જસ્ટિસ અરિજિત પસાયતના વડપણ હેઠળ સર્વોચ્ચ અદાલતની ખંડપીઠે મહત્ત્વના ગોધરા-અનુગોધરા કેસો ખાસ ફાસ્ટ ટ્રૅક કોર્ટો મારફતે ચલાવવાનો આદેશ કર્યો અને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ – એસઆઈટીના વડા રાઘવને સુનાવણી (અને ફેંસલા) ની પ્રક્રિયા વરસમાં પૂરી કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો તે સાથે 2002ના ઘટનાક્રમ સંદર્ભે ન્યાય બાબતે જરૂર કંઈક સધિયારો સાંપડે છે.
બેલાશક, આ સધિયારો ઠીકઠીક પ્રમાણમાં અત્યારે તો ચાલચલાઉ કહેતાં તદર્થ પ્રકારનો છે, કેમ કે વિધ્ધ ગુજરાતે સર્વોચ્ચની દેવડીએ બે માગણીઓ કરી હતી : એક તો, રાજ્ય સરકારના તંત્ર હેઠળ નહીં પણ સ્વતંત્ર તપાસ હાથ ધરાવી જોઈએ. બીજું, તે તપાસને ધોરણે કેસો રાજ્ય બહાર ચાલવા જોઈએ. આ બે અપેક્ષાઓ પૈકી પહેલી તો સર્વોચ્ચ અદાલતના આદેશથી માર્ચ 2008માં સીબીઆઈના પૂર્વવડા રાઘવનની આગેવાનીમાં રચાયેલ એસઆઈટી સાથે બર આવી, અને જે રીતે રાજ્યમાં પ્રધાનપાયરીએ આરૂઢ માયા કોડનાની સામે વિધિવત્ ચાર્જશીટ લગી મામલો પહોંચ્યો છે એ જોતાં આ કામગીરી આગળ વધવા બાબતે અવશ્ય આશ્વસ્ત રહી શકાય એમ છે. પણ રાજ્ય બહાર કેસો ચલાવાય એવી અપેક્ષા પાછી પડી છે અને પૂર્વાનુભવે દાઝેલા સૌ એથી આશાભંગ થયા છે તે સમજી શકાય એવી વાત છે.
જ્યાં સુધી આ બીજી અપેક્ષાનો સવાલ છે, અમદાવાદથી પ્રગટ થતાં ગુજરાતી દૈનિકોએ લગભગ એક જ સૂરમાં જે મથાળાં બાંધ્યાં તેમજ રાજ્ય સરકારના પ્રવક્તાએ પણ એ જ મુદ્દો ઉપસાવવા જેવું કર્યું એનાથી સમજાય છે કે હજુ ‘ગુજરાત’ ને ‘ઓછું’ આવવાની લાગણી ઓછેવત્તે અંશે પણ પૂર્વવત્ છે અને મોટા ભાગનાં ગુજરાતી છાપાં તથા રાજ્ય સરકાર આ લાગણીની ભૂમિકાએથી જ પ્રતિક્રિયા આપે છે. છાપાં પોકારી પોકારીને બોલ્યાં છે કે આ બધા કેસો ગુજરાતમાં (રિપીટ, ગુજરાતમાં) ચાલશે. રાજ્ય સરકારે પણ કહ્યું છે કે ગુજરાતમાં જ આ કેસો ચાલવા જોઈએ એવી અમારી ભૂમિકામાં રહેલ વજૂદ આથી સ્વીકારાય છે. (‘અવર સ્ટેન્ડ ઈઝ વિન્ડિકેટેડ’)
ભાઈ, પૃષ્ઠભૂનો કંઈક તો લિહાજ કરો જરા. વડોદરાના બેસ્ટ બેકરી કેસમાં જે રીતે ‘ન્યાયની કસુવાવડ’નો અનુભવ થયો, સરકારી વકીલો આ અને આવા કેસોમાં બચાવ પક્ષના વકીલની પેઠે પેશ આવવા લાગ્યા ત્યારે ઉઠેલી માંગણી અને નખાયેલ ધાને પગલે સર્વોચ્ચ અદાલતને આ કેસ રાજ્ય બહાર ચલાવવાનો આદેશ આપવાની ફરજ પડી હતી. એમાં આગળ ચાલતાં જે ચુકાદો આવ્યો એથી, બેસ્ટ બેકરી પ્રકરણમાં ભોગ બનેલા સૌને (એમના પરિવારના બચેલા સભ્યોને) અને ન્યાય ઝંખતા જાગ્રત વર્ગને સંતોષની લાગણી થઈ હતી. જ્યાં સુધી રાજ્ય સરકારના હાથમાં ને એની પહોંચમાં આ મામલે ન્યાયિક કામગીરી હશે ત્યાં સુધી ઠેકાણું નહીં પડે એવી જે આમ છાપ હતી તેમાં રહેલ વજૂદ આ આખી પ્રક્રિયા દરમ્યાન સાફ ઊપસી રહ્યું હતું.
રાજ્ય સરકારે કહ્યું છે કે ફાસ્ટ ટ્રૅક કોર્ટો માટે પબ્લિક પ્રૉસિક્યૂટરો કહેતાં સરકારી વકીલો અમે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ સાથે સલાહમસલતભેર (ઈન કન્સલ્ટેશન વિથ) નીમીશું. અલબત્ત, આ પ્રતિક્રિયા વાટે પોતાનો હાથ ઊંચો રાખવાની (કદાચ, ગાલ લાલ રાખવાની પણ) એની ચેષ્ટા એક સાથે રંજ અને રમૂજ બેઉ પ્રેરે છે. કારણ, સર્વોચ્ચ અદાલતની ખંડપીઠના આદેશ મુજબ પબ્લિક પ્રૉસિક્યૂટરની કામગીરી માટે ક્રિમિનલ લૉના નિષ્ણાતોની પસંદગી ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ એસઆઈટી સાથે પરામર્શપૂર્વક કરશે અને એસઆઈટીનો અભિપ્રાય રાજ્ય સરકારને બંધનકર્તા (રિપીટ, બંધનકર્તા) રહેશે. દેખીતી રીતે જ, પ્રદીર્ઘ પૂર્વાનુભવના પ્રકાશમાં, સર્વોચ્ચ અદાલતે રાજ્ય સરકારને બાંધવાપણું જોયું છે.
આ સંદર્ભમાં જોઈએ તો રાજ્યમાં જ કામ ચાલે તે વિશે અગાઉના દાઝેલાઓને સારુ કંઈક શાતાકારી સામગ્રી પણ મળી રહે છે. સર્વોચ્ચ અદાલતે, ફાસ્ટ ટ્રૅક કોર્ટમાં કામગીરી ચાલતી હોય ત્યારે એસઆઈટીને જે ચાર મુદ્દે અખત્યાર આપ્યો છે તે પણ કાનૂની પ્રક્રિયા બાબતે રાજ્ય સરકારની દગડાઈ, દોંગાઈ અને દિલચોરી સામે સુરક્ષા કવચરૂપ છે : (1) કામ ચાલતું હોય તે દરમ્યાન પબ્લિક પ્રૉસિક્યૂટર ઊણા ઊતરતા વરતાય કે એમનામાં ‘ખોટ’ (ડેફિશ્યન્સી) લાગે તો એસઆઈટી એમને બદલી શકશે. (2) અદાલતે આપેલ જામીન પણ, એસઆઈટીને જરૂર જણાયે રદ થઈ શકશે. (3) સાક્ષીને નિવાસથી અદાલત અને અદાલતથી નિવાસ સહિતની સલામતી બક્ષવામાં તેમજ જરૂર જણાયે અન્યત્ર ખસેડવાની કામગીરીમાં એસઆઈટી ‘નોડલ એજન્સી’ની જવાબદારી નભાવશે. (4) કામ ચાલતું હોય તે દરમ્યાન કોઈ પણ તબક્કે એસઆઈટી સર્વોચ્ચ અદાલત સમક્ષ રજૂઆત કરી શકશે.
આવો ને આટલો ચુસ્તદુરુસ્ત અભિગમ જોતાં હવે આ કેસો ગુજરાતમાં ચાલે તો – અલબત્ત, જરૂરી ચોંપ છોડ્યા વગર – સંબંધિત સૌએ તે બાબતે કોઈ અંદેશા કે ખટકામાં નહીં અટવાતાં કેસ પુરવાર કરવાથી માંડીને સાક્ષી સહિતના સઘળા તબક્કે શક્તિ લગાડવી ઘટે છે.
આ બધા કેસોનો ન્યાયિક ઉકેલ આવે તે પછી, તે છતાં અને તે ઉપરાંત ઘણુંબધું કરવાનું રહેશે એ નિઃશંક છે. જેમ કે, સુવર્ણ જયંતી વર્ષની પૂર્વસંધ્યાએ આશાભર્યાં વધામણાં શા જે સમાચાર આવ્યા કે મુખ્યમંત્રી મોદી અને એમના સાત કેબિનેટ પ્રધાનોની 2002ની ભૂમિકા તપાસવાનો આદેશ સર્વોચ્ચ અદાલતે એસઆઈટીને આપ્યો છે ત્યારે બરાબર ચૂંટણીના દિવસોમાં મોદી આ આદેશને ભળતો મરોડ આપી પોતાની તરફેણમાં લોકલાગણીને ઉશ્કેરશે એવો એક અંદેશો હતો જે સાચો પડ્યો છે. સર્વોચ્ચ અદાલતના તપાસઆદેશને પોતાની સામે કાવતરારૂપે ચીતરવાની મોદીની મનમાની (અને એની મુગ્ધ ઉર્ફે મૂઢ શ્રોતાગણમાં વાહવાહી), આપણને નાગરિક સમાજના પોત બાબતે ચિંતિત કરે એ સ્વાભાવિક છે. મોદીને જેલમાં જતા રોકવા માટે ભાજપને ગાદીએ બેસાડી રક્ષા કવચ પૂરું પાડો, એવી જાહેરખબરી અપીલમાંથી ન્યાયતંત્ર પરત્વે કારોબારી સત્તાની દાદાગીરી જે રીતે ફોરતી હતી એ વિશે શું કહેવું.
જેમ લોકશાહી રાજવટનો સંસ્કાર ખીલવવાનો મોરચો રાહ જુએ છે તેમ પ્રજાકીય સ્તરે સહજ પશ્ચાત્તાપ કે કલિંગબોધ પણ રાહ જુએ છે. ટ્રુથ ઍન્ડ રિકન્સિલિયેશન કમિશન જેવી કોક બુલંદ બળકટ પહેલ તો આવતાં આવશે અને બનતાં બનશે.