
રવીન્દ્ર પારેખ
સુપ્રીમ કોર્ટે બધા શિક્ષકો માટે ટેટની પરીક્ષા પાસ કરવાનું ફરજિયાત કર્યું છે. સુપ્રીમને ટેટ ફરજિયાત કરવાની ફરજ કેમ પડી એનો ખુલાસો નથી, પણ સુપ્રીમનો આદેશ હોય તો શિક્ષકોએ તે માન્ય કરવો જ પડે. કેટલાક શિક્ષકોને ટેટ, ઠેઠ પહોંચાડે એવું લાગતા વિરોધનો સૂર ઊઠ્યો છે. પગાર વધારા સિવાય શિક્ષકો આંદોલન ભાગ્યે જ કરે છે. મોટે ભાગે તો તે આદેશ ઉઠાવવા ઝૂકેલા રહે છે. તેમને વર્ગને સ્વર્ગ કરવાનું ન બને તેનો વાંધો નથી, પણ સરકારના આદેશો ઉઠાવવાની ટેવ પડી ગઈ છે, એટલે કુરનીશ બજાવતા રહે છે. વર્ગ શિક્ષણ ઉપરાંત શિક્ષકો પાસેથી સરકાર સાંઠેક પ્રકારની ઈતર પ્રવૃત્તિઓ કરાવે છે ને એમાં બને છે એવું કે વર્ગમાં ઈતર પ્રવૃત્તિઓથી બાળકો વંચિત રહી જાય છે. શિક્ષકોને સ્વમાન જેવું કદાચ નથી, એટલે તેમને તીડ ઉડાડવા કે વસ્તી ગણતરી કરવા કે ચૂંટણીને કામે કે SIRની કામગીરી માટે મોકલાય કે રાષ્ટ્રીય કામગીરીને નામે કંઇ પણ કરાવાય, આદેશોનું પાલન તો થાય જ છે. આ ઉપરાંત ડેટાબેટાના કે પરિપત્રોના જવાબો જેવી કારકૂની કરમે ચોંટેલી છે તે તો ખરી જ !
એવું નથી કે સરકારને બધા જ શિક્ષકો વફાદાર છે. એક તો તેઓ વર્ગ શિક્ષણથી બચે ને ઉપરથી સરકારી કામોમાંથી આવક મેળવે, એટલે સેવકો બની રહેવા ઇચ્છે છે. એમ તો કોઈ કોઈ શિક્ષકો સ્વમાની પણ હોય છે, પણ યુનિયન સુધી તેમનો અવાજ પહોંચતો નથી, એટલે પણ ના છૂટકે સરકારની મજૂરી કૂટી કાઢે છે. એ કમનસીબી છે કે શિક્ષકોને જ પોતે શેને માટે રખાયેલા છે એની ખબર નથી ને વર્ગની બહાર જવા મળે છે, એટલે બધે ફરી વળે છે. તેમને તો પગાર ઉપરાંત ઉપરની આવક થાય છે, એટલે પણ સરકારી આદેશોનું પાલન કરવાનું ગમે છે ને દોડે છે. સરકાર પણ લાગ જોઇને શિક્ષકો પર બોજ નાખતી રહે છે.
આવા સંજોગોમાં સુપ્રીમનો વર્ષમાં બે વાર ટેટની પરીક્ષા લેવાનો આદેશ ઘણાં શિક્ષકોને નારાજ કરે એમ બને. શિક્ષકની લાયકાત અને શિક્ષણની ગુણવત્તા સંદર્ભે આવેલા ચુકાદા સામે શૈક્ષિક મહાસંઘે કેન્દ્ર સરકારને હસ્તક્ષેપ કરવાનું કહીને 2010 પહેલાના શિક્ષકને TET(TEACHERS ELEGIBILITY TEST)માંથી મુક્તિ આપવા રજૂઆત કરી છે. આ રજૂઆત પછી પણ કોઈ અસરકારક પરિણામ ન આવે તો 18 જૂને શૈક્ષિક મહાસંઘ તમામ જિલ્લાઓમાં જિલ્લા કલેકટર મારફતે વડા પ્રધાન અને કેન્દ્રીય શિક્ષણ મંત્રીને આવેદનપત્ર પાઠવશે. તે પછી પણ હકારાત્મક પરિણામ ન આવે તો ઉગ્ર કાર્યક્રમો મહાસંઘ આપશે. સુપ્રીમ કોર્ટના ચુકાદાને પગલે 2010 પહેલાના, દેશના 25 લાખ અને ગુજરાત રાજ્યના 75,000 પ્રાથમિક શિક્ષકોએ નોકરી બચાવવા પણ ટેટ આપવી પડે એમ બને.
સુપ્રીમે તો જાહેર કરી દીધું છે કે શિક્ષણ સેવા સાથે સંકળાયેલા તમામ શિક્ષકોએ નોકરી ચાલુ રાખવા કે બઢતી માટે ટેટ પાસ કરવી અનિવાર્ય છે. તેમ નહીં થાય તો શિક્ષકોએ રાજીનામું આપવું પડશે અથવા ફરજિયાત નિવૃત્તિ લેવી પડશે. જો કે, નોકરીના પાંચ જ વર્ષ બાકી છે, તેમને આ પરીક્ષામાંથી મુક્ત રખાયા છે તે સારું કર્યું છે.
આ આદેશ ન્યાયાધીશ દીપાંકર દત્તા અને ન્યાયાધીશ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે આપ્યો છે. એ પણ છે કે સુપ્રીમે લઘુમતી દરજ્જો ધરાવતી શૈક્ષણિક સંસ્થાઓને હાલ પૂરતી રાહત આપી છે. અપવાદો થયા જ છે તો ટેટ પાસ કરવાનાં ધોરણમાં થોડી છૂટછાટ હોવી જોઈએ. જેમ કે, ટેટ પાસ કરવાનું એવા શિક્ષકો માટે જ ફરજિયાત હોવું જોઈએ, જેમને બઢતી જોઈએ છે. માત્ર નોકરીનો અનુભવ જ લેવો છે, તેમને ટેટના આદેશમાંથી મુક્તિ આપવી જોઈએ, તેને બદલે તેવા શિક્ષકોને રાજીનામું આપવાનું કહેવું કે ફરજિયાત નિવૃત્તિનું દબાણ કરવું વધારે પડતું છે. કમ સે કમ સરકારે હસ્તક્ષેપ કરીને ફરજિયાત નોકરી છોડાવવાની બાબતે દખલ દેવી જ જોઈએ. પરીક્ષા ન આપનારને કાઢી મૂકવાની વાત કોઈ રીતે યોગ્ય નથી. 20-25 વર્ષની નોકરી થઈ હોય ને માત્ર પરીક્ષા ન આપવાને લીધે કાઢી મુકાય એ જોહુકમી સિવાય બીજું કંઇ નથી.
રાષ્ટ્રીય અધ્યાપક શિક્ષણ પરિષદ (NCTE) દ્વારા ૨૩ ઓગસ્ટ, 2010ને રોજ ટેટ ફરજિયાત જાહેર કરવામાં આવી ને તેને આધારે શિક્ષકની ભરતી કરવામાં આવી. એ અગાઉના શિક્ષકો માટે પ્રાથમિક શિક્ષકની પાત્રતા નક્કી હતી. તે વખતે જે નિયમો હતા તેને આધારે તેમની ભરતી કરવામાં આવી હતી. એ ભરતી નિયમો વગર થઈ ન હતી. એ વખતે ટેટ ફરજિયાત હોત તો શિક્ષકોએ એ પરીક્ષા પણ આપી જ હોત, પણ એવું ન હતું ને હવે 16 વર્ષે ટેટની પરીક્ષા ફરજિયાત કરવામાં આવે તે બરાબર નથી. 75,00૦ શિક્ષકો પર અત્યારના નિયમો લાગુ કરીને દબાણ ઊભું કરવામાં ન્યાય નથી.
સુપ્રીમનો ચુકાદો હોય તો તેની ઉપરવટ ના જવાય. એવે વખતે સરકારને જ હસ્તક્ષેપ કરવાનો આગ્રહ કરવામાં આવે તો શિક્ષકનાં હિતો પરનું જોખમ ટાળી શકાય. એ સારું છે કે શિક્ષણ, પરીક્ષણનાં કડક ધોરણો જળવાય તે અનિવાર્ય છે, પણ એનો કોઈ અર્થ છે ખરો? નીટની પરીક્ષા રદ્દ કરવી પડે કે તે ફરી લેવા ફરી લોખંડી બંદોબસ્ત ગોઠવવો પડે, તો ટેટમાં એવું કશું ન જ થાય એની કશી ખાતરી છે? આખું પરીક્ષા તંત્ર જ ફૂટી જતું હોય, ત્યાં પરીક્ષા કૂટ્યા કરવાનો કોઈ મતલબ છે?
ખાસ વાત તો એ કે શિક્ષકને વસ્તી ગણતરી કરતા આવડે છે? તો, પણ તે કરે જ છે. તેની પાસે SIRની લાયકાત છે ? તો પણ તે પાર પાડે જ છે. ચૂંટણી રાજકારણીઓ લડે પણ તેનું મથક સાચવવાનું શિક્ષકે ! એ પણ આવડત છે એટલે કરે છે? તીડ ઉડાડવાની પરીક્ષામાં તે પાસ થયો છે? તો પણ તેણે તીડ ઉડાડ્યાં જ ને ! તો એક ટેટ નહીં આપે તો શું ખાટુંમોળું થઈ જવાનું છે? આ દેશમાં શિક્ષણ ઓછું ને પરીક્ષાઓ જ વધારે છે ને તે પરીક્ષા માટે થાય છે એથી વધુ તો ‘અર્થ’ વિકાસ માટે થાય છે. વળી આટલી મહેનતે ટેટની પરીક્ષા પાસ કર્યા પછી શિક્ષકે વર્ગખંડમાં જવાનું ન હોય ને ઓફિસમાં બેસીને ડેટાબેટા જ કરવાનું હોય કે સરકારની વસ્તી ગણતરી, ચૂંટણી, SIRમાં જ રચ્યાપચ્યા રહેવાનું હોય તો ટેટ ફરજિયાત કરવાનો કોઈ અર્થ ખરો?
સુપ્રીમના આદેશનું પાલન કરવા શિક્ષણ વિભાગે પણ કમર કસી છે ને 2010 પહેલાંના શિક્ષકોને ટેટ ફરજિયાત કરવાનું અને 31 ઓગસ્ટ, 2028 પહેલાં પાસ કરવાનું અલ્ટિમેટમ આપી દીધું છે. એ સારી વાત છે કે આ બધું શિક્ષણની ગુણવત્તા સુધારવા થઈ રહ્યું છે. કમ સે કમ ગુજરાત સરકારે ગુણવત્તાની વાત ન કરવી જોઈએ – શિક્ષણ વિભાગ દ્વારા લેવાતી ટેટની જ પરીક્ષાઓનાં ઢંગધડા નથી. પરીક્ષાઓ મોડી લેવાય છે. પ્રશ્નપત્રો અઘરા હોય છે. કેટલાક પ્રશ્નો તો કક્ષા બહારના પુછાય છે. એક બે માર્ક ઘટે તો કૃપાગુણ ને બદલે નાપાસ કરાય છે. આવી પરીક્ષા થોડાં વર્ષો પર ન હતી, એટલે નોકરી, ટકા અને ઈન્ટરવ્યૂને આધારે મળતી. 2010 પહેલાં જે પરીક્ષા હતી જ નહિ ને નોકરીને વર્ષો થયાં હોય, તો તેમને એવી પરીક્ષા માથે મારવી, જેના ઠેકાણાં નથી તે બરાબર નથી.
આ બધું ગુણવત્તા સુધારવા થાય છે? જે શિક્ષક પોતે પરીક્ષા લેવાની યોગ્યતા ધરાવતો હોય, તેની પરીક્ષા થાય ને તે નાપાસ પણ થાય તો તે ડિપ્રેશનનો શિકાર બને છે. હજારો કાયમી શિક્ષકોની ભરતી નથી થતી તે શિક્ષણની ગુણવત્તા સુધારવા? સૌથી વધુ બજેટ શિક્ષણમાં ફાળવાતું હોવા છતાં કેટલીક સ્કૂલો એક જ શિક્ષકથી ચાલે છે તે શિક્ષણની ગુણવત્તા સુધારવા? એક પણ વિદ્યાર્થી નથી એવી સ્કૂલમાં શિક્ષકો પગાર ખાય છે, તે કોની મહેરબાનીથી? કેટલી ય સ્કૂલો બિસ્માર હાલતમાં ચાલે છે. આ જોખમ શિક્ષણની ગુણવત્તા સુધારવા લેવાય છે?
– કમ સે કમ ગુજરાત સરકારે ગુજરાતની ભોળી પ્રજાની ક્રૂર મજાક કરવાથી દૂર રહેવું જોઈએ …..
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 15 જૂન 2026
![]()

