ભગત સાહેબ લાંબું જીવ્યા, પણ અપ્રસ્તુત ન બન્યા. સહેજે પાંચ–છ દાયકા અમદાવાદના બૌદ્ધિક જીવનમાં હર નવી પેઢી સાથે એ વિગતખચીત વાગ્મિતા અને વિશ્વ સાહિત્યના પ્રવાહોએ સંકળાયેલા રહ્યા
કવિ નિરંજન ભગત આપણી વચ્ચે હોત, આવતી કાલે (18 મેના રોજ) એમણે સત્તાણું વરસ પૂરાં કર્યાં હોત. બસ, હવે ત્રણ જ વરસ, અને આપણે એમની શતાબ્દી ઊજવતાં હોઈશું. કવિ લાંબું જીવ્યા, 1926થી 2018, એટલે કે ખાસાં બાણું વરસ.
દીર્ઘાયુના કેટલાક અભિશાપ હોય છે. વયમાં વધતા જવું અને અપ્રસ્તુત થતા જવું, એવા ય કિસ્સા આપણે જોયા છે. ભગત સાહેબ લાંબું જીવ્યા, પણ અપ્રસ્તુત ન બન્યા. સહેજે પાંચ-છ દાયકા અમદાવાદના બૌદ્ધિક જીવનમાં હર નવી પેઢી સાથે એ વિગતખચીત વાગ્મિતા અને વિશ્વ સાહિત્યના પ્રવાહોએ સંકળાયેલા રહ્યા. એલ.ડી., લો આર્ટ્સ, બી.ડી., ઝેવિયર્સ કોલેજોમાં વિધિસરના અધ્યાપન નિમિત્તે કે ટાઉન હોલ-હેવમોર અગર તો સફાયર હાઉસ કે પછી સાહિત્ય પરિષદની મંગળવારીમાં, બધે બધો વખત કવિ ને કવિતાને મિશે સિવિલાઈઝેશનલ ફલક પર સ્વાધ્યાયપ્રત હૃદયવાર્તા માંડતા નિરંજન અમર્ત્ય સેનના ‘આર્ગ્યુમેન્ટેટિવ ઈન્ડિયન’ અને ભીખુ પારેખના ‘ડિબેટિંગ ઈન્ડિયા’ વચ્ચે ક્યાંક ઊભીને જે હંમેશ કરતા રહ્યા એ વાતો શેની ને કોની હતી, વારુ? જેને એમણે મંત્રકવિતા કહી, એની ગોઠડી જ ઘણુંખરું તો એ હતી.
સહેજસાજ એમની કવિતાની વાત કરીએ તો બને કે આ વાનું ઊઘડતું આવે. આપણા આ કવિ-અધ્યાપક માંડ તેવીસેકના હશે અને ‘છંદોલય’ લઈને આવ્યા, 1949માં. (બાય ધ વે, ‘છંદોલય’માં બચુભાઈ રાવતે જે લિપિવિધાન ને મરોડ આપ્યાં એના પર રામ મનોહર લોહિયા વારી ગયા હતા. દેશ આખામાં નાગરી લિપિ આ ધાટીએ પ્રયોજાવી જોઈએ, એવું એમણે કહ્યું હતું.) વળતે વરસે, 1950માં, કવિ ‘કિન્નરી’ લઈને આવ્યા. પણ એમનો જે વિશેષ પ્રગટ્યો, અને તે પણ નિ:શેષ, એ તો 1946થી 1956ના ગાળામાં વરસોવરસ મુંબઈની ખેપ સાથે બની આવેલી ‘પ્રવાલદ્વીપ’ રચનાઓથી. મહાનગર મુંબઈએ પ્રેરિત-પ્લાવિત આ કાવ્યો ‘હાલો ને ગામડે જાંઈ’ એવાં ત્રીસીનાં વર્ષોના મુગ્ધ ભાવનાવાદથી મુક્ત એવી નગરચેતનાનાં હતાં.
‘છંદોલય’ અને ‘કિન્નરી’થી ઉફરાટે ‘પ્રવાલદ્વીપ’ ને ‘અલ્પવિરામ’ નગરચેતનાને કારણે નિ:શંક એક નવઉઘાડ હતો. કવિના બાળપણનું અમદાવાદ ધુમાડો ઓકતી મિલોનું હતું તો શુભ્ર સૂતરના તારની ઔદ્યોગિક સભ્યતાનુંયે હતું. આ તાર પાછો ગાંધીચરખે કંતાતો આવતો તો એ નોંધીએ તો મિલો જેનું પ્રતિનિધિત્વ કરતી હતી એ યંત્ર અને રેંટિયાની પૂંઠે રહેલ મંત્ર, બેઉની સહોપસ્થિતિ તરત સમજાય છે.
વાત જો યંત્રની અને મંત્રની છે તો કવિએ એના સમાધાન સારુ તંત્રનુંયે ચિંતવન કરેલું છે. 1975માં પચાસ વરસની પરિણત વયે નિરંજન ભગતે રણજિતરામ સુવર્ણચંદ્રકના સ્વીકાર નિમિત્તે ‘યંત્રવિજ્ઞાન અને મંત્રકવિતા’ એ વ્યાખ્યાનમાં વર્તમાનની ભોંયે ઊભી વિગતને સિંહનજરનો લાભ આપી અનાગતની ચર્ચાનાં ઈંગિત કીધાં છે. યંત્ર ઔદ્યોગિક સભ્યતાએ ભયાવહ એવા વાસ્તવ સાથે આપણને મુખોમુખ કરેલા છે. એના સ્વીકાર પડકારમાંથી પસાર થઈ નિજનું સંશોધન પામેલી જે કવિતા આવશે, કવિ એને મંત્રકવિતા કહે છે.
યંત્ર મંત્ર તંત્રની આ જદ્દોજહદમાં નિરંજનને જડેલો જવાબ ‘નગર’ છે. નગર કહેતાં એમને અભિપ્રેત અને અભીષ્ટ એક એવું સંઘજીવન છે જેમાં વ્યવસ્થા છે. એક જ શબ્દમાં કહેવું હોય તો નગર એટલે ઓર્ડર : ઓર્ડર. એટલે શું તો કહે – ટુ એરેન્જ, ટુ માર્શલ, ટુ ઓર્ગેનાઈઝ, ટુ સિસ્ટમેટાઈઝ, ટુ મેથોડાઈઝ. પ્રત્યેક વ્યક્તિ અને વસ્તુમાત્ર એના યોગ્ય સ્થાને પરસ્પરના સમ્યક સંબંધપૂર્વક હોય એવી જે સુશ્લિષ્ટ આયોજના તે નગર.
એમની પહેલી પચીસીની એક મુગ્ધ રચનામાં ‘વ્રજ વિણ રે સૌ અડવું!’ એવી દયારામ પરંપરાની પંક્તિ ઊતરી આવી છે. પણ દયારામનું વ્રજ કહેતાં જે નિસર્ગ છે, ફ્લોરા ને ફોના છે, એનું જે ઉબડખાબડ સૌંદર્ય છે, એ નિરંજનનું નથી. નિરંજન વૈષ્ણવ નથી. નાગર છે, નગરમાં રહે છે એથી, ને નગર કેવું હોવું જોઈએ એની એક સમજ છે એથી પણ.
નાગરિકતાની આ હક્ક અદાયગી, ભલે એ ઉમાશંકરની જેમ જાહેર જીવનના કવિ નહીં તો પણ, એમણે સિવિલાઈઝેશનલ ચર્ચાઓમાં યથાપ્રસંગ સ્ટેન્ડ લઈને કરી. જરૂર કરી. હું તો બસ ફરવા આવ્યો છું, ક્યાં કામ તમારું કે મારું કરવા આવ્યો છું, એવો કવિમિજાજ હોતે છતે એમનો નગરબોધ પ્રસંગે પ્રગટ થતો રહ્યો.
એ કેવું ભર્યું જીવન જીવ્યા એનો સાક્ષાત્કાર કાકાસાહેબ જેને પરમ સખા મૃત્યુ કહે છે એને ભેટતી છેલ્લી ક્ષણોમાં થયો, 2018માં. પરિષદની કાર્યસમિતિમાં ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતાનો પ્રશ્ન ચર્ચાતો હતો. એકાણું-બાણુંના નિરંજન એ લાંબા કલાકો સળંગ બેસવાનું ટાળત તો જરૂર સમજી શકાય એવું હતું. પણ આપણે સમજીએ તે પોતાને સારુ પરબારુ સ્વીકારી શકે તો ભગતસાહેબ શાના. એમણે દાક્તરી ડહાપણ રેઢું મેલી ધરાર દરમ્યાન થવું પસંદ કર્યું.
શું ચાલતું હશે ત્યારે એમના મનમાં? ઉમાશંકરે ગુજરાત સાહિત્ય અકાદમીનું સન્માન સવિનય નકારતાં સ્વાયત્તતાની જરૂરત ઘૂંટી હતી ત્યાંથી માંડીને દર્શકે અકાદમીને સ્વાયત્ત કરવા સબબ એમની ને સાથીઓ સાથે જે ચર્ચાઓ કરી હશે એ બધું – અને મારા ભેરુબંધો આટલું સમજતા કેમ નહીં હોય એવો અવસાદ પણ.
સૌથી વધુ તો કદાચ ‘પ્રાન્તિક’ના રવીન્દ્રકાવ્યોનું અનુરણન ચાલતું હશે. રવીન્દ્રનાથ પંચોતેરેકના હતા ત્યારે એક સાંજે વાત કરતા અચાનક બેભાન થઈ ગયા અને ખાસા બે દિવસે મૃત્યુની ડેલીએ હાથ દઈ પાછા આવ્યા. તે ગાળાની અનુભૂતિનાં કાવ્યો એ ‘પ્રાન્તિક.’ ઉમાશંકરે આ કાવ્યોનું વિવરણ કરતા ભરીબંદૂક લખ્યું છે કે શ્વાસ ચાલે છે ત્યાં સુધી સત્-અસત્ના સંઘર્ષમાં સક્રિયપણે સંડોવાવાનું રહે છે જ એ પ્રતીતિ આગળ ‘પ્રાન્તિક’ અટકે છે.
ગમે તેમ પણ, કવિએ તો સ્વાયત્તતા માટેની પ્રતિબદ્ધતાએ કરીને મૃત્યુ વહોરીને જીવી જાણ્યું : એ ક્યાં એકે કામ મારું કે તમારું કરવા આવ્યા હતા.
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 17 મે 2023