![](https://opinionmagazine.co.uk/wp-content/uploads/2021/09/Prakash_N_Shah-16-224x300.jpg)
પ્રકાશ ન. શાહ
વાત આમ તો અનિરુધ્ધા અરુંધતી વિશે ને મિશે કરવાનો ખયાલ છે. અરુંધતી રોય 1997માં ‘ધ ગોડ ઓફ સ્મોલ થિંગ્ઝ’ લઈને આવ્યાં અને આ નવલકથાને બુકર પારિતોષિક સાથે વિશ્વપોંખાયાં. એ ગાળામાં એમને વિશે રમણલાલ જોશીના ‘ઉદ્દેશ’માં મનુભાઈ રાવળે જે લેખ લખ્યો એના શીર્ષકમાં એમણે અરુંધતીને અનિરુધ્ધા કહી હતી.
આ મનુભાઈ પણ હતા તો મળવા જેવા માણસ. એક કાળના કાઁગ્રેસપ્રમુખ ઢેબરભાઈના મંત્રી, અને પછીથી તો એમના ચરિત્રકાર પણ. એમને અરુંધતીમાં રસ પડવો તે એક સાથે એમની અને અરુંધતી બંનેની વિશેષતા સૂચવે છે.
પણ તેજછાયામાં અહીંતહીં ઝાઝો ફંટાઉં તે પહેલાં અરુંધતી પ્રકરણમાં આવી જાઉં. અરુંધતી રોય હમણાં એકદમ ચિત્રમાં આવ્યાં તે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ (એમના નામ પર તો વારી વારી જાઉં) તેર-ચૌદ વરસ પરનો કેસ સહસા ઉખેળ્યો એ કારણે, પણ બહુ ઝડપથી આખી ચર્ચાને એક નવો વળાંક મલે એવા સંજોગો પણ આવી મળ્યા : અરુંધતી રોયને ચાલુ વરસનું હેરોલ્ડ પિન્ટર સન્માન અપાયાની જાહેરાત થઈ. વિશ્વઘટના પર મટકુંયે માર્યા વિના નજર રાખનાર તરીકે એમણે અરુંધતીને જોયાં છે. હર કોઈ સત્તા-પ્રતિષ્ઠાનના એકે નાઝનખરા આ લેખિકા નથી ચૂકતાં એ તો સાચું સ્તો! 2019માં એમનો બેબાક લેખસંચય આવ્યો, એનું શીર્ષક હતું ‘માઈ સિડિશસ હાર્ટ’ (‘મારું રાજદ્રોહી હૈયું’).
અહીં નાટ્યકાર પિન્ટરનીયે એક, ખરી દૂંટીની વાત સંભારી લઉં. પિન્ટરને 2005નું નોબેલ પારિતોષિક મળ્યું ત્યારે એમણે જે સ્વીકાર અભિભાષણ કર્યું (મારી પાસેથી એની નકલ વાંચવા લઈ ગયા પછી પાછી આપતાં બકુલ ત્રિપાઠીએ કહ્યું હતું કે આ ભાષણના વાંચને અને એથી હું વલોવાયો એણે મને આગામી પરિષદ પ્રમુખના ભાષણની તૈયારીમાં બે દિવસ પાછળ પાડી દીધો છે.), એમાં પિન્ટરે ઊઘડતાં જ પોતાનાં 1958નાં વચનો સંભાર્યાં હતાં કે કોઈ બાબત અનિવાર્યપણે સાચી કે જૂઠી નથી, એ સાચી અને જૂઠી બંને હોઈ શકે. પછી, 2005ના ભાષણમાં એમણે ઉમેર્યું હતું : ‘આજેય સાહિત્યકાર લેખે હું એને વળગી રહું છું, પણ નાગરિક તરીકે નહીં. નાગરિક તરીકે મારે પૂછવું પડે : સાચું શું? જૂઠું શું.’ અરુંધતીનું કાળજું રાજદ્રોહી છે તે આ અર્થમાં, નાગરિક અર્થમાં.
![](https://opinionmagazine.co.uk/wp-content/uploads/2021/09/arundhatiroy-300x169.jpg)
અરુંધતી રોય
અરુંધતી વિશે ને મિશે મન ખાસાં મંથન-મનોરથમાંથી પસાર થતું હશે ને સ્ટેન સ્વામીનો સ્મૃતિ દિવસ આવ્યો, પાંચમી જુલાઈએ એ બરાબર આજથી ત્રણ વરસ પર ગયા. 2018ના કુખ્યાત ભીમા કોરેગાંવ કેસના સંદર્ભમાં 2020માં એમને પકડવામાં આવ્યા હતા. સ્ટેન સ્વામીનું મોટું કામ આદિવાસી સમુદાયને બંધારણના પાંચમા શિડ્યુલ મુજબની સઘળી સોઈ મળે એ માટેની લડતનું હતું. બિરસા મુંડાને પશ્ચાદવર્તી ધોરણે અંગીકારતા સત્તા-પ્રતિષ્ઠાનને નજર સામેનો આદિવાસી હામી સોરવાય શાનો? ભીમા કોરેગાંવ કેસ જે ફળદ્રુપ ભેજાએ ઊપજાવી કાઢ્યો એમાં પકડાયેલા 16 કર્મશીલ બૌદ્ધિકો દેશના મોટા હાકેમની સૂચિત હત્યામાં દેશદ્રોહી-રાજદ્રોહી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હતા. એમને આતંક વિરોધી યુ.એ.પી.એ. અંતર્ગત પકડવામાં આવ્યા હતા. આ કાયદા અંતર્ગત જામીન મળવા અસંભવવત્ છે. પાર્કિન્સન પીડિત સ્ટેન સ્વામીને હાથમાં પવાલું ઝાલવાનીયે શક્તિ ન હોઈ સિપર સ્ટ્રો સારુયે જેલમાં લાંબી લડત આપવી પડી હતી. તબિયત ખાસી કથળેલી, પણ સારવાર સારુ બેલ મળે શાની? કોરટમાં તે માટેની કોશિશ ચાલતી રહી, ને એ પ્રભુને પ્યારા થઈ ગયા. એમનો સ્પિરિટ જોકે કાબિલે દાદ હતો. એ કહેતા કે ‘ભલે પિંજરે પુરાયું પણ પંખી ગાઈ તો શકે છે ને!’
આ કેસના એક પછી એક આરોપી હવે જામીન પર માંડ છૂટે છે, કેમ કે દેશની ટોપ એજન્સી આટલે વરસે પણ ચાર્જ ફ્રેમ કરી શકી નથી. સુધા ભારદ્વાજ, આનંદ તેલતુંબડે, ગૌતમ નવલખા અકેકી દાસ્તાં યુ.એ.પી.ના ખુદના આતંકી સ્વરૂપની ગવાહી પૂરે છે – અને હવે સક્સેના વિનયપૂર્વક અરુંધતી રોયને યુ.એ.પી.એ. થકી આભૂષિત કરવાના મનોરથી છે.
આવે વખતે સાહિત્યકારે નાગરિક તરીકે કેમ વર્તવું-પ્રવર્તવું રહે? ફરી યાદ કરું પિન્ટરના નોબેલ વક્તવ્યને : ‘જ્યારે આપણે અરીસામાં જોઈએ છીએ ત્યારે લાગે છે કે પ્રતિબિંબ અદ્દલ છે. પણ એક દોરાવાર ખસો એટલે બિંબ બદલાય. આપણે વસ્તુત: પ્રતિબિંબોની નિરંતર હારમાળા જોઈએ છીએ, પણ ક્યારેક સર્જકે અરીસો ફોડવો પડે છે – કેમ કે, આપણી સામે તાકતું સત્ય અરીસાની બીજી બાજુએ હોય છે.’
દરમ્યાન, હિમાંશી શેલતની તરોતાજા નવલકથા ‘ભૂમિસૂક્ત’ (જૂન 2024) જોઈ તમે? અહીં તરોતાજા કહ્યું છે તે આ પ્રકાશન માંડ મહિના પહેલાંનું છે એટલા સારુ નહીં પણ એના વિષયવસ્તુની પસંદગીની રીતે. નવલકથાના લેખકીયમાં, કેવો સમર્પક પ્રયોગ કર્યો છે – ‘સ્વગત’માં, પહેલા જ વાક્યમાં હિમાંશીબહેને અરીસાનું ઓઠું જરી જુદી રીતે લીધું છે : ‘ચોમેર અરીસા છે જાતને જોવા માટે. જો દાનત હોય તો. જો કે, એમાં આંખ ઉઘાડી રાખવી પડે.’
તો, મુદ્દો ઉઘાડી આંખનો છે. પિન્ટર નિર્ણાયકોએ પણ અરુંધતીનો જે વિશેષ વર્ણવ્યો છે તે પણ ‘અનફ્લિન્ચિંગ ગેઝ’નો જ છે ને.
નવલકથાની વિશેષ ચર્ચામાં જવાનો અહીં મુદ્દલ ખયાલ નથી. પણ આપણે પૂર્વાર્ધમાં જે બધી ચર્ચા કરી એમાં સર્જક પક્ષે નાગરિક તરીકે સત્યાસત્ય વિવેકની અપેક્ષા અને કર્મશીલો પરત્વે સત્તા-પ્રતિષ્ઠાનની બેરહમીનો – એમને આંદોલનજીવી અને ‘વોક’માં ખપાવવાની તુચ્છ વૃત્તિનો ખયાલ આવે છે. ‘ભૂમિસૂક્ત’ કર્મશીલો અને કર્મશીલતાને, એમની પૂંઠે રહેલ ઋતને એક સર્જકની નાગરિક સિસૃક્ષાપૂર્વક હૃદયપ્રત્યક્ષ કરી આપે છે.
ગુજરાતી સર્જકતા અને નાગરિકતા વિશેનું મહેણું આમ ભાંગે એથી રૂડું શું.
Edito: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 17 જુલાઈ 2024