
ગણપત વણકર ને સુમન શાહ
લગભગ રોજ ગુજરાતી ઉપરાન્ત ભારતીય દલિત સાહિત્યસૃષ્ટિની વાત કરનારા ગણપત વણકર મારા મિત્ર છે. પરન્તુ તેઓ મનોચિકિત્સા શાખાના એક ઉમદા પ્રૉફેસર પણ છે. એમના પ્રેમાળ નિમન્ત્રણથી માર્ચ 17 ને શુક્રવારે પારુલ યુનિવર્સિટી, વડોદરામાં મેં આપેલા વ્યાખ્યાનનું લેખ-સ્વરૂપ રજૂ કરું છું, છોડી દીધેલા કેટલાક મુદ્દા સાથે.
આ ત્રણેય વિદ્યાજગતો છે અને મનુષ્ય વિશે છે. દરેકનાં વ્યાપ અને ઊંડાણ સાગર-સમાં છે. એકને ઍટલાન્ટિક ઓસન કહીએ, બીજાને ઇન્ડિયન ઓસન અને ત્રીજાને પૅસિફિક, તો બરાબર લાગે.
આ ત્રણેયનાં વિષયવસ્તુ -કન્ટેન્ટ- શું છે?
મનોવિજ્ઞાન મનુષ્યના મનનું વિજ્ઞાન છે. મન અથવા ચિત્ત એક સામર્થ્ય છે – ફૅકલ્ટી. એથી ચૈતસિક આવિર્ભાવો પ્રગટે છે – મૅન્ટલ ફીનોમિના. જેવા કે, સૅન્સેશન – સંવેદન, પરસૅપ્શન – ઇન્દ્રિયબોધ, વિચાર – થિન્કિન્ગ, તર્ક – રીઝનિન્ગ, સ્મૃતિ – મૅમરિ, માન્યતા, ઇચ્છા કે પ્રેરણા – મોટિવેશન.
તત્ત્વજ્ઞાન અથવા ફિલસૂફીનું વિષયવસ્તુ, જીવ જગત અને ઈશ્વરવિષયક પ્રશ્નો છે. મનુષ્યનું અસ્તિત્વ શું છે, જ્ઞાન, જીવનમૂલ્યો, ચિત્ત, ચેતના, ભાષાઓ વગેરે શું છે, તેનો વિમર્શ-પરામર્શ. મૂળ સંજ્ઞા ગ્રીક ભાષામાં ‘ફિલોસોફિયા’ છે – ફિલો = લવ, સોફિયા = વિઝડમ. ડહાપણને માટેનો પ્રેમ તે ફિલસૂફી.
તત્ત્વજ્ઞાનની અનેક શાખાઓ માણસને ડહાપણ લગી નથી પહૉંચાડતી, ઊલટું એમ કહે છે કે વાદે વાદે જાયતે તત્ત્વબોધ: પણ તત્ત્વને તો છેડો નથી; એેને જેટલું કાંતો એટલું કંતાતું જશે. ષડદર્શનના જૂજવા મતા છે, પણ સાંઠ પણ હોઈ શકે છે. નરસિંહે બરાબર પકડ્યું હતું – તત્ત્વનું ટૂંપણું તુચ્છ લાગે, પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર …
સાહિત્યકલાનો જીવન સમગ્ર સાથે સમ્બન્ધ છે પણ એના વિષયવસ્તુનો પહેલો સમ્બન્ધ મનુષ્યના Lebenswelt સાથે છે. એ શબ્દ જર્મન ભાષાનો છે, અંગ્રેજીમાં lifeworld કહેવાય છે, ગુજરાતીમાં હું એને ‘જીવનવિશ્વ’ કહું છું. એ ‘વિશ્વજીવન’ નથી, એટલે કે, એ વિશ્વ સમગ્રમાં જિવાયેલું જીવન નથી, મારા વડે મારા સ્થાને મારા સમયમાં જિવાયેલું અને જિવાતું મારું જીવન છે. એ નકરી વાસ્તવિકતા છે. એની સરખામણીમાં, વિશ્વ એક ધ્યર્થ છે – આઇડિયા. મારી આસપાસનાં મનુષ્યો પણ, દરેક, પોતપોતાનું જીવન જીવે છે. અમારી વચ્ચે જે સમ્બન્ધ રચાય છે તે મારા અને એમનાં જીવનવિશ્વની આપ-લેનું પરિણામ હોય છે.
સાહિત્યની પરમ્પરાગત ચર્ચામાં જગત આખાનો અનુભવ, સંસાર સમગ્રનો અનુભવ વગેરે સામાન્યથી પણ સામાન્ય સંકેતોનો આગ્રહ સેવાતો હોય છે. પણ આ ‘જીવનવિશ્વ’-ના સંકેતાર્થથી વધારે નક્કર અને વાસ્તવિક અર્થ એમાં નથી.
‘લેબેન્શ્વેલ્ત’ સંજ્ઞા હ્યુસેર્લે એમની એક હસ્તપ્રતમાં ૧૯૧૭-માં પ્રયોજેલી. હ્યુસેર્લના બે અનુયાયીઓ માર્ટિન હાઇડેગર અને આલ્ફ્રેડ શૂત્ઝનાં દર્શનોમાં આ સંજ્ઞા વિશેષ રૂપે વિકસી છે.
હાઇડેગર અનુસાર, મારા, અમારા કે આપણા વિશ્વમાં ચિન્તનાત્મક વસ્તુઓની ભરમાર નથી – ઇટ ઇઝ નૉટ પૉપ્યુલેટેડ બાય ઑબ્જેક્ટ્સ ઑફ કન્ટેમ્પ્લેશન – પણ એમાં વર્તન અને વ્યવહારથી સાંપડેલી નક્કર વસ્તુઓ હોય છે. એ વસ્તુઓની જાળ રચાઈ હોય છે, એક નૅક્સસ રચાયું હોય છે, જે જીવવા માટેનાં મારાં ઑજારો બને છે અને મને સજ્જ કરે છે. મારા જીવનવિશ્વથી મારી દુનિયા રચાય છે અને મારી એ દુનિયામાં મારું જીવનવિશ્વ સમેટાઈ જાય છે.
મનુષ્યમાત્રની જન્મથી મૃત્યુ લગીની યાત્રામાં આથી જુદું શું બને છે? સમજાય એવું છે.
કલાઓ, સાહિત્ય, વિજ્ઞાન કે તત્ત્વચિન્તનની આ જીવનવિશ્વ, મૂળભૂત ભૂમિકા છે. એની ઉપેક્ષા કરીને કે એને બાદ કરીને વિસ્તરેલાં સાહિત્ય, કલાઓ, વિજ્ઞાન કે તત્ત્વચિન્તન વ્યર્થ ઠરે છે. મારું જીવનવિશ્વ લઈને હું મારી સમીપે વસતા મનુષ્યના જીવનવિશ્વ લગી પ્હૉંચું છું ત્યારે અંગતતાથી, ભાવ-ભાવના, ઊર્મિઓ, લાગણીઓ, વિચારોથી વધારે વર્તું છું, એમાં બિનંગતતા કે વસ્તુલક્ષીતા કે તર્ક કરતાં અતર્કની બલકે તર્કહીનતાની માત્રા વિશેષ હોય છે, એમાં, બ્રહ્મ સત્ય ને જગત મિથ્યા જેવા દાર્શનિક ખયાલો પણ નથી હોતા. સીધુંસાદું જીવન હોય છે.
સાહિત્યકલાનો જીવન સમગ્ર સાથે સમ્બન્ધ છે પણ એના વિષયવસ્તુનો બીજો સમ્બન્ધ મનુષ્યના ભાવજગત સાથે છે. સાહિત્ય મુખ્યત્વે મનુષ્યના ભાવજગતની કલા છે. ભાવથી સ્ફુરેલા અને કલાની રીતે સ્ફુરેલા વિચારોના ચિન્તન કે દર્શનની સાહિત્યમાં મનાઈ નથી.
પણ હકીકત એ છે કે ભાવોની સૃષ્ટિમાં ઘમસાણ મચે ને ચિત્ત ડ્હૉળાઇ જાય. સ્ટ્રેસ, હાઇપર ટેન્શન, જેવાં અનેક દર્દ જન્મે, જેને મનોવિજ્ઞાન મનોરોગો કહે છે. બાજુની મનુષ્ય વ્યક્તિ સાથેનું વર્તન અસંતુલિત અને સંકુલ થઈ જાય છે. એમાંથી લડવાડો અને યુદ્ધો સરજાય છે. કહેવાનું તાત્પર્ય એ કે મનોવિજ્ઞાન માટેની સામગ્રીનાં મૂળ મનુષ્યનું ભાવજગત છે.
હું સાહિત્યકલાના અ બ ક ડ એવા ૪ વિશેષને ધ્યાનપાત્ર ગણું છું :
અ : મનુષ્યની ભાવસૃષ્ટિ પર સર્જકની ચેતના કામ કરીને રસસૃષ્ટિ પ્રગટાવે છે. એ એનો પહેલો વિશેષ છે.
ભરત મુનિએ “નાટ્યશાસ્ત્ર”-માં ૮ ભાવોને મુખ્ય અને સ્થાયી કહ્યા છે. ૧ : રતિ (love), ૨ : હાસ (Mirth), ૩ : ક્રોધ (Anger), ૪ : ઉત્સાહ (Courage), ૫ : ભય (Fear), ૬ : જુગુપ્સા (Aversion), ૭ : વિસ્મય (Wonder) અને ૮ : શોક (Sorrow). ૯-મો ભાવ -ઉપશમ (Calm) પણ ગણાવ્યો છે.
સર્જકચેનાના વ્યાપારને કારણે કે કવિ કર્મને કારણે દરેક ભાવમાંથી રસ પ્રગટે છે, રસ પણ એટલે ૮ ગણાવ્યા છે. ૧ : રતિ – શૃંગાર રસ (Erotic), ૨ : હાસ -હાસ્ય રસ (Comic), ૩ : ઉત્સાહ – વીર રસ (Heroic), ૪ : ક્રોધ – રૌદ્ર રસ (Furous), ૫ : ભય – ભયાનક રસ (Terrible), ૬ : શોક – કરુણ (Pathetic), ૭ : વિસ્મય – અદ્ભુત (Marvellous), ૮ : જુગુપ્સા – બીભત્સ (Odious). અને ૯ : ઉપશમ – શાન્ત રસ.
સાહિત્યકલાની ધરિત્રીના ત્રણ ઉપખણ્ડ છે : ઊર્મિકવિતા – લિરિકલ પોએટ્રી. કથાકવિતા – નૅરેટિવ પોએટ્રી. નાટ્યકવિતા – ડ્રામેટિક પોએટ્રી. એ ત્રણેયમાં, સાહિત્યકારની સર્જકતાને પ્રતાપે મનુષ્યની ભાવસૃષ્ટિનું રસસૃષ્ટિમાં રૂપાન્તર થાય છે.
બ : બીજી વિશેષતા એ છે કે સાહિત્યકલામાં, વિચારો તર્ક દલીલો દર્શન કે ચિન્તનને સીધો પ્રવેશ નથી હોતો.
આ ક્ષણે, હું કથાકવિતા અને નાટ્યકવિતાની ચર્ચા જતી કરું છું, ઊર્મિકવિતાની કરું. એમાં, સંવેદનો અને ઇન્દ્રિયબોધોની માત્રા વધારે હોય છે.
સંવેદનો : ‘તે પંખીની ઉપર પથરો ફૅંકતાં ફૅંકી દીધો.’ ‘કદી મારી પાસે વનવનતણાં હોત કુસુમો / વિખેરી તુજ માર્ગે આહ્લાદ ભરતે.’ ‘ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે.’ વગેરે.
ઇન્દ્રિયબોધો : સાહિત્યનો શબ્દ આંખ કાન નાક જિહ્વા અને સ્પર્શ એ ઇન્દ્રિયોને સંતર્પતો હોય છે : સુરેશ જોષીનું આ “અન્ધકાર” કાવ્ય જુઓ : એમાં, કામચલાઉ ધૉરણે કહું કે કાવ્યશબ્દ કયા ઇન્દ્રિયબોધને પ્રગટાવે છે :
આજે હું તારા અંધકાર સાથે બોલીશ. (જિહ્વા) / તારા હોઠની કૂણી કૂંપળ વચ્ચેનો આછો કૂણો અંધકાર. (સ્પર્શ) / તારા કેશકલાપનો કુટિલ સંદિગ્ધ અંધકાર. (આંખ) / તારા ચિબુક પરના તલમાં અંધકારનું પૂર્ણવિરામ. (સ્પર્શ) / તારી શિરાઓના અરણ્યમાં લપાયેલા અંધકારને (સ્પર્શ) / હું કામોન્મત્ત શાર્દૂલની ગર્જનાથી પડકારીશ; (કાન) / તારા હૃદયના અવાવરુ કૃપણ ઊંડાણમાં વસતા જરઠ અંધકારને (સ્પર્શ) / હું ઘુવડની આંખમાં મુક્ત કરી દઈશ; / તારી આંખમાં થીજી ગયેલા અંધકારને / હું મારા મૌનના ચકમક જોડે ઘસીને સળગાવી દઈશ; (સ્પર્શ, આંખ) / વૃક્ષ ની શાખામાં ઓતપ્રોત અંધકારનો અન્વય / તારાં ચરણોને શીખવીશ. / આજે હું અંધકાર થઈને તને ભેદીશ. (સ્પર્શ).
ક : સાહિત્યકલામાં, વિચારો તર્ક દલીલો કે દર્શન અને ચિન્તનને સીધો પ્રવેશ નથી હોતો એ ખરું પણ તત્ત્વચિન્તન માણસને જાગ્રત કરી શકે છે, માણસને ડહાપણનો માર્ગ ચીંધી શકે છે. એ ત્રીજી વિશેષતા છે.
મેં બે વર્ષ પર અમારા પીઓરીઆ શ્હૅરની ઇલિનૉય કૉમ્યુનિટી કૉલેજમાં છ વ્યાખ્યાનો આપેલાં, વિષય હતો : Suffering and Pursute of Happiness.
અસ્તિત્વવાદી તત્ત્વજ્ઞાની સાર્ત્રે કહ્યું કે ‘ઍક્ઝિસ્ટન્સ પ્રીસિડ્સ ઇસેન્સ. અસ્તિત્વ મનુષ્યના સત્ત્વને વટી જાય છે. માણસ to be-માંથી to become-ની દિશામાં વળી જાય છે ને એ જ દિશામાં મૃત્યુ પામે છે.
સાર્ત્રે સાચું કહ્યું કે અસ્તિત્વ સત્ત્વને વટી જાય છે, પણ હું તો એટલે લગી અનુભવું છું કે હું હમેશાં મારા સત્ત્વમાં પાછો ફરું છું, કેમ કે એ જ છે જે ખરેખર છે.
મારું હોવું અને સમીપે વસતા એનું હોવું અમને બન્નેને જિવાતા જીવન દરમ્યાન ઘણું શીખવે છે. અમને બન્નેને ભાન થાય છે કે એકમેકના સ્વાતન્ત્ર્યની રક્ષા ન કરી, એટલે ઘર્ષણ થયાં, પસંદગીનાં ચૂકવણાં ન કર્યાં, ઠાગાઠૈયા કર્યા, એટલે બરબાદી થઈ. મને થાય, ઈશ્વર જેવા ચિરંતન ખયાલથી કે મૃત્યુ જેવી નકરી ભવિતવ્યતાથી ડરીને ન જીવ્યો, ભૂતકાળે ઘટેલા બનાવોથી અને ભવિષ્યની ચિન્તામાં ગ્રસ્ત રહીને વર્તમાનને જ ન જીવ્યો … વગેરે.
અસ્તિત્વ દોડાવે છે, મને ખદેડે છે એવા ભાન સાથે પોતાના સત્ત્વમાં અવારનવાર પાછા ફરવું એ એક કારગત ઉપાય છે. દુ:ખનો અભાવ સુખ છે અને સુખનો અભાવ દુ:ખ છે એવા ભાન સાથે જીવવું એ પણ એટલો જ કારગત ઉપાય છે. નરસિંહે સરસ ભાળ્યું છે, ભાખ્યું છે – સુખ-દુ:ખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિ યાં … it is the human life.
પીડા જીવન છે. એ ભાવજગતની અને તેથી સાહિત્યની સામગ્રી છે. પણ સુખની શોધનો સમ્બન્ધ અધ્યાત્મ સાથે છે. હું સંસાર અસાર છે એવા ડહાપણને વશ થઈ જીવું, તો સુખ મને મળે. પણ એમ થઈ શકતું નથી. કેમ કે જીવન પોતે જ અસાર છે, અર્થહીન છે, અસંગત છે, ઍબ્સર્ડ છે.
બુદ્ધ એ જ વાત એમની રીતે કરે છે, એમણે ૪ સત્ય પર આંગળી ચીધી : ૧ : પીડા અથવા દુ:ખ છે. (દુ:ખ) : ૨ : દુ:ખનું કારણ છે. (સમુદાય) ૩ : દુ:ખનિવારણનો ઉપાય છે. (નિરોધ) : ૪ : ઉપાય માટે ૮ પથ છે.
તત્ત્વજ્ઞાનની આ વિશેષતા પણ સાહિત્યકલામાં સામગ્રી બને છે, અને ત્યારે શબ્દ અને તત્ત્વની એકરૂપતા સિદ્ધ થાય છે.
એવી એકરૂપતાનું ડાયડેક્ટિક પોએટ્રીમાં હોય છે – ઉપદેશપ્રધાન કવિતામાં. મિલ્ટનકૃત “પૅરેડાઈઝ લૉસ્ટ”, વિલિયમ બ્લૅકકૃત “ડિવાઇન ઇમેજ” કે આલ્ફ્રેડ લૉર્ડ ટેનિસનકૃત “ઇન મૅમોરિયમ” એનાં જાણીતાં દૃષ્ટાન્તો છે. પણ રવીન્દ્રનાથ ટાગોરકૃત “ગીતાંજલિ”-ની સૃષ્ટિને ઉપદેશપ્રદાન ગણવા જતાં ભૂલ થાય, ન ગણીએ તો પણ ભૂલ થાય, એવી એની વિલક્ષણતા છે.
ડ : ચૉથી વિશેષતા એ છે કે સાહિત્યકાર મનુષ્યજીવનને પોતાની કલારીતિ અનુસાર સરજે છે. જેમ કે, મેં ગણાવ્યા એ બધા જ ચૈતસિક આવિર્ભાવો સાહિત્યકલાસૃષ્ટિમાં હમેશાં જોવા-અનુભવવા મળે છે. પણ તેમાંના કોઈની પણ જોડે સાહિત્યકાર બૌદ્ધિક વ્યાપાર નથી માંડતો.
એ જ રીતે, એ કોઈપણ ધર્મની કશી પણ પૂર્વધારણાને વશ નથી થતો. દાખલા તરીકે, બૌદ્ધ ધર્મની બીલીફ સિસ્ટમમાં ૩ બાબતો મુખ્ય છે : ૧ : કર્મ : ૨ : પુનર્જન્મ : ૩ : ક્ષણભંગુરતા.
એમાંની એક બાબત જીવનની ક્ષણભંગુરતા વિશે વાત કરું. જીવનમાં એ કેવાં કેવાં સ્વરૂપે છે :
આતુરતા, બેચેની, કારણ ન હોય એવી માનસિક અસ્વસ્થતા-anxiety રૂપે. insecurity- અસલામતીનો ભાવ, શું થશે? બધું બરાબર હશે? uncertainty-અનિશ્ચિતતા. બધું જ નિશ્ચિત છે. કશું જ નિશ્ચિત નથી. મૃત્યુ નિશ્ચિત છે પણ અનિશ્ચિત છે – ક્યારે? ક્યાં? અથવા એ નિશ્ચિત છે પણ આપણે જાણતા નથી એ નિશ્ચિત છે. Volatility – કશું જ સ્થિર નથી, એકાએક ઊછળે, અચાનક બેસી પડે. vulnerability – આક્રમણભોગ્ય છીએ. વાઘ આવે અને ખાવા માગે તો ખવાઇ જઈએ. સ્ત્રીઓ આક્રમણભોગ્ય છે. Fluctuation રૂપે – સમુદ્રમાં ભરતી-ઓટ સંભવે છે, એમ માણસના જીવનમાં પણ સુખ કે દુ:ખની ચડતી પડતી ચાલ્યા કરે છે. દિવસ દરમ્યાન પણ સવાર સારી, બપોર વધારે સારી, સાંજ ગમગીન હોય – શામ બડી ગમગીન હોતી હૈ. સ્નો જામે, ઑગળી જાય. સૂરજ જોવા ન મળે, મળે ત્યારે બધાં એક જ વાક્ય ઉચ્ચારે – ઇટ’સા સની ડે, હાઉ બ્યુટિફુલ !
કાફ્કાકૃત “A Country Doctor” નામની એક ટૂંકીવાર્તામાં સ્નોયી નાઇટ છે, વળી, ચાંદની પણ છે. એવામાં ગામડા ગામના પ્રૌઢ દાક્તરને એક દર્દીને જોવા જવું જ પડે એમ હોય છે. એ ઇમરજન્સી વિઝિટ માટે ઘોડા પર જવાય પણ દાક્તરનો ઘોડો આગલી રાતે મરી ગયો હોય છે. નોકર-છોકરી રોઝા બીજાનો ઘોડો મળે એ માટે ગામ આખામાં ભટકે છે, પણ સફળ થતી નથી. દાક્તર સ્નોમાં કૉર્ટયાર્ડમાં ઊભો રહે છે, અગતિક. વગેરે વાર્તાની વાતથી મેં વ્યાખ્યાન સમ્પન્ન કરેલું. (એ વાર્તાની વીગતે વાત ક્યારેક કરીશ.)
= = =
(March 19, 2023 : Ahmedabad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર