‘ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટન’ને ઉપક્રમે ૨૭મી એપ્રિલ, ૨૦૨૪ના શારદા-અંબા મંદિરના ઑડીટોરિયમમાં, તાજેતરમાં પ્રકાશિત થયેલા ‘સ્મૃતિસંપદા’ પુસ્તકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમાં લગભગ ૧૬૫થી વધુ સાહિત્ય-પ્રેમીઓએ એ પુસ્તકના ૧૨ જેટલાં હાજર રહેલાં સર્જકો સાથે સાંજ વીતાવી હતી.
અતિથિ-વિશેષ તરીકે ‘વિદેશીની’ તરીકે જાણીતાં અને માનીતાં કવયિત્રી પન્નાબહેન નાયકના હાથે આ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. વર્ષોથી ‘ગુર્જરી ડાયજેસ્ટ’ નામનું ત્રૈમાસિક અમેરિકામાં પ્રકાશિત કરનાર તંત્રી-પ્રકાશક કિશોરભાઈ દેસાઈએ પણ હાજરી આપી હતી. એમણે ‘ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ’ સાથે જોડાઈને આ ‘સ્મૃતિસંપદા’નું પ્રકાશન કર્યું છે. જેમાં પંદર જેટલાં ગુજરાતીઓએ પોતાની જીવનકથામાં પરદેશની ધરતી પરની એમની વિકાસ કથા લખી છે. સાહસ અને વિકાસ સાથે સંઘર્ષમય અનુભવો સ્વાભાવિક જોડાયેલા હોય. આ અનુભવોમાં વિકસેલા ગુણોના અંકુર ગુજરાતની ભૂમિમાંથી વિસ્તરી દરિયાપાર ફેલાયા છે. જીવનના કોઈપણ ક્ષેત્રે અને કોઈપણ તબક્કે આ અનુભવોનું ભાથું બળપ્રેરક બની રહે તેવું છે. આ પુસ્તકમાં પંદર લેખકોમાંથી છ હ્યુસ્ટનનાં રહેવાસીઓ છે અને કેટલાંક તો આ સાહિત્ય સરિતા સાથે વર્ષોથી જોડાયેલાં છે. જેમાંનાં એક એવાં દેવિકા ધ્રુવે, આ સંસ્થાને ‘હ્યુસ્ટનના આંગણે ઊભેલો ગુજરાતી ભાષાનો તુલસીક્યારો” કહી ગૌરવવંતી ઝલક આપી હતી. હસમુખ દોશી, કિરીટ ભક્તા, ઈ.ના પટેલ જેવા અન્ય ઘણા દાતાઓ આ અવસરમાં આર્થિક સહકાર આપી સહયોગી થયા હતા.
કાર્યક્રમની શરૂઆત સંસ્થાના સચિવ નરેન્દ્ર વેદે કેટલીક જાહેરાત સૂચનાઓ વગેરે આપ્યા પછી, બરાબર સાંજે ચારેક વાગ્યે, જ્યોત્સના વેદની સરસ્વતી વંદનાથી થઈ હતી. તે પછી સંસ્થાના પ્રમુખ નિખિલ મહેતાએ સૌનું સ્વાગત કર્યુ હતું. નૃત્યકાર ઉમા નગરશેઠની દોરવણી હેઠળ સંસ્થાની બહેનો દ્વારા દીવડા-નૃત્યની સુંદર રજૂઆત કરવામાં આવી હતી; જેના શબ્દો હતા : “મેં તો ઉંબર પર દીવડો મેલ્યો કે ઘર મારું ઝળહળતું”.
ત્યાર બાદ બીજા રાજ્યમાંથી આવેલાં આમંત્રિત લેખકોએ અને સ્થાનિક લેખકોએ વકતવ્ય રજૂ કર્યાં હતાં; જેમાં ફ્લોરિડાથી વિશ્વપ્રવાસીની પ્રીતિ શાહ સેનગુપ્તા, વોશિંગ્ટનથી જાણીતા અર્થશાત્રી નટવરભાઈ ગાંધી, નેશવીલથી ‘સ્મૃતિસંપદા’નાં સંપાદક રેખા સિંધલ, કૅલિફોર્નિયાથી સપના વિજાપુરા, લાસવેગાસથી જગદીશ પટેલ, હ્યુસ્ટનના નાસા કેન્દ્રમાં કાર્યરત અવકાશવિજ્ઞાની કમલેશ લુલ્લા, ઑસ્ટીનથી સરયૂ પરીખ, હ્યુસ્ટનાં દેવિકા રાહુલ ધ્રુવ, અરવિંદભાઈ થેકડી તેમ જ મનસુખભાઈ વાઘેલાએ પોતાની કેફિયત ટૂંકમાં રજૂ કરી હતી. અતિથિવિશેષ પન્નાબહેન નાયક અને કિશોર દેસાઈએ પણ સભાજનોને સંબોધ્યાં હતાં.
‘સ્મૃતિસંપદા’ના જે પાંચ લેખકો આવી નહોતા શક્યા તે ઇન્દુબહેન શાહ (હ્યુસ્ટન), જયંત મહેતા (નેશવીલ), બાબુ સુથાર (પેન્સિલવેનિયા) દિનેશ શાહ (ફ્લોરિડા) અને અશોક વિદ્વાંસ (ન્યૂજર્સી) દ્વારા ઈમેલથી મળેલા તેમના સંદેશાઓ, પ્રમુખ નિખિલભાઈએ વાંચી સંભળાવ્યા હતા.
હાજર રહેલાં આમંત્રિત મહેમાનોને ‘ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટન’ તરફથી સન્માન-પત્ર અને સંસ્થાના logo સાથેની વિવિધ ભેટોનો સંપુટ, સરસ મજાના વિવિધ વૈચારિક અને મનનીય સૂત્રો જેવાં કે ‘A book is a dream you hold in your hand’ સાથે આપ્યો. તે ઉપરાંત દરેક ભાગ લેનાર, સંસ્થાના સેવાભાવી કાર્યકર્તા અને દાતાને પણ ભેટોનો સંપુટ આપ્યો હતો જે સૌએ પ્રેમથી વધાવ્યો હતો.
સાંજે સાડા છ વાગ્યે, ગુજરાત અને ગુજરાતીઓને અનુલક્ષીને એક સુંદર, મજેદાર ‘શેરાક્ષરી’ની રજૂઆત કરવામાં આવી જેને પ્રેક્ષકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી. તે પછી રિદ્ધિ દેસાઈએ આભારવિધિ કર્યા બાદ આ સાહિત્યિક સંધ્યાની પૂર્ણાહૂતિ થઈ.
છેલ્લે સ્વાદિષ્ટ ભોજનને ન્યાય આપી, તૃપ્તિના ઓડકાર સાથે સૌ વિદાય થયા. તે સમયે ઘણી વ્યક્તિઓના હાથમાં ‘સ્મૃતિસંપદા’ પુસ્તકને જોઈ આનંદ રેલાયો.
તસ્વીર સૌજન્ય : જયંત પટેલ