મારે માટે બાળકો એ દાંપત્યજીવનની પૂર્ણતા છે. અમે બંને અમારાં બાળકોને ચાહતાં અને એમનું ગૌરવ જાળવીને વર્તતાં. પ્રેમનો અર્થ બાળકોને છાપરે ચડાવીને બગાડવાં એવો નથી, પણ એમને ખીલવીને ઉચ્ચ કોટિનાં કરવાં એ છે.
— મૃણાલિની સારાભાઈ

મૃણાલિની સારાભાઈ
ડૉ. વિક્રમ સારાભાઈ અને મૃણાલિની સારાભાઈ વિષે વાત કરીએ તો કલાકો જોઈએ, લખવા બેસીએ તો પુસ્તકો ભરાય અને છતાં વાત અધૂરી રહે. બંને એવાં – પોતપોતાનાં ક્ષેત્રોમાં સિદ્ધિનાં ઉચ્ચ શિખરો સર કરી ચૂકેલાં આંતરરાષ્ટ્રીય કહી શકાય એવાં અને દેશની નવી પેઢીએ જેમના વિષે જાણવું જ જોઈએ એવાં પ્રેરક વ્યક્તિત્વો છે. મૃણાલિની સારાભાઈનો જન્મદિન 11 મેના દિવસે છે અને આજે 10 મેએ મધર્સ ડે છે – વાત કરીએ મૃણાલિની સારાભાઈનાં મા અમ્મુ સ્વામીનાથન્ની અને મા તરીકે મૃણાલિની સારાભાઈની.
1908માં અમ્મુ તેર વર્ષની ઉંમરે પાંત્રીસ વર્ષના સુબ્બરામ સ્વામીનાથન્ને પરણ્યાં. મેધાવી ને કામમાં ગળાડૂબ પતિએ બાલિકાવધૂ પત્ની માટે આઈરિશ પ્રશિક્ષિકા રાખ્યાં. માતૃસત્તાક પરિવારમાં ઉછરેલાં અમ્મુ બુદ્ધિશાળી અને આત્મવિશ્વાસસભર તો હતાં જ, હવે એ ફેશનેબલ બન્યાં. ઘોડેસવારી કરતાં, ટેનિસ રમતાં, કાર ચલાવતાં, પ્રતિષ્ઠિત બ્રિટિશ ક્લબોમાં જતાં અને અનેક સામાજિક-રાજકીય પ્રવૃત્તિઓમાં સક્રિય રહેતાં. વિશાળ વર્તુળ. ભારતીય અને વિદેશી મહાનુભાવોની અવરજવર અને વિદેશપ્રવાસો સતત ચાલે. સ્વાતંત્ર્યસંગ્રામ દરમિયાન એમણે જેલવાસ વેઠેલો અને બંધારણસભાનાં સભ્ય પણ હતાં. પણ, આત્મકથામાં મૃણાલિની લખે છે તેમ એમની પાસે એમનાં બાળકો મારે સમય ન હતો. મા તરીકે તેઓ આકરાં હતાં. ધાકધમકી અને શિક્ષા કરતાં. એ જમાનામાં બાળકોની આળપંપાળ કોઈ કરતું નહીં. દસેક વર્ષની ઉંમરે જ મૃણાલિનીએ નક્કી કર્યું હતું કે મને જ્યારે બાળકો થશે ત્યારે હું ખરા હૃદયથી એમનું જતન કરીશ. મોટા થયા પછી જો કે માદીકરી નિકટ આવ્યાં હતાં. 1975માં આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષે અમ્મુ સ્વામીનાથન્ને ‘મધર ઑફ ધ યર’નો ઍવોર્ડ ઇન્દિરા ગાંધીના હાથે મળ્યો. એ વખતે એમના પ્રતિભાશાળી સંતાનોનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. મૃણાલિનીનાં બહેન લક્ષ્મી સ્વામીનાથન્ સુભાષબાબુની આઝાદ હિંદ ફોજની મહિલા પાંખનાં કેપ્ટન હતાં. ભાઈ ગોવિંદ તમિલનાડુના એડવોકેટ જનરલ હતા.
મૃણાલિની ચેન્નાઈ, સ્વિટ્ઝરલેન્ડ, શાંતિનિકેતન, અમેરિકામાં ભણ્યાં. સાથે નૃત્યની અવિરત સાધના ચાલતી. ભરતનાટ્યમ્, કુચિપુડી, જાપાની અને ગ્રીક નૃત્યો, બેલે, રંગભૂમિ. 1942માં પ્રસિદ્ધ ભૌતિકવિજ્ઞાની ડૉ. વિક્રમ સારાભાઈ સાથે લગ્ન થયાં. વિક્રમના પિતા અંબાલાલ સારાભાઈ જાણીતા ઉદ્યોગપતિ. ગર્ભશ્રીમંત, ગાંધીજીની નિકટ, સામાજિક જવાબદારીથી સભાન અને સ્વાતંત્ર્યસંગ્રામમાં સક્રિય. મોટું, પ્રતિભાઓથી ભરેલું કુટુંબ. એમને ત્યાં પણ ભારતીય અને વિદેશી મહાનુભાવોની ખાસ્સી અવરજવર. મહાન પરિવારોમાં જન્મ ગૌરવ પ્રદાન કરે છે, પણ એના અંતરંગ સંઘર્ષો પણ હોય છે. પ્રતિભાશાળી વિખ્યાત માના સંતાન તરીકે મૃણાલિનીનું બાળપણ કઇંક એકલવાયું વીત્યું હતું, અહીં નવો પ્રદેશ, નવી ભાષા, અલગ રહેણીકરણી અને અતિવ્યસ્ત પતિ વચ્ચે એકલતાની સ્થિતિ હતી. પણ કૃષ્ણભક્તિ અને નૃત્યએ એમને એકલાં પડવા ન દીધાં.
1948માં મૃણાલિનીએ અમદાવાદમાં ‘દર્પણ અકાદમી ઑફ પરફૉર્મિંગ આર્ટ્સ’ નામની દૃશ્યકલાઓને વરેલી સંસ્થાની સ્થાપના કરી, જેની અનેક પ્રયોગશીલ રંગમંચ નિર્મિતિઓએ તેમને દેશવિદેશમાં ખ્યાતિ અપાવી. મૃણાલિનીએ અમદાવાદમાં નૃત્યપ્રવૃત્તિઓ શરૂ કરી તે સમયે સ્ત્રીઓએ જાહેરમાં નૃત્ય કરવાનું નિષિદ્ધ ગણવામાં આવતું. પણ સસરા અને પતિના જાણીતા ઉદ્યોગપતિ શેઠ અંબાલાલ સારાભાઈ અને તેમના પતિ ડૉ. વિક્રમ સારાભાઈના સક્રિય પ્રોત્સાહનથી મૃણાલિનીએ પોતાની નૃત્યપ્રવૃત્તિઓ પોતે તો ચાલુ રાખી હતી જ, સાથે ગુજરાતના કલાપ્રેમી પરિવારોની યુવાન છોકરીઓને પણ તેમાં આકર્ષવામાં સફળતા મેળવી.
વિક્રમ અને મૃણાલિની 1947માં કાર્તિકેયનાં અને 1953માં મલ્લિકાનાં માતાપિતા બન્યાં. મૃણાલિની લખે છે, ‘મારે માટે બાળકો એ દાંપત્યજીવનની પૂર્ણતા છે … અમે બંને અમારાં બાળકોને ચાહતાં અને એમનું ગૌરવ જાળવીને વર્તતાં. પ્રેમનો અર્થ બાળકોને છાપરે ચડાવીને બગાડવાં એવો નથી, પણ એમને ખીલવીને ઉચ્ચ કોટિનાં કરવાં એ છે … સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચે હંમેશાં ભેદરેખા છે. અમારી સમજણ હતી કે જ્યાં પણ કઈં દૃષ્ટિભેદ થાય ત્યાં ચર્ચા કરીને નિષ્કર્ષ કાઢવો. બાળકો અમારી જિંદગીનો હિસ્સો રહ્યાં જ અને બધાં જ નામાંકિત લોકો સાથે કોઈ પણ પ્રકારના આત્માભિમાન કે પૂર્વગ્રહ વિના પ્રત્યાયન કરતાં શીખ્યાં.’
મલ્લિકાએ એક લેખમાં લખ્યું છે, ‘અમ્માની સિદ્ધિઓ અમારી પણ ખરી. પપ્પાની પ્રતિભાવંત કીર્તિમાં અમારી પણ સામેલગીરી. આવી કીર્તિ અને સિદ્ધિનો અમે નિર્ભેળ આનંદ માણવો એટલું જ, એ એવી વાત ન હતી કે અમે પ્રખ્યાત બન્યાં છીએ, એટલે તમે પણ એવાં બનો. એના બદલે એવી ભાવના આવતી કે જુઓ, સતત મહેનત કરવાનો કેટલો આનંદ હોય છે! તમે જે કરવા માંગો છો તેને માટે સચિંત રહેવું કેટલું જરૂરી હોય છે! દુનિયામાં કરવા જેવું ઘણું કામ છે, કરો. પછી તે લોકો માટે હોય કે દેશને માટે.’
મૃણાલિનીએ પુસ્તકો પણ લખ્યાં છે. એમની આત્મકથા ‘ધ વૉઇસ ઑફ હાર્ટ’નો સુંદર ગુજરાતી અનુવાદ બકુલા ઘાસવાલાએ ‘અંતરનાદ’ નામે કર્યો છે. એમાં મૃણાલિનીએ જોસેફ કેમ્પબેલની એક ઉક્તિ ટાંકી છે, ‘આપણી સામે, આસપાસ અને અંદર જે કઈં જીર્ણશીર્ણ ઘાટઘૂટ છે તેનું હિંમતભેર ખુલ્લી આંખે નિરીક્ષણ કરવું.’ દરેક માએ સંતાનને આ શીખવવા જેવું નથી? સમય કોઈપણ હોય, સ્વયંસ્ફુરણા અને સ્વાનુભૂતિની અભિવ્યક્તિ વગર સાચા અર્થમાં જીવી શકાતું હોતું નથી.

મૃણાલિની સારાભાઈ
વ્યસ્ત કારકિર્દી છતાં બાળકો મૃણાલિની માટે પ્રથમ અગ્રિમતા હતાં. એક વાર કોઈના મૃત્યુ પ્રસંગે ત્રણ વર્ષના કાર્તિકેયે પૂછ્યું, ‘મૃત્યુ એટલે શું?’ મૃણાલિનીએ કહ્યું, ‘એ લાંબી મુસાફરી છે, ભગવાન પાસે જવા માટેની.’ ‘બધાં રડે છે કેમ?’ મૃણાલિનીએ સમજાવ્યું, ‘ભગવાન પાસેથી કોઈ આવી શકતું નથી, બીજે ક્યાંક જન્મ લે છે.’ બીજે દિવસે કાર્તિકેયે કહ્યું, ‘અમ્મા, તમે ભગવાનને કહેશો કે હું મૃત્યુ પામું તો એ મને તમારા પેટમાં જ મૂકે?’ એક વખત પંડિત નહેરુ સમક્ષ નૃત્યપ્રદર્શન કરવાનું આમંત્રણ હતું અને એ જ દિવસે કાર્તિકેયને સ્કૂલના પ્રવાસમાં જવાનું હતું. મા સ્ટેશને મૂકવા આવે એવી એની ઇચ્છા હતી તેથી મૃણાલિનીએ આમંત્રણ ટાળ્યું. કાર્તિકેય આ વાત ઘણાં વર્ષ ભૂલ્યા ન હતા. કાર્તિકેય આંતર્મુખી અને મલ્લિકા બહિર્મુખી. બાળકોના સ્વભાવનો આદરપૂર્વક સ્વીકાર હતો. કુટુંબ પ્રગતિશીલ વિચારોવાળું અને પતિપત્ની વચ્ચે સમજણ એવી કે બેમાંથી એક બાળકો પાસે રહે, છતાં મૃણાલિનીને બાળકો માટે પ્રવાસમાં કાપ મૂકવો પડે એવું બનતું. ખાસ તો હોમી ભાભાનાં મૃત્યુ પછી વિક્રમ પર કાયમનું અતિશય ભારણ આવ્યું એ ગાળામાં. પણ તેઓ નારાજ ન થતાં. પોતાની કારકિર્દી માટેનું સમયપત્રક જે હોય તે, બાળકોને જરૂર પડે ત્યારે તેઓ હાજર જ હોય. તેમને મન નૃત્યાંગના જેટલી જ મહત્ત્વની ભૂમિકા માતાની હતી. પ્રવાસમાં હોય ત્યારે મૃણાલિની બાળકોને રોજ એક પત્ર મળે એવી વ્યવસ્થા કરે. વિક્રમ પણ બાળકોના વિગતવાર સમાચાર મૃણાલિનીને પહોંચાડ્યા કરે.
બાળકો મોટાં થતાં ગયાં પછી પણ એમણે એમની સાથે સંવાદ જાળવી રાખ્યો. દરેક વિષય પર છૂટથી વાતો થાય. સ્વતંત્ર વિચારશક્તિ ખીલવવી ને સાથે માનવમૂલ્યો રોપવાં એ ધ્યેય. મહાનુભાવોનો પરિચય, તેમનો આદરસત્કાર કરવો, આત્મવિશ્વાસ, નવા અનુભવો આ બધાની વચ્ચે બંનેએ સરસ કારકિર્દી બનાવી. કાર્તિકેયે યુ.કે.ના કેમ્બ્રિજમાં નેચરલ સાયન્સમાં ટ્રિપોસ મેળવ્યો, ત્યારબાદ તેઓ યુ.એસ.એ.માં મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી(એમ.આઈ.ટી.)માં ડેવલપમેન્ટ કોમ્યુનિકેશનમાં અનુસ્નાતક થયા. તેઓ અમદાવાદમાં મુખ્ય મથક ધરાવતા સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશનના સ્થાપક અને ડિરેક્ટર છે, જેની ઓફિસો ભારતભરમાં છે. મલ્લિકા કુશળ કુચીપુડી અને ભરતનાટ્યમ નૃત્યાંગના અને અભિનેત્રી છે. સામાજિક પરિવર્તન માટે કલાનો ઉપયોગ કરવામાં નિષ્ણાત છે અને મૃણાલિનીએ સ્થાપેલી દર્પણ એકેડમીનો વહીવટ સંભાળે છે. ભદ્રાયુ વછરાજાનીએ આ બંનેનો દીર્ઘ મુલાકાત લીધી છે તે જોઈએ તો સાચા અર્થમાં વિકસિત મનુષ્યો કેવા હોય એની પ્રતીતિ થાય. બંનેને બે બે સંતાનો છે જે પણ સ્કૉલરો છે.
મૃણાલિનીએ પુસ્તકો પણ લખ્યાં છે. એમની આત્મકથા ‘ધ વૉઇસ ઑફ હાર્ટ’નો સુંદર ગુજરાતી અનુવાદ બકુલા ઘાસવાલાએ ‘અંતરનાદ’ નામે કર્યો છે. એમાં મૃણાલિનીએ જોસેફ કેમ્પબેલની એક ઉક્તિ ટાંકી છે, ‘આપણી સામે, આસપાસ અને અંદર જે કઈં જીર્ણશીર્ણ ઘાટઘૂટ છે તેનું હિંમતભેર ખુલ્લી આંખે નિરીક્ષણ કરવું.’ દરેક માએ સંતાનને આ શીખવવા જેવું નથી? સમય કોઈપણ હોય, સ્વયંસ્ફુરણા અને સ્વાનુભૂતિની અભિવ્યક્તિ વગર સાચા અર્થમાં જીવી શકાતું હોતું નથી.
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 10 મે 2026
![]()

