હમણાં ભાવનગરમાં દર્શક એવૉર્ડ સમારોહમાં સહભાગી થવાનું બન્યું ત્યારે આપણા અનુત્તમ વિદ્યાવ્યાસંગી લાભુદાદા (લાભશંકર પુરોહિત) સાથેના અનૌપચારિક વાર્તાવિનોદમાં એક મજાનો મુદ્દો સામે આવ્યો. એમણે વર્ષો પર ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ વિશે ત્રણ વ્યાખ્યાનો લોકભારતીમાં દર્શકની ઉપસ્થિતિમાં આપેલાં અને આ નવલકથા પોતાની દૃષ્ટિએ શી વાતે ક્લાસિક છે તે સ્ફુટ કરવાની કોશિશ કીધી હતી. આ વ્યાખ્યાનો એમની પાસે ટાંચણરૂપે સચવાયાં હશે, પણ લખાયાં નથી. અનુકૂળતાએ તે ગુજરાતવગાં બને તો એ સૌ સહૃદયો સારુ રૂડી લબ્ધિ લેખાશે.
પણ હમણાં તો મેં એની જિકર કરી તે લાભુદાદાના એક વિશેષ અવલોકનને મિશે, કે ત્રણ ભાગના લખાવા વચ્ચે જે લાંબો સમયગાળો વીત્યો છે એનોયે સંદર્ભ સમજવો જોઈશે. આ યુગસંદર્ભ કહો, કાળસંદર્ભ કહો તે ચોક્કસ જ મહત્ત્વની બીના
છે. ‘સંસ્કૃતિ’ વિધિવત્ સંકેલવાનું બન્યું ત્યારે ઉમાશંકરે કહ્યું જ હતું ને કે આ સામયિક શરૂ કરેલું તે સમય સાથે ગાઢ અનુસંધાનપૂર્વક જીવવા વાસ્તે.
ગમે તેમ પણ, શિશુવિહાર પરિસરમાં હતા અને જેમ લાભુદાદાના તેમ એનાયે પોંખણાનો અવસર હતો એટલે શિશુવિહારના સ્થાપક માનદાદા(માનભાઈ ભટ્ટ)નુંયે સ્મરણ થવું સ્વાભાવિક હતું. ભાવનગર રાજ્યની વિધિવત્ સોંપણી ભારત સરકારને થઈ ત્યારે સમારોહની વ્યવસ્થા ગોદી કામદારોના આનંદ મંગળ મંડળે સંભાળી હતી. વ્યવસ્થાથી પ્રસન્ન થયેલા રાજવી કૃષ્ણકુમારસિંહજીએ ‘આનંદ મંગળ’ના મિત્રોને પૂછ્યું કે ‘છોકરાઓ, શું કરો છો?’ ગોદી કામદારોના નેતા માનભાઈએ એ મતલબનું કહ્યું કે આપ જે નથી કરતા તે. પછી ફોડ પાડ્યો કે આ બાળકો પાસે રમતગમતનાં સાધનો, ધોરણસરનું ને વિશાળ ક્રીડાંગણ, કશું નથી. એને પગલે જે હુકમ થયો તે શિશુવિહાર અને વ્યાયામપ્રવૃત્તિ સારુ જમીનની ફાળવણીનો.
આ વાત જાણવાની થઈ ત્યારે જોડાજોડ ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ માંહેલો જમીનફાળવણીનો કિસ્સોયે સાંભરતો હતો. દેખીતી સાવ નકામા જેવી જમીન ગોપાળબાપાએ સયાજીરાવ ગાયકવાડ પાસે માગી લીધી. ગાયકવાડે આપી તો ખરી – પણ સ્વભાવે પ્રજાની ભાળ રાખનાર જીવ તે પૂછ્યા વિના ન રહી શક્યા કે અહીં રાની પશુ હશે, એનો ભો નથી લાગતો? બાપાએ રાજાને કહ્યું કે આ ‘તમારી પડખેના દીપડા’ ન રંજાડે તો બસ.
આપણા સમયમાં તો રાજદ્રોહના ખાનામાં પડી તેને શોભીતી કારવાઈપાત્ર ઠરાવે એવા આ ઉદ્ગારો હતા. કેમ જાણે કોઈ પિયુસિએલ ઍક્ટિવિસ્ટ ન હોય! વસ્તુતઃ માનશંકર ભટ્ટ, ઉમાશંકર જોશી, મનુભાઈ પંચોળી, એવી એકબે પેઢી ગાંધીયુગમાં આવી ગઈ જેણે માર્ક્ સને ગાંધીસાત્ અગર ગાંધીને માર્ક્ સસાત્ કરીને પોતપોતાનાં જીવન જીવી જાણ્યાં. એમનો જે મિજાજ, અક્ષરજીવન અને જાહેરજીવનની સંમિલનભૂમિએ, એ વ્યક્ત કરવા સારુ તો અજ્ઞેયની લેખિની જોઈએ :
હમ ન પિઠ્ઠૂ હૈં ન પક્ષધર હૈં
હમ હમ હૈં ઔર હમેં
સફાઈ ચાહિએ સાફ હવા ચાહિએ
ઔર આત્મ-સન્માન ચાહિએ જિસકી
લીક
હમ ડાલ રહે હૈં :
હમારી જમીન સે હટ જાઓ.
તો, સમય, એ સમયનો મિજાજ ને (ભાવ) ભૂમિ, બહુ સમર્પકપણે ગોવર્ધનરામે પરિષદના સ્થાપના અધિવેશનમાં મૂકી આપ્યાં છે. 1905નું વરસ છે; દેશમાં બંગભંગગત પ્રક્ષોભ ને જાગૃતિનો માહોલ છે; પણે દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહી અરુણોદય આગમચ કશોક સ્ફૂર્તિસંચાર છે; આઇન્સ્ટાઇનના સાપેક્ષવાદનો કંઈક પૂર્વસંચાર પણ છે; અને ગોમાત્રિ અધ્યક્ષીય ઉદ્બોધનમાં પરિષદના ઉપક્રમની ભૂમિકાએ વાત માંડે છે :
“બન્ધુજનો, આ યુગ, રાજકીય, સાંસારિક અને અન્ય વિષયના સમાજોનો છે. કોઈ સ્થાને કૉંગ્રેસો તો કોઈ સ્થાને કૉન્ફરન્સો, કોઈ સ્થાને ક્લબ નામે તો કોઈ સ્થાને ઍસોસિયેશન નામે, સમાજો આ તેમ અન્ય દેશોમાં ભરાય છે. જ્યાં સર્વ પાસ આવા સતારના રણકારા સંભળાય છે, ત્યાં આપણા એકતારાનો ધ્વનિ પણ તેમાં ભળે અને સામાજિક પ્રવૃત્તિના લક્ષમાં કાંઈક વૃદ્ધિ કરે તો તે ચિત્ર દેખીતું સુન્દર જ છે. જ્યાં ચારે પાસ ગાનતાન મચી રહેતું હોય એવા પ્રદેશમાં ઊભું રહેલું પ્રાણી ગાનાદિકમાં કુશળ નહીં હોય તો બોલ્યા વિના તેના હૃદયમાં ગાન ઉતારવા માંડશે, તેના હાથપગ તેની પ્રેરણા વિના તાલ આપતા હોય તેમ નૃત્ય કરશે, અને પ્રસિદ્ધપણે વર્તતા ગાનમાં અપ્રસિદ્ધપણે આ હૃદય અને શરીર લય પામશે. આવી જાતના લયનું કારણ આ સૃષ્ટિનો જડ-ચેતન-વ્યાપી એક નિયમ છે અને તે નિયમનું નામ Rhythmic Law – તાલબન્ધ અથવા અનુપ્રાસયોજના આપીએ તો સમજાય એવું છે. આપણી સાહિત્ય પરિષદ, આખા આર્યાવર્તના એક સમાજપ્રવર્તક નૃત્યમાં આવા તાલબન્ધ નિયમના બળથી ઊભી છે.”
આ તો પરચક્ર તળે ‘સ્વ’ની ખોજમથામણના ઉદ્ગારો હતા. હવે તો સ્વચક્રના સમયમાં છીએ ત્યારે એક સમાજપ્રવર્તક નૃત્ય વચાળે આપણે ટટ્ટાર મેરુદંડ સોતા કેળવવો ઘટતો વિવેક શો છે એનો એક સોજ્જો સંકેત ચુંવાળીસમા પ્રમુખ નારાયણ દેસાઈના અધ્યક્ષીય અભિભાષણમાંથી મળી રહે છે :
“… શાસન આપણને આર્થિક મદદ આપતું હોય, માન-મરતબા કે પુરસ્કારો આપતું હોય તો એની ગરજે આપે. તેથી આપણે આપણી સ્વતંત્રતા ગીરવી મૂકી ન શકીએ. શાસનની દેખીતી ભૂલો કે ઇરાદાપૂર્વક શાસને ભરેલાં ખોટાં પગલાં અંગે આંખ આડા કાન કરવા, ચૂપ થઈને બેઠાં રહેવું કે એ પોતાનો વિષય નથી એમ માનીને મૌન જાળવવું એ બધું ઓશિયાળાપણામાં આવી જાય. ઓશિયાળી વ્યક્તિ પોતે તો પોતાનું સમ્માન ગુમાવે જ છે પણ જેની તે ઓશિયાળી બને છે તેને પણ નૈતિક રીતે નીચી લાવે છે …”
આ બધું કહેતી વખતે એમના મનમાં પ્રત્યક્ષ વિગત શું હશે એનું અનુમાન આપણે પક્ષે અશક્ય નથી. પણ એક લોકાયની અક્ષરસેવીને સહજ એમણે જ તે વાત ખોલી આપી અને બોલી બતાવી છે :
“… એક દાખલો લઈએ. સાહિત્ય, કળા કે સંસ્કૃતિને લગતી સંસ્થાઓમાં તે તે વિષયના કળાકારો જ ચૂંટાઈને જાય એ સર્વથા ઈષ્ટ છે. આપણે ત્યાં એને સારુ ઉમાશંકર અને દર્શક જેવાઓએ જહેમત પણ ઉઠાવી છે. જો કોઈ પણ શાસન આમ પ્રતિનિધિઓની સંસ્થાને પોતાના નીમેલા પ્રતિનિધિઓથી જ ભરવા માગે અથવા બીજી રીતે દખલગીરી કરે અને એ અંગે આ સંસ્થાઓ સાથે સંકળાયેલા પ્રતિનિધિઓ ચૂપ બેઠા રહે તો એને ઓશિયાળાપણું કે લાચારી કહેવાય. આવી લાચારીને ફગાવી દેતાં આપણે શીખીશું તો જ ગુજરાતી સાહિત્યકારનું ખમીર પ્રગટશે …”
દેખીતી રીતે જ, ગુજરાત સાહિત્ય અકાદમી પ્રકરણ પરત્વે એક લોકાયની સાહિત્યકારનો આ એક ખરી દૂંટીનો ઉદ્ગાર હતો. જ્યાં સુધી સમયસંદર્ભનો સવાલ છે, ભાવનગરના જ એક ઉલ્લેખથી અટકવા ઇચ્છું છું. 1984નું વરસ હતું. જ્યોર્જ ઓરવેલની કીર્તિદા કૃતિ ‘1984’ વિશે મારે ભાવનગરના એક્સેલ સ્ટડી સર્કલમાં વાત કરવી એવું તેડું લઈ જયન્ત મેઘાણીના સૂચનથી નાનાભાઈ ભટ્ટના પુત્ર પ્રશાન્તભાઈ મને મળવા આવ્યા અને મેં પણ હા પાડી – ભાવનગર જવાનું ને વળી ઓરવેલ વિશે બોલવાનું! સર્વસત્તાવાદી બળોના વિશ્વઉપાડાની ચર્ચા ઓરવેલે ‘1984’માં કરી છે અને એમાં ‘બિગ બ્રધર’ બધું જ જુએ છે એ તરજ પર મેં વાર્તાસાર આપી ઘટતાં ટીકાટિપ્પણ સાથે મારું વક્તવ્ય સમેટ્યું. સભાના અધ્યક્ષસ્થાને મૂળશંકર મો. ભટ્ટ હતા. સરસ સમાપનવચનો ઉચ્ચાર્યાં એમણે કે પ્રકાશભાઈએ ઓરવેલનો જે સાર આપ્યો એનો અર્થ એટલો જ કે જો સમાજમાં ‘નાનાભાઈ’ઓ નહીં પાકે તો મોટાભાઈઓ ચઢી વાગશે!
આખા આર્યાવર્તના એક સમાજપ્રવર્તક નૃત્યના તાલબંધને અનુલક્ષીને આ ક્ષણે આટલું જ.
મે 4, 2023
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પ્રમુખીય’, “પરબ”, મે 2023