જ્યોત ૫ : ગદ્ય અને પદ્ય :
સાહિત્યને ‘ગદ્ય’ અને ‘પદ્ય’ એમ બે વિભાગમાં જોવામાં આવે છે. ‘ગદ્ય-પદ્ય’ એવો સંમિશ્ર પ્રકાર પણ છે.
વિશ્વમાં “પંચતન્ત્ર” કથાસાહિત્યનું પ્રાચીનમાં પ્રાચીન દૃષ્ટાન્ત છે. એમાં વિશ્વમાં પહેલી વાર પશુ-પક્ષીઓ પાત્રો રૂપે સરજાયાં છે. એ પાત્રોમાં મનુષ્યજીવોના ગુણઅવગુણ સંભરવામાં આવ્યા છે.
“પંચતન્ત્ર” સંસ્કૃતમાં રચાયું છે, પાંચ ભાગમાં છે અને એમાં ૮૪ કથાઓ છે. લાગે કે કથાઓ બાળકો માટે છે પણ પ્રત્યેક કથા દેશ-વિદેશના આબાલવૃદ્ધ સૌ માટે છે. આ કથાઓના લગભગ બધી જ ભારતીય ભાષાઓમાં અનુવાદો થયા છે. અને લગીર પાઠભેદ સાથેનાં અવાન્તર રૂપો પણ સરજાયાં છે. એવાં જ ૨૦૦-થી પણ વધુ અવાન્તર રૂપો સાથે “પંચતન્ત્ર” વિશ્વની ૫૦-થી પણ વધુ ભાષાઓમાં પ્હૉંચી ગયું છે.
“પંચતન્ત્ર”-ની કથાઓનાં ચિત્રો કે ચલચિત્રો થાય એ સારી વાત છે પરન્તુ કરણીય તો એ છે કે એ કથાઓ કથનકલાની રીતેભાતે રજૂ થાય.
એ કથાઓ ગદ્યમાં કહેવાઇ છે પરન્તુ તેમાંથી સ્ફુરતાં નીતિબોધ કે શીખામણનાં વચનો પદ્યમાં છે.
વૈદિક સંસ્કૃતમાં રચાયેલી વિશ્વખ્યાત કૃતિ “ઋગ્વેદ” ઇન્ડો-યુરોપીયન ભાષાવિશેષમાં પ્રાચીનતમ ગણાય છે. “ઋગ્વેદ”-ને પામવા સૌ પહેલાં પાઠપઠનવિદ્યાનું જ્ઞાન હોવું અનિવાર્ય છે.
એમાં, ઋગ્વેદ-સંહિતા, ૧૦ મણ્ડલો અને ૧,૦૨૮ સૂક્તો છે તેમ જ આશરે ૧૦,૫૨૨ મન્ત્રો છે અને તે પદ્યમાં છે.
“સાર્થ જોડણીકોશ” ગદ્યની જાણે વ્યાખ્યા કરે છે – ‘જે ગવાય નહીં તે ગદ્ય’; ’પદ્યથી ઊલટું’ તે ગદ્ય. તો વળી, પદ્યને ‘છંદબદ્ધ શબ્દરચના’ કહે છે, સંસ્કૃત અર્થને અનુસરીને પદ્યને ‘કાવ્ય’ પણ કહે છે.
ધ્યાન રહે કે કોશે આપેલા એ બધા અર્થસંકેત ભ્રામક છે. જેમ કે, ગદ્યકૃતિને પણ ગાઈ શકાય છે. જેમ કે, છન્દોબદ્ધ ન હોય છતાં તેને પદ્ય તો કહી જ શકાય છે. જેમ કે, પદ્ય હોય પણ તે કૃતિ, કાવ્ય ન પણ હોય.
ગદ્યમાં લખાયેલું સાહિત્ય, જે ભાષામાં લખાયું હોય તે ભાષાના વાક્યાન્વય વગેરે વ્યાકરણને અનુસરે છે. દાખલા તરીકે, ‘રામ વનમાં વિલાપ કરે છે’. એટલે, કહી શકાય કે ભાષાનો શાસ્ત્રસમ્મત પણ સર્વસામાન્ય વપરાશ જેમાં થાય છે, તે ગદ્ય છે.
પદ્યમાં લખાયેલું સાહિત્ય, વ્યાકરણ તો સાચવે જ છે પણ શબ્દના અથવા પદોના ક્રમમાં યથાશક્ય છૂટ લે છે. દાખલા તરીકે, કશી ભૂલ વિના કહી શકાય છે, ‘કરે છે વિલાપ રામ વનમાં’; ‘રામ વિલાપ કરે છે વનમાં’; ’વનમાં કરે છે રામ વિલાપ’.
પરન્તુ ‘છે રામ કરે વિલાપ માં વન’ એમ નથી કહી શકાતું. એમાં અન્વયનો નાશ છે. એ ગુજરાતી ભાષાનું વાક્ય નથી.
ગદ્યરચનાની સરખામણીએ પદ્યરચનામાં લયતત્ત્વ દાખલ થાય છે, એ ગેય પણ બને છે.
ગુજરાતીના સારા કહેવાતા એકથી વધુ અધ્યાપકોને મેં ‘પધ્ય’ ‘ગધ્ય’ બોલતા સાંભળ્યા છે.
એને દુરાચાર કહેવાય.
એક પ્રશ્ન કરવો જરૂરી છે : સમકાલિક સર્જકો ગદ્ય-પદ્યના સંમિશ્ર પ્રકારમાં કેમ નથી જતા? ગદ્યરચનામાં પદ્યનું અને પદ્યરચનામાં ગદ્યનું સંમિશ્રણ કેમ કરાતું નથી?
વિચારવું …
= = =
(May 15, 2022: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર