‘ઑલ આઉટ ફૉર અમૂલ’-ના મારા પેલા મૅસેજની રચનાપદ્ધતિને ઍન્કોડિન્ગ કહેવાય. ‘એ બિલ્લી છે’ કહેનારનો એ પ્રયોગ coded છે અને એ એક code પણ છે. એટલે કે, એનો એ પ્રયોગ કશુંક ગુપ્તપણે કહેવા માટે એણે ઊભી કરેલી મામૂલી પણ એક પદ્ધતિ છે, સિસ્ટમ છે, જેને ઍન્કોડિન્ગ કહી શકાય.
મારી સૅમિયોસિસ પ્રવૃત્તિ વડે મેં એની એ પદ્ધતિને ખુલ્લી કરી. પણ એટલે શું કર્યું? કોડેડને ડીકોડ ! વીગતે જણાવું કે ડીકોડિન્ગ વખતે હું શું કરું છું :
‘એ બિલ્લી છે’ પ્રયોગને સમગ્રમાં નીરખું છું. એ પ્રયોગના પ્રત્યેક ભાગને નીરખું છું. એ ભાગમાં સંડોવાયેલી સંજ્ઞાની અંદર પ્રવેશું છું. એની નજીકની સંજ્ઞાને નીરખું છું ને તેની અંદર પણ પ્રવેશું છું. તે પછી એ બન્ને સંજ્ઞાઓએ મને સૂચવેલા અર્થોને જોડું છું. એમ હું જવાય એટલો આગળ જઉં છું.
ગણિત મને આવડતું નથી પણ એનો રૂપક તરીકે ઉપયોગ તો કરી શકું છું. કહું કે જેમ હું પહેલી રકમને સમજું વિચારું ને એમાં બીજી ત્રીજી એમ પછીની રકમોને સમજી સમજીને ઉમેરતો ચાલુ અને છેલ્લે સરવાળો સિદ્ધ કરું એ જ રીતેભાતે હું ડીકોડેડ સંજ્ઞાઓ સાથે વરતું છું.
હું મૅસેજ મોકલું છું એટલે શું કરું છું? કોઈને ઍડ્રેસ કરું છું, સમ્બોધું છું. હું ઍડ્રેસર અને જેને મૅસેજ કરું છું તે ઍડ્રેસી. મારા મૅસેજને ઍડ્રેસી ઉકેલી લે છે – એણે ડીકોડિન્ગ કર્યું કહેવાય. સામે એ પણ મને વળતો મૅસેજ મોકલે છે – અમૂલબટર ક્યાં મળે છે? એ ત્યારે ઍડ્રેસર હોય છે અને હું ઍડ્રેસી.
સંક્રમણ મૅસેજીસના આવા ચૉકક્સ વિનિમયો વડે સધાતું હોય છે તેથી ઉત્તમ મનાય છે. એવાં સંક્રમણને પ્રતાપે સૅમિયોસિસ પ્રવૃત્તિમાં વેગ પણ આવે છે.
વર્તમાનમાં સોશ્યલ મીડિયામાં જીવતી વ્યક્તિઓ માટે ઍન્કોડિન્ગ-ડીકોડિન્ગ રોજિન્દી ઘટના છે, જેને ચૅટિન્ગ અથવા મૅસેજિન્ગ કહેવાય છે. હું મૅસેજ મોકલું કે આવતીકાલે દસ વાગે મળીશું. તો એ મને સામો મૅસેજ મોકલે છે – સવારના દસ કે રાતના? અને હું વળતો મૅસેજ મોકલું કે – રાતના.
જો કે આ વાત મેં શાબ્દી સંજ્ઞાઓના – વર્બલ સાઈન્સના – મૅસેજિન્ગની કરી. પણ સૅમિયોસિસ તો શબ્દ ઉપરાન્તની આપણી આસપાસની તમામ બિનશાબ્દી – નૉનવર્બલ – સંજ્ઞાઓને ઊંડણમાં લે છે. એટલે, નૉનવર્બલનાં પણ મૅસેજિન્ગ થતાં હોય છે.
જેમ કે, કોઈ ભાઈ કે બહેન મને જો નમસ્કારનું ઇમોજી મોકલે તો એનો અર્થ છે – પ્રણામ; નહીં મળી શકાય. ઇમોજી શબ્દ નથી ચિત્ર છે પણ મને સ-પ્રણામ ‘નહીં આવી શકાય’ એવી અશક્યતાનો સંકેત કરે છે. જો કે એણે ભલે ઇમોજી વડે ઍન્કોડિન્ગ કર્યું પણ પ્રણામના ઇમોજીને હું હકાર ગણી લઉં, સ્વીકૃતિ ગણી લઉં, તો મારું એ ડીકોડિન્ગ મને મુશ્કેલીમાં મૂકી દેશે – દસના અગિયાર વાગ્યા હશે તો પણ એ વ્યક્તિ નહીં પધારી હોય !
(હું એમ માનું છું કે ઇમોજીસ બાલાવબોધી છે, સર્જક મિજાજની વ્યક્તિઓની દુનિયા ઇમેજીસની છે. એમણે ઇમોજીસથી આઘા રહેવું જોઈએ).
અનેક લોકો ‘લાઇક’-ને લખતા નથી, માત્ર ક્લિક કરે છે, એ ચેષ્ટા પણ મૅસેજિન્ગ છે. એ ડીકોડ થતાં, સંકેત મળે છે – મેં જોયું, મેં વાંચ્યું, મને ગમ્યું. એ સંકેત દરેક વખતે – મેં વાંચ્યું એમ નથી હોતો ! જો ઍડ્રેસર મોટી સંખ્યામાં મળેલાં લાઈક્સનું એવું ડીકોડિન્ગ કરે કે – હું કેટલો વંચાઉ છું ને કેવો અઢળક સ્વીકાર પામું છું, તો છેતરાઈ જશે.
મેં ફેસબુક પરનાં લાઇક્સનો અભ્યાસ કરીને મારા માટે હળવાશથી એક સૅમિયોસિસ રચ્યું છે : લાઇકનો એક સંકેત – હું તમારી સભામાં હાજર છું, એમ થાય છે. (મને એમનો એ સાક્ષીભાવ ગમે છે.) લાઇક્સરૂપી ડીકોડિન્ગ દેખાદેખીથી અને વાટકી-વ્યવહારથી કરાતાં હોય છે. બધા લાઇક કરે છે અને હું નહીં કરું તો કેવો / કેવી લાગીશ – એવા સામાજિક મનોભાવથી કરાતાં હોય છે. હું ફેસબુક-ફ્રૅન્ડ છું તો એમની તેમ જ અન્ય મિત્રો સાથે જોડાવાની આ તક છે – એવા પ્રેમભાવથી કરાતાં હોય છે. કોઈ તો, કોઈ ઓળખીતાંને જોઈને લાઇક કરે છે – એને ગમતાં કોઈ બહેનનું લાઇક જોવા મળ્યું હોય તો તો, ખાસ.
પેલો કદી કશો જ પ્રતિભાવ નહીં આપનારો ફેસબુક ફ્રૅન્ડ – હું તમારું ધ્યાન રાખું છું, જેવા મોટાઈના ભાવથી લાઇક કરતો હોય છે. કેટલાક તો ફ્રૅન્ડ બન્યા પછી લપાઈને બેઠા રહે છે અને બગલાની જેમ માત્ર મૌનનું સેવન કરે છે. એ મૌનને સૅમિયોસિસમાં આમેજ કરતાં હું ખચકાઉં છું કેમ કે ત્યારે વર્બલ કે નૉનવર્બલ એકેય સંજ્ઞા નથી પ્રગટી હોતી, સિવાય કે હું મૌનને સંજ્ઞા ગણી લઉં.
કેટલાક તો શોકાંજલિને પણ લાઇક કરતા હોય છે, કેટલાક ટ્રૉલ કરતા હોય છે, ગાળો પણ લખતા હોય છે. એવી તમામ કુચેષ્ટાઓને ઍન્કોડિન્ગ તો કહેવાશે જ, એ અર્થ તો આપશે જ, પણ એ અર્થ ઍડ્રેસી માટે વ્યર્થ હશે. ત્યારે ઍડ્રેસી ચૂપ રહે તો એ ચુપકીદી ડીકોડિન્ગ ગણાય કે કેમ તે પ્રશ્ન છે, સિવાય કે ઍડ્રેસી ચુપકીદીને સંજ્ઞા ગણી લે; પણ એની એ ક્રિયાથી કૉમ્યુનિકેશન સાર્થક ઠરશે.
ઘણા લોકો પોતાનો ફોટોગ્રાફ મૂકે છે એ ફોટો પણ ઍન્કોડિન્ગ છે અને મૅસેજનું કામ કરે છે. ઍડ્રેસી એને ડીકોડ કરે છે કેમ કે ફોટો રૂપાળી યુવતીનો હોય છે, એને રસ પડી જાય છે અને એ લવારાછાપ વળતા મૅસેજીસ મોકલવા માંડે છે – જેને કાવ્યશાસ્ત્રીઓ પ્રેમાલાપ કહે છે. પણ પરિણામ, વિલાપમાં આવે છે.
“ઍન્કોડિન્ગ ઍન્ડ ડીકોડિન્ગ ઇન ધ ટેલિવિઝન ડિસકોર્સ” શીર્ષક હેઠળ ૧૯૭૩માં સ્ટુઅર્ટ હૉલે મીડિયા મૅસેજ (મારું “મીડયા મૅસેજ” નામનું પુસ્તક છે) વિશે ઉપકારક અધ્યયન પીરસ્યું છે. એમાં એક મહત્ત્વનો મુદ્દો એ કર્યો છે કે દર્શકો પોતાના સામાજિક સંદર્ભો અંગેની પોતાની શ્રદ્ધા અનુસાર મૅસેજીસને ડીકોડ કરતા હોય છે. સાચું, ’સાસ ભી કભી બહુ થી’ -ને યુરપઅમેરિકાની પ્રજાઓ કેમની ડીકોડ કરવાની’તી? વળી, હૉલ અનુસાર, સંઘબળે દર્શકો મૅસેજીસને બદલી શકતા હોય છે. દર્શકો ઍગ્રીમૅન્ટ, નૅગોશિયેશન કે ઑપોઝિશનનો આશ્રય કરતા હોય છે – સમ્મતિ – ચર્ચા કે વિરોધ.
હૉલની આ વાત જૂની છતાં એકદમ સાચી એ રીતે છે કે આજે તે પ્રેસ ન્યૂઝચેનલ્સ અને ફિલ્મ જેવાં સમૂહમાધ્યમોને એટલી જ લાગુ પડે છે. તાજેતરમાં આપણે ‘કાશ્મીર ફાઇલ્સ’ કે ‘પઠાણ’ વિશેના વિવાદોમાં દર્શકો વડે થતા ડીકોડિન્ગ્સનાં પરિણામોને જાણી ચૂક્યા છીએ.
જોવા બેસીએ તો હરેક સાઈન-પ્રોડક્ટ જોડે માણસો સમ્મતિ, ચર્ચા કે વિરોધની રીતે જ વર્તે છે. સંકેતવિજ્ઞાનીઓનું મન્તવ્ય છે કે મનુષ્યજાતિ બીજા જીવોની સરખામણીમાં વધારે તો ઍન્કોડિન્ગ-ડીકોડિન્ગના નિયન્ત્રણ હેઠળ જીવે છે, કૉમ્યુનિકેશન્સ સાધે છે.
પણ રોલાં બાર્થ એમાં ઉમેરણ કરે છે કે મનુષ્ય મનુષ્ય વચ્ચે સંભવતાં કૉમ્યુનિકેશન્સ મોટેભાગે અભાનપણે જ થતાં હોય છે. એ કારણે મનુષ્યોને જોડનારી કડીઓને તેમ જ તેમણે ઊભાં કરેલાં અર્થઘટન-માળખાંઓને રોલાં બાર્થ ‘મિથ’ કહે છે. બાર્થ એટલે લગી કહે છે કે મિથ્સ સંસ્કૃતિના પ્રત્યેક સંવિભાગમાં પ્રસરીને જામી હોય છે. આ હકીકત વૈયક્તિક વાતચીતોમાં તેમ જ જાહરખબરો અને સમૂહમાધ્યમોની પ્રોડક્ટ્સમાં પણ સ્થિર થયેલી છે.
સામાન્યપણે, મિથમાં ઇતિહાસ પુરાણગાથા કલ્પના માન્યતા ભ્રાન્ત માન્યતા વગેરે તત્ત્વો રસાયાં હોય છે. પણ બાર્થ અર્વાચીન કે આધુનિક મિથ્સની વાત કરે છે. એમની એ પુસ્તિકા “માયથોલોજીસ”-ની વાત હવે પછી.
= = =
(Jan 21, 2023 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર
સૅમિયોસિસ અથવા સાઇન-પ્રોસેસ. ગુજરાતીમાં, સંજ્ઞાપ્રક્રિયા. એ એક પ્રક્રિયા છે, ક્રિયા છે, ને તેથી સૅમિયોસિસ એક કર્મ છે, વર્તન છે. સંજ્ઞાઓને સાથે રાખીને હું એક એવું કર્મ કરું છું જેમાં સંજ્ઞાઓ અને તેનાં અર્થઘટનોનો મેં સમાસ કર્યો હોય છે; અને એ સઘળું લઈને હું આગળ ચાલું છું. મારી એ પ્રવૃત્તિ સૅમિયોસિસ છે. (લેખમાં હું ‘સંજ્ઞાપ્રક્રિયા’ ને સ્થાને ‘સૅમિયોસિસ’ પ્રયોજીશ).
સંજ્ઞાઓ મને વસ્તુઓ દર્શાવે છે. જેમ કે ખુરશી એક સંજ્ઞા છે. હું એનો અર્થ ઘટાવું છું, ખુરશી મને દેખાય છે, ને હું ખુરશી સુધી પ્હૉંચી જઉં છું. સંજ્ઞા, વસ્તુ (ખુરશી) અને (હું) અર્થઘટનકાર, ત્રણ મળીને જે સંકુલ રચાય છે એને સંકેતવિજ્ઞાનમાં ‘સાઈન રીલેશનલ કૉમ્પલેક્સ’ કહે છે. સંકેતવિજ્ઞાનની એ એક અગત્યની વિભાવના છે.
સૅમિયોસિસ એ સંકુલની ભૂમિકાએ સંભવે છે. સમજીએ :
ખુરશી લાકડાની કે લોખંડની? ગાદીવાળી પોચી કે આરામ આપનારી આરામખુરશી? કે પ્લાસ્ટિકની? એમાંનો એક પણ વિશેષ કે ગુણવિશેષ ‘ખુરશી’ સંજ્ઞામાં પોતામાં નથી. એટલું જ નહીં, એ સંજ્ઞાથી જે કંઈ સૂચવાતું નથી હોતું એ માટે મારે, એટલે કે, અર્થઘટનકારે સર્વસાધારણ સ્વરૂપની વિભાવનાઓમાં જવું જરૂરી બની જાય છે. શાસ્ત્રીય રીતે એમ કહેવાય કે એથી રીલેશનલ ડેટાબેઝની કૉલમ્સમાં જે ડેટા ખૂટતો હોય તેને પામી શકાય છે અને તે માટે પૂર્તિ કરી શકાય છે.
બાકી, જનસામાન્ય અને શિક્ષિતો પણ એમ માનીને ચાલે છે કે સંજ્ઞાએ સરજેલા બધા જ અર્થસમ્બન્ધો સરળ અને અકબંધ છે; પણ હકીકત જુદી છે, સંજ્ઞાઓ માત્ર ચિહ્નો છે. ગુજરાતીમાં તો ‘સંજ્ઞા’ એટલે જ, ચિહ્ન.
મુદ્દાની બીજી વાત એ છે કે સંજ્ઞાની પાછળ તેનો યોજક પોતાના આશયને છુપાવી શકે છે. અર્થઘટનકાર એ સંજ્ઞાવૃત આશયોને પામી શકતો નથી.
પેલાએ કરેલો પ્રયોગ : ‘એ બિલ્લી છે’.
દાખલા તરીકે, કોઈ કહે કે ‘એ બિલ્લી છે’ તો ‘બિલ્લી’ સંજ્ઞા એણે અમુક યુવતી માટે પ્રયોજી છે અને તે યુવતીમાં ચપળતાથી શિકાર કરવાની ક્ષમતા છે એવો એ કહેનારનો આશય હોય, તો તે મને નથી પ્હૉંચતો. એટલું જ નહીં, એના ‘એ બિલ્લી છે’ પ્રયોગથી ‘બિલ્લી’ સંજ્ઞાનો અત્યારલગીમાં મારામાં સંચિત થયેલો અર્થ જાગે છે. મારામાં સંચિત અર્થ આ છે : બિલ્લી એક ક્યુટ અને વ્હાલ કરવું ગમે એવું પ્રાણી છે, એને પાળી-પોષી શકાય છે. એટલું જ નહીં, અમારા બે સિવાયની ત્રીજી વ્યક્તિ પાસે, કદાચ એ જ યુવતી પાસે, એક ત્રીજો અર્થ આ પણ છે : બિલ્લીથી ડરતા રહેવું કેમ કે એ વાઘતણી માસી છે.
અમારા ભાષા-સાહિત્ય ભવનમાં એક પટાવાળો દુબળો-પાતળો અને ઢીલા સ્વભાવનો હતો, કરમાયેલો લાગે, છતાં એનું નામ ગુલાબ હતું. જોગાનુજોગ, અમારી કામવાળીનું નામ પણ ગુલાબ હતું. સાહિત્યકારોમાં ગુલાબદાસ બ્રોકર સૌને જાણીતું નામ. હું જાતે સુમન છતાં નર-નારીના ભેદ વગરનાં એ બધાં ગુલાબની સુગન્ધ લેવાનો માત્ર પ્રયત્ન કરી શકતો. મુમ્બઇ ગયો હોઉં ને કામસર ગુલાબદાસને મળવા ગયો હોઉં, તો ક્હેતા – સુમન, એનું (એમનાં પત્નીનું) નામ પણ સુમન છે ને ઘણી વાર એ મને ગુલાબ કહે છે. સ્વીકારવામાં મને થોડી મૂંઝવણ તો થતી જ ! યાદ કરો, ગુજરાતી વ્યાકરણમાં નામોને ‘સંજ્ઞા’વાચક કહ્યાં જ છે.
આમ, સંજ્ઞા એટલે ઘણું બધું અને સંજ્ઞા એટલે કંઈ નહીં. સંજ્ઞાની પ્રકૃતિ ધૂંધળી છે. સંજ્ઞાઓ વિશ્વસનીય નથી. એને કારણે પ્રજાઓ અને કોમો વચ્ચે વાદવિવાદ મતભેદ દુ:ખો ઝઘડા અને રાષ્ટ્રો વચ્ચે યુદ્ધો થયાં છે. ભારતીય વર્ણવ્યવસ્થામાંથી અસ્પૃશ્યતા જેવું મહા દુ:ખદ દૂષણ જન્મ્યું કે સંસારમાં હિન્દુ-મુસ્લિમ કે નાઝી-જ્યૂ જેવા ઘાતક ભેદ પેદા થયા, એમાં એ સંજ્ઞાઓ અને એ સંજ્ઞાતન્ત્રોનો ફાળો ઓછો ન્હૉતો.
એમ પણ કહેવું જોઈએ કે સંજ્ઞા એટલે સાવચેતીસૂચક લક્ષણ – સિમ્પટમ. મારું મૉં લેવાઈ ગયું હોય ને હું કણસતો હોઉં એ, મને આવેલા કે આવનારા તાવનું લક્ષણ છે. સંજ્ઞાને સાવધાનીસૂચક લક્ષણ ગણીને હું તપાસ, ગવેષણા, ઇન્વેસ્ટિગેશન ચલાવું એ મારી ગતિશીલ પ્રવૃત્તિ કહેવાય અને તે પ્રવૃત્તિ સૅમિયોસિસ છે.
મારા ‘સંરચના અને સંરચન’ પુસ્તકમાં, એક લેખમાં, મેં ‘ઑલ આઉટ ફૉર અમૂલ’ અને બીજી જાહેરાતોની સંરચનાવાદની રીતે ચર્ચા કરી છે. અમદાવાદના નહેરુ બ્રિજના એક છેડેના હોર્ડિન્ગમાં ક્રિકેટરને અમૂલ માટે આઉટ થતો ચીતર્યો હતો અને એ દિવસોમાં શ્હૅરમાં મૅચ પણ રમાતી હતી. અમૂલ કમ્પનીનો આશય તો એટલું જ સૂચવવાનો હતો કે અમૂલબટર પૌષ્ટિક, સ્વાદિષ્ટ અને આકર્ષક છે એટલે તો જુઓ ને, બધા જ ખેલાડીઓ આઉટ થઈ ગયા. મને એ સૂત્રના રચયિતા કલાકારનું નામ યાદ હતું પણ આ ક્ષણે નથી યાદ આવતું.
પણ શ્હૅરમાં રમાઈ રહેલી મૅચના જીવન્ત સંદર્ભ સાથેનું અને શ્હૅરની અતિખ્યાત જગ્યા પરનું એ પેઇન્ટિન્ગ મારા માટે સંજ્ઞાતન્ત્ર હતું ને મને એના અર્થઘટન માટે પ્રેરતું હતું. અને પ્રેરાઈને મેં જે લખ્યું એ ક્રિયા કે મારી એ પ્રવૃત્તિ સૅમિયોસિસ હતી.
હું એવી પ્રવૃત્તિ કેમ કરું છું? કેમ કે ‘ઑલ આઉટ ફૉર અમૂલ’-નું એ વિશાળ હોર્ડિન્ગ કે ચિહ્નરૂપ તેમ જ લક્ષણરૂપ સંજ્ઞાઓ મને જંપવા દેતાં નથી. હું સંજ્ઞાનો સામાના અર્થ જોડે અને મારામાં કે અન્ય કોઈમાં રહેલા સંચિત અર્થ જોડે મેળ પાડતો હોઉં છું.
એમ કરીને હું એક એવો મૅસેજ રચું છું જે મને તો પ્હૉંચ્યો જ હોય છે પણ મને સાંભળનાર સૌને પ્હૉંચવાની ક્ષમતા ધરાવતો હોય છે. જેમ કે, હું કહું કે અમૂલે પોતાનું બટર વધુ ને વધુ વેચાય એવી ધંધાદારી દૃષ્ટિથી એ જાહેરાત બનાવરાવેલી અને તે માટે ‘ક્રિકેટર’ ‘ઑલ’ અને ‘આઉટ’ સંજ્ઞાઓનો ઉપયોગ કરેલો, ચિત્ર અને જાહેરાત જેવાં સંજ્ઞાતન્ત્રોનો ઉપયોગ કરેલો, તો સૌને એ મૅસેજ ગળે ઊતરવાનો. એને કહેવાશે, એક સાર્થક સંક્રમણ – કૉમ્યુનિકેશન.
અને, એવા સાર્થક કૉમ્યુનિકેશન્સથી સૅમિયોસિસ પ્રવૃત્તિનો આકાર બંધાય છે.
પણ કૉમ્યુનિકેશનની સુખ્યાત પદ્ધતિ છે – ડીકોડિન્ગ અને તે પૂર્વે થતું ઍન્કોડિન્ગ.
ઍન્કોડિન્ગ-ડીકોડિન્ગ પણ ડીનોટેશન-કોનોટેશન અને સાઈન રીલેશનલ કૉમ્પ્લેક્સ જેવી સંકેતવિજ્ઞાનની નૉંધપાત્ર વિભાવના છે.
એ વિશે હવે પછી.
= = =
(Jan 20, 2023 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર