પસંદગી કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જ હોય ત્યારે દેશ સમક્ષ નવ્ય વિમર્શને વાસ્તે અવકાશ રહેતો નથી
courtesy : "The Hindu", 05 March 2016
ગુરુવારની હતી તો એ રાત પણ ભલે ક્ષણવાર પણ જેએનયુ કેમ્પસ પર જાણે સૂર્યોદયશી અરુણિમ લાલિમા વરતાતી હતી : ડૉક્ટર્ડ વીડિયોકૃપાએ બસ્સીશાઈમાં રાજદ્રોહ સબબ પકડવા લાયક મનાયેલ જેએનયુ વિદ્યાર્થી મંડળનો પ્રમુખ કન્હૈયા હજુ સાજે જ જામીન પર છૂટીને આવ્યો હતો. અને ચેનલકૃપાએ કેમ જાણે રાષ્ટ્રજોગ સંબોધન કરી રહ્યો હતો. માટે સ્તો કહ્યું કે ક્ષણનું તો પણ સૂર્યોદય શું સુખ એ હતું.
કન્હૈયાનું ભાષણ, આમ તો, એ જ તરજ પરનું હતું. જે તરજ પરના સંબોધન સબબ તે પકડવા લાયક મનાયો હતો. પણ હવે ટૂંકમુદતી જેલવાસ પછી એની અપીલ સ્વાભાવિક જ સવિશેષ હતી. અને પેલા ‘રાજદ્રોહ’નો આરોપ ? આગળ ચાલતાં અદાલતી ક્રમે તે યર્થાર્હ કાળધર્મ પામશે તો પામશે, પણ હમણે તો બચાડો માર્યો ફરતો હતો; કેમ કે સદનમાં ક્યારેક છાઈ ગયેલા સ્મૃિત ઈરાનીના પર્સન ફ્રાઇડે શિલ્પીબહેને જેની દાક્તરી પાર પડાવેલી એવી સીડીઓની સાહેદી હવે બહાર આવી છે. સરસ કહ્યું કન્હૈયાએ કે હું ભારતથી આઝાદ થવાની વાત નથી કરતો, ભારતમાં આઝાદીની વાત કરું છું દેશને વિવિધ ક્ષેત્રે વડી પાયરીના બડકમદારો પૂરા પાડવા સારું પંકાયેલ જેએનયુના ખુદના ચરિત્રનો પણ અચ્છો ખ્યાલ આપ્યો એણે કે મહિને માંડ ત્રણ હજાર રૂપૈડીમાં પેિટયું કૂટી ખાતાં પરિવારનું હું સંતાન અહીં પીએચડી કરી શકું છું. કેમ કે જેએનયુમાં તે સારુ સોઈ જ સોઈ છે.
આ જેએનયુને કેમ જાણે તે કોઈ કિલ્લો હોય અને તે ફતેહ કરવાનો હોય એમ સરકાર અને સંઘ પરિવાર શા સારુ મચી પડ્યાં હશે, ન જાણે એક વાત સાચી કે જેએનયુમાં રાજકીય જાગૃતિનો એવો ને એટલો માહોલ છે જે બીજે ઝટ જોવા ન મળે. સાધારણપણે તે ડાબેરી ઝુકાવ સારુ જાણીતી છે, અને જામીનધન્ય પક્ષપ્રમુખથી વિપરીત જામીનપ્રાપ્ત છાત્રપ્રમુખ લેખે જુદી પ્રતિભા ઉપસાવતા કન્હૈયાને સીતારામ યેચુરી ‘લાલ સલામ કોમરેડ! એવું અભિનંદન ટ્વિટરાવતાં ઝિલાયા પણ છે. પણ ડાબેરી સત્તા-પ્રતિષ્ઠાનો કરતાં ઉફરો ચાલી શકતાં એમને પડકારી શકતાં વર્તુળો પણ તમને અહીં મળશે. સાદો હિસાબ એટલો જ છે કે કંઈક પ્રગલ્ભ તો કંઈક લબરમૂછ એવી પણ યથાસ્થિતિ બાબતે અજંપાની માધુરીએ સેવાતી શેફાતી, દાઝતી દઝાડતી યુવા પેઢી અહીં જોવા મળે છે.
બે પાંચસાત ખરાખોટા સૂત્રોચ્ચારોની બીનાને વળગી રહીને રજનું ગજ ફરતી ગોબેલ્સપંથી શૈલીએ દેશભક્તિનો દેકારો મચાવીને કશુંક ફતેહ કરવા ઈચ્છનારાઓને કોણ એ નવયુગી સમજનો અહેસાસ કરાવી શકે કે રાષ્ટ્ર નામની અમૂર્ત ખયાલાતથી હટીને મૂર્ત માનવ્યમાં જનસુધારણમાં દેશને શોધવાનો અને પામવાનો છે.
ગમે તેમ પણ, ગુરુવારની રાતે બની આવેલી આ સૂર્યઘટના પૂર્વે દેશજનતા સમક્ષ સામસામા બે જ ચિત્રો હતાં. ગયે અઠવાડિયે ગૃહમાં મ્યાન જેવા થઈ ગયેલા રાહુલ ગાંધી આ અઠવાડિયે અસરકારક પણે ઝળક્યા અને વડાપ્રધાન મોદીએ પણ વળતે દિવસે એમને હાંસલ વકતૃત્વ કળા સમેત જવાબ પણ ચૂક્તે હિસાબ આપ્યો. ગયે અઠવાડિયે વચ્ચેના દિવસોમાં વખતોવખત દરમ્યાન થતા માલૂમ પડેલા રાહુલ લગભગ મ્યાન પેશ આવ્યા ત્યારે એમ કહેવાનું પ્રાપ્ત થયું સ્વાભાવિક હતું કે છેલ્લા ગાળામાં એ પોતે પોતાના પક્ષગત રીઢા રાજકારણી માળખાથી કંઈક હટીને વાત કરવાની કોશિશ કરતા હોય તો પણ કદાચ નથી. મુદ્દે રાષ્ટ્રની ભાજપી ધર્મકોમી વ્યાખ્યા તો ઠીક પણ જે વ્યાપક રાષ્ટ્રભાવના હવે વાદમાં નહીં ગંઠાતા વ્યાપક માનવતા ને બંધુતાની રેશમદોરીએ બંધાવા ચાહે છે. રીઢા રાજકારણી એવા કોંગ્રેસ શ્રેષ્ઠીઓ અને પક્ષબાજખાંઓથી એ માટે ઉફરાટે હીંડવાની સમજ તૈયારી રાહુલ કને કેટલી હશે તે જોવુ રહે છે. નમોનો પ્રતિભાવ પણ વક્તૃત્વના વરખ તળે એવી જ વળતી ગંઠાયેલી ભૂમિકાનો હતો એમ કહેવું રહે છે.
વસ્તુત: પસંદગી જ્યારે કોંગ્રેસ ભાજપ વચ્ચે જ હોય ત્યારે દેશ સમક્ષ નવ્ય વિમર્શને વાસ્તે અવકાશ રહેતો નથી. બંને ઔદ્યોગિક ક્રાંતિઉત્તર મજબૂત રાષ્ટ્રરાજ્યના જૂના માળખામાં કહો કે બીજા મોજાનો બંદી જેવા પેશ આવે છે. કૃષિ અને ઉદ્યોગ પછી ટેકનોટ્રોનિક એવો ત્રીજા મોજા સાથે જે નવા પડકારો (અને નવી તકો) પૂર્વકની નવ્ય રાજનીતિ રાહ જુએ છે તે આપણા સ્થાપિત પક્ષોના વશની વાત નથી. થોડા વરસ પર તહરીરથી જંતરમંતરનો જ દોર આવ્યો એમાં ત્રીજા મોજાની લગરીક ઝાંખી જરૂર હતી. કેજરીવાલ અને યોગેન્દ્ર યાદવ સહિતના આપ ઉદ્રેકમાં પણ તે કિંચિત ઝિલાઈ હશે. હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીનો રોહિત વેમુલા ઘટનાક્રમ અને જેએનયુનો દેખીતો અફઝલ ગુરુ ઉજવણીનો પણ વસ્તુત:
કન્હૈયાનો ઘટનાક્રમ એની આ કાચીપાકી હજુ તો મોં માં માના દૂધ જેવી, અવસ્થામાં ત્રીજા મોજાની નવ્ય રાજનીતી માટે સુવાણ કરી પણ શકે. તહરીર, જંતરમંતર, અણ્ણાહજારે, અભિક્રમ જો પાછાં પડ્યાં. લાગે તો આ પણ પાછું તો પડી જ શકે. માત્ર આવા ઉદ્રેકો એકવાર લાંબો કૂદકો મારતા લાગે તે પછી પાછા પડે ત્યારે પણ ઈચં બે ઈચ આગે બઢવાનું તો થતું જ હોય છે.
કદાચ પેલા વારેવારે પડતા ને ઊભા થતા બાળકની જેમ જે ઊભુ થતું હોય ત્યારે ચોવીસ વાર પડ્યા પછીની એ પચીસીમી પેરવી હોય છે.
ગયે વરસે દિલ્હી અને બિહાર વિધાનસભાઓનાં પરિણામોમાં અનુક્રમે ત્રીજા મોજાના તેમ બીજા મોજાની રાહે ધોરણસર આગળ વધવાના સંકેતો નોંધવાનું બન્યું હતું. અખલક ઘટના હો કે એવા બીજા સંકેતો સૌની નજર આવતે વરસે આવતી ઉત્તર પ્રદેશની ચૂંટણી પર છે. ત્યાં ભાજપ તરફે જો યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી પદે બેસવા વાસ્તે વિંગમાં વાજીકૃત હોય તો એનો એ અર્થ થયો કે આકાશમાં વિકાસની ખેતી અને જમીન પર કોમી ફસલની માનસિકતા બરકરાર છે. ભાજપ સિવાયના પક્ષો જો ત્યાં વસ્તુત: પોતાની જગા બનાવવા ઈચ્છતા હોય તો એમણે દિલ્હી બિહાર જેએનયુ ઘટનાક્રમમાંથી બીજા મોજાના ઉત્તરાર્ધના અને ત્રીજા મોજાના આરંભના સંકેતો ઝીલી શકતું સંવેદનતંત્ર વિકસાવવું રહેશે. આ ઉત્તરાર્ધ અને આ આરંભ સાથે કામ પાડવાનું ઇતિહાસકર્તવ્ય પાર પાડવા નમો ભાજપ હાડે ફરીને અક્ષમ હોય તો એનું કારણ એ છે કે એનો રાષ્ટ્રવાદ વ્યાખ્યાગત રીતે જીર્ણમતિ છે અને ટેકનોટ્રોનિક મોજાની શક્તિ અને શક્યતાઓને તે સ્વતંત્ર વૈયક્તિક પહેલ કરતાં વધુ તો કોઈ બિગ બ્રધર પરિચલિત ભાડૂતી ટિવટરાટી ધડબડાટી લેખે જુએ છે.
જેએનયુ, માર્કસ ને આંબેડકર જેટલું વિમર્શ સંબલ તુ ગાંધીજેપીલોહિયા પાસેથી પણ પામો.
સૌજન્ય : ‘ત્રીજા મોરચાનો આરંભ’, “દિવ્ય ભાસ્કર”, 05 માર્ચ 2016
http://www.divyabhaskar.co.in/news/ABH-patriotic-ve-raised-later-kanhaiya-speech-and-accused-those-rajdhani-5266433-PHO.html