![](https://opinionmagazine.co.uk/wp-content/uploads/2022/12/suman-shah-copy-200x300.jpg)
સુમન શાહ
આજકાલ આપણે ત્યાં પુસ્તકો ડિઝિટાઇઝ્ડ પદ્ધતિએ પ્રકાશિત થવા માંડ્યાં છે. એ પદ્ધતિનો ઉપયોગ સાવ નવી વાત નથી, પરન્તુ હવે એ પદ્ધતિનાં પ્રકાશનો વધી રહ્યાં છે; પરમ્પરાગત પદ્ધતિએ પ્રકાશનો કરનારા પ્રકાશકો પણ હવે એમાં જોડાયા છે.
A
આપણે વિચારવું જોઈએ કે આ પરિવર્તન શેને કારણે થયું છે ..
પ્રકાશકો બે કારણો આપે છે :
૧ :
પુસ્તકો હવે વેચાતાં નથી, કેમ કે કૉલેજો અને યુનિવર્સિટીઓને ગ્રાન્ટ્સ મળતી નથી અથવા ઘટી ગઈ છે : આ કારણ વાજબી લાગે છે તેમછતાં જાણવું બાકી રહે છે કે કઈ કૉલેજોને / યુનિવર્સિટીઓને ગ્રાન્ટ્સ મળતી નથી અથવા ઘટી ગઈ છે. જે મિત્રો પાસે આ કારણ અંગે માહિતી હોય એમણે એ જાહેર કરવી, જેથી ચર્ચામાં સહાય થાય.
૨ :
પ્રકાશકો બીજું કારણ એ આપે છે કે પુસ્તકો સંઘરી રાખવા માટેના એમની પાસેના ભંડારો ભરાઈ ગયા છે. આ જો કે વ્યવહારુ કારણ છે, અને તેનો વિચાર તો વેપારીમાત્રને કરવો પડતો હોય છે, એટલે એની ચર્ચા ન કરીએ.
૩ :
પ્રકાશકો ત્રીજું કારણ એ આપે છે હવે સાહિત્યવિવેચનનાં પુસ્તકો વેચાતાં નથી, બલકે ગમ્ભીર પુસ્તકોનું બજાર રહ્યું નથી. આ કારણ વાજબી લાગે છે. પરન્તુ એમ ખરેખર છે કે કેમ તે જાણવા માટે ય નક્કર માહિતી જોઈએ. પણ ક્યાંથી લાવીએ? પણ જો એમ જ છે તો સાહિત્યકારોએ એ વિચારવું પડશે કે ગમ્ભીર સાહિત્યનાં પુસ્તકો કરશે કોણ.
(મને એનો એક ઇલાજ સૂઝ્યો છે, એ વિશે આ લેખમાં છેલ્લે જણાવું છું.)
પરન્તુ મારી પાસે અમુક પ્રકાશકોનાં નામ છે જેઓ ગમ્ભીર સાહિત્યનાં પુસ્તકો કે સાહિત્યનાં ગમ્ભીર પુસ્તકો કરવા રાજી છે, તેઓ સાહિત્યકારને રૉયલ્ટી આપવામાં ય માને છે, કેમ કે એ પ્રકાશનોથી તેઓને નફો નથી કરવો – એ મુદ્દે પણ તેઓ રાજી છે. તાત્પર્ય, વિદ્યાનું અને સાહિત્યવિદ્યાનું મૂલ્ય સમજનારા પ્રકાશકો હજી છે આપણે ત્યાં, એમની પાસે અનેક વિતરણકેન્દ્રો પણ છે, અને તેથી નિરાશ થવાને કારણ નથી.
B
આપણે એ વિચારવું જોઈશે કે ડિઝિટાઇઝ્ડ પદ્ધતિએ થતાં પ્રકાશનો મુખ્યત્વે કેવા સ્વરૂપે હોય છે.
— પ્રકાશક કરારથી બંધાયેલો હોય તો ચૉક્કસ સમયે એ પદ્ધતિનાં પુસ્તક પ્રકાશિત થતાં હોય છે
— પરન્તુ મુખ્યત્વે ડિઝિટાઇઝ્ડ પદ્ધતિનાં એ પ્રકાશનોની નકલો મર્યાદિત સંખ્યામાં હોય છે. કેમ કે ડિઝિટાઇજ્ઝ્ડ કરવાનો મતલબ જ એ છે. દાખલા તરીકે, ૨૦ કે ૨૫ નકલો કરતા હોય. પ્રકાશકો એમ કહેતા હોય છે કે જેમ જેમ માંગ વધશે તેમ તેમ ડિઝિટાઇઝ્ડ નકલો વધારીશું. વાત આટલે લગી બરાબર લાગે છે.
પણ પ્રશ્ન એ છે કે માંગ વધે શી રીતે? ૨૦ કે ૨૫ પુસ્તકો કોના સુધી પ્હૉંચી જવાનાં? ક્યારે? અને સદનસીબે પ્હૉંચી પણ ગયાં હોય, પરન્તુ એટલી નાની સંખ્યાથી માંગ વધે તો શી રીતે વધે? મારો ઉત્તર એ છે કે જો પ્રકાશકો એ ડિઝિટાઇઝ્ડ પદ્ધતિનાં પ્રકાશનોની સરસ જાહેરાત કરે, તો માંગ વધે.
સરસ જાહેરાત એટલે, પુસ્તક શેને વિશે છે, એમાં શું છે તેની ઑડિયો અને વિડિયો સ્વરૂપે જાહેરાત કરે, છાપાંઓમાં સાહિત્યની કૉલમો લખતા મિત્રોને એ વિશે લખવા નકલ મોકલે. એટલું જ નહીં, એ પુસ્તકનું સંયમપૂર્વકનું ગુણાનુરાગી અવલોકન પ્રકાશિત કરે. પશ્ચિમમાં અને ભારતમાં પણ કેટલીક પ્રકાશન-સંસ્થાઓ એ માટે પોતાની સંસ્થામાં એવા અવલોકનકારની નિમણૂક કરતી હોય છે.
C
પણ શું ચાલી રહ્યું છે, એ જાણવું જરૂરી છે.
ડિઝિટાઇઝ્ડ પદ્ધતિએ વ્યવસાય કરતા પ્રકાશકો અને લેખકો વચ્ચે પણ ઘણી વાર કશા કરાર થયા હોતા નથી. કારણ એ કે કેટલાક લેખકોએ બજાર નથી એ વાત માની લીધી હોય છે, અને વળી એમ કહે છે કે – કરારની શી જરૂર છે. એમાંના કેટલાક તો પોતાના ખરચે છપાવતા હોય છે. કોઈ કોઈ તો પ્રસિદ્ધિ માટે તરસતા હોય છે; એઓ તો FB પર પુસ્તકની છબિ જોઈને તેમ જ એને મળેલા લાઇક્સ જોઈને જ ખુશ થઈ જાય છે; એઓ પૂછતા પણ નથી કે નકલો ડિઝિટાઇઝ્ડ છે કે પરમ્પરાગત પદ્ધતિની. બીજા શબ્દોમાં એમ કહેવાય કે જીવદયામંડળીની રીતે બધું ચાલતું હોય છે.
કરાર નથી થયો હોતો એટલે નકલો કેટલી, રૉયલ્ટી કેટલી, ક્યારે, વગેરેની લેખકને કશી જ જાણ હોતી નથી, એણે એની પરવા પણ રાખી નથી હોતી. એ જાણકારી નહીં હોવાને કારણે પુસ્તક જ્યારે કોઈ પર ભાષાના લેખકની કૃતિનો અનુવાદ હોય, અને એ મૂળ લેખક પૃચ્છા કરે, ત્યારે ગૂંચવાડો ઊભો થાય છે.
અને, પુસ્તક અનેક લેખકોની કૃતિઓનું સમ્પાદન હોય ત્યારે તો ગૂંચવાડો વધી જાય છે. દાખલા તરીકે, અમુક લેખકોની “ટૂંકીવાર્તાઓમાં ‘એકમેવ અસર’-ની કલાત્મકતા” – એ સમ્પાદકીય આશયથી એ સમ્પાદનમાં ધારો કે ૨૦ વાર્તાકારોની કૃતિઓ છે, તો એ ૨૦-ને દરેકને એ સમ્પાદનની નકલ મળવી જોઈએ, અને પુરસ્કાર મળવો જોઈએ, એ તો પાયાની વાત છે. કેમ કે હકીકત એ કે સમ્પાદક તો પછી, પહેલાં તો એ વાર્તાકારો જ એ કૃતિસામગ્રીના ધણી હોય છે.
એ ગૂંચવાડા વખતે સમ્પાદક શું કહેશે એ પ્રશ્ન છે. સમ્પાદક ભલો હોય તો એમ કહે કે – હું ૨૦ નકલો ખરીદી લઈશ, અને સૌને પુરસ્કાર પણ ચૂકવીશ. પ્રૅક્ટિકલિ, સમ્પાદક માટે નકલો એકોએકને પ્હૉંચાડવાનું પણ ખરચાળ છે, મુશ્કેલ પણ છે. પણ એ ભલાભાઈ પોતાના પ્રકાશક સાથેની ‘ભલાઈ’ છોડી નથી શકતા, અને આ પ્રકારે તેને મદદ કરે છે.
વાતનો સર્વસાર એ છે કે સાહિત્યપ્રકાશનોને હવે બજારવાદને શરણે છે, એથી નથી પ્રકાશકો મુક્ત કે નથી સાહિત્યકારો. એનો સીધો ભોગ બની રહ્યા છે, અધ્યાપકો અને વિદ્યાર્થીઓ. સાહિત્યપદાર્થને બજારવાદ આભડી ગયો છે, એ આજનું મહા સત્ય છે, સંકટ છે. સરવાળે, સાહિત્યમૂલ્ય ધોવાઈ રહ્યું છે, એ તો મોટી હાણ છે.
મને સૂઝેલો ઇલાજ આ પ્રમાણે છે : આખા પ્રશ્ન વિશે જેને ખરી દાઝ હોય તેવા સાહિત્યકારોએ, અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ, ભેગા થવું અને કો-ઑપરેટિવ સ્વરૂપનું સંગઠન રચવું, તેમાં, વિદ્યાનું અને સાહિત્યવિદ્યાનું મૂલ્ય સમજનારા પેલા પ્રકાશકોને જોડવા, અને કૉલેજે કૉલેજો વિતરણ-કેન્દ્રો રચવાં, વિદ્યાર્થી સામાન્ય કિમ્મતે ખરીદી શકે એવું ધોરણ પણ ઊભું કરવું. કેમ કે માંગ પુરવઠાથી નહીં પણ માંગથી પુરવઠો વધશે. ટૂંકમાં, સાદુંસીધું એવું તન્ત્ર ઊભું કરવું કે પ્રકાશનો સુપેરે થાય અને સરળતાથી ગ્રાહક / વાચક લગી પ્હૉંચે.
= = =
(04/07/24 : A’bad)