
રવીન્દ્ર પારેખ
છેલ્લા થોડા દિવસોમાં તાપમાન વધવાની આગાહીએ ભીષણ ગરમી વધારી દીધી હોય એવું લાગે છે. હવામાન ખાતું તો ગરમી અસહ્ય વધવાની ચેતવણીઓ આપ્યા જ કરે છે, તે સાથે જ આ વખતનું ચોમાસું પણ ઓછું પડવાનું ય સૂચવાયા કરે છે, પણ વિકાસની દોડમાં આપણું તે તરફ ધ્યાન જ જતું નથી. આવનારા થોડા દિવસોમાં તાપમાન વધવાની દહેશત છેલ્લા થોડા દિવસમાં સાચી પડી છે, એટલે હવે એવી સ્થિતિ નથી કે વરસાદની આગાહી હોય, ત્યારે છત્રી લઈને ન નીકળીએ તો ચાલે. હવે વરસાદની આગાહી થઈ હોય તો વરસાદ નહીં જ આવે એવું નથી, આવે પણ છે.
અત્યારે તો કાળઝાળ ગરમીના વર્તારાઓ બહાર પડે છે ને ગામડાં કે શહેરો ભઠ્ઠી જેવાં તપે છે. લૂ લાગવાના ને આગ લાગવાના બનાવો વધતા જ આવે છે. સુરતમાં જ 30મીના સમાચારમાં 1 વર્ષની બાળકી લૂ લાગવાથી, ઢળી પડવાની ને મૃત્યુ પામવાની વાત છે. 28 એપ્રિલે દેશમાં આગ ઝરતી ગરમી પડી. ઉત્તર પ્રદેશ / આંધ્ર પ્રદેશના બાંદામાં ગરમીનો પારો 47.6 ડિગ્રીએ પહોંચ્યો ને એ સાથે જ 29મી એપ્રિલે ઉત્તર ભારતમાં વરસાદની આગાહીઓ પણ થઈ. દિલ્હીમાં અસહ્ય ગરમી વચ્ચે બે દિવસ વરસાદની આગાહી પણ રહી. આ અસહ્ય ગરમીને કારણે જિંદગી ઘણી અસ્તવ્યસ્ત થઇ ગઈ છે. ગરમીને કારણે અનેક રાજ્યોમાં સ્કૂલોના સમય બદલાયા છે. બાળકોને ડિહાઈડ્રેશન ન થાય એટલે ઓ.આર.એસ.ની તેમ જ ઠંડા પાણીની વ્યવસ્થા કરવાનો આદેશ અપાયો છે. રાજસ્થાનના જેસલમેરનું તાપમાન 46.4 થઇ જતાં અગનભઠ્ઠી જેવી સ્થિતિ સર્જાઈ હતી. સરકારી હોસ્પિટલોમાં હીટસ્ટ્રોકનો ભોગ બનનાર માટે કેન્દ્ર સરકારે રાજ્યોને હીટસ્ટ્રોક મેનેજમેન્ટ યુનિટ બનાવવાનો નિર્દેશ કર્યો છે. કેટલાં ય રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. ક્યાંક તો એવી સ્થિતિ થઈ છે કે તાપમાં ખુલ્લાં થઈ જવું કે સ્વેટર પહેરવું કે છત્રી ઓઢવી તે નક્કી જ ન થઈ શકે. એક જ દિવસમાં ત્રણે ઋતુઓનો અનુભવ થાય એવી હાલત છે. સાચું તો એ છે કે દેશમાં ત્રણ ઋતુઓ જ હવે સ્પષ્ટપણે જુદી પડે એવા ભેદ રહ્યા નથી. ઋતુઓ એકબીજામાં સેળભેળ થઈ રહી છે.
ગુજરાતના અમદાવાદમાં 28મીએ તાપમાન 45 ડિગ્રીએ પહોંચી ગયું હતું. પાટણ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર જેવામાં લૂ ફુંકાવાની ચેતવણીઓ અપાતી જ રહે છે, તો કચ્છમાં ઓરેન્જ એલર્ટ પણ અપાયું હતું. આટલું ઓછું હોય તેમ ગુજરાતમાં વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠને (WMO) સોમવારે મોટી આગાહી કરી છે. યુ.એન.ની આ એજન્સીએ કહ્યું છે કે મે-જુલાઈ 2026થી અલ નીનો વિકસિત થવાની સંભાવના 60 ટકાથી વધુ છે, જે વૈશ્વિક તાપમાન વધારશે ને એ વરસાદની પેટર્નને પણ અસર કરશે, જેનાં પરિણામરૂપે કેટલાક પાક પર નુકસાની જોવાશે. આ ગરમી અત્યારે તો સીઝનલ છે, પણ મે-જૂનમાં WMOની આગાહી મુજબ અલ નીનોની વધારાની અસરો પણ જોવા મળશે. અલ નીનો પ્રશાંત મહાસાગરમાં પાણીનું તાપમાન વધારે છે ને એની અસર વૈશ્વિક સ્તરે જોવા મળે છે. ગુજરાતમાં એની અસર વધુ જોવા મળે એમ બને, કારણ, અલ નીનો દક્ષિણ પશ્ચિમમાંથી આવતી મોન્સૂનની હવાઓને નબળી પાડે છે, એટલે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, કચ્છ જેવામાં વરસાદનું જોર નબળું પડે એ શક્ય છે. ગુજરાતના ખેડૂતો માટે આવનારો સમય પડકારજનક નીવડી શકે. એ જ કારણે કપાસ, મગફળી, જીરુ જેવા પાકો પર એની અસર જોવા મળી શકે છે. ટૂંકમાં, અલ નીનોની અસરો ઉનાળા અને ચોમાસા એમ બન્ને પર પડી શકે છે.
હકીકત એ છે કે ઋતુઓનું ટાઈમ ટેબલ ભારતમાં ખોરવાઈ ગયું છે. એક સાથે એકથી વધુ ઋતુઓની અસરો એનું જ પરિણામ છે. હાલમાં યુદ્ધની સ્થિતિને કારણે બજારની સ્થિતિ ઉપર નીચે થતી રહી છે. મે-જુલાઈમાં અલ નીનોને કારણે સ્થિતિ વધુ વિકટ બને એવી સંભાવનાઓ છે. એક સાથે હવામાન વિભાગે માવઠાં, વરસાદ, ગરમી અને તોફાની પવનની આગાહીઓ કરવી પડે છે. એને લીધે ભુજમાં વાદળિયું અને તોફાની પવનને કારણે વાતાવરણ ધૂળિયું જોવા મળ્યું. 15થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો ને તેની ઝડપને કારણે ધૂળની ડમરી ચડી ને માહોલ ધૂળિયો થઇ ગયો. એક તરફ ધૂળિયું હવામાન થઇ જાય છે, તો દવામાન પણ બદલાય છે.
બેંગ્લુરુ, પાટણ જેવામાં સામાન્ય ચોમાસા કરતાં પણ વધુ વરસાદ જોવા મળ્યો છે. બેન્ગ્લુરુમાં કુદરતે કાળો કેર વર્તાવ્યો છે. બરફનાં કરા સાથેના વરસાદે એવી તબાહી મચાવી કે બૌરિંગ હોસ્પિટલની દીવાલ ધસી પડતાં સાત જણાનાં મૃત્યુ થયાં હતાં. રસ્તાઓ પર બરફના કરા પથરાવાને કારણે ને ભારે વરસાદને કારણે વાતાવરણ ઠંડુ થઇ ગયું હતું ને તાપમાન 18 ડિગ્રી સુધી નીચે ઊતરી ગયું હતું. બને કે લોકોએ સ્વેટર-શાલની જરૂર અનુભવી હોય. ટ્રાફિક જામ થવાની ઘટનાઓ બની. કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટના રૂટ પ્રભાવિત થયા. એની સમાંતરે ઉત્તર પ્રદેશમાં વાવાઝોડું ફૂંકાયું ને એમાં 7 જણાનાં મૃત્યુ થયાં. કમાલ તો એ છે કે તાપમાન એટલું ઊંચું જાય છે કે લૂથી માણસો મરવાં પડે છે ને બીજી તરફ એટલું ઘટી જાય છે કે વરસાદને કારણે મૃત્યુ થાય છે. સીઝન કોઈ પણ હોય, પણ તેના તરફની ઉપેક્ષા મૃત્યુ સુધી વિસ્તરે છે.
આ સ્થિતિ થોડા દાયકાઓ પહેલાં આટલી તીવ્ર ન હતી. વર્ષો પહેલાંથી કહેવાતું રહ્યું છે કે ગ્લોબલ વોર્મિંગ દેશ-દુનિયાની હાલત બગાડી શકે એમ છે. ઓઝોન લેયરના તૂટવાથી સંભવિત જોખમો તરફ પણ વારંવાર ધ્યાન ખેંચવામાં આવી રહ્યું હતું, પણ વિકાસની વિકરાળ હરણફાળ ભરવામાં વ્યસ્ત જગતને એમાં કંઇ ધ્યાન આપવા જેવું લાગ્યું નહીં. વધુ વૃક્ષો વાવોના નારાથી પર્યાવરણ સુધરી જશે એવો ભ્રમ ફેલાયો, કારણ નારાથી વૃક્ષો ઊગી જશે એવું માનીને સૌ કમાવાની, વિકાસની લ્હાયમાં આડેધડ દોડતાં રહ્યાં. વૃક્ષો વાવ્યાં હશે, પણ જેટલો પ્રચાર થયો એના પ્રમાણમાં નહિવત હશે. વૃક્ષો વાવ્યાં તેથી વધુ પ્રમાણમાં તેને ઢાળી દેવામાં આવ્યાં. ગુજરાતના એક પૂર્વ મુખ્ય મંત્રી સાથેની રૂબરૂ મુલાકાતમાં એમણે કહ્યું હતું કે અમુક લાખ વૃક્ષો વવાયાં છે, પણ તે ક્યાં વવાયાં છે તેની વિગતો માંગી તો તે ન હતી. હતો માત્ર આવું પૂછનાર પર ગુસ્સો. સાચું તો એ છે કે પ્રચારમાં માનીએ છીએ એટલું આચારમાં માનતા નથી. વધુ વૃક્ષો વવાય છે તે દેખાતાં નથી, પણ રસ્તા પહોળા કરવા કે અન્ય લાલચો પૂરી કરવા લાખો વૃક્ષો કપાય છે તે તો દેખાય જ છે.
આપણે સમજી લેવું જોઈએ કે આટલી પ્રચંડ ગરમી કુદરતી નથી. તે માનવ સર્જિત છે. એ અકુદરતી વિકાસ મોડેલનું પરિણામ છે. વિશ્વની વાત છોડો, પણ ભારતની સ્થિતિ અનેક રીતે દયનીય છે. દેશમાં વધી રહેલી ગરમી, પાણીની સમસ્યાઓ, પર્યાવરણની ઉપેક્ષા જોતાં કેટલાક સંવેદનશીલ નાગરિકોએ ગંભીર ચિંતા વ્યક્ત કરીને સરકારની હાલની નીતિ રીતિઓ સામે સવાલો ઉઠાવ્યા છે. ગરમીનું 50 ડિગ્રી સુધી પહોંચવું સામાન્ય ગણાવા લાગ્યું છે. આપણો કહેવાતો વિકાસ જંગલોની નાબૂદી વગર શક્ય જ નથી. આપણા આજના હાઈવે એક્સ્પ્રેસ રસ્તાઓ વૃક્ષોનાં નિકંદન વગર શક્ય છે? વૃક્ષો વવાયાં કે કેમ તે તો નથી ખબર, પણ તેને નિમિત્તે ચાલેલો ભ્રષ્ટાચાર શરમજનક શબ્દને શરમાવે એવો છે. પર્યાવરણ પ્રત્યેની તંત્રોની ઉદાસીનતાએ દેશને ભઠ્ઠીમાં ફેરવી નાખ્યો છે. આ ઉદાસીનતા ક્રૂર અને ઘાતક છે. અરવલ્લી સહિતના પર્યાવરણીય વિસ્તારોનાં રક્ષણ માટે ચાલેલાં આંદોલનોને અવગણવા જેવાં નથી, એ સમજી લેવાનું રહે. એ પણ સમજી લેવાનું રહે કે આપણો વિકાસ આનંદ પર નહીં, પણ સુખ પર નિર્ભર છે. વૃક્ષો વાવવાં કરતાં પણ વૃક્ષો બચાવવાં એ અત્યારનું લક્ષ્ય હોવું જોઈએ. કારણ કપાય છે તો વૃક્ષો જ ને તે દુનિયા જુએ છે. વૃક્ષો કેટલાં ઊગે છે તેની ખબર પડતી નથી. (હોય તો ઊગેને) સાદો રસ્તો તો એ જ છે કે પ્રકૃતિ વિરોધી પ્રોજેક્ટો સામે જનઆંદોલન થાય.
એક વાત સ્પષ્ટ છે કે આપણે છેડીશું તો પ્રકૃતિ આપણને છોડશે નહીં. અનીતિ જ નીતિ હોય એવા ભ્રષ્ટ સમયમાં આપણે જીવવાનું આવ્યું છે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 01 મે 2026
![]()

