આ પહેલાંનાં લેખોમાં, કેટલાક કાવ્યાચાર્યો વિશે વાત કરી, તે ઉપરાન્ત —
અર્થાલંકારોના વાસ્તવ, ઔપિમ્ય, અતિશય, શ્લેષ એવું વર્ગીકરણ કરનાર રુદ્રટ (નવમી શતાબ્દીનો પ્રારમ્ભ : ગ્રન્થ, “કાવ્યાલંકાર”);
નાટક, પ્રકરણ, ભાણ, પ્રહસન, ડિમ, વ્યાયોગ, સમવકાર, બીથી, અંક, ઈહામૃગ એમ રૂપકના ૧૦ પ્રકાર દર્શાવનાર ધનંજય (દસમી સદી, ઉત્તરાર્ધ : ગ્રન્થ, “દશરૂપક”);
અર્થના ‘વાચ્ય’ અને ‘અનુમેય’ પ્રકારો દર્શાવનાર મહિમ ભટ્ટ (અગિયારમી શતાબ્દીનો મધ્યકાળ : ગ્રન્થ, “વ્યક્તિવિવેક”);
વાઙ્મયના કાવ્ય, શાસ્ત્ર, ઇતિહાસ, કાવ્યશાસ્ત્ર, કાવ્યેતિહાસ, શાસ્ત્રેતિહાસ એમ ૬ પ્રકાર દર્શાવનાર ભોજદેવ (અગિયારમી શતાબ્દીનો પૂર્વાર્ધ : ગ્રન્થ, “સરસ્વતીકણ્ઠાભરણ”);
પૂર્વવર્તી કાવ્યાચાર્યોની કાવ્યશાસ્ત્રસમ્બન્ધી ધારણાઓનું પર્યવેક્ષણ કરનાર રુય્યક (બારમી શતાબ્દીનો મધ્ય ભાગ : ગ્રન્થ, “અલંકારસર્વસ્વ”);
વાક્યમ્ રસાત્મકમ્ કાવ્યમ્ -ના ઉદ્ગાતા અને કાવ્યનાં પૂર્વકાલીન લક્ષણોની વીગતવાર ટીકાટિપ્પણી કરનાર વિશ્વનાથ (ઇસવી સન ૧૩૦૦-૧૩૫૦ : ગ્રન્થ, “કાવ્યદર્પણ”);
—વગેરે કાવ્યાચાર્યો થઈ ગયા છે.
આમ, વિક્રમ-પૂર્વ બીજા શતકમાં થઈ ગયેલા ભરત મુનિથી માંડીને સત્તરમી સદીમાં થઈ ગયેલા જગન્નાથ સુધીના કાવ્યાચાર્યોની પરમ્પરા કાવ્યજ્ઞાનના પિપાસુઓ માટે સદા સ્મરણીય અને પ્રેરણાદાયી નીવડે એવી સમૃદ્ધ અને બહુમૂલ્ય છે. એ સુદીર્ઘ સમયપટ દરમ્યાન નિત્ય વિકસેલા આ સંસ્કૃત કાવ્યશાસ્ત્રને હું અદ્વિતીય વારસો ગણું છું.
મારું દૃઢ મન્તવ્ય છે કે સંસ્કૃત કાવ્યશાસ્ત્ર એક સમર્થ ontological corpus of poetics છે. એના સમર્થનમાં, મારે મારાં ૪ મન્તવ્યો રજૂ કરવાં છે :
૧ : બે વિચારધારા :
હું એમ માનું છું કે સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં વ્યક્ત થયેલો કાવ્યવિચાર બે ધારામાં વહ્યો છે :
પહેલી ધારા :
એમાં, કાવ્યસર્જનના પરિણામે, ભાવન સંદર્ભે સંભવતા અનુભવની પર્યેષણા થઈ છે. એ અનુભવ છે – રસાનુભવ – કલાનુભવ – ઍસ્થેટિક ઍક્સપીરિયન્સ. મુખ્ય પર્યેષકો છે, રસસૂત્રકાર ભરત, સૂત્રના ટીકાકાર લોલ્લટ, શંકુક, ભટ્ટ નાયક, અભિનવગુપ્ત, રસનો ધ્વનિતત્ત્વ સાથે સમ્બન્ધ જોડનાર આનન્દવર્ધન, અને વામન. કાવ્યકલાના અનુભવ-વિષયના એ સૌ સમર્થ દાર્શનિકો છે, કાવ્યશાસ્ત્રીઓ છે. એમણે સાગમટે ચિન્તવ્યું કે મનુષ્યજીવનના ભાવસમૂહનું ‘સંયોગાત્’ રસસમૂહમાં રૂપાન્તર થાય છે. વામને એ રૂપાન્તરની રીતિને વર્ણવી બતાવી.
બીજી ધારા :
એમાં, એ રસાનુભવનું સર્જન જેમાં થાય છે એ માધ્યમની પર્યેષણા થઈ છે. એ માધ્યમ તે ભાષા – અલંકૃત ભાષા – કાવ્યભાષા. મુખ્ય પર્યેષકો છે, ભામહ, દણ્ડી, ઉદ્ભટ્ટ, કુન્તક અને વિશ્વનાથ. એ સૌ કાવ્યમાધ્યમના જ્ઞાતા કાવ્યશાસ્ત્રીઓ છે. એમણે ચિન્તવ્યું કે જીવન-વ્યવહારમાં પ્રયોજાતી ભાષા કેવી રીતે કાવ્યભાષા બને છે. એમણે દર્શાવ્યું કે અલંકારતત્ત્વ અને વક્રતાયુક્ત ઉક્તિ-તત્ત્વોને કારણે કાવ્યભાષા સંભવે છે. લગભગ સૌ કાવ્યાચાર્યોએ એ પણ સૂચવ્યું કે કાવ્યભાષામાં ગુણ અને દોષ કેવો તો પ્રભાવક ભાગ ભજવી શકે છે, વિશ્વનાથે એ ગુણ-દોષની સાધકબાધક ટીકા કરી.
૨ : મતભિનન્તા અને મતવૈવિધ્ય :
મારું બીજું મન્તવ્ય છે કે રસ ધ્વનિ અલંકાર રીતિ ઇત્યાદિ તત્ત્વો વિશે, એ દરેક વિશે, વિભિન્ન આગ્રહો જનમ્યા, સૈકાઓ લગી ઘુંટાયા, અને એને કારણે રસસમ્પ્રદાય વગેરે જુદા જુદા સમ્પ્રદાયો ઉદ્ભવ્યા. એ મતભિન્નતા કે મતવિવિધતા સૂચવે છે કે આ કાવ્યાચાર્યોનું સાહિત્યવિષયક દર્શન મૂળગામી હતું એટલું જ વિપક્ષ વિશે સમુદાર હતું. સર્જન અને કલાસર્જન જેવી મૂળભૂત માનવીય વૃત્તિ-પ્રવૃત્તિ વિશેનો એ વિમર્શપરામર્શ અનેકશ: સુચિન્તિત છે, આવકાર્ય છે.
૩ : સુગ્રથિત સાહિત્યવિચાર :
મારું ત્રીજું મન્તવ્ય છે કે સંસ્કૃત કાવ્યશાસ્ત્ર એક સુગ્રથિત સાહિત્યવિચાર છે. કેમ કે —
— એમાં, કાવ્યની સુદૃઢ વ્યાખ્યાઓ અને તેનાં વિવરણ છે. એથી કાવ્યના સ્વરૂપને, નૅચરને, સમજવા માટેનું એક સુગ્રથિત માળખું રચાયું છે.
— એમાં, કાવ્યસર્જનના વસ્તુની તેમ જ રીતિની, કન્ટેન્ટ તેમ જ ફૉર્મની, ચર્ચા છે. ભાવોનું રસમાં રૂપાન્તર કરનારા ‘સયોગ’-ની ચર્ચા છે.
— એમાં, કાવ્યકલાના ફળની, ફન્કશનની, ચર્ચા છે. એ ફળ તે રસ, કલા.
— એમાં, પ્રતિભા, વ્યુત્પત્તિ, અભ્યાસ જેવાં કાવ્યસર્જનનાં કારણસ્વરૂપ હેતુઓની, બીજા શબ્દોમાં, સર્જકની સજજ્તા અથવા પૅરાફે’નેલિયાની ચર્ચા છે. કહેવાયું છે કે કવિએ શબ્દ, છન્દ, કોષપ્રતિપાદિત અર્થ, ઐતિહાસિક કથાઓ, લોકવ્યવહાર, યુક્તિઓ અને કલાઓનું મનન કરવું જોઈશે.
— એમાં, રસાનુભવની પ્રાપ્તિ જેવા આ શાસ્ત્રના બીજા છેડાની ચર્ચા છે. બીજે છેડે શ્રોતા કે વાચક છે. શાસ્ત્રમાં એને સહૃદય ભાવક કહ્યો છે. એની સજજ્તા માટે કહેવાયું છે કે એણે ઉત્તમ સાહિત્યકૃતિઓનું પરિશીલન કરવું જોઈશે. સહૃદયની તુલનામાં અન્ય માટે જડ, અરસિક, અવ્યુત્પન્નમતિ, અલ્પધીય વગેરે શબ્દો પ્રયોજાયા છે.
— એમાં, કાવ્યસર્જનનાં યશ વગેરે પ્રયોજનોની (કે પરિણામોની) ચર્ચા છે.
૪ : સર્વાંગસ્પર્શી ઉદ્યમ :
મારું ચૉથું મન્તવ્ય એ છે કે એમાં શાસ્ત્ર-સ્થાપનને માટેનો સર્વાંગસ્પર્શી ઉદ્યમ ભળ્યો છે. એ ઉદ્યમમાં વૈવિધ્ય સાથેનું સાતત્ય છે. જેમ કે —
— ભરત મુનિના “નાટ્યશાસ્ત્ર”-માં નાટક મુખ્ય વિષય છે. પરન્તુ એમણે આપેલા રસસૂત્ર અનુષંગે કાવ્ય આખ્યાયિકા ગાથા એમ વિચાર વિસ્તર્યો છે. જેમ કે, મહિમ ભટ્ટ અને ભોજ ‘કાવ્ય’ અને ‘નાટ્ય’-નો ભેદ પાડે છે. ભોજ વાઙ્મયના વક્રોક્તિ, રસોક્તિ, સ્વાભાવોક્તિ વર્ગ પાડે છે, રસોક્તિને સૌથી વધુ હૃદયગ્રાહિણી ગણે છે. કાવ્યશાસ્ત્રમાં એ પ્રકારે વાઙ્મયના અન્ય વિભાગોનો સમાસ થયો છે.
— ચર્ચા હમેશાં શબ્દ અને અર્થ બન્નેને લક્ષમાં રાખીને થતી હોય છે. કેમ કે, વાક્યમાં કે પરિચ્છેદમાં, શબ્દ શ્રુતિ રૂપે અને અર્થ તાત્પર્ય રૂપે નિર્ણાયક ભાગ ભજવતા હોય છે.
— રસનો શબ્દશક્તિ સાથે કે કાવ્ય સાથેનો વાચ્ય-વાચક, ગમ્ય-ગમ્યક, લક્ષ્ય-લક્ષક કે ભાવ્ય-ભાવક ભાવ ચર્ચાયો છે; એથી ચર્ચાની તર્કસંગત પરિપાટીનો અંદાજ આવે છે.
— રસતત્ત્વ જ એક સત્ય છે, જુદા જુદા વિદ્વાનો એને પોતાના શબ્દોમાં પોતપોતાની શૈલીએ કે રીતેભાતે વર્ણવે છે.
— પાયામાં સ્થાયી ભાવ છે એ હકીકતનો સૌએ સ્વીકાર કર્યો છે. એના સ્વાદ્યત્વને કારણે રસ સંભવે છે. છતાં, રસને ‘પ્રતીયમાન’ ગણીને તેઓએ એ સૂક્ષ્મ તત્ત્વના સ્વરૂપની રક્ષા કરી છે.
— શબ્દ અને અર્થ ઉપરાન્ત, હમેશાં ધ્વન્યાર્થની ચર્ચા થતી હોય છે. કેમ કે, કવિતામાં કે સાહિત્ય સમગ્રમાં, શબ્દાર્થ દ્વારા હમેશાં કશુંક ધ્વનિત થતું હોય છે, સૂચવાતું હોય છે.
— જે સૂચવાય છે એ રસ અથવા કલા હોય છે, અને તે હમેશાં અનુભવનો વિષય હોય છે. આ સંદર્ભમાં કહેવું જોઈએ કે સૌ કાવ્યાચાર્યો સ્વ મતની રજૂઆત કરે છે, પણ એ સ્વ મતને તેઓ રસ અને ધ્વનિવિચારમાં પૂરેપૂરી સાવધતાથી ભેળવી દે છે, અને એ પ્રકારે વિચારવર્તુળને સમ્પન્ન કરે છે.
— આ કાવ્યાચાર્યો વાચ્યત્વને નકારે છે, પૂછે છે કે વિભાવ અનુભાવ વ્યભિચારી ભાવના સંયોગથી રચાતી રસ-પ્રતિપત્તિ વાચ્ય શી રીતે હોઈ શકે? કેમ કે નહિતર તો અવ્યુત્પન્નચિત્ત અરસિકોને પણ રસાસ્વાદ મળે ! કાવ્યાચાર્યો હમેશાં એક જ વાત કરે છે કે સહૃદયોને જ રસાનુભૂતિ થઈ શકે.
— કાવ્યચર્ચામાં હમેશાં કાવ્યના ‘આત્મા’-ની સ્થાપના થતી હોય છે પણ ‘કાવ્યદેહ’-ને પણ એટલો જ ધ્યાનમાં લેવાતો હોય છે; એટલું જ નહીં, દેહના અંગાંગમાં એ આત્મારૂપ તત્ત્વની ગવેષણા થતી હોય છે. આ સંદર્ભમાં, મને, મનુષ્યના ભાવસમૂહના વ્યાખ્યાતા ભરત, વક્રોક્તિના વ્યાખ્યાતા કુન્તક અને ઔચિત્યના વ્યાખ્યાતા ક્ષેમેન્દ્ર ઉત્તમ દૃષ્ટાન્તરૂપ લાગ્યા છે.
— આ એક મહાન પાણ્ડિત્યપરમ્પરા છે – ઍરુડિશનલ ગ્રેટ ટ્રેડિશન. સૌ કાવ્યાચાર્યો પોતપોતાનો સ્વતન્ત્ર મત રચે છે. તેમછતાં, લગભગ દરેક કાવ્યાચાર્યે પૂર્વવર્તી આચાર્યોને પચાવ્યા છે. જેમ કે, સૌએ ભરત મુનિના રસસૂત્રને કેન્દ્રમાં રાખીને એ ‘સંયોગાત્’ રચાતા અને અનુભવાતા રસની પર્યેષણા કરી છે. એટલું જ નહીં, સૌએ રસતત્ત્વવિચાર અને ધ્વનિવિચારને પોતપોતાની રીતે સ્વીકાર્યો છે, તેનું સંવર્ધન કર્યું છે. રુય્યકે ભામહ, ઉદ્ભટ્ટ, રુદ્રટ, વામન, શંકુક, અને આનન્દવર્ધનના વિચાર-મન્તવ્યોની સમીક્ષા કરી છે. વિશ્વનાથે ‘કાવ્યસ્ય આત્મા ધ્વનિ’ છે, એ વિશે પ્રશ્ન કર્યો છે; દોષરહિત, ગુણસહિત અને અલંકારોથી વિભૂષિત શબ્દાર્થને કાવ્ય કહેવાય એ ચીલાચાલુ મન્તવ્યની પણ સમીક્ષા કરી છે.
— આ કાવ્યશાસ્ત્ર સમગ્રતયા તર્કપૂત અને તર્કશુદ્ધ છે. એમાં, તર્કને સાચવનારી એટલી જ વિશદ તીક્ષ્ણ પરિભાષા છે. જેમ કે, વિભાવ, તેનાં આલમ્બન અને ઉદ્દીપન એવાં બે રૂપ, અનુભાવ, અનુભાવનો અભિનય સાથેનો સમ્બન્ધ, વ્યાખ્યાયિત ૩૩ વ્યભિચારી ભાવો, અભિનયના વાચિકમ્ આદિ પ્રકારો, વગેરે. એમાં, વર્ગ અને ઉપવર્ગને વરેલું વર્ગીકરણ છે. જેમ કે, ધનંજય રૂપકના ૧૦ પ્રકાર દર્શાવે છે, અને પ્રત્યેકની વ્યાખ્યા કરે છે. ભોજ આઠ રસમાં ‘શાન્ત’, ‘ઉદાત્ત’ અને ‘ઉદ્ધત’-ને ઉમેરે છે. વગેરે. એ પરિભાષાના જ્ઞાન વિના કાવ્યશાસ્ત્રનો બોધ શક્ય નથી.
કાવ્યશાસ્ત્ર કવિને, સર્જકને, પુણ્યાત્મા ગણે છે, એની કીર્તિને યાવચ્ચન્દ્ર દીવાકરૌ ગણે છે. પરન્તુ એમાં મને એમ ઉમેરવું ગમે છે કે આ કાવ્યાચાર્યો પણ પુણ્યાત્મા હતા, એમની કીર્તિ પણ યાવચ્ચન્દ્ર દીવાકરૌ છે.
અસ્તુ.
= = = = = = =
(01/15/24)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર