હાલમાં અંગ્રેજી ભાષામાં ‘Homes Without Windows’ નામનું પુસ્તક પ્રકાશિત થયું છે. આ પુસ્તક અનુવાદિત છે અને તે ગુજરાતી ભાષાના અગ્રંથસ્થ આત્મકથાનક નિબંધોમાંથી અનુવાદિત થયું છે. લેખક જાણીતા કર્મશીલ અને જાહેર જીવનનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરનારા ચંદુ મહેરિયા છે. પુસ્તકનો અનુવાદ પ્રતિભાવાન હેમાંગ અશ્વિનકુમાર દ્વારા થયો છે. હાલમાં ચંદુ મહેરિયાને વાંચવાનું ઠેકાણું ‘સંદેશ’ અખબારમાં અર્ધસાપ્તાહિક પૂર્તિમાં આવતી ‘ચોતરફ’ કોલમ છે. આ ઉપરાંત તેમના લેખો નિયમિત રીતે ‘ઓપિનિયન’ નામના પોર્ટલ પર પણ મુકાય છે. ચંદુભાઈની ઓળખ માત્ર લેખક તરીકેની નથી; તેઓને આપણી આસપાસના સમાજજીવનને સૂક્ષ્મ રીતે જોનારા નિરીક્ષક પણ કહી શકાય.
ચંદુભાઈનાં લખાણ અને તેમના જીવનના અનુભવ વિશે પુસ્તકમાં જાણીતા લેખક-કર્મશીલ-સંશોધકોની નોંધો છે અને તે નોંધોથી પુસ્તકના વિષયવસ્તુનો આછો પરિચય પણ મળે. પરંતુ તેમનો ખરો પરિચય તો ચંદુભાઈના પોતાના લેખો જ છે. આ લેખો હાલમાં પુસ્તક સ્વરૂપે ગ્રંથસ્થ નથી એટલે તે વાંચવા હોય તો જ્યાં તે પ્રથમ વાર પ્રકાશિત થયા હતા તે સાર્થક પ્રકાશનના ‘સાર્થક જલસો’ના અંકો જ મેળવવા પડે. ‘Homes Without Windows’માં કુલ અગિયાર પ્રકરણ સમાવિષ્ટ છે અને તેનું પ્રથમ પ્રકરણ ‘મેયર્સ બંગલો’ છે. આ લેખ હજુ પણ ‘દલિત અધિકાર’ સામયિકમાં ઑનલાઇન પી.ડી.એફ.માં વાંચવા મળે છે. ચંદુભાઈએ તેમાં પોતાના જીવનના જ્યાં શરૂઆતનાં વર્ષો વિતાવ્યાં તે અમદાવાદ પૂર્વના રાજપુર વિસ્તારમાં આવેલા ઘરના અનુભવો આલેખ્યા છે. સામાન્ય રીતે પોતાની આવી સ્થિતિને વર્ણવવાનું ટાળે તે ચંદુભાઈએ શબ્દબદ્ધ કર્યું છે. અને તે વિશે જાણીતા પત્રકાર ઉર્વીશ કોઠારી લખે છે તેમ ‘તેમનું લેખન વીંધી નાખનારું છતાં કડવાશ વિનાનું’ છે. ‘મેયર્સ બંગલો’માં તેઓ લખે છે : ‘જ્યારથી ગાંધીનગરમાં રહેવા આવ્યો છું ત્યારથી બે જ બાબતોનાં સ્વપ્ન આવે છે : કાં પોલીસનાં કાં જાજરૂનાં. શ્રમજીવીઓની સદા વિસ્તરતી વસાહતો સમી અમદાવાદની પૂર્વપટ્ટીનો રાજપુર વિસ્તાર એ મારું ઘર-ગામ કે વતન. બાપા કહેતા મજૂરી ન મળી એટલે તો ગામ છોડવું પડ્યું. પછી જ્યાં રહીએ ત્યાં ગામ. બાપા રખિયાલની ગંજીફરાક મિલમાં મજૂરી કરે. પૂર્વ અમદાવાદમાં મિલ-કારખાનાના એક એક ભૂંગળાના છાંયે એક-એક ચાલી. આવી જ એક ચાલી તે રાજપુર-ગોમતીપુરની અબુ કસાઈની ચાલી. ત્યાં મારું ઘર.’ આ લખાણમાં તાદૃશ્ય ચિત્ર ખડું થાય છે અને તે ચિત્ર ચંદુભાઈની કલમ શબ્દેશબ્દે આલેખી શકે છે. અહીંયાં રહેતા અને કૉલેજમાં ભણતાં યુવાન-યુવતીઓની સ્થિતિ વિશે ચંદુભાઈ આગળ લખે છે : ‘અમારા આ જાજરૂ પાસે હીરાલાલની ચાલીનું બસસ્ટોપ. એ.એમ.ટી.એસ.ની બસ જાજરૂ પાસે જ ઊભી રહે. આસપાસની ચાલીના કૉલેજ જતાં છોકરાં-છોકરીઓ જાજરૂની લાઇનમાં ઊભા હોય કે હાથમાં ચંબુ પકડીને જતાં-આવતાં હોય ત્યારે બસમાં બેઠેલા પોતાના સવર્ણ સહાધ્યાયીઓથી કેવા લપાતા-છુપાતા તે નજરે જોયું છે. રખિયાલ-ગોમતીપુર ગામનાં સવર્ણ છોકરા-છોકરીઓ અમારા જાજરૂવાળા બસ સ્ટૉપને ‘હોલિવુડ’ કહેતાં. કૉલેજમાં જતાં છોકરા-છોકરીઓને આ બસ સ્ટોપ પર ઊતરતાં ભારે શરમ લાગે એટલે કાં તો કામદાર મેદાન ઊતરે કે પછી ગોમતીપુર, ને ત્યાંથી ચાલતા-ચાલતા ઘરે આવે.’
ચંદુભાઈના જીવનના દરેક તબક્કાને જોઈએ તો તેમાં સંઘર્ષ સર્વત્ર દેખા દે છે. પરંતુ તેમણે સંઘર્ષ પ્રત્યેનું જે વલણ રાખ્યું છે તેનાથી જ આ સાહિત્ય રચાયું છે. તેમની કિશોરવયમાં તેઓ કેવી રીતે કેળવાયા તેનો ઉલ્લેખ ‘સભાપર્વ : રાજપુરથી રાજસભા સુધી’ નામના પ્રકરણમાં મળે છે. અહીંયાં તેમણે જે રીતે પોતાના ઘરની આસપાસના માહોલનો ઉલ્લેખ કર્યો છે તેમાં ક્યાંક તેટલા પૂરતો આપણને ઈર્ષ્યાભાવેય આવી જાય. તેઓ લખે છે : ‘આઝાદી પછીના ત્રણ-સાડા ત્રણ દાયકા રાજપુરમાં ગાંધીવાદી-આંબેડકરવાદી-સામ્યવાદી ચળવળોથી ભર્યા ભર્યા હતા. રાજપુરની હીરાલાલની ચાલીના નવરાત્રિ મહોત્સવમાં દર વરસે કોઈ વિશિષ્ટ મહાનુભાવ અને તે પણ બિનદલિત અવશ્ય આવતા. અહીં જ રાજ્યપાલ શ્રીમન્નારાયણ અને કે. કે.વિશ્વનાથન, અમદાવાદના ગાંધીવાદી મેયર કૃષ્ણવદન જોશી અને બેસ્ટ પાર્લમેન્ટરિયન [ઉત્તમ સાંસદ] પુરુષોત્તમ માવળંકરને સાંભળવાના થયા. વસંતલાલ ચૌહાણ અને આનંદ પરમાર ઉત્થાન સંસ્થાના ઉપક્રમે અનેક વક્તાઓને રાજપુરમાં વક્તવ્યો માટે બોલાવતા. એસ.આર. ભટ્ટ અને ઉમાશંકર જોશી, ઈશ્વર પેટલીકર અને દિનકર મહેતા – આ બધાને રાજપુરની સડકસભામાં જ સાંભળીને મોટો થયો છું. મજૂર મહાજન સંઘ, જ્યોતિસંઘ અને બીજી ગાંધીવાદી સંસ્થાઓ-વ્યક્તિઓનો રાજપુરમાં આવરોજાવરો રહેતો. મજૂરમહાજનના નેતાઓ અરવિંદ બુચ, મનહર શુક્લ, શાંતિલાલ શાહ, નવીનચંદ્ર બારોટ તો અમારા માટે મિલના માસ્તર-મેમ્બર-મુકાદમ જેટલા પરિચિત. ચારુમતિ યોદ્ધા જેવાં મહિલા આગેવાનને પણ અહીં સાંભળ્યાં છે. આજે કલ્પના પણ ન આવે કે આ જ રાજપુરમાં શંકરાચાર્ય પણ આવેલા.’ ચંદુભાઈ લખે છે તેમ કલ્પના ન આવે તેવું ઘણું તેમના વિસ્તારમાં બન્યું હતું.

ચંદુ મહેરિયા
ચંદુભાઈએ પોતાના વિસ્તારમાં રહેવાનો આનંદ પૂરતો લીધો છે અને તેના અનેક ઘટનાક્રમ તેમણે ટાંક્યા છે. ચંદુભાઈનાં લખાણમાં ઘટનાઓનો દોર જરાસરખો થંભતો દેખાતો નથી. તેમની બીમારી અંગે પણ તેઓ એટલા તટસ્થભાવે વાત મૂકે છે કે જાણે તેઓ બીમારીના બિછાને પણ પીડા કરતાં તેમનામાં રહેલો સર્જક વધુ પ્રબળ રહ્યો હશે. ‘રુગ્ણાલય : શૈશવથી જીવનસંધ્યા લગી’ નામના પ્રકરણમાં તેઓ એક ઠેકાણે લખે છે : ‘આરોગ્યમંદિરો તરીકે બિરદાવતાં દવાખાનાં મને કાયમ રુગ્ણાલયો જ લાગ્યાં છે. સામાન્ય દર્દી તરીકે, દર્દીના સ્વજન તરીકે અંદરના દર્દી તરીકે જ્યારે જ્યારે દવાખાને ગયો છું, તે વેળાનો અનુભવ પીડા અને દુઃખથી ભરેલો રહ્યો છે. સર્જરી માટે જતાં ઍનેસ્થેશિયા અપાયા પૂર્વેની અને તેની અસરમાંથી મુક્ત થયા બાદની મનોદશા ભારે પીડાની રહી છે. મૃત્યુ કરતાં બીમારીનો ડર હંમેશાં વધુ રહ્યો છે. હૉસ્પિટલમાં દાખલ થયો છું ત્યારે ત્યારે સમય થંભી ગયાનો અને જીવન સમાપ્ત થઈ ગયાનો સતત અહેસાસ થતો રહ્યો છે. જ્વેલર્સની દુકાનો ભોંયતળિયે હોય અને લિફ્ટ વિનાની હૉસ્પિટલના ત્રીજા-ચોથા માળે સર્જરી કરાવીને ઘરે લઈ જવાતા દર્દીની હાલત જોઈને આપણા અર્બન પ્લાનિંગ પર સવાલો થયા છે. દેવદૂત ડૉક્ટરો કેવા લૂંટારા બની જાય છે તેનો પણ જાતઅનુભવ છે. મોટા ભાઈએ અને એક નજીકના મિત્રે આત્મહત્યાનો પ્રયાસ કર્યો ત્યારે કડેધડે એવી આ વ્યક્તિઓને જે શારીરિક પીડામાંથી પસાર થતાં જોઈ છે તે હચમચાવી નાખનારી હતી.’
ચંદુભાઈના લેખનમાં અનેક સંદર્ભો ગૂંથાતા દેખાય છે. તેમનું લેખન ક્યાં ય શુષ્ક નથી પડતું અને તેની સાથે આપણી આસપાસની દુનિયામાં જે જોવાનું આપણે ચૂકી જઈએ છીએ તે તાદૃશ્ય થતું દેખાય છે. ચંદુભાઈના અગિયાર પ્રકરણો છે તેનાં ગુજરાતી મથાળાં ય અહીં જોઈ લેવાં જોઈએ, જેથી તેમણે જે વિશે લખ્યું છે તેનો એક અંદાજ મળી રહે. ગુજરાતી વાચકો અર્થે અહીં મૂળ ગુજરાતી મથાળાં ટાંક્યાં છે. પ્રથમ પ્રકરણ ‘મેયર્સ બંગલો’, પછીના પ્રકરણોમાં ‘રોટલાની મંડઈ મોંકાણ’, ‘મારો ‘ગાંધીડો’’, ‘ધર્મ, ધર્માંતર અને મારું બાળપણ’, ‘મને ભીંજવે તું’, ‘મારી દિવાળી’, ‘તમારું ખાહડું અને અમારું માથું’, મારા ‘બા’ : સંપૂર્ણ નાસ્તિક ‘રામા ભગત’ ‘મા, તારે જ કારણે જગતનાં સર્વ સુખ મળ્યાં’, ‘ધોરાજીમાં બે વર્ષ’ અને ‘રુગ્લાલય : શૈશવથી જીવનસંધ્યા લગી’ પુસ્તકમાં સમાવિષ્ટ છે.
અઢીસો પાનાંનું આ પુસ્તક પાકા પૂંઠાનું છે અને તેના કવરપેજ પર ચંદુભાઈ અને તેમના નાના ભાઈની તસવીર છે. મૂળે આ તસવીર ‘સાર્થક જલસો’માં પૂરા પરિવાર સાથેની છે, પરંતુ તેમાંથી બંને ભાઈઓની છબિ અહીં લેવામાં આવી છે. પુસ્તકના પ્રકાશક જગરનૉટ [Juggernaut] છે અને તેની કિંમત 699 રૂપિયા છે. પ્રસ્તાવનામાં અનુવાદક હેમાંગ અશ્વિનકુમારે ચંદુ મહેરિયાના જીવનકાર્ય વિશે પંદર પાનાંમાં વિગતે લખ્યું છે. પુસ્તક વિશે જેઓની નોંધ મળી છે તે શરૂઆતમાં મૂકવામાં આવી છે. તેમાં ઇતિહાસકાર રામચંદ્ર ગુહા છે, કર્મશીલ-લેખક ગણેશ દેવી, ‘કાસ્ટ : અ ગ્લોબલ સ્ટોરી’ પુસ્તકના લેખક સુરજ યેન્ગડે, લેખક-સંશોધક વી. ગીથા અને પત્રકાર-લેખક ઉર્વીશ કોઠારી છે. આ નોંધોનો ગુજરાતી અનુવાદ સંજય સ્વાતિ ભાવે દ્વારા ‘ભૂમિપુત્ર’[1 જૂન, 2026]માં થયો છે. અને આ જ લેખમાં સંજયભાઈએ ચંદુભાઈના લેખનસફરની વિગત આપી છે તે ટાંકવા જેવી છે. તેઓ લખે છે : ‘ગુજરાતી દલિત સાહિત્યની એક આરંભિક અહાલેક સમા ચંદુભાઈએ સંખ્યાબંધ પુસ્તકોનું લેખન અને સંપાદન કર્યું છે, તેમ જ છાપાં-સામયિકોમાં સેંકડો વૈચારિક લેખો લખ્યા છે. ચાહીને વંચાતાં તેમનાં પુસ્તકો આ મુજબ છે : ‘સાંબરડાથી સ્વમાનનગર’ (ગુજરાતમાં દલિતોએ જોરજુલમ હેઠળ કરેલી હિજરતનો ઇતિહાસ અને તેની સમીક્ષા), ‘ડૉ. આંબેડકર’(બાબાસાહેબનો ટૂંકો સર્વાંગી પરિચય), ‘પ્રાણપ્રશ્ન પાણીનો’ (જળસંકટ અને જળસંરક્ષણના પ્રયોગો), ‘ચોતરફ’ (અગત્યના સામાજિક પ્રશ્નોનો પરિચય અને તેમની સમીક્ષા), ‘અસ્મિતા અને વિસ્ફોટ’ (દલિત કાવ્યસંચયો) અને ‘માડી મને સાંભરે રે’ (દલિત લેખકોએ ‘મા’ વિશે લખેલા લેખો).
ચંદુ મહેરિયાનું લખાણ બહોળું છે અને તેમાંથી તેમનું આત્મકથાનક જ ‘Homes Without Windows’માં વાંચવા મળે છે. બસ, અફસોસ એટલો જ કે હજુ આ ગુજરાતી પુસ્તક પ્રકાશિત નથી થયું. તે વહેલાસર પ્રકાશિત થાય તો ગુજરાતી વાચક પણ ચંદુભાઈના અનુભવને પોતાની ભાષામાં વાંચી શકે.
e.mail : kirankapure@gmail.com
પ્રગટ : ‘ઈન સાઈડ આઉટ સાઈડ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 14 જૂન 2026
![]()

