ગુજરાતના પાંસઠમા જન્મ પર્વને અનુલક્ષીને બે શબ્દો લખવા વિચારું છું ત્યારે ચિત્ત 1960ના મે દિવસની પૂર્વરાત્રિએ અમદાવાદના ટાઉન હૉલમાં પહોંચી જતું અનુભવું છું.
ગુજરાત રાજ્યની રચનાને વધાવતું કવિ સંમેલન છે, અને ઉમાશંકર જોશી પઠન કરી રહ્યા છે : ‘ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત?’ વળી સવારે, રવિશંકર મહારાજ ગુજરાત રાજ્યનું મંગળાચરણ કરે તેનીયે પૂર્વે, આકાશવાણી (અમદાવાદ) પરથી કવિને કંઠે વળી એક વાર આ જ રચનાનું પઠન સાંભળવાનું બન્યું હતું.
આ લખતી વેળાએ ‘સમગ્ર કવિતા’માંથી પસાર થતાં જોઉં છું કે ગુજરાત વિધિવત રચાવાનું હતું તેના બે’ક દિવસ પહેલાં, 29મી એપ્રિલે, તે નિમિત્તે ચાર રચનાઓનું ગુચ્છ ઊતરી આવ્યું હતું. કવિએ ‘ગાંધીને પગલે પગલે’ સહિતની આ ચારે રચનાઓને આપેલું ગુચ્છનામ પણ ગુજરાત વિશેના એમના હૃદયભાવને સુરેખ ઉપસાવી આપે છે : ‘ગુજરાત-સ્તવનો.’
હમણાં મેં એમનો હૃદયભાવ સુરેખ ઊપસી રહે છે એવી જે જિકર કરી તેમાં એક સાભિપ્રાયતા હતી અને છે – ખાસ કરીને ‘સુરેખ’ એ પ્રયોગ પૂંઠે. આપણા એકના એક ગોમાત્રિ(‘સરસ્વતીચંદ્રકાર’ ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી)ને જેવો ને જેટલો ગમતો પ્રયોગ ‘રમણીય’ હતો, ઉમાશંકરને કદાચ એવો ને એટલો ગમતો પ્રયોગ ‘સુરેખ’ હતો.
તમે જુઓ, ગાંધીને પગલે પગલે ચાલવું તે શું, આપણા કવિએ સુરેખ વ્યાખ્યાયિત કર્યું છે : ‘સત્ય-અહિંસાની આંખે તું ભાળીશ ને ગુજરાત?’ આગળ ચાલતાં વળી ઉમેર્યું છે : ‘બિરૂદ ‘વિવેકબૃહસ્પતિ’નું જે, પાળીશ ને ગુજરાત?’
આ ગુચ્છમાં ચોથી રચના ‘ધન્ય ભૂમિ ગુજરાત’ છે. ઉમાશંકરે ‘સંસ્કૃતિ’ની એમની નોંધમાં સાભિપ્રાય સંભાર્યું છે કે પહેલી મે 1960ની સવારે આકાશવાણી પર ‘ગાંધીને પગલે પગલે’નું પઠન કર્યું હતું જ્યારે ‘ધન્ય ભૂમિ ગુજરાત’ સ્તોત્ર રૂપે રમતું કર્યું હતું.
આ સ્તોત્રમાં ગાંધી સાથે અંતરે અંતરે સંભારાતું ધન્ય નામ કૃષ્ણનું છે. ગાંધીને સંભાર્યા છે ગુજરાતીને ‘ગાંધીગિરા’ કહીને, અને કૃષ્ણને વળી ગુજરાત વિશે ‘કૃષ્ણ-ચરણરજ-પુનિત ધરા’ એ ઉલ્લેખવિશેષ કરીને. વ્યક્તિનામો, વિસ્તારનામો, નદીનામો, ધર્મનામો બધાની યાદી ધ્રોપટ ચાલી આવે છે. પણ વળી વળીને ‘ધન્ય ભૂમિ ગુજરાત’ એ સ્તોત્ર ઠરે તો છે કૃષ્ણ ગિરા ગુજરાતી / કૃષ્ણ-ચરણરજ-પુનિત ધરા આ ગાંધીગિરા ગુજરાતી.’ (ઉમાશંકરે એમની રચનામાં ‘ગાંધીગિરા’ એ પ્રયોગ 1960ની રાજ્યરચના વખતે જ પહેલી વાર કર્યો છે એવું નથી.
હમણેનાં વરસોમાં માતૃભાષા દિવસ મનાવવાનો ચાલ શરૂ થયો છે ત્યારથી દર 21મી ફેબ્રુઆરીએ એમની જે રચના સંભારાય છે એનું તો શીર્ષક જ ‘ગાંધીગિરા’ એવું છે. 1955ના માર્ચમાં એમણે એનો ઉપાડ આમ કર્યો હતો : ‘સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી / મળી માતૃભષા મને ગુજરાતી.’ અને રચનાના અંતભાગે છે : ‘ધ્રુવા સત્ય-સાથી અહિંસા-સુહાતી / નમો ધન્ય ગાંધીગિરા ગુજરાતી.’ નોંધ્યું તમે? ‘પગલે પગલે’માં ‘સત્ય-અહિંસાની આંખે’ એવો પ્રયોગ હતો અહીં પણ ‘સત્ય-સાથી અહિંસા-સુહાતી’ આવી મળે છે.
ચાર ગુજરાત-સ્તવનો પૈકી બેની વાત મેં કરી. બીજાં બે પણ સાથે સાથે સંભારી જ લઉં. મે 1960 કરતાં મે 2024માં એમનું મહત્ત્વ પણ કંઈક અધિક છે. દેશને નામે, ભાષાને નામે, ધર્મકોમને નામે સાંકડી સામસામી ઓળખોનું જે રાજકારણ ચાલ્યું છે એની વચ્ચે એકવીસમી સદીના પહેલા ચરણના ઉંબર મહિનાઓમાં આ બે રચનાઓનો સંદેશ કદાચ વિપળ વાર પણ વહેલો નથી.
‘એ તે કેવો ગુજરાતી’ – રચનાની ઉપાડપંક્તિ પણ આ જ છે: ‘એ તે કેવો ગુજરાતી’ અને વાંસોવાંસ દેખીતો પ્રશ્નરૂપ પણ ખરેખર ઉત્તર આવી મળે છે : ‘જે હો કેવળ ગુજરાતી?’ આગળ ચાલતાં વળી કવિ કહે છે : ‘તે નહિ નહીં જ ગુજરાતી, જે હો કેવળ ગુજરાતી.’
‘એ તે કેવો ગુજરાતી -’ જોડે જ જતી રચના ‘હું ગુર્જર ભારતવાસી’ છે. આ અલબત્ત ‘ધન્ય ધરા’ છે, કેમ કે ‘કૃષ્ણ વસ્યા જ્યાં’ અને વળી ‘ગીતામૃત પી ગાંધી હસ્યા હ્યાં.’ પણ કવિની ગુર્જર ભારતવાસીની વ્યાખ્યા અને ‘ગાંધીને પગલે પગલે’ની સમજ ડોંગરેના બાલામૃત જેવા કોઈ ગીતામૃતમાં ગંઠાયેલી નથી.
‘હું ગુર્જર ભારતવાસી / ઝંખો પલ પલ સહુ જનમંગલ મન મારું ઉલ્લાસી / હું…’થી ઊઘડતી આ રચના વિરમે છે (કદાચ ત્યાંથી જ શરૂ થાય છે) તો આ પંક્તિઓમાં : ‘સદાજાગરૂક જગતનાગરિક સાગરતીર્થ નિવાસી હું ગુર્જર ભારતવાસી.’
કવિએ ગુજરાતનું અલગ એકમ અસ્તિત્વમાં આવ્યું એના ઉંબર દિવસોમાં, 1960ના એપ્રિલની 29મીએ એકસાથે ચાર રચનાઓનું જે ગુચ્છ ‘ગુજરાત-સ્તવનો’ના આદિમથાળે ભર્યાઁ નારિયેળ પેઠે રમતું મેલ્યું એમાં વીસમી સદીએ રાષ્ટ્રવાદની યુરોપીય ભેટ અને એશિયાએ કરેલ એની વરવી નકલનાં માઠાં પરિણામો બાબતે ચિંતા, ચિંતન (પ્રકારાન્તરે ચેતવણી પણ) વિલક્ષણ રીતે પ્રગટ થવા કરે છે. પ્રાદેશિક એકમનો સહજ સ્વીકાર ને સહજ આનંદ, એ જ તબક્કે નહીં ગંઠાતાં, નહીં રૂંધાતાં ‘ભારતવાસી’ની ઓળખે પહોંચી, ત્યાં પણ નહીં અટકતાં ‘જગતનાગરિક’ રૂપે વિલસવા કરે છે.
કવિનો જે ગુજરાતી છે તે કદાચ એટલે માટે જ ગુજરાતી છે કે તે કેવળ ગુજરાતી નથી. રાષ્ટ્રવાદનાં ભયસ્થાનો વિશે ચિંતા સેવતા વિશ્વકવિ રવીન્દ્રનાથ અને વિશ્વહિતને અવિરોધી રાષ્ટ્રભાવનાપૂર્વક સાબર તટે આશ્રમ માંડતાં ગાંધી, એ બેને જે વિશ્વબંગાળી, વિશ્વગુજરાતી ગુર્જર ભારતવાસી જગતનાગિરક અભીષ્ટ છે એનું આરતભર્યું ગાન કહો તો ગાન, કવન કહો તો કવન લઈને ઉમાશંકર ગિરા ગુજરાતીના દરબારમાં ઉપસ્થિત થયા હતા … એ 30 એપ્રિલ 1960ની રાત, એ 1 મે 1960નું પ્રભાત!
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 01 મે 2024