સાહિત્યકૃતિ વાંચીએ એટલે તેના પાઠ – text – સાથે જોડાઇએ છીએ. પરન્તુ એ સાથે જ આપણી જાણ બહાર આન્તરપાઠ – intertext – સાથે જોડાઇએ છીએ. એટલે કે એ કૃતિ આપણને તેના જેવા અંશ ધરાવતી બીજી કૃતિ કે કૃતિઓ સાથે જોડે છે.
કામચલાઉ દાખલો : પ્રેમાનન્દ-રચિત “નળાખ્યાન” ભાલણ-રચિત સાથે, મૂળ “નલોપાખ્યાન” સાથે, શ્રીહર્ષના “નૈષધીયચરિતમ્” સાથે તેમ જ ચિનુ મોદીકૃત “બાહુક” સાથે જોડે છે.
સવાલ એ છે કે આ આન્તરપાઠત્વ – Intertextuality – વિશે આપણે શું જાણીએ છીએ, અને તેને સાહિત્યઅધ્યયનોમાં તુલનાર્થે પ્રયોજીએ છીએ ખરા -? તેમ જ સાહિત્યના તુલનાત્મક અધ્યયનમાં કેવુંક સ્થાન આપીએ છીએ?
એ વિશે થોડીક વાતો કરું :
Intertextuality – આન્તરપાઠત્વ – સંજ્ઞાનો ચોકસાઈપૂર્વકનો પ્રયોગ-વિનિયોગ ૧૯૬૬ આસપાસ જુલિયા ક્રિસ્તેવાએ (1941 -) ભલે કર્યો, તેના પાયામાં મને કેટલાક પૂર્વસૂરીઓ અને તેમના કેટલાક મહાન વિચારો યાદ આવે છે :
અર્થ પરત્વે આપણે પાઠની સંરચનાને જોતા થયા તે સંરચનાવાદના પિતા સૉસૂરને (1857-1913) આભારી છે. સંજ્ઞાને એમણે સંકેતક–સંકેતિતના બે ભાગમાં જોઈ, પરન્તુ બંને વચ્ચેના સમ્બન્ધને યાદૃચ્છિક (મરજી મુજબનો) કહ્યો. નોંધવાનું એ છે કે આ યદૃચ્છાતત્ત્વ સમગ્ર ભાષાતન્ત્રમાં અને બધા જ ભાષિક આવિષ્કારોમાં વ્યાપ્ત છે.
પરિણામે, વસ્તુજગત = ભાષા એમ કદી સંભવતું નથી. છતાં જો દરેક પાઠને અર્થ છે તો તે ભાષાતન્ત્રને પ્રતાપે છે; સાહિત્યકૃતિને છે, તો તે સાહિત્યતન્ત્રને આભારી છે. તન્ત્ર નિયમોથી હોય છે અને તેથી નિયમો જાણવાનું હંમેશાં ઉપકારક નીવડતું હોય છે.
એટલે, અર્થમાં ‘મૂળિયાં’ શોધવામાં પરોવાયેલું પાણ્ડિત્ય કેવું તો વિપથગામી હતું તે સમજાઈ ગયું.
પરન્તુ સૉસૂરની આ સંરચનાપરક દૃષ્ટિમતિનું એક મોટું પરિણામ નોંધવા જેવું છે : એમણે શાબ્દી ભાષાના શબ્દને સંકેત કહ્યો એ ન્યાયે નાદ રેખા રંગ ફૅશન વગેરેનાં સંયોજનોથી નીપજેલા ન-શાબ્દી આવિષ્કારોને પણ ‘ભાષાઓ' ગણવાનું થયું – વર્બલ-લૅન્ગ્વેજીઝ તેમ નૉન-વર્બલ લૅન્ગ્વેજીઝ.
આને પ્રતાપે ભાષાવિજ્ઞાન પોતે જ જેનો સંવિભાગ હોય તેવા વ્યાપક સંકેતવિજ્ઞાનની સંભાવનાને આકાર મળ્યો. આન્તરપાઠત્વ આજે ન-શાબ્દી આવિષ્કારો લગી વિસ્તર્યું છે ત્યારે એ વ્યાપક વિજ્ઞાનની સૂઝબૂઝને ખાસ્સી લેખે લગાડી શકાય.
પાઠકર્તાને પાઠનો અશેષ સ્વામી ગણનારું મન્તવ્ય આધિપત્યવાચી હતું. એનો ધ્વંસ થયો બખ્તિનને (1895-1975) કારણે. એમનું ‘ડાયલૉજિઝમ' – સંવાદપરક વિચારધારા – બોલાતી ભાષામાત્રને, અરે વિચારમાત્રને, સંવાદાત્મ અને સંવાદાત્મક ગણે છે. આપણને સમજાય છે કે સંવાદ આન્તરપાઠત્વનું પ્રેરકચાલક બળ છે : એક ઉક્તિ બીજીને નોતરે, એક પાઠ બીજાને. સાહિત્યિક પાઠ સામાન્ય પાઠને અને એ જ રીતે, શબ્દ-પાઠ ન-શબ્દ પાઠને.
બખ્તિન ભાષાને અનેક અવાજોનો સમવાય કહે છે. પણ કેવો? સતત ફંટાતો રહેતો. ઉક્ત આન્તરસમ્બન્ધની ભાળ મળે એવી આ રહી એમની સમજ, તેઓ કહે છે : દરેક વાક્-ક્રિયા તેની પૂર્વવર્તી ઉક્તિઓનું ફળ છે. વળી તે એવી રીતે સંરચિત થઈ હોય છે કે એને તરતમાં કે પછીના કોઈ પણ ભવિષ્યમાં એનો પ્રતિભાવ સાંપડે. બોલાયા પૂર્વે ભાષા હોતી નથી ને બોલાય છે ત્યારે વિવક્ષા અને સ્વરભારથી લિપ્ત હોય છે. એનો અર્થ એ થયો કે શબ્દને ન્યૂટ્રલ – અતડો કે નિર્લેપ – ગણવા જતાં ભૂલ થાય છે જેમ એને નિત્ય અવિકારી અને અચલ કહેવાથી થાય છે.
સાહિત્યકૃતિઓને બખ્તિને સંવાદપરાયણ – ડાયલૉજિકલ – અને એકોક્તિપરાયણ – મૉનોલૉજિકલ – જેવા પ્રકારોમાં જોઈ. એકોક્તિપરાયણને પીઠબળ પૂરું પાડતા કર્તૃલક્ષી એકાધિકારની ટીકા કરી. આન્તરપાઠત્વ એકમાંથી અનેકમાં દોરી જનારું તત્ત્વ છે અને તેથી એકહથ્થુવાદનો ભાર નથી વેઠતું. વળી એથી હાંસિયામાં ચાલી ગયેલા આવિષ્કારોને એ ઝટ શોધી કાઢે છે, વ્હાલા કરે છે. પ્રસરણશીલ અનુ-આધુનિક દૃષ્ટિદોરને આન્તરપાઠત્વનો એ તરીકો ખાસ્સો માફક આવેલો, એ સમજાય એવું છે.
બખ્તિને દૉસ્તોએવ્સ્કીની નવલકથાસૃષ્ટિને ‘પોલિફોનિક' કહી – બહુધ્વનીય – એમનાં પાત્રો, એમને લેખકની પ્રતિભાનો ભાર વૅંઢારતાં ‘પાત્રો' નથી લાગ્યાં પણ વિવિધ વિચારો / મન્તવ્યોને જીવતાં સ્વાયત્ત ચરિત્ર લાગ્યાં છે. એવા દૃષ્ટિદોરે એમણે એપિક, લિરિક તેમ જ ટ્રેજેડીને કેન્દ્રવર્તી મહત્તા આપતી રેઢિયાળ સાહિત્યમીમાંસાને ઠમઠોરી છે અને નવલકથા તથા કૉમેડીનું નવેસરથી ગૌરવ કર્યું છે.
પાઠ પ્રકાશિત થતાં તેના કર્તાથી વિમુક્ત થાય છે. એ પછીનું એનું જી-વ-ન ખાસ વિચારણીય છે : દરેક પાઠને પોતાનો સંદર્ભ હોય છે. ટૅક્સ્ટમાત્રને પોતાનો કૉન્ટેક્સ્ટ હોય છે. એના અવતારને પ્રગટાવનારા પૂર્વવર્તી સંદર્ભો : દાખલા તરીકે : ‘સમૂળી કાન્તિ’, કિ. ઘ. મશરૂવાળા, ગાંધીયુગીન ગુજરાતી સાહિત્ય, ગુલામ ભારત …
Pic Courtesy : Medium
માન્યતા એવી છે કે એ પૂર્વવર્તી સંદર્ભનો જાણે કે લય થઈ ગયો. જેટલો કંઈ એ દેશકાળ હતો તે જાણે કે ભૂતકાળ થઈ ગયો. પણ એવું માનીએ ત્યારે ‘સમૂળી ક્રાન્તિ-પાઠ' સ્વરૂપે એ દેશકાળ જેટલો / જેવો હાજર છે એ હકીકતનું વિસ્મરણ થાય છે. પાઠના અવતારને ઝીલનારો પશ્ચાત્વર્તી સંદર્ભ; વર્તમાન અને ભવિષ્ય; બંને વખતે એને મળનારો ભાષકસમાજ; ભાષકસમાજમાંથી એને મળનારા પાઠકો … આ બધા જ વાનાં નિર્ણાયક હોય છે ને તેથી ધ્યાનપાત્ર ગણાય.
આ બીજા સંદર્ભે થનારાં પાઠઝીલણ – સંક્રમણ – બહુવિધ હોવાનાં. કેમ કે પાઠકો બહુવિધ હોવાના – ગરજવાળા કે બેતમા – શ્રમસેવી કે પ્રમાદસેવી. એ જરૂર જરૂરી છે કે પાઠકો સહૃદયધર્મી હોય. હકીકત એ છે કે એવું ક્યારે ય હોતું નથી. પાઠકમાત્રને સાહિત્યધર્મે જોડી તેને તેનો ક્રિયાકાણ્ડી નથી કરી શકાતો.
જોડાયેલાઓમાં પણ વૈવિધ્ય છે – કેટલાક સહૃદયીઓ સુસજ્જ હોય છે તો કેટલાક નામના જ – વચ્ચેની દશાના, અધકચરા પણ ખરા. આ વાસ્તવિકતા છે તેથી સંક્રમણ-વૈવિધ્ય છે :
પાઠકર્તાને અભિપ્રેત અર્થ પાઠક ન પકડે.
પાઠ ન આપે પાઠકને અભિપ્રેત અર્થ એ પણ ખરું.
ક્યારેક પાઠક અતિ અર્થ કરે, ક્યારેક અલ્પ.
ના ચિત્તમાં કોઈ વાર અન્ય પાઠો જોડેની તુલનાઓ શરૂ થઈ જાય, ક્યારેક વિ-તુલનાઓ.
પાઠ-પઠનથી ક્યારેક એ સુખી થાય, ક્યારેક દુઃખી.
ક્યારેક એને સમાધાનો મળે, ક્યારેક વાંધા પડે.
વાતનો સાર એ છે કે વાસ્તવમાં પાઠ = પઠન તથા પાઠ = સંક્રમણ છે નહીં; એ માત્ર વિશફુલ થિન્કિન્ગ છે. અભરા અભરખા.
= = =
(April 19, 2022: Ahmedabad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર