, ડેવિડ લૂઇસ, રુડોલ્ફ કાર્નેપ.
ફિલસૂફી continental – ઉપખણ્ડીય – એ કારણે કે એનાં મૂળ ઉપખણ્ડ યુરપમાં છે. જર્મન આદર્શવાદ અને phenominology – પ્રતિભાસવિજ્ઞાન – તેમ જ અસ્તિત્વવાદ સંરચનાવાદ અનુ-સંરચનાવાદ વિઘટનશીલ ફિલસૂફી અને તત્ત્વજ્ઞાનવિષયક વાદવિવાદોથી બોધદાયી નીવડેલાં આંદોલનોનો એમાં સમાવેશ થયેલો છે. વિવિધ સત્તાઓ ઐતિહાસિક સંદર્ભો માનવ-અસ્તિત્વ સંસ્કૃતિ સાહિત્યસમીક્ષા અને કાળક્રમે વિકસતા વિચારવિશેષોની તપાસ આ ફિલસૂફોના ધ્યાનવિષયો છે. એ માટે તેઓ વિવિધ પદ્ધતિઓનો વિનિયોગ કરીને લાભે છે. જેમ કે, ફીનૉમિનોલૉજિની પદ્ધતિ એમને ચેતનાપરક આત્મલક્ષી અનુભવો તપાસી આપે. અસ્તિત્વવાદની પદ્ધતિ સત્ત્વ અસ્તિત્વ સ્વાતન્ત્ર્ય દાયિત્વ અસંગતતા તેમ જ અર્થની અશક્યતાઓ દર્શાવે. સંરચનાવાદની પદ્ધતિ ભાષા અને સંસ્કૃતિ અન્તર્ગત સંરચનાઓનું સ્વરૂપ સ્પષ્ટ કરી આપે. અનુ-સંરચનાવાદની પદ્ધતિ સુસ્થાપિત સંરચનાઓ અને અર્થોનાં વિઘટન સૂચવે. આ ફિલસૂફોમાં અનિવાર્યપણે લેવાતાં નામ છે, માર્ટિન હાઇડેગર, ઝાં-પૉલ સાર્ત્ર, મિશેલ ફૂકો, અને ઝા’ક દેરિદા.
દેરિદાનું વિચારવિશ્વ મને સમજાયું છે તે રીતની થોડીક વાત કરું :
એ મને ભાષા સંજ્ઞાઓ સંરચનાઓ તન્ત્રો અને જ્ઞાનવિષયક વિવિધ માનવીય પુરુષાર્થોનાં સત્યો વિશે મુખ્યત્વે પ્રશ્નકારક – interrogative – લાગ્યું છે. અન્યથા હું એને મનુષ્યજીવનની અસંગતતાની – absurdityની – અનુકમ્પામય પર્યેષણા ગણું છું.
પશ્ચિમની ફિલસૂફી logocentric અથવા શબ્દ કે તર્કકેન્દ્રી છે એમ દેરિદા કહે છે તેના મૂળમાં અધ્યાત્મવિદ્યા – metaphysics – છે. અધ્યાત્મવિદ્યામાં માનવ-અનુભવો અને જીવનના અર્થની શોધ મુખ્ય હોવાથી એમાં પ્રમાતા – subject – એટલે કે ચિન્તનશીલ વ્યક્તિ અને તેની ઉપસ્થિતિ – presence – અનિવાર્ય છે. એ વ્યક્તિનો આત્મલક્ષી અનુભવ કોઈનીયે મધ્યસ્થી વિનાનો – unmediated – અને સદ્યોવેદી – immediate – હોય છે. દેરિદાએ અધ્યાત્મવિદ્યાની આ ઉપસ્થિતિ-વિભાવનાને પડકારી છે. એમનું કહેવું એમ છે કે પહેલેથી બધું ભાષાથી ચેપાયેલું – influenced – હોય છે તેથી, અને અનુભવ આત્મલક્ષી હોય છે તેથી, એને મધ્યસ્થી વિનાનો અને પ્રાંજલ અથવા શુદ્ધ ન ગણી શકાય.
અર્થવિષયક સંરચનાવાદી સિદ્ધાન્ત પણ શબ્દ કે તર્કકેન્દ્રી છે. દેરિદા કહે છે કે સંરચનાઓ અસ્થિર હોય છે કેમ કે એમાં તફાવતોની લીલાનું – play of differncesનું – પ્રવર્તન હોય છે. તેઓ જણાવે છે કે સંરચનાત્વ – structurality – સંરચનાનું પ્રકૃતિપરક સત્ત્વ છે – essence of structure. એ એક માળખું – frame – છે જેમાં તત્ત્વો – elements – એકબીજાથી સમ્બન્ધિત હોય છે. સંરચનાવાદીઓએ સંરચનાને સ્થિર અને અવિચળ કેન્દ્રનો દરજ્જો આપ્યો હતો. એ માન્યતાની ટીકા કરતાં દેરિદાએ જણાવ્યું કે ત્યારે તેઓ સંરચનાત્વના ગતિમન્ત અને પ્રવહમાણ સ્વરૂપની અવહેલના કરતા હોય છે જેને કારણે એ સ્વરૂપ ન્યૂન અને તટસ્થ – reduced and neutralized – રહી જાય છે.
હું દાખલો આપું : વર્ગમાં અધ્યાપકશ્રી બેઠા છે. ખરેખર તો તેઓ કેળવણીવિષયક સંરચનાના કેન્દ્રમાં બેઠા છે. એ સંરચનામાં અન્ય અધ્યાપકો વિદ્યાર્થીઓ અભ્યાસક્રમો વ્યાખ્યાનપદ્ધતિ તેમ જ પરીક્ષા વગેરે તત્ત્વો – elements – જોડાયેલાં છે. એ તત્ત્વો એકબીજા સાથે ગતિમન્ત રહીને ભણવા-ભણાવવાની પ્રક્રિયામાં પોતાનો ફાળો આપે છે. પણ એઓશ્રી-કેન્દ્રી વર્ગમાં એ પ્રક્રિયાને ઘટાડી નાખીને એઓ બધું સીધુંસાદું કરી નાખે છે. એ કારણે વિદ્યાર્થી અને અધ્યાપક વચ્ચે પ્રશ્નોત્તર થાય એ ‘interactive method of teaching’ જેવા અધ્યાપનના અન્ય વિકલ્પો પણ ન્યૂન અને તટસ્થ રહી જાય છે.
સંરચનાવાદી સિદ્ધાન્તમાં ‘દૃઢ મૂળ’ – fixed origin – એક જાણીતો વિભાવ છે. એ ચૉક્કસ અર્થો આપનારો મૂળાધાર છે એમ સંરચનાવાદ માને છે. આ વિભાવને દેરિદા transcendental signified કહે છે – સંજ્ઞાતન્ત્રોની બહારનો અન્તિમ સંકેતાર્થ. સંરચનાવાદ એને કેન્દ્રસ્થ ગણે છે.
હું દાખલો આપું : આપણી તેમ જ બીજી સંસ્કૃતિઓમાં ‘સફળતા’ એક transendentle signified છે – સફળતા જ અન્તિમ અર્થ. અપરિવર્તનીય અને સિદ્ધિ-સમૃદ્ધિના વિષયમાં સિદ્ધાન્તરૂપે પ્રજાજીવનમાં એ સંકેતાર્થ સ્થિર થયેલો છે. પરીક્ષામાં વેપારધંધામાં કે દામ્પત્યજીવનમાં સફળતા નિર્ણાયક માનદણ્ડ છે. કેટલીયે વ્યક્તિઓ સફળતાને ઘોડે ચડીને જિન્દગી જીવતી હોય છે. સફળ નહીં તે જિન્દગી હાર્યો એ હદે એ ખયાલ વિસ્તર્યો છે. બીજા પરિપ્રેક્ષ્યો ધ્યાનમાં આવે નહીં કે સફળતાવિષયક સમજનું નવઘડતર થાય એવા રસ્તા સૂઝે નહીં ત્યારે આ સંકેતાર્થ neutral anchor – તટસ્થ સંચાલક – ભાસે છે. ચૉતરે બેસેલાઓ કારકિર્દીની ચર્ચા ચલાવતા હોય ત્યારે ચર્ચાના કેન્દ્રમાં સફળતા હોય છે અને વાતો ક્રમે ક્રમે ન્યૂન થઈ જતી હોય છે. એમાં વિવિધ દૃષ્ટિબિન્દુઓ નથી હોતાં અને જીવનસિદ્ધિવિષયક અન્ય વિચારોનાં તો બારણાં જ બંધ હોય છે. દેરિદાએ આ ‘દૃઢ મૂળ’ વિભાવને ધરાર નકાર્યો છે.
આ લેખમાળાના સંદર્ભમાં સંકેતવિજ્ઞાન અને વિઘટન-વિચાર અનુસાર ભાષાની સર્વસામાન્ય વિભાવના શું છે એ સમજવું મને અનિવાર્ય લાગ્યું છે. કહી શકાય કે —
શબ્દની પ્રકૃતિ સમ્બન્ધપરક છે – relational. એક શબ્દ અન્ય શબ્દોથી અલગ રહીને પોતાનો અર્થ નથી આપી શકતો. હું ‘ટેબલ’ બોલું એથી સ્પષ્ટ નથી થતું કે કયું ટેબલ અને ‘ટેબલ’ સાથે ‘મારું’ જોડીને ‘મારું ટેબલ’ બોલું તો અર્થમાં વૃદ્ધિ થાય છે ખરી પણ વિશ્વનાં બાકી ટેબલનો બોધ તો અવ્યક્ત જ રહે છે. કોઈપણ શબ્દ બીજા શબ્દો સાથે જોડાય ત્યારે જ અર્થ આપી શકે છે અન્યથા એ એક absence – ખાલી અવકાશ – હોય છે. શબ્દો કે સંજ્ઞાઓ દ્વિદલ છે – સંકેતક અને સંકેતાર્થ. ‘સંકેતક’ દલ એક ધ્વનિ છે અને વસ્તુને રજૂ કરનારી વિભાવના માટેનું દલ ‘સંકેતાર્થ’ છે. દેરિદા ભાષાને તફાવતપરક – differential – કહે છે. ઉમેરે છે કે ભાષામાં તફાવતોની લીલા હોય છે, જેમ કે, catનો અર્થ rat કે bat સાથેના તફાવતને કારણે મળતો હોય છે. એ લીલા વડે સરજાય છે અર્થો અને અર્થઘટનોની એક અન્તહીન web – જાળ – જેમાં deferrals – વિલમ્બનો – પણ હોય છે.
દેરિદા એટલે સુધી કહે છે કે વિલમ્બનોની એક ચેઇન બનતી હોય છે. એને pass the meaning-ની રમત પણ કહી શકાય. (ખોખો જેવી?). એ ચેઇનમાંથી કોઈ અર્થને અંકિત કરીએ એટલે તરત આપણે એ શબ્દના વિરુદ્ધાર્થમાં પાછા જવાના. ‘પ્રકાશ’-ને સમજવા માગીએ એટલે ચિત્તમાં એની વિરુદ્ધનો ‘અન્ધકાર’ આવે. એ જાતનું redoubling back સંભવતું હોય છે. તદુપરાન્ત ભાષામાં વાણી-લેખન કેન્દ્ર-હાંસિયો નર-નારી મિલન-વિરહ જીવન-મૃત્યુ જેવાં વિરોધી દ્વૈતની – binary oppositionsની – ચાલના હોય છે. પુરવાર તો એ જ થાય છે કે અર્થો નક્કી નથી બલકે ભાષાની આવી બધી સંકુલ લીલાનું ફળ છે.
દેરિદાની différance વિભાવના એમની ફિલસૂફીમાં કેન્દ્રસ્થાને છે. ફ્રૅન્ચ ભાષા અનુસાર આ વિભાવના difference અને deferral એવી બે સમજને એક સાથે રજૂ કરે છે. એક સમજ, તફાવત; બીજી, વિલમ્બન. તાત્પર્ય એ કે સંજ્ઞાના અર્થનો અન્ય અર્થ સાથે તફાવત તો હોય જ છે પણ અર્થ મળવામાં વિલમ્બ પણ થતો હોય છે. તફાવતપરક cat rat bat જેવો આ દાખલો જુઓ : ‘ગુલાબ’-નો અર્થ ‘મોગરો’-ના અર્થથી જુદો છે. મને ગુલાબનો અર્થ જે ગુલાબ નથી એથી મળે છે. વળી, ગુલાબથી જે સમજવાનું છે એ જે તે સંદર્ભોને અધીન હોય છે. ગુલાબદાસ કે ગુલાબબા – દરેકનો સંદર્ભ અલગ છે. તેથી અર્થ ત્વરિત નહીં પણ વિલમ્બિત રહે છે.
દેરિદાના વિઘટનવિચારમાં એક વિભાવના છે, ચિહ્ન અથવા નિશાન – trace. જે હાજર નથી તેની ગેરહાજરીનું નિશાન. શબ્દ પોતામાં અન્ય શબ્દાર્થોનાં નિશાન લઈને બેઠો હોય છે. દાખલા તરીકે, દાસ અર્થનો ‘ગુલાબ’ પોતા સાથે ‘બા’-નાં નિશાન ધરાવે છે. ‘લોકશાહી’-માં ‘શાહી’ ‘રાજાશાહી’-નું નિશાન છે.
મને પ્રશ્ન થયો કે વિઘટન કરીશું એટલે શું કરીશું. દેરિદા-શૈલીએ વાચન કરીશું. એટલે કે તન્ત્રો અન્તર્ગત સંરચનાઓના સંરચનાત્વને પ્રમાણીશું. અર્થનો સ્વઅર્થે નિર્ણય કરી નાખનારા સત્તાપ્રપંચોને ઉઘાડા પાડીશું. ટૅક્સ્ટમાં કાર્યરત અન્તિમ સંકેતાર્થો સંદિગ્ધતાઓ પૂર્વધારણાઓ અને વિલમ્બનોની ભાળ મેળવીશું. વિરોધી દ્વૈતનાં પદોનો સ્થાનફેર કરીશું, જેમ કે, વિચારના કેન્દ્રસ્થાને ‘જીવન’ હોય પણ એ સ્થાને ‘મરણ’ મૂકીને વિચારીશું. ‘મિલન-વિરહ’ હોય પણ ‘વિરહ-મિલન’ એમ પદોને પલટાવીને પણ વિચારી જોઈશું. છેવટે, એ દરેક પ્રાપ્તિનાં કાર્ય અને પ્રભાવ વિશે પ્રશ્નો કરીશું. નવેસર ખરું વાંચતા તો જ આવડે અને તે પછી જ બધી ગતાગમ પડે.
= = =
[પ્રગટ : ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર “પરબ”; ઍપ્રિલ 2025]
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર