ઓહ, બાંસવાડા, આહ બાંસવાડા
હાલની સરકારે જ 2022માં એક રૂડી પહેલ કરીને રાજ્યસભામાં ‘હેટ સ્પીચ’ (કોમ્બાટ, પ્રિવેન્શન એન્ડ પનિશમેન્ટ) બિલ રજૂ કરેલું છે જેમાં ધિક્કાર ફેલાવવા સબબ ત્રણ વર્ષ સુધીની સજાનીયે જોગવાઈ છે. જો કે ભારતીય દંડ સંહિતામાં પણ પૂરતી જોગવાઈ છે જ.
બુધવારે બપોરે આ લખી રહ્યો છું ત્યારે નવી દિલ્હીમાં ચૂંટણીપંચની ડેલીએથી સમાચારપટ્ટી ઊતરતી જોઉં છું કે પંચ વડા પ્રધાન મોદીના બાંસવાડા ભાષણનો અભ્યાસ કરી રહ્યું છે. સ્મરણ રહે કે બાંસવાડા ભાષણ એ રવિવારની વાત છે. ભાષણની વાંસોવાંસ એનો વીડિયો ફરતો થયો છે, અને એમાં ચહેરાની ભંગિમાઓ ને અવાજના ચઢાવઉતાર સાથે જે બોલાયું છે એને બહારની કોઈ સાહેદીની જરૂર પડે એવું નથી. ચૂંટણી પંચના પ્રવક્તાએ સોમવારે બાંસવાડા ભાષણ વિશે કોઈ ટીકાટિપ્પણી કરવાની ધરાર ના પાડી હતી. હવે બુધવારે પંચ એનો વિધિવત્ ફરિયાદ પછી અભ્યાસ હાથ ધરી રહેલ છે. ચાલુ ચૂંટણી સરખા તત્કાળ તકાજા ટાણામાં અને એમાં ય તે આજના બહુ દાંડી પીટેલ ડિજિટલ જમાનામાં – પંચ વળતી મિનિટે સ્વમેળે (સુઓ મોટો) દરમિયાન થઈ શકે છે.
ભાષણના શબ્દો સંભારું તે પહેલાં હાલની કેન્દ્ર સરકારને ખુદને યાદ આપું કે તમે જ 2022માં એક આવકાર્ય પહેલ કરી હતી તે મુજબ ‘હેટ સ્પીચ’ (કોમ્બાટ, પ્રિવેન્શન એન્ડ પનિશમેન્ટ) બિલ રાજ્યસભામાં પડેલું છે. એને અન્વયે ધિક્કાર ને તિરસ્કાર ફેલાવતાં ભાષણ સબબ ત્રણ વરસ સુધીની સજાનીયે જોગવાઈ છે. જો કે, સૂચિત બિલ તો વધારાની ભાવિ જોગવાઈ હોય તો હોય, પણ ભારતીય દંડ સંહિતામાંયે પૂરતી જોગવાઈ છે.
વડા પ્રધાને આવું ભાષણ કેમ કર્યું હશે એનો એક ખુલાસો કદાચ એ બીનામાં પડેલો છે કે 19મી એપ્રિલે પહેલા મતદાનના દોરમાં 2019 કરતાં ઓછું મતદાન થયું તે સાથે ભા.જ.પ. શ્રેષ્ઠીઓને ધાર્યા પરિણામ બાબતે કદાચ ધ્રાસકો પડ્યો છે. અસહાયતા અને તાકીદના દબાણમાં પ્રચારને ધ્રુવીકૃત કોમી મરોડ આપવાની ગણતરી હોઈ શકે. એથી ઊલટું, ઓછા મતદાન વિશે વળતી સમજૂતી એવી પણ હોઈ શકે કે પરિણામની એકતરફી તાસીર એટલી સાફ છે કે 2014 અગર 2019ની જેમ શાસક પક્ષના ટેકેદારોને કચકચાવીને બહાર પડવાની ચાનક ચડી નથી. ઓછા મતદાન બાબતે સત્તાપક્ષ અને વિપક્ષનાં પોતપોતાનાં આકલન જે હોય તે, પણ વડા પ્રધાને જો કોમી મરોડની ગણતરીએ બાંસવાડાની પીચ પર રમવું પસંદ કર્યું હોય તો તેમાં આચારસંહિતાનો સ્પષ્ટ ભંગ છે તે છે જ.
એમણે એમ કહ્યું કે, આ અર્બન નક્સલો (કાઁગ્રેસ) વારસાગત સંપત્તિ લઈ તે વહેંચી મારશે. કોને વહેંચી મારશે એનો પણ એમણે ફોડ પાડ્યો – મુસ્લિમોને. પછી વિશેષ ખુલાસો કર્યો, જેઓ વધારે છોકરાં પેદા કરે છે, જે ઘુસપેઠિયા છે. એક ધર્મકોમને આમ નિશાન બનાવાય તે અલબત્ત આચારસંહિતા તો શું, સામાન્ય વિવેકનોયે ભંગ છે.
પોતાનાં વિધાનોના સમર્થનમાં એમણે પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહના ઉદ્દગારો પણ ટાંક્યા કે મુસ્લિમોને પહેલો હક્ક છે. ભાઈ, ઑલ્ટ ન્યુઝે અને બીજાઓએ મનમોહનસિંહનું એ વક્તવ્ય તરત સુલભ કર્યું છે અને મનમોહનસિંહના ત્યારના પ્રેસ સલાહકાર સંજય બારુએ પણ જરૂરી વિગતો આપી છે. એ જોતાં સમજાય છે કે વિકાસની પ્રક્રિયામાં જેઓ પાછળ હોય એમને તકની અગ્રતા આપવી રહે છે – પછી તો આદિવાસીઓ હોય, અનુસૂચિત સમુદાય હોય કે લઘુમતી. શાંતિથી ને સમગ્રતામાં વિચારીએ તો સબ કા સાથ, સબ કા વિકાસનું જે સત્તાવાર સૂત્ર છે એને વ્યવહારમાં મૂકવાની રીતનું એક ઇંગિત મનમોહનસિંહે અને કાઁગ્રેસ ઢંઢેરાએ આપ્યું છે, એટલું જ.
કાઁગ્રેસ ને સી.પી.એમ. જેવા પક્ષો ઉપરાંત હજારો નાગરિકોએ પંચને લખ્યું તે ‘સુચિહ્ન’ છે. નિવૃત્ત સનદી અધિકારીઓએ પણ ચૂંટણીપંચને તાકીદ કરી. બાંસવાડા ભાષણની વાંસોવાંસ જે કારવાઈ અપેક્ષિત હતી તે ત્રણ દિવસને અંતરે પણ હાથ ધરાઇ છે ત્યારે મતદાર ઇચ્છે છે કે એને દેશમાં ચૂંટણીપંચની વાસ્તવિક કાર્યસાધક હાજરીનો સુખાનુભાવ થાય. પહેલો દોર પત્યો છે, 26મીએ બીજો દોર હશે. મેના ચોથા અઠવાડિયામાં આ સિલસિલો પૂરો થશે. હવેનાં અઠવાડિયાં માટે નાગરિક પંચ પાસે હૂંફ, હામ ને હૈયાધારણ ઇચ્છે છે.
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 24 ઍપ્રિલ 2024