શબ્દાર્થને સાંકડી રીતે નહીં વળગતા વ્યાપકપણે જોતાં શીખવું તે વિકાસની નિશાની છે
હતોતો રાજ્યસભામાં એમનો એ છેલ્લો દિવસ. પણ મુદત આખીનું સાટું વાળતા હોય તેમ ઓવેસીનો ઊધડો લેતા જાવેદ અખ્તર ગૃહમાં બરાબરના ઝળક્યા. ‘ભારત માતા કી જય હું નહીં બોલું – બંધારણમાં આવી જય બોલવાનું ક્યાં લખ્યું છે, બતાવો?’ ઓવેસીના આ ઉદ્દગારોને જાવેદે સરળતાથી ભોંભેગા કરી દીધા કે, એમ તો, શેરવાની પહેરવાનું અને માથે ટોપી ઠઠાડવાનુંયે કિયા બંધારણે કીધું છે. લજ્જાખ્યાત બાંગલાદેશી લેખિતા તસલીમા નસરીન કે’દીનાં વિંગમાં હાજરાહજૂર હતાં જ. લાગલું ટ્વિટ્યાં: ઓવેસી જેવાઓને તો બરાબરના ખુલ્લા પાડી દેવા જોઈએ. વૅલ ડન, જાવેદભાઈ … ભારતમાતા કી જય. નહીં કે જાવેદની વાત ખોટી હતી. ‘જય હિંદ’ કે ‘વંદે માતરમ’ અગર ‘ભારતમાતા કી જય’ સામાન્યપણે એવા ઉદ્દગારો છે જેમાંથી વતનપ્રીતિ ફોરી શકે, અને નાતજાતકોમ મજહબથી ઊંચે ઊઠી સૌ એવો હૃદયભાવ પ્રગટ કરી શકે તે ઈચ્છવાજોગ નથી એમ કોણ કહેશે. પણ આટલું કહ્યા પછી સમગ્ર સંદર્ભમાં જો આ વાતને જોઈ અને તપાસી નહીં શકીએ તો કથિત ભારતભક્તિની આડઅસરો વિશે અસાવધપણે ઊંઘતા ઝડપાઈ જઈશું.
વસ્તુત: સમગ્ર સંદર્ભમાં જોતાં ‘ભારતમાતા કી જય’માં અભિપ્રેત રાષ્ટ્રવાદી હિલચાલનાં પરિમાણ એકથી વધુ હોવાનું સમજાય છે. પહેલો ધક્કો તો તાજેતરમાં જે.એન.યુ. ઘટનાક્રમનો અને ડૉક્ટર્ડ સીડીજોરે કન્હૈયાને રાજદ્રોહી જાહેર કરવા થકી લાગેલો છે. અમે અહીં દેશદ્રોહી પ્રવૃત્તિ નહીં ચાલવા દઈએ એવું સત્તાપ્રતિષ્ઠાનનું કહેવું છે. જ્યારે કન્હૈયાના યાદગાર શબ્દઝુમખામાં ખરો પ્રશ્ન ‘ભારતથી આઝાદી’નો છે. બીજો ધક્કો, કહો કે સત્તા-પ્રતિષ્ઠાન તરફે અનુધક્કો, જે.એન.યુ.નું સીધું નામ પાડ્યા વગર સરસંઘચાલક મોહન ભાગવતનો છે – નવી પેઢીને ‘ભારતમાતા કી જય’ બોલવાનું શીખવવું પડશે.
ઓવેસીના રાજકારણની કોમી ધ્રુવીકૃત તાસીર વિશે અહીં પૂર્વે લખવાનું બન્યું છે. ઓવેસીના હિંદમાં બંદૂકવાલાનું હોવું એ ગુણાત્મકપણે કેવી ન્યારી નિરાળી વાત બને છે એવું ગુણાનુરાગી કૌતુક કરવાનુંયે બન્યું છે. પણ ઓવેસીનો હમણેનો ઉદ્દગાર – જેને જાવેદ અખ્તરે કદ મુજબ બરાબરનો વેતર્યો છે એ ઉદ્દગાર – તરતમાં તો મોહન ભાગવતના પ્રતિભાવ બલકે પ્રતિક્રિયારૂપ છે. હિંદુત્વ રાજનીતિના કથિત ફ્રિન્જલાઇન પાત્રો ‘પાકિસ્તાનભેગા થઈ જાઓ’ની ભાષણમાં વાત કરે છે, પણ સંઘશ્રેષ્ઠીઓની કથનપદ્ધતિમાં એક પ્રકારનું એસર્શન છે – અમારો કક્કો ખરો, અમારી જ વ્યાખ્યા સાચી એવી બૂ એમાંથી ઉઠે છે. ઓવેસીની પ્રતિક્રિયામાં આ દાદાગીરી સામેનો ભાવ આગળ પડતો છે, એટલું ઓવેસીનું (કે કોઈનું પણ નિતાન્ત કોમી) રાજકારણ અસ્વીકાર્ય છે એમ કહેવા સાથે અને કહેવા છતાં નોંધવું જોઈએ.
ઈસ્લામ અને બુતપરસ્તીનું દ્વંદ્વ જાણીતું છે. વતનને ચાહવું તે ઈમાન છે એમ સ્વીકારી શકતા શ્રદ્ધાળુ મુસ્લિમને, ધારો કે, ભારતમાતા તરેહના શબ્દપ્રયોગમાંથી મૂર્તિપૂજાની બૂ આવતી હોય તો? આર્યસમાજ પરંપરામાં મૂર્તિપૂજાનો જે નિષેધ છે એનુંયે અહીં નમૂના દાખલ સ્મરણ કરવા જોગ છે. આ સ્મરણમાં અલબત્ત સાભિપ્રાયતા પણ છે તે બલરાજ મધોકના આત્મકથ્યમાંથી પસાર થતાં પકડાય છે. સંઘના તો એ જૂના સ્વયંસેવક. એમણે લખ્યું છએ કે અગાઉની પ્રાર્થનામાં રામદૂત હનુમાન પ્રકારનો ઉલ્લેખ અગ્રતાપૂર્વક આવતો તે મૂર્તિપૂજાને નકારતી આર્યસમાજી પ્રણાલિમાંથી આવેલા મારા જેવાને ખૂંચતું. આખો વંદે માતરમ વિવાદ પણ એમાંથી કાલીમાતાના પૂજનઅર્ચનનો જે ભાવ ફોરતો તેને કારણે ચાલ્યો હતો અને છેવટે સંપૂર્ણ વંદે માતરમને બદલે એનો ચોક્કસ અગ્રઅંશ ગાવાનું ઠર્યું હતું. ‘વંદે મારતમ’ની તરફેણ અને વિરોધી રાજનીતિમાં રાચનારા બંને છેડાઓ અસલનો વિવાદ અને તેને અંતે સધાયેલ સમજૂતી વિશે જાણતા નથી કે જાણીને અણજાણ છે.
તસલીમા નસરીને અને નજમા હેપતુલ્લા ‘ભારત માતા કી જય’ પોકારવા રાજી હોય અને તે પૂર્વે પોતાને છેડેથી આ બાબતમાં ઘટતા વિચાર અને પુનર્વિચારની પ્રક્રિયામાંથી પસાર થયાં હોય તો તે જરૂર એક રૂડી વાત છે. વસ્તુત: વૈચારિક પુખ્તતાની તે એક સાહેદી પણ છે, કેમ કે શબ્દાર્થને સાંકડી રીતે નહીં વળગતા વ્યાપકપણે જોતાં શીખવું તે વિકાસની નિશાની છે. ‘એક બીજો નબી મોકલી આપ’ તેમ કહેતો કવિ પરમાત્મા સાથે પ્રણયકલહનો સમો બાંધે છે. કવિની અભિવ્યક્તિમાં પયગંબરની પરબારી તૌહીન જોવાનું વલણ એ માનવ કોઈક તબક્કે સમજ ગઠંાઈ ગયાનું ચિહ્ન છે.
ઉલટ પક્ષે, હમણાં જેમને કોઈકે ‘ક્લોઝેટ બીજેપીમેન’ (છૂપા ભાજપી) કહ્યા તે અનુપમ ખેરની જેમ એકદમ જ ‘રાષ્ટ્રવાદની એક જ વ્યાખ્યા છે – ભારત માતાકી જય!’ કહેતાકને પડમાં ટ્વિટવા બાબતે જાગ્રત રહેવાની જરૂર છે, કેમ કે એમાંથી ‘માય વે ઓર હાઇવે’ (‘મારે રસ્તે ચાલ કે પછી રસ્તે પડ’) પ્રકારનો ધ્વનિ ઉઠે છે. આ પ્રક્રિયા, વિપળવારમાં ખબર પણ ન પડે તેમ, ભિન્નમત માત્રને, અસંમતિના આછોતરા અવાજને રાષ્ટ્રદ્રોહ-દેશદ્રોહ-રાજદ્રોહના ખાનામાં ખતવી નાખવા બાબતે દોડતા’તા ને ઢાળ મળ્યાની ગરજ સારે છે.
ગમેતેમ પણ ઓવેસીને કદ મુજબ વેતરવાની જરૂર કે’દીની હતી, અને જાવેદ અખ્તરે તે ઠીક જ કર્યું એટલું કહ્યા પછી) પણ ‘જો’ અને ‘તો’ જરૂરી રહે છે એ મુંબઈમાં વિધાનસભ્ય વારિસ પઠાણને જે રીતે કૉંગ્રેસ સહિતના પક્ષોએ મળીને ગૃહનિકાલ ફરમાવ્યો તે જોતાં સમજાય છે. અમુક જ ખાસ સૂત્રોચ્ચાર અને તે અને તે જ દ્વારકાની છાપ, એવી સત્તા-પ્રતિષ્ઠાનની (બલકે, પાટલીફેરે રાજકીય અગ્રવર્ગ સમસ્તની) જો સમજ હોય તો એ સુચિહ્ન નથી. ચોક્કસ સૂત્ર બોલો નહીં તો આગળ બોલવા નહીં દઈએ એ વલણમાંથી ફોરતી માનસિકતામાં નિરામયતા નથી તે નથી.
‘ભારતમાતા કી જય’માં હોંશે હોંશે જોડાતાં તસલીમાની વશેકાઈ આખરે શી વાતે છે? દેશે એમને ‘લજ્જા’ નવલકથાને કારણે બાંગલાદેશમાં તેઓ કટ્ટરવાદીઓનો ભોગ બન્યાં ત્યારથી એમને પોતીકાં ગણ્યાં છે. ‘લજ્જા’નું વસ્તુ આખરે તો એ જ છે ને કે ભારતમાં અયોધ્યા ઘટના ઘટી ત્યારે બાંગલાદેશમાં લઘુમતી (હિંદુ) પર બહુમતી માંહેલા કટ્ટરવાદીઓ(મુસ્લિમો)એ હુમલો કીધો. તસલીમા સરખાં મુસ્લિમ લેખિકા નથી કટ્ટરવાદીઓનો ભોગ બન્યાં, સંઘ વર્તુળો આપણે ત્યાં હિંદુત્વ રાજનીતિનો ભોગ બનતા લોકોનાં સુખદુ:ખ આલેખતાં હિંદુ લેખકોની કદર બૂજી શકે તો તસલીમા વિશેનો એમનો ઉત્સાહી પ્રતિભાવ વાજબી ઠરે.
જાવેદ અખ્તર એક પ્રગતિશીલ ને બિનસાંપ્રદાયિક મુસ્લિમ છે. તીસ્તા સેતલવાડની ગોધરા-અનુગોધરા દિવસોની શાંતિને ન્યાય, રિપીટ, ન્યાય ચળવળ સાથે એ જોડાયેલાં છે. એમનું નાસ્તિક હોવું મુસ્લિમ સમુદાયને ન પણ સોરવાતું હોય. કોઈક મુલ્લામોલવી એમને ‘તમે મુસ્લિમ છો?’ પ્રકારના પ્રશ્નથી કન્ફ્રન્ટ પણ કરતા હશે. શબાના આઝમીએ મુસ્લિમ આમજનતાને અનુલક્ષીને કોઈ તરક્કી પસંદ (પ્રોગ્રેસિવ) હિમાયત કરી હોય ત્યારે કથિત શાહી ઈમામ તરફથી ‘નાચવાવાળીને કોણ સાંભળે’ જેવી હીનોક્તિ પણ થતી રહી છે. ઉલટ પક્ષે, જાવેદ-શબાનાને મુંબઈમાં ઘર મળતાં મુશ્કેલી પડી હોય એવા હેવાલો પણ છે. જાવેદના તીસ્તાસંધાનને સંઘવર્તુળો બૂજી શકશે?
બેેલાશક, આપણે જાવેદ સાથે સમ્મત થઈશું કે દેશના મુસ્લિમોએ જે મુસ્લિમ દેશો ધર્મઝનૂની રાજનીતિ કરી રહ્યા છે ત્યાં લોકોને કેટલું પડે છે અને તે દેશો વિકાસમાં કેટલા પાછા પડે છે એમાંથી ધડો લેવા જેવું છે. પણ તે સાથે ઉમેરીશું કે હિંદુ ધર્મને સેમેટિક બનાવતી રાજનીતિ વિશે પણ જાગ્રત રહેવાની જરૂર છે.
ખરું જોતાં આ ચર્ચાને અહીં પૂરતો ન્યાય અપાયો નથી એમ તે સમેટતાં કહેવું જોઈએ, કેમ કે રાષ્ટ્રવાદનો સાંકડો ખયાલ માત્ર જ નહીં ખુદ રાષ્ટ્રવાદ પણ પુનર્વિધાન માગે છે.
સૌજન્ય : ‘માર્મિક મર્મ’, “દિવ્ય ભાસ્કર”, 19 માર્ચ 2016
http://www.divyabhaskar.co.in/news/ABH-reenactment-nationalism-seeking-care-ovesino-takes-javed-akhtar-5278639-NOR.html