લે ને એ એક જોગાનુજોગ જ હોય, સાચે જ એ રૂડું ને સોજ્જું થયું કે ગુજરાત રાજ્યના સ્થાપના દિવસના પૂર્વ સપ્તાહે લંડનથી પ્રસિદ્ધ થતા ગુજરાતી સામયિક ‘ઓપિનિયન’ની વેબસાઈટ પર ભોગીભાઈ ગાંધી સ્થાપિત ‘વિશ્વમાનવ’ (1958-1993) અને ઉમાશંકર જોશી આદિએ શરૂ કરેલ ‘નિરીક્ષક’ (1968-2010) મુકાઈ ગયાં છે. (https://opinionmagazine.co.uk./sankaliyu). આ પૂર્વે ઉમાશંકર જોશીની વેબસાઈટ પર ‘સંસ્કૃતિ’ (1947-1984) તો સુલભ થયેલું જ છે (http://umashankarjoshi.in>sanskriti>).
સ્વરાજ મળ્યું, ગુજરાતનું અલગ રાજ્ય બન્યું, નઈ રોશની અને કટોકટીના રાજકારણથી માંડીને દેશે જે.પી. આંદોલનના ઉજાસમાં ગુજરાતમાં જનતા મોરચો જોયો, આગળ ચાલતાં ગાંધી-નેહરુ-પટેલદીધી એકંદરમતી તૂટી અને હમણેનાં વર્ષોમાં ઇતિહાસવિદ્દ કે બીજી રીતે જોવા મળે છે તેમ આખા એક વૈકલ્પિક વિમર્શ માટેનો ઉદ્યમ ચાલે છે. સ્વરાજસંગ્રામ અને સ્વરાજનિર્માણમાં જે કંઈ બન્યું, જે કંઈ ન બન્યું એ બધાં વિશે તથ્યનિરપેક્ષ આખી એક વોટ્સએપ યુનિવર્સિટી કાહુ કાહુ કરતી મંડી પડેલી છે. તે વખતે સત્યાસત્યની સમજ કેળવવા વાસ્તે આપણી કને ‘સંસ્કૃતિ’, ‘વિશ્વમાનવ’ ને ‘નિરીક્ષક’ મુકાયાંનો મહિમા, ચોસઠમા ગુજરાત દિવસ આસપાસ! આમ તો, હાજી મોહમ્મદનું ‘વીસમી સદી’ ઘણા વહેલાં પ્રગટ થયેલું, અને વેબસાઈટ પર પ્રગટ્યું પણ પહેલાં. પણ અહીં જે સામયિકોનો વિશેષોલ્લેખ કર્યો છે એનું ખાસ પાસું એ છે કે એના તંત્રી-સંપાદક ઉમાશંકર જોશી, ભોગીલાલ ગાંધી, પુરુષોત્તમ માવળંકર, ઈશ્વર પેટલીકર, યશવન્ત શુક્લ, મનુભાઈ પંચોળી, પ્રબોધ ચોકસી, જયન્ત પંડ્યા, પ્રકાશ- આ સૌ પોતપોતાની રીતે જાહેર જીવનમાં પડેલા રહ્યા. અક્ષરજીવન અને જાહેરજીવનનું એક વિલક્ષણ પારસ્પર્ય એમના પત્રોની વિશેષતા બલકે સહજ ગતિ રહી. એવું પણ અનાયાસ મળી આવે એમાંથી કે વોટ્સએપ યુનિવર્સિટી છક્કડ ખાઈ જાય. નમૂના દાખલ, ‘સંસ્કૃતિ’ના જાન્યુઆરી 1951ના અંકમાં ઉમાશંકર જોશીએ હિંદુ મહાસભાના પુના અધિવેશનની નોંધ લેતાં લખ્યું હતું : ‘રાષ્ટ્રપિતાના હત્યારાની જય પોકારાય અને છબીઓ વેચાય એ તો આપણા દેશમાં જ બની શકે.’ આ તો જાણે કે રસમી લાગણી થઈ, પણ માર્મિક નુક્તેચીની તો તે પછી આવે છે : ‘અધિવેશનની ઘૃણાજનક કાર્યવાહીમાંથી કોઈ સુખદ સમાચાર આવ્યા હોય તો એ કે સરદાર વલ્લભભાઈ પટેલના અવસાન બદલ ખેદ પ્રગટ કરતો ઠરાવ લાંબી રકઝક પછી ઉડાડી દેવામાં આવ્યો : સરદાર કોમવાદી હતા એ ખ્યાલને પાયામાંથી ઉખાડી દેનાર આથી વધુ સારો પુરાવો બીજો શો મળી શકત?’ લગાર ચમત્કૃતિ સારુ આ ઉતારો આપ્યો, પર્ણ ‘સંસ્કૃતિ’, ‘વિશ્વમાનવ’, ‘નિરીક્ષક’ આદિ પત્રોનું પાયાનું કામ સતત અવિશ્રાન્ત વિચારવિમર્શનું રહ્યું છે.
ગૂજરાત વિદ્યાપીઠના પ્રારંભકાળના સ્નાતક, બારડોલીની લડત વખતે અરુણ ટુકડીના સૈનિક ભોગીલાલ ગાંધીને એક તબક્કે સામ્યવાદી પક્ષ સાથે જોડાવાપણું લાગ્યું. આગળ ચાલતાં વળી પુનર્વિચાર અને મૂળિયાં ફંફોસતાં ગાંધીમાં ઠર્યા તેમ જ માર્ક્સની ડેલીએ હાથ દઈ આવેલા જયપ્રકાશ જોડે આંદોલનમાં ભળ્યા. જ્યારે ભોગીભાઈ માર્ક્સ વિચાર પછીના નવતબક્કામાં સંક્રાન્ત થઈ રહ્યા હતા ત્યારે એમને ત્યાં અભ્યાસવર્તુળ દર ગુરુવારે મળવા લાગ્યું અને 1958થી તો ‘વિશ્વમાનવ’ પણ પ્રગટ થવા લાગ્યું. ચિત્રકાર ગુલામમોહમ્મદ શેખ એ દિવસો સંભારતાં લખે છે : ‘1955માં અઢાર વરસની ઉંમરે વડોદરા ભણવા આવ્યો ત્યારે કોઈને ય ઓળખું નહીં. પણ સુરેન્દ્રનગરમાં સાહિત્યની સોબતે ઊછર્યો હતો એ નાતે, સુરેશ જોષીને આવતાંવેંત શોધી કાઢ્યા. એમની સંગતે પહેલા મળ્યા તે ભોગીલાલ ગાંધી અને બીજા પ્રબોધ ચોકસી. યુવાકાળના બંધાતા વિચારપિંડમાં એ ત્રિવેણીનો પ્રસાદ પડ્યો.’ અને પછી – ‘1958ના જાન્યુઆરીમાં ભોગીભાઈએ ‘માનવ’ (જે પછી ‘વિશ્વમાનવ’ થયું) શરૂ કર્યું તેમાં સાહિત્ય, સમાજ ને રાજકારણના સેતુ પર નવા ભાવકનું આવાહન થયું. ખરેખર તો એ માત્ર નવાં ચિંતન અને ચેતના પ્રદીપ્ત કરવાનું કરવાનું સાધન જ નહીં, એક અભિયાન હતું. ડાબેરી વિચારક્રાન્તિમાં રસાયેલી એમની દૃષ્ટિ એમાં ગાંધીવિચાર સામે આંખ મેળવીને ઊભી રહી. સાંપ્રત સમયના વિચારવલોણે ગાંધી સાથે માર્ક્સને બેસાડવાનું મંથન અને ડાબેરી પરિપ્રેક્ષ્યોને સર્વોદય અને અહિંસાની એરણે તપાસવાની પહેલ એનાં પ્રમુખ લક્ષ્યો બન્યાં.’
લાંબી દાસ્તાંમાં નહીં જતાં અહીં એટલું જ સંભારીશું કે ભૂદાન આંદોલન અને સર્વોદય વિચારે અભ્યાસપુત ઉમંગી આવકાર સાથે વિનોબાને એક પ્રશ્ન ભોગીભાઈએ જરૂર કર્યો કે આમાં સંઘર્ષનું શું. 1958માં પુછાયેલા આ પ્રશ્નનો ઇતિહાસદીધો ઉત્તર 1974-75ના જે.પી. આંદોલનમાં મળ્યો જેમાં ગુજરાતમાં સંપર્કસૂત્ર ભોગીભાઈ હતા. આ આખી સંક્રાન્તિ પ્રકાશન્તરે ‘નિરીક્ષક’માં પણ ઝોકફેરે જોવા સમજવા મળે છે, અને 1977ના જનતા રાજ્યારોહણ પછી જનસંઘે જનતા અવતાર છોડી ભા.જ.પ. બનવું પસંદ કર્યું એ બધી ગતિવિધિનો કંઈક અંદાજ પણ. આ તો કેવળ અછડતું ને આછેરું આલેખન છે. ખરું જોતાં અહીં જે કેટલાંક રાજકીય ઈંગિતો ઉતાવળે કર્યા તે બધાં અવલોકનો એક વ્યાપક સાંસ્કૃતિક-સાહિત્યિક-સામાજિક પિછવાઈ પર વૈચારિક જદ્દોજહદને ધોરણે આ પત્રોમાં પ્રગટ થતાં આવેલાં છે. ‘ઓપિનિયન’ની વેબસાઈટ પર આ બધું ઉપલબ્ધ થઈ રહ્યું છે ત્યારે એના પ્રયોજક વિપુલ કલ્યાણી અને તેઓ હાલ જેના પ્રમુખ છે તે લંડનની ગુજરાતી સાહિત્ય અકાદમી વિશે અવલોકન કરવું લાજિમ લેખાશે. આ અકાદમીમાં નાતજાતકોમ અને રાષ્ટ્રીયતા, રિપીટ, રાષ્ટ્રીયતાનો ભેદ રખાશે નહીં. કથિત સવર્ણ-અવર્ણ, હિંદુસ્તાની, પાકિસ્તાની સૌ અહીં સમાન ધોરણે સામેલ થઈ શકે છે, થાય છે અને થશે.
ઈતિ વેબદ્વીપે ઓપિનિયન દેશે.
E.mail : prakash.nireekshak@gmail.com
સૌજન્ય : ‘તવારીખની તેજછાયા’ નામક લેખની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 03 મે 2023